લીનાનાં માતા અને તેનાં ત્રણ માસૂમ બાળકો હજુ પણ લીનાની રાહ જોઈ રહ્યાં છે. શું લીના હવે ક્યારેય પાછી આવશે ખરી ?
નદીના
ધસમસતા પ્રવાહની જેમ સમય વહી રહ્યો હતો.
લીના ત્રણ સંતાનોની માતા હતી પરંતુ હજી યુવાન હતી, સુંદર હતી. તેનાં પણ અરમાનો
હતાં. તે કોઈ પુરુષનો સહારો અને સાનિધ્ય ઝંખતી. આ ઉંમરે વિધવા તરીકે એકલવાયું જીવન
જીવવું તેના માટે આકરી કસોટી જેવું બની ગયું. એ દરમિયાન લીના સાવન નામના યુવક સાથે
પરિચયમાં આવી. અને સમય જતાં આ પરિચય પરિણયમાં પરિણમ્યો. પરંતુ વિધિની વક્રતા એ હતી
કે સાવન પણ પરણિત હતો અને તેનાં પણ સંતાનો હતાં. એમ છતાં સાવને લીનાને પોતાની સાથે રાખવા તેની પત્નીને સમજવી દીધી.
લીના
તેનાં સંતાનોને પિયરમાં માતાના ઘરે જ મૂકી કાયમ માટે સાવન સાથે રહેવા ચાલી નીકળી. આ વાતથી
લીનાની માતા અત્યંત દુઃખી થયાં. લીનાને સમજાવવાના ખૂબ પ્રયત્નો કરી જોયા
પરંતુ લીના એકની બે ન થઈ તે ન જ થઈ ! માતાએ પણ પોતાની જીદ છોડી મને-કમને લીનાના
સાવન સાથેના સંબધને અનુમતિ આપી. સાવન, તેની
પત્ની અને લીના એક સાથે રહેવા લાગ્યાં. લીના અવાર-નવાર તેનાં સંતાનોને મળવા તેના
પિતાને ઘરે આવતી જતી રહેતી.
ત્રણેક
વર્ષ તો બધું બરાબર ચાલ્યું. સમય જતાં લીનાને સાવનની પત્ની નડતર રૂપ લાગવા લાગી. અને દિવસે દિવસે ઝગડા પણ વધતા ગયા. છેલ્લા બે-એક મહિના થવા આવ્યા પણ લીના તેના સંતાનોને
મળવા આવી નહિ એટલે તેનાં માતાને ચિંતા થવા લાગી. ફોન પર સંપર્ક કરવા છતાં
સંપર્ક થઈ શક્યો નહિ. આખરે સાવનનો સંપર્ક કર્યો. તો સાવને કહ્યું “મહિના પહેલાં લીના
તમારી પાસે રહેવા આવવાનું કહેતી હતી એટલે તેને તો હું અહિ ઉતારીને ગયો છું. હું પણ
લીનાની રાહ જોઈ રહ્યો છું.”
હવે
ચિંતા ઘેરી બની. આખરે લીના ગઈ ક્યાં ? સગા સંબધીઓના ત્યાં તપાસ કરાવી જોઈ. પણ ક્યાંયથી
લીનાના કોઈ સમાચાર મળ્યા નહિ. માતાનું હૃદય કોઈ અણધારી આફતનો સંકેત આપી રહ્યું
હતું. આખરે,
હિંમત ભેગી કરીને માતાએ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના
પગથિયાં ચડ્યા અને દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી.
અમરેલી
જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે તપાસના ચક્રો ગતિમાન કરવા આદેશ આપ્યા. રાજુલા પોલીસ
ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાએ તપાસનો મોરચો સંભાળ્યો. તેમની ટીમ મધુભાઈ પોપટ,
હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ અને મનુભાઈ લીનાની શોધમાં લાગી ગયા.
પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા ગુનાખોરીના જટિલ કેસ ઉકેલવાના અનુભવી અધિકારી હતા. તેમણે ગુમશુદગીની ડાયરી વાંચી અને તરત જ સમજી ગયા કે આ સામાન્ય ગુમ થવાનો મામલો નથી. ત્રણ સંતાનોની માતા પોતાના બાળકોને મૂકીને આ રીતે અચાનક ગાયબ ન થઈ શકે.પોલીસે પહેલાં સાવનનો ઈતિહાસ તપાસ્યો. સાવન લીના સાથે લિવ-ઈનમાં રહેતો હતો પરંતુ તેની અસલ પત્ની અને પરિવાર પણ હતા. પોલીસની એક ટીમે સાવનને પૂછપરછ માટે બોલાવ્યો. સાવન પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ ભય નહોતો. તેણે ખૂબ જ શાંતિથી કહ્યું, "સાહેબ, અમારે અવારનવાર ઝઘડા થતા હતા. એક રાત્રે તે ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ. મને લાગ્યું કે તે પિતાના ઘરે ગઈ હશે. પણ એ ક્યાં ગઈ, એ મને નથી ખબર."
સાવનનો અવાજ ભલે શાંત હતો, પણ તેની આંગળીઓ સતત ધ્રૂજી રહી હતી. સાવનના બદલાતા નિવેદન અને ભેદી વર્તનથી
પોલીસ શંકા વધુ પ્રબળ બની. અને એ સમય દરમિયાન કોઈ સાથે ઝગડો થતાં ગુસ્સામાં સાવન એવું બબડ્યો હતો કે 'લીના જેવા હાલ કર્યા એવા હાલ તારા પણ કરીશ." સૂત્રો દ્વારા પોલીસને એની જાણ થઇ. એ પછી પોલીસે આગવા
અંદાજમાં પૂછપરછ આદરી. શરૂઆતમાં તો સાવને આનાકાની કરી પરંતુ પોલીસે ચતુરાઈ પૂર્વક
પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં ગૂંચવાઈ ગયો અને આખરે પોતે ભાગી પડ્યો. પોલીસ આગળ સાવન
પોપટની જેમ સત્ય આંકવા લાગ્યો.
સાવને સ્વીકાર્યું કે લીનાને તેની પ્રથમ પત્ની હવે નડતર રૂપ લાગતી હતી. એટલે એનો કાંટો કાયમ માટે કાઢી નાખવા ઝીદ કરતી હતી. હત્યાનું કાવતરું તો રચ્યું હતું સાવનની પહેલી પત્ની માટે જ ! પરંતુ લીનાના ઝગડાથી સાવન ત્રસ્ત થઇ ગયો હતો એટલે સાવને કુહાડીથી લીનાની
હત્યા કરી લાશને નિર્જન વિસ્તારના અવાવરું કુવામાં ફેકી દીધી છે. સાવનની વાત સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસ
સાવનને લઈ અવાવરું કૂવા પાસે પહોંચી. કુવામાંથી પાણી બહાર ખેંચી કાઢ્યું. એક મહિના
કરતાં વધુ સમય કૂવામાં રહેલી લાશ સાવ નાશ પામી હતી. માત્ર હાડપિંજર બચ્યું હતું.
FSL ટીમને બોલાવી નરકંકાલ બહાર કાઢી એક પછી એક શરીરનાં હાડકાં ગોઠવી જોયાં. બધું જ
બરાબર ગોઠવાઈ ગયું પરંતુ ખોપડીનો ભાગ ક્યાંયથી મળ્યો નહિ. ફરી કૂવામાં શોધ ખોળ
આદરી પણ ખોપડીનું હાડકું ક્યાંયથી મળ્યું નથી.
નિષ્ણાતોના મતે ખોપડીનું હાડકું જલ્દી નાશ પામતું નથી અને કોઈ જંગલી પશુ પણ તેને મોઢામાં રાખી વધુ દૂર લઈ જઈ શકતું નથી. તો ખોપડી ગઈ ક્યાં ? પોલીસે કુવાની આસપાસનો વિસ્તાર ફેંદી નાખ્યો. ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ પણ ખોપડીના અવશેષ ક્યાંયથી પ્રાપ્ત થયા નહિ.
પોલીસે સાવનને કસ્ટડીમાં ફરી કડક પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં સાવન તૂટ્યો નહીં, પણ જ્યારે પોલીસે તેને ટેકનિકલ પુરાવા અને કૂવામાંથી મળેલા હાડપિંજરના ફોટા બતાવ્યા ત્યારે તેનો અહંકાર ઓગળી ગયો. સાવન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો અને જે સત્ય બહાર આવ્યું તેણે કાયદાના રક્ષકોના પણ હોશ ઉડાવી દીધા.
સાવને કબૂલાત કરતાં કહ્યું “લીનાની કુહાડીથી હત્યા કરી, વિધિ કરવા માટેનું મસ્તક કાપી વાડીમાં દાટી દીધું હતું.”
બીજા દિવસે સવારે, પોલીસ સાવનને સાથે રાખીને ફરી વાડીએ પહોંચી. સાવને જે જગ્યા બતાવી ત્યાં
ખોદકામ કરવામાં આવ્યું. FSL ની હાજરીમાં જમીનમાંથી લીનાની
ખોપડી મળી આવી. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પોલીસે આ જટિલ અને રહસ્યમય કેસનો
ભેદ ઉકેલી નાખ્યો હતો. ખોપડી અને હાડપિંજરના ડીએનએ (DNA) ટેસ્ટ
માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રીપોર્ટમાં સાબિત થયું કે આ ખોપડી લીનાની જ છે.
પ્રેમના નામે આચરાયેલા આ ક્રૂર ખેલનો અંત
આવ્યો હતો. લીનાના માતા અને તેનાં ત્રણ માસૂમ બાળકો હજુ પણ લીનાની પ્રતીક્ષા કરી રહ્યાં
છે કે લીના ક્યારેક તો પાછી આવશે ! પણ એ પ્રતીક્ષા આજીવન
પ્રતીક્ષા બનીને જ રહી જશે.
અમરેલી
પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે : “દુનિયાના કોઈ માતાપિતા પોતાના સંતાનનું અહિત
વિચારી ન શકે. શારીરિક આકર્ષણ કે ક્ષણિક લાગણીના પ્રવાહમાં તણાઈને કેટલાક સંતાનો પરિવારના વડીલોની સલાહ અવગણીને અવિચાર્યું
પગલું ભરી બેસે છે. ક્યારેક પરિવારની એક વ્યક્તિએ ઉઠાવેલા ખોટા પગલાથી આખા
પરિવારને તેની પારાવાર પીડા આજીવન ભોગવવી
પડે છે.”
(સત્ય ઘટના : નામ પરિવર્તિત)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
