ઊર્મિલાબેન પટેલ જેવાં સનિષ્ઠ શિક્ષિકા આપણને યાદ અપાવે છે કે કુમળા
બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.
શિક્ષણ
જગતમાં એક બહુ જાણીતું વાક્ય છે: "એક સારો શિક્ષક એ નથી જે માત્ર પ્રશ્નોના
જવાબો આપે,
પણ એ છે જે બાળકના મનમાં પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા જગાવે." આવી
જ આગવી શૈલીથી વર્ગને સ્વર્ગમાં પરિવર્તિત કરતાં ઊર્મિલાબેન પટેલ અરવલ્લી જિલ્લાની
પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષિકા તરીકે ફરજનિષ્ઠ છે. ધોરણ ૩ થી ૫
નાં ભૂલકાંઓ માટે ગણિત જેવા અઘરા વિષયને રમત રમાડતા શીખવવાની તેમની કુનેહ શિક્ષણ
જગત માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
ઉર્મિલાબેન તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન પોતે
એક તેજસ્વી વિદ્યાર્થીની રહ્યાં છે. લીંભોઇ અને મેઢાસણ હાઈસ્કૂલમાં માધ્યમિક અને
ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ કર્યો. સમગ્ર કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવીને તેજસ્વી
પ્રતિભાનાં દર્શન કરાવ્યાં. ઊર્મિલાબેને પોતાની આગામી શૈક્ષણિક સફરની શરૂઆત અનેરા
ખાતેથી પી.ટી.સી. (P.T.C.) કોલેજથી કરી. હડિયોલ, ગઢોડા અને
આકોદરાના ત્રિભેટે આવેલી તપોવન સમી કોલેજે ઉત્તમ શિક્ષકત્વનું ઘડતર કર્યું. ગાંધી
રંગે રંગાયેલાં સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલના સાનિધ્યમાં વ્યક્તિત્ત્વને સંસ્કારિતા સાથે શિક્ષિત અને દીક્ષિત કરવાની સુંદર તક સાંપડી.
પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે ૧ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ પ્રાથમિક શિક્ષિકા તરીકે જોડાયાં. નોકરીની શરૂઆતથી
જ તેમના મનમાં એક સ્પષ્ટ વિઝન હતું: ‘શિક્ષણ ક્યારેય બોજ ન બનવું જોઈએ.’ નોકરીમાં
જોડાયાના પ્રથમ દિવસથી જ તેમણે શિક્ષણને માત્ર એક આજીવિકાનું સાધન ન માનતા, જીવનનું ધ્યેય બનાવી લીધું. પી. ટી. સી. દરમિયાન મેળવેલી પ્રાયોગિક
તાલીમને તેમણે પોતાના વર્ગખંડમાં ખૂબ જ સુંદર રીતે ઉતારી છે. ભણાવવાની તેમની આગવી
શૈલી અને પ્રેમાળ સ્વભાવને પરિણામે જ્યાં
જ્યાં તેમણે સેવાઓ આપી ત્યાં ત્યાં તેઓ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકા બની રહ્યાં. અને
આખરે ૨૮ મી ઓગષ્ટ ૨૦૧૨ ના રોજ આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવી દીધી. જ્યારે
તેઓ આકરુંદ પ્રાથમિક શાળામાં જોડાયાં, ત્યારે તેમણે પોતાની
સાથે માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પણ પ્રયોગશીલતાનો એક આખો
નવો અભિગમ લાવ્યા.
સામાન્ય
રીતે પ્રાથમિક શાળાના બાળકો માટે ગણિત એટલે ભય, કંટાળો અને માત્ર
આંકડાઓની માથાકૂટ. પરંતુ ઊર્મિલાબેનના વર્ગખંડમાં દ્રશ્ય તદ્દન અલગ હોય છે. તેઓ
ધોરણ ૩ થી ૫ ના કોમળ વયના બાળકોને ગણિત અને અન્ય વિષયો એવી રસપ્રદ કુનેહથી ભણાવે
છે કે બાળકો ગણિતના તાસની આતુરતાથી રાહ જુએ છે. તેમની આ શિક્ષણ કળા ખરેખર
કાબિલ-એ-દાદ છે. ઊર્મિલાબેનનું દ્રઢપણે માનવું છે કે જ્ઞાન ક્યારેય ચાર દીવાલોની
વચ્ચે કે કાળા પાટિયા (બ્લેકબોર્ડ) પર કેદ રહી શકતું નથી. તેથી જ તેમણે ગણિત જેવા
વિષયને વર્ગખંડ પૂરતો સિમિત રાખ્યો નથી. તેઓ બાળકોને ખુલ્લા આકાશ નીચે, કુદરતના સાનિધ્યમાં લઈ જાય છે. ઝાડનાં પાંદડા, નાના પથ્થરો,
લાકડીઓ અને મેદાનની માટી તેમના માટે ગણિતના સાધનો બની જાય છે. આ
પ્રાયોગિક અનુભવને કારણે બાળકો ગોખણપટ્ટી વિના આજીવન ગણિતના સિદ્ધાંતો યાદ રાખી
શકે છે.
પુસ્તકીય
જ્ઞાન બાળકને માત્ર પાસ કરી શકે, પણ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular
activities) તેને જીવન જીવતા શીખવે છે. આ જ કારણે તેઓ શાળાની દરેક
પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે છે: એ CA ના તાસનું આયોજન હોય કે આનંદદાયી શનિવારની
વિવિધ પ્રવૃત્તિઓ હોય પ્રાર્થના સભાને
રસપ્રદ બનાવવા તેઓ અવિરત પ્રયત્નશીલ રહે છે. બાળક સાથે બાળક બની અભિનય ગીત
કરવામાં, વાર્તા કહેવામાં તેઓ અનહદ આનંદ અનુભવે છે.
રાષ્ટ્રીય
પર્વો હોય કે શાળાનો એન્યુઅલ ડે—ઊર્મિલાબેન બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે
તૈયાર કરવામાં જરા પણ કચાસ છોડતા નથી. ડાન્સ, નાટક કે વક્તૃત્વ
હોય, ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સ્ટેજ પર પ્રોફેશનલ
કલાકારોની જેમ આત્મવિશ્વાસથી પર્ફોર્મ કરે છે.
ઊર્મિલાબેને આજના ડિજિટલ યુગનો શ્રેષ્ઠ ઉપયોગ
કર્યો છે. તેમણે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વાલીઓ સાથે એક જીવંત અને પારદર્શક
સંપર્ક સેતુ ઊભો કર્યો છે. વર્ગખંડમાં
બાળકો રોજ શું પ્રવૃત્તિ કરે છે તેના ફોટા અને વિડીયો વાલીઓ સુધી પહોંચે છે. દરેક
વાલીને તેના ફોનમાં જ તેમના સંતાનનું ગૃહકાર્ય નિયમિત મળી જાય છે. કયું બાળક
શાળામાં હાજર છે અને કયું બાળક ગેરહાજર છે તની જાણ પણ વાલીને ૧૧ વાગ્યા પહેલાં થઇ
જાય છે. બાળકનો દૈનિક પ્રોગ્રેસ રીપોર્ટ
વાલીઓ સાથે શેર થાય છે. આ ડિજિટલ કનેક્ટને લીધે ગામના વાલીઓનો સરકારી શાળા પરનો
ભરોસો અનેક ગણો વધી ગયો છે.
તેમની
પ્રતિભા માત્ર શાળા પૂરતી સીમિત ન રહેતા તાલુકા અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે
સાહિત્ય નિર્માણના કાર્યમાં પણ તેઓ સક્રિય છે. કોઈપણ ટેક્નિક
કે પદ્ધતિ ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી તેમાં પ્રેમ ન ભળે. ઊર્મિલાબેનની
સૌથી મોટી તાકાત તેમની અપ્રતિમ વિદ્યાર્થી પ્રીતિ અને કર્તવ્યનિષ્ઠા છે. તેઓ
ભણવામાં નબળા કે અંતર્મુખી બાળકોને ખાસ સમય આપીને, વહાલથી
આગળ લાવે છે. તેમની આ મમતા સભર શૈલીને કારણે જ બાળકો તેમને માત્ર એક શિક્ષિકા
તરીકે નહીં, પણ પોતાની ‘બીજી માતા’ તરીકે જુએ છે.
વિદ્યાર્થીઓ
શિક્ષકના આચરણથી જ ઘડાતાં હોય છે. વર્ગ કે ઓફીસની સ્વચ્છતાની વાત આવે ત્યારે
ઉર્મિલાબેન ઝાડું કે પોતું પોતાના હાથમાં લેવામાં જરા પણ નાનમ અનુભવતાં નથી. તેમના
મન શાળા એક મદિર છે અને શાળામાં કરેલું કોઇપણ કર્મ એ પૂજા છે.
પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાનાં ઊર્મિલાબેન પટેલ જેવાં સંનિષ્ઠ શિક્ષિકા આપણને યાદ અપાવે છે કે કુમળા બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.
-
ઈશ્વર પ્રજાપતિ
98251 42620
વર્ગને જેમણે સ્વર્ગ બનાવ્યો આકરૂન્દ શાળાના સનિષ્ઠ શિક્ષકોની શિક્ષણ યાત્રા
૧. વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ
૨. સમર્પણ, સાધના અને શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક: આકરુંદ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક નિમેષભાઈ પટેલ
૩. ગણિત-વિજ્ઞાનના પર્યાય અને વિદ્યાર્થીઓના પ્રેરણામૂર્તિ: શ્રી ભવદીપભાઈ પટેલ
૪. શિક્ષણ જગતમાં અજવાળા પાથરવા અવિરત ઝળહળતો એક ચિરાગ : ચિરાગભાઈ પટેલ


