પત્રકારની ધારદાર અને વેધક કલમને જયારે કલ્પનાનાની પાંખો ફૂટે છે
ત્યારે.. !
વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પટેલ એટલે પત્રકારિતા જગતમાં ઝળહળતું એક નામ ! કોઇપણ કાર્યક્ષેત્રમાં છ-છ દાયકાથી એકધારી અને અપ્રતિમ લોકચાહના જાળવી રાખવી એ એક મોટો પડકાર છે. પરંતુ અવિરત અભ્યાસ અને સખત પરિશ્રમ થકી દેવેન્દ્રભાઈ પટેલ છેલ્લા છ દાયકાથી દુનિયાભરના લાખો વાંચકોના દિલમાં રાજ કરે છે. પત્રકારિતાની સાથે સાથે ટૂંકી વાર્તા, નવલિકા, નવલકથા, નાટક, ટી.વી. સીરીયલ, ફિલ્મ પટકથા, વેબ સીરીઝ પટકથા એમ કેટ કેટલાય સાહિત્ય સ્વરૂપોમાં તેમની કલમે ઉજાસ પાથર્યો છે. તાજેતરમાં જ દેવેન્દ્રભાઈ પટેલ લિખિત સંદેશ અખબારની રવિવારની સંસ્કાર પૂર્તિમાં પ્રગટ થયેલ અને અત્યંત લોકપ્રિય થયેલી નવલકથા "સ્વપ્નાપ્રિયા" નવલકથા પુસ્તકરૂપે પ્રગટ થઈ. આ નવલકથાની પ્રસ્તાવના લખવા આદરણીય દેવેન્દ્રભાઈ પટેલનું મને આમંત્રણ મળ્યું એ તેમનો મારા પ્રત્યેનો અનન્ય અહોભાવ નહિ તો બીજું શું ! દેવેન્દ્રભાઈ પટેલ લિખિત પુસ્તકમાં મારા શબ્દોને સ્થાન મળવું એ મારા માટે કોઇપણ સાહિત્યિક પુરસ્કાર કરતાં મોટું સન્માન છે. "સ્વપ્નપ્રિયા" પુસ્તકની પ્રસ્ત્વાના શબ્દશઃ અહિ પ્રસ્તુત છે.
"જ્યારે તેજતર્રાર પત્રકારની ધારદાર અને વેધક
કલમને કલ્પનાનાની પાંખો ફૂટે છે, ત્યારે "સ્વપ્નપ્રિયા" જેવી અદભુત સાહિત્યિક
કૃતિનું પ્રગટીકરણ થાય છે. ગુજરાતના વરિષ્ઠ પત્રકાર-લેખક આદરણીય શ્રી દેવેન્દ્રભાઈ
પટેલની પોતાની આગવી શૈલીમાં આલેખાયેલી ‘સ્વપ્નપ્રિયા’ નવલકથાએ સેકડો વાચકોના હૃદયને
ઝંકૃત કર્યા છે. દેવેન્દ્રભાઈ પટેલ હંમેશા કહે છે : "પત્રકારિતા મારું જીવન છે,
તો સાહિત્ય મારો શોખ છે." પોતાને નખશિખ પત્રકાર ગણાવતા દેવેન્દ્રભાઈ
પટેલે સાહિત્ય ક્ષેત્રે માતબર પ્રદાન કર્યું છે. ટૂંકી વાર્તા, નવલિકા, નાટક, ટી. વી. સીરિયલ,
ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી બીજું પણ કેટ કેટલું !
ભાગ્યે જ કોઈ સાહિત્ય સ્વરૂપ મળે જેમાં દેવેન્દ્રભાઈ પટેલની કલમે સત્ત્વશીલ ખેડાણ
ન કર્યું હોય ! તેમની અપ્રતિમ સફળતાનું એક કારણ સર્જન માટે જરા હટકે વિષય પસંદગી
પણ છે.
"કાજળકાળી
રાત" થી સ્વપ્નપ્રિયા કથાવાર્તાનું થયેલું મંડાણ "નયનો મેં પ્રીત હૈ,
હોઠોં પે ગીત હૈ" સાથે પૂર્ણ થાય છે. આદરણીય દેવેન્દ્રભાઈ
પટેલની કલમનો એ તો જાદુ છે કે પહેલા પ્રકરણ થી કથા રફતાર પકડે છે એ આખરી પ્રકરણના છેલ્લા
સંવાદ સુધી બરકરાર રહે છે.
માઇક્રો ફિક્શન વાંચવા ટેવાયેલી નવી
પેઢી નવલથા જેવા સાહિત્ય સ્વરૂપને માણવા શું એક સપ્તાહની પ્રતિક્ષા કરી શકે ?
એનો જવાબ છે "હા" ! આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની કલમમાં
કથાનાં પાત્રો જીવંત કરી દેવાની ગજબની તાકાત છે. તેના કારણે જ વાચકો ૨૭-૨૭ સપ્તાહ
કથા વાર્તા આગળની કડીની બેસબ્રીથી પ્રતિક્ષા કરતાં હોય છે. તેનું એક કારણ સર્જક
પાસે માત્ર કથાવાર્તા જ નથી, પરંતુ એક મનોવૈજ્ઞાનિક
દૃષ્ટિકોણ છે, કથા ગૂંથણીની શાસ્ત્રીય પદ્ધતિ છે, કથાવાર્તાના પ્રસંગોને શબ્દોના આડંબર વિના સિનેમેટિક સ્વરૂપે આલેખવાનો
મહાવરો છે, સ્ત્રી સહજ લાગણીઓ સમજી તેને શબ્દોમાં મઢવાની
કુનેહ છે, દરેક પ્રકરણના અંતે વાચકોને એક સ્પાર્ક અથવા આંચકો
આપવાની હથોટી છે અને પ્રથમ પ્રકરણથી શરૂ કરી આખરી પ્રકરણના અંત સુધી કથાનું રહસ્ય
બરકરાર જાળવી રાખવાનું કૌતુક પણ છે.
સ્વપ્નપ્રિયા એક રહસ્ય, રોમાંચ, પ્રેમ અને
માનવમનની જટિલ લાગણીઓથી ગૂંથાયેલી રસપ્રદ નવલકથા છે. નવલકથાની શરૂઆત કાજળઘેરી
વરસાદી રાત્રિથી થાય છે. કનકરાય અને વિશ્વનાથની કાર ગાઢ જંગલમાં અચાનક બંધ પડી જાય
છે. ભારે વરસાદ અને અંધકાર વચ્ચે આશ્રયની શોધમાં તેઓ એક જૂની અને રહસ્યમય હવેલીમાં
પહોંચે છે. હવેલીનું ભયાનક વાતાવરણ, વિચિત્ર અવાજો અને ત્યાં
બનતી અલૌકિક ઘટનાઓ વાચકોના મનમાં શરૂઆતથી જ રહસ્ય અને ઉત્સુકતા જગાવે છે.
કથાના
વિકાસ સાથે અનેક નવા પાત્રો પ્રવેશ કરે છે. દરેક પાત્રનો પોતાનો અલગ સ્વભાવ,
ભૂતકાળ અને રહસ્ય હોવાથી વાર્તા વધુ જટિલ અને રસપ્રદ બનતી જાય છે.
સ્વપ્નપ્રિયા, અભિલાષ, શૈલા, લીના, અને અન્ય
પાત્રો વચ્ચેના સંબંધો, તેમની લાગણીઓ, વિશ્વાસ અને
સંઘર્ષ કથાને માત્ર રહસ્યકથા જ નહીં પરંતુ એક ભાવનાત્મક કૃતિ પણ બનાવે છે. દરેક
પ્રકરણમાં કોઈ ને કોઈ નવી ઘટના અથવા ચોંકાવનારો વળાંક આવતાં વાચકની ઉત્સુકતા સતત
જળવાઈ રહે છે.
દેવેન્દ્રભાઈની
કલમની કમાલ એ પણ છે કે પ્રસંગોનું એવું
જીવંત વર્ણન કર્યું છે કે વાચક પોતે પણ ઘટનાસ્થળે ઉપસ્થિતિ હોય તેવી અનુભૂતિ કરે
છે. કથાનકમાં પ્રેમ, મિત્રતા, વિશ્વાસ, ભય, દગો અને સત્યની શોધ જેવા વિવિધ તત્ત્વોનું સુંદર
સંયોજન કથાને વધુ રસપ્રચુર બનાવે છે. રહસ્યો ધીમેધીમે ખુલતા જાય છે, પરંતુ દરેક જવાબ સાથે નવા પ્રશ્નો જન્મે છે, જે
કથાને વધુ રોમાંચક બનાવે છે. એક પુરુષ
સર્જક માટે સ્ત્રીના સૂક્ષ્મ મનોભાવો આલેખવા સહેલા નથી હોતા. જટિલ મનોભાવોને
આબેહૂબ કથામાં ઉતારી દેવેન્દ્રભાઈની કલમ વાચકોના મન મસ્તિષ્કને ઝંકૃત થવા મજબૂર
કરી મૂકે છે. દેવેન્દ્રભાઈ પટેલ લિખિત કથાના વળાંકોને કળવા શક્ય જ નથી.
કથાનાયક
અભિલાષે જિંદગીની મૂડી દાવ પર લગાવી, રૂઢિગત
સમાજની પરવા કર્યા દેહ વ્યાપારની બદીમાં સબડતી લાચાર મહિલાઓની વેદના વાચા આપતી
ફિલ્મનું નિર્માણ તો કર્યું પણ હવે આ ફિલ્મ સફળ જશે કે નિષ્ફળ?
કથા વાંચતાં કથાનાયકની વ્યથા વાચકની વ્યથા બની જાય છે. આવું આબેહૂબ
આલેખન જ્યારે કોઈ સર્જક કરે છે ત્યારે મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠે છે કે આવી
દ્વિધા કૃતિ સર્જક દેવેન્દ્રભાઈ પટેલે પણ ક્યારેક અનુભવી હશે ??
દાયકાઓ
પહેલાં દેવેન્દ્રભાઈ પટેલે લખેલું નાટક 'ચાઇલ્ડ હસબન્ડ'
ઝળહળતું ઉદાહરણ છે. એ જમનામાં રંગમંચ ઉપરથી સેક્સ વિશે ચર્ચા કરવી એ
એક સાહસ જ ગણાતું. એ સમયે નવી કેડી કંડારવા ટેવાયેલા દેવેન્દ્રભાઈએ કોઈની પણ પરવા કર્યા વિના આ સાહસ
ખેડ્યું. અને 'ચાઇલ્ડ
હસબન્ડ' નાટક લખ્યું અને થીયેટરોમાં ભજવાયું. અને પરિણામ એ
આવ્યું કે કહેવાતા સાહિત્યિક પંડિતોનાં
નાકનાં ટેરવાં ચડી ગયેલાં. પરંતુ દર્શકો એ નાટકને અપાર પ્રેમ આપ્યો. અને એ નાટકે
થિયેટરના તમામ વિક્રમો ધ્વસ્ત કર્યા હતા.
કોઈપણ નવલકથા જ્યારે અખબારના માધ્યમથી દર
રવિવારે હપ્તાવાર પ્રગટ થતી હોય, ત્યારે વાચકોને
દર અઠવાડિયે જકડી રાખવા તે એક કપરો પડકાર હોય છે. પરંતુ દેવેન્દ્રભાઈ પટેલે આ સંદેશ અખબારની સંસ્કાર
પૂર્તિમાં પ્રગટ થયેલાં નવલકથાનાં ૨૭ પ્રકરણો દરમિયાન વાચકો સાથે એક અદ્રશ્ય પણ મજબૂત
ભાવાત્મક સેતુ બાંધ્યો છે. દેવેન્દ્રભાઈ પટેલની પ્રગટ થયેલી પ્રથમ નવલકથા
"સજન રે જૂઠ મત બોલો"થી માંડી છેક "સ્વપ્નપ્રિયા" ને વાચકોએ
અપ્રતિમ પ્રેમ આપ્યો છે. તેમાંની કેટલીક નવલકથા આધારિત ફિલ્મ બની છે તો કેટલીક
નવલકથા આધારે વેબ સિરીઝ પણ નિર્માણ પામી છે.
આદરણીય દેવેન્દ્રભાઈ પટેલની મંજાયેલી કલમે વધુ એક નવલકથા અખબારનાં પાને પ્રગટ થવાનો ઇન્તેઝાર કાયમ રહેશે."
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
"સ્વપ્નપ્રિયા"હવે પુસ્તક રૂપે ઉપલબ્ધ છે .પુસ્તક મેળવવા સંપર્ક કરો- નવભારત સાહિત્ય મંદિર,જૈન દેરાસર પાસે,ગાંધી રોડ,અમદાવાદ-380001 ( ફોન - 98250 32340) કે (079)22139253 અથવા" કોલેબ સ્ટોર એલ એલ પી",પીવી એન્કલેવ,કોર્ટયાર્ડ બાય મેરીએટ હોટેલ પાસે,ઓફ સિંધુભવન રોડ,અમદાવાદ-380054 ( ફોન-98250 32340)


