ભાગ - ૨ વાંચવા અહીં ક્લિક કરો.
ભાગ ૩
મહામહિમ રાષ્ટ્રપતિજીના હસ્તે સન્માન સ્વીકારતી વેળાએ પ્રશસ્તિજીના કાનમાં પિતાજીના શબ્દો પડઘાતા રહ્યા..!
‘પ્રશસ્તિ પારીક’ હવે માત્ર એક નામ જ નોહતું રહ્યું, પરંતુ તેણી સફળતાની ઊંચી ઉડાનનું બીજું
સરનામું બની ગયાં હતાં. કેટકેટલા સંઘર્ષો, પડકારો અને મુશ્કેલીઓને પાર
કરી, સૌથી અઘરી ગણાતી IAS ની પરીક્ષા ઓલ ઇન્ડિયા ૨૧ મા રેન્ક સાથે પાસ કરી હતી. સમયની
વહેતી ધારાએ કરવટ બદલી. હૃદયમાં તીવ્ર તિતિક્ષાથી સેવેલું સ્વપ્ન સાકાર થયું.
સ્વપ્ન તો સાકાર થયું પરંતુ આગળનો જીવનપથ કાંઈ સાવ સુવાળો તો નહતો જ ! નવી કેડી,
નવી સફર અને નવા પડકારો પ્રશસ્તિજીની પ્રતીક્ષા કરી રહ્યા હતા.
મસૂરી ખાતે આવેલ ‘લાલબહાદૂર શાસ્ત્રી નેશનલ એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન’
જેવી ભારતની પ્રતિષ્ઠિત સંસ્થામાં ટ્રેનીંગ
માટે પ્રવેશ મેળવવાનું UPSC ની તૈયારી કરતા
દરેક વિદ્યાર્થીનું સ્વપ્ન હોય છે. લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમાંથી જૂજ
વિદ્યાર્થીઓ આકરી કસોટી પાસ કરી આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. આ જુજ
વિદ્યાર્થીઓની અગ્રીમ હરોળમાં પ્રશસ્તિજી સમાવિષ્ઠ હતાં. લાલબહાદૂર શાસ્ત્રી નેશનલ
એકેડેમી ફોર એડમિનિસ્ટ્રેશન સંસ્થામાં પ્રશસ્તિજીની તાલીમ પ્રારંભ થઈ.
ઊંચી ઊંચી પહાડિયો,
લીલાછમ ઘટાદાર વૃક્ષો, રંગબેરંગી પુષ્પો, છલોછલ વહેતી નદીઓ, સરોવર અને ખળખળ વહેતાં
ઝરણાંની વચ્ચે કુદરતના ખોળે આવેલી આ સંસ્થા માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વમાં સુખ્યાત બની છે. ભારતના ખૂણે ખૂણેથી UPSC
ઉતીર્ણ થયેલી, તેજસ્વી પ્રતિભાઓના વ્યક્તિત્ત્વના તમામ પાસાઓનું મજબૂત ઘડતર અહીં થાય છે. અહીં એવી પ્રતિભાઓ તાલીમ પામે
છે કે ભવિષ્યમાં તેમના એક નિર્ણયથી હજારો
જિંદગીઓ પ્રભાવિત થતી હોય છે. તેથી વિકટમાં વિકટ સ્થિતિમાં વિચલિત થયા વિના; શાંત
ચિત્તે નિર્ણય લેવાની અભિયોગ્યતાનું ઘડતર પણ અહીં જ થાય છે. બહુમુખી પ્રતિભા
ધરાવતાં પ્રશસ્તિજીને આ સંસ્થાનો સ્પર્શ મળતાં તેમનું વ્યક્તિત્ત્વ અધિક નીખરી
ઊઠ્યું. સિવિલ સર્વિસીઝમાં ભારતના કોઇપણ ખૂણે નિમણૂંક થઇ શકે છે; માટે સમગ્ર ભારતના
ભ્રુપૃષ્ઠ, ઈતિહાસ અને સંસ્કૃતિક વારસાને સમજવો અત્યંત આવશ્યક હોય છે. એટલે તાલીમના
ભાગરૂપે ખેતરો, ડૂંગરો, નદીઓ, જંગલો, ગામ, નગરો, શહેરો, ખૂંદી વળ્યાં ! સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભારતના જનજીવનને ખૂબ
નજીકથી નિહાળ્યું.
IAS, IPS, IRS, IFS જેવી તમામ સિવિલ સર્વિસીઝની તાલીમ
મસૂરી ખાતેની આ સંસ્થામાં જ થતી હોય છે. અને તાલીમ બાદ આ જ પ્રતિભાઓ દેશના અને
વિશ્વના ખૂણે ખૂણે પથરાઈને દેશને સેવાઓ આપે છે. તાલીમ દરમિયાન એકબીજા સાથે સબંધોનું
એવું મજબૂત જાળું ગૂંથાય છે કે વ્યક્તિ ભલે દેશના કોઈ છેવાડાના જીલ્લામાં સેવા આપતી હોય પરંતુ તેમના બેચમેટ દેશના તમામ રાજ્યો
કે વિશ્વના મહત્ત્વપૂર્ણ દેશોમાં પથરાયેલા
હોય છે. બેચમેટ એકબીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહે છે. ભવિષ્યમાં વહીવટમાં કોઈ જરૂરિયાત ઊભી થાય તો કોઈ
જ ફોર્માલીટી વિના માત્ર એક ફોનથી દેશ કે દુનિયાના કોઇપણ ખૂણાનું કામ ઘડીના છઠ્ઠા
ભાગમાં થઈ જાય છે.
મસૂરી ખાતે તાલીમ પૂર્ણ કરી પ્રશસ્તિજીને ગુજરાત કેડરના
અધિકારી તરીકે પસંદગી પામ્યાં. તાલીમી સંસ્થામાં તાલીમ લેવી અને વાસ્તવિક જમીન પર
કામ કરવું આ બે માં આસમાન જમીનનો તફાવત છે. એટલે શરૂઆતનો તબક્કો ફિલ્ડમાં તાલીમથી
શરૂ થયો. ગુજરાતના રાજકોટ શહેરમાં પ્રશસ્તિજીની નિમણૂંક થઈ. સૌથી પહેલો પડકાર તો
ભાષા બોલવા-સમજવાનો હતો. જે ભાષા આજદિન સુધી એકધારી સાંભળી નથી એ ગુજરાતી ભાષા
સાંભળી સમજવાની અને બોલવાની ! આ પડકારને પણ તેમણે સહર્ષ સ્વીકાર્યો. ખૂબ ધીરજ
પૂર્વક ગુજરાતી ભાષા શીખ્યાં. શરૂઆતમાં ગુજરાતી બોલવામાં મુશ્કેલી અનુભવાતી ! પણ પ્રજા
વચ્ચે રહી સતત સંવાદ કરતાં રહી ગુજરાતી ભાષા પર હથોટી મેળવી લીધી. રાજકોટનાં તત્કાલિન કલેકટર મનીષા ચંદ્રાજીના
નેતૃત્ત્વમાં કામ કરવાની તક મળી. કાર્યકુશળ અને બહોળા અનુભવી મનીષા ચંદ્રાજીને કામ કરતાં નજીકથી
નિહાળ્યાં. તેમનું વ્યક્તિત્ત્વ સ્વયં એક યુનિવર્સીટી સમાન હતું. તેમની પાસેથી
વહીવટી કાર્યની સાથે સાથે જીવનના મહત્વપૂર્ણ પાઠ પણ શીખવા મળ્યા. મનીષા ચંદ્રાજી પણ પ્રશસ્તિજી વ્યક્તિગત કાળજી લેતાં.
તેમની વચ્ચેનો સંબંધ વર્ષો પછી આજે પણ
એટલો જ હૂંફાળો રહ્યો છે.
પ્રશસ્તિજીએ એક હોનહાર અને કાબેલ ઓફિસર તરીકે રાજકોટથી શરૂ
કરેલી યાત્રા વિરમગામ, લુણાવાડા, દાહોદ, વડોદરા, જામનગર, નવસારી થઈ હાલ અરવલ્લી જિલ્લામાં વિહાર પામી રહી છે.
તેમણે જ્યાં પણ સેવાઓ આપી છે ત્યાં તેમની સેવાનિષ્ઠા અને કર્તવ્યનિષ્ઠાએ પ્રજાના
હૃદયમાં નોખી ભાત પાડી છે. પ્રજાના
પ્રશ્નોને સમજી તેના ઉકેલ માટે અહર્નિશ કાર્યશીલ રહેવું તેમની ગમતી પ્રવૃત્તિ છે.
ચેમ્બરમાં બેસવા કરતાં અંતરિયાળ વિસ્તારનાં છેવાડાનાં ગામડાં ખૂંદી તેમની મુશ્કેલીઓને
સમજી તેનું નિરાકરણ લાવવા અવિરત મથામણ કરતાં રહે છે. ક્યારેક કોઈ જગ્યાએ કોઈ પ્રશ્ન
ઉપસ્થિત થયો હોય જેના કારણે પ્રજામાં વિરોધ પેદા થયો હોય તો વિરોધની વચ્ચે સ્થળ પર
રૂબરૂ જવામાં પ્રશસ્તિજી જરા પણ અચકાતાં
નથી. એક નીડર ઓફિસર તરીકે પ્રજા વચ્ચે જઈ પ્રશ્નનો
ઉકેલ લાવવા હંમેશા તેઓ તત્પર રહે છે. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની પ્રજા કલ્યાણલક્ષી
યોજનાઓનો મહત્તમ લાભ છેક છેવાડાના લાભાર્થીને મળી રહે તે માટે નિસબત સાથે કામ
કરવું તેમનું પેશન છે.
કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિજીની નિષ્ઠાપૂર્વકની કાર્યપ્રણાલીને સમયાંતરે બિરદાવવામાં આવી છે. સરકારી
યોજનાઓ સિવાય પણ શિક્ષણ, આરોગ્ય અને
પ્રજાકલ્યાણ સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે પોતે પણ નવતર પ્રયોગો કરતાં રહે છે.
નવસારીમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કોરોનાકાળ દરમિયાન શિક્ષણ, આરોગ્ય અને અન્ય સેવાઓમાં તેમણે કરેલા નવતર પ્રયોગો ખૂબ પ્રશંસા પામ્યા
હતા. રાજ્ય સરકારે તેમની કામગીરીને બિરદાવતાં રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા વિકાસ
અધિકારી તરીકે સન્માનિત કર્યાં.
સામાન્ય રીતે
જિલ્લા વહીવટી સર્વોચ્ચ વડા અને
સામાન્ય જનતા વચ્ચે એક અદૃશ્ય દિવાલ બંધાઈ જતી હોય છે. જિલ્લા કલેક્ટરને મળવું, યોગ્ય રજૂઆત કરવી એ સામાન્યજન માટે
તો એક દીવાસ્વપ્ન સમાન હોય છે. પરંતુ પ્રશસ્તિજી એક નવો
ચીલો ચાતર્યો છે. પ્રજા અને અધિકારી વચ્ચેની અદૃશ્ય
દિવાલ ધરાશાઈ કરવા તેમણે કમર કસી. પ્રોટોકોલની પળોજણથી ઉપર ઊઠીને નવતર પ્રયોગો હાથ
ધર્યા. જેના ફળસ્વરૂપ સાવ સાધારણ વ્યક્તિ પણ કલેક્ટરને
મળી રજૂઆત કરી શકે છે.
અરવલ્લી
વાસી જિલ્લામાં હોય કે દુનિયાના કોઇપણ છેડે જયારે તે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેમને
મુશ્કેલીમાંથી ઉગારવા પ્રશસ્તિજી આકાશ પાતાળ એક કરી દે છે. કેદાર અને કાશ્મીરમાં જયારે અરવલ્લીના પ્રવાસીઓ યાત્રા
દરમિયન ફસાઈ ગયા ત્યારે જિલ્લા કલેકટર પ્રશસ્તિજીએ જ તેમના બેચમેટને ફોન કરી
યાત્રીઓ માટે બધી વ્યવસ્થા ગોઠવી આપી હતી. યાત્રીઓ માટે આ બનાવ કોઈ ચમત્કારથી કમ
નહતો. તાજેતરમાં ચાલી રહેલા યુદ્ધમાં મોડાસા પાસેના એક ગામનો પરિવાર બેહરીનમાં ફસાઈ
ગયો અને અહીં વતનમાં બધાંના જીવ તાળવે ચોંટયા
હતા. પ્રશસ્તિજીને આ બાબતની જાણ થતાં જ બહેરીનમાં ફોરેન સર્વિસમાં ફરજ બજાવતા અધિકારી સાથે વાત કરી પરિવારને
ચિંતા મુક્ત કરી દીધો હતો. સિવિલ સર્વિસીઝની
આ સ્ટ્રેન્થ છે.
ભારતના
યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એ 'ફિટ ઇન્ડિયા' આંદોલન દ્વારા સ્વાસ્થ્ય ભારતનું આહવાન
કર્યું. વડાપ્રધાન શ્રીના ફિટ ઈન્ડિયાના આરોગ્ય મંત્રને પ્રશસ્તિજી Sunday
on Cycle અભિયાન દ્વારા ચરિતાર્થ કર્યો. સામાન્ય રીતે રવિવાર એટલે
રજાનો દિવસ! નિરાંતે ઉઠવાનો દિવસ પણ રવિવારની વહેલી સવારે અરવલ્લી વાસીઓ સાયકલ
લઈને નીકળી પડે છે. જેમાં ઉદ્યોગપતિ પણ હોય, બિલ્ડર પણ હોય,
દુકાનદાર હોય, નોકરિયાત પણ હોય, અને લારી ગલ્લા વાળા પણ હોય! ગૃહિણી મહિલાઓ પણ સ્વયંભૂ જોડાઈ. અને
પ્રત્યેક રવિવારે સાયકલ લઈને આ બધામાં સૌથી આગળ હોય અરાવલી જિલ્લા કલેક્ટર
પ્રશસ્તિ પારીકજી ! "Sunday on Cycle" જિલ્લામાં
જાણે એક આંદોલન બની ગયું છે.
પ્રશસ્તિજી
ગુણવત્તાલક્ષી શિક્ષણનાં હિમાયતી છે. એમાંય કોઈ કન્યા શિક્ષણથી વંચિત ન રહે અને
ગામડામાં વસતી દીકરીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી 'Coffee
with Collector ' ની શરૂઆત કરી. જે અંતર્ગત જિલ્લાની બાલિકાઓને
કલેક્ટર ઓફિસ આમંત્રિત કરી તેમની સાથે કોફી પીતાં-પીતાં ખુલ્લા મને સંવાદ કરવામાં
આવે છે. દીકરીઓના સપનાઓને એક નવી ઉડાન આપવા પ્રશસ્તિજી સતત પ્રયત્નશીલ રહે છે.
પ્રશસ્તિજી
પોતે સાધારણ માધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતાં હોવાથી મધ્યમવર્ગની પીડા સુપેરે સમજી
શકે છે. જિલ્લા સેવા સદનમાં ફરજ બજાવતા નાનામાં નાના કર્મચારીના પરિવારની ચિંતા
કરી વર્ગ ચારના તમામ કર્મચારીઓને પોસ્ટલ વીમા કવચ પૂરું પાડવાનું માનવીય કાર્ય
કરવામાં પ્રશસ્તિજી આનંદ અનુભવે છે. આ વીમા કવચની પ્રીમિયમની રકમના ફાળામાં સૌથી
પહેલી રકમ પોતાના ખિસ્સામાંથી મૂકી હૃદયમાં ધબકતી સંવેદનાનાં દર્શન કરાવ્યાં!
પ્રશસ્તિજીના પિતાજીની એક તીવ્ર ઝંખના હતી કે પ્રતિભાવંત દીકરીનું દેશના વડાપ્રધાન શ્રી, રાજ્યના રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન પામી હતી પરંતુ દેશના મહામહિમ રાષ્ટ્રપતિજીના હસ્તે પણ ક્યારેક સન્માનિત થાય ! અને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. ગત વર્ષે દિલ્હી ખાતે ‘ભૂમિ સન્માન’ અંતર્ગત પ્રશસ્તિજીના નેતૃત્ત્વમાં અરવલ્લી જિલ્લાએ કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિજીના હસ્તે સન્માન સ્વીકારતી વેળાએ પ્રશસ્તિજીના કાનમાં પિતાજીના શબ્દો પડઘાતા રહ્યા. “બેટા ! એક દિવસ દેશના રાષ્ટ્રપતિ પણ તારું સન્માન કરશે.” આ એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. પિતાજીના હૃદયની ભાવનાને શબ્દો દીકરીએ પુનઃ સાર્થક કરી બતાવી.. પરંતુ વિધિની વક્રતાએ કરુણતા એ હતી કે આ અનુપમ દૃશ્ય નિહાળવા પિતાજી હયાત ન હતા. એટલે જ હૈયામાં અકબંધ સચવાયેલી પિતાજીની સ્મૃતિ અશ્રુ બની આંખમાં છલકાઈ આવી. પિતાજી ભલે સદેહે આ રળિયામણું દૃશ્ય નિહાળી શક્ય નહિ પણ અંતરીક્ષમાંથી દીકરી પર આશીર્વાદ વરસાવતા હશે.
પ્રશસ્તિજી
પોતાને મળેલા સન્માનનો તમામ શ્રેય તેઓ તેમની સમગ્ર ટીમ આપી પોતે નિર્લેપ રહે છે. જમણા
હાથે કરેલા સદ્કાર્યની જાણ તેઓ ડાબા હાથને પણ થવા દેતાં નથી. પ્રસિદ્ધિથી દૂર રહી
જમીન સાથે જોડાઈ રહેવામાં જ તેઓ અનેરો
આનંદ અનુભવે છે. હોમ ટાઉન જયપુર તેમનું પ્રિય શહેર છે. નવરાશની પળો પરિવાર અને પ્રકૃતિ સાથે વિતાવવી તેમને અત્યંત પસંદ છે.
અરવલ્લી જિલ્લામાં છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન પ્રશસ્તિજીએ કલેક્ટર તરીકે માનવીય અભિગમ સાથે કરેલાં કાર્યો થકી પ્રજા હૃદયમાં સ્થાન પામ્યાં છે. અરવલ્લી જિલ્લો સાચે જ સદભાગી છે કે આવાં પ્રતિબદ્ધ અને લાગણીભીનાં હોનહાર કલેકટર મળ્યાં છે. ફરજના ભાગરૂપે પ્રશસ્તિજી ભલે બદલીથી બીજે સ્થાને જાય પરંતુ અરવલ્લીના હૃદયમાં તેમનું સ્થાન ચિરકાળ સુધી યથાવત રહેશ. (સંપૂર્ણ )
