name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Thursday, February 26, 2026

જન્મ દિન વિશેષ


જન્મદિન વિશેષ

જેમના  નામ માત્રથી  ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે અને સામાન્ય જનતા સલામતીની હૂંફ અનુભવે  છે. વાત અરવલ્લીના હોનહાર SP મનોહરસિંહ જાડેજા સાહેબની !

      મનોહરસિંહ જાડેજા.
     આ નામ હવે કોઈ પરિચયનું મહોતાજ નથી. સૌરાષ્ટ્રના સાવ છેવાડાના ખોબા જેવડા ગામમાંથી એક ખેડૂત પરિવારમાં જન્મીને IPS સુધીની તેમની જીવનયાત્રા કોઈ રોમાંચક ફિલ્મી કથાથી જરા પણ ઊતરતી નથી.  તડકો - છાયો, સંઘર્ષો - પડકારોની વચ્ચે એવા કસાયેલ અને મઘમઘતું વ્યક્તિત્વ નિખાર પામ્યું કે ફરજનિષ્ઠાની સૌરભ રાજ્ય અને દેશની સીમાઓ ઓળંગી દેશ-વિદેશમાં પ્રસરી રહી છે.
     જામનગર જીલ્લાના ધ્રોલ પાસે આવેલું પંખીના માળા જેવું ગામ જાંબુડા તેમનું વતન ! ગૂગલ મેપમાં જાંબીડા ગામને શોધવા બેસો તો ગૂગલ પણ ગોથે ચડે તો નવાઈ નહીં.  દાદા માધવસિંહ બાપુ અને પિતા નટુભા બાપુનો શિક્ષણ પ્રેમ, જ્ઞાન, ભક્તિ અને  અનુશાસિત સંયમિત જીવનનો વારસો ગળથૂથીમાંથી જ પ્રાપ્ત થયો. દાદા માધવસિંહ બાપુ ખૂબ મોટા જમીનદાર હતા એમ છતાં તેમના  દીકરાઓને ખેતી કામ માં જોતરવાને બદલે એ જમાનામાં ઉચ્ચ શિક્ષણ આપી સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નટુભા બાપુ એ પણ પિતાના પગલે સંતાનોને શ્રેષ્ઠત્તમ કેળવણી આપવાનો નિર્ધાર કર્યો હતો. મનોહરસિંહજીનું પ્રાથમિક શિક્ષણ તેમના વતનમાં જ લીધું.
       એ સમયે પિતા નટુભા બાપુએ  PSI ની પરીક્ષા પણ પાસ કરી લીધી. પરિવાર માં આનંદ છવાયો પરંતુ એ ઝાઝુ ટક્યો નહીં. કુદરતની અકળ લીલાને કોણ પામ્યું શક્યું છે ! એ દરમિયાન પરિવાર પર જાણે આફતનું  આભ ફાટ્યું ! ૧૮ ડિસેમ્બર ૧૯૭૯ એ દિવસ હતો.  પિતા નટુભા બાપુ  છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. એ જ સમયે માર્ગમાં ગમખ્વાર અકસ્માત સરજાયો. મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાઈ ગયો. છકડામાં સવાર મુસાફરો ગંભીર રીતે ગવાયા. એમાં નટુભા બાપુ ખુબ ગંભીર ઈજાઓ થઇ.  ઈજાઓ એટલી ગંભીર હતી કે જાણે મોત હાથ તાળી આપી પાછું ચાલી ગયું ! માતાપિતાના પુણ્યપ્રતાપે અને કુળદેવીની કૃપાથી તેઓ બચી તો ગયા. પરંતુ બંને પગમાં ભયંકર ફ્રેકચર હતાં. તેમના શરીર પર જુદાં જુદાં નવ જેટલાં જટિલ ઓપરેશન થયાં. શારીરિક પીડા પારાવાર હતી. પણ તેમનું મન મેરુ જેવું મક્કમ હતું. અઢી વર્ષ જેટલા લાંબા સમય સુધી તેઓ સંપૂર્ણ પથારીવશ રહ્યા. પરિવાર માટે આ સમયગાળો ઘણો કપરો હતો. સદનસીબે સાત ભાઈઓ વચ્ચેનો સંપ ગજબનો હતો. બધા  સંયુક્ત પરિવારમાં જ  રહેતા હતા એટલે જીવન નિર્વાહ કે સેવા સુશ્રુસાની ચિંતા નહીવત હતી. જીવનની ખુબ મોટી ઘાત આવીને ચાલી ગઈ.પરંતુ અકસ્માતને કારણે PSI ની પરીક્ષા પાસ કરી હોવા છતાં પોલીસની નોકરીમાં જોડાઈ શક્યા નહી.
    પિતાજીના અકસ્માત થતાં મનોહરસિંહજી વધુ અભ્યાસ માટે તેમના મોટા બાપુજીના ત્યાં જામનગર ગયા. તેમના મોટા બાપુજી ખૂબ જાણીતા ડૉક્ટર હતા.  અત્યંત સેવાભાવી ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તેમની નામના ચોતરફ  પ્રસરેલી હતી. મનોહર સિંહજીએ મોટા બાપુજીની જેમ ડૉક્ટર બની સમાજ સેવા કરવાનું સપનુ આંખે આંજી લીધું. એટલે વિજ્ઞાન પ્રવાહ સાથે અગિયાર - બારના અભ્યાસ માટે ગાંધીનગર ભણી વાટ પકડી. મહેનત તો ખૂબ કરી પણ મનોહર સિંહ જી ડોક્ટર બને એ નિયતિને મંજૂર નહોતું. બારમા ધોરણમાં મેડિકલમાં પ્રવેશ માટે જોઈએ તેટલા  માર્ક્સ ન આવતાં  નાની આંખે જોયેલું વિરાટ સપનુ જાણે નંદવાઈ ગયું.
     કુદરતની લીલા નિરાળી છે તે એક દ્વાર બંધ કરે છે તો બીજા હજાર દ્વાર ખોલી આપે છે. પણ આપણે  પેલા બંધ દ્વાર પર જ મીટને બેસી રહી ભાગ્યને કોસ્યા કરીએ છીએ અને બાકીના નવસો નવ્વાણું ખુલ્લા દ્વારા જોઈ જ શકતા નથી.  પણ મનોહર સિંહ જી એટલે  નોખી માટીમાંથી નિર્માણ થયેલી વ્યકિત!  નિરાશા ખંખેરી તરત ઊભા થયા. અને  દૃઢ નિશ્ચય કર્યો કે જીવનમાં બનવું તો ક્લાસ ૧-૨ વર્ગના મોટા અધિકારી જ બનવું. એથી નીચું કાંઈ ન ખપે ! કોલેજ શરૂ કરી સાથે સાથે બીજી પરીક્ષાઓની તૈયારી પણ કરતા રહ્યા. કોલેજ પૂરી થતાં ઘરની પરિસ્થિતી પામી નોકરી કરવી આવશ્યક હતી એટલે LIC માં D.O. ની પરીક્ષા પાસ કરી નોકરીમાં જોડાઈ ગયા. પણ હૃદયમાં ક્લાસ ૧-૨ વર્ગ ની નોકરી માટે ની ચિનગારી પ્રજ્વલિત હતી. આણંદ રહી નોકરી સાથે GPSC ની તૈયારી માટે તનતોડ પરિશ્રમ કરતા. નોકરી માટે બસ માં આવન જાવન દરમિયાન પણ તેમના હાથમાં પુસ્તક ફરજિયાત રહેતું. દર શનિ રવિ આણંદ થી અમદાવાદ જઈ  નિયમિત કોચિંગ ક્લાસ એટેન્ડ કરતા. ખૂબ  મહેનત કરી મહેનત GPSC ની પરીક્ષા આપી. આપ આ શું?  GPSC  ક્લાસ ૧-૨ ની પરીક્ષામાં નિષ્ફળતા હાથ લાગી.
    પડવું એ નિષ્ફળતા નથી પરંતુ પડીને ફરી ઊભા ન થવું એ નિષ્ફળતા છે.  આમ પણ શાંત દરિયો સફળ ખલાસી પેદા નથી કરતો.  કુદરત મનોહરસિંહજીની બરાબર કસોટી કરવાના મૂડમાં હતી. તો બીજી બાજુ મનોહરસિંહજી પણ કસોટી સામે બાથ ભીડવા મન મક્કમ કરી લીધું હતું. હૃદયમાં પ્રજ્વલિત ચિનગારી હવે આગમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. ફરી બમણા વેગે GPSC ની તૈયારીમાં મચી પડ્યા.
     જીવનપથ પર પોતાના સપનાં સાકાર કરવા ખૂંપી જનારા, નિષ્ફળતા, દુઃખ, દર્દો પીડાને ઓગાળી પી જનારા મસ્તાના મુસાફરોને  પામવાનો ઇન્તજાર તો ખૂદ મંઝિલને પણ હોય છે. આખરે GPSC ની પરીક્ષા લેવાઈ અને એનું પરિણામ જાહેર થયું. અને આ વખતે ગુજરાત  ટોપર હતા મનોહરસિંહજી જાડેજા  ! Dy SP તરીકે તેમનું સિલેક્શન થયું.
     ક્લાસ ૧-૨ નું સપનુ સાકાર થયું. પણ આટલેથી કાંઈ આ માણસ ઝંપીને થોડા બેસવના હતા ! જ્યાં પણ તેમનું પોસ્ટિંગ થયું ત્યાં પોતાની કર્તવ્યનિષ્ઠાના દર્શન કરાવ્યા.  સામન્ય જનતા માટે તેમના કાર્યાલયના દરવાજા હંમેશા માટે ખુલ્લા રાખ્યા. ગુંડા તત્વો ભયભીત બની બખોલમાં સંતાઈ ગયા તો બખોલમાંથી કાઢીને પણ કાયદાનું ભાન કરાવ્યું. તેમની કાર્યપ્રણાલીથી મનોહર સિંહજી  પ્રજાપ્રિય અધિકારી બની રહ્યા. એ દાહોદ હોય, રાજપીપળા હોય કે પાલનપુર હોય !
     રાજકોટમાં ACP તરીકે તેમણે કરેલી સરાહનીય કામગીરીને વર્ષો પછી પણ પ્રજાજનો આદર સાથે યાદ કરે છે. તેઓ હંમેશા સત્ય અને ન્યાયના પક્ષધર રહી કાર્ય ભારત રહ્યા.  સમયની સાથે તેમણે IPS નું પ્રમોશન મળ્યું. અન્યાય સામેના તેમના કડક વલણને જોતાં રાજકીય વગ વાળા માણસો પણ મનોહરજસિંહજીને ખોટી ભલામણ કરતા પહેલાં લાખ વાર વિચાર કરે. એક  કાબેલ  અને હોનહાર અધિકારી તરીકેની નામના વિસ્તરતી રહી.
      ગીર સોમનાથમાં SP તરીકેના કાર્યકાળમાં પણ અનેક પડકારો આવ્યા. જ્યારે સોમનાથ મંદિર ની આજુ બાજુ નાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી આરંભાઈ ત્યારે માત્ર ગુજરાત કે ભારત નહી પરંતુ સમસ્ત વિશ્વની નજર આ કાર્યવાહી પર મંડાઈ હતી. સૌને એ ભીતિ હતી કે આ ગેરકાયદેસર દબાણો હટાવવા થી કદાચ તોફાનો ફાટી નીકળશે ! પણ જિલ્લાના પોલીસ વડા તરીકે મનોહરસિંહજીએ  કુનેહથી  અને જરૂર પડી ત્યાં કડકાઈથી એવી રીતે કામ હાથ પર લીધું કે ત્યાં એક કાંકરી ચાળો પણ કોઈ કરી ન શક્યું. અને ઈતિહાસમાં પહેલી વખત સોમનાથ મંદિર પાસેની સો એકડ કરતાં વધુ જમીન ખુલ્લી કરાવી દીધી. રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રીય મીડિયા જગતે પણ આ કામગીરીની નોંધ લઈ ભરપૂર પ્રશંસા કરી.
આ તો એક દ્રષ્ટાંત માત્ર છે. આ સિવાય પણ મનોહરસિંહજી એ અનેક જટિલ કેસ ઉકેલી ગુન્હેગારો ને પાતાળમાંથી પણ શોધી દબોચી લીધા છે.
      હાલ તેઓ અરવલ્લી જિલ્લાના SP તરીકે ફરજનિષ્ઠ છે.  તેઓ એક હોનહાર પોલીસ ઓફિસર તો છે જ પરંતુ સાથે સાથે એક મળવા જેવા માયાળુ મનાવી પણ છે ! સફળતા શિખરો સર કર્યા પછી પણ પગ જમીન સાથે જોડી રાખ્યા છે.
      એક પોલીસ અધિકારી હોવા છતાં તેમના હૃદયમાં સેવા, સદભાવના અને સંવેદનશીલતા ધબકે છે. એટલે જ તેઓ દિવાળી જેવા તહેવારો અંતરિયાળ વિસ્તારના ગરીબ બાળકો વચ્ચે જઈ ઉજવે છે. બાળકો ને મીઠાઈ, કપડાં ફટાકડા ભેટ આપી એક અંધકાર ભર્યા જીવનમાં સાચા અર્થમાં પ્રકાશ પાથરવાનું કામ તેઓ કોઈ જ જાતની પ્રસિદ્ધિ વગર ચુપચાપ કરતા રહે છે. જમણા હાથે કરેલા સત્કાર્યની જાણ  તેઓ ડાબા હાથને પણ થવા દેતા નથી.
     જિલ્લાના પોલીસ વડા હોવા છતાં તેમના સ્વભાવની સાદગી, સરળતા અને વિનમ્રતા હૃદયને સ્પર્શી છે. ફરજ નિષ્ઠાનું ઝનૂન તેમની પાણીદાર આંખોમાં સ્પષ્ટ વાંચી શકાય છે. ઓછા સમયમાં તેમણે જિલ્લામાં મિશન મોડમાં કડક કાર્યવાહી હાથ ધરી છે એ જોતાં પ્રજાજનોમાં એક એક નવી આશા બંધાઈ છે. Zero tolerance થી કામગરી  કરીને બૂટલેગરો ને ડ્રગ્સ માફિયાઓની કમર તોડી નાખી છે. તેમના નામ માત્રથી  ગુનેગારો થરથર ધ્રુજવા લાગ્યા છે અને સામાન્ય જનતા સલામતીની હૂંફ અનુભવી રહી છે.
    અરવલ્લી જિલ્લો સાચે જ ભાગ્યશાળી છે કે મનોહરસિંહ જાડેજા સાહેબ જેવા બાહોશ અને કર્તવ્યનિષ્ઠ પોલીસ અધિકારી પ્રાપ્ત થયા. 
 અકસ્માતના કારણે વર્ષો પહેલા પિતા નટુભા બાપુ પીસો ની પરીક્ષા પાસ કરી હોવા છતાં પોલીસમાં જઈ શક્યા નહતા. વર્ષો પછી તેમના જ દીકરા જિલ્લાના પોલીસ વડા બની પિતાના અધૂરા અરમાન પૂરા કરે એનાથી રૂડી બાબત પિતા માટે બીજી શું હોઈ શકે ।
 
      હું ખાતરી પૂર્વક કહી શકું છું કે અરવલ્લી જિલ્લાના આગામી વર્ષો સુરક્ષા, સલામતી અને શાંતિ માટે સીમાચિહ્ન રૂપ સાબિત થશે.
આજે મનોહરસિંહ જીનો જન્મ દિવસ છે ત્યારે અરવલ્લીની અટારીએથી શામળિયાના આશીર્વાદ સદા માટે સાહેબ પર વરસતા રહે અને વધુ ઉત્કૃષ્ટ કામગીરી માટે કાળિયો ઠાકર સાહેબને બળ પૂરું પાડે એ જ પ્રાર્થના.

- ઈશ્વર પ્રજાપતિ
98251 42620