Friday, August 25, 2023

શિવમય શ્રાવણ - ૯

 ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલી પ્રાચીન નગરી વારાણસી, જ્યાં બિરાજે છે બાબા  કાશી વિશ્વનાથ 



    વિવિધ પુરાણોમાં કાશી(Kashi)ની મહત્તાનું ભરપૂર વર્ણન છે. સાત મોક્ષપુરીમાંથી એક એવી કાશીના બાર નામનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. આ બાર નામ એટલે વારાણસી, અવિમુક્તક્ષેત્ર, આનંદકાનન, રુદ્રાવાસ, કાશિકા, તપ:સ્થલી, મહાસ્મશાન, મુક્તિભૂમિ, શિવપુરી, ત્રિપુરારિરાજનગરી, વિશ્વનાથનગરી અને મુખ્ય કાશી. કાશી એ ‘શિવનગરી’ તરીકે પ્રસિદ્ધ છે. આ એ ભૂમિ છે કે જેના પર 5,000 થી પણ વધુ મંદિરો (Hindu Temples) વિદ્યમાન છે અને કદાચ એટલે જ તે સ્વૈચ્છિક રીતે જ ભારતની ધાર્મિક રાજધાની તરીકે સ્વીકારાઈ ચૂકી છે !

    કાશી વિશ્વનાથ મંદિર હિંદુ ધર્મનું સૌથી જાણીતું મંદિર છે, જે ભગવાન શિવને સમર્પિત છે. તે વારાણસી, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ મંદિર પવિત્ર નદી ગંગાના જમણા કાંઠે આવેલી છે અને બાર જ્યોતિર્લિંગોમાંનું એક છે. અહીંના મુખ્ય દેવ વિશ્વનાથ અથવા વિશ્વૈશ્વરા તરીકે જાણીતા છે, જેનો અર્થ વિશ્વના નાથ થાય છે. કાશી નગરી એ પાવની ગંગા નદીના કિનારે વસેલી છે. વરુણા અને અસિ નામની નદીઓના જળ અહીં ગંગા નદીમાં એકરૂપ થાય છે અને એટલે જ આ નગરી ‘વારાણસી’ના નામે પણ ખ્યાત થઈ છે. વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે, એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. 

    કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિર હિંદુ ધર્મ માટે ખૂબ જ ખાસ છે. આ મંદિર વારણસીમાં સ્થિત છે. માન્યતા છે કે કાશી ભગવાન શિવના ત્રિશૂળ ઉપર ટકેલું છે. કાશી પુરાતન સમયથી જ અધ્યાત્મનું કેન્દ્ર રહ્યું છે.

કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત શિવલિંગ કાશીના મંદિરમાં સ્થાપિત થવાનું હતું, પરંતુ સંયોગવશ મહેશ્વર પહોંચી ગયું. મહેશ્વર શિવલિંગ આવી જવાથી દેવીશ્રી તેની સ્થાપના કરી. મંદિર કાળા પત્થરો દ્વારા બનેલું છે. મંદિરનો સભા મંડપ 18 પત્થરોથી બનેલા થાંભલા ઉપર ટકેલો છે. સભા મંડપ પછી ગર્ભગૃહનો સંપૂર્ણ ભાગ પત્થરો દ્વારા બનેલો છે. અહિલ્યાબાઈ દર સોમવારે પાલકીમાં બેસીને ભગવાન કાશી વિશ્વનાથ મંદિર જઈને ભગવાનની પૂજા-અર્ચના અને અભિષેક કરતી હતી.

    સ્કંદ પુરાણમાં આ નગરના ઈતિહાસનું વર્ણન છે. રામાણય અને મહાભારતમાં પણ કાશી નગરીનું વર્ણન છે. વર્તમાન મંદિરનું નિર્માણ મહારાણી અહલ્યાબાઈ હોલકરે સન 1780માં કરાવ્યું હતું. બાદમાં મહારાજા રણજિત સિંહે 1853માં 1,000 કિલો શુદ્ધ સોનાથી બનાવ્યું હતું. નેપાળના મહારાજાએ અહીં નંદીની વિશાળ મૂર્તિ બનાવી હતી.

    આ સ્થાનનું જિર્ણોધ્ધાર 11મી સદીમાં રાજા હરીશચંદ્રએ કરાવ્યું હતું. પરંતુ સૌપ્રથમ મોહંમદ ગોરીએ સન 1163માં આક્રમણ કરી તોડી પાડ્યું હતું. બાદમાં સતત 600 વર્ષો સુધી તેને વિદેશી આક્રમણ સહન કરવા પડ્યા હતા. 1663માં ઔરંગજેબે મંદિરને નષ્ટ કરી દીધું હતું. અને તેની જગ્યાએ ભવ્ય મસ્જિદ બનાવી. 1852માં બાજીરાવ પેશ્વાએ અહીંનું પ્રસિદ્ધ કાલભૈરવ મંદિર બનાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિરનું હિંદુ ધર્મમાં એક વિશિષ્ટ સ્થાન છે.  વારાણસી શહેર કાશી તરીકે જાણીતું છે. એટલે આ મંદિર કાશી વિશ્વનાથ મંદિર તરીકે ઓળખાય છે. 

    સવાર અને સાંજના સમયે અર્ચન પછી નેવેદ્યમાં ચોખા અને દાળનો નૈવેદ્ય ધરાવવામાં આવતો હતો. આજે પણ આ પ્રથા શરૂ છે.

    કાશી વિશ્વનાથને લઇને એક રસપ્રદ પૌરાણિક કથા પ્રચલિત છે. એકવાર ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો કે કોઈ વધારે શક્તિશાળી છે. આ વિવાદમાં મધ્યસ્થી બનવા માટે ભગવાન શિવજીએ વિશાળ જ્યોતિર્લિંગનું સ્વરૂપ ધારણ કર્યું હતું.

    શિવજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વિશાળ જ્યોતિર્લિંગનો સ્ત્રોત અને ઊંચાઈની જાણકારી પ્રાપ્ત કરવા માટે કહ્યું. બ્રહ્માજી પોતાના હંસ ઉપર બેસીને શિવલિંગની ઊંચાઈ અંગે જાણકારી મેળવવા આકાશ તરફ ઉડ્યાં. વિષ્ણુજી શૂકરનું સ્વરૂપ ધારણ કરીને પૃથ્વીમાં ખોદકામ કરવા લાગ્યાં, જેથી તેના ઊંડાણ અંગે જાણકારી મળી શકે. બંને અનેક યુગો સુધી પણ તેના ઊંડાણ કે ઊંચાઈ અંગે જાણકારી પ્રાપ્ત કરી શક્યા નહીં. અંતે હાર માનીને વિષ્ણુજી શિવજી સામે નતમસ્તક થઈ ગયાં, પરંતુ બ્રહ્માજીએ અસત્યની મદદ લીધી અને કહ્યું કે તેમણે ઊંચાઈની જાણકારી મેળવી લીધી છે. આ અસત્ય માટે શિવજીએ ગુસ્સે થઈને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે તમારી કોઈપણ સ્થાને પૂજા થશે નહીં, એટલે બ્રહ્માજીના મંદિર કોઈ સ્થાને જોવા મળતાં નથી.

    શિવ પુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 22માં કાશી વિશ્વનાથના પ્રાગટ્યની કથાનું વર્ણન છે. તેમાં ઉલ્લેખ છે તે અનુસાર મહેશ્વર દ્વારા નિર્મિત પંચકોશી કાશી સર્વ પ્રથમ આકાશમાં સ્થિત થઈ. જેમાં સૃષ્ટિના સર્વ પ્રથમ પુરુષ એવાં સ્વયં શ્રીહરિએ સૃષ્ટિની કામનાથી તપસ્યા આદરી. પરિશ્રમને લીધે તેમના શરીરમાંથી શ્વેત જલની અનેક ધારાઓ પ્રગટ થઈ. આ જલધારાઓમાં પંચકોશી ડૂબવા લાગ્યું. ત્યારે શિવજીએ આ નગરીને તેમના ત્રિશૂળ પર ધારણ કરી દીધી. ત્યારબાદ શ્રીહરિએ એ જ જલરાશિમાં પત્ની પ્રકૃતિ સાથે શયન કર્યું. અને તેમની નાભિમાંથી કમળ અને પછી કમળમાંથી બ્રહ્માનું પ્રાગટ્ય થયું.

    બ્રહ્માજીએ મહેશ્વરની આજ્ઞાની બ્રહ્માંડમાં ચૌદ ભુવનોનું નિર્માણ કર્યું. એ દૃષ્ટિએ સંસારની સૌથી પૌરાણિક નગરી મનાતી કાશી વાસ્તવમાં સંસારના નિર્માણનું પણ નિમિત્ત છે ! 

    એવું કહેવામાં આવે છે કે આ નગરને સાક્ષાત્ ભગવાન શિવે પોતાના તેજથી પ્રગટ કર્યું હતું. આ માટે આ નગરીને ભગવાન શિવનું જ સ્વરૂપ માનવામાં આવે છે. પ્રલયના સમયે આ નગરની રક્ષા કરવા માટે ભગવાન શિવે આ શહેરને પોતાના ત્રિશૂળ પર ટકાવીને રાખ્યું હતું.

    કાશીને ભગવાન શિવનું સૌથી પ્રિય નગર માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે અહીં સાક્ષાત્ ભગવાન શિવ નિવાસ કરે છે. કાશીને પંચકોસી એટલે કલ્યાણદાયિની, કર્મ બંધનનો નાશ કરનારી, જ્ઞાનદાયિની અને મોક્ષ પ્રદાન કરનારી માનવામાં આવે છે.

    દેશના વડાપ્રધાન વારાણસીથી ચુંટણી લડી ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો હતો. વર્ષો બાદ વારાણસીની કાયાકલ્પ બદલી નાખવામાં આવ્યો છે.  આશરે  339 કરોડના ખર્ચે વિશ્વનાથ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે. 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts