Sunday, September 17, 2023

સન્ડે સ્પેશિયલ

 અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં બિરાજતા શ્રી કંટાળુ હનુમાનજી

    અરવલ્લીની ગિરિકંદરાઓનું નામ પડે એટલે સૌથી પહેલાં શામળિયો સાંભળે ! સૌથી પ્રાચીન આ અરવલ્લીની ગિરિમાળાની ગોદમાં બિરાજી શામળિયો અવિરત આશિષ વરસાવતો રહે છે. વિશ્વ પ્રસિદ્ધ શામળાજી મંદિર અરવલ્લીની શોભા છે. અરવલ્લીમાં આ ઉપરાંત પણ કેટલાક અતિ પ્રાચીન દેવસ્થાનો આવેલાં છે. આહો આવેલા પૌરાણિક દેવાલયોનો બહુ ઓછા લોકોને પરિચય છે. આજે વાત કરાવી છે એવા જ એક અતિ પ્રાચીન એવા સ્વયંભૂ શ્રી કંટાળુ હનુમાનજી  દેવસ્થાનની !

     અરવલ્લી જીલ્લાનો અંતરિયાળ તાલુકો એટલે  મેઘરજ. પહાડો, સારવારો, ઝરણાં અને લીલીછમ વનરાજીનું અનુપમ સૌદર્ય છવાયેલું જોવા મળે. મેઘરજ તાલુકાનું ઇસરી,નવાગામ અને રખાપુર ગામના ત્રિભેટે શ્રી કંટાળુ હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે. શામળાજીથી આશરે બારેક કિલોમીટર દૂર પ્રકૃતિના ખોળે શ્રી કંટાળુ હનુમાનજી બિરાજમાન છે. મંદિરના પરિસરમાં પ્રવેશતા જ અલૌકિક અનુભૂતિ થયા વિના રહેતી નથી. કળીયુગમાં જો કોઈ દેવ હાજરા હાજૂર હોય તો એ હનુમાનજી છે. એનાં પ્રમાણ આજે પણ મળતાં રહે છે. આજે કોઈ એવું ગામ  કે શેરી જોવા નહિ મળે કે જ્યાં નાની મોટી હનુમાનજીની દેરી ન હોય !

      શ્રી કંટાળુ હનુમાનજીની પ્રતિમા જોતાં જ ખ્યાલ આવી જાય કે આ પ્રતિમા કેટલી પૌરાણિક છે ! આસપાસના ગામના વડીલોને વાત કરતાં આ મંદિર વિષે જોડાયેલી પ્રચલિત કથા જાણવા મળે છે. વડીલોના જણાવ્યા અનુસાર આ હનુમાનજીની પ્રતિમા વર્ષો પહેલાં કંટાળુ ગામે બિરાજમાન હતી. ગેડ ગામના એક હનુમાનજીના પરમ ઉપાસક દર્શન કરવા  નિયમિત કંટાળુ ગામે આવતા. હનુમાનજી પર તેઓની અનન્ય આસ્થા હતી. નિયમિત હનુમાનજીનાં દર્શન કરી તેઓ ધન્યતા અનુભવતા. આ નિત્ય ક્રમ વર્ષો સુધી ચાલ્યો. સમય જતાં એ હનુમાનજીના ઉપાસક વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા.  ડગ ભરી શકવાની ક્ષમતા પણ રહી નહિ. એમ છતાં હનુમાનજીના દર્શન કરતાં દાદાને કરગરી રહ્યા કે હે હનુમાનજી દાદા શરીર હવે સાથ આપતું નથી. અને તારા દર્શન વિના પણ મારે ચાલતું નથી. હવેથી હું તારા દર્શને કેમ કરી આવીશ ? અંતરના ઊંડાણેથી નીકળેલી  ભાવભરી પ્રાર્થના જાણે  દાદાએ સાંભળી લીધી. ત્યાં એક આવાજ સંભળાયો. ભક્ત તારી ભક્તિથી હું પ્રસન્ન છું. શરીર અશક્ત બન્યું છતા તે તારી ટેક તોડી નથી. હવે તારે દર્શને અહી આવવાની જરૂર નથી. હું જ તારી સાથે તારા ગામ આવું છું.  તું આગળ ચાલ તારી પાછળ પાછળ હું ચાલ્યો આવું છું. પણ એક શરત છે કે રસ્તામાં ક્યાય પાછું વળી જોઇશ નહિ. નહિ તો જ્યાં પાછું વળી જોઈશ હું ત્યાં જ રોકાઈ જઈશ.

    આકાશવાણીના આ શબ્દો સાંભળી હનુમાન ભક્તની આંખોમાંથી હર્ષના આંસુની ધારા વહેવા લાગી. દાદાને દંડવત પ્રણામ કર્યા અને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. કંટાળુ ગામથી ચાલતા ચાલતા જંગલની વાટ પકડી. રસ્તામાં મનમાં શંકા ઉદભવી કે ખરેખર હનુમાનજી મારી પાછળ પાછળ આવે કે નહિ ? એ જોવા માટે પાછળ નજર કરી. ત્યાં એક લીમડાના ઝાડ પાસે હનુમાનજીની પ્રતિમા સ્થિર થઇ ગઈ. હનુમાનજીએ આપેલા વચન મુજબ એ જગ્યા એ જ બિરાજમાન થઇ ગયા. હનુમાનજીના ઉપાસકના હૃદયમાં  પસ્તાવાનો પાર ન રહ્યો. એ દિવસથી  દાદા અહી બિરાજમાન છે.

    ઇસરી, નવાગામ, રખાપુર ગામની ત્રિભેટે જંગલ વિસ્તારમાં આવેલું હનુમાનજીનું મંદિર અનેક શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. દૂર સુદૂરથી હનુમાન ભક્તો દર્શનાર્થે અહી આવે છે. વનવાસી સમાજ  કંટારુ બવશી નામે હનુમાનજીની  પૂજા કરે  છે. ખેતરમાં પાકતો પહેલો પાક કંટારુ બવશીના ચરણે ધરે છે એ પછી જ પોતે  ઉપયોગમાં લે છે. આસપાસનો  વનવાસી સમાજ  લગ્ન પછી સૌથી પહેલા કંટારુ બવશીના આશીર્વાદ લેવા અહીં  અચૂક આવે છે. દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.

    અહીં આમલી અગિયારશનો ભવ્ય મેલો ભરાય છે. અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી માનવ મહેરામણ ઉમટે છે. દર શનિવારે પણ અહી ભક્તોની ભીડ જામે છે.

    સ્વર્ગસ્થ પૂજાભાઈ પટેલ (આણંદ વાળા) જેઓએ આ મંદિરના નિર્માણમાં ખુબ મોટું યોગદાન આપેલ છે.  ઇસરી, નવાગામ રખાપુર તેમજ આસપાસના ગામોના ધર્મપ્રેમી લોકો આ મંદિરનો ખુબ સુંદર વિકાસ કર્યો છે. કોરોના કાળ દરમિયાન દાતાઓના સહયોગથી મંદિરની કાયાપલટ કરી દીધી છે. આજે આ સ્થાન નયનરમ્ય બન્યું છે.


    આગામી  ૨૦ સપ્ટેબરથી ૨૮ સપ્ટેબર- ૨૦૨૩  દરમિયાન આ મંદિરના પ્રાગણમાં  મંદિરના લાભાર્થે નવદિવસય  રામકથા જ્ઞાનયાનનું ભવ્ય  આયોજન કરવામાં આવ્યું છે. મહુવાના પ્રસિદ્ધ કથાકાર નાનાલાલ રાજ્યગુરુ વ્યાસપીઠ પર બિરાજી કથાનું રસપાન કરાવશે. હાલ આ કથાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હનુમાનજીના સેવકો તન,મન, ધનથી દિવસ રાત સેવારત છે.

    સમસ્ત ગુજરાતના શિક્ષણ જગતનું ઘરેણું એવા ડૉ. મોતીભાઈ પટેલ ૮૭ વર્ષની ઉમરે પણ એક યુવાનની ત્વરાથી કથાની તૈયારીમાં જોતરાયેલા છે. અને આ કથાના મુખ્ય યજમાન પણ તેઓ છે. તેમની સાથે ખભેખભા મિલાવી ઇસરી ગામના પૂર્વ સરપંચ અને સહકારી આગેવાન મોતીભાઈ પટેલ પણ એટલા જ સક્રિય છે. 

    મંદિરના વિકાસમાં અવિરત કાર્યરત રહેતા કાંતિભાઈ પટેલ, હર્ષદભાઈ પટેલ, આનંદભાઈ પટેલ, વિમલભાઇ પટેલ, નાનજીભાઈ પટેલ, પૂજ્ય મોરારી બાાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ થી પુરસ્કૃત કુનોલ પ્રા. શાળમાં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક વિનુભાઈ કચરભાઈ પટેલ તથા  આસપાસના ગામોના યુવાનો, વડીલો અને બહેનો અથાગ પરિશ્રમ કરી રહ્યાં  છે. રામકથાના ભગીરથ કાર્યને સફળ બનાવવા ન્યુ લિપના ટ્રસ્ટી હરેશભાઈ પટેલનું યોગદાન પણ નોંધનીય છે.

    શ્રી કંટાળુ હનુમાનજી મંદિરનો હજી વધુ વિકાસ થાય તો અરવલ્લી જીલ્લાનું એક મહત્વનું એક તીર્થધામ બની શકે છે. શહેરની ભાગદોડની દુનિયાથી દુર પ્રકૃતિના ખોળે આવેલું આ રમણીય મંદિર મનને શાંતિ પ્રદાન કરનારું અલૌકિક સ્થાન છે.  

   ( શ્રી કંટાળુ હનુમાનજી મંદિરના લાભાર્થે યોજાનાર આ કથાના સેવાયજ્ઞમાં આપ પણ જોડવા ઈચ્છો છો અથવા સહયોગ આપવા ઈચ્છતા હો તો  તો નીચે આપેલા મો. નંબર પર સંપર્ક કરી શકો છો.  મોતીભાઈ પટેલ - ૯૩૨૮૮ ૯૪૩૦૬, નાનજીભાઈ પટેલ – ૯૪૨૮૭ ૭૨૦૮૪, કાન્તીભાઈ પી. પટેલ – ૯૪૦૮૭ ૦૮૮૧૧, આનંદ એન. પટેલ ૯૪૩૬૩ ૬૫૯૭૮)

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧ ૪૨૬૨૦ 



No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts