અરબી સમુદ્ર જેનાં ચરણ પખાળે છે એવા ‘કોટેશ્ર્વર મહાદેવજીનો આદિકાળથી અનેરો મહિમા રહ્યો છે.
Thursday, August 31, 2023
શિવમય શ્રાવણ - ૧૫
Wednesday, August 30, 2023
શિવમય શ્રાવણ - ૧૪
શિણોલ-મહાદેવપુરા પાસે આવેલું પૌરાણિક ત્રિલિંગ શિવ મંદિર : કાલંજર મહાદેવ
Tuesday, August 29, 2023
શિવમય શ્રાવણ - ૧૩
અરવલ્લીનું કાશી સમાન તીર્થધામ ભુવનેશ્વર મહાદેવ (જુના ભવનાથ)
લેખન :ઈશ્વર પ્રજાપતિ
Monday, August 28, 2023
શિવમય શ્રાવણ - ૧૨
ભગવાન શિવ, જેમણે ઘુષ્માના મૃત પુત્રને પુનર્જીવિત કરવા માટે અવતાર લીધો હતો જે શિવનો બારમો અવતાર 'ઘુષ્મેશ્વર'ના નામથી પ્રખ્યાત છે.
ઘૃષ્ણેશ્વર કે ઘુષ્મેશ્વર, એ ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર ભારતમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલા શહેર દૌલતાબાદથી ૧૧ કિમી દૂર અવેલું છે. આ મંદિર વિશ્વ પ્રસિદ્ધ ઇલોરાની ગુફાઓ નજીક આવેલું છે.
ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી આ છેલ્લું જ્યોતિર્લિંગ છે. તે મહારાષ્ટ્ર રાજ્યના દૌલતાબાદથી 12 માઈલ દૂર વેરુલ ગામ પાસે આવેલું છે. આ જ્યોતિર્લિંગ માટે પુરાણોમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. સુધર્મ, એક ખૂબ જ તેજસ્વી તપોનિષાત બ્રાહ્મણ, દક્ષિણ દેશમાં દેવગિરી પર્વતની નજીક રહેતા હતા. તેમની પત્નીનું નામ સુદેહા હતું. આ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. તેમને કોઈ સંતાન નહોતું. જ્યોતિષીય ગણતરીઓ દર્શાવે છે કે સુદેહા ગર્ભવતી બની શકી નથી. પરંતુ તેમ છતાં તેને બાળક જોઈતું હતું. પછી સુદેહાએ તેના પતિ એટલે કે સુધર્માને તેની નાની બહેન સાથે ફરીથી લગ્ન કરવા કહ્યું. સુધર્મા પહેલા તો આ વાત માટે સંમત ન થયો પણ સુદેહાની વારંવારની જીદથી સુધર્મને નમવું પડ્યું.
સુધર્માએ તેની પત્નીની નાની બહેન ઘુષ્મા સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવ્યો. ઘુશ્મા ખૂબ જ નમ્ર અને સદાચારી સ્ત્રી હતી. આ સાથે તે શિવશંકરની પ્રખર ભક્ત પણ હતી. ઘુષ્મા દરરોજ 101 પાર્થિવ શિવલિંગ બનાવતી અને દિલથી તેમની પૂજા કરતી. શિવજીની કૃપા એવી હતી કે થોડા સમય પછી તેમના ઘરે એક બાળકનો જન્મ થયો. બંને બહેનોની ખુશીનો કોઈ પાર ન રહ્યો. બંને ખૂબ જ પ્રેમથી જીવતા હતા. પણ સુદેહાના મનમાં ન જાણે કેવી રીતે ખોટો વિચાર ઘર કરી ગયો. તેણે વિચાર્યું કે આ ઘરમાં બધું ઘુશ્માનું છે, મારું કંઈ નથી.
સુદેહાએ આ વાતનો એટલો બધો વિચાર કર્યો કે તે તેના મગજમાં બેસી ગઈ. સુદેહા વિચારતી હતી કે બાળક પણ તેનું છે અને ઘુશ્માનો પણ તેના પતિ પર અધિકાર છે. ઘુશ્માનું બાળક પણ મોટું થઈ ગયું છે અને તેના લગ્ન પણ થઈ ગયા છે. આ બધા દુષ્ટ વિચારો સાથે, એક દિવસ તેણે ઘુષ્માના યુવાન પુત્રને રાત્રે જ્યારે તે સૂતો હતો ત્યારે મારી નાખ્યો. ત્યાં તેની લાશ તળાવમાં ફેંકી દીધી હતી. આ એ જ તળાવ હતું જ્યાં ઘુષ્મા દરરોજ મૃત શિવલિંગ ફેંકી દેતા હતા.
સવાર પડી ત્યારે આખા ઘરમાં હોબાળો મચી ગયો. ઘુશ્મા અને તેની પુત્રવધૂ ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. પરંતુ ઘુષ્માએ શિવ પરનો વિશ્વાસ છોડ્યો નહીં. દરરોજની જેમ આ દિવસે પણ તેમણે શિવની પૂજા કરી હતી. પૂજા પૂરી થયા બાદ જ્યારે તે મૃત શિવલિંગને પધરાવવા માટે તળાવમાં ગઈ ત્યારે તેનો પુત્ર તળાવની અંદરથી બહાર આવતો જોવા મળ્યો હતો. બહાર આવીને તે હંમેશની જેમ ખુશ્માના પગે પડ્યો.
એવું લાગતું હતું કે તે ક્યાંકથી આવી રહ્યો છે. ત્યારે જ શિવજી પ્રગટ થયા. તેણે ઘુશ્માને વરદાન માંગવા કહ્યું. પરંતુ સુદેહાના આ કૃત્યથી ભગવાન શિવ ખૂબ ગુસ્સે થયા અને તેઓ પોતાના ત્રિશુલ વડે સુદેહાનું ગળું કાપવા તૈયાર થઈ ગયા. પરંતુ ઘુષ્માએ શિવજીને હાથ જોડીને તેની બહેનને માફ કરવા વિનંતી કરી. તેણે જે કર્યું તે ઘૃણાસ્પદ પાપ છે પરંતુ ભગવાન શિવની કૃપાથી જ તેને તેનો પુત્ર પાછો મળ્યો છે. હવે સુદેહાને માફ કરી દે.
ઘુષ્માએ ભગવાન શિવને લોકોના કલ્યાણ માટે આ સ્થાન પર કાયમ રહેવાની પ્રાર્થના કરી. શિવજીએ ઘુષ્માના બંને શબ્દો સ્વીકાર્યા અને જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા અને ત્યાં નિવાસ કરવા લાગ્યા. શિવભક્ત ઘુષ્મા પ્રત્યેની તેમની ભક્તિને કારણે તેમનું નામ ઘુષ્મેશ્વર મહાદેવ પડ્યું. તે ઘૃષ્ણેશ્વર તરીકે પણ ઓળખાય છે.
13મી અને 14મી સદીમાં દિલ્હી સલ્તનત દ્વારા મંદિરની રચનાનો નાશ કરવામાં આવ્યો હતો . મંદિર પુનઃનિર્માણના અનેક તબક્કામાંથી પસાર થયું અને ત્યારબાદ મુઘલ- મરાઠા સંઘર્ષ દરમિયાન પુનઃ વિનાશ થયો.ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ મંદિર 44,000 ચોરસ ફૂટ વિસ્તારમાં કાળા પથ્થરથી બનેલું છે, તેમાં ઘણી બધી શિલ્પો છે, તેની આંતરિક અને બહારની દિવાલો પર સુંદર ડિઝાઇન છે. મંદિરના ગર્ભગૃહમાં એક જ્યોતિર્લિંગ મૂર્તિ આવેલી છે અને મુખ્ય દરવાજાની સામે શિવાજીના પ્રિય ભક્ત નંદીની મોટી મૂર્તિ છે. મંદિરનો જીર્ણોદ્ધાર 3 વખત થયો હતો, શિવાજીના દાદા માલોજી ભોસલેએ તેનો પ્રથમ જીર્ણોદ્ધાર 16મી સદીમાં કર્યો હતો. ર્તમાન મંદિરનું નિર્માણ 1730માં મલ્હાર રાવ હોલ્કરની પત્ની ગૌતમીબાઈ હોલકરે પછીથી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું.
Sunday, August 27, 2023
શિવમય શ્રાવણ - ૧૧
નયનરમ્ય બર્ફીલા પહોડોની ભીતર આવેલું આસ્થા અને આશ્ચર્યની અલૌકિક ધામ કેદારનાથ
ચારધામ યાત્રાનું હિન્દૂ પરંપરામાં આદિકાળથી અનેરું મહત્વ રહેલું છે. હિમાલયની ગોદમાં શિવજીના સાનિધ્યમાં દિવસો પસાર કરવાની અનુભુતિ આહલાદક હોય છે. એકવીસમી સદીના આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ આ પ્રાચીન દેવાલયો અનેક આશ્ચર્યો અને રાહસ્યો પોતાની ગોદમાં સમાવી બેઠા છે. એ રહસ્યો સમજવા અકળ છે. આજે વાત કરવી છે ચારધામ માંના એક યાત્રાધામ કેદારનાથ ધામની. દ્વાદર્શ જ્યોતિર્લિંગ માં જેનું અદકેરું મહત્વ છે. વિષમ આબોહવા, અનેક મુશ્કેલીઓ વેઠીને જીવના જોખમે પણ દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ભોલે બાબાના દર્શને પાહીચે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અત્યંત વ્યસ્તતા વચ્ચે પણ અવારનવાર કેદારનાથજીના દર્શને આવે છે. આવો આજે જાણીએ કેદારનાથ ધામની રોચક વાતો.
સન્ડે સ્પેશિઅલ
યુવાને ભીની આંખે કહ્યું : "મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોર્યું."
અરવલ્લી પંથકમાં વળી ગાંજાની ખેતી ??? વાત જલદી
માન્યમાં આવે તેવી નથી. પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે બાતમીના આધારે ગાંજાની
ખેતીનું ખૂબ મોટું રેકેટ પકડ્યું ત્યારે આખો પંથક આશ્ચર્યમાં ઘરકાવ થઈ ગયો હતો.
દેશના યુવાનો એ
દેશનું ભવિષ્ય છે. આવા આશાસ્પદ યુવાનોને માદક કેફી દ્રવ્યોના વ્યસનના રવાડે ચડાવી
તેમની જિંદગી બરબાદ કરવા દેશના દુશ્મનો સક્રિય છે. ડ્રગ્સ, હેરોઇન, ચરસ, ગાંજો, અફીણ એ એવું ઝેર છે
જે દેશના યુવાધનને સંપૂર્ણ રીતે બરબાદ કરી રહ્યું છે. પરંતુ સરકાર આ બાબતે ખૂબ
ગંભીરતા દાખવી રહી છે. માદક દ્રવ્યોના નશાખોરી ડામવા સરકાર કટિબદ્ધ છે.
અરવલ્લી જિલ્લા
એલ.સી.બી. એ ગાંજોની ખેતીનું અંદાજે સવા બે કરોડનું ખૂબ મોટું રેકેટ પકડી પાડી
દેશના દુશ્મનોને જબરદસ્ત લપડાક મારી હતી.
આ દિલધડક ઓપરેશની
વાત જણાવતાં LCB PI કે.ડી. ગોહિલ
જણાવે છે કે : " રોજની જેમ એ દિવસે પણ હું ઓફિસ કામમાં વ્યસ્ત હતો. ત્યાં એક અજાણ્યા
નંબર પરથી કોલ આવ્યો. સામે છેડેથી કોઈ અજાણી વ્યક્તિ ગભરાતા અવાજે વાત કરી રહી
હતી. તે કહી રહ્યો હતો કે 'સાહેબ ! એક
અત્યંત ગંભીર વાત આપને કરવી છે. આપને જે માહિતી
આપવા જઈ રહ્યો છું એ ખાનગી માહિતી મેં આપને આપી છે એવી કોઈને ગંધ પણ આવી જશે તો મારી જાનનું પણ જોખમ છે. એમ છતાં આપને આ વાત
કરવી મને જરૂરી લાગે છે.'
એ વ્યક્તિની ઓળખ
ખાનગી રાખવાની હૈયા ધારણ આપી. અને જે પણ વિગત હોય તે નિશ્ચિન્ત બની જણાવવા કહ્યું.
અજાણી વ્યક્તિએ પછી જે વાત કરી એ સાંભળી પળ વાર માટે તો હું પણ ચોંકી ગયો.
તે અજાણી વ્યક્તિ
એક શ્વાસે બોલી રહી હતી કે "સાહેબ ! દેશના યુવાનો બરાબર થઈ જશે. મહેરબાની કરી
તેમને બચાવી લો. યુવાનોની બરબાદીની ખેતી અરવલ્લી પંથકમાં થઈ રહી છે. અરવલ્લીના અંતરિયાળ એક ગામે અન્ય ખેતીની આડમાં ગાંજાની ખેતી થઈ રહી છે. આ ખેતીને અટકાવો અને
દેશના યુવાધનને બચાવી લો સાહેબ '
આ વિસ્તારમાં જ ગાંજાની ખેતી વિશે સાંભળી પહેલાં આશ્ચર્ય થયું. પરંતુ જે વ્યક્તિએ
ઓળખ છુપાવી ફોન કર્યો હતો એના અવાજમાં ઊંડું દર્દ છુપાયેલું હતું. એની વાતમાં સત્યનો
રણકો હતો. એટલે આ દિશામાં તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા.
આ અજાણ્યા ફોનની
સઘળી વિગત જિલ્લાના તાત્કાલીન પોલીસ વડા સંજય ખરાત સાહેબને કરી. તેઓએ આ બાબતને અત્યંત
ગંભીરતાપૂર્વક લીધી અને તાબડતોબ તપાસ કરી
આખા રેકેટનો પર્દાફાશ કરવા સૂચના આપી.
એક સિક્રેટ મિશનની
શરૂઆત થઈ. જે અજાણી વ્યક્તિની ફોન હતો તેનો સંપર્ક કરી જ્યાં ગાંજાની ખેતી થતી હતી
એ ગામના ખેતરોમાં સર્ચ ઓપરેશ માટે રાત્રીના સમયે ટિમ પહોંચી ગઈ. આખું ગામ
ગાઢ નિદ્રામાં સુતું હતું. પોલીસની ટીમ પૂરી તૈયારી સાથે ગામની સીમમાં
પહોંચી ગઈ. અજાણી વ્યક્તિ પણ સાથે જોડાઈ. એણે મોઢા પર બુકાની બાંધી હતી. અમે માત્ર
એની આંખો જ જોઈ શકતા હતા. અને એને જે દિશા તરફ દોરી ગયો અમારી આખી ટીમ પણ એ
દિશામાં આગળ વધી. અંધારી રાત્રે એક પછી એક એમ ખેતરો અમે પસાર કરી રહ્યા હતા. ત્યાં
એક ખેતરના શેઢે પેલી અજાણી વ્યક્તિ થોભી. જે ખેતરમાં તુવર ઉગાડેલી હતી. એ વ્યક્તિ
એ અમને ખેતરની અંદર પ્રવેશવા ઈશારો કર્યો.
તુવરના મોટા મોટા
છોડ વીંધતા અમે ખેતરની મધ્યમાં પહોંચ્યા. અને ત્યાં જે દૃશ્ય જોયું તો આખી ટિમ
સ્તબ્ધ થઈ ગઈ. તુવેરની ખેતીની આડમાં અહીં ગાંજાના છોડ ઉગાડેલા હતા. આસપાસના ખેતરની
પણ તપાસ કરવી જરૂરી બની ગઈ. બાજુના ખેતરમાં ગયા તો એ ખેતરની મધ્યમાં પણ ગાંજાના
છોડ..!! ત્રીજા ખેતરમાં પણ ગાંજો.. ચોથું, પાંચમું, છઠ્ઠું... એમ હાર બંધ ખેતરમાં બીજા પાકની આડમાં ગાંજાના
છોડ ઉગાડવામાં આવ્યા હતા. આટલી વિપુલ માત્રામાં ગાંજાની ખેતી જોઈ આખી ટીમના
આશ્ચર્યનો પાર નહતો.
ઓપરેશન દિવસ રાત એમ
૩૬ કલાક ચાલ્યું. ડ્રોનની મદદ થી બે
કિલોમીટર જેટલા વિસ્તારના ખેતરોમાં ઉગાડેલા પાકનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
ટ્રેકટરના ટ્રેક્ટર ભરી ગાંજાના છોડ ભરવામાં આવ્યા. કુલ ૨૨૭૨ કિલો જેટલા લીલા ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા. જેની
અંદાજે કિંમત સવા બે કરોડ જેટલી હતી. પોલીસની આખી ટીમે દિવસ-રાત જાગીને આખું
ઓપરેશન પાર પાડ્યું.
આ સફળ ઓપરેશનથી ઘણા યુવાનોની જિંદગીની બરબાદીનો સામાન પોલીસે જપ્ત કર્યો. ગાંજાની ખેતી કરતા ગુનેગારોને પકડી લેવામાં આવ્યા. ગાંજાનું બિયારણ અહીં સુધી પહોંચ્યું જ કઈ રીતે ? ગુનેગારોની કડક પૂછપરછ કરતા જણાવ્યું કે 'ગાંજાનું બિયારણ હાથી વાળા મહારાજે આપેલું. એમનો ચહેરો યાદ છે પરંતુ એમનું નામ ઠામ કાંઈ જાણતા નથી.' સઘન પૂછપરછ કરી બીજાં રહસ્યો પણ ઉઘાડાં પડ્યાં.
એક અજાણી વ્યક્તિની
બાતમીથી મહત્ત્વપૂર્ણ ઓપરેશન પાર પડ્યું. ઓપરેશનની સફળતા બાદ પણ એ વ્યક્તિએ
પોલીસને પોતાની સાચી ઓળખ આપવાનું ટાળ્યું. અને અમે પણ એની ઓળખ છુપાવવાની લાગણીને
માન આપ્યું. બાતમી આપનારને છેલ્લે એક જ પ્રશ્ન પૂછવાનું મન થયું કે આ બાતમી
આપવાનું કારણ શું ?? ત્યારે એ
વ્યક્તિનો જવાબ હૃદય સોંસરવો ઉતરી ગયો.
એણે કહ્યું 'સાહેબ મારે પણ એક
ભાઈ હતો. ગાંજાના રવાડે એનું જીવન બરબાદ થઈ ગયું. છેલ્લે એની હાલત એટલી દયનીય હતી.
અને અમે પરિવાર જનો કાંઈજ કરી ન શક્યા. મેં તો મારો ભાઈ ગુમાવ્યો પણ હવે બીજા
કોઈનોય ભાઈ આ બરબાદીના રસ્તે ન ચડે એટલે જીવનું જોખમ વહોરીને આ બાતમી આપી.'
પી.આઈ કે. ડી.
ગોહિલ વાત અહીં પૂર્ણ કરે છે પરંતુ આ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યાનો સંતોષ એમની
આંખોમાં જોઈ શકાય છે.
-ઈશ્વર પ્રજાપતિ
૯૮૨૫૧૪૨૬૨૦
Saturday, August 26, 2023
શિવમય શ્રાવણ -૧૦
ગૌતમ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ત્ર્યમ્બકેશ્વર જ્યોતિર્લિંગની પ્રાગટયની પાવન કથા
શિવજીનાં 12 જ્યોતિર્લિંગમાંથી એક નાસિક (મહારાષ્ટ્ર) પાસે સ્થિત ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ છે. આ મંદિર અંગે માન્યતા છે કે અહીં સ્થિત શિવલિંગ સ્વયં પ્રકટ થયું હતું, એટલે એને કોઈએ સ્થાપિત કર્યું નથી. આ મંદિર ગોદાવરી નદીના કિનારે આવેલું છે.
અહીં પ્રચલિત કથા પ્રમાણે, પ્રાચીન સમયમાં બ્રહ્મગિરિ પર્વત ઉપર દેવી અહિલ્યાના પતિ ઋષિ ગૌતમ રહેતા હતા અને તપસ્યા કરતા હતા. ક્ષેત્રમાં અનેક એવા ઋષિઓ હતા, જેઓ ગૌતમ ઋષિની ઈર્ષ્યા કરતા હતા અને તેમને નીચા દેખાડવાની કોશિશ કરતા રહેતા હતા. એકવાર બધા ઋષિઓએ ગૌતમ ઋષિ પર ગૌહત્યાનો આરોપ લગાવી દીધો. બધાએ કહ્યું હતું કે આ હત્યાના પાપની માફી માટે દેવી ગંગાને અહીં લઇને આવવાં પડશે. ત્યારે ગૌતમ ઋષિએ શિવલિંગની સ્થાપના કરીને પૂજા શરૂ કરી દીધી. ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજી અને માતા પાર્વતી ત્યાં પ્રકટ થયાં. ભગવાને વરદાન માગવા માટે કહ્યું. ત્યારે ઋષિ ગૌતમે શિવજીને દેવી ગંગાને એ સ્થાને મોકલવાનું વરદાન માગ્યું. દેવી ગંગાએ કહ્યું કે જો શિવજી પણ આ સ્થાને રહેશે, ત્યારે જ તેઓ અહીં રહેશે. ગંગાના કહેવાથી શિવજી ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં વાસ કરવા માટે તૈયાર થઈ ગયા અને ગંગા નદી ગૌતમી સ્વરૂપમાં ત્યાં વહેવા લાગી. ગૌતમી નદીનું એક નામ ગોદાવરી પણ છે.
ત્ર્યંબકેશ્વર મંદિર ખૂબ જ પ્રાચીન છે. મંદિરની અંદર એક નાના ખાડામાં ત્રણ નાના-નાના શિવલિંગ છે. આ ત્રણેય શિવલિંગ બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના નામથી ઓળખાય છે. ત્ર્યંબકેશ્વર મંદિર પાસે ત્રણ પર્વત સ્થિત છે, જેને બ્રહ્મગિરિ, નીલગિરિ અને ગંગા દ્વારના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મગિરિને શિવ સ્વરૂપ માનવામાં આવે છે. નીલગિરિ પર્વત ઉપર નિલામ્બિકા દેવી અને દત્તાત્રેય ગુરુનું મંદિર છે. ગંગા દ્વાર ઉપર દેવી ગોદાવરી એટલે ગંગાનું મંદિર છે. મૂર્તિનાં ચરણોથી ટીપે-ટીપે જળ ટપકે છે, જે ત્યાં રહેલા એક કુંડમાં એકઠું થાય છે.
અહીં શિવલિંગ પર અરધા એટલે કે શાળુંકા નથી, જે જગ્યા પર ઓખલી જેવો ખાડો દેખાય છે. આ ખાડામાં અંગૂઠાના આકારના ત્રણ લિંગ છે, જે બ્રહ્મા, વિષ્ણુ અને શિવજીના લિંગ એટલે કે ત્ર્યંબકેશ્વર મહાદેવ બિરાજમાન છે, જેમાંથી મુખ્યત્વે ભગવાન શિવજીના લિંગને વિશેષ અભિષેક કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓ સામાન્ય રીતે ગર્ભગૃહમાં જઈને જ્યોર્તિલિંગ પર અભિષેક કરી શક્તા નથી. સામાન્ય શિરસ્તો એવો છે કે સ્નાન કરીને ધોતી પહેરીને આવનારા શ્રદ્ધાળુઓને જ ગર્ભગૃહમાં અભિષેક માટે પ્રવેશ આપવામાં આવે છે.
નાસિક-ત્ર્યંબક અવિભાજય બની ગયેલા અંગ છે. ગોદાવરી નદીના તટે વસેલું નાસિક દક્ષિણનું બનારસ પણ કહેવાય છે. કારણ કે અહીં સંખ્યાબંધ મંદિરો છે. જોવાલાયક મંદિરોમાં સુંદરનારાયણ મંદિર, કાલારામ મંદિર, ગોરારામ મંદિર, મુકિતધામ, પંચવટી અને તપોવન મુખ્ય છે. દર બાર વર્ષે અહીં કુંભમેળો ભરાય છે.(સૌજન્ય ; દિ.ભા.)
Friday, August 25, 2023
શિવમય શ્રાવણ - ૯
ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલી પ્રાચીન નગરી વારાણસી, જ્યાં બિરાજે છે બાબા કાશી વિશ્વનાથ
વિવિધ પુરાણોમાં કાશી(Kashi)ની મહત્તાનું ભરપૂર વર્ણન છે. સાત મોક્ષપુરીમાંથી એક એવી કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આ બાર નામ એટલે વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મહાસ્મશાન, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી અને મુખ્ય કાશી. કાશી એ ‘શિવનગરી’ તરીકે પ્રસિદ્ધ છે. આ એ ભૂમિ છે કે જેના પર 5,000 થી પણ વધુ મંદિરો (Hindu Temples) વિદ્યમાન છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે સ્વીકારાઈ ચૂકી છે !
કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. કાશી નગરી એ પાવની ગંગા નદીના કિનારે વસેલી છે. વરુણા અને અસિ નામની નદીઓના જળ અહીં ગંગા નદીમાં એકરૂપ થાય છે અને એટલે જ આ નગરી ‘વારાણસી’ના નામે પણ ખ્યાત થઈ છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.
કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિર વારણસીમાં સ્થિત છે. માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલું છે. કાશી પુરાતન સમયથી જ અધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે.
કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ કાશીના મંદિરમાં સ્થાપિત થવાનું હતું, પરંતુ સંયોગવશ મહેશ્વર પહોંચી ગયું. મહેશ્વર શિવલિંગ આવી જવાથી દેવીશ્રી તેની સ્થાપના કરી. મંદિર કાળા પત્થરો દ્વારા બનેલું છે. મંદિરનો સભા મંડપ 18 પત્થરોથી બનેલા થાંભલા ઉપર ટકેલો છે. સભા મંડપ પછી ગર્ભગૃહનો સંપૂર્ણ ભાગ પત્થરો દ્વારા બનેલો છે. અહિલ્યાબાઈ દર સોમવારે પાલકીમાં બેસીને ભગવાન કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરતી હતી.
સ્કંદ પુરાણમાં આ નગરના ઈતિહાસનું વર્ણન છે. રામાણય અને મહાભારતમાં પણ કાશી નગરીનું વર્ણન છે. વર્તમાન મંદિરનું નિર્માણ મહારાણી અહલ્યાબાઈ હોલકરે સન 1780માં કરાવ્યું હતું. બાદમાં મહારાજા રણજિત સિંહે 1853માં 1,000 કિલો શુદ્ધ સોનાથી બનાવ્યું હતું. નેપાળના મહારાજાએ અહીં નંદીની વિશાળ મૂર્તિ બનાવી હતી.
આ સ્થાનનું જિર્ણોધ્ધાર 11મી સદીમાં રાજા હરીશચંદ્રએ કરાવ્યું હતું. પરંતુ સૌપ્રથમ મોહંમદ ગોરીએ સન 1163માં આક્રમણ કરી તોડી પાડ્યું હતું. બાદમાં સતત 600 વર્ષો સુધી તેને વિદેશી આક્રમણ સહન કરવા પડ્યા હતા. 1663માં ઔરંગજેબે મંદિરને નષ્ટ કરી દીધું હતું. અને તેની જગ્યાએ ભવ્ય મસ્જિદ બનાવી. 1852માં બાજીરાવ પેશ્વાએ અહીંનું પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર બનાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરનું હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે. એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે.
સવાર અને સાંજના સમયે અર્ચન પછી નેવેદ્યમાં ચોખા અને દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા શરૂ છે.
કાશી વિશ્વનાથને લઇને એક રસપ્રદ પૌરાણિક કથા પ્રચલિત છે. એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો કે કોઈ વધારે શક્તિશાળી છે. આ વિવાદમાં મધ્યસ્થી બનવા માટે ભગવાન શિવજીએ વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઊંચાઈની જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું. બ્રહ્માજી પોતાના હંસ ઉપર બેસીને શિવલિંગની ઊંચાઈ અંગે જાણકારી મેળવવા આકાશ તરફ ઉડ્યાં. વિષ્ણુજી શૂકરનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીમાં ખોદકામ કરવા લાગ્યાં, જેથી તેના ઊંડાણ અંગે જાણકારી મળી શકે. બંને અનેક યુગો સુધી પણ તેના ઊંડાણ કે ઊંચાઈ અંગે જાણકારી પ્રાપ્ત કરી શક્યા નહીં. અંતે હાર માનીને વિષ્ણુજી શિવજી સામે નતમસ્તક થઈ ગયાં, પરંતુ બ્રહ્માજીએ અસત્યની મદદ લીધી અને કહ્યું કે તેમણે ઊંચાઈની જાણકારી મેળવી લીધી છે. આ અસત્ય માટે શિવજીએ ગુસ્સે થઈને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી કોઈપણ સ્થાને પૂજા થશે નહીં, એટલે બ્રહ્માજીના મંદિર કોઈ સ્થાને જોવા મળતાં નથી.
શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 22માં કાશી વિશ્વનાથના પ્રાગટ્યની કથાનું વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર મહેશ્વર દ્વારા નિર્મિત પંચકોશી કાશી સર્વ પ્રથમ આકાશમાં સ્થિત થઈ. જેમાં સૃષ્ટિના સર્વ પ્રથમ પુરુષ એવાં સ્વયં શ્રીહરિએ સૃષ્ટિની કામનાથી તપસ્યા આદરી. પરિશ્રમને લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ. આ જલધારાઓમાં પંચકોશી ડૂબવા લાગ્યું. ત્યારે શિવજીએ આ નગરીને તેમના ત્રિશૂળ પર ધારણ કરી દીધી. ત્યારબાદ શ્રીહરિએ એ જ જલરાશિમાં પત્ની પ્રકૃતિ સાથે શયન કર્યું. અને તેમની નાભિમાંથી કમળ અને પછી કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું.
બ્રહ્માજીએ મહેશ્વરની આજ્ઞાની બ્રહ્માંડમાં ચૌદ ભુવનોનું નિર્માણ કર્યું. એ દૃષ્ટિએ સંસારની સૌથી પૌરાણિક નગરી મનાતી કાશી વાસ્તવમાં સંસારના નિર્માણનું પણ નિમિત્ત છે !
એવું કહેવામાં આવે છે કે આ નગરને સાક્ષાત્ ભગવાન શિવે પોતાના તેજથી પ્રગટ કર્યું હતું. આ માટે આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.
કાશીને ભગવાન શિવનું સૌથી પ્રિય નગર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત્ ભગવાન શિવ નિવાસ કરે છે. કાશીને પંચકોસી એટલે કલ્યાણદાયિની, કર્મ બંધનનો નાશ કરનારી, જ્ઞાનદાયિની અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે.
દેશના વડાપ્રધાન વારાણસીથી ચુંટણી લડી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્ષો બાદ વારાણસીની કાયાકલ્પ બદલી નાખવામાં આવ્યો છે. આશરે 339 કરોડના ખર્ચે વિશ્વનાથ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે.
Thursday, August 24, 2023
શિવમય શ્રાવણ - ૮
શિવપુરાણ અનુસાર દ્વારકા પ્રદેશનું એક પ્રસિદ્ધ નામ દારુકાવન હતું. જ્યાં નાગોનો વસવાટ હતો. આર્યોએ તેમને ધર્માનુયાયી બનાવ્યા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરી.
ગુજરાત એટલે ધાર્મિક ભૂમિ, અનેક શક્તિ પીઠો અને બે જ્યોતિર્લિંગો ધરાવતા ગુજરાતમાં મોટા ભાગના મંદિરો અદ્ભૂત અને સમૃદ્ધ છે. ગુજરાત એ સંતોની પણ પાવન ભૂમિ છે. ભક્તિ સંપ્રદાય અને નાથ સંપ્રદાય એ ગુજરાતની આગવી વિશેષતા છે. મંદિરોની વાત કરતાં હોઈએ તો ગુજરાતના નાગેશ્વર જ્યોતિર્લિંગને કેમ ભૂલી શકાય!! તો આજે શ્રાવણ સ્પેશિઅલમાં આવો જાણીએ ભગવાન શિવના નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે….
હિન્દૂ ધર્મ અનુસાર નાગેશ્વરનો અર્થ થાય નાગ (સાપ)ના ઈશ્વર, જે વિષ આદિથી બચવાનો સાંકેતિક પણ છે. રુદ્ર સંહિતામાં આ ભગવાનને દારુકાવને નાગેશં કહેવામાં આવ્યાં છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભૌગોલિક સ્થાન અંગેના શ્લોકમાં નાગેશં દારુકાવનનો ઉલ્લેખ આવે છે. આ દારુકાવનમાં આવેલું જ્યોતિર્લિંગ એટલે ગુજરાતના દ્વારકા જિલ્લાના દ્વારકાપુરી મંદિરથી 16 કિમીના અંતરે આવેલું નાગેશ્વર જ્યોતિર્લિગ. દ્વારકામંદિરથી બેટ દ્વારકા જતાં રસ્તામાં જ આવે છે.
પ્રાચીનકાળમાં પશ્ચિમ સમુદ્રના કિનારે દારુક નામનું એક વન હતું, જેમાં દારુકા નામની રાક્ષસી તેના પતિ સાથે રહેતી હતી. દારુકાએ દેવી પાર્વતીને પ્રસન્ન કરીને તેમની પાસે વરદાન પ્રાપ્ત કર્યું. વરદાન મેળવીને દારુકાને ઘણું જ અભિમાન આવી ગયું. દારુકા રાક્ષસી સોળ યોજન વનમાં રહેતી હતી. સમુદ્રના રસ્તે જતા વટેમાર્ગુઓ કે પ્રવાસીઓને દારુકા પકડીને લૂંટી લેતી અથવા મારી નાખતી.
એક વખત દારુકા રાક્ષસીએ નૌકાઓના એક મોટા કાફલાને પકડીને તમામને કેદી બનાવ્યા. આ કાફલામાં સુપ્રિય નામનો એક વણિક પણ હતો. સુપ્રિય ભગવાન શિવનો પરમભક્ત હતો અને જેલમાં પણ શિવજીના પાર્થિવ લિંગની પૂજા કરતો હતો. સુપ્રિયે બીજા કેદીઓને પણ મંત્રોથી શિવજીની પૂજા કરતાં શિખવ્યું. પરિણામ સ્વરૂપ તમામ કેદીઓ શિવપૂજા કરવા લાગ્યાં. સુપ્રિયને શિવજી પર અપાર શ્રદ્ધા હતી. સુપ્રિય હંમેશા તેના સાથીઓને કહેતો કે જેલમાં રહેવાનું થયું તેમાં પણ શિવજીની કૃપા છે. આથી પ્રેમથી શિવજીનું ભજન અને પૂજન કરો. શિવજીની શ્રદ્ધાથી ભક્તિ કરવાથી સારું જ પરિણામ આવશે.
દારૂકા રાક્ષસીએ બંદિવાન બનાવેલા લોકો કેદખાનામાં સુખેથી રહેવા લાગ્યાં. એ સમયે એક ઘટના બની. સુપ્રિય જ્યારે શિવજીનું પૂજન કરી રહ્યો હતો, ત્યારે તેને શિવજીનું સુંદર રૂપ દેખાયું. જેલની ચોકી કરી રહેલા એક રાક્ષસે પણ આ જોયું અને તેણે દારુકાને વાત કરી. તમામ રાક્ષસ સૈનિકો કેદખાનામાં એકત્ર થઈ ગયા અને સુપ્રિયને પૂછ્યું કે, સાચુ બોલ તું કોની પૂજા કરે છે? જો તું સાચું નહીં બોલે તો તેને મારી નાખીશું. સુપ્રિયે સામે ઉતર આપ્યો કે પોતે કશું જ જાણતો નથી. આથી દારુકા વધારે ક્રોધિત થઈ અને તેણે સૈનિકોને સુપ્રિયને મારી નાખવાનો આદેશ આપ્યો. આથી સુપ્રિયે આ સંકટમાંથી ઉગારી લેવા શિવજીને પ્રાર્થના કરી. સુપ્રિયની પ્રાર્થના સાંભળી, જમીનમાંથી અચાનક એક સુંદર મંદિર નીકળ્યું, જેમાં જ્યોતિસ્વરૂપે ભગવાન શંકર તેમના પરિવાર સાથે બિરાજમાન હતાં. સુપ્રિયે શિવજીને પ્રણામ કર્યા અને તેનું પૂજન કર્યું. શિવજીએ પ્રસન્ન થઈને સુપ્રિયને અભયદાન આપ્યું. અને રાક્ષસોનો નાશ કર્યો. આમ નાગભૂમિમાં શિવજી પ્રગટ થયાં હોવાથી આ સ્થળ નાગેશ્વરના નામથી પ્રસિદ્ધ થયાં.
થોડા વર્ષો પહેલા સુધી નાગેશ્વર જ્યોતિર્લિંગ એક નાની દેરી જેવા મંદિરમાં જ વિધમાન હતું. ભારતમાં ઓડિયો કેસેટ ક્ષેત્રે ક્રાંતિ લાવનારા સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીના માલિક સ્વ. ગુલશન કુમારે આ મંદિરના જિર્ણોદ્ધારનું કાર્ય 1996માં શરુ કરાવ્યું, આ વચ્ચે તેમનું મૃત્યું થઈ જવાને કારણે એમના પરિવારે આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું. વર્ષ 2002માં નાગેશ્વર જ્યોતિર્લિંગના નવનિર્મિત મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું. મંદિરના નિર્માણમાં લગભગ 1.25 કરોડનો ખર્ચ થયો હતો જે ગુલશનકુમાર ચેરીટેબલ ટ્રેસ્ટે આપ્યો હતો.
નાગેશ્વર જ્યોતિર્લિગનું હાલનું મંદિર ઘણું જ વિશાળ છે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવજીની ધ્યાનસ્થ મુદ્રામાં 125 ફૂટ ઊંચી અને 25 ફૂટ પહોળી ભવ્યમૂર્તિ પણ આવેલી છે. ભગવાન શિવજીની આ વિશાળ મૂર્તિના બે કિલોમીટર દૂરથી ભક્તોને દર્શન થાય છે. આ મૂર્તિ ખુબજ સુંદર હોવાની સાથે ભક્તોનું મન મોહી લે છે. મંદિરનો મુખ્યદ્વાર સાધારણ પણ સુંદર છે. આ દ્વારમાંથી પ્રવેશ કરતાં જ સામે લાલ રંગનું નાગેશ્વર મહાદેવનું મંદિર છે. મુખ્ય મંદિર પહેલા એક સભાગૃહ છે જ્યાં પૂજન સામગ્રીની નાની દુકાનો લાગેલી છે.
નાગેશ્વર નામથી બે અન્ય શિવલિંગોની પણ ચર્ચા ગ્રંથોમાં છે. જૂદા જૂદા મંતાતર અનુસાર આ લિંગોને પણ કેટલાક લોકો નાગેશ્વર જ્યોતિર્લિંગ કહે છે. એમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ નિઝામ હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં છે, જ્યારે બીજું ઉત્તરાખંડના અલ્મોડામાં યોગેષ અથવા જોગેશ્વર શિવલિંગ નામથી પ્રસિદ્ધ છે. પરંતુ દ્વારકા પાસેના નાગેશ્વર જ્યોતિર્લિંગના ભૌગોલિક સ્થાન અંગે શાસ્ત્રોક્ત આધાર મળી રહે તેવા નક્કર પુરાવાઓ થોડા સમય પહેલાં બહાર આવ્યા છે. ઉદાહરણ તરીકે નાગેશ્વર નામ શા માટે પડ્યું હશે? વિદ્વાનોના મતે નાગનાથ કે જાગેશ્વર સ્થળોની આસપાસ તેવા સબળ પુરાતત્વીય કે ઐતિહાસિક પુરાવાઓ નથી, જે દ્વારકા પાસેના નાગેશ્વર પાસે છે.
Wednesday, August 23, 2023
શિવમય શ્રાવણ - ૭
ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત રામેશ્વરમ જ્યોતિર્લિંગનો અનન્ય મહિમા
રામેશ્વરમ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથપુર જિલ્લામાં આવેલું છે. આ તીર્થ હિંદુઓના મહત્વના તીર્થધામોમાંનું એક છે. ચારધામની યાત્રામાં એક ધામ રામેશ્વરમ છે. એને રામનાથસ્વામી મંદિર પણ કહેવામાં આવે છે. રામેશ્વરમ જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. રામેશ્વર મંદિર એક તરફ હિંદ મહાસાગર ને બીજી બાજુ બંગાળની ખાડી હોવાથી આ સ્થળનું સૌદર્ય પણ આકર્ષક છે. બે સમુદ્રની વચ્ચે આવેલા રામેશ્વરમનું સૌંદર્ય કેવું હશે એની કલ્પના જ માત્ર રોમાંચિત કરી મૂકે એવી છે.
રામેશ્વરના મુખ્ય મંદિરનું આખું નામ અરુલમિગુ રામનાથસ્વામી મંદિર છે, જે ટુંકમાં રામનાથસ્વામી મંદિર તરીકે ઓળખાય છે. 12મી સદીમાં બંધાયેલા આ મંદિરમાં અનેક વખત સુધારા વધારા કરવામાં આવ્યાં. અંદાજે 50 હજારની વસ્તી ધરાવતા રામેશ્વરમ ગામ માટે રામનાથસ્વામી મંદિર જીવનનિર્વાહનો મુખ્ય સ્ત્રોત છે, જેમાં માછીમારો અપવાદ છે.
આ ઉપરાંત અહીં બે શિવલિંગ છે, એક હનુમાનજીએ સ્થાપેલું અને બીજું સીતામાતાએ સ્થાપેલું. એની પાછળ એક પૌરાણિક વાર્તા છે, જેના પ્રમાણે રામ ભગવાને હનુમાનને વરદાન આપ્યું હતું કે પ્રથમ હનુમાન દ્વારા લાવવામાં આવેલા શિવલિંગનાં દર્શન કર્યા બાદ જ સીતામાતા દ્વારા સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગની પૂજા થશે. એ પરંપરા આજે પણ ચાલી આવે છે. રામેશ્વરમમાં હનુમાન મંદિર છે, જ્યાં તરતો પથ્થર આજે પણ દર્શન માટે રાખવામાં આવેલો છે. આ સિવાય પણ અહીં ઘણાં મંદિરો આવેલાં છે જે દરેક અલગ-અલગ ઇતિહાસ ધરાવે છે.
સન્ડે સ્પેશિયલ
‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા જોઈએ.” : એલેકઝાન્ડર ગ્રેહામ બેલ. સાવ સા...
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPJstAjVBk0yOezbcWRp8SYpB8PG1cKmZf4iWJFRNUNd68OyFnOpG8J2ksR0BasGcKIGFgxwTPJL_ZQT3W0P_8MG07d1fYti_gBLmRHNwvAF6jL-D3_pY9akvnx-uNXnckiPJMnOt8yVQ_Se19stxC7ahm4FBv_PJMQf64QSwjtCy9dui_JUSyiKr79YDd/w321-h400/220px-Helen_KellerA.jpg)
Popular Posts
-
સેનામાં ભરતી માટે જવાનું કહી ઘેરથી નીકળેલો નવનીત આખરે ક્યાં ગયો ? ચિતાની રાખમાંથી મળેલી વીંટી કોની હતી ? એનું નામ નવનીત. ...
-
“વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય, ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. : અબ્રાહમ લ...
-
પિતાની ભેટ: "પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે." : જેક્સન બ્ર...