Sunday, November 26, 2023

સન્ડે સ્પેશિયલ

 "તમારો સમય સીમિત છે - એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા." : સ્ટીવ જોબ્સ 


(ગતાંકથી ચાલું )

આર્ટીકલનું( આગળનું પ્રકરણ વાંચવા અહીં ક્લિક કરો )

    ૩૦ વર્ષની ઉંમરે હું મારી જ સ્થાપેલી કંપનીમાંથી બહાર ફેંકાઈ ગયો. તે પણ કેવી રીતેદુનિયાઆખીએ આ તમાશો માણ્યો તેવી જાહેર રીતે. મારા અસ્તિત્વનું કેન્દ્રબિંદુ જ જાણે ભૂંસાઈ ગયું. હું તદ્દન હચમચી ઊઠ્યો." 

        થોડા મહિનાઓ સુધી તો શું કરવું તેની કોઈ ગતાગમ જ ન પડી. સાહસિકોની એક નવી પેઢીને મેં છેહ આપ્યો છે અને જેમણે મારા પર શ્રદ્ધા રાખી હતી તેમને મેં દુભાવ્યા છે તેવી લાગણી મને સતાવતી રહી. હું ડેવિડ પેકાર્ડ અને બોબ નોયસને મળ્યો. અને મારા છબરડા માટે તેમની માફી માગી. મારી નિષ્ફળતા અને નાલેશીનો જાણે જાહેર ઢંઢેરો પિટાયો હતો; મારું કાર્યક્ષેત્ર છોડી પલાયન થવાના પણ વિચારો આવ્યા. આવા વખતે મને અંદરથી જ એક સ્ફુરણા થવા લાગી. મેં આજ સુધી જે કાંઈ પણ કર્યું છે. તેમાં મને આનંદ જ આવ્યો છે અને મારી નિષ્ફળતાએ આ હકીકત પર કોઈ જ અસર નહોતી કરી. ભલે હું તરછોડાયો હોઉં, ત્યજાયો હોઉં પણ મારા કાર્ય પ્રત્યેનો મારો પ્રેમ તો સાબૂત જ હતો.

     મેં નવેસરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું. ત્યારે તો મને કલ્પના પણ નહોતી આવી પણ પછી મને લાગ્યું કે ઍપલમાંથી મારી હકાલપટ્ટી થઈ તે મારા માટે સારામાં સારી ઘટના હતી. સફળતાના ભારેખમ બોજાને સ્થાને નવા નિશાળિયા જેવી હળવાશ લાગવા માંડી—કોઈ પ્રકારની પૂર્વકલ્પિત નિશ્ચિતતા વગરની મોજીલી સ્વતંત્રતા. એ મને દોરી ગઈ મારા જીવનના સૌથી સર્જનાત્મક તબક્કા તરફ. ત્યાર પછીનાં પાંચ વર્ષ મેં મારી નવી કંપની નેક્સ્ટ (Next) સ્થાપવામાં કાઢ્યાં. બીજી કંપની પિક્સાર (Pixar) પણ સ્થાપી અને એક અદ્ભુત સ્ત્રીના પ્રેમમાં પડ્યો - જે મારી પત્ની બની. મારી કંપની પિક્સારે વિશ્વની સૌ પહેલી એવી કમ્પ્યૂટર એનિમેટેડ ફિલ્મ ‘ટૉય સ્ટોરી' બનાવી. પિક્સાર અત્યારે આખી દુનિયામાં સૌથી વધુ સફળ એવો એનિમેશન સ્ટુડિયો ગણાય છે. વળી અમુક નાટ્યાત્મક ઘટનાઓ એવી બની કે ઍપલે મારી કંપની નેક્સ્ટ ખરીદી લીધી. આમ હું સ્વગૃહે એટલે કે ઍપલમાં પાછો ફર્યો. નેક્સ્ટમાં અમે જે તંત્રજ્ઞાન વિક્સાવ્યું તે ઍપલના પુનરુત્થાનનું મૂળ બન્યું. પત્ની લોરેન સાથે મેં અમારો પ્રેમાળ પરિવાર ઊભો કર્યો.

        મને તો ખાતરી છે કે જો મારી ઍપલમાંથી હકાલપટ્ટી ન થઈ હોત તો આમાંનું કાંઈ જ શક્ય બન્યું ન હોત. દવા ઝેર જેવી કડવી લાગી હતી પણ ત્યારે દરદીને તેની જરૂર હતી. જિંદગી ઘણી વાર આપણા માથા પર અસહ્ય ઘા કરે છે — તેવે વખતે હિંમત ન હારતાં હું ટકી શક્યો તેનું એકમાત્ર કારણ એ હતું કે મારા કાર્યમાંથી મને આનંદ મળતો હતો. તમને શું ગમે છે તે શોધી કાઢો. આ જેટલું પ્રિયજન બાબતે સાચું છે તેટલું કાર્યની બાબતમાં પણ સાચું છે. આપણા જીવનનો મોટો અંશ આપણા કાર્યમાં વીતવાનો છે અને એટલે જ સંતોષ પામવાનો એકમાત્ર રસ્તો છે, આપણે જેને ગમતું કાર્ય માનતા હોઈએ તેમાં પ્રવૃત્ત રહેવું. ઉત્તમ કામ એટલે આપણને ગમતા કાર્યમાં જીવ રેડવો. જો તમને હજુ સુધી આવું કોઈ કાર્ય નજરે ન પડ્યું હોય તો શોધ ચાલુ રાખો. પ્રેમને લગતી દરેક બાબતમાં થાય છે તેમ તમને આવું કાર્ય જડશે ત્યારે જરૂર એક અલગ અનુભૂતિ થશે. આ બાબતે સમાધાન કે બાંધછોડ ક્યારેય ન કરતા. સાચા સ્નેહ સંબંધોની જેમ જ સમય વીતતો જશે તેમ તેમ તમારું કાર્ય વધુ ને વધુ દીપી ઊઠશે. ટૂંકમાં, આવા કાર્યની નિરંતર શોધમાં રહો, ખોટું સમાધાન કરી ન રહેતા.
         મારી ત્રીજી વાત છે મૃત્યુ વિશે. હું લગભગ ૧૭ વર્ષનો હતો ત્યારે મેં એક સુવાક્ય વાંચેલું : “આજનો દિવસ જાણે તમારી જિંદગીનો છેલ્લો દિવસ છે એમ માનીને જિંદગી જીવતાં રહેશો તો એક દિવસ તમે ખરેખર સાચા પુરવાર થશો.' આની મારા પર અમીટ છાપ છે. છેલ્લાં ૩૩ વર્ષથી રોજ સવારે હું અરીસામાં જોઈ મારી જાતને પૂછું છું—‘આજનો દિવસ જો તારા આયુષ્યનો છેલ્લો દિવસ હોય તો આજે જે કામ કરવાનું ઠરાવ્યું છે તે કામ જ કરીશ કે પછી બીજું કાંઈ?” લગાતાર થોડા દિવસો સુધી જો આ પ્રશ્નનો જવાબ નકારાત્મક આવે તો તેનો અર્થ છે મારા કાર્યમાં ધરમૂળથી ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે. થોડા સમયમાં મૃત્યુ આવવાનું છે તેવી સમજને કારણે હું મારા જીવનના અતિ મહત્ત્વના નિર્ણયો લઈ શકવા સક્ષમ બન્યો છું. મૃત્યુની સન્મુખ દરેક બહિર્મુખતા આશા-આકાંક્ષાઓ, અરમાનો, અહંકાર, ભય, સંકોચ, નામોશી – ગૌણ બની જાય છે અને જેમાં ખરું સત્ત્વ છે તેટલું જ ટકે છે. હારના ભયપિંજરમાંથી મુક્ત થવાનો એક જ ઉપાય છે. આપણે મૃત્યુ પામવાના છીએ તેનો સ્પષ્ટ અહેસાસ. આપણા બધા જ અંચળા ઊતરી ગયા હોય ત્યારે આપણું અંતઃકરણ જ આપણું માર્ગદર્શક બને છે.
         એક વર્ષ પહેલાં મને કેન્સર છે તેવું નિદાન થયું. સવારે સાડાસાત વાગ્યે ડૉક્ટરે સ્કેન કર્યો અને મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ) પર કૅન્સરની ગાંઠ સ્પષ્ટ દેખાઈ. મને તો સ્વાદુપિંડ શું તે પણ ખબર નહોતી. ડૉક્ટરે બહુ જ સહાનુભૂતિપૂર્વક મને કહ્યું કે આ એક અસાધ્ય એવું કેન્સર છે અને ત્રણ કે છ મહિનાથી વધુ તમે ખેંચી નહીં શકો. તેમણે કહ્યું તારો કારભાર સંકેલવાની શરૂઆત કર – બીજા અર્થમાં કે હવે તારી ઘડીઓ ગણાઈ રહી છે. એટલે કે મારાં સંતાનોને હું આવતાં દસ વર્ષ સુધી જે કહેવાનો હતો, સલાહ-સૂચનો આપવાનો હતો તે બધું હવે તાબડતોબ કરવાનું રહ્યું. મારા કુટુંબની સુખાકારી માટેની બધી વ્યવસ્થા પણ તરત જ પૂરી કરવાની હતી. બધાને અલવિદા કહેવાનું હતું. આ વ્યથા સાથે આખો દિવસ મેં વિતાવ્યો. રાત્રે ડૉક્ટરોએ મારા કૅન્સરની ગાંઠની બાયોપ્સી કરી - મારા ગળામાંથી પેટમાં અને ત્યાંથી આંતરડામાં એન્ડોસ્કોપ પહોંચાડયું. મારા સ્વાદુપિંડ (પેનક્રિયાસ)માં સોય દાખલ કરી અને ત્યાં રહેલી ગાંઠમાંના થોડા કોષો અલગ કાઢ્યા. હું તો બેભાન હતો પણ મારી પત્ની આ આખી પ્રક્રિયા દરમિયાન હાજર હતી. તેણે કહ્યું કે મારા કેન્સરની ગાંઠમાંથી કઢાયેલા કોષોની જ્યારે ડૉક્ટરોએ વિસ્તૃત તપાસ કરી ત્યારે તેમની આંખમાં આંસુ આવી ગયાં. 
    મારા કૅન્સરની ગાંઠની સારવાર શસ્ત્રક્રિયા દ્વારા કરી શકાય તેમ હતી. મારા પર શસ્ત્રક્રિયા થઈ, કૅન્સરની ગાંઠ દૂર કરાઈ અને હું આજે સાજો—નરવો છું. મૃત્યુની ભીષણતાનો આ પ્રત્યક્ષ પરિચય; આશા રાખું છું કે થોડા દસકાઓ સુધી મૃત્યુની નિકટ આવવાનું નહીં બને. મૃત્યુને આટલું નજીકથી જોયા પછી તે મારા માટે માત્ર એક ઉપયોગી એવી બૌદ્ધિક કલ્પના જ નથી રહ્યું પણ જીવનની એક અવિભાજ્ય વાસ્તવિકતા બની ગયું છે.
        મરવું કોઈને ગમતું નથી. જેમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી છે તે પણ મૃત્યુના માર્ગે ત્યાં જવા રાજી નથી હોતા. છતાં મૃત્યુ એ દરેક જીવ માટેનું એક એવું અફર સત્ય છે જેમાંથી આજ સુધી કોઈ છટકી શક્યું નથી. હોવું પણ એમ જ જોઈએ, કારણ કે જીવનની સર્વોત્તમ શોધ જો કાંઈ હોય તો તે છે મૃત્યુ. તેમાં જ જીવનનું પુનરુત્થાન છે. જૂનાને આઘે હડસેલી તે નવા માટે માર્ગ મોકળો કરે છે. આજે તમે નવયુવાન છો પણ કાળક્રમે, થોડા વખતમાં જ, તમે પણ ઘરડા થશો અને આ સાફ-સૂફીના સપાટામાં ઘસડાઈ જશો. તમને આમાં નાટ્યાત્મકતા લાગતી હોય તો માફ કરશો, પણ આ છે આપણા સૌના જીવનની વાસ્તવિકતા.
        તમારો સમય સીમિત છે - એટલે બીજા કોઈની મરજી મુજબ જીવવામાં તમારી જિંદગી વેડફી ન નાખતા. બીજાઓએ વિચારી રાખેલા વિચારો અને તેનાં પરિણામોના ગુલામ ન બનતા. તમારા અંતરાત્માના અવાજને આસપાસનાં કોલાહલમાં ઢંકાવા ન દેતા. વળી સૌથી મહત્ત્વની વાત તમારા હૃદયને ગમતી વાતને અનુસરવાની હિંમત કેળવજો. તમારું હૃદય અને તમારો અંતરાત્મા બરાબર જાણે છે કે તમારી જિંદગીનું તમારે શું કરવાનું છે. બાકીની બધી વાતો ગૌણ છે. 
        મારા બચપણમાં એક અદ્ભુત સામયિક પ્રકાશિત થતું હતું. તેનું નામ હતું “ધી હોલ અર્થ કેટલોગ' (The Whole Earth Catalog). મારી આખી પેઢી આની પાછળ ઘેલી હતી. અહીંથી નજીક આવેલા મેન્લો પાર્ક વિસ્તારના યુવર્ટ બ્રાન્ડ આ સામયિક ચલાવતા. તેમણે પોતાની સમગ્ર સર્જનશીલતા આમાં રેડેલી. આ વાત છે ૧૯૬૦ના દસકાના ઉત્તરાર્ધની. ત્યારે કમ્પ્યૂટર કે ડેસ્કટોપ પબ્લિશિંગની કોઈ કરતાં કોઈ સગવડ નહોતી. ટાઈપરાઈટર, કાતર, પોલારોઈડ કેમેરાની મદદથી પેદા થતું આ સર્જન હતું. ગૂગલના જન્મનાં ૩૫ વર્ષ પૂર્વેનું આ મારી પેઢીનું ગૂગલ (Google) હતું. યૌવનના આશાવાદ અને થનગનાટથી ભરપૂર. સ્ટયુવર્ટ અને તેના સાથીદારોએ આ સામયિકના એક પછી એક ઘણા અંકો કાઢ્યા પણ અંતે પ્રકાશન સમેટી લેવાની નોબત આવી. 
        ૧૯૭૦ના દાયકાના મધ્યમાં તેનો છેલ્લો અંક પ્રકાશિત થયો ત્યારે હું તમારી ઉંમરનો હોઈશ. છેલ્લા અંકના પાછળના પૂંઠા પર એક અદ્ભુત ફોટો હતો. વહેલી પરોઢના ગ્રામીણ વેરાન રસ્તાનો—આજે પણ તમે આવા સમયે એકલા નીકળી પડો તો જોવા મળે તેવો જ રસ્તો. ફોટાની નીચે લખ્યું હતું “ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.” ગમે તેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તોય વધુ ઉમદા કાર્ય કરવાની ભૂખ જાગ્રત રાખવી તે અર્થમાં ભૂખ્યા રહેજો. જ્ઞાનસંપાદનનો નશો ચડવા માંડે ત્યારે હજુ અણખેડાયેલા જ્ઞાનના મહાસાગર તરફ નજર નાખતાં આપણે મેળવેલા જ્ઞાનની પામરતાનું ભાન થશે તે અર્થમાં ગમાર રહેજો. આ હતો તેમનો વિદાય સંદેશ – “ભૂખ્યાં રહેજો, ગમાર રહેજો.” હું હમેશાં આ સંદેશને અનુસર્યો છું અને આજે જ્યારે તમે આ મહાન વિશ્વવિદ્યાલયમાંથી પદવી ધારણ કરી વિશાળ વિશ્વમાં પ્રવેશો છો ત્યારે તમારા માટે પણ મારી હૃદયપૂર્વકની શુભેચ્છા છે : “ભૂખ્યા રહેજો, ગમાર રહેજો.'

આપ સૌનો ખૂબ ખૂબ આભાર.

(૧૨મી જૂન ૨૦૦૫ના રોજ સ્ટાનફર્ડ યુનિવર્સિટીમાં આપેલું દીક્ષાંત પ્રવચન.)

Sunday, November 19, 2023

સન્ડે સ્પેશિયલ : મૈત્રીના માણસ મોતીભાઈ મ. પટેલ

 

પદ્મ શ્રી ગુણવંત શાહ કહે છે. મોતીભાઈ તો ગયા પણ મારા આયુષ્યમાંથી થોડાંક વર્ષો લેતા ગયા.



                 ડૉ. મોતીભાઈ મ. પટેલના નામ આગળ સ્વ. લખતાં હજી પણ મન નથી માનતું. હજી તેમની વાતો કાનમાં પડઘાય છે. સીત્યાશીમા વર્ષે મોતીદાદાએ લીધેલી અણધારી વિદાયના આઘાતમાંથી બહાર આવવું સાવ સહેલું નથી. અરવલ્લીના અંતરિયાળ એવા છેક છેવાડાના ગામડામાંથી  એક સાધારણ  ખેડૂત પરિવારમાંથી આવતા આ આલગારી માણસે જાણે આખું ગુજરાત માથે લીધું હતું. વર્ષ ૨૦૧૯માં પ્રથમ મુલાકાતમાં તેમને મળી આર્ટીકલ લખ્યો હતો તે અહીં પ્રસ્તુત છે.     

           ડૉ. મોતીભાઈ પટેલ    ગુજરાતના શિક્ષણ જગત અને સાહિત્ય જગતમાં ખૂબ આદર અને ગૌરવ સાથે લેવાતું આ નામ છે. આમ તો આઝાદી પહેલા દસ વર્ષ અગાઉ ઇડર સ્ટેટના અંતરિયાળ એવા મેઘરજ તાલુકાના નાનકડા ઇસરી ગામમાં તેઓનો જન્મ. મોતીભાઈ પટેલ સાચા અર્થમાં ગુજરાતના શિક્ષણ અને સાહિત્ય જગતમાં એક અણમોલ મોતી છે. ગુજરાતના જાણીતા ચિંતક ગુણવંત શાહ કહે છે " મોતીભાઈ પાસે શિક્ષણની સુગંધ ધરાવતી અત્તર દાની છે." ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમાં ફરી ફરી તેઓ સુગંધ વહેંચતા રહે છે. મોતીભાઈ પટેલ જે ગુજરાતના પ્રથમ હરોળના શિક્ષણ શાસ્ત્રી તરીકે પોખાયા છે. જેમના હાથ નીચે ઘણા સર્જકો અને ઉત્તમ આચાર્યો અને શિક્ષકો બન્યા હોય. ગુજરાત યુનિવર્સીટી અને ગુજરાત વિદ્યાપીઠમાં મહત્વના હોદ્દા પર રહી એના વિકાસમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હોય.

જે આવનારી પેઢી માટે એક પ્રેરણા તીર્થ હોય છે. એક મિશાલ છે. 

              અરવલ્લી જિલ્લાનું અંતરિયાળ એવું ઇસરી એ તોઓનું વતન અને મોસાળ પણ ખરું. પિતાના ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી પરંતુ મામાના ઘરે જાહોજલાલી. ગામની જ સરકારી પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું. ઘરના સૌની ઇચ્છા કે મોતીભાઈ વેપાર-ધંધામાં પલોટાય. નાની ઉંમરે ખેતી પણ કરી. પરંતુ કાચી ઉંમર હોવાથી વાત જામી નહીં. વેપાર માટે મૂક્યા પણ તેમાંય ઠરીઠામ ન થયા. લોટ પીસવાની ચક્કીમાં પણ મૂકી જોયા પણ ત્યારે મોતીભાઈ ન ટક્યા. આખરે મામાના ઘરના નળીયા ચાળતા મામાની ટકોર હૃદયમાં લાગી ગઈ. નળિયા ચારતા હતા ત્યારે મામાએ ભાણેજની લાઈન દોરી આપી કહ્યું 'જોજે ભાણા, તારી લાઇન સીધી રાખજે. લાઈન આડી થઈ તો દુઃખી થઈ જઈશ . કુટુંબના એક વિસુ માણસને ખવડાવવામાં ખેતર નાનું પડે છે અને અનાજ દળવાની ઘંટી એ બેસી રહીશને તો લોટ ફકતો રહીશ.' અને ભાણેજી મામાની વાત ગાંઠે જ નહીં હૈયે પણ બાંધી. 

          દસ રૂપિયા ખિસ્સામાં લઈ  14 વર્ષની ઉંમરે    ઘર છોડી દીધું. શામળાજી તરફ ચાલતી પકડી. હિંમતનગરની હિમ્મત હાઇસ્કુલ સુઈ રહ્યા. દુકાનમાં કામે લાગ્યા. લેવડ-દેવડ, નાની-મોટી મહેનત-મજૂરી કરી . દુકાનના માલિકની પત્ની બપોરે જમવા આપ્યું પણ જુદો બેસાડીને! પિત્તો ગયો ને મોતીલાલ પહોંચ્યા કડિયાદરા. કાકા કડિયાદરાની પ્રાથમિક શાળાના આચાર્ય ત્યાં રહે થોડા દાડા થયા ત્યાં ઘરે થી ટપાલ આવી કે મોતી ભાગી ગયો છે. કડીયાદરામાં પડોશીની દરજીની દુકાને હજુ ગાજબટનની તાલીમ લેતા મોતી પાસે જઈને કાકાએ પીઠ થાબળી. પોતે માસ્તર ખરાને! પાસેના કંટાળું ગામે એક માસ્તરની અવેજીમાં ત્રણ મહિના માટે મોતીભાઈ ને ગોઠવી દીધા. શામળાજીની આદિવાસી સેવા સમિતિ ના સંચાલક નરસિંહભાઈ ભાવસારની પારખુ નજર એ આ પાણીદાર મોતી ચડ્યું અને જાને શિક્ષણનો જીવનભરનો પરવાનો મળી ગયો.

            શામળાજી આશ્રમમાં શિક્ષક થવા ગયા ત્યારે કાનમાં લવિંગિયા અને કેડીયુ પહેરેલા દાખલ થયેલા. છોકરાં માસ્તર કરતા મોટા. ડુંગરા ઉપર ઝૂંપડીની ઝૂંપડીમાં નિશાળ ડુંગરે ડુંગરે ચડી ઉતરી ને નિશાળીયાં ભેગાં કરવાનાં. પાંચને શીખવીને બીજા પાંચ શોધવા જાય ત્યાં પેલા પાંચ ભાગી છૂટે ગામે સીધું આપ્યું ને વિદ્યાર્થીઓએ રોટલા કરતા શીખવું ઇન્સ્પેકશન આવ્યું નિરીક્ષક તો કામથી એવા રાજી થયા કે મોતીભાઈની રાજસ્થાનની સરહદે વાઘપુર બદલ્યા. મોતીભાઈને કાયમી કરવા માટે સંચાલક મંડળે એમની મોકલ્યા નવશિક્ષક તાલીમ કેન્દ્ર બોચાસણ. ત્યાં મળ્યા વિરલ શિક્ષકો શ્રી શીવાભાઇ ગોર અને શ્રી રવિશંકર મહારાજ મોતીબાઈ ખડખડાટ હાસ્ય કરતાં આજે કબૂલે છે કે શિક્ષક તો હતો જ પણ જોડાક્ષર હું બોચાસણમાં માસ્તર થયાના બે વર્ષે શીખ્યો. ઉંમરમાં નાના પણ હોશિયારીમાં મોટા. પછીના બે વર્ષ સ્વરાજ આશ્રમ વેડછીમાં પીટીસી કરી. અહીં હર્ષકાન્ત વોરા, ચીમનભાઈ ભટ્ટ અને જુગતરામ દવે મોતીભાઈ પટેલ ની જિંદગીને અદભુત વળાંક આપ્યો. અહીં વાંચન નો ચસ્કો લાગ્યો. 

             ગુજરાતના બધા અધ્યાપન મંદિરોમાં સર્વ પ્રથમ નંબર મેળવનાર મોતીભાઈની પછી તો બધી જ પરીક્ષાઓમાં પહેલા આવવાની ટેવ પડી ગઈ. શામળાજીની શાળાના આચાર્ય મોતીભાઈ એ ઘેર બેઠા અભ્યાસ કરીને એસએસસી પાસ કર્યું. એ વખતે મોતીભાઈ શિક્ષક હતા. શાળાના હતા પરણેલા હતા અને બે સંતાનોના પિતા પણ હતા. પણ સ્નાતક ન હોવાના કારણે પગાર સવાસોના બદલે 80 નક્કી થયો. એટલે મોતીભાઈએ નોકરી છોડી સ્નાતક થવા ગુજરાત વિદ્યાપીઠ ગયા. સ્વયંપાકી રસોડામાં જોડાયા એટલે ખર્ચ આવે 15 રૂપિયા. બીજા રસોડા કરતા પંદર રૂપિયા ઓછા. અહીં છાપાં વહેંચી, લહિયાગીરી કરીને ખર્ચ કાઢે. 

           એમણે 1962 માં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ સ્નાતકની પદવી મેળવી. બીજા જ વર્ષે રાજપીપળા જઈ ગુજરાતમાં પ્રથમ ક્રમે વિશેષ યોગ્યતા સાથે જી.બી.ટી.સી કર્યું. તરત જ અમદાવાદની સી.એન.વિદ્યાલય માં પહેલા પીટીસી કોલેજમાં અને પછી જી.બી.ટી.સી માં અધ્યાપક થયા. ત્યાં ભણાવતા ભણાવતા જ એમ.એડ કર્યું. અહીં મોતીભાઈ ને જયેન્દ્ર દવે નારાયણભાઈ પટેલ જેવા મિત્રો મળ્યા. ૧૯૬૭ થી ૧૯૭૦ સુધી મોતીભાઈએ જીવનનું એક વિરલ સ્વપ્ન સાકાર કરવા પ્રયાસ કર્યો.પોતાના વતનની ધરતી નજીક આદર્શ વનવાસી વિદ્યાવિહાર ડોડીસરાની સ્થાપના કરી. કવિ ઉમાશંકર જોશી અહીં આવવાના હતા અને વરસાદ વરસે ધોધમાર મોતીભાઈ અને વાલીઓએ કવિને ખભા પર ઉચકી શાળા સુધી હરખભેર લઈ ગયા. આજે પણ મોતીભાઈના ખભા કોઈને કોઈ સાહિત્યકારને ઉચકે છે. એ વહાલથી ખંભાતથી બી.એડ કોલેજના પ્રાચાર્ય આકૃવાલાએ દ્વારિકાની વિદ્યાપીઠ કોલેજની શિક્ષણ વિદ્યાશાખા સંભાળવા મોતીભાઈને મોકલ્યા ચિઠ્ઠીમાં લખ્યું અહીં મને ખોટ પડશે પણ તમારી સંસ્થાની પ્રગતિ માટે મોતીભાઈની ભલામણ કરું છું. પણ એ સાધુ છે અને સાધુ તો ચલતા ભલા એ ન્યાયે એ કેટલું ટકશે એ તમે જાણો.

          મોતીભાઈએ દ્વારકાને જાણે માથે લીધું. તીનબત્તી ચોકમાં બુધવારીયું જમાવ્યું. કોઈ બંધારણ નહીં. કોઇ હોદ્દેદાર નહીં. પણ પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે. પરિસંવાદ, કાર્યશિબિરો, ગોષ્ઠિઓ, પ્રવચનો, સંગીતની બેઠકો એમ કહોને કે ગુજરાતના સાહિત્યકારો શિક્ષણવિદો દ્વારકામાં માથું ટેકવી ગયા. તેઓ અહીં 15 વર્ષ રહ્યા એમાં ગુજરાતના ગુણવંતી ટહુકા સમા ગુણવંત શાહ પંદર વખત સુરતથી દ્વારકા આવ્યા. જામનગર જિલ્લાની શિક્ષણ સમિતિના સભ્ય આખા જિલ્લામાં પુસ્તકાલયો સમૃદ્ધ બનાવ્યા. ચારેબાજુ વિદ્યાર્થીનું વાતાવરણ સર્જ્યું. ત્યારથી 'પારેવડું'  ત્રિમાસિક શરૂ કર્યું. તે આજે "શમણું"ના નામથી ગુજરાત ભરમાં છવાયેલું છે. 

        છેલ્લો સ્પેલ જબરુ પ્રદાન કરનારો બન્યો. સુરેન્દ્રનગરના નાગજીભાઈ અને શાંતાતાઈના માનવ મંદિરમાં મૈત્રી વિદ્યાપીઠ બી.એડ કોલેજનો પાયો નાખ્યો મોતીભાઈએ. ગુજરાતમાં એક આદર્શ બેનમૂન બી.એડ કોલેજનું સ્વપ્ન સાકાર કર્યું. મોતીભાઈ અહીં પ્રથમ આચાર્ય તરીકે of કેમ્પસ અને શૈક્ષણિક પ્રવાસોઓની શૈક્ષણિક સાચી સંકલ્પના રોચી આપી. મોતીભાઈ જ્યારે સુરેન્દ્રનગર બી.એડ. કોલેજમાં આચાર્ય તરીકે જોડાયા ત્યારે એમની અંદર બેઠેલો આચાર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યો. નાગજીભાઈએ લખ્યુ : "ચાંદીના રણકાર જેવો કાનને ગમે એવો અવાજ એ યુવાનનો. મૈત્રીની મહોબ્બતથી ભીંજાઈ જાય અને બીજાની ભીંજવી ન નાખે તો એ મોતીભાઈ શના!!

           મોતીભાઈ પટેલના લેખો સંદેશની એમની કોલમમાં સમકાલીન શિક્ષણ જગતની દશા અને દિશા સંદર્ભે વર્ષો સુધી લખાયેલા. ગુજરાતના શિક્ષણ અને સહિત જગતની અનેક પુસ્તકો તેઓએ ભેટ ધર્યા છે. 'આજીવન શિક્ષણના ભેખધારી રૂપે' શ્રી નટુભાઈ ઠક્કર એવોર્ડ જેવાં અનેક પ્રતિષ્ઠિત સન્માન નથી તેઓને સન્માનવામાં પણ આવ્યા છે. 

               આમ, વૃંદાવન નિવાસી છતાં જાણી પરિવ્રાજક હોય એમ આખું ભારત મોતીભાઈ ખૂંદી વળ્યા છે. તદ્ઉપરાંત થાઇલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર પ્રવાસ તેમજ વિશ્વ શાંતિ પરિષદ નિમિત્તે સભી રૂપે જાપાનની યાત્રા ખેડી છે.

             છેલાં 20 વર્ષથી તેઓ નિવૃત્ત છે. નિવૃત્તિ પછી મોતીભાઈ અધિક શોભાયમાન બની રહ્યા. અઢળક વાંચે છે. ભરપૂર લખે છે. અને બે લગામ રખડે છે.  મોતીભાઈ ગુજરાતના ખૂણે ખાંચરે તેઓ પહોંચે છે. કાર્યક્રમોમાં જાય છે. ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ માં જઈને શિક્ષણના વિચારો વહેંચવાનું શરૂ કર્યું. આજે તેઓ વિડછીથી વિસનગર અને વિસાવદર થી વલ્લભવિદ્યાનગર સુધીના વિસ્તારોમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવચન કરે છે. સૌને પોરસ ચડાવે છે. તથા મિત્રોની ફરિયાદ પણ છે કે મોતીભાઈ વધારે પડતા ગુણગ્રાહી છે. પણ એમનો જવાબ સાંભળવા જેવો છે. ' ખરાબ હોય તો પણ હું જોતો નથી, પણ સારું જોવાની ટેવ પાડશો તો સારું જ મળશે.' તેઓનો મત છે કે જિંદગીની તૃપ્તિ નિવૃત્તિ પછી થઈ છે. કેટલાયને લખતા કર્યા. કેટલાની વાચતાં કર્યા. કેટલાને બોલતા કર્યા. અને સંશોધનની કેડીએ વળ્યા મોતીભાઈએ. 

શિક્ષણ વિદ ભદ્રાયુ વચ્છરાજાની સાહેબે દાદા સાથે કરેલ વિસ્તૃત વાર્તાલાપ જોવા અહીં ક્લિક કરો.

            મૈત્રીનો મોલ કદી સુકાતો નથી. વૃંદાવન નિવાસે સંબંધોની સોગાતો મોતીભાઈની જીવન મૂડી છે. તેઓ હસે  કે બોલે તો પણ એટલા આત્મવિશ્વાસથી કે તમારો નબળો વિશ્વાસ બમણો થાય તમને બધી જ મર્યાદાઓ સાથે સ્વીકારે. મિત્રોની માતબર મૈત્રી નો માભો લઇ ને ફરનાર મોતીબાઈ વગર વાદળ વરસાદના માણસ છે.

ચાર વર્ષ પહેલા લખેલ લેખ અહી સમાપ્ત થાય છે. આવા હતા આપણા સહુના વહાલા મોતીદાદા ! 

( દાદાના પરમ સખા પદ્મ શ્રી ગુણવંત શાહ સાહેબે પાઠવેલ શ્રદ્ધાંજલિ સંદેશ )
પદ્મ શ્રી ગુણવંત શાહ મોતીદાદાને શ્રદ્ધાંજલિ પાઠવતાં કહે છે. મોતીભાઈ તો ગયા પણ મારા આયુષ્યમાંથી થોડાંક વર્ષો લેતા ગયા.

           પૂજ્ય દાદાને અત્યંત ભાવ પૂર્ણ ભાવાંજલિ  

સંદર્ભ : અરવલ્લીનું વનફૂલ  : રમેશ મો. પટેલ

મુઠ્ઠી ઊંચેરા  100 માનવ રત્નો : ભદ્રાયું વચ્છરાજાની

- ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧ ૪૨૬૨૦ 

 

Thursday, November 16, 2023

“વનફૂલ” વૃંદાવન છોડી વૈકુંઠની અનંત યાત્રાએ..!

 

“વનફૂલ” વૃંદાવન છોડી  વૈકુંઠની અનંત યાત્રાએ..!

દાદા આપે વરસાવેલા અનિમેષ વહાલના વળતર હું કયા ભવે ચુકવી શકીશ??  કદાચ ક્યારેય નહીં!!

(ખેતઘર વૃંદાવન પર દાદા સાથે પહેલી મુલાકાત વર્ષ ૨૦૧૯ )

                         અરવલ્લીનું “વનફૂલ”, શિક્ષણઋષિ પરમ આદરણીય પૂજ્ય ડૉ. મોતીભાઈ મ. પટેલ ઉર્ફે મોતીદાદાએ ૧૩ નવેમ્બર સોમવારની મધ્યરાત્રીએ  પૃથ્વીલોક પર અંતિમ શ્વાસ લઈ ‘વૃંદાવન’ છોડી વૈકુંઠની અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. શિક્ષણજગતનો ધ્રુવ તારો જ જાણે ખરી પડ્યો ! અરવલ્લીના અરણ્યમાં પાંગરેલા એક વિરલ ‘વનફૂલ’ના વિલયની સાથે જ જાણે એક યુગનો અંત થયો. દાદાએ લીધેલી અણધારી વિદાયથી ગુજરાતના શિક્ષણજગતથી માંડી સાહિત્યજગતના અનેક લોકો  અસહ્ય આઘાતનો આંચકો અનુભવ્યો !

            હજી તો દાદાએ હમણાં સીત્યાશી પૂરાં કર્યા હતાં. સીત્યાશીએ સ્ફૂર્તિતો સત્તરના યુવાનને સરમાવે તેવી !  શતાયું અને સવાયું જીવન જીવવાનું તો દાદાએ વચન આપી  તેર વર્ષ પહેલાં ચાલી નીકળ્યા ! દાદા વચન આપ્યા પછી એ તોડ્યાનું મારી જાણમાં તો નથી તો છેલ્લું વચન તોડતાં દાદાનો જીવ કેમ ચાલ્યો હશે !

       મારા જીવતરમાં તો દાદા જાણે સાક્ષાત શામળિયાનો અવતાર ધરીને આવ્યા. દાદા સાથે મારો  પાંચ વર્ષથી ઝાઝો પરિચય નહિ. અને એમ છતાં હું દાદા સાથે એવો તે ગૂંથાયો જાણે અમે ભવોભવના સંગાથી !

        જે કોઈપણ દાદાના પરિચયમાં આવ્યા છે તેઓ સુપેરે  જાણે છે કે દાદા સગપણ નિભાવી જાણે. સામેના જણની તકલીફ તેમનાથી  જરા પણ જોઈ ન જાય. કોઈ હારેલા થાકેલા શુષ્ક જીવતરની વ્યથા કથા સાંભળી જાય  તો  દાદા તેના પર અનરાધાર વરસી પડે. અજાણી વ્યક્તિનું જીવતર પણ ઉપવન બનાવવા જાત નીચોવી દે.

          દાદાના આર્ટીકલ સંદેશ અખબારમાં  નિયમિત છપાતા એનો હું વાચક. પણ દાદાને ક્યારેય મળેલો નહિ ! આશરે પાંચેક  વર્ષ પહેલાં મોડાસા પી.ટી.સી. કોલેજમાં દાદાનું વ્યાખ્યાન ગોઠવાયું હતું. કોલેજના પ્રિન્સીપાલ ડૉ. સંતોષ દેવકર સાહેબે આમંત્રણ પાઠવ્યું. અને હું  દાદાનું વ્યાખ્યાન સંભાળવા પહોંચી ગયો. પહેલી જ વાર આ શિક્ષણઋષિને સાંભળી રહ્યો હતો.  દાદાની વાણી સાંભળી મંત્રમુગ્ધ બની ગયો. કાર્યક્રમ બાદ ભીડની વચ્ચે દાદાને મળ્યો. અને દાદાએ જે વહાલથી મારા ગાલને સ્પર્શ કરી પંપાળી રહ્યા. દાદાની પાણીદાર આંખોમાંથી જાણે અમી વર્ષા થઇ રહી. હું દાદાના વહાલથી તર-બ-તર થઇ ગયો. દાદાએ ખુબ ભાવ પૂર્વક કહ્યું “દીકરા ક્યારેક મળવા આવ !”  દાદા સાથેની આ મારી પહેલી મુલાકાત ! એ દિવસ અને એ ઘડીથી હું દાદાનો પરમ ભક્ત બની ગયો. દાદાએ મળવાનું આમંત્રણ તો આપ્યું જ હતું એમ છતાં દાદાને મળવાનો યોગ સધાતો નહતો. પરતું જયારે વર્ષ ૨૦૧૯માં  બ્લોગ લખવાની શરૂઆત કરી ત્યારે દાદા વિષે એક આર્ટીકલ લખવાનું નક્કી કર્યું. દાદાનો ટેલીફોન સંપર્ક કર્યો કે દાદા આપના વિષે મારે લખવું છે.

(વર્ષ  ૨૦૧૭-૧૮ મોડાસા પીટીસી કોલેજ વ્ય્ખ્યાન બાદ કોઈ જ પરિચય વિના વહાલ વરસાવતા દાદા )

૧૫ મી સપ્ટે. ૨૦૧૯ ને રવિવારનાં રોજ દાદા અમદાવાદથી તેઓના વતન ઇસરીના વૃંદાવન ફાર્મ પર આવવાના હતા. તો તેઓનો સંદેશો મળ્યો કે ' ઈશ્વર ઇસરી આવું છું. અનુકૂળતા હોય તો આવ. મળીએ ' દાદાને મળવાની ઝંખના ખૂબ હતી. રવિવારે ઇસરી આવવા જવાની મારી તમામ વ્યવસ્થા દાદાએ ફોનથી ગોઠવી દીધી. દાદા સાથે પુરા બે કલાક નિરાંતે ગાળ્યા. હીંચકે ઝૂલતાં ઝૂલતાં દાદાએ દાયકાઓનું અનુભવનું ભાથું અમારી આગળ ખુલ્લું મૂક્યું. શિક્ષણ અને સાહિત્ય ગોષ્ઠિ જામી. દાદાએ આગ્રહ કરી નીતાબેને બનાવેલો લીલી મકાઈના ડોડાનો છૂંદો ખવડાવ્યો. કહો ને કે મોજ પડી ગઈ. મનોરમ્ય વૃંદાવન ફાર્મ પર ગાળેલા એ બે કલાક જિંદગીની ધબકતી ક્ષણો હતી. હજી એની લીલીછમ યાદ હૃદયમાં સચવાયેલી છે અને આજીવન સચવાયેલી જ રહેશે. તારીખ ૨૦ મી સપ્ટેમબર ૨૦૧૯ નો એ દિવસ જીવનનો એક એવો યાદગાર દિવસ છે જેને હું કદાચ આજીવન નહીં ભૂલી શકું.

 એ દિવસે હું ઘરે પહોંચ્યો તો દાદાનો મેસેજ મળ્યો " ઈશ્વર મારી એક વિનંતી સ્વીકારે તો એક વાત કહું" મેં જવાબ આપ્યો : "દાદા આપે વિનંતી નહીં આદેશ કરવાનો હોય! બોલો શુ કરવાનું છે મારે આદેશ કરો."  દાદાનો વળતો મેસેજ આવ્યો "મારા તરફથી સરસ કૉમ્પ્યુટર લઈ લે. મને કિંમત જણાવ. તરત મોકલી આપીશ."

હું દાદાને વંદન કહી નિરુત્તર રહ્યો. બીજા દિવસે ફરી દાદાએ મેસેજ કર્યો "કોમ્પ્યુટર લીધું ??"

હું ફરી નિરુત્તર રહ્યો. હું શું જવાબ આપું?? દાદા પાસેથી કોમ્પ્યુટરના પૈસા કેમ લેવાય ?? તો એ જ દિવસે સાંજે હું ઘરે પહોંચું એ પહેલાં વિનોબા ભાવે આશ્રમ શાળાના આચાર્ય કનુભાઈ પંચાલ મારા ઘરે આવી બેઠા હતા. તેઓ એ મને કહ્યું " દાદાએ આપને કોઈ મેસેજ કર્યો હતો?"

મેં કહ્યું "હા, દાદા કોમ્પ્યુટર લેવાનું કહે છે. પરંતુ મારાથી કેમ લેવાય?"

કનુભાઈ સાહેબે કહ્યું. "દાદાએ આપના કોમ્પ્યુટરની જવાબદારી મને સોંપી છે. અને આપના માટે Dell નું એકદમ લેટેસ્ટ વરઝનનું લેપટોપનો ઓર્ડર આપી ને આવ્યો છું. જે આપને બે દિવસમાં મળી જશે"

હું અવાક બની સાંભળી જ રહ્યો. તરત જ દાદાને મેં ફોન જોડ્યો અને કહ્યું " દાદા સાવ આવું કરવાનું?" દાદા એ કહ્યું "ઈશ્વર, તું જે કામ લઈને નીકળ્યો છે એની સામે આ કંઈ નથી. આ લેપટોપથી તારા લેખન કાર્યને વેગ મળશે. તું ઝડપથી આગળ વધી શકીશ. અને કોમ્પ્યુટર ની જગ્યાએ લેપટોપ એટલે આપ્યું કે તું પ્રવાસ દરમિયાન પણ સાથે રાખી શકે. અને લખી શકે."


(દાદાએ ભેટ આપેલ લેપટોપ સાથે )

દાદાની વાત સાંભળતા સાંભળતા જ મારી આંખના ખુણા ભીના થયા. આટલું ઓછું હોય એમ દાદા વાત આગળ લંબાવતા બોલ્યા "સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા ન દઉં !. તને મકાન બનાવી આપું" દાદાના શબ્દો લાગણીથી તરબતર હતા. દાદાની મારા પરની અપાર લાગણી અને અસીમ પ્રેમ જોઈ મારી આંખોમાં પૂર ઉમટયું. અને આજે કોમ્પ્યુટર દુકાનમાંથી ફોન આવ્યો. "ઈશ્વરભાઈ તમારું લેપટોપ આવી ગયું છે. શાળાએથી ઘરે જતાં લેતા જજો."

પહેલી મુલાકાતમાં જ ઝાઝા પરિચય વિના કોઈ વ્યક્તિ આટલું ધોધમાર વરસી શકે એવું ક્યારેય સાંભળ્યું છે ? એ તો  મોતીદાદા જ વરસી જાણે ! એ પછી તો અમારી વચ્ચેનો સ્નેહનો એવો તે ગાઢ સેતુ  રચાયો કે જાણે સઘળાં અંતર જ ખરી  પડ્યા. ઘરના મોભીની જેમ જ દાદા  મારા પરિવારની  ખુબ કાળજી લેતા.

વર્ષ ૨૦૧૯માં મોડાસા રહેવા ગયો હતો પણ કોરોના આવતા વતન પાછો આવતો રહ્યો હતો. દીકરી રાહી ૨૦૨૨માં નવમા ધોરણમાં અવતાં ફરી મોડાસા જવું પડ્યું. ભાડે મકાન લઈ લીધું. લેપટોપ આપતી વખતે દાદાએ કહેલા શબ્દો “સંભાળ ઈશ્વર, મારુ જો ચાલે તો તને ભાડાના મકાનમાં રહેવા ન દઉં. તને મકાન બનાવી આપું"  હું તો આ વાત વિસરી ચુક્યો હતો પણ દાદાએ ગાંઠે બાંધી રાખી હતી.  દાદા અવાર નવાર પૂછે કેટલું ભાડું છે ? કેટલા રૂમ છે ? અને પૂછે  “મોડાસામાં ફ્લેટ લેવો હોય તો કેટલામાં પડે ?”

દાદાને મારે કહેવું પડતું દાદા અહી ફ્લેટની કિંમત પુછવાનીય મારી હિંમત નથી.” દાદાએ ફ્લેટ શોધવાનું  આ કામ કનુભાઈ પંચાલને સોપ્યું. કહ્યું કે મોડાસાના સારા વિસ્તારમાં  એક આલીશાન ફ્લેટ જોઈએ છે. શોધીને કહે ! કનુંભાઈ પંચાલને પણ પ્રશ્ન થયો કે દાદા અમદાવાદ રહે છે અને મોડાસામાં ફ્લેટ જોવાનું કેમ કહે છે ? દાદાએ કહ્યું “ફ્લેટ મારા માટે જ જોઈએ છે. શોધીને કહે. અને ફ્લેટ જોવા જાય તો ઈશ્વરને બોલાવી લે જે !”

(નવીન ફ્લેટમાં ઘટ સ્થાપન સમયે દાદાની પધરામણી )

ગયા વર્ષે નવરાત્રીનું ચોથું નોરતું ચાલતું હતું. હું શાળાએથી મોડાસા જવા નીકળ્યો હતો. ત્યારે કનુભાઈનો ફોન આવ્યો કે “ઈશ્વરભાઈ પાવન સીટીમાં આવો.” (પાવન સીટી મોડાસા ફ્કલેટની જાણીતી સાઈટ છે.) કનુંભાઈનો ફોન આવ્યો એટલે હું ચમક્યો. મને લાગ્યું જ કે દાદાએ જ કોઈ કળા  કરી હોવી જોઈએ.


(પરમ સખા પદ્મ શ્રી ગુણવંત શાહ સાથે )

        હું સાંજે છએક વાગ્યે પાવન સીટીએ પહોંચ્યો. કનુંભાઈએ મારા આશ્ચર્ય વચ્ચે કહ્યું “આપણે ફ્લેટ જોવાનો છે.” મેં કહ્યું “કોના માટે ?” કનુભાઈ બોલ્યા “તમારા માટે.” મેં કહ્યું “કનુભાઈ, હું ફ્લેટ ખરીદી શકું એવી સ્થિતિમાં જ નથી.”

કનુભાઈએ કહ્યું “દાદાનો આદેશ છે અને ફ્લેટ આજે જ લેવાનો છે.” દાદાને તરત ફોન જોડ્યો દાદા કહે “કનું કહે છે એમ કર. બાકીનું જોયું જશે.” અવઢવ વચ્ચે મેં મારી પત્ની કીર્તિને ફોન કર્યો. અને પાવન સીટી બોલાવી. એ પણ આશ્ચર્યમાં ગરકાવ હતી. કે અત્યારે સાંજના સમયે શું કામ અહી બોલાવી હશે. કીર્તિ એ પ્રશ્નાર્થ ભરી નજરે મને જોઈ રહી. મેં કહ્યું “ફ્લેટ જોવાનો છે?” કીર્તિએ પૂછ્યું “કોના માટે ?” મેં કહ્યું “આપણા માટે” એના પણ આશ્ચર્યનો પાર રહ્યો નહિ.


( અમદાવાદ લિટરેચર ફેસ્ટીવલમાં દાદા સાથે)

દાદાના આદેશ અનુસાર ફ્લેટ જોયો અને પંદર જ મિનીટમાં ફ્લેટ પસંદ કરી લીધો. બિલ્ડર વિનુભાઈ પટેલ પાસે જઈ વાત કરી કે આ ફ્લેટ બૂક કરી દો. બિલ્ડરે સ્વાભવિક રીતે ફ્લેટ બુકિંગ માટે  બાનું માગ્યું. હું અને કીર્તિ એકબીજા સામે જોઈ રહ્યા. અમે કહ્યું બાનું નથી લાવ્યા. ત્યારે વિનુભાઈએ કહ્યું "હું બાનામાં લાખ-બે લાખ નથી માંગતો. શુકનના એક હજાર જ આપો તો પણ ચાલશે." એ દિવસ શામળિયાએ બરાબર કસોટી કરી મારા ખીસામાં એક હજાર પણ નહિ.! ફ્લેટનું  બાનું શામળિયાએ ચુકવ્યું. દાદાએ આશીર્વાદ રૂપે હુંડી મોકલી આપી. બાકીના પેમેન્ટની સગવડ કઈ રીતે થઇ એ શામળિયો, દાદા, કનુભાઈ પંચાલ, હું અને મારા બે-ત્રણ મિત્રો જ જાણે છે. દશેરાના દિવસે ઘડો મુકવાનું શુભ મૂહર્ત હતું. ઘડો મુકવા દાદા અમદાવાદથી પધાર્યા. મોડાસામાં મકાન લેવા માટે જો દાદાએ હામ ન આપી હોત તો  આજે પણ હું ભાડુતી મકાનમાં જ રહેતો હોત.

તાજેતરમાં સુરેન્દ્રનગર વાંચનાલયના ઉદઘાટન માટે દાદાને મુખ્ય મહેમાન તરીકે જવાનું થયું. ત્યારે દાદાએ મારી જૂની અલ્ટો કાર લઈને જ સુરેન્દ્રનગર જવાની જીદ પકડી. મેં દાદાને ઘણું સમજાવ્યા પણ એ ન માન્યા તે ન જ માન્યા. રસ્તામાં ગાડી એ હેરાન પણ કર્યા. એ જ વખતે દાદાએ કહ્યું તારો રથ બદલવાનો છે હવે. મેં કહ્યું “દાદા હમણાં નહિ પહોંચી વળાય મારાથી.” દાદા કહે "તારો દાદો બેઠો છે.  તને ગમતી સારામાં સારી કાર લઈ આવ. જન્માષ્ટમીએ નવી કાર આવી જ જવી જોઈએ. દિવાળી પછી હપ્તાનું પણ શામળિયો કાંઇક ગોઠવી આપશે." આ જન્માષ્ટમી પર FRONX કાર દાદાએ લેવડાવી. કારનું ભવિષ્ય શામળિયો જાણે અને વૈકુંઠમાં બેઠા દાદા જાણે ! (શામળિયાએ કારની સઘળી જવાબદારી ઉપાડી લીધી છે.)

દાદાનું આવું હૂંફાળું સાનિધ્ય સાંપડ્યું હોય એવો  હું એકલો સદભાગી છું એવું નથી. દાદાની કર્મભૂમી દ્વારિકા અને સુરેન્દ્રનગરની યાત્રા કરી અને દાદાના એનેક શિષ્યોને મળ્યો તો તેમના મોટાભાગના શિષ્યોએ કબુલ્યું કે "દાદાના સધિયારા વગર અમે કાંઈ  કરી શક્યા ન હોત. આજે અમે જે પણ કાઈ છીએ એ દાદાના પ્રતાપે !" દાદાએ તેમના શિષ્યોને છાતી ફાડીને પ્રેમ કર્યો છે. તન, મન, ધનથી દાદા શિષ્યોની વહારે ચડ્યા છે.  દાદા અનેકોના જીવતરની દશા અને દિશા બદલવામાં નિમિત્ત બન્યા છે. એક નખશિખ શિક્ષક તો ખરા જ સાથે સાથે આજીવન વિદ્યાર્થી રહ્યા. છેલ્લા શ્વાસ સુધી નવું નવું શીખવાની વૃત્તિમાં જરા પણ ઓટ આવી નહીં. સીત્યાશીની વયે પણ ટેકનોલોજીથી અપડેટ રહેતા. સાચા અર્થમાં ગાંધીજન ! વિનોબાજી સાથે ભુદાન સમયે પદયાત્રા કરેલી. જીવ્યા ત્યાં સુધી ખાદી સિવાય બીજું વસ્ત્ર અંગે સ્પર્શવા દીધું નહિ. 

       દાદા મારા શિક્ષત્વને સર્જનવૃત્તિને સતત બિરદાવી ઉચ્ચત્તમ શિખરે પહોંચાડવા સતત ટપોરતા રહેતા. મારો આર્ટીકલ ક્યાંય છપાય, મારું  પુસ્તક પ્રગટ થાય તો મારા કરતાંય અધિક આનંદ દાદાને થાય. મે ૨૦૨૩ માં મારાં બે પુસ્તકોના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં નિમંત્રક તરીકે દાદાએ એમનું નામ લખાવી મને ધન્ય કર્યો હતો.


(દ્વારિકા યાત્રા દરમિયાન સાથે ભોજન લેતા દાદાની બાજુમાં હરેશ પટેલ ન્યુલીપ સ્કૂલ મોડાસા, મારી બાજુમાં આનંદ પટેલ દાદાના ભત્રીજા )

છેલા બે મહિનાથી દાદાને કોઈ અગમ અણસાર આવી ગયો હોય એમ બેફીકરાઇ અને મસ્તીથી અલગારી આનંદ માણતા. તેઓએ જ્યાં દાયકાઓ સુધી  શિક્ષણની ધૂણી ધખાવી કર્મભૂમિ બનાવી હતી એવી દ્વારિકા અને સુરેન્દ્રનગરની યાત્રા પણ કરી આવ્યા. જે જે સ્થળો તેમના પ્રિય હતાં એ સ્થળો એ જઈ ધ્યાન મગ્ન થઇ ભૂતકાળની દાદો તાજી કરી લીધી. રંજનબેન સાથે ગાળેલી પ્રેમની પળો પણ વાગોળી લીધી. તેમના પ્રિય શિષ્ય અને શિષ્યાને મળી આવ્યા.   નવો રથ (અર્ટીકા કાર ) પણ લઇ લીધો. વહાલાં સાથે વાળું નામે સુંદર સ્નેહ મિલન કરી સૌ પ્રિયજનોને નોતરી હેતે ભોજન જમાડ્યાં. છેલ્લે છેલ્લે કંટાળું હનુમાનજી મંદિરના પ્રાંગણમાં નવ દિવસીય રામકથાનો મનોરથ પણ પૂર્ણ કરી લીધો. દાદાનું અત્યંત પ્રિય એવું ખેતઘર (ફર્મ હાઉસ) “વૃંદાવન”ને પણ નવા કલેવર સજાવી સજ્જ કરી દીધું. છેલ્લા અડતાલીસ વર્ષથી ચાલતું સામાયિક સમનુંના ડીસેમ્બર મહિનાના આર્ટીકલનું સંકલ કરી મારી પાસે જ પ્રેસમાં ઈ-મેલ કરાવ્યા.  કોઈ અગમ અનંત યાત્રાએ નીકળવાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે આ બધું જ છેલ્લા બે મહિનામાં  તૈયાર કર્યું.

મારી છેલ્લી મુલાકાત ૧૧ નવેમ્બરે થઇ. ૧૦ તારીખે દાદાનો મેસેજ હતો કે “ફ્રુટ લઇ પરિવાર સાથે ઇસરી આવ.” પરિવારને સાથે લઇ જઈ ન શક્યો પણ હું એકલો દાદા માટે ફ્રુટ લઇ ઇસરી જવા નીકળ્યો. રેલ્લાવાડા પહોંચ્યો ત્યાં ફોન આવ્યો “ઈશુ, કેટલે પહોંચ્યો ? હું રેલ્લાવાડા છું. તું પણ અહી આવી જા.” દાદા કનુભાઈ અને નીતાબેન સાથે  અહી વાસણની દુકાનમાં વાસણ ખરીદી રહ્યા હતા. દાદા હવે ઇસરી જ રહેવાના હતા. એટલે જરૂરી તમામ વાસણ ખરીદી લીધા. દાદાએ ભોજન માટે કાંસાની થાળી વાટકી પણ લીધાં. જો કે એ થાળી વાટકી લેવાની જવાબદારી  દાદાએ મને સોંપી હતી. એ હું અમદાવાદ જઈ ન શક્યો અને દાદા માટે થાળી વાટકી ખરીદી ન શક્યો. એ વખતે દાદાએ મને પૂછ્યું પણ ખરું. તું થાળી વાટકી લાવ્યો ?  દાદા ગમ્મતથી મારા માથે હાથ ફેરવતા ફેરવતા ઘેલ કરી રહ્યા.ત્યાંથી અમે કંટાળું હનુમાનજીના દર્શને ગયા. એ દિવસ શનિવાર અને કાળી ચૌદશનો સુભગ સમન્વય હતો. યોગાનુયોગ નીતાબેનનો જન્મ દિવસ પણ હતો.

દર્શન કરી વૃદાવન ફાર્મ પર પરત આવી મારે ઘરે જવાની ઉતાવળ હતી એમ છતાં સાથે બેસાડી જમાડ્યો. અને પછી મને જવાની રજા આપી. હું નીકળતા દાદાએ એક લેખ પણ મારા હાથમાં મુક્યો અને કહ્યું આ લેતો જા. ટાઈપ કરી મને મોકલજે. એમાં દાદા એ લખ્યું હુતું “વનફૂલ સીત્યાશી વર્ષે વૃંદાવનમાં રહેવા આવી ગયું છે અને બાકીના તેર વર્ષ અહીં જ વિતાવશે.”


(શામળાજી દર્શને જતાં લાક્ષણિક અદામાં અમારા નવીન રથમાં  ) 

આ લખી રહ્યો છું ત્યારે દાદાના  હસ્તાક્ષરોથી લખેલો પત્ર મારી નજર સામે છે. એ જોઈ આંખો ભીંજાય જાય છે. એક દમ સ્વાસ્થ્ય લગતા દાદા સાથેની મારી એ છેલ્લી મુલાકાત હતી એ ક્યાં ખબર હતી ? ખબર હોત તો દાદાને વળગીને બરાબર  ભેટી પડત. કસીને બાથમાં લઇ દાદાને વહાલથી નવડાવી દેત !

    અરવલ્લીના આ અરણ્ય વિસ્તાર માટે દાદાના ઘણા સપના હતા. દાદાને  હજી મારે ઘણું કરવું હતું. છેલ્લા શ્વાસ સુધી આદિવાસી બાળકોના હિત માટે, એમના હકો માટે લડતા રહ્યા. જાપાન યાત્રાના પુસ્તકનું પ્રૂફ જોઈ પ્રકાશકને મોકલવા મને આપતા ગયા. એ પ્રૂફ હજી મારા ટેબલ પડ્યું પડ્યું મને તાકી રહ્યું છે.  દાદા સતત કામ કરતા રહ્યા. અવિરત મથામણ કરતા રહ્યા તોય સીત્યાશી વર્ષનું આયખું ઘણું ઓછું પડ્યું.

પિતાની છત્ર છાયા ગુમાવી એ દિવસે ચોધાર આંસુએ  રડ્યો હતો. એ પછી એક આજનો દિવસ છે કે આંખોના આંસુ સુકાતાં નથી. દાદાએ  આપેલાં એટલાં સ્મરણો છે એ કેમે કરી વિસરતાં જ નથી. ઘરનો મોભ તૂટી પડ્યાની વેદના અનુભવું છું. છત્રછાયા ગુમાવી જાણે મારો આખો પરિવાર નોંધારો થઇ ગયાની અનુભૂતિ થઇ રહી છે. અરવલ્લીના ઇશાનિયા મલાકમાં પાકેલું આવું પાણીદાર 'મોતી' લાખોમાં એક પાકે! 

આદરણીય ગુણવંત શાહ કહેતા " મોતીભાઈ પાસે શિક્ષણની સુગંધ ધરાવતી અત્તર દાની છે." દાદા ભલે સદેહે નથી રહ્યા પણ તેઓએ ચોમેર પ્રસરાવેલી શિક્ષણ સૌરભ ચીરકાળ સુધી અમર રહેશે એમાં કોઈ બેમત નથી. 

દાદા મને ઘણી વાર કહેતા “ઈશ્વર, તારામાં હું મારું પ્રતિબિબ જોઉં છું.”  

દાદાને  શ્રદ્ધાંજલિ આપવા મને શબ્દો જડતા નથી.  શામળિયાને પ્રાર્થું છું કે દાદા  આપના સેવેલા સપના પુરા કરી શકું, આપે ચાતરેલા ચીલે બે ડગ ચાલી શકું, આપની જેમ જ  કોઈ અજાણી દુઃખી વ્યક્તિના આંસુ લુછી એના મુખ પર સ્મિતનું કારણ બની શકું. પાસે આવેલા કોઇપણ ઉપર કારણ વગર જ  નિસ્વાર્થ અને નિખાલસ  વહાલ વરસાવી શકું. ધૂપસળી જેમ જાત બાળી ચોમેર સુવાસ પ્રસરાવી શકું તોય ઘણું !

હું ૧૧ નવેમ્બરે છેલ્લે મળ્યો ત્યારે તેમના ટેબલ ઉપર સદગુરુ લિખિત  પુસ્તક પડ્યું હતું. એ પુસ્તકનું નામ હતું "મૃત્યું" !આને શું સમજવું??? આ એક કોયડો જ રહ્યો !

     દાદા આપે વરસાવેલા અનિમેષ વહાલના વળતર તો હું કયા ભવે ચુકવી શકીશ??  કદાચ ક્યારેય નહીં!!

                                                                    - ઈશ્વર પ્રજાપતિ 

૯૮૨૫૧ ૪૨૬૨૦ 

 

Sunday, November 12, 2023

સન્ડે સ્પેશીયલ

 દીપાવલીઃ મનના અંધકારને દૂર કરવાનું પર્વ તમસો મા જ્યોતિર્ગમય



       આજે દીપાવલી છે. દીપાવલી પર્વમાં દીપક , રંગોળીં અનર લક્ષ્મીપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે.  દીપાવલી હિન્દુ સમાજનો આ મોટામાં મોટો તહેવાર છે. ગરીબ અને તવંગર એ સૌ કોઈ દીપાવલીના તહેવારને આનંદ અને ઉલ્લાસથી મનાવે છે. દીપાવલી એ પ્રકાશનો તહેવાર છે. ઝૂંપડું હોય, નાનું ઘર હોય, મોટી હવેલી કે બંગલો હોય,પરંતુ આ દિવસોમાં ઘરે ઘરે દીવડાં પ્રગટાવવામાં આવે છે.

દીપકને જીવનની પરંપરા તથા તમસો મા જ્યોતિર્ગમયને આકાંક્ષાનો આધાર માનવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર દીપકની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થઈ છે. હિન્દુ શાસ્ત્રોમાં નવ પ્રકારની પૂજા અર્ચનાનું વિધાન છે, જેમાં દીપ પૂજા તથા દીપદાનને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે.

ઘણી બધી સદીઓથી દીપાવલી પર્વની કેટલીક પરંપરાઓ ચાલી આવી છે. દિવાળી પહેલાં સાફસફાઈ, રંગાઈ, સાજસજાવટ અને અર્ચનાનાં ભવ્ય રૂપ-એ બધી માન્યતાઓ અને રિવાજને સમજવાની જરૂર છે. દિવાળી પહેલાં ઘરની સાફ-સફાઈ કરી ઘરને રંગવાથી ઘરની અંદરની નકારાત્મક ઊર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઊર્જા અંદર આવતાં ભાગ્યોદય થાય છે એમ મનાય છે. વૈજ્ઞાાનિક રીતે પણ ચોમાસાની ઋતુથી ઘરમાં પેદા થયેલાં બેક્ટેરિયા મરી જવાથી ઘર કીટાણુરહિત થઈ જાય છે.

દીપક શા માટે પ્રજ્વલિત કરવામાં આવે છે, તેનું પણ એક મહત્વ છે. દીપક મન અને તન બંનેના અંધકારને દૂર કરે છે. દીપક શુભનું પ્રતીક છે. દીપક માત્ર અજવાળું આપે છે તેવું નથી, પરંતુ અંધકાર સામે લડવાની પ્રેરણા પણ આપે છે. દીપકથી જીવનમાં એક સુખદ અનુભૂતિ થાય છે.

ગણપતિ તથા લક્ષ્મીપૂજા શા માટે કરવામાં આવે છે? આમ તો બધા જ ભગવાન શુભ પ્રદાતા છે, પરંતુ દિવાળી પર ખાસ કરીને ગણપતિની પૂજા કરવાનું માહાત્મ્ય એ છે કે ગણપતિ પ્રથમ પૂજ્ય હોવાની સાથેસાથે રિદ્ધિસિદ્ધિ અને શુભ-લાભના દેવતા પણ છે. ગણપતિ પધારતાં જ બધાં સુખ આપોઆપ આવે છે. લક્ષ્મીજીની કૃપાથી ધનનું સુખ પ્રાપ્ત થાય છે. દીપાવલીના દિવસોમાં લક્ષ્મીજીના પૂજનનું વિશેષ મહત્ત્વ છે. આખરે દુનિયાનું દરેક સુખ લક્ષ્મીજીની સાથે જ જોડાયેલું છે. લક્ષ્મીજીનાં અનેક રૂપ છે. ધન-ધાન્યનાં દેવી, સંસારનાં પાલનહારી, સદૈવ ભગવાન વિષ્ણુની નિકટ નિવાસ કરનારાં દેવી મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુનાં અર્ધાંગિની પણ છે. તેમને બધાં જ સુખો અને ઐશ્વર્યોનાં સ્વામિની પણ માનવામાં આવે છે. દીપાવલીની રાત્રે ધૂમધામ પછી વ્યાપક વિધિ-વિધાન દ્વારા સૌ પ્રથમ વિનાયક ગણપતિનું પૂજન થાય છે અને તેની સાથે સાથે જ લક્ષ્મી અને સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. લક્ષ્મીજીનું બીજું નામ સ્ત્રી પણ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી, ઝઘડા અને કલહ છે તે ઘરમાં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતાં નથી. અહીં પતિ-પત્નીના ઝઘડા, સાસુ-વહુના ઝઘડા, નણંદ-ભોજાઈના ઝઘડાઓ બધું જ અભિપ્રેત છે. દીપાવલી પહેલાં આ કલહ દૂર કરવો જરૂરી છે. જ્યાં ભ્રૂણહત્યા થાય છે ત્યાં લક્ષ્મીજીનો જ અનાદર છે. બહેનનું અપમાન તે પણ લક્ષ્મીજીનું જ અપમાન છે.

માર્કન્ડેય પુરાણમાં સમસ્ત સૃષ્ટિની મૂળભૂત આધારશક્તિ મહાલક્ષ્મીને માનવામાં આવ્યાં છે. આધારશક્તિ એટલા માટે કે એમને સત્ત્વ, રજ અને તમો એ ત્રણેય ગુણોનાં મૂળ માનવામાં આવ્યાં છે. લક્ષ્મીજી વિષ્ણુપ્રિયા પણ છે. જે ઘરમાં નારાયણની પૂજા થતી નથી તે ઘરમાં લક્ષ્મીજી રહેતાં નથી. ભગવાન નારાયણને લક્ષ્મીજી વગર ફાવે છે, પરંતુ લક્ષ્મીજીને નારાયણ વગર ફાવતું નથી. લક્ષ્મીજીને મહેલોમાં કે તિજોરીઓમાં કેદ કરનારાં પણ ચોર અને લુંટારુંઓ જ છે. સમાજે તમને કંઈ આપ્યું હોય તો તે સમાજને પાછું આપવું તે લક્ષ્મીજીનેે પસંદ છે. લક્ષ્મીજીનો સંગ્રહ કરવો અને તેનો સદુપયોગ ન કરવો એ કામ અભાગિયાઓ જ કરે છે.

લક્ષ્મીજીના આકાંક્ષી આપણે જ ઘણી વાર ભૂલી જઈએ છીએ કે જે લક્ષ્મીથી તમે ભવ્ય બંગલા અને આલીશાન આશિયાના બનાવો છો તે લક્ષ્મી ખુદ કદી ભૌતિક ચીજો પાછળ નહીં, પરંતુ ભગવાન વિષ્ણુની પાછળ દોડે છે. ક્ષીરસાગરમાં બિલકુલ શાંત ચિત્તે સૂતેલા ભગવાન વિષ્ણુ જ સમૃદ્ધિનું અસલ પ્રતીક છે. જો તમારી પાસે લક્ષ્મી ને વૈભવ છે તો તમે શ્રેષ્ઠ દાતા બનો. તમારી પાસે કોઈ સુખ સમૃદ્ધિ છે તો તેને વહેંચો. દરરોજ એક અજાણી વ્યક્તિના ચહેરા પર ખુશી લાવો, તમારી ભીતરની સમૃદ્ધિ ઔર વધશે.

યાદ રહે કે સમુદ્રમંથન દરમિયાન પ્રાપ્ત થયેલાં ૧૪ રત્નો પૈકી એક વિશિષ્ટ રત્ન છે – ‘લક્ષ્મી’. આ અનુપમ સુંદરી, સુવર્ણમયી, તિમિરહારિણી, વરદાત્રી, પ્રસન્નવંદના, શુભા અને ક્ષમાદાયી છે. ભગવાન વિષ્ણુએ આ અનુપમાનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો. આ પ્રકાશમયી દેવી અમાવસ્યાની રાત્રિના અંધકારને પોતાના પ્રકાશપુંજથી ચીરતી સમુદ્રમાંથી પ્રગટ થઈ હતી અને સમગ્ર વાતાવરણને જ્યોતિર્મય બનાવ્યું હતું. આ કાળી અમાવસ્યાને આ કારણથી જ આપણે પ્રતિવર્ષ દીવડાંઓ પ્રગટાવી લક્ષ્મીજીનું સ્વાગત અને પૂજન કરીએ છીએ. કહેવાય છે કે સાત્ત્વિક ધન હોય તે જ લાંબું ટકે છે. જે દાન કરે છે તેનું ધન ટકે પણ છે અને વધે પણ છે. જે લોકો ખોટાં કૃત્યો કરી, દગો-ફટકો કરી, છેતરપિંડી કરી, અનૈતિક રીતરસમો અપનાવી ધન કમાય છે તેને તામસી ધન કહે છે. એવા પરિવારો પાસે ધન હોય તો પણ ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે, પરિવાર તૂટે છે.

આમ, લક્ષ્મીપૂજન ઉપરાંત દીપાવલીના દિવસે આંખમાં કાજળ કરવાની પણ પરંપરા છે. ધાતુના પાત્રની પાછળ ઘી લગાડી તેને દીવા પર રાખી તેની પર વળતી કાળી મેશથી આંખ આંજવાની પણ એક પરંપરા છે. આ પરંપરા પ્રાચીનકાળથી ચાલી આવે છે. ભગવાન શ્રીરામ વનવાસ પૂરો કરી અયોધ્યા પાછા આવ્યા ત્યારે માતા કૌશલ્યાએ પુત્ર શ્રીરામની આંખમાં કાજળ આંજ્યું હતું. માન્યતા એવી છે કે દીપાવલીની રાતે આંખમાં કાજળ આંજવાથી આખું વર્ષ કોઈની બૂરી નજર લાગતી નથી. એ ઉપરાંત આંખની રોશની પણ વધે છે.

દીપાવલીના દિવસોમાં રંગોળીનું પણ એક મહત્ત્વ છે. ઘરના પ્રવેશદ્વાર પાસે રંગોળી દ્વારા લક્ષ્મીજીનાં ચરણ બનાવવાનું પ્રાવધાન છે. તેમાં લાલ, ગુલાબી, પીળો, લીલો અને સફેદ રંગ વપરાય છે. આ બધા જ રંગ સકારાત્મક ઊર્જા લાવે છે તેમાં વાદળી, કાળો, અને રાખોડી રંગ વપરાતો નથી, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જા પ્રદાન કરે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે રંગોળી એ ખુશી અને ઉત્સવનું પ્રતીક છે.

દિવાળીના તહેવારોમાં આતશબાજી એટલે કે ફટાકડા ફોડવાનું પણ એક માહાત્મ્ય છે. આમ તો ભગવાન શ્રીરામના શુભ આગમન પર અયોધ્યાવાસીઓએ હજારો દીવડાં પ્રગટાવી ફટાકડા ફોડી પોતાની અપ્રતીમ ખુશી વ્યક્ત કરી હતી. રામાયણમાં પણ તેનું વર્ણન છે. એ દિવસની યાદમાં હજારો વર્ષ બાદ આજે પણ ભારતવર્ષમાં આતશબાજી કરવામાં આવે છે. વૈજ્ઞાાનિક રીતે જોઈએ તો ફટાકડાથી ઉત્સાહ વધે છે. રંગીન આતશબાજીથી મનની નિરાશા દૂર થાય છે અને પ્રસન્નતા વધે છે. વીતેલા ચોમાસાના કારણે વાતાવરણમાં રહેલાં જીવજંતુનો નાશ થાય છે. અલબત્ત, ફટાકડા વિવેકસર ફોડવામાં ન આવે તો પ્રદૂષણ પણ વધે છે.

ચાલો, દીપાવલીના તહેવારો શરૂ થઈ રહ્યા છે ત્યારે ફરી એક વાર લક્ષ્મીજીનું પૂજન કરવાની સાથે સાથે આપણી વિચારધારા પણ બદલીએ. ધનલક્ષ્મીનો મતલબ એ દેવી નથી જે માત્ર ધન આપે છે. લક્ષ્મીનો મતલબ માત્ર સંપત્તિ જ ન કરીએ. લક્ષ્મીજીને વ્યાપક અર્થમાં સમજીએ. લક્ષ્મી એટલે લક્ષ્ય સિદ્ધ કરવાવાળાં દેવી. તમે સારા શિક્ષક છો તો પણ તમારી પર લક્ષ્મીની કૃપા છે તેમ સમજીએ. તમે સારા વિજ્ઞાાની, ડોક્ટર, અધ્યાપક, ધારાશાસ્ત્રી કે સારા રાજનેતા છો તો પણ તમારું લક્ષ્ય સિદ્ધ થયું છે અને વશિષ્ઠ, વાલ્મીકિ, તુલસીદાસ, વેદવ્યાસ, નારદ, સુદામા, અર્જુન, વિદુરજી કે સાંદિપની બનીને પણ જે તે ક્ષેત્રની શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને સમૃદ્ધ બની શકાય છે. એ જ સાચી લક્ષ્મી છે. મનનો અંધકાર દૂર કરવો તે જ સાચી સમૃદ્ધિ છે. તે જ સાચી દીપાવલી છે. શુભ દીપાવલી.

લક્ષ્મીજીની તમારી પર કૃપા છે એમ સમજો. લક્ષ્મીને ભૌતિક સંપત્તિ સમજવાના બદલે આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, જ્ઞાાન અને વૈરાગ્યની સંપત્તિ પણ સમજવી તે શ્રેષ્ઠ વિચારધારા છે. તમે શ્રેષ્ઠ જ્ઞાાની છો તો પણ તમે સમૃદ્ધ છો અને તમે શ્રેષ્ઠ સાધુ છો તો પણ સમૃદ્ધ છો તેમ સમજો. આ પૃથ્વી પર બધા જ કુબેરભંડારી થઈ શકે નહીં. 

(સૌજન્ય : રેડ રોઝ- દેવેન્દ્ર પટેલ www. devendrapatel.in)

-ઈશ્વર પ્રજાપતિ 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts