“આશરા ધર્મ”ના રક્ષણ કાજે જામનગરના વીર ક્ષત્રિયોએ અકબરના ૮૦ હજારના વિશાળ સૈન્ય સામે વીરતાપૂર્વક લડી પ્રાણની આહુતિ આપી.
ગુજરાતની સોરઠ ભૂમિની તાસીર નોંખી છે. શૂરવીરતા,
દાતારી અને ખુમારીની અનેક વણઆલેખાયેલી બેજોડ શૌર્ય ગાથાઓ આ ખમીરવંતી ભૂમિના
ઇતિહાસના પેટાળમાં ધરબાયેલી પડી છે. કમનસીબે કેટલીક ઘટનાઓની આછીપાતળી નોંધ ક્યાંક
લેવાઈ તો કેટલીક ઘટનાઓ માત્ર ઈતિહાસ બનીને રહી જ રહી ગઈ. 'સૌરાષ્ટ્રના
પાણીપત' યુદ્ધ તરીકે ઓળખવામાં આવતા ભૂચરમોરી યુદ્ધની વીરતાભરી
ગાથા આવી જ એક શૌર્ય ગાથા છે.
જુલાઈ ૧૫૯૧ (વિક્રમ
સંવત ૧૬૪૮, શ્રાવણ વદ સાતમ)ની આ વાત છે. મોઘલ સલ્તનતનો સૂર્ય મધ્યાહને તપતો હતો. અમદાવાદનો સૂબો મુઝફ્ફર શાહ ત્રીજો મુઘલ સમ્રાટ અકબરની કેદમાંથી
નાસી છૂટ્યા હતા. તેણે જૂનાગઢના રાજા પાસે આશરો માંગ્યો પરંતુ મોઘલોના
ડર એટલો વ્યાપેલો હતો કે જૂનાગઢના રાજાની આશરો આપવાની હિંમત ચાલી નહિ. એ પછી સૌરાષ્ટ્રના અનેક રાજાઓ પાસે મદદ માંગી, પરંતુ મુઘલોના ડરથી કોઈએ આશરો ન આપ્યો. અંતે મુઝફ્ફર શાહ ત્રીજો નવાનગર (જામનગર)ના
ઉદાર દિલ શાસક જામ સતાજીના દ્વારે આવી આશરો માંગ્યો. જામ સતાજી પોતાના 'આશરા ધર્મ'નું પાલન કરીને મુઝફ્ફર શાહને શરણ આપી.
અકબરને આ વાતની
જાણ થતાં તે સમસમી ઉઠ્યો. મોઘલ સલ્તનતમાંથી ભાગી છુટેલા કેદીને પાછો સોંપી દેવા અકબરે ફરમાન કર્યું.
પરંતુ જામ સતાજી સ્પષ્ટ સંદેશો મોકલી
આપ્યો કે શરણે આવેલ શત્રુ હોય તો પણ તેનું રક્ષણ કરી, આશરો આપવો એ તો ક્ષત્રીય
ધર્મ છે. જામ સતાજીએ મુઝફ્ફર શાહને મુઘલોને સોંપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. “આશારા
ધર્મ” ખાતર જામ સતાજીએ અકબરની મોગલ સલ્તનત
સામે દુશ્મની વહોરી લીધી.
જામ સતાજીએ આપેલા કડક સંદેશથી સમસમી ઉઠેલા અકબરે તેના લશ્કરી
સુબા મિર્ઝા અઝીઝ કોકાને ૮૦ હજારની ફૌજના વિશાળ સૈન્ય સાથે જામનગર પર ચડાઈ કરવા
મોકલ્યો. જામ સતાજીને આ વાતની જાણ થઈ. વિશાળ મોઘલ સૈન્ય સામે બહાદૂરીપૂર્વક લડી લેવા જામ સતાજીએ પણ દૃઢ નિર્ધાર કર્યો. મોઘલ સૈન્યને સબક શીખાડવા જામનગરથી ચાલીસ
કિલોમીટર સામે ચાલી ધ્રોલ પાસેના ભૂચરમોરીના મેદાન સુધી જામનગર સૈન્ય દોડી આવ્યું.
એક બાજુ મોઘલોનું વિશાળ લશ્કર અને બીજી બાજુ જામનગર રજવાડાના ભાયાત વીર રજપૂતો અને કાઠિયાવાડની
સેના હતી. આ યુદ્ધમાં કાઠિયાવાડની સેનામાં
જૂનાગઢ અને લોધિકાના સૈન્યો પણ જોડાયા હતા.
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક ભૂચરમોરીના ઉચ્ચપ્રદેશ પર આ મહાસંગ્રામ થયો. આ યુદ્ધ ભૂમિ પર સૌરાષ્ટ્રના ઇતિહાસનું સૌથી મોટું અને ભીષણ યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ અંદાજે ૩ મહિના સુધી જુદા જુદા તબક્કે ચાલ્યું હોવાનું મનાય છે.
વીર રજપૂતો અને કાઠીયાવાડી સૈન્યએ પુરા જોમ
સાથે લડી મોઘલ સૈન્યને ધોળા દિવસે તારા બતાવી દીધા. વિશાળ મોઘલ સૈન્ય સામે
રજપૂતોએ શૂરવીરતાથી લડી મોઘલ સૈન્યના મોઢે ફીણ લાવી લીધા. જીત હવે હાથવેંતમાં હતી. પરંતુ
આખરી સમયે જૂનાગઢના નવાબે મોઘલ સૈન્ય સાથે ભળી જઈ વિશ્વાસઘાત કર્યો. યુદ્ધના અંતિમ
ચરણમાં હતું. જામ સતાજીના બહાદુર પુત્ર કુંવર અજાજી પોતાના લગ્નના ચોરીના ફેરા અધૂરા છોડીને, મીંઢોળ બાંધેલા હાથે જ પાંચસો ઘોડેસવારો સાથે રણમેદાનમાં કૂદી પડ્યા.
તેમણે મુઘલ સેનાપતિ મિર્ઝા અઝીઝ કોકા પર
ભીષણ હુમલો કર્યો અને અદભુત વીરતા બતાવતા શહીદ થયા. તેમની સાથે વીરતાપૂર્વક લડી
હજારો રજપૂતો અને અન્ય સૈનિકો શહીદ થયા. કુંવર અજાજીના શહીદ થયાના સમાચાર મળતા જ તેમના
નવોઢા પત્ની રાણીબા પણ તેમની પાછળ સતી થયાં.
આ રણસંગ્રામમાં જામનગર તરફથી લડતા
હજારો રજપૂત અને અન્ય જ્ઞાતિના નવયુવાનોએ ધર્મ કાજે પોતાના પ્રાણની આહુતિ આપી. આ
યુદ્ધ એટલું લોહિયાળ હતું કે લોહીથી ધરતી લાલ થઈ ગઈ હતી.
આ ભીષણ યુદ્ધ
શ્રાવણ વદ સાતમના (શીતળા સાતમ) દિવસે થયું હોવાથી, આ શોક અને બલિદાનની યાદમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાં લગભગ અઢીસો
વર્ષ સુધી લોકોએ શીતળા સાતમનો તહેવાર ઉજવ્યો ન હતો. અઢીસો વર્ષ પછી શીતળા સાતમના
દિવસે જામનગર રાજકૂળમાં કુળદીપકનો જન્મ થયો. એ દિવસે રાજમાતાએ શીતળા સાતમની ઉજવણી કરવાની
શરૂઆત કરાવી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ પણ તેમની
કલમ દ્વારા ભૂચરમોરીના વીરતા ભર્યા ક્ષત્રિયોના ઈતિહાસને આલેખ્યો છે. આજે ધ્રોલ
નજીક જે સ્થળે આ યુદ્ધ ખેલાયું હતું, ત્યાં
શહીદોની સ્મૃતિમાં એક ભવ્ય ભૂચરમોરી શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. આ મેદાનમાં શહીદ થયેલા વીરોની યાદમાં અસંખ્ય
પાળિયાઓ આવેલા છે. અહીં કુંવર અજાજીનો ભવ્ય પાળિયો અને ઘોડા પર સવાર તેમની વિશાળ
પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી અને
હાલના ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૭ માં બે વાર ભૂચરમોરીની
વીરભૂમિની મુલાકાત લઇ ચુક્યા છે. ગુજરાત
સરકાર દ્વારા વન મહોત્સવ અંતર્ગત આ ઐતિહાસિક સ્થળ પર સાહીઠ વીઘાં જેટલા વિશાળ
વિસ્તારમાં 'શહીદ વન' નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વન
શહીદોની વીરતાને હરિયાળી શ્રદ્ધાંજલિ અર્પે છે.
છેલ્લા પાંત્રીસ વર્ષથી દર વર્ષે શ્રાવણ વદ સાતમના દિવસે અહીં શહીદોની યાદમાં એક વિશાળ મેળો ભરાય છે. આ દિવસે ગુજરાતભરમાંથી રાજપૂત સમાજ અને અન્ય લોકો અહીં આવીને વીરોને શ્રદ્ધાંજલિ આપે છે. દર વર્ષે શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા અહીં ભવ્ય શૌર્ય કથા, અશ્વદોડ અને તલવારબાજીના કાર્યક્રમો યોજવામાં આવે છે. વર્ષ ૨૦૨૨માં અહીં ૫,૦૦૦થી વધુ રાજપૂત યુવાનોએ એકસાથે તલવારબાજી કરીને એક અનોખો રેકોર્ડ સર્જ્યો હતો.દર વર્ષની જેમ આ વર્ષે પણ 3 સપ્ટેમબર ૨૦૨૬, શીતળા સાતમના રોજ શહીદ સ્મારક સમિતિ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ડીરેક્ટર ડૉ. જયેન્દ્રસિંહ જાડેજા અને તેમની સમગ્ર ટીમ દ્વારા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભૂચરમોરી એ માત્ર એક યુદ્ધભૂમિ નથી, પરંતુ ગુજરાતની અસ્મિતા, શરણાગત વત્સલતા અને વીરતાનું જીવંત પ્રતીક છે. એક મુસ્લિમ શાસકના રક્ષણ માટે હિન્દુ ક્ષત્રિય રાજા અને સૈનિકોએ વહોરેલી શહીદી એ ભારતીય સંસ્કૃતિના સર્વોચ્ચ 'આશરા ધર્મ' અને બિનસાંપ્રદાયિકતાનું અજોડ ઉદાહરણ પૂરું પાડે છે. આજના યુવાનો માટે ભૂચરમોરીનું શહીદ સ્મારક રાષ્ટ્રપ્રેમ અને બલિદાનની પ્રેરણા આપતું એક અમૂલ્ય તીર્થસ્થળ છે. ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ “આશરા ધર્મનો ઈતિહાસ” નામનું પુસ્તક લખી વિસરાયેલા ઈતિહાસને પુર્જીવિત કર્યો છે.
(માહિતી
સહયોગ : શ્રીમાન નટુભા જાડેજા, જાંબીડા)
-
ઈશ્વર પ્રજપતિ
98251 42620
