name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, April 5, 2026

સન્ડે સ્પેશિયલ

રેશમા તેના સાવ વેર-વિખેર થયેલ જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. .

જિંદગીની ચાલને સમજવી અકળ છે. જીંદગી વ્યક્તિને રોલરકોસ્ટરની જેમ ક્યારેક આસમાની ઉંચાઈએ લઇ જાય છે તો બીજી જ પળે નીચે ધરતી લાવી પટકે છે.  રોજીંદા જીવનમાં ઘટતી કેટલીક સાધારણ કહી શકાય તેવી ઘટનાઓ વ્યક્તિને એટલી છિન્નભિન્ન કરી મુકે છે કે જીવન જ જાણે અભિશાપ બની જાય ! રેશમાની જીવનનૌકા પણ એવા કિનારે આવી લાંઘરી છે, જ્યાં કિનારો તો છે પણ દૂર દૂર સુધી મંજીલ ક્યાંય દેખાતી નથી.

રેશમાનો જન્મ અમદાવાદના એક સુખી પરિવારમાં થયો. પિતા સરકારી ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા હતા અને માતા ગૃહિણી. રેશમાને બીજી ત્રણ બહેનો અને એક ભાઈ હતો. બહેનો અને ભાઈ ભણવામાં પણ ખુબ તેજસ્વી હતાં. અમદાવાદની સારામાં સારી સ્કૂલમાં તેને મુકવામાં આવી. રેશમાનું બાળપણ તો ખૂબ જાહોજલાલીમાં વીત્યું. બાળપણથી જ રેશમા ખુબ લાગણીશીલ હતી. ઘરમાં કોઈ ઊંચા આવજે કાંઈ બોલી જાય તો પણ તેનું નાજુક હૃદય તેને સહન કરી શકાતું નહિ. રેશમા નાની સરખી ઘટનાની પણ હૃદય પર ઊંડી અસર અનુભવતી. ઘરમાં માતા-પિતા વચ્ચે થતી સાધારણ બોલાચાલી રેશમાના મનની શાંતિ ડહોળી નાખતી.

સમય વહેતો રહ્યો. રેશમાના માતા-પિતા વચ્ચેની સાધારણ બોલાચાલીએ હવે કજિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રોજના રોજના કજિયાએ એક હસતા-રમતા પરિવારની શાંતિ ડહોળી મૂકી. પિતાનો સ્વભાવ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યો હતો. હવે પારિવારિક કજિયો હિંસામાં પરિવર્તિત થવા લાગ્યો.  રેશમાના પિતા તેની માતા સાથે મારઝૂડ કરવા લાગ્યા. પરિવારના આ કલુષિત વાતાવરણે રેશમાના મનનો ચેન જ હરી લીધો. શાંત સરોવરમાં એક કાંકરી નાખતાં જેટલાં વમળો ઉદભવે તેના કરતાં અનેકઘણાં વમળોએ રેશમાના કુમળા મનનો ભરડો લીધો. આવા નાજુક સમયે તેનાં દાદીમાં તેને સાચવી લેતાં.

પરિવારના રોજ રોજના થતા ઝઘડાની વચ્ચે રેશમા દસમા ધોરણમાં સારું પરિણામ લાવી. પણ હવે પિતાના ઉગ્ર સ્વભાવનો ભોગ સંતાનો પણ બનવા લાગ્યા. મારઝૂડ – અભદ્ર ગાળોએ ઘરને જાણે રણસંગ્રામ બનાવી દીધું હતું. હવે રેશમાનું મન ભણવામાં લાગતું જ નહિ. તે સાવ સુન્ન બની ગઈ. અગિયારમું ધોરણ માંડ પસાર કર્યું. બારમા ધોરણમાં તો અભ્યાસ પ્રત્યે તે સાવ નિરશ બની ગઈ. બારમા ધોરણમાં સારું પરિણામ લાવવા માતા-પિતાનું દબાણ પણ વધી રહ્યું હતું. હવે રેશમા જબરજસ્ત માનસિક તાણ અનુભવવા લાગી. એક બપોરે રેશમા બેભાન થઈ ઢળી પડી. તેના શરીરની નસો ખેંચાઈ રહી હતી. તેના મોઢામાં ફીણ આવી ગયાં હતાં. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી.

જરૂરી તપાસ કર્યા બાદ તબીબોએ નિદાન કર્યું કે રેશમા હિસ્ટીરીયા (વાઈ)ના રોગનો ભોગ બની છે. આજીવન દવા લેવી અને ટ્રેસ  મુક્ત જીવન  એ જ આ રોગનો ઉપચાર છે. રેશમા માટે આ ખૂબ મોટો આઘાત હતો. બીમારીને કારણે એક સમયની તેજસ્વી વિદ્યાર્થીની બારમા ધોરણમાં નાપાસ થઈ. જેમની હૂંફથી નાજુક સમયમાં રેશમા ટકી રહી હતી તે દાદીમા પણ એ જ સમયે મૃત્યુ પામ્યાં. જીવનમાં એક પછી એક આવતા આઘાતો રેશમાનું મન સહન કરી શક્યું નહિ. એ જ અરસામાં ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે અત્યંત ભયભીત બની ગઈ. રેશમા હવે તેનું માનસિક સંતુલન ગુમાવી રહી હતી. કયારેક હસવાનું ચાલુ કરે તો બંધ જ ન થાય. એ જ રીતે ક્યારેક કોઈ જ કારણ વિના રડવાનું શરૂ કરે તો તેને શાંત કરવી મુશ્કેલ બની જતું.

માતા-પિતા અને ભાઈ-બહેનોને  ક્યારેક તો એમ લાગતું કે રેશમા આ બધું નાટક કરી રહી છે.  પરિવારે ભૂત-ભુઆ, દોરા-ધાગાનો સહારો લીધો. દિવસે-દિવસે રેશમાની સ્થિતિ વધુ નાજુક બની રહી હતી. છેવટે રેશમાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.તબીબોએ જે નિદાન કર્યું તે ચોકાવી દેનારું હતું. રેશમા સ્કિઝોફ્રેનીયા ( Schizophrenia) નામના એક ગંભીર માનસિક રોગનો શિકાર બની ચૂકી હતી. આ એક એવી બીમારી છે તેનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી. દવા અને થેરેપી દ્વારા તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. રેશમા માટે દવા એ જ માત્ર એક સહારો હતો.

બીમારીમાં એક વર્ષ તે ઘરે જ બેસી રહી. નિયમિત દવાથી તેના સ્વાથ્યમાં સુધારો આવ્યો. અને બીજા વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. બીજી બહેનો ભણીને ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. એટલે રેશ્માને ને પણ કોઇપણ ભોગે આગળ ભણવું હતું. બારમા ધોરણ પછી રેશમાએ સૌરાષ્ટ્રની એક પોલિટેકનીક કોલેજમાં પ્રવેશ મેળવી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ કર્યો. અભ્યાસ દરમિયાન પણ મન ક્યારેક વિચારે ચડી જતું. દવાના સહારે એ શાંત થઇ શકાતું. પણ ક્યારેક ક્યારેક વાઈ આવી જતી. તેની આવી સ્થિતિ જોઈ તેની ફ્રેઇન્ડસ ગભરાઈ જતી. ધીમે ધીમે એમના માટે સ્થિતિ  નોર્મલ લાગવા લાગી.  એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. પણ ઘરના વાતાવારણમાં કોઈ પરિવર્તન નોહ્તું આવ્યું,

રેશમાએ હવે નોકરી શોધી લીધી. દર મહીને એક  ચોક્કસ રકમ એના હાથ પર આવવા લાગી. તે તેના મોજ શોખ પુરા કરવા લાગી. પણ એનું મન કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતું નહોતું. દર ત્રણ મહીને એ નોકરી છોડી, નવી નોકરી શોધી લેતી. રેશમા નવી જિંદગી જીવવાની શોધ કર્યા કરતી પણ પેલી બીમારી તેનો પીછો છોડતી જ નહોતી. એક સમયે તેના માતા-પિતા વચ્ચે તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો અને બંને એકબીજાથી અલગ થઇ ગયાં. રેશમા એક આઘાતમાંથી માંડ બહાર નીકળે ત્યાં બીજો આઘાત એની પ્રતીક્ષા કરતો ઊભો જ હોય !

રેશમાએ  અહી નોકરી છોડી પરિવારથી દૂર જવાનું નક્કી કરી લીધું. તેના આવજની મધુરતા અને  ભાષા પરની પક્કડ ખૂબ સારી હતી.  માઉન્ટ આબુ જઈ રેડિયો જોકીની ટ્રેઈનીંગ લઈ ત્યાંના જ રેડિયો સ્ટેશન પર નોકરી લાગી ગઈ. તેના મધુર આવાજ ઘેર ઘેર ગૂંજવા લાગ્યો. રેડિયો પર રેશમાનો અવાજ સાંભળી કોઈ કલ્પી પણ ન શકે કે આ મધુર  અવાજ ભીતર  કેટલી વેદના છુપાયેલી છે !   

રેશમા પાંત્રીસે પહોંચી ચૂકી હતી. લગ્નની ઉંમર ક્યારની વટાવી ચુકી હતી. બીમારીને કારણે તેનો હાથ પકડવા કોઈ જલ્દી તૈયાર થતું નહીં.. બીમારીની જાણ હોવા છતાં  એક યુવકે રેશમાનો હાથ પકડવાની તૈયારી બતાવી. યુવકને અને તેના પરિવારને રેશમાની બિમારીની તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યાં. એ પરિવાર રેશમાને બીમારી સાથે સ્વીકારવા તૈયાર હતો.  ધૂમધામથી લગ્ન યોજાયા. આ લગ્નમાં  તેના પિતા હાજર ન રહ્યા. તેની માતાએ રેશમાને વિદાય આપી. રેશમાના જીવનમાં જાણે સુખનો  સુરજ ઊગ્યો! પણ સુખનો સુરજ મધ્યાહને પહોંચતા પહેલાં જ આથમી ગયો. લગ્નના પાંચમા દિવસે જ રેશમાને બેભાન થઈ ઢળી પડી. તેનાં અંગો ખેંચવા લાગ્યા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. આખો પરિવાર ગભરાઈ ગયો. અને રેશમાને તેના ઘરે મૂકી આવ્યો. ગણતરીના દિવસોમાં છુટા છેડા થઇ ગયા. રેશમાના ઘરેણા અને રૂપિયા પણ પરિવારે પચાવી પડ્યા.

રેશમાની માનસિક સ્થિતિ એ હદે નાજુક બની ગઈ કે તે સંતુલન ગુમાવી બેઠી. તેના વર્તન પરનો કાબુ તે ગુમાવી બેઠી. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. જેના કારણે  પોતાની જાતને પણ ગંભીર ઈજાઓ પહોચાડતી. તેની સ્થિતિ દયનીય બની ગઈ હતી.  તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીજા પાગલો સાથે તેને રાખવામાં આવી. ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા. તેની સ્થિતિ સુધરતાં મહિનાઓ લાગી ગયા. રેશમાની આ સ્થિતિ તેના માતા-પિતા, ભાઈ અને બહેનો માટે પણ પડકાર રૂપ બની ગઈ હતી.

સમાજમાં સન્માન સાથે જીવવું તેના માટે દુષ્કળ બની ગયું. એક સમયની તેજસ્વી અને પ્રતિભાવાન રેશમા છેવટે ગુજરાતની એક જાણીતી સેવાભાવી સંસ્થામાં તેણે નિરાશ્રીતોની સાથે આશ્રય લેવા મજબૂર બની. અહી તેને યોગ્ય સારવાર મળી, હૂંફ મળી, સન્માનજનક જીવન મળ્યું જેના પરિણામે માનસિક અપ્રતિમ શાંતિનો અનુભવ થતાં તેની સ્થિતિમાં ચમત્કારિક પરિવર્તન આવવા લાગ્યું. રેશમના પ્રત્યેક દિવસ ઝંઝાવાતની જેમ વીત્યા છે.  રેશમા તેના સાવ વેર-વિખેર થયેલા જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. રેશમા હાલ તેની આત્મકથા લખી રહી છે.   

પરિવારના નાના-નાના  ઝઘડા, કલુષિત વાતાવરણ એક હસતી-રમતી કોમળ જિંદગીને કેટલી હદે તહસ-નહસ કરી નાખે છે ! રેશમાના ઝંઝાવાતી જીવનમાંથી બોધપાઠ લેવો રહ્યો.  

(સત્ય ઘટના - નામ પરિવર્તિત )

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620