Sunday, September 24, 2023

સન્ડે સ્પેશિયલ

 પાટણના શિહોરીના કુંવર ભીમસિંગને ત્યાં પારણું બંધાતાં એકાવન બ્રહ્મણો સાથે ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે  પગપાળા  અંબાજી જવા નીકળ્યા હતા.
 

ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ ગુજરાતભરના માર્ગો બોલ મારી અંબે, જાય જાય અંબેનાં નાદથી ગુંજી ઊઠે છે. ભાદરવી પૂનમે દેશ વિદેશમાંથી મા અંબાના ભક્તો લાખોની સંખામાં ઉમટી પડે છે. ભાદરવી પૂનમનો મેળો એ ગુજરાતની ઓળખ બની ગયો છે. ૩૫૮ સુવર્ણ કળશ ધરાવતું ભારતનું એકમાત્ર શક્તિપીઠ છે. ૫૧ શક્તિપીઠોમાં હ્રુદયસમું અંબાજી લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે.  ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકામાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ આરાસુરી  અંબાજી મંદિર અને પગપાળા સંઘની શરૂઆતનો ઈતિહાસ રોમાંચક છે.

મા અંબાના પ્રાગટયની ગાથા મુજબ પ્રજાપતિ દક્ષે બૃદસ્પતિ સક નામના મહાયજ્ઞનું આયોજન કર્યું હતું. દક્ષે બધા જ દેવોને નિમંત્રમ આપ્યું હતું. પરંતુ પોતાના જમાઈ ભગવાન શંકરને બોલાવ્યા ન હતા. પિતાના ત્યાં યજ્ઞ છે તેવા સમાચાર સાંભળીને ભગવાન શંકરનો વિરોધ હોવા છતા સતી દેવી પિતાના ત્યાં પહોંચી ગયા. પિતાના ત્યાં યોજાએલ મહાયજ્ઞમાં ભગવાન શિવને આમંત્રણ દેતા અને પિતાના મોઢે પતિની નિંદા સાંભળતાં  તેમણે યજ્ઞકુંડમાં પડી પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવે સતી દેવીના નિઃચેતન દેહ જોઈને તાંડવ આદર્યું. અને દેહને ખભે ઉપાડી ત્રણે લોકમા ઘુમવા માંડયા. ત્યારે આખીય સૃષ્ટિનો નાશ થઈ જશે તેવા ડરથી ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રથી સતીના શરીરના ટુકડી કરી પૃથ્વી પર આતરે વેરાવી દીધા. સતી દેહના ભાગ તથા આભૂષણો બાવન સ્થળો પર પડયા. આ સ્થળે એક એક શક્તિ તથા એક ભૈરવ ટચુકડા સ્વરૂપો ધારણ કરી સ્થિર થયા.

તંત્ર ચુડામણીમા આ બાવન મહાપીઠોનો ઉલ્લેખ છે. આ પૈકી એક શક્તિપીઠ આરાસુર અંબાજીનું ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનો ભાગ પડયો હોવાની માન્યતા છે. ભાગવતમાં ઉલ્લેખ છે કે ભગવાન શ્રીકૃષ્ણ માથાના વાળ ઉતારવાની વિધિ આરાસુરમા મા અંબાના સ્થાને થઈ હતી.  એ પ્રસંગે નંદ - યશોદાએ માતાજીના સ્થાનકે જવારા વાવ્યા હતા અને સાત દિવસ સુધી અંબાજી રહ્યા હતા. આજે પણ એ સ્થળ ગબ્બર પર્વત ઉપર જોવા મળે છે.

પાંડવો વનવાસ દરમ્યાન આરાસુરમાં માતાજીનું તપ કરવા આરાસુરમાં રોકાયા હોવાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં જોવા મળે છે. વનવાસ દરમ્યાન સીતાને શોધવા ભગવાન રામ અને લક્ષ્મણ પણ અર્બુદાના જંગલોમાં શૃગી ઋષિના આશ્રમમાં આવ્યા હતા. ઋષિએ તેઓને માતાજીના આશીર્વાદ મેળવા દર્શનાર્થે મોકલ્યા ત્યારે માતાજીએ પ્રસન્ન થઈ રાવણને મારવા ભગવાન રામને અજય બાણ આપ્યું હતુ. અને એ બાણથી રાવણનો નાશ થયાની માન્યતા છે. અને દંતકથાઓ અને લોકવાયકાઓ આ પૌરાણિક ધામનો પરિચય આપે છે. અંબાજીના વર્ણન સ્તુતિઓની પરંપરા છેક પુરાણોથી લઈને આદિ શંકરાચાર્ય તથા અર્વાચીન ઈતિહાસ અને પ્રવાસ વર્ણનોમાં જોવા મળે છે. મંદિર પ્રાગ ઐતિહાસિક કાળનું હોવાનું મનાય છે. પણ ઉપલબ્ધ પરિસ્થિતી જોતા અત્યારનું સ્થાનક બારસો વર્ષ પુરાણુ જણાય છે.

ઐતિહાસિક પુરાવા તપાસીએ તો મંદિર મહારાણા માલદેવનો વિ. સંવત ૧૪૧૫ (ઈ.સ. ૧૩૫૯)નો લેખ જોવા મળે છે. અંબાજી મંદિરના અંદરના મંડપ દ્વારમાં એક સંવત ૧૬૦૧નો લેખ છે, તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કાર્યના લેખો છે. તે સોળમાં શતકના છે. એક બીજા સંવત ૧૭૭૯ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે.

 ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઈતિહાસ ગાથા પણ રોચક છે. ભાદરવી પૂનમે પગપાળા સંઘ લઈને જવાની શરૂઆત ૧૮૨ વર્ષ પહેલાં મહેસાણાના ગોઝારિયા ગામથી થઇ હતી. પદયાત્રા સંઘની શરૂઆતની કથા એવી છે કે  પાટણના શિહોરીના કુંવર ભીમસિંગને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંગ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમાંસિંગને ત્યાં પુત્ર જન્મ્યો હતો.

ભીમસિંગને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને એકાવન બ્રહ્મણો ૧૮૪૧ની ભાદરવા સુદ ૧૦ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંગ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. આ પરંપરા આજે દેશવ્યાપી બની ચુકી છે.

અઢારમી સદીમાં  અમદાવામાં મહામારી ફાટી નીકળી હતી. પ્રજાના જીવ હોમી રહ્યા હતા. ત્યારે તાત્કાલીન અમદાવાદના નગરશેઠ હઠીસિંહે અંબાજી મા અંબાની પદયાત્રાએ દર્શનની બાધા રાખી હતી. ત્યારબાદ મહામારી શાંત થતાં ભાદરવી પૂનમના અરસામાં અમદાવાદના નગરશેઠ હઠીસિંહ સહીત ભક્તો માતાજીની ધજા નિશાન સાથે પદયાત્રાએ અંબાજી આવી મંદિરના શિખરે ધ્વજારોહણ અને બધા આખડી પૂરી કરી હતી. આ સંઘ આજે પણ માતાજીના દર્શન કરવા આવે છે. જે લાલ દંડવાળો સંઘના નામે આજે પ્રચલિત છે.  

અંબાજી મંદિરની એક ખાસ વિશેષતા એ છે કે અંબાજીના કોઈપણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં ઘી જ જોઈએ.

સ્વતંત્રતા પહેલા રાજવી શ્રીભવાનસિહજી પરમાર માતાજીના અનન્ય ઉપાસક હતા. તેઓએ ઉચ્ચ કેળવણી પ્રાપ્ત કરેલ હોઈ વિદ્યા પ્રિય રાજવી તરીકે નામ મેળવેલ છે. ભવાનસિંહજી બાદ તેમના પુત્ર પૃથ્વીરાજસિંહજી ગાદી પર આવ્યા તેમના શાસન દરમ્યાન ભારતે સ્વંતત્રતા પ્રાપત કરતા ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિ તરીકે શ્રી વી.પી.મેનન, ભારત સરકારના સચિવશ્રી (મિનિસ્ટ્રી ઓફ સ્ટેટસ) અને દાતાના રાજવી શ્રી પૃથ્વીરાજસિંહજી વચ્ચે તા.5-8-1948 ના વિલિનીકરણ કરાર મુજબ દાતાનું રાજ્ય ભારતના સંઘમા વિલિન થયું.

દાતા રાજ્ય ભારત સંઘમાં વિલિનીકરણ બાદ અંબાજી માતાની મંદિરની માલીકી અંગે કાનુની પ્રશ્ન ઉપસ્થિત થતા શ્રી પૃથ્વીરાજસિંહજી તથા ભારત સરકારના તાત્કાલિક મિનીસ્ટર ઓફ સ્ટેટસ શ્રી એચ.ગોપાલ સ્વામી આયગર તથા યારબાદ ડો.કે.એન.કાન્જે તથા બાદમાં શ્રી વી.વિશ્વનાથન વચ્ચે ઘણો પત્ર વ્યવહાર થયો. છેવટે શ્રી પૃથ્વીરાજસિંહજી ધ્વારા તા.25-5-53 ના પત્ર ધ્વારા ભારતના રાષ્ટ્રપતિ શ્રીને આ બાબત નામ.સુપ્રિમ કોર્ટ ઓફ ઈન્ડિયાને રીફર કરવા વિનંતી કરવામાં આવતા ના.સુપ્રિમકોર્ટ પૃથ્વીરાજસિંહજીને અંબાજી માતા મંદિરનો કબજો પ્રાતં ઓફિસર, પાલનપુરને સોંપી દેવાનું જણાવવામાં આવ્યું. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા અંબાજી મંદિરના વહીવટ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી. જેના ચેરમેન તરીકે બનાસકાંઠા જીલ્લા કલેકટર અને મંદિરના સંચાલનની વહીવટી કામગીરી માટે નાયબ કલેકટર કક્ષાના અધિકારીની વહીવટદાર તરીકે રાજ્ય સરકાર દ્વારા નિમણૂંક કરવામાં આવે છે.

હાલ ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઇ ગઈ છે. લાખોની સંખ્યામાં આવતા પદયાત્રીઓ માટે રાજ્ય સરકાર તથા જીલ્લા કલેકટર શ્રી બરનવાલ સાહેબ તથા મંદિરના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા સુંદર સવલતો ઊભી કરવામાં આવી છે. ભાદરવી પૂનમે અંબાજીનો મેળો મહાલાવો એ જીવનનું સૌભાગ્ય છે.

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧૪૨૬૨૦ 

Sunday, September 17, 2023

સન્ડે સ્પેશિયલ

 અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં બિરાજતા શ્રી કંટાળુ હનુમાનજી

    અરવલ્લીની ગિરિકંદરાઓનું નામ પડે એટલે સૌથી પહેલાં શામળિયો સાંભળે ! સૌથી પ્રાચીન આ અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં બિરાજી શામળિયો અવિરત આશિષ વરસાવતો રહે છે. વિશ્વ પ્રસિદ્ધ શામળાજી મંદિર અરવલ્લીની શોભા છે. અરવલ્લીમાં આ ઉપરાંત પણ કેટલાક અતિ પ્રાચીન દેવસ્થાનો આવેલાં છે. આહો આવેલા પૌરાણિક દેવાલયોનો બહુ ઓછા લોકોને પરિચય છે. આજે વાત કરાવી છે એવા જ એક અતિ પ્રાચીન એવા સ્વયંભૂ શ્રી કંટાળુ હનુમાનજી  દેવસ્થાનની !

     અરવલ્લી જીલ્લાનો અંતરિયાળ તાલુકો એટલે  મેઘરજ. પહાડો, સારવારો, ઝરણાં અને લીલીછમ વનરાજીનું અનુપમ સૌદર્ય છવાયેલું જોવા મળે. મેઘરજ તાલુકાનું ઇસરી,નવાગામ અને રખાપુર ગામના ત્રિભેટે શ્રી કંટાળુ હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. શામળાજીથી આશરે બારેક કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળે શ્રી કંટાળુ હનુમાનજી બિરાજમાન છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ અલૌકિક અનુભૂતિ થયા વિના રહેતી નથી. કળીયુગમાં જો કોઈ દેવ હાજરા હાજૂર હોય તો એ હનુમાનજી છે. એનાં પ્રમાણ આજે પણ મળતાં રહે છે. આજે કોઈ એવું ગામ  કે શેરી જોવા નહિ મળે કે જ્યાં નાની મોટી હનુમાનજીની દેરી ન હોય !

      શ્રી કંટાળુ હનુમાનજીની પ્રતિમા જોતાં જ ખ્યાલ આવી જાય કે આ પ્રતિમા કેટલી પૌરાણિક છે ! આસપાસના ગામના વડીલોને વાત કરતાં આ મંદિર વિષે જોડાયેલી પ્રચલિત કથા જાણવા મળે છે. વડીલોના જણાવ્યા અનુસાર આ હનુમાનજીની પ્રતિમા વર્ષો પહેલાં કંટાળુ ગામે બિરાજમાન હતી. ગેડ ગામના એક હનુમાનજીના પરમ ઉપાસક દર્શન કરવા  નિયમિત કંટાળુ ગામે આવતા. હનુમાનજી પર તેઓની અનન્ય આસ્થા હતી. નિયમિત હનુમાનજીનાં દર્શન કરી તેઓ ધન્યતા અનુભવતા. આ નિત્ય ક્રમ વર્ષો સુધી ચાલ્યો. સમય જતાં એ હનુમાનજીના ઉપાસક વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા.  ડગ ભરી શકવાની ક્ષમતા પણ રહી નહિ. એમ છતાં હનુમાનજીના દર્શન કરતાં દાદાને કરગરી રહ્યા કે હે હનુમાનજી દાદા શરીર હવે સાથ આપતું નથી. અને તારા દર્શન વિના પણ મારે ચાલતું નથી. હવેથી હું તારા દર્શને કેમ કરી આવીશ ? અંતરના ઊંડાણેથી નીકળેલી  ભાવભરી પ્રાર્થના જાણે  દાદાએ સાંભળી લીધી. ત્યાં એક આવાજ સંભળાયો. ભક્ત તારી ભક્તિથી હું પ્રસન્ન છું. શરીર અશક્ત બન્યું છતા તે તારી ટેક તોડી નથી. હવે તારે દર્શને અહી આવવાની જરૂર નથી. હું જ તારી સાથે તારા ગામ આવું છું.  તું આગળ ચાલ તારી પાછળ પાછળ હું ચાલ્યો આવું છું. પણ એક શરત છે કે રસ્તામાં ક્યાય પાછું વળી જોઇશ નહિ. નહિ તો જ્યાં પાછું વળી જોઈશ હું ત્યાં જ રોકાઈ જઈશ.

    આકાશવાણીના આ શબ્દો સાંભળી હનુમાન ભક્તની આંખોમાંથી હર્ષના આંસુની ધારા વહેવા લાગી. દાદાને દંડવત પ્રણામ કર્યા અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. કંટાળુ ગામથી ચાલતા ચાલતા જંગલની વાટ પકડી. રસ્તામાં મનમાં શંકા ઉદભવી કે ખરેખર હનુમાનજી મારી પાછળ પાછળ આવે કે નહિ ? એ જોવા માટે પાછળ નજર કરી. ત્યાં એક લીમડાના ઝાડ પાસે હનુમાનજીની પ્રતિમા સ્થિર થઇ ગઈ. હનુમાનજીએ આપેલા વચન મુજબ એ જગ્યા એ જ બિરાજમાન થઇ ગયા. હનુમાનજીના ઉપાસકના હૃદયમાં  પસ્તાવાનો પાર ન રહ્યો. એ દિવસથી  દાદા અહી બિરાજમાન છે.

    ઇસરી, નવાગામ, રખાપુર ગામની ત્રિભેટે જંગલ વિસ્તારમાં આવેલું હનુમાનજીનું મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દૂર સુદૂરથી હનુમાન ભક્તો દર્શનાર્થે અહી આવે છે. વનવાસી સમાજ  કંટારુ બવશી નામે હનુમાનજીની  પૂજા કરે  છે. ખેતરમાં પાકતો પહેલો પાક કંટારુ બવશીના ચરણે ધરે છે એ પછી જ પોતે  ઉપયોગમાં લે છે. આસપાસનો  વનવાસી સમાજ  લગ્ન પછી સૌથી પહેલા કંટારુ બવશીના આશીર્વાદ લેવા અહીં  અચૂક આવે છે. દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.

    અહીં આમલી અગિયારશનો ભવ્ય મેલો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી માનવ મહેરામણ ઉમટે છે. દર શનિવારે પણ અહી ભક્તોની ભીડ જામે છે.

    સ્વર્ગસ્થ પૂજાભાઈ પટેલ (આણંદ વાળા) જેઓએ આ મંદિરના નિર્માણમાં ખુબ મોટું યોગદાન આપેલ છે.  ઇસરી, નવાગામ રખાપુર તેમજ આસપાસના ગામોના ધર્મપ્રેમી લોકો આ મંદિરનો ખુબ સુંદર વિકાસ કર્યો છે. કોરોના કાળ દરમિયાન દાતાઓના સહયોગથી મંદિરની કાયાપલટ કરી દીધી છે. આજે આ સ્થાન નયનરમ્ય બન્યું છે.


    આગામી  ૨૦ સપ્ટેબરથી ૨૮ સપ્ટેબર- ૨૦૨૩  દરમિયાન આ મંદિરના પ્રાગણમાં  મંદિરના લાભાર્થે નવદિવસય  રામકથા જ્ઞાનયાનનું ભવ્ય  આયોજન કરવામાં આવ્યું છે. મહુવાના પ્રસિદ્ધ કથાકાર નાનાલાલ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. હાલ આ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાનજીના સેવકો તન,મન, ધનથી દિવસ રાત સેવારત છે.

    સમસ્ત ગુજરાતના શિક્ષણ જગતનું ઘરેણું એવા ડૉ. મોતીભાઈ પટેલ ૮૭ વર્ષની ઉમરે પણ એક યુવાનની ત્વરાથી કથાની તૈયારીમાં જોતરાયેલા છે. અને આ કથાના મુખ્ય યજમાન પણ તેઓ છે. તેમની સાથે ખભેખભા મિલાવી ઇસરી ગામના પૂર્વ સરપંચ અને સહકારી આગેવાન મોતીભાઈ પટેલ પણ એટલા જ સક્રિય છે. 

    મંદિરના વિકાસમાં અવિરત કાર્યરત રહેતા કાંતિભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, વિમલભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, પૂજ્ય મોરારી બાાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ થી પુરસ્કૃત કુનોલ પ્રા. શાળમાં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક વિનુભાઈ કચરભાઈ પટેલ તથા  આસપાસના ગામોના યુવાનો, વડીલો અને બહેનો અથાગ પરિશ્રમ કરી રહ્યાં  છે. રામકથાના ભગીરથ કાર્યને સફળ બનાવવા ન્યુ લિપના ટ્રસ્ટી હરેશભાઈ પટેલનું યોગદાન પણ નોંધનીય છે.

    શ્રી કંટાળુ હનુમાનજી મંદિરનો હજી વધુ વિકાસ થાય તો અરવલ્લી જીલ્લાનું એક મહત્વનું એક તીર્થધામ બની શકે છે. શહેરની ભાગદોડની દુનિયાથી દુર પ્રકૃતિના ખોળે આવેલું આ રમણીય મંદિર મનને શાંતિ પ્રદાન કરનારું અલૌકિક સ્થાન છે.  

   ( શ્રી કંટાળુ હનુમાનજી મંદિરના લાભાર્થે યોજાનાર આ કથાના સેવાયજ્ઞમાં આપ પણ જોડવા ઈચ્છો છો અથવા સહયોગ આપવા ઈચ્છતા હો તો  તો નીચે આપેલા મો. નંબર પર સંપર્ક કરી શકો છો.  મોતીભાઈ પટેલ - ૯૩૨૮૮ ૯૪૩૦૬, નાનજીભાઈ પટેલ – ૯૪૨૮૭ ૭૨૦૮૪, કાન્તીભાઈ પી. પટેલ – ૯૪૦૮૭ ૦૮૮૧૧, આનંદ એન. પટેલ ૯૪૩૬૩ ૬૫૯૭૮)

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧ ૪૨૬૨૦ 



Sunday, September 10, 2023

સન્ડે સ્પેશિયલ

 

અરવલ્લી - સાબરકાંઠાનાં રજવાડાં અને રાજવીઓ

(ઈડર સ્ટેટની રાજ્યમુદ્રા)

                 ભારત સ્વતંત્ર થયા બાદ સમગ્ર દેશના ભાવિ ઇતિહાસનો નવું પાનું ઉઘાડ્યું. સ્વતંત્રતા મળતાં દેશની 60 ટકા પ્રજાને આઝાદી મળી, પરંતુ બાકીની 40 ટકા પ્રજા ભારતમાં આવેલા દેશી રજવાડાંના શાસન તળે હતી. આઝાદી પહેલા રજવાડાઓ બ્રિટિશ સલ્તનત નીચે હતા. હવે દેશી રાજાઓના નીચે સીધી રીતે આવી ગઈ હતી. 


 આ 40 ટકા પ્રજા રાજાઓથી મુક્ત થાય તો જ અખંડ ભારતની રચના કરી શકાય. આ કાર્યનો હવાલો સરદારને સુપ્રત કરવામાં આવ્યો. જે બહુ કપરું કાર્ય હતું.સૌરાષ્ટ્રના રાજ્યોમાં , વડોદરામાં, કચ્છમાં, મૈસૂરમાં, ત્રાવણકોરમાં અને અન્ય દેશી રાજ્યોમાં અનેક પ્રશ્નો ઉભા થયા જો આ પ્રશ્ન હલ ન થાય તો દેશ અનેક ભાગોમાં ખંડિત જ રહે, પરંતુ અસાધારણ ખૂણેથી સરદારે દેશી રજવાડાઓને સામ, દામ, દંડ અને ભેદની ચાણક્ય નીતિથી બે વર્ષ સુધી કાર્ય કરી અને દેશની એકતા માટેની અપ્રતિમ સેવા કરી. તેમણે બે વર્ષમાં દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું.આ એક ઐતિહાસિક ઘટના હતી. જે ભવિષ્યમાં ભારતના ઇતિહાસમાં ભારતની એકતા માટેની એક મહત્વની કડી સાબિત થઇ.
 
(મહીં કાંઠા વિસ્તાર )
 1924 માં ઇડરને પશ્ચિમી ભારત રાજ્યો એજન્સીનો ભાગ બનાવવામાં આવ્યો હતો.  તેને 1940 ની શરૂઆતમાં રાજપૂતના એજન્સીમાં તબદીલ કરવામાં આવી હતી . 10 જૂન, 1948 ના રોજ ઇડર ભારતીય સંઘનો ભાગ બન્યો . 1949 માં ઇડર સ્ટેટ સબરકાંઠા જિલ્લા અને મહેસાણા જીલ્લા વચ્ચે વિખરાઈ ગયું અને વિભાજિત થયું હતું. જે તે સમયે બોમ્બે રાજ્યમાં હતા . 1960 માં જ્યારે આ બન્ને જીલ્લાઓ ગુજરાતમાં   સામેલ કરવામાં આવ્યા હતા. 
            અરવલ્લીનો મોટા ભાગનો વિસ્તાર ઇડર સ્ટેટમાં સમાવિષ્ટ હતો. ઇડર સ્ટેટ માં 1901 માં 884 ગામડાઓ સમાવિષ્ટ હતાં. 4323 વર્ગ કિ.મી. વિસ્તાર નો સમાવેશ થતો હતો. ઈડર સ્ટેટની વસ્તી 1,68,557 હતી. ઈડરના છેલ્લા રાજવી શ્રી હિંમત સિંઘજી સાહિબ બહાદુર  હતા.
ઈડર સ્ટેટના રાજવી હિંમતસિંહજી 

       શ્રી હિંમતસિંહજી સાહેબ બહાદુર 1931 થી ઇડરના મહારાજા હતા. તેમણે જુલાઈ 11, 1931 ના રોજ રાજગાદી પર કબજો મેળવ્યો હતો. તેઓ ભારતીય ઇતિહાસના પાનામાં એક પુરાવા રમતવીર તરીકે નોંધાયેલા છે . તેમના કૉલેજના દિવસો દરમિયાન, તે શ્રેષ્ઠ પોલો ખેલાડીઓમાંનો એક હતો . તેમની શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે તેમના પિતાને રાજ્યના વહીવટમાં મદદ કરી. 
                ઇડર સ્ટેટ  સાથે સાબરકાંઠા અરવલ્લીમાં નાનાં-મોટાં 29 રજવાડાં હતાં. આ રજવાડાં તેઓના વિસ્તાર અને રાજવીની લશ્કરી તાકાત ને આધારે સાત વર્ગોમાં વિભાજીત કરવામાં આવ્યાં હતાં. પ્રથમ વર્ગમાં સમાવિષ્ટ ઇડર સ્ટેટને 15 બંદૂકની સલામી આપવામાં આવતી. 
           સાબરકાંઠા અને અરવલ્લીના બીજા રજવાડાં વર્ગ પ્રમાણે જોઈએ તો તેઓની યાદી આ પ્રમાણે છે. 
(1) પ્રથમ વર્ગ : ઈડર સ્ટેટ - રાજવી હિમ્મતસિંહજી
(2) બીજો વર્ગ: પોળ (વિજયનગર) - રાજવી હમીરસિંહજી ઠાકોર
(3) ત્રીજો વર્ગ: માલપુર - ગંભીરસિંહજી ઠાકોર ( રાઓલજી)
(4) ત્રીજો વર્ગ : મોહનપુર - રાતનસિંહજી ઠાકોર
(5) ચોથો વર્ગ : પેથાપુર - ફતેસિંહજી ઠાકોર
(6) ચોથો વર્ગ : રાણાસણ - જશવંતસિંહ ઠાકોર
(7) ચોથો વર્ગ : પુનાદરા - શિવસિંહજી ઠાકોર
(8) ચોથો વર્ગ : ઇલોલ - શિવસિંહજી વજેસિંહજી ઠાકોર
(9) ચોથો વર્ગ : આંબલીયારા - કેસરીસિંહજી ઠાકોર
(10) પાંચમો વર્ગ ડાભા બાલુ સિંહ જી ઠાકોર
(11) પાંચમો વર્ગ : વાસણા - બાપુસિંહજી ઠાકોર
(12) પાંચમો વર્ગ : રૂપાલ - તખતસિંહજી ઠાકોર
(13) પાંચમો વર્ગ : દધાલીયા - તખતસિંહજી અમરસિંહ જી ઠાકોર
(14) પાંચમો વર્ગ : મગોડી - પ્રવિણસિંહજી ઠાકોર
(15) પાંચમો વર્ગ : વડાગામ - નટવરસિંહજી ઠાકોર
(16) પાંચમો વર્ગ : સાઠંબા - સુરસિંહજી ઠાકોર
(17) છઠ્ઠો વર્ગ રમોશ માનસિંહજી ઠાકોર
(18) છઠ્ઠો વર્ગ : બોલુન્દ્રા - હિન્દુ સિંહજી ઠાકોર
(19) છઠ્ઠો વર્ગ : દેરોલ - વિજયમલ ઠાકોર
(20) છઠ્ઠો વર્ગ : ખેડવડા - બહેચરસિંહજી ઠાકોર
(21) છઠ્ઠો વર્ગ : કડોલી - કુબેરસિંહજી ઠાકોર
(22) છઠ્ઠો વર્ગ : વક્તાપુર - જેઠસિંહજી ઠાકોર
(23) છઠ્ઠો વર્ગ : પ્રેમપુર - હરિસિંહજી ઠાકોર
(24) છઠ્ઠો વર્ગ : તાજપુરી - કાલુસિંહજી ઠાકોર
(25) છઠ્ઠો વર્ગ : હાપા - હિંમતસિંહજી વખતસિંહ
(26) છઠ્ઠો વર્ગ : ડેઘરોટા - પ્રતાપસિંહજી ઠાકોર
(27) છઠ્ઠો વર્ગ : લિખી - લાલસિંહજી હિંમતસિંહજી
(28) સાતમો વર્ગ : દેરોલી - કોળી રાજા
(29) સાતમો વર્ગ : ગાબટ - રૂપસિંહજી મોતીસિંહજી
              દેશ આઝાદ થતાં તમામ રાજવીઓએ પોતાનું રાજ્ય માં સમાવિષ્ટ ગામોને સરકાર સાથે ભેળવી દીધા. કેટલાક રાજવીઓ પ્રજાવત્સલ રાજવીઓ હતા. આ રાજવીઓએ પોતાનાં રજવાડાં સંઘ સરકારમાં વિલીનીકરણ કરી પોતાનું રાજપાટ સ્વતંત્ર ભારતના ચરણે ધરી દીધું હતું. જેઓ પ્રજાનો પ્રેમ પામ્યા હતા. ઉપરોક્ત કેટલાક રાજવીઓના પરિવારો આજે પણ આયાત છે. 
સંદર્ભ : 1) આઝાદીની લડત અને સાબરકાંઠા,
           2) ગરવા ગુજરાતી

લેખન - :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

Wednesday, September 6, 2023

શિવમય શ્રાવણ -૨૧

 ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા.



  ભવનાથ ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. જો કે હવે આ ગામ જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયું છે. જુનાગઢ શહેરથી ભવનાથ ૭ કિ.મી. દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ હિંદુ અને જૈન ધર્મના અનુયાયીઓ માટેનું યાત્રાસ્થળ છે.જૂનાગઢજંકશનથી 5 કિ.મી.ના અંતરે, ભવનાથ મહાદેવ મંદિર, એક પ્રાચીન હિન્દુ મંદિર છે, જે જૂનાગઢ નજીક ભવનાથ ગામે આવેલું છે.

    ગિરનાર પર્વતની તળેટી પર સ્થિત છે, તે ગુજરાતના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે અને જૂનાગઢમાં જોવા માટેના ટોચનાં સ્થળોમાંનું એક છે. જૂનાગઢમાં ભવનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. અહીંના શિવલિંગ પોતાના દૈવી ઇરાદાથી ઉભરી હોવાનું કહેવાય છે.
    ભવનાથ મહાદેવ મંદિરનું અસ્તિત્વ પ્રાચીન યુગનું છે અને તેની કથા પુરાણિક યુગમાં મળી આવે છે. દંતકથા અનુસાર, એકવાર ભગવાન શિવ અને દેવી પાર્વતી ગિરનાર પર્વતો પાર કરી રહ્યા હતા અને ત્યારબાદ તેમનો દિવ્ય વસ્ત્રો હાલના મૃગી કુંડ ઉપર પડ્યા, આ સ્થાનને શિવ ઉપાસકો માટે શુભ સ્થળ બનાવ્યું. આજે પણ નાગા બાવાઓ મહાશિવરાત્રિના શોભાયાત્રામાં જોડાતા પહેલા પવિત્ર મૃગી કુંડમાં સ્નાન કરવા માટે જાણીતા છે.

     ગિરનારની તળેટીમાં આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી. પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા.ભવનાથ મંદિરએ શૈવ સંપ્રદાયનું ખૂબજ મહત્વનું પૌરાણિક મંદિર છે. સ્કંદપુરાણમાં ભવનાથ મહાદેવની કથા વર્ણવેલી છે. ભવનાથ મંદિરમાં આવેલા શિવલિંગનું અવલોકન કરતાં જણાય છે કે આ શિવલિંગ ખૂબજ પ્રાચીનછે. આ શિવલિંગમાં રૂદ્રાક્ષના પારા પર ઊપસેલા દાણા જેવા અનેક નાના નાના દાણાઓજોવા મળે છે. આ શિવલિંગ પર ઝીણવટપૂર્વક જોવામાંઆવે તો, ઊપસેલા દાણા પર ‘ૐ’ લખેલું છે તે જોઈ શકાય.
      નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા મા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયાને પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું.ઐતિહાસિક માહાત્મ્ય: ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે. દ્રોણાચાર્યના પૂત્ર અશ્વત્થામાએ મહાભારતના યુદ્ધમાં જીત મેળવવા આ જગ્યામાં શિવલિંગની સ્થાપના કરી તપશ્વર્યા કરી હતી.
      મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ, આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. છેલ્લે 2001માં આવેલા ભૂકંપ પછી મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાયો હતો જેમાં મંદિરના અમુક ભાગમાં તિરાડો પડી ગઈ હતી.મિત્રો ભવનાથ મહાદેવ મંદિર,ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે.મંદિરનાં મુખ્ય આકર્ષણો,ભવનાથનો મેળો, લીલી પરિક્રમા, શિવરાત્રીનો ઉત્સવ, મંદિરના પરિસરમાં આવેલો મૃગી કુંડ.આરતીનો સમય : સવારે 4.45 વાગ્યે.સવારે 11.00 ભોગ આરતી.સાંજે 7.15 સંધ્યા આરતી.રાત્રે 10.00 વાગ્યે શયન આરતી.ભવનાથ મહાદેવ મંદિર માર્ગદર્શન,
     ભક્તો માટે મંદિરના દ્વાર 24 કલાક ખુલ્લા રહે છે. કેવી રીતે પહોંચવું : જૂનાગઢ જાણીતું શહેર છે. જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ મંદિર 7 કિમી છે. . ભવનાથનો મેળો, લીલી પરિક્રમા, શિવરાત્રીનો ઉત્સવ, મંદિરના પરિસરમાં આવેલો મૃગી કુંડ અહીંના મુખ્ય આકર્ષણો છે.
    ભવનાથનાં મહાશિવરાત્રિ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.મહા વદ નોમથી શરૂ થતો આ મેળો મહા વદ તેરસ એટલે કે શિવરાત્રિ સુધી ચાલે છે.મેળાની શરૂઆત નોમના દિવસે ભવનાથ મંદિર પર ધ્વજા ચડાવીને થાય છે.શિવરાત્રિએ રાત્રે 12 વાગ્યે નાગા સાધુઓનું સરઘસ નીકળે છે.આ સરઘસમાં પહેલી પાલખી ભગવાન ગુરૂ દતાત્રેયની હોય છે.ત્યારબાદ અન્ય અખાડાઓની પાલખીઓ સાથે જુદા જુદા સ્થળોએથી આવેલા સાધુઓ જોડાય છે.નાગા સાધુઓ તલવાર,લાકડી, ભાલાઓ સાથે વિવિધ કરતબો કરતાં દ્રશ્યમાન થાય છે.છેલ્લે સરઘસ ભવનાથ મંદિરના પટાંગણમાં દાખલ થઈને મૃગીકુંડ સુધી આવે છે.
     નિયત કરેલા સમય મુજબ સાધુ-સંતો મૃગીકુંડમાં સ્નાન કરે છે.ત્યારબાદ સૌ ભવનાથ મહાદેવની મહાઆરતી તેમજ પુજાઅર્ચના કરે છે.નાથસંપ્રદાયના સાધુઓ હાથમાં મશાલ લઈને નીકળે છે ત્યારે અદભૂત દ્રશ્ય સર્જાય છે.આખા વર્ષ દરમિયાન ધાર્મિક વિચારધારાવાળા ભક્તોની મુલાકાત લેવાય છે, મહા શિવરાત્રિ અને ‘ગિરનાર લીલી પરિક્રમા’ દરમિયાન – બે ધાર્મિક પ્રસંગોએ આ મંદિર મહત્તમ પગથિયાં જુએ છે. ફેબ્રુઆરીના અંત સુધી અથવા માર્ચની શરૂઆત તરફ ‘મહા શિવરાત્રી’ નિમિત્તે ભવનાથ મેળાનું 5 દિવસનું આયોજન કરવામાં આવે છે.મેળાની શરૂઆત શિવરાત્રીની મધ્યરાત્રિએ કરવામાં આવેલા મહાપૂજામાં ભાગ લેવા ધ્વજારોહણ અને શંખના શેલ વડે મંદિર તરફ આગળ વધતા હાથીઓ પર બેઠેલા નાગા બાવાની શોભાયાત્રા સાથે પ્રારંભ થાય છે. નાગા ઋષિઓ ભવનાથ મહાદેવ મંદિર તરફ આગળ વધતા પહેલા શ્રીગી કુંડમાં ધાર્મિક સ્નાન કરે છે. તે નિશ્ચિતપણે માનવામાં આવે છે કે ભગવાન શિવ પોતે આ પ્રસંગે મંદિરની મુલાકાત લે છે.
   ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં કારતક માસની પૂર્ણિમાના દિવસે પૂરા થતાં પાંચ દિવસના સમયગાળામાં ‘પરિક્રમા’ આ મંદિર પર ધજા ફરકાવ્યા બાદ યોજવામાં આવે છે. ગિરનાર પર્વતની આજુબાજુ લગભગ 37 કિ.મી.નું અંતર કાપીને પરિક્રમા અથવા પરિપત્ર મુસાફરી પાંચ દિવસ ચાલે છે. તેને ખૂબ મહત્વ મળ્યું છે અને તેની સરખામણી વ્રજના ગોવર્ધન પર્વતની લીલી પરિક્રમા સાથે થાય છે. તે ધર્મનિષ્ઠ માનવામાં આવે છે.
કારણ કે ભગવાન દત્તાત્રેય આ પાંચ દિવસ માટે ગિરનાર પર્વત પર રહ્યા હોવાનું મનાય છે 

Tuesday, September 5, 2023

શિવમય શ્રાવણ - ૨૦

 સાત મહર્ષિઓની તપોભૂમિ એટલે સપ્તેશ્વર મહાદેવ. 

સાબરકાંઠાના ઇડર નજીક ડેભોલ અને સાબરમતી નદીના સંગમસ્થળે આ મંદિર આવેલું છે. જ્યાં દર્શને દરરોજ હજારો યાત્રાળુઓ આવે છે. પવિત્ર પાણીની ગંગાધાર કુદરતી રીતે જ સ્થળનું પ્રક્ષાલન કરી રહી છે. સપ્તેશ્વર મહાદેવના નામ પરથી ખ્યાલ આવી જાય છે કે આ શિવજીનું સ્થળ છે. 

ગુજરાત સરકારના સેટલમેન્ટ કમિશનર કૃષ્ણચંદ્ર સગરે આ સ્થળની મુલાકાત લીધેલી. તેમણે અભ્યાસ કરી જણાવેલું કે આ સ્થળ ત્રેતાયુગ સાથે અને ભારતીય ખગોળવિધા સાથે સંકળાયેલું છે. સાત ઋષિઓ એટલે ધર્મગ્રંથો મુજબ કશ્યપ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, અત્રિ, જમદગ્નિ અને ગૌતમ, આ સાતેય ઋષિ એકસાથે હાજર રહ્યા હોય તો એ બાબત અત્યંત મહત્વની લેખાય.
મહાદેવમાં સાતેય શિવલિંગ જુદાં જુદાં એવી રીતે ગોઠવાયેલાં છે કે જાણે આકાશમાં સપ્તર્ષિઓ જ જોઇ લો. એ પણ શકય છે કે જે યુગમાં આ ઋષિઓ અહીં પૂજા કરતા હતા તે યુગમાં સપ્તર્ષિ તારાની સ્થિતિમાં જ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય.

 આજથી લગભગ ૩૪૦૦ વર્ષ પૂર્વે આ સપ્તર્ષિઓએ ભેગા મળી તપશ્ચર્યા કરી હોવાની માન્યતા છે. બે નદીઓનાં સંગમ અને સાત મહર્ષિઓના તપની સાક્ષી પૂરતું છે આ મંદિર. શ્રાવણ માસમાં અને અમાસના દિવસે અહીં મેળા જેવું વાતાવરણ સર્જાય છે.


શ્રાવણ માસમાં મેળા જેવો માહોલ બને છે. ભકતો માટે ટ્રસ્ટ દ્વારા ભોજનની સુવિધા કરાઈ છે. 
જો ધારણા સાચી હોય તો સપ્તેશ્વર મહાદેવના જુદા જુદા શિવલીંગોના સ્થળ તથા અભ્યાસથી એનો ચોક્કસ સમય કાઢવામાં કોઇ મુશ્કેલી રહેશે નહીં તેવું સેટલમેન્ટ કમિશ્નરનું માનવું છે.

સપ્તેશ્વર મહાદેવ ત્રેતાયુગનું ઐતિહાસિક તેમ જ ભારતીય ખગોળ વિદ્યા સાથે સંકળાયેલું એક ધાર્મિક સ્થળ છે કે જે ગુજરાત રાજ્યના ઈશાન ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૩ (તેર) તાલુકાઓ પૈકીના એક એવા ઇડર તાલુકાનાં અરસોડીયા ગામની નજીક એકાદ બે કિ.મી. જેટલા અંતરે આવેલું છે. અમદાવાદથી આશરે ૧૦૦ કિ.મી. જેટલું દૂર આ મંદિર સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ ઉપર આવેલું છે. આ સ્થળનું કુદરતી સૌંદર્ય પણ માણવાલાયક છે. આ સપ્તેશ્વર મહાદેવનું મંદિર ઇડરથી ૩ર. કિ.મી. જેટલા અંતરે અને હિંમતનગરથી ૩૦ કિ.મી. જેટલા અંતરે તેમ જ સામે કિનારે આવેલા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામથી ર. કિ.મી. અંતરે આવેલું છે. 
મંદિરમાં શિવલીંગની ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારી થતી રહે છે, અને આ પાણી વહીને બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન માટે જવું હોયતો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.

આ સ્થળનાં ધાર્મિક મહત્વની સાથે સાથે પર્યટક મહત્વ પણ ઘણાં છે. વર્ષ દરમ્યાન અમદાવાદ અને આસપાસનાં વિસ્તારની અનેક શાળાઓ વિદ્યાર્થીઓને અહીં પ્રવાસે લઇને આવે છે. આ ઉપરાંત અનેક સમુદાયો પણ અહીં દેવ દર્શન અને સાથે સાથે પ્રવાસની મજા માણવા આવે છે.
સપ્તેશ્વરને સ્થાનિક બોલીમાં "હાતેરા" (સાતેરા) કહે છે અને આકાશમાં આવેલા સપ્તર્ષિના તારાઓને પણ અહિંની બોલીમાં હાતેરા (સાતેરા) કહે છે. લોકબોલીમાં વૃદ્ધ માણસો આજે પણ હાતેરા જ બોલે છે.

Monday, September 4, 2023

શિવમય શ્રાવણ - ૧૯

સોમનાથ નહીં આ છે ઘેલા સોમનાથ, જાણો ઘેલા વાણિયાની શૂરવીરતાની કથા

 


ગુજરાતમાં શિવ ઉપાસક લોકો માટે અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. સોમનાથ એટલે કે પ્રભાસ પાટણ તો ભોળાનાથના ભક્તો માટે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ સોમનાથ દાદાની મુલાકાત લેતા હોય છે પરંતુ આજે આપણે વાત સોમનાથની નહીં પરંતુ ઘેલા સોમનાથની કરીશું. તો આવો જાણીએ આ પવિત્ર સ્થળ વિશે.

ઘેલા સોમનાથ રાજકોટ જિલ્લામાં આવેલું છે. અમદાવાદથી 184 કિલોમીટર અને રાજકોટથી 77 કિલોમીટરનો રસ્તો છે અને જો તમે સુરત વડોદરા કે અમદાવાદ તરફથી આવો છો તો તમારે રાજકોટ નથી જવાનું, બગોદરાથી ધંધુકા અને પાળીયાદ થઇને વિંછીયાથી ઘેલા સોમનાથ જઇ શકો છો. ટ્રેનમાં જવું હોય તો નજીકનું સ્ટેશન રાજકોટ છે.

આ મંદિરનો ઇતિહાસ 15મી સદી 1457ની આસપાસનો છે. વેરાવળ પ્રભાસપાટણ પાસે આવેલા સોમનાથ મંદિરને લુંટવા તથા મંદિરનો નાશ કરવા માટે એ સમયે મહમદ ગઝનીએ બે-ત્રણ વાર હુમલો કર્યો હતો.પરંતુ તેને તેમાં નિષ્ફળતા મળી હતી. એ સમયે જુનાગઢ ઉપર કુંવર મહિપાલની કુંવરી મીનળદેવી કે જેઓ ભોળાનાથના ભક્ત હતા અને મુસ્લિમ રાજાઓથી બચવા તેમણે શિવલિંગની સ્થાપનાં ભુગર્ભમાં કરી હતી અને ત્યાં જ પૂજા કરતા હતાં. આમ મીનળદેવીને મહાદેવમાં અપાર શ્ર્ધ્ધા હતી.
1. 
ઇ.સ.1457ની વાત છે જ્યારે સોમનાથ મંદિર પર આક્રમણ થયું ત્યારે મહાદેવજીએ સપનામાં આવીને મીનળદેવીને કહ્યું કે મને પાલખીમાં લઇ જાવ. પરંતુ 1457ની આસપાસ ગુજરાત ઉપર મહંમદ જાફરની આણ વર્તાતી હતી. તેણે ભુગભર્ગમાં જ્યોતિર્લિંગ છે તેની જાણ થતાં જ આક્રમણ કર્યુ, પરંતુ તેની કુંવરી હુરલ મીનળદેવી સાથે મળી ગઇ અને તેણે મીનળદેવીને તેનાં પિતાશ્રીનાં મનસુબાની જાણ કરી દીધી હતી. એજ સમયે મીનળદેવી સ્વપ્નમાં આવ્યું અને તે શિવની પાલખી અને ઘેલો વાણિયો પાલખી લઇને ત્યાંથી ભાગી નીકળ્યા. આમ સોમનાથ દાદાની પાલખી દુર નીકળી ગયા પછી જ્યારે સુલતાનને માલુમ પડ્યું કે શિવલિંગ તો સોમનાથમાં રહ્યું જ નથી. તેથી તેણે તેનું સૈન્ય સોમનાથ દાદાની પાલખી પાછળ દોડાવ્યું જયાં જયાં ગામ આવે ત્યાં તે ગામનાં ક્ષત્રિયો અને બ્રાહ્મણો શિવલિંગ બચાવવા સૈન્ય સાથે યુધ્ધે ચડયા. આમ શિવજીની પાલખી સોમનાથથી આશરે અઢીસો કિલોમીટર દૂર જસદણ તાલુકાનાં કાળાસર અને મોઢુકા ગામની વચ્ચે આવેલ નદી કિનારા સુધી પહોંચ્યું અહીં શિવલિંગની સ્થાપનાં થઇ. સાથો સાથ આ મંદિરની સામે જ ડુંગર ઉપર મીનળદેવીએ સમાધિ લીધી.

આ યુધ્ધ દરમ્યાન ઘેલા વાણીયાનું મસ્તક કપાઇ જવા છતાં તે મુગલ સૈનિકો સામે સાત દિવસ સુધી લડ્યો. સોમનાથ દાદાના શિવલિંગનાં રક્ષણ કાજે આવેલ અનેક લોકો માર્યા ગયા હતા. છેલ્લે જ્યારે યુધ્ધમાં મહમદ જાફરના સૈનિકો બધાં જ શિવભક્તોને મોતને ઘાટ ઉતાર્યા ત્યારે મહમદ જાફરે શિવલિંગ પર તલવારનાં ઘા મારીને શિવલિંગને ખંડીત કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ જેવો તેણે શિવલિંગ પર તલવારનો ઘા માર્યો કે શિવલિંગમાંથી ભમરા નીકળ્યા. તેણે મહમંદ જાફર અને તેના સૈન્યને ખતમ કરી નાંખ્યું. સોમનાથ દાદાનાં શિવલિંગને બચાવવા ઘેલા વાણિયાનું મસતક ધડથી અલગ હોવા છતા જાફરનાં સૈન્ય સામે લડયા હતા. તેથી મંદિરનું નામ ઘેલા સોમનાથ રાખવામાં આવ્યું. તેમજ નદીનું નામ પણ ઘેલો નદી રાખવામાં આવ્યું. આ યુધ્ધમાં હજારો બ્રાહ્મણો મરાયા હતા. આમ આ જગ્યા અતિ પૌરાણિક છે.

જ્યારે લોકશાહી ન હતી એ સમયે ઘેલાસોમનાથ મંદિરનો વહીવટ જસદણ દરબાર સાહેબ તરફથી કરવામાં આવતો હતો. પરંતુ રાજાશાહી બાદ લોકશાહીમાં આ મંદિરો વહીવટકર્તા તરીકે રાજકોટ કલેટકરની જવાબદારી છે. મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન બ્રહ્મચોરાસી ભક્તો દ્વારા 200 કરતા વધારે બ્રાહ્મણો અને સાધુ સંતોને જમાડવામાં આવે છે અને દાન પુણ્ય પણ આપવામાં આવે છે. તો સરકાર અને ભક્તો તરફથી બારે મહિના અન્નક્ષેત્ર પણ ચાલે છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો હોય છે.

ઘેલાસોમનાથ મહાદેવનાં મંદિર સામે ડુંગર પર મિનળદેવી બિરાજમાન છે. અહીંની એક લોક વાયકા મુજબ ઘેલાસોમનાથ દાદાની આરતી ચાલતી હોય છે ત્યારે પૂજારીએ મીનળદેવીની પણ આરતી ઉતારવી પડે છે. જો મીનળદેવનાં મંદિર તરફ જો આરતીનું ધુપેલ્યુ ન કરવામાં આવે તો એ દિવસની આરતીનું ફળ નથી મળતું. સાથે જ જો તમે ઘેલાસોમનાથ મહાદેવનાં દર્શન કરો અને મીનળદેવીના દર્શન ના કરો તો તમારી યાત્રા અધુરી ગણાય છે.

ઘેલાસોમનાથ મહાદેવ ના દર્શન કરવા માટે જો તમારે મંદિર ના ગર્ભગૃહ માં જવું હોય તો ફરજીયાત તમારે ધોતી પહેરવી પડે અને સાથે જ જળા અભિષેક કરવો હોય તો મંદિરનાં ટ્રસ્ટ દ્વારા શુદ્ધ પાણી પણ રાખવામાં આવે છે.

Sunday, September 3, 2023

શિવમય શ્રાવણ - ૧૮

 પોળોના રમણીય જંગલ વચ્ચે પ્રકૃતિની ગોદમાં  બિરાજમાન વિરેશ્વર મહાદેવજી. જ્યાં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગંગાનો પ્રવાહ અવિરત  વહે છે.

    ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર અને ઇડર પાસેનું પોળો ફોરેસ્ટ ફરવામાં માટે પ્રવાસિઓની પહેલી પસંદ છે. પોળો ફોરેસ્ટ સાબરકાંઠા જિલ્લાના નાના ગામ અભાપુર નજીક આવેલું છે. પોળો ફોરેસ્ટ લગભગ 400 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે, જે આજે પણ લગભગ અસ્પૃશ્ય છે,ટેકરીઓ,સરોવરો,નદી અને લીલાછમ વિસ્તારથી ઘેરાયેલું છે જે મુલાકાતીઓના આત્માને સીધો સ્પર્શ કરે છે.

      સાબરકાંઠા જિલ્લાનાં વિજયનગર તાલુકામાં આવેલા પોળો ફોરેસ્ટમાં પ્રવેશતા જ આવતું શારણેશ્વર મહાદેવનું મંદિર પોતાની કલાકૃતિની બનાવટ અને ઇતિહાસ માટે આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે શારણેશ્વર મહાદેવના મંદિરે આવે છે. એવું કહેવાય છે કે 10 મી સદીમાં હરણાવ નદી પાસે ઇડરના પરિહાર રાજાઓ દ્વારા નાના શહેરની સ્થાપના કરવામાં આવી હતી.

       15મી સદીમાં મારવાડના રાઠોડ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું.આ નામ પોળ શબ્દ પરથી ઉતરી આવ્યું છે જેનો અર્થ મારવાડી ભાષામાં ગેટ થાય છે. કારણ કે તે ગુજરાત અને રાજસ્થાન વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. પોળો ફોરેસ્ટ એ પુરાતત્વ અને વન વિભાગ માટે રસપ્રદ સ્થળ છે જ્યાં પ્રાચીન ખંડેર મંદિરો પણ આવેલા છે.

      વિરેશ્વર મહાદેવના નામ થી દેશભર માં પ્રખ્યાત છે. 800 વર્ષ પુરાણું આ સ્વયંભૂ શિવલિંગ ધરાવતું મંદિર છે. અહીં સાક્ષાત શિવજી બિરાજમાન છે. ચોમાસામાં આ મંદિર સોળે કળાએ ખીલી ઉઠે છે. છોટા કાશ્મીર જેવું આલ્હાદક વાતાવરણનો નજારો અહીં જોવા મળે છે. અહીંયા શ્રાવણ માસમાં આદિવાસી લોકોનો મેળો પણ ભરાય છે.

       આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં ઉબરાના ઝાડમાંથી અવિરત ગુપ્ત ગંગાનો પ્રવાહ વહે છે. જે આજ દિન સુધી સુકાયો નથી. જેને ગુપ્ત ગંગા નામ આપવામાં આવ્યું છે. ઉનાળાના ધોમ ધખાતા તાપમાં પણ આ પ્રવાહ અવિરત વહ્યા કરે છે. આ પાણીને ભક્તો પ્રેમથી પીવે છે અને ધંન્યતા અનુભવે છે. આ અરવલ્લી ગિરિમાળાઓમાં વનસામ્રાજ્ય જ્યાં વટવૃક્ષોના જંગલોમાં બિરાજેલા શિવ શંભુ વિરેશ્વર મહાદેવ જ્યાં ગિરિમાળામાંથી ગંગા અવતરતી હોય તેમ જટાઓ માંથી પાણીનો પ્રવાહ ઉબરાના ઝાડના મૂળમાંથી અવતરી શીવજીના ચરણ સ્પર્શ કરી ત્યાંથી આગળ જતા અલોપ થઈ જાય છે.

       વિજયનગર તાલુકાના અભાપુર ગામે 12 થી 15 મી સદીમાં નિર્મિત શિવ મંદિરના પ્રાગટયમાં પોળોના મહારાણીની શિવ ભકિત કેન્દ્ર સ્થાને રહી હોવાની લોકવાયકા છે. જે સ્થાન રાજસ્થાન-ગુજરાતના શિવ ભકતોનું શ્રધ્ધા કેન્દ્ર બન્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં અનેક પ્રાચીન શિવ મંદિરો લોકશ્રધ્ધાનું કેન્દ્ર બન્યુ છે. જેમાં સપ્તેશ્વર, મુધણેશ્વર, મહંકાલેશ્વર (ઇડર), રામેશ્વર (ગંભીરપુરા), ઝરણેશ્વર મહાદેવ (હિંમતનગર), વિરેશ્વર અને અભાપુર પોળો સ્થિત શિવ મંદિર શારણેશ્વર ગુજરાત-રાજસ્થાનના શિવ ભકતોમાં અનેરૂ સ્થાન ધરાવે છે. જેમાં પોળોના અભાપુર સ્થિત શારણેશ્વર શિવાલયના પ્રાગટયમાં પોળોના મહારાણીની અસીમ શિવ ભકિત કેન્દ્ર સ્થાને રહી છે.
     આ અંગે લોકવાયકા અનુસાર પોળોના તત્કાલિન મહારાવે સિરોહીના રાજકુંવરી સાથે લગ્ન કર્યા હતા. જે કુંવરી સિરોહી નજીકના શારણેશ્વર મહાદેવના પરમ ભકત હતા અને તેઓએ શિવ પૂજા, દર્શન વિના અન્ન-જળ ન લેવાનું પ્રણ લીધુ હતું. જે કુંવરી લગ્ન કરી પોળો આવતા શિવ પૂજા વિના અન્ન-જળ ત્યજી દીધા હોવાનું તેમના પતિ અને પોળોના મહારાવને જાણ થતાં તેમણે મહારાણીની શિવ ભકિત અંગે ટોણો માર્યો હતો અને લગ્ન બાદ તેઓ તેમના સ્વામી ભગવાન જે ગણો તે હોવાનું જણાવી તેમની ભકિત કરવા જણાવતા મહારાણીને ખોટુ લાગ્યુ હતું. વધુમાં મહારાવે તેમની શિવ ભકિતના પારખા લેવા જો તારી શિવજીની ભકિત સાચી હોય તો મને તેનો પરચો આપે તેવો ટોણો મારતા રાત્રે શિવજીએ પોળો નજીકના સ્થાનકે જઇ ખાડો ખોદવા સ્વપ્નમાં દિવ્ય વાણીથી જણાવતા મહારાવે સ્વપ્ન વાણીના આધારે વર્તમાન શારણેશ્વર મંદિરના સ્થાનકે ખાડો ખોદાવતા સ્વયંભૂ શિવજી પ્રગટ થયા હતા.

    જેથી મહારાવે પોતાની ભૂલ સ્વીકારી ભગવાન શિવજીનું શિવ પંચાયતન મંદિર બનાવી પોતાના ધર્મ પત્નિ અને મહારાણીને અર્પણ કર્યુ હતું. આમ પોળોના મહારાણીની શિવ ભકિતના પરચારૂપે પોળો શારણેશ્વર તિર્થધામનું પ્રાગટ્ય થયુ હતું. જયાં હાલ રાજસ્થાન-ગુજરાતના અનેક શ્રધ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં અને શિવરાત્રિએ મોટી સંખ્યામાં દર્શન, પૂજા કરી ધન્યતા અનુભવે છે. સાથે જ રાજય અને વિશ્વભરના પ્રવાસીઓમાં આ શિવ મંદિરની સ્થાપત્ય શૈલી આકર્ષણનું કેન્દ્ર રહી છે. જેમાં ભારતીય મોંગોલિયન સ્થાપત્ય શૈલીનું અજોડ મિશ્રણ છે.

ગુપ્ત ગંગાનો પ્રવાહ શિવજીના લિંગ ઉપર થઈ જમીનમાં સમાઈ જાય છે. આ પાણીનો પ્રવાહ ક્યાથી આવે છે..? તે જાણી શકાયું નથી. આ મંદિરમાં 1984થી અન્ન ક્ષેત્ર ચલાવવામાં આવે છે. અહીં આવનાર તમામ ભક્તોને મહાપ્રસાદ જમાડવામાં આવે છે. ચૂરમો ભક્તોને પીરસવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણ માસમાં વનભોજન અતિ મહત્વનું હોય છે તેથી અહીંયા વનમાં ભોજન સાથે લોકો કીર્તન કરે છે.



સન્ડે સ્પેશિયલ

 શેઠજી ! એ રખલો ઔર ગીન લો. સેવામે કામ આયેગા.”  હાથમાં કવર મૂકી  એ એ અજાણી વ્યક્તિ ક્યાં અદૃશ્ય થઇ ગઈ એ કોઈ જાણી શક્યું નહિ.



         ચારેક વર્ષ પહેલાંની વાત છે. રાજસ્થાન શિરોહી પાસે પોસલીયાના મુખ્ય માર્ગ પર છેલ્લા બે અઢી દાયકાથી રામદેવરા જતા પદ યાત્રિકો માટે વિસામો ચાલે છે. ત્યાના સંચાલક પડ્યાત્રીયોની સેવામાં મગ્ન હતા. ધારણા કરતા યાત્ર્રીઓનો ધસારો અનેકઘણો વધી રહ્યો હતો. એટલે થોડી ચિંતા પણ સતાવતી હતી.  ત્યાં એક અજાણી વ્યક્તિ સંચાલક પાસે આવી એક કવર હાથમાં મુક્યું. અને કહ્યું શેઠજી ! એ રખલો ઔર ગીન લો. સેવામે કામ આયેગા. સંચાલકે કવર ખોલ્યું તો અંદરથી રૂપિયાની થોકડી નીકળી. 

     વિસામાના સંચાલક તો અજાણી વ્યક્તી સામે જોઈ જ રહ્યા. એ વ્યક્તિને ચા-પાણી માટે બેસાડી અને સંચાલક કવરમાંથી નીકળેલા રૂપિયા ઘણી રહ્યા હતા. રૂપિયા પૂરા પચાસ હજાર હતા. સંચાલકનું હ્રદય ભરાઈ આવ્યું.  અને ચા પાણી આવે એ પહેલાં તો આ અજનબી ત્યાંથી અદશ્ય..! પળવારમાં વ્યક્તિ ક્યા જતી રહી ?  અંતે માણસોએ આસપાસ તપાસ કરી. ચારે તરફ પણ ક્યાંય દેખાયા નહિ...આ ઘટના થોડીક જ ક્ષણોમાં ઘટી ગઈ.   સંચાલકના અંતરમનમાં એ ઘટના અંકિત થઈ ગઈ. આમ અજાણી વ્યક્તિ રૂપે બીજું કોઈ નહિ કળિયુગના હાજરાહજૂર બાબા રામદેવજીના આશીર્વાદ મળ્યાનો અહેસાસ થયો. 

     આ વિસામાના સંચાલક એ બીજું કોઈ નહિ પણ અરવલ્લીનું ખુબ જાણીતા પત્રકાર, સહકારી આગેવાન અને સેવાવ્રતી પ્રભુદાસ પટેલ હતા.

અરવલ્લીના ઇસરોલમાં રહેતા રામદેવજીના પરમ ઉપાસક પૂ. હિરાદાદા અને તેમનો પરિવાર છેલ્લા બે દાયકા કરતાં  પણ અધિક સમયથી રામદેવરા જતા પદયાત્રિકો માટે રાજસ્થાનમાં જઈ વિસામો ચલાવે છે. જેમાં હજારો પદયાત્રિકો ભોજન પ્રસાદનો લાભ લઇ રહ્યા છે. અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ પ્રભુદાસ પટેલ પૂરો એક મહિનો રાજસ્થાન વિસામામાં રોકાઈને પદયાત્રીઓની ભક્તિભાવથી સેવા કરે છે.

આ વિસામા અંગે માહિતી આપતા પ્રભુદાસ પટેલ અત્યંત વિનમ્રતા પૂર્વક જણાવે છે કે પૂજ્ય હીરાદાદાના આશીર્વાદ અને બાબા રામદેવજીની અસીમ કૃપાને લીધે છેલ્લા 40 વર્ષથી  મોટાભાઈ રામદેવ ઉપાસક પૂ. હીરાદાદા બાવજી સાથે દર મહિને રણુંજા બાબના દર્શને જવાનો અવસર પ્રાપ્ત થયો. આજથી 20 વર્ષ અગાઉ રણુંજા જતા આવતા યાત્રિકો માટે નિઃશુલ્ક સેવા કેમ્પો ચાલતા હતા. એમાંથી પૂ.હીરાદાદાની પ્રેરણાથી રાજસ્થાનના પાલી પાસે ગુંદોજ ખાતે હાઇવે ઉપર
પંચ મુખી મહાદેવ મંદિરે ત્યાંના મહંત ૧૦૦૮ રામજ્ઞાદાસજીએ સ્થળ ઉપર સેવા કાર્યની અનુમતિ આપતા ત્યાં ૧૫  વર્ષ સુધી નિઃશુલ્ક ભોજન અને નિવાસ સહિતની સેવાઓ યાત્રાળુઓને મળે એવા પ્રયાસો રહ્યા. જેમાં શરૂઆતમાં દસ -બાર દિવસ, પછી  પંદર-વિસ દિવસ ભંડારો ચાલાવ્યો.

ભાદરવાના રણુંજાના મહામેળામાં  રામદેવરા જતા ગુજરાત, રાજસ્થાન સહિતના યાત્રાળુઓને જેમ જેમ ગુંદોજ ચાલતા વિસામાની જાણ થતી ગઈ એમ સંખ્યા વધતી ગઈ અને વિસામાના દિવસો પણ વધાર્યા. ત્યાં અંદાજે દર વર્ષે શરૂઆતમાં દસ હજાર યાત્રિકોની સેવાથી શરૂ થયેલ આ નિઃશુલ્ક ભંડારામાં દિન પ્રતિદિન સંખ્યા વૃદ્ધિ થતા ચૌદમાં પંદરમાં વર્ષે વધીને સંખ્યા ૨૫  થી ૩૦  હજાર ઉપર પહોંચી.. એ દરમિયાન ચાર માર્ગીય હાઇવે નિર્માણ થતા મંદિર જગ્યા સામે રહી.  યાત્રાળુઓને રોડ ક્રોસ કરી આવવાનું અગવડભર્યું લાગતા પાલી અને સિરોહી વચ્ચે રોડ ટચ જગા શોધતાં સિરોહીથી વિસ કિલોમીટર પાલી રોડ ઉપર શંખેશ્વર સુખધામ જૈન તિર્થની બરાબર સામે જ આવેલ ખુલ્લી વિશાળ જગ્યા વીસમા માટે સાનુકુળ લાગી. અને એ સ્થાને  ગુજરાતી વિસામો શ્રી રામદેવ સેવા ટ્રસ્ટ દ્વારા પૂ. હીરાદાદાના આશીર્વાદ સાથે ચાલુ કર્યો. પહેલા વર્ષથી જ યાત્રાળુઓ વધવા લાગ્યા.

અંદાજે 15000થી વધુ વસતી ધરાવતા રાજપૂત, માલી સમાજ અને મીણા
સમાજ સહિત અઢારેય વરણની  વસતીવાળા આ ગામના આગેવાનો અને યુવાનોનોએ ઉમળકાભેર સાથ આપ્યો અને પુરા એક માસ દરમિયાન કેમ્પમાં યાંત્રિક સેવામાં ભોજન પ્રસાદી પીરસવા સહિતની સેવાઓ ઉપાડી લીધી.. ગામના આગેવાનો દિવસમાં બે વાર ગામથી દૂર હાઇવે ઉપરના આ કેમ્પમાં આવે બેસે. ખાસ બંને સમયની આરતીનો પણ લ્હાવો લે. અને આત્મીય ભાવ કેળવાયો અને પોસાલીયા સેવા સમિતિ પણ જોડાઈ અને અહીં સેવામાં કોઇ કસર ન રહેતા આ પુણ્ય કાર્ય પૂરો એક માસ ચલાવવા આત્મવિશ્વાસ વધ્યો.

 ચેરિટી બીગીન્સ ફ્રોમ હોમના ન્યાયે શરૂઆત મારા અને પરિવારથી કરી.  કેમ્પમાં જેટલો આટો વપરાય એ મારા મોટી ઇસરોલ ગામ ઉપરાંત આસપાસના વરથું, જીતપુર, રાજપુર અને ઉમેદપુર (જી)ગામોમાંથી પણ મળતો થયો..છેલ્લાં 4 વર્ષથી મોટી ઇસરોલ મહિલા મંડળની બહેનો ઘઉં અનાજ અને આટો ટેમ્પોમાં ભરી આવે છે, ગામથી પણ સ્વૈચ્છિક જે કઇ સહયોગ મળે એ ઉપરાંત આજે ચારેક વર્ષથી તો
વધુને  વધુ સહયોગીઓ જોડાતા ગયા. મોડાસા તાલુકો જ નહીં પણ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાંથી પણ સહયોગ પ્રાપ્ત થવા લાગ્યો.  અમદાવાદ સહિતના જુદા જુદા સ્થળેથી પૂ .હીરાદાદાના રામદેવ ભક્તો દ્વારા અવિરત સેવા સાથ મળવાની એક નવી શરૂઆત થઇ છે.

પ્રારંભે પૂ. હીરાદાદાનાના અને આસપાસના મંદિર, મઠના સાધુ સંતોના આશીર્વાદ સાથે ભંડારોનો પ્રારંભ થાય છે. જતા અને આવતા, પદયાત્રીઓથી લઈ કોઈપણ વાહનમાં પણ આવતા જતા યાત્રિકોને આ સેવાનો લાભ લે  છે. હાલ તો 70 થી 80 હજાર યાત્રિકો એક મહિના દરમિયાન કેમ્પમાં લ્હાવો લે છે.
હવે તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સુરત તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય પ્રદેશોમાંથી પણ રામદેવરા જતા યાત્રિકો આ ગુજરાતી વિસામોમાં ભોજન પ્રસાદ લઈ સેવાનો લાભ આપી રહ્યા છે. સિરોહી અને પાલી બન્ને જિલ્લામાં ગુજરાતી વિસામાની સેવા, દરેક યાત્રીને પંગતમાં બેસાડી ભોજન પ્રસાદ આપવામાં આવે છે.ચોખા ઘીનો શિરો, પ્રસાદ, દાળ ભાત, શાક અને બાટી પીરસાય છે.
   છેલ્લા બે વર્ષથી આ યજ્ઞમાં મૂળ રાજસ્થાનના વતની અને હાલ સાબરકાંઠામાં હિંમતનગર ખાતે મહાકાલી કોર્પોરેશનના શેઠ બાબુલાલજી રાજપુરોહિતનો પણ સ્વૈચ્છિક સહયોગ મળી રહ્યો છે. આ વર્ષે મોટી સંખ્યામાં આવતા યાત્રિકોને નિવાસ માટે વધુ સારી વ્યવસ્થા ઉપલબ્ધ કરવાના આશયથી તેમજ ભોજન માટે બેઠક વ્યવસ્થા વધુ સુંદર બને એને ધ્યાને લઈ વિશાળ વોટર પ્રુફ ડોમ બનાવવામાં આવ્યો છે.

  મહિના દરમિયાન મારા અને પરિવારના સભ્યો સમયાંતરે સેવામાં આવે અને જાય છે. આ સેવા કાર્યમાં સ્વયં કોઈપણ આપે એનો સહયોગ રામદેવ સેવા ટ્રસ્ટમાં ધન્યવાદ સાથે સ્વીકાર્ય હોય છે.

 એક મહિના બાદ સમાપન થાય અને એમાં જે કોઈએ કેમ્પમ સેવા આપી હોય એવા સેવધારીઓનું સન્માન, બહુમાન કરવા સહિત સમાપન કાર્યકમ થાય ત્યારે વિદાય વેળાનો માહોલ હૃદયસ્પર્શી બની જાય..! કેમ્પના બે દિવસ અગાઉથી લઈ કેમ્પ પૂરો થાય એ બે દિવસ બાદ એટલે કે પુરા 34 દિવસ અહીં જ રોકાઉ છું. આ દિવસો દરમિયાન ઘરે જવાનું નહિ. ઘરેથી આવતા જ ભગવાનને પ્રાર્થના કરવાની કે કોઈ એવો પ્રસંગ ઉભો ન થાય કે અધવચ્ચે વિસામો છોડી મારે (પ્રભુદાસ) ઘરે આવવું પડે..અને આજ સુધી બાબા રામદેવજીની અસીમ કૃપા બની રહી છે.

આ વર્ષે ૨૧મા ભંડારાનું ઉદ્ઘાટન રામદેવ ઉપાસક પૂજ્ય હીરાદાદા, બાબારામદેવ આશ્રમ, ખંદરા રામનાથ મહારાજ, હનુમાન દેવમુની આશ્રમના હનુમાનદાસ અને પાલડીના સંત દિલીપ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું. ભંડારા સંચાલક પ્રભુદાસભાઈ પટેલ, મુનાબાપુ બાયડ, કિશોરસિંહ રાવ, પાલડી પોલીસ અધિકારી પ્રભુરામ, પૂર્વ નાયબ તહેસીલદાર દેવરામ સેન, હમીરસિંહ રાવ, લાડુરામ માળી,નારાયણ ભાઈ, રાજુભાઈ, ભગીરથ વિશ્નોઈ, સામાજિક કાર્યકર માનસિંહ રાવ, શૈતાનસિંહ, નરપતસિંહ, ભુજપુર. મીના, મોહનલાલ ગર્ગ, રામલાલ સહિત અનેક લોકો હાજર હતા. હીરાદાદા સહિત સર્વે સંતોનું સામૈયું કરવામાં આવ્યું હતું..

 રામદેવ સેવા સમિતિ મોટી ઇસરોલ, પોસલીયા ગ્રામજનો અને સહયોગીઓ પોતાને આ સેવા લાભ આપવા બદલ યાત્રિકો પ્રત્યે સૌ વતીથી સંચાલક પ્રભુદાસ પટેલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા ભાવવિભોર બની જાય છે.  અને કહે છે મને અને પરિવાર ને આ પુણ્ય કાર્ય માટે ભગવાને નિમિત્ત બનાવ્યો એ જ જીવનનો મોટો લ્હાવો છે.  શરુઆતમાં સ્થળ અજાણ્યું લાગ્યું પણ પોસાલીયા ગામના એ સમયના સરપંચ રાજેન્દ્ર માલી સહિત આગેવાનો લાડુરામ માલી,નિવૃત્ત પ્રિન્સિપાલ અને પત્રકાર હમીરસિંહ રાવ, નરપતસિંહ,રાજુભાઇ માલી, ઇન્દ્રસિંહ, ભાગીરથભાઈ અને આ સ્થળ સેવા માટે આપનાર શ્રી સર્વેશ્વર મિલ્ક ડેરી માલિક પવનજી અગ્રવાલ ,મોતીલાલદ્વારા નિઃશુલ્ક
આજ સુધી મિનરલ વોટર.. જલ નિઃશુલ્ક સેવા આપી રહેલા નિવૃત્ત મામલતદાર દેવારામજી પટવારી, વગેરે ભાવિક જનોનોનો અનન્ય સહયોગ મળતો રહે છે.

 રામદેવજી ભગવાનમાં અનન્ય આસ્થા ધરાવતા પ્રભુદાસ પટેલ ગદગદ સ્વરે જણાવે છે કે  હું તો કેવળ નિમિત્ત છું. બાબા રામદેવજીની અસીમ કૃપા અને પૂજ્ય હીરાદાદાના આશીર્વાદ થકી જ આ વિરાટ સેવાકાર્ય થઈ રહ્યું છે.  સેવાયજ્ઞમાં આટલા વર્ષોથી મને નિમિત્ત બનાવ્યો એ જ મારું મોટું સદભાગ્ય સમજુ છું. દર વર્ષે  વિસામામાં પુરી હાજરી આપવાનો પ્રયાસ કરું છું. વિસામો પૂરો કરીને અને હિસાબકીતાબ ચૂકવીને ઘરે પરત ફરું છું. વધુ સેવા કરવાની પ્રભુ શક્તિ આર્પે એ જ પ્રાર્થના કરું છું.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Saturday, September 2, 2023

શિવમય શ્રાવણ - ૧૭

મહિ નદીના કિનારે આવેલું 12મી સદીનું સોલંકી યુગનું શિવ મંદિર : ગળતેશ્વર મહાદેવ

 ગુજરાતના ઐતિહાસિક પર્યટન અને ધાર્મિક સ્‍થળોમાં ખેડા જિલ્‍લાના ઠાસરા તાલુકામાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિરનું ખૂબ મહત્‍વ છે. ઠાસરાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્‍થાને આ ધાર્મિક સ્‍થળ આવેલું છે. ગળતેશ્વર મહાદેવ ખાતે વર્ષે 25 લાખથી વધુ ભાવિક ભક્તો અને પર્યટકો આવતા હોય છે.

     અનેક વખત અધુરા રહેલા શિખરને પૂર્ણ કરવાના અથાક પ્રયત્‍નો થયા હોવા છતાં હાલ આ મંદિર શિખર વગરનું જોવા મળે છે. ગળતેશ્વર મહાદેવ સુપ્રસિધ્‍ધ ડાકોરના ઠાકોરજીના ધામથી 10 થી 12 કિ.મી.ના અંતરે આવેલું છે. 

     એક દંતકથા મુજબ સોમનાથ મંદિર લૂંટીને પાછા જતા સમયે મહમ્મદ ગજનીએ ગળતેશ્વર મહાદેવ મંદિર જોયું અને તેના ગુંબજનો નાશ કર્યો હતો. અન્ય એક દંતકથા મુજબ આ મંદિરનું નિર્માણ સ્વયં ભગવાન શિવ દ્વારા કરાયું છે.પરંતુ કોઈ તેમને ઓળખે નહીં એટલા માટે તેમણે રાતના સમયે મંદિરનું નિર્માણ કર્યું. મંદિર બનાવવામાં શિવ એટલા મગ્ન હતા કે તેમને સવાર પડી તેનું ભાન જ ન રહ્યું. સૂર્યોદય પહેલા કામ પૂર્ણ ન થતા તેઓ મંદિરને અધૂરું જ છોડીને જતા રહ્યા.

     પ્રાચીન લોકકથા અનુસાર, એવી માન્યતા છે કે, આ શિવલિંગ મહાન ઋષિ ગલવી મુનિ દ્વારા કરાયેલી તપસ્યા બાદ બહાર આવ્યુ હતું. તેમણે પવિત્ર ગંગા નદીને શિવલિંગ પરથી વહેલા આગ્રહ કર્યો હતો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ગંગા ગળતી નદીના સ્વરૂપમાં પૃથ્વી પર ઉતર્યા હતા. શિવલિંગને સ્નાન કરાવ્યુ હતું, અને તેના બાદ મહી નહીમાં મિક્સ થઈ ગઈ હતા. સ્થાનિક લોકોનું માનવુ છે કે, ગળતેશ્વર મહાદેવની નીચે આજે પણ ગંગા વહે છે. 

    મહિ નદીના કિનારે આવેલું 12મી સદીનું સોલંકી યુગનું આ શિવ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે.મંદિરનો ગર્ભગૃહ ચોરસ અને અષ્ટકોણીય મંડપ ધરાવે છે. આ મંદિર મહી નદી અને ગળતી નદીના સંગમ સ્થળ સરનાલ નજીક આવ્યું છે. ગળતી નદી પરથી મંદિરનું નામ પડ્યું છે. મંદિર અંદરની બાજુથી ચોરસ છે અને બહારની દિવાલ ગોળાકાર છે.દિવાલના ખૂણાઓમાં સાત ગોખલા છે જેમાં આઠ દિશાના રક્ષક દેવો પૈકીની સાત મૂર્તિઓ છે. ગર્ભગૃહની આગળની દિવાલ પર ભગવાન શિવના વિવિધ રૂપો દર્શાવેલ છે. ગર્ભગૃહના દ્વાર પર આબુ શૈલીના રૂપસ્થંભની કોતરણી છે. જેના પર ગાંધર્વો, ઘોડેસવાર, રથ, હાથી, જન્મ મરણના આંકડા વગેરે દર્શાવાયા છે.
       ગળતેશ્વર મહાદેવ ખાતે દર વર્ષે બે ખાસ મેળાનું આયોજન થાય છે. જન્માષ્ટમી અને શરદ પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે. આ ઉપરાંત મહાશિવરાત્રિએ પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે આવતા હોય છે.

Friday, September 1, 2023

શિવમય શ્રાવણ -૧૬

 અમરનાથની આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, 


        અમરનાથ હિન્દુઓનું એક મહત્વનું તીર્થસ્થળ છે. આ તીર્થધામ જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં ૧૩૫ કિલો મીટર દૂર સમુદ્રતટ કરતાં ૧૩,૬૦૦ ફૂટ જેટલી ઊઁચાઈ પર આવેલી એક પહાડી ગુફામાં સ્થિત છે. આ ગુફાની લંબાઈ (અંદર તરફની ઊંડાઈ) ૧૯ મીટર અને પહોળાઈ ૧૬ મીટર જેટલી છે. ગુફા ૧૧ મીટર જેટલી ઊંચી છે. અમરનાથ ગુફા ભગવાન શિવના પ્રમુખ ધાર્મિક સ્થળોમાનું એક છે. અમરનાથને તીર્થોનું તીર્થ કહે છે કેમકે અહીં જ ભગવાન શિવે માઁ પાર્વતીને અમરત્વનું રહસ્ય સમજાવ્યું હતું.

અહીંની પ્રમુખ વિશેષતા પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગનું નિર્માણ થવું છે. પ્રાકૃતિક હિમથી નિર્મિત થવાને કારણે આને સ્વયંભૂ હિમાની શિવલિંગ (બર્ફાની બાબા) પણ કહે છે. અષાઢી પૂર્ણિમાથી શરૂ કરી રક્ષાબંધન સુધી પૂરા શ્રાવણ મહીનામાં થવા વાળા પવિત્ર હિમલિંગ દર્શન માટે લાખો લોકો અહીં આવે છે. ગુફાનો પરિઘ લગભગ દોઢ સો ફૂટ છે અને આમાં ઊપરથી બરફના પાણીના ટીપાં ઘણી જગ્યાએ ટપકતા રહે છે. અહીં એક એવી જગ્યા છે, જેમાં ટપકતા હિમ ટીપાંથી લગભગ દસ ફૂટ ઊંચું શિવલિંગ બને છે. ચંદ્રમાના ઘટવા-વધવા સાથે આ બરફનો આકાર પણ ઘટતો-વધતો રહે છે. શ્રાવણી પૂર્ણિમાએ તે પોતાના પૂરા આકારમાં આવી જાય છે અને અમાસ સુધીમાં ધીરે-ધીરે નાનું થઈ જાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ શિવલિંગ નક્કર બરફનું બનેલું હોય છે, જ્યારે ગુફામાં સામાન્ય રીતે કાચો બરફ હોય છે જે હાથમાં લેતાં જ ચૂરેચૂરો થઈ જાય છે. મૂળ અમરનાથ શિવલિંગથી અમુક ફૂટ દૂર ગણેશ, ભૈરવ અને પાર્વતીના એવા જ અલગ અલગ હિમખંડ છે.



એવી લોકવાયકા પ્રચલિત છે કે આ જ ગુફામાં માતા પાર્વતીને ભગવાન શિવે અમરકથા સંભળાવી હતી, જેને સાંભળીને સદ્યોજાત શુક-શિશુ, શુકદેવ ઋષિના રૂપમાં અમર થઈ ગયાં હતાં. ગુફામાં આજે પણ શ્રદ્ધાળુઓને કબૂતરોની એક જોડી દેખાઈ જાય છે, જેને શ્રદ્ધાળુ અમર પક્ષી કહે છે. તે પણ અમરકથા સાંભળી અમર થયા છે. એવી માન્યતા પણ છે કે જે શ્રદ્ધાળુઓને કબૂતરોની જોડી દેખાય છે, તેમને શિવ પાર્વતી પોતાના પ્રત્યક્ષ દર્શનથી ધન્ય કરી તે પ્રાણીને મુક્તિ પ્રદાન કરે છે. એમ પણ માનવામાં આવે છે કે ભગવાન શિવે તેમની અર્ધાંગિની પાર્વતીને આ ગુફામાં એક એવી કથા સંભળાવી હતી, જેમાં અમરનાથની યાત્રા અને તેના માર્ગમાં આવનારા અનેક સ્થળોનું વર્ણન હતું. આ કથા કાલાંતરમાં અમરકથા નામથી વિખ્યાત થઈ.

અમુક વિદ્વાનોનો મત છે કે ભગવાન શંકર જ્યારે પાર્વતીને અમર કથા સંભળાવવા લઈ જતા હતાં, ત્યારે તેમણે નાના-નાના અનંત નાગોને અનંતનાગમાં છોડ્યાં, માથાના ચંદનને ચંદનવાડીમાં ઉતાર્યું, અન્ય પિસ્સુઓ (જંતુઓ)ને પિસ્સૂ ટૉપ પર અને ગળાના શેષનાગને શેષનાગ નામક સ્થળ પર છોડ્યાં હતાં. આ તમામ સ્થળ હજી પણ અમરનાથ યાત્રામાં આવે છે. અમરનાથ ગુફાની સૌથી પહલી ખબર સોળમી શતાબ્દીના પૂર્વાર્ધમાં એક મુસલમાન ભરવાડને પડી હતી. આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અમરનાથ ગુફા એક નથી. અમરાવતી નદીના રસ્તા પર આગળ વધતા સમયે અન્ય ઘણી નાની-મોટી ગુફાઓ દેખાય છે, તે બધી બરફથી ઢંકાયેલી છે.

અમરનાથ યાત્રાએ જવાના બે રસ્તા છે. એક પહેલગામ થઈ અને બીજો સોનમર્ગ બાલતાલથી. એટલે કે પહેલગામ અને બાલતાલ સુધી કોઈ પણ વાહન દ્વારા પહોંચો, અહીંથી આગળ જવા માટે પોતાના પગોનો જ ઉપયોગ કરવો પડે છે. અશક્ત કે વૃદ્ધો માટે સવારીનો પ્રબંધ કરાય છે. પહેલગામથી જતો રસ્તો સરળ અને સુવિધાજનક ગણાય છે. બાલતાલથી અમરનાથ ગુફાનું અંતર કેવળ ૧૪ કિલોમીટર છે અને આ બહુ જ દુર્ગમ રસ્તો છે અને સુરક્ષાની દૃષ્ટિ એ પણ સંદિગ્ધ છે. આ માટે સરકાર આ માર્ગને સુરક્ષિત નથી માનતી અને મોટાભાગના યાત્રિકોને પહેલગામના રસ્તે અમરનાથ જવા માટે પ્રેરિત કરે છે. પણ રોમાંચ અને જોખમ લેવાનો શોખ ધરાવતા લોકો આ માર્ગે યાત્રા કરવાનું પસંદ કરે છે. આ માર્ગ દ્વારા જવા વાળા લોકો પોતાના જોખમે યાત્રા કરે છે. રસ્તામાં કોઈ અણધારી ઘટના ઘટે તે માટે ભારત સરકાર જવાબદારી નથી લેતી.

પહેલગામ જમ્મુથી ૩૧૫ કિલોમીટર દૂર છે. આ વિખ્યાત પર્યટન સ્થળ પણ છે અને અહીંનું નૈસર્ગિક સૌંદર્ય અપ્રતિમ છે. પહેલગામ સુધી જવા માટે જમ્મૂ-કાશ્મીર પર્યટન કેન્દ્રથી સરકારી બસો ઉપલબ્ધ છે. પહેલગામમાં બિન સરકારી સંસ્થાઓ તરફથી લંગરની (અન્નક્ષેત્રની) વ્યવસ્થા કરાય છે. તીર્થયાત્રિઓની પગપાળા યાત્રા અહીંથી આરંભ થાય છે.

પહેલગામ પછી પહેલો પડાવ ચંદનવાડી છે, જે પહેલગામથી આઠ કિલોમીટર દૂર છે. પહેલી રાત તીર્થયાત્રી અહીં વિતાવે છે. અહીં રાત્રિ નિવાસ માટે કેમ્પ લગાડાય છે. બીજા દિવસે પિસ્સુ ખીણની ચઢાઈ શરૂ થાય છે. કહે છે કે પિસ્સુ ખીણ પર દેવતાઓ અને રાક્ષસો વચ્ચે ઘમાસાણ લડાઈ થઈ, જેમાં રાક્ષસોની હાર થઈ. લિદ્દર નદીને કિનારે-કિનારે જો ચંદનવાડીથી આગળ આ જ નદી પર બરફનો આ પુલ સલામત રહે તો પહેલા ચરણની આ યાત્રા વધુ અઘરી નથી.

ચંદનવાડીથી ૧૪ કિલોમીટર દૂર શેષનાગમાં પછીનો પડાવ છે. આ માર્ગ ઊભી ચઢાઈ વાળો અને ખતરનાક છે. અહીં પિસ્સૂ ખીણના દર્શન થાય છે. અમરનાથ યાત્રામાં પિસ્સૂ ખીણ ઘણું જોખમ ભરેલું સ્થળ છે. પિસ્સૂ ખીણ સમુદ્રતટથી ૧૧,૧૨૦ ફૂટની ઊંચાઈ પર આવેલું છે. યાત્રી શેષનાગ પહોંચી તાજામાજા થાય છે. અહીં પર્વતમાળાઓ વચ્ચે ભૂરા પાણીનું સુંદર તળાવ છે. આ તળાવમાં જોતા એમ ભ્રમ થઈ ઊઠે છે કે ક્યાંક આકાશ તો આ તળાવમાં નથી ઉતરી આવ્યું ને ! આ તળાવ લગભગ દોઢ કિલોમીટર લંબાઈમાં ફેલાયેલું છે. વાયકાઓ અનુસાર શેષનાગ તળાવમાં શેષનાગનો વાસ છે અને ચોવીસ કલાકમાં શેષનાગ એક વખત તળાવમાંથી બહાર આવીને દર્શન આપે છે, પણ આ દર્શન નસીબદારોને જ થાય છે. તીર્થયાત્રી અહીં રાત્રિ વિશ્રામ કરે છે અને અહીંથી ત્રીજા દિવસની યાત્રા શરૂ કરાય છે.

શેષનાગથી પંચતરણી આઠ માઈલના અંતરે છે. માર્ગમાં બૈવવૈલ ટૉપ અને મહાગુણાસ કોતરને પાર કરવું પડે છે, જેની સમુદ્રતટથી ઊંચાઈ ક્રમશ: ૧૩,૫૦૦ ફૂટ તથા ૧૪,૫૦૦ ફૂટ છે. મહાગુણાસ શિખરથી પંચતરણી સુધી આખો રસ્તો ઉતરાણનો છે. અહીં પાંચ નાની-નાની નદીઓ વહેતી હોવાને કારણે જ આ સ્થળનું નામ પંચતરણી પડ્યું છે. આ સ્થાન ચારે તરફથી પહાડોનાં ઊંચા-ઊંચા શિખરોથી ઢંકાયેલું છે. ઊઁચાઈને કારણે ઠંડી પણ વધુ હોય છે. પ્રાણવાયુની ઉણપને કારણે તીર્થયાત્રિઓને અહીં સુરક્ષાના ઉપાયો કરવા પડે છે.

અમરનાથની ગુફા અહીંથી કેવળ આઠ કિલોમીટર દૂર છે અને રસ્તામાં બરફ જ બરફ જામેલ હોય છે. આ દિવસે ગુફાની નજીક પહોંચી, પડાવ નાખી, રાત વિતાવી શકાય છે અને બીજા દિવસે સવારે પૂજા-અર્ચના કરી પંચતરણી પરત ફરી શકાય છે. અમુક યાત્રી સાંજ સુધીમાં શેષનાગ સુધી પાછા પહોંચી જાય છે. આ રાસ્તો ઘણો કપરો છે, પણ અમરનાથની પવિત્ર ગુફામાં પહોંચતા જ યાત્રાનો બધો થાક ઊતરી જાય છે અને અદ્‌ભુત આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે.

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts