“જો મારા પરિવારે જોખમ ખેડી બલિદાન ન આપ્યું હોત તો કદાચ આજે હું ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનો હિસ્સો ન હોત.” : ખીલન પટેલ
અરવલ્લીની ભૂમિ
સાચે જ ફળદ્રુપ છે. આ ભૂમિએ સાહિત્ય, કલા, પત્રકારિતા, શિક્ષણ અને રમત-ગમત ક્ષત્રે
આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રતિભાઓ ભેટ ધરી છે. ઉમાશંકર જોશી, પન્નાલ્લાલ
પટેલ, રામલાલ સોની જેવા મૂર્ધન્ય સાહિત્યકારો, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ જેવા
તેજ તર્રાર પત્રકારો આ ફળદ્રુપ ભૂમિની ઉપજ છે. રમત-ગમત ક્ષેત્રે પણ અરવલ્લીની
ભૂમિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ક્રિકટર ભલાજી ડામોર, વિકાસ પટેલ જેવા શ્રેષ્ઠ
રમતવીરો આપ્યા છે. તો બાબુભાઈ પનુચા જેવા રમતવીરોએ ઓલ્મપિકમાં ભારતનું
પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. અરવલ્લીની ભૂમિના આવા જ એક અણમોલ રતનનું
નામ આજે ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે. જેમનું
નામ છે ખીલન પટેલ. અન્ડર ૧૯ ક્રિકેટ વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમના તેઓ ઓલરાઉન્ડર
ખેલાડી છે. ક્રિકેટ વિશ્વ કપની ઇંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં ખીલન પટેલે કરેલા ઉત્કૃષ્ઠ પ્રદર્શને સૌ ક્રિકેટ ચાહોકોનાં હૃદય
જીતી લીધાં હતાં.
અરવલ્લીના
અંતરિયાળ ગામના એક ખેડૂત પરિવારના દીકરાની ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ વિશ્વકપ ટીમના ખેલાડી સુધીની યાત્રા કેવી રહી એની સંઘર્ષ
ગાથા દિલધડક અને રોમાંચક છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના નહેરુ કંપો તેમનું
વતન છે. મોડાસાથી આશરે સત્તર કિલોમીટરના અંતરે આવેલા આ કંપાની કુલ વસ્તી આંગળીના વેઢે ગણી શકાય એટલી !
ખીલન પટેલના પિતા અનિલભાઈ મૂળે તો ખેતી
સાથે સંકળાયેલા. અને આશરે વીસેક વર્ષ પહેલાં મોડાસામાં આવીને રહેવાનું શરુ કર્યું.
ખેતી માટે કંપે તો નિયમિત જવાનું જ ! અનિલભાઈ પોતે ક્રિકેટના જબરા શોખીન ! કચ્છી
પટેલ સમાજ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ છાભૈયા - ૧૧ ટીમ
ફરજીયાત ઉતારે. ક્રિકેટ એ તેમનું પેશન હતું. દિવસે ખતી – ધંધો અને રાત્રે
ટુર્નામેન્ટ ! તેમનો આ શોખ તેમના સંતાનમાં ઉતરી આવ્યો.
૨૬ નવેમ્બર ૨૦૦૬ ના રોજ જન્મેલા ખીલન પટેલના ઘરે બેટ અને બોલ હાથ વગા જ હતાં. ખીલનને બીજાં રમકડાં કરતાં બેટ અને બોલ જ વધુ આકર્ષતાં હતા. પ્રાથમિક શિક્ષણ મોડાસાની સ્કૂલમાં શરુ થયું. ભણવા સાથે ક્રિકેટમાં રુચી ખૂબ હતી. બેટ અને બોલને જોઈ ખીલનની આંખમાં ઉગતાં સપનાં પિતા અનિલકુમાર અને માતા મનીષાબેન આવાક બની જોઈ જ રહેતા. બાળપણથી જ ખીલનના ક્રિકેટ પ્રત્યેના અપ્રતિમ પ્રેમને જોઈ માતા પિતાએ મનમાં ગાંઠ વાળી કે ખીલનને હવે ક્રિકેટમાં જ ખીલવા દેવો છે. એ જ સમયે મોડાસામાં ક્રિકેટ એકેડમી પણ શરૂ થઇ હતી. દોડવું હતું ‘ને જાણે ઢાળ મળી ગયો. અગિયારમાં વર્ષે ખીલને મોડાસા એકેડેમી જોઈન કરી. ક્રિકેટનું એવું તો ઘેલું લાગ્યું હતું કે આખો દિવસ ખીલન મેદાન પર હોય તોય થાકનું નામોનિશાન નહિ. ખીલન માત્ર પરીક્ષા આપવા જ શાળાએ જતો. આ બાબતે શાળાને વાંધો પડ્યો, તો માતા પિતાએ શાળા જ બદલી નાખી. પણ ખીલન અને ક્રિકેટ વચ્ચે જરા પણ ખલેલ ન જ પડવા દીધી. કોરોના સમયે ખીલન આખેઆખો દિવસ મેદાન પર રહી સતત પ્રેક્ટીસ કરતો રહેતો. જેનાથી બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડીંગનું હુનર ઓર દમદાર બની રહ્યું.
(ડાબેથી ભાઈ કથન, ખીલન, લેખક ઈશ્વર પ્રજાપતિ, પિતા અનિલકુમાર, માતા મનીષાબેન)
મોડાસા એકેડેમી પાસે એફીલેશન હતું નહિ એટલે જો
ક્રિકેટમાં આગળ વધવું હોય તો મોડાસા છોડી અમદાવાદની કોઈ એકેડેમી જોઈન કરવી પડે તેમ
હતી. હવે અમદાવાદ જવું તો જવું કેવી રીતે? પિતા અનિલભાઈનો ખેતીની સાથે સાથે નાનો-મોટો ધંધો હજી માંડ મોડાસામાં સેટ થયો
હતો. અને અમદાવાદ રહેવા જવું હોય તો મહીને ખર્ચ પણ ત્રણ ઘણું વધી જાય ! બીજી બાજુ
અનિલભાઈના માતાને પેરાલીસસનાં દર્દી તેઓ સંપૂર્ણ પથારી વશ. આ બધું સાધારણ પરિવારને
પોષાય પણ કેવી રીતે ! કરવું તો કરવું શું? કોઇપણ નિર્ણય લેવાનું કામ ખુબ જટિલ
હતું. દાદા બાએ હિંમત આપી અને કહ્યું કે ખીલન જો ક્રિકેટમાં આગળ વધવા માંગતો હોય
તો અમારી ફિકર કરશો નહિ. દાદા – બાએ આપેલી આવી હિંમતથી અનિલભાઈ અને મનીષાબેનને પણ બળ
મળ્યું. ખીલને આંખમાં આંજેલા સપનાને સાકાર કરવા આખરે વર્ષ ૨૦૨૧માં અનિલકુમારે પરિવાર સાથે
અમદાવાદની વાટ પકડી. વર્ષ ૨૦૧૮માં અનિલભાઈએ મોડાસામાં નવું જ મકાન બનાવ્યું હતું.
અને હવે આ મકાન છોડીને અમદાવાદ ભાડાના મકાનમાં રહેવા ગયા તો સમાજના ઘણા લોકોએ તેમને
ગાંડામાં ખપાવ્યા. લોકો ટોણા પણ મારતા કે “૧૪૦ કરોડની વસ્તીમાંથી ભારતીય ક્રિકેટ
ટીમમાં માત્ર ૧૧ ખેલાડીયોને રમવા મળે છે. એમાં વળી આપણો નંબર ક્યાંથી આવે ?”
લોકોની વાતોમાં આવ્યા વિના આ પરિવારે અડગ નિશ્ચય કરી લીધો હતો. ખીલનના ક્રિકેટના શોખને
પોષવા જે પણ ભોગ પરિવારે આપવો પડે એ આપવા પરિવાર તૈયર હતો.
અનીલભાઈ
અમદાવાદ ભાડાનું ઘર ખોલ્યું. ખીલન માટે ક્રિકેટ એકેડેમીની શોધખોળ આદરી અને સદનસીબે
ઉત્તમ કક્ષાની એકેડેમી તેમને મળી રહી. સન્ની
પટેલ, જેસલ કરિયા, ચિરાગ પટેલ જેવા અનુભવી કોચનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. ખીલનની
ક્રિકેટ રમવાની ટેકનીક જોઈને જ અમદાવાદની એકેડેમી કોચને અંદાજ આવી ગયો કે “બંદે
મેં દમ હૈ !” ખીલન પણ ખુબ પ્રતિબદ્ધતા અને શિસ્ત સાથે સંપૂર્ણ સમય મેદાન પર પરસેવો
પાળવામાં જ પસાર કરી દેતો. ગાંધીનગરની ટીમમાં રમવા માટે છેવટે ગાંધીનગરની સ્કૂલમાં
એડમિશન લઇ લીધું. અહી પણ માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કૂલમાં જવાનું અને બાકીનો
બધો સમય ક્રિકેટ ગ્રાઉન્ડને સમર્પિત રહેતો. ગાંધીનગરના એકેડેમીના ક્રિષ્ણસિંહજીના માર્ગદર્શને ખીલનના પરફોર્મન્સને વધુ ધારધાર બનાવ્યું. ખીલનની મહેનત રંગ લાવવા લાગી હતી. તેનું સિલેકશન ડિસ્ટ્રીક અને સ્ટેટની ટીમમાં થઇ ગયું
હતું. પરિવારમાં આનંદ છવાયો હતો. પણ આ આખરી મુકામ ન હતો. આંતર રાજ્યની મેચોમાં
ખીલનના દમદાર પરફોર્મન્સથી સિલેકશન કમિટીની આંખો તે વસી ગયો.
ખીલને ટાઢ-તાપ-
વરસાદ જોયા વિના મેદાનમાં કરેલી શિસ્તબદ્ધ મહેનત આખરે ફળી. અન્ડર ૧૯ ટીમ માં ખીલનનો
સમાવેશ થઇ ગયો. આ સમાચારે આખા અરવલ્લી પંથકમાં ઉજાણી જેવો માહોલ સર્જ્યો હતો. દુબઈમાં
રમાયેલા એશિયા કપમાં પણ ખીલને કરેલા પર્ફોર્માંન્સે સૌના હૃદય જીતી લીધા. તો
ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા માં રમાયેલ મેચોમાં પણ ખીલન જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યો.
હવે એક
મહત્ત્વ પૂર્ણ સીરીઝ ઇંગ્લેન્ડમાં રમાવાની
હતી. પણ કુદરત હવે કસોટી કરવાના મૂડમાં હતી. એ સમય દરમિયાન ખીલનના પગે ઈજા થઇ. અને
છેલ્લી ઘડીએ ખીલન ઇંગ્લેન્ડની સીરીજ રમી ન શક્યો. આગળ અન્ડર ૧૯ વિશ્વ કપ પણ આવી રહ્યો હતો. હવે
શું થશે એ વિચારે આખો પરિવાર જાણે ઊંડા આઘાતમાં સરી પડ્યો. પણ ખીલને પ્રયત્ન ન
છોડ્યો. ઈજા રીકવર કરી ફરી મેદાન પર ઉતાર્યો. અને ફરી દમદાર પરફોર્મન્સ કરી સૌને
દંગ કરી દીધા. કહેવાય છે ને કે “કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી!” બસ ખીલનના
બુલંદ ઈરાદાઓ અને આ પરિવારની પ્રગાઢ આસ્થાની જીત થઇ. અન્ડર ૧૯ ક્રિકેટ વિશ્વકપના
ખેલાડીયોની યાદી જાહેર થઇ તેમાં ખીલનનું નામ વાંચીને પરિવારજનોની આંખોમાં હર્ષના
આંસુઓનું જાણે પૂર ઉમટ્યું.
ઝીમ્બાબ્વે
- નામ્બીયામાં યોજાયેલા ૧૬ માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ખીલને ભારતીય ટીમ
વતી ભાગ લીધો. ભારતીય ટીમે ઉત્કૃષ્ટ
પ્રદર્શન કરી ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ૬ ફેબ્રુઆરીના રોજ
હરારે ખાતે વિશ્વ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૫૦
ઓવરમાં ૪૧૧ રનનો વિશાળ સ્કોર ખડકી નાખ્યો હતો. જની સામે ઇગ્ન્લેડ ભારતીય બોલરોના
તરખાટ સામે માત્ર ૪૦.૨ ઓવર માં ૩૧૧ રન કરી
ખખડી ગયું હતું. આ સાથે ભારતે છઠ્ઠી વાર આ ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ
મેચમાં પણ ખીલનનું ઓલ રાઉન્ડર તરીકેનું પરફોર્મન્સ કાબિલ –એ- દાદ હતું.
અરવલ્લીના
અંતરિયાળ ખૂણાનો એક છોકરો આટલી ઓછી ઉંમરમાં વિશ્વમાં ડંકો વગાડી જયારે માદરે વતન
પરત ફર્યો ત્યારે આખા અરવલ્લી પંથકના આગેવાનો અને ક્રિકેટ ચાહકોએ મોડાસાના આંગણે ભવ્યાતિભવ્ય સ્વાગત કરી વાતાવરણને ક્રિકેટમય
બનાવી દીધું હતું.
ખીલન તેની
સફળતાનો યશ તેના પરિવાર જનોને આપતાં કહે છે “મારા માતા-પિતા, દાદા-દાદીએ મારા
ક્રિકેટના શોખને સંતોષવા વતન છોડ્યુ, અમદાવાદ ગયા, ભાડે રહ્યા, અનેક તકલીફો અને
સંઘર્ષો વેઠ્યા માત્રને માત્ર મારી ક્રિકેટની કારકિર્દી ખાતર ! જો મારા પરિવારે આ
બલિદાન ન આપ્યું હોત તો કદાચ આજે હું ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનો હિસ્સો ન હોત.
મારા કોચે મારામાં વિશ્વાસ મૂકી મને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. જેના પરિણામે
આત્મવિશ્વાસ પૂર્વક હું રમી શક્યો. અને આ બધાથી ઉપર હું આ બધી ભગવાનની કૃપા જ સમજુ
છું.”
સફળતા મળ્યા પછી પગ ધરતી સાથે જોડી રખાવનું કામ કપરું હોય છે. પણ ખીલને આ કપરું કામ સહજ બનાવી લીધું છે. તેની પાસે બેઠા હોઈએ તો આપણને લાગે નહિ કે આપણે ભારતીય ચેમ્પેઈન ક્રિકેટ ટીમના સફળ ખેલાડી પાસે બેઠા છીએ. સાથે દીકરો ભારતીય ટીમનો ખેલાડી હોવા છતાં તેમના માતા પિતા અને દાદા-દાદીની સાદગી અને વિનમ્રતા હૃદયસ્પર્શી છે.
ભારતીય
સીનીયર ક્રિકેટ ટીમમાં રમવાનું ખીલનનું
સપનું છે. એની ધગશ, શિસ્ત અને પ્રતિબદ્ધતા જોતાં તેનું આ સપનું પણ જલ્દી સાકાર
થતું આપણે સહુ જોઈ શકીશું. ખીલને માત્ર તેના પરિવારનું જ નહિ પરંતુ સમસ્ત અરવલ્લી
અને ગુજરાતનું નામ આજે વિશ્વમાં ગૂનાજ્તું કર્યું છે. ખીલનને તેની આગામી ઇનિંગ્સ
માટે અગિયાર દરિયા ભરીને હાર્દિક
શુભકામનો.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620

