એક કડવો અને એક મીઠો અનુભવ.
Tuesday, March 28, 2023
એક કડવો અને એક મીઠો અનુભવ.
Sunday, March 26, 2023
સન્ડે સ્પેશિયલ
"તમે આચરેલા નિર્મમ અત્યાચારોના પસ્તાવા રૂપે તમે માફી માંગો એ જ તમારી સારવારની ફી છે." : ડૉ. વાસંતી મકવાણા
આ વાત ઝાઝાં
વરસો પહેલાંની નથી. સૌરાષ્ટ્રના પોરબંદરના
સાગરકાંઠાના એક નાનકડા ગામડાનો દલિત યુવક એક કંપનીના મજુર તરીકે સામાન ઊંચકવા
દરિયાઈ જહાજ (સ્ટીમર) માં મજુર તરીકે આફ્રિકા ગયેલો. શેઠે એને આફ્રિકા યુગાન્ડા જ
રોકી લીધો. અને એની પત્નીને પણ ત્યાંજ બોલાવી લીધી. સમય જતાં એ દલિત દંપત્તિને એક
બાળક જન્મ્યું. અને એ યુગાન્ડાનો જ નાગરિક બન્યો. ત્યાં જ થોડું ભણી-ગણીને મોટો થયો. ત્યાં દલિત સમાજ
માની એક કન્યાને પરણ્યો. એને પણ પાંચ બાળકો થયાં. પરિવાર સુખેથી રહેતો હતો.
આફ્રિકાના દેશ યુગાન્ડામાં વર્ષ ૧૯૭૨માં કાળમુખા ક્રૂર સરમુખત્યાર શાશક ઈદી અમીનનું રાજ આવ્યું. એણે રાતોરાત ફતવો બહાર પડ્યો કે આફ્રિકા સિવાયના અન્ય દેશોના અહી સ્થાઈ થયેલા અન્ય દેશોના નાગરીકોએ ૯૦ દિવસમાં આ દેશ છોડી ચાલ્યા જવું. નહિ તો પરિણામ ભોગવવા તૈયાર રહે. દાયકાઓથી યુગાન્ડાને પોતાની કર્મ ભૂમિ બનાવી અહી સ્થાઈ થયેલા અનેક પરિવારો પોતાનું સર્વસ્વ છોડી જીવ બચાવી ત્યાંથી ભાગી જવું પડ્યું. તમામ પ્રજાની માલ-મિલકતો લુંટીને જપ્ત કરી લીધી. ચારેકોર અત્યાચાર ફેલાવ્યો. યુગાન્ડાના વતની હોવા છતાં ભારત, પાકિસ્તાન બાંગ્લાદેશી એવા તમામ નોન આફ્રિકન પ્રજાના નાગરિકોને રાતોરાત હાંકી કાઢયા. યુગાન્ડાના કાળીયા હબસી લશ્કરે એશિયનો ઉપર પારાવાર અત્યાચારો કર્યા. તમામ નોન આફ્રિકનો મોટા ભાગના ગુજરાતીઓ ત્યાંથી ભાગી છૂટયા. કેટલાક વતન પરત આવ્યા. કેટલાકને ઈંગ્લેન્ડે નિરાશ્રિતો તરીકે સ્વીકારીને કેમ્પમાં રાખ્યા. એમાં આ દલિત દંપત્તિ પણ હતું. કુમળી વયની સગીર દિકરી વસંતી મકવાણા પણ માતા-પિતા સાથે રેફયુજી કેમ્પમાં આશ્રય લીધો હતો.
બ્રિટિશ સરકારે યુરોપિયન મિશનરીઓની મદદથી આ
વિસ્થાપિત શરણાર્થીઓના પરિવારના નાના બાળકો માટે અલગ સ્કુલો અને બિમાર વૃદ્ધો માટે
અલગ હોસ્પિટલોની વ્યવસ્થા કરી. કોઈનો સમય એક સરખો રહેતો નથી. કાળનુ ચકરડુ ફરી ગયુ.
સમય જતા વરસો પછી યુગાન્ડાના ક્રૂર શાસક ઈદી અમીનના લશ્કરી સરમુખત્યાર શાસનનો કરૂણ
અંત આવ્યો. એણે પોતે ભાગવું પડ્યું.
આ વાતને દાયકાઓ વીતી ગયા. ઈદી અમીન કિડનીની જીવલેણ બિમારીઓમાં
સપડાયો. સાઉદી અરેબિયામાં અદ્યતન હોસ્પિટલમાં વીઆઈપી પેશન્ટ તરીકે લવાયો. એને
બચાવવા ઢગલો રૂપિયા ખર્ચાયા. કોઇપણ હિસાબે આખા વિશ્વમાંથી કિડની સ્પેશિયાલિસ્ટ શ્રેષ્ઠ ડૉકટર બોલાવવા ચારે
બાજુ શોધ આદરી. કેનેડાથી એક વિશ્વ વિખ્યાત કિડની સ્પેશિયાલીસ્ટ મહિલા ડોક્ટરને તાત્કાલિક
બોલાવાયાં. એ કિડની સ્પેશિયાલીસ્ટ મહિલા ડોક્ટર બીજુ કોઈ નહી પણ વરસો પહેલાં ઈદી અમીને
સત્તાના મદ અને ગુમાનમાં યુગાન્ડાથી હાંકી
કાઢેલા સિત્તેર હજાર પરિવારો પૈકીના એક દલિત પરિવારની માસુમ દલિત દિકરી વાસંતી મકવાણા
હતી.
યુગાન્ડાથી ભાગી આ દલિત પરિવારે ઇંગ્લેન્ડની નિરાશ્રીતોની છાવણીમાં આશ્રય લીધો. વાસંતી ઈંગ્લેન્ડમાં નિરાશ્રીતોની છાવણીમાં રહી ભણી ગણીને ડૉકટર બની હતી. તથા મિશનરીઓની મદદથી વધુ ભણવા કૅનેડા ગઈ. ત્યાં સ્થાઈ થઈ હતી. ડૉ. વાસંતી મકવાણાએ સાઉદી અરેબિયાની વિખ્યાત હોસ્પિટલમાં આવીને તાબડતોબ ઈદી અમીનનું અતિ જોખમી હીમોડાયાલીસીસ કર્યુ. અને વધુ સારવાર માટે કેનેડાની અદ્યતન હોસ્પિટલમાં શિફટ કર્યા. સારવારનું બીલ કરોડોમાં હતું. એમ છતાં ડૉ. વાસંતી મકવાણાએ એકપણ રૂપિયો લીધા વગર શ્રેષ્ઠ સારવાર આપી.
ઈદી અમીને થોડો સાજો થયા પછી એ લેડી ડૉકટરને બે
હાથ જોડી કહ્યું ‘તમારા કારણે મને નવજીવન મળ્યું
છે. આ પૃથ્વી પર હું નવા શ્વાસ લઈ શકુ છું. તમે જ મારા ભગવાન છો. તમારી ફી લઈ લો.’ ત્યારે એ દલિત લેડી ડૉકટર વાસંતી મકવાણાએ
વિનમ્રતા પૂર્વક જણાવ્યું : “જે વ્યક્તિએ
સત્તાના મદ અને ગુમાનમાં છકી જઈને યુગાન્ડાથી હાંકી કાઢેલા સિત્તેર હજાર પરિવારો
પૈકીના એક દલિત પરિવારની હું દિકરી છું. મારા
મા-બાપ સહીત અનેકને લૂંટી લીધાં હતાં. અને
રડતાં- કકળતાં ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં.
એ લોકો કોઈપણ કારણો વગર ત્રણ-ચાર દિવસ અન્ન પાણી વગર સરહદ ઉપર ભટકયા હતાં. સરહદ
પાર કરીને રેફયુજી કેમ્પમાં પહોંચ્યાં ત્યારે કોઈક દયાળુ મુસ્લીમ બાઈએ મને બે
બિસ્કીટ આપ્યાનું યાદ છે. એ અત્યાચારો આજેય હું ભુલી શકી નથી. તમે આચરેલા નિર્મમ અત્યાચારોનો તમને
પસ્તાવો થાય અને જો તમે એની માફી માંગો એ જ મારી તબીબી સારવારની ફી છે.
મારા માબાપ
અને દાદા દાદી તો આ આઘાતમા સમય જતાં ગુજરી ગયાં. તેઓનો આત્મા કયારેય તમને માફ નહી
કરે. પણ હું એક હિંદુસ્તાની ગુજરાતની સુદામાપુરી પોરબંદરની પૂજય મહાત્મા
ગાંધીબાપુની કર્મભૂમિનુ લોહી છુ. એટલે મેં તમને માફ કરી દિધા છે. મેં સાચા દિલથી
હ્રદયમાં દયા અને કરૂણાના ભાવથી એક લાચાર અને જીવલેણ રોગથી પિડિત દર્દીની સેવા
કર્યાનુ પુણ્ય મેળવ્યુ છે. હુ તો માફ કરી દઈશ પણ તમારા કર્મો તમને નહી છોડે. તમે
તમારી વિચારધારાના અનેક ઈદી અમીનો પૈદા કરીને ઘોર પાપ કર્યુ છે. પણ હુ કાયમ તમારી
મફત સેવા જ કરીશ. કારણ કે તમારી આજની પરિસ્થિતિ લાચાર અને દયાજનક છે. હુ બદલાની વેરભાવનામાં
માનતી નથી. બે વરસથી સાંજની કૉલેજના મેડીકલ
લૅકચરો મેં બંધ કર્યા છે. અને હિંદુસ્તાની શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ કર્યો છે.
સમય મળ્યે નિયમિત વાંચ્યા છે. એના આધારે કહુ છુ કે કર્મો કોઈને છોડતા નથી. મારે ન
કહેવુ જોઈએ પણ તમે પણ ચોક્કસ કર્મોની સજા ભોગવી રહ્યા છો.”
આટલું સાંભળતા જ વિશ્વનો એ અતિ ક્રૂર અત્યાચારી શાસક ધ્રુસકે ધ્રુસકે ‘ને પોકેપોકે
રોઈ પડેલો. ડૉકટર વાસંતિ મકવાણા એ એની
ફાઈલમા લાંબુ પ્રિશ્ક્રિપ્શન લખીને કોઈ પણ પ્રતિક્રિયા વગર બીજા અન્ય પેશન્ટની સેવામા
પરોવાઈ ગયેલી.
ડૉકટર વાસંતી
મકવાણા આજે જૈફ પહોંચ્યાં છે. તેઓ હાલ પણ કેનેડામાં દર્દીઓની સેવા કરી રહ્યાં છે. તેઓ પોતાનું શેષ જીવન મહાત્મા ગાંધીની અને
પોતાના દાદા દાદીની જન્મભૂમિ અને મૂળ માતૃભૂમિ એવા સુદામાપુરી પોરબંદરમા ગાળવાની
ઈચ્છાઓ સેવે છે. બાળવયે એમણે રેફયુજી કેમ્પના તંબુમાં કડકડતી ઠંડીમાં દાદા-દાદી
પાસે આ સોરઠધરા સૌરાષ્ટ્રની વાતો જ સાંભળેલી છે. આજેય કૅનૅડામા એની ગુજરાતી રસોયણ
બાઈના હાથનો બાજરાનો રોટલો અને દેશી ગોળ તથા કઢી ખિચડી આરોગે છે. કયારેક ઢોકળા, ભજીયાં ભોજનની થાળીમાં
જોવા મળે છે. બે હાથ જોડી અન્નપૂર્ણા
દેવીના મંત્રો બોલી ભોજન ગ્રહણ કરે છે.
વિદેશમાં જન્મી અને ઉછરીને નામાંકિત ડૉકટર હોવા
છતાં ચોસઠ વરસની વયે તેઓ ગુજરાતી બોલી તથા
સમજી શકે છે. “કોઈ લાખ કરે ચતુરાઈ, કરમ કા ભેદ મીટે
નહી ભાઈ” એ લોકપ્રિય ભજન ડૉ.વાસંતીનુ પ્રિય
ભજન છે. એ ભજન એમના મોબાઈલની કૉલરટ્યુન
છે. નરસિંહ મહેતા અને મીરાબાઈ તથા દાસી જીવણના ભજનો પણ સાંભળવા એમને ખૂબ ગમે છે.
યુગાન્ડાના
ક્રૂર રાષ્ટ્રપતિ ઈદી અમીનનું શું થયું?? એ સવાલ જયારે ડૉ. વાસંતિને પૂછીએ છીએ ત્યારે તેઓ તરત જ કહે છે કે ‘સૉરી ! પ્લીઝ
! મને એ યાદ કરાવશો નહી. કર્મો કોઈને છોડતા નથી. જીવનની છેલ્લી અવસ્થામાં એ ઈદી અમીનના
એટલા બુરા હાલ થયા કે રિબાઈ રિબાઈને ૧૬
ઑગષ્ટ ૨૦૦૩માં તે ગુજરી ગયો.’
મૃત્યું પહેલાં એણે અનેક વાર ડૉ. વાસંતિ મકવાણાની ફોન ઉપર ધ્રુજતા અવાજે રોઈ રોઈને પલ પલ માફી માંગી. ડૉકટર વાસંતી એક જ વાકય કહેતાં કે ‘મારી રગોમાં આજે પણ હિન્દુસ્તાની લોહી વહે છે. માફી માંગીને મને વધુ શરમાવશો નહી. મેં તમને માફ કરીજ દિધા છે. તમારા માટે બીજુ તો હું શું કરી શકુ ? પણ તમને માફ કરી દેવા હું ઈશ્વરને પ્રાર્થના કરીશ.’ ( સંદર્ભ : ડૉ. વાસંતી મકવાણા સાથે દિનેશ ગઢવીએ લીધેલ મુલાકાત. સહયોગ : કેતન સોલંકી, રાજકોટ )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
Sunday, March 19, 2023
સન્ડે સ્પેશિયલ
કિરણે કહ્યું :
"બે યુવકો મિત્તલને જબરજસ્તીથી ઉઠાવી જંગલ તરફ જતા બેલ મેં જોયા છે."
તારીખ ૧૪ જૂન ૨૦૨૨. અરવલ્લી
જિલ્લાના મેઘરજ તાલુકાના રાજસ્થાન સરહદે આવેલા છેવાડાના ગામની આ વાત છે. ગામ ખૂબ
નાનું હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે મેઘરજ જવું પડતું. આ ગામમાં
રહેતી મિત્તલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોતાના ડોક્યુમેન્ટસની કોપી કઢાવવા અને
કપડાં સિવડાવવા તે એક બપોરે મેઘરજ જવાનું કહીને ઘેરથી નીકળી.
બપોરથી
નીકળેલી જુવાન જોધ દીકરી સાંજ પડી એમ છતાં ઘેર પહોંચી નહિ એટલે સ્વાભવિક રીતે જ
પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા. મિત્તલનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો એટલે ચિંતા
વધુ ઘેરી બની. તેની બધી સહેલીઓને પણ ફોન કરી પૂછી જોયું. ક્યાંય ભાળ મળી નહિ..
ખૂબ
રાહ જોયા પછી રાત્રીના સમયે પરિવારે મિત્તલની શોધખોળ આદરી. બધે જ તપાસ કરી જોઈ પણ
ક્યાંયથી મિત્તલનો પત્તો લાગ્યો નહિ. શોધખોળમાં રાત પસાર થઈ ગઈ.. સવાર થઈ એમ છતાં
મિત્તલના કોઈ સમાચાર મળ્યા નહીં. પરિવારના
માથે તો જાણે આભ ફાટ્યું ! કેટલીય શંકા કુશંકાઓ પરિવારજનોનું હૃદય ચીરી નાખતી.
બપોર થતાં કિરણ નામનો યુવાન મિત્તલના
સમાચાર લઈને આવ્યો. પાસેના ગામના બે યુવાનો મિત્તલને માર મારી મોટર સાઇકલ પર
ઉઠાવીને જંગલ તરફ ભગતાં જોયાના સમાચાર કિરણે આપ્યા. સમાચાર સાંભળીને પરિવારના પગ
નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. દીકરી સહીસલામત હશે કે કેમ ? અને હશે તો કેવી હાલત માં હશે એ વિચાર જ ધ્રુજાવી મુકતો હતો.
મિત્તલને
શોધવામાં કિરણ પરિવારની મદદે આવ્યો. કિરણે બતાવેલી દિશા તરફનો રસ્તો જંગલમાં જતો
હતો. મિત્તલની શોધમાં બધા એ જંગલ તરફ ગયા. ત્યાં જે દૃશ્ય જોયું ત્યાં બધાના હોશ જ
ઊડી ગયા. જંગલના એક ઝાડ પર લાશ લટકતી હતી અને એ લાશ બીજા કોઈની નહિ પણ મિત્તલની
હતી.
ઝાડ પર દુપટ્ટાના સહારે લટકી મિત્તલની
લાશ જોતાં જ સમજાઈ જાય એમ હતું કે આ આત્મહત્યા નહિ પણ ઈરાદા પૂર્વક કરાયેલી હત્યા
છે. લાશ જમીનને અડકેલી અને પગ વળેલા
હતા. જેથી સ્પષ્ટ થતું હતું કે આ આત્મહત્યા તો નથી જ. મિત્તલ કોલેજ કરતી એક
હોશિયાર યુવતી હતી. તેનાં પણ સપનાઓ હતા. પરંતુ કોઈએ દુપટ્ટા વડે બાંધી
મિત્તલની સાથે સાથે એનાં સપનાઓની પણ હત્યા કરી કરી હતી.
પરિવારે પોલીસને તાત્કાલિક જાણ કરી
સમાચાર આપ્યા. અને કિરણે આપેલી માહિતિને આધારે એણે જે નામ આપ્યા હતા એમની વિરુદ્ધ
એફ.આર.આઈ. દાખલ કરવમાં આવી.
વાત
વાયુ વેગે ચારેકોર પ્રસરી ગઈ. જ્યાં સુધી ગુનેગારો પકડાય નહિ ત્યાં સુધી દીકરીના
શબને અગ્નિ સંસ્કાર નહિ કરવાનો પરિવારે નીર્ધાર કર્યો. ઘટનાની ગંભીરતા જાણીને
પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ. જિલ્લા પોલીસ પર પણ આ કેસ જાણે પડકારરૂપ બની
ગયો હતો. તાત્કાલિન જિલ્લાના પોલીસ વડા સંજય ખરાતે ગુનેગારોને ઝડપથી પકડી લેવાની મિત્તલના
પરિવારને ખાતરી આપી અને પરિવાર
સાથે સમજાવટ અને કુનેહ પૂર્વક કામ
લીધું.
કેસની તપાસ તાત્કાલિન એલ.સી.બી. પી. આઈ. સી.પી.
વાઘેલા અને પી. એસ.આઈ. એ.એમ. દેસાઈને સોંપવામાં આવી. તેઓએ જુદી જુદી ટિમો બનાવી
અને વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડ્યા.
કિરણે
પોલીસને જે નામ આપ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા. તેમની સઘન પૂછપરછ કરી. પણ
કોઈ સફળતા ન મળી. કડક પૂછપરછ કર્યા બાદ પોલીસને એટલો તો અંદાઝ આવી ગયો કે જેમણે
પકડ્યા છે એ યુવાનો નિર્દોષ છે. પરંતુ આરોપી બીજું જ કોઈ છે. કેસ હવે ગુંચવાતો જતો
હતો. અન્ય કોઈ કડી પણ મળતી ન હતી. પોલીસે ધીરજ પૂર્વક કામ લીધું.
મિત્તલની
હત્યા સમયે એ સ્થળના લોકેશન પર જે સીમકાર્ડ વારંવાર એક્ટિવ હતું એની તપાસ આદરી અને
આ તપાસમાં.જે મોબાઈલ નંબર સામે આવ્યો એ જાણી સૌ દંગ જ રહી ગયા. ઘટના સ્થળે હત્યા સમયે જે મોબાઈલ નંબર વારંવાર લોકેટ થતો હતો એ
નંબર બીજા કોઈનો નહીં પરંતુ કિરણનો જ હતો. આ એ જ કિરણ જે મિત્તલના પરિવાર અને
પોલીસને આરોપીઓ વિશે શરૂઆતથી માહિતી આપી રહ્યો હતો.
પોલીસે ચતુરાઈ પૂર્વક કિરણને જ દબોચી લીધો. અને પોલીસે તેના
આગવા અંદાજમાં પૂછપરછ કરવા માંડી, ત્યારે
કિરણ ડાહ્યો ડમરો બની પોપટની જેમ બકવા લાગ્યો. કિરણે હત્યાનો ગુન્હો કાબુલી લીધો. કિરણે જણાવ્યા પ્રમાણે તે મિત્તલ સાથે છેલ્લા દોઢેક વર્ષથી
પ્રેમમાં હતો. અને બંને અવાર નવાર મળતાં રહેતાં. હત્યાના દિવસે પણ ક્રિરણ અને
મિત્તલ ગામની સીમના એ જંગલમાં મળ્યાં હતાં..એ સમય દરમિયાન મિત્તલના ફોનમાં.એના કોઈ
પીરુષ મિત્રના મેસેજ ફ્લેશ થયા. મિત્તલ અન્ય કોઈ પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની
કિરણને શંકા ઉપજી. અન્ય કોઈ પુરુષના મેસેજ મિત્તલના ફોનમાં આવેલા જોઈ કિરણ સાંખી ન
શક્યો. એનો ગુસ્સો સાતમા આસમાને જઈ ચડ્યો. અને મિત્તલના ગાલ પર જોરદાર તમાચો ચોડી
દીધો. તમાચાનો પ્રહાર એટલો જોરદાર હતો કે મિત્તલ ત્યાં જ ઢળી પડી અને તે બેભાન થઈ
ગઈ.
મિત્તલ બેભાન થઈ જતાં કિરણ ગભરાઈ ગયો.
કિરણને થયું કે મિત્તલ મૃત્યુ પામી છે. પોતે ક્યાંય ફસાઈ જાય નહીં એટલે મિત્તલના
ગળે દુપટ્ટો કસીને બાંધી ઝાડ સાથે લટકાવી દીધી. પોતે ક્યાંય આ હત્યાના ગુન્હામાં
ફસાઈ ન જાય એટલે એને આખી કહાની ઉપજાવી કાઢી..અને પરિવારની સાથે મિત્તલને શોધવાનો
ડોળ કરવા લાગ્યો હતો. પરંતુ પોલીસની હોશિયારીથી કિરણ બચી શક્યો નહિ.કિરણના ઘરમાંથી
મિત્તલનો ફોન પણ કબજે લેવામાં આવ્યો.
પોલીસે રાત દિવસ એક કરી હત્યારા વિરુદ્ધના પુરાવા એકત્રિત કર્યા. નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં મદદનીશ જીલ્લા સરકારી વકીલ જે.એસ.દેસાઈએ ધારદાર રજૂઆત કર હતી. અને આખરે ૨૮ ફેબ્રુઆરીના રોજ નામદાર ન્યાયાલય દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો. નામદાર કોર્ટે કસુરવાર કિરણને આજીવન કેદની સજા ફટકારી અને રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો હતો. અને આખરે એક શાતીર હત્યારો જેલના હવાલે કરી દેવામાં આવ્યો.
વિશ્વાસની વેલ પર જ પ્રેમનું પુષ્પ પાંગરતું હોય છે. પ્રેમ જેવા પવિત્ર સંબંધમાં જ્યારે અવિશ્વાસ અને શંકા પ્રવેશે છે ત્યારે તેનો કેવો કરુણ અંજામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે.
અરવલ્લી જિલ્લાના તાત્કાલિન પોલીસ વડા સંજય ખરાતના નેતૃત્વમાં આવા અનેક જટિલ કેસ ઉકેલી પ્રજામાં પોલીસ પરત્વેના વિશ્વાસની એક મિશાલ પ્રસ્તુત કરી હતી. હાલ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાવડા શૈફાલી બરવાલે પણ ખૂબ ઓછા સમયમાં પ્રશંશનીય કામગીરી કરી પ્રજાનો વિશ્વાસ બરકરાર રાખ્યો છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
Sunday, March 12, 2023
સન્ડે સ્પેશિયલ
અપનો સે
હી તૂટા હૂં, તો
પરાયો સે સવાલ ક્યા કરું !
ખેડા જિલ્લાના કપડવંજ પાસેના
એક ગામની આ વાત છે. ગામમાં સાગર નામના યુવાનની દરજીની દુકાન હતી. તે પરણિત હતો.
સાગર કુશળ લેડીઝ ટેઇલર હતો. એટલે એના ત્યાં સ્ત્રીઓની અવર જવર રહે એ સ્વાભાવિક
બાબત છે. ગામની મોટાભાગની સ્ત્રીઓ વસ્ત્રો સિવડાવવા સાગર પાસે જ જતી. આ જ ગામમાં
પરણીને આવેલી સરિતા પણ સાગર પાસે જ પોતાનાં વસ્ત્રો સિવડાવતી. સરિતા પરણીત હતી.
ત્રણ સંતાનોની માતા હતી. એમ છતાં એની મારકણી નજરથી બચવું કોઈપણ પુરુષ માટે અઘરું
હતું.
સરિતા દુકાને આવે એ સાગરને પણ
ગમતું. સરિતા કોઈપણ બહાનું શોધી સાગરની દુકાને પહોંચી જતી. બંને પરણિત હતાં એમ
છતાં સાગર અને સરિતાને એક બીજાનું સાનિધ્ય ગમવા લાગ્યું. આ સંબંધ ધીમે ધીમે બધી
સીમાઓ ઓળંગી આગળ વધી ચૂક્યો હતો. પરણિત હોવા છતાં બન્ને ભાન ભૂલ્યા હતાં. બન્નેએ
સાથે જીવવા -મરવાના કૉલ પણ આપી દીધા. અને એક દિવસ બન્ને પોતાનાં ઘરબાર છોડી ભાગી
નીકળ્યાં. સરિતાને ત્રણ સંતાનોમાં બે દીકરીઓ મોટી હતી. જ્યારે દીકરો ચાર વર્ષનો
હતો. એનું નામ સંદીપ હતું. સરિતાએ દીકરા સંદીપને સાથે લઈ લીધો. ગામમાં તો જાણે
હાહાકાર મચી ગયો.
સાગર અને સરિતાએ પોતાના હસતા
રમતા પરિવારને આગ ચાંપી, કોઈનીય પરવા કર્યા વગર બધાથી
દૂર પોતાની નવી જિંદગી શરૂ કરી. સાગરે સરિતાનાં બધાં જ સપનાં પૂરાં કરવા સખત
પુરુષાર્થ આદર્યો. સરિતા આંગળીયાત તરીકે લાવેલી એ દીકરા સંદીપને સાગરે સગા બાપ
કરતાં વધું પ્રેમ આપી ઉછેર્યો. સમય જતાં કપડવંજ પાસેના જ એક બીજા ગામમાં સાગરે
કટલરી અને દરજી કામની દુકાન કરી. સાગર અચ્છો કારીગર તો હતો જ . એટલે દુકાન ચાલી
ગઈ. સાગરે બે પાંદડે થઈ પોતાનું ઘર પણ બનાવ્યું. એ પણ પોતાની પ્રેમિકા સરિતાના
નામે જ. કારણ કે સાગર સરિતાને અનહદ ચાહતો હતો.
સમય જતાં સરિતાના ચંચળ
સ્વભાવનો ખ્યાલ સાગરને આવી ગયો હતો. પતંગિયું જેમ એક ફૂલ પાસે ઝાઝું ટકી શકતું
નથી. એ જ હાલત સરિતાની હતી. પરંતુ હવે ઘરસંસાર નિભાવ્યા વગર સાગર પાસે બીજો કોઈ
ઉપાય જ નહોતો. આંખ આડા કાન કરીને સાગરે સંસારનું ગાડું ગબડાવે રાખ્યું. કેટલીય
અગમ્ય હકીકતો જાણવા છતાંય સરિતાને સુખી કરવાની કોઈ તક જતી કરી નહોતી.
નદીના પ્રવાહની જેમ સમય વહેતો
ગયો. દીકરો સંદીપ પણ ઉંમરલાયક થયો. જે રીતે સાગર અને સરિતાએ ભાગીને લગ્ન કર્યા હતા
એ જોતાં દીકરા સંદીપનું સગપણ તેમના સમાજમાં થાય એવી કોઈ શક્યતાઓ જણાતી નહોતી.
એટલે સંદીપ માટે બહારના સમાજની છોકરીઓ જોવાનું શરૂ કર્યું. આખરે
મહારાષ્ટ્રની છોકરી આથે સગપણ ગોઠવાયું. મરાઠી છોકરી કામિની સાથે સંદિપનું કોર્ટ
મેરેજ કરવમાં આવ્યું.
દીકરાના લગ્નની ખુશીમાં સાગરે ભવ્ય રિસેપશનનું
આયોજન કર્યું. અને પુષ્કળ ખર્ચ કર્યો. સંદીપના લગ્નના બે ચાર મહિના
થયા ત્યાં સુધી તો ઠીક ચાલ્યું. પરંતુ લગ્ન પહેલાં સંદીપ ગુજરાતમાંથી ઑસ્ટ્રેલિયા
ગયેલી એક છોકરી સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યો હતો. એ છોકરી હવે સંદીપને
ઑસ્ટ્રેલિયા બોલાવી ત્યાં સ્થાયી થવા પ્રલોભન આપી રહી હતી. સંદીપ પણ હવે
ઑસ્ટ્રેલિયા જઈ સ્થાયી થવાનાં સપનાં જોવા લાગ્યો. અને આ વાત એની માતા સરિતાને ખબર
પડી ત્યારે સરિતાને પણ દીકરો ઑસ્ટ્રેલિયા સ્થાયી થાય એવી લાલસા જાગી.
એ પછી સંદીપ અને કામિની વચ્ચે
ઝગડા શરૂ થયા. મા-દીકરો કામિનીથી છુટકારો મેળવવા તેના પર ત્રાસ ગુજારવા લાગ્યા.
ઝગડો એ હદે પહોંચી ગયો કે વાત છૂટ્ટાછેડા સુધી પહોંચી ગઈ. પિતા સાગરથી પુત્રવધુ
કમિનીનું દુઃખ જોયું જતું નહોતું. અને આખરે કામિની કંટાળી એક દિવસ ઘર છોડી પિયર
ચાલી ગઈ.
કામિની કેમ ચાલી ગઈ એની તમામ હકીકત સાગર જાણતો હતો. એટલે ગુસ્સે
થઈ એને સંદીપ પર હાથ ઉપાડ્યો. એ જ દિવસે સંદીપ ઘર છોડીને ચાલ્યો ગયો. સરિતા પણ
દીકરાનું અપમાન સહન કરી શકી નહીં. જેમ સંદીપ કામિનીથી છૂટકારો મેળવવા ઇચ્છતો હતો
એમ ચંચળ મનની સરિતા સાગરથી છુટકારો મેળવવા તો ક્યારની ઇચ્છતી હતી. અને હવે એને લાગ
મળી ગયો. સરિતાએ સાગરને સંભળાવી દીધું કે : 'સંદીપ આંગળીયાત છે એટલે એનું
સુખ તમારાથી જોયું જતું નથી.' આટલું કહી પ્રેમલગ્નના પચીસ વર્ષ
પછી એક બપોરે સરિતા પણ સાગરને થાપ આપી ભાગી ગઈ.
સાગરે સરિતાની ઘણી શોધખોળ કરી, પણ
ક્યાંય ભાળ મળી નહીં. સાગર આ આઘાત સહન કરી શક્યો નહીં. કારણકે હકીકત એ હતી કે
સંદીપને સગા બાપ કરતાંય વધું પ્રેમ સાગરે આપ્યો હતો. જે પ્રેમિકાને સુખી કરવા
કુટુંબ પરિવારને આગ લગાવી દીધી હતી, જેના ચંચળ સ્વભાવને પણ સાંખી લીધો, જેના
સુખ માટે જાત ઘસી નાખી એ પ્રેમિકા વર્ષો બાદ ઢળતી ઉંમરે હાથ તાળી આપી ચાલી ગઈ.
સાગર માટે જીવન જાણે ઝેર સમાન બની ગયું. હવે કોના માટે જીવવું એ
સવાલનો ઉત્તર ક્યાંયથી મળતો ન હતો. એટલે હૃદય કંપાવી નાખે એવી મૃત્યુ નોંધ લખી
સાગરે જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી લીધો.
મૃત્યુ નોંધના શબ્દે-શબ્દે
સરિતા અને પુત્ર સંદીપ માટેનો સ્નેહ ઝળકે છે.
સાગરની મૃત્યુ નોંધ આ પ્રમાણે છે.
"અપનો સે હી તૂટા હું ,
તો અબ સવાલ ક્યા કરું!
તમે મને છોડીને ચાલ્યાં ગયાં
તેનું મને દુઃખ છે. સરિતા, હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો.
સાચો પ્રેમ હતો એટલે તારી સાથે ઝગડતો હતો. એવું માની લેજે અને તું ખુશ અને આમાં
કોઈનો દોષ નથી. જે કોઈ ભૂલ હતી એ મારી હતી. માટે દુઃખ કરવાની જરૂર નથી. માટે
સામસામે ઝગડો કરી સંબંધ બગડવાની જરૂર નથી. મારી સરિતા અને સંદીપને કાંઈ
કહેતા નહીં.
સાગર અને સરિતાનો આટલે સુધી
સાથ હશે. તું મને જોઈ શકીશ એ તારા ભાગ્યની વાત છે. હું તને જોઈ નથી શક્યો એ મારા
દુઃખની વાત છે. ખરેખર હું તને મળી પણ ના શક્યો. હું તારી નજરમાંથી નીકળી ગયો છું.
એમાં તારી કોઈ ભૂલ નથી. કોઈ ભૂલ હોય તો તે મારી જ છે. માટે દુઃખ ના કરતી.
મારા ભાઈઓને માલુમ થાય કે મેં
કરેલાં કર્મોનું ફળ છે. માટે તમો પણ દુઃખ ન કરતા. મારે અને સરિતાનો આટલા સુધીનો
રોટલો ખાવાનો લખ્યો હશે. એટલે દુઃખ કરવાની કોઈ જરૂર નથી. અને સંદીપને કહું છું કે
મમ્મી ની સેવા કરજે અને મા દીકરો શાંતિથી જીવી લેજો. કારણકે મેં જે તમને દુઃખ
આપ્યું છે તે માટે મને ભગવાન માફ નહિ કરે.
આજ સુધીની મારી ભૂલોને માફ
કરજે.
લિ.
સાગર."
સાગરની હૃદયદ્રાવક મૃત્યુ નોંધ અહીં પૂરી થાય છે.
આ મૃત્યુ નોંધ સાગરે પોતના સગા સંબંધીઓને રાત્રે દોઢ વાગે વોટ્સએપ દ્વારા મોકલી
આપી. સંબંધીઓએ વહેલી સવારે મૃત્યુ નોંધ વાંચી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું
હતું.
સૌ કોઈએ યાદ રાખવું જોઈએ કે
આત્મહત્યા એ કોઈપણ સમસ્યાનો સાચો ઉકેલ નથી જ. જિંદગીની સહન ન થઈ શકે એવી જિંદગીની
કેટલીક નાજુક પળોમાં એકલા રહેવાને બદલે મિત્રો કે સ્વજનોની સંગાથે રહેવું જોઈએ.
જીવનમાં કોઈ એવી સમસ્યા સર્જાઈ જ નથી કે જેનું સમાધાન ન હોય. દગાબાજ વ્યક્તિ માટે
આપઘાત કરી જીવ આપી દેવો એ વળી કેવું સમાધાન ???
(સત્યઘટના. નામ પરિવર્તિત કરેલ
છે. )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના સરનામે પોસ્ટ- કુરિયર, ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે.
સરનામું : B-13 અમૃતાલય, રોયલ પ્લાઝા કોમ્પ્લેક્ષ, મેઘરજ રોડ, મોડાસા. જિ. અરવલ્લી. પીન કોડ 383315. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620)
Sunday, March 5, 2023
સન્ડે સ્પેશીયલ
પ્રેમની શોધમાં પુત્રની સાથે નીકળેલી જમના કદીએ ઘેર પાછી ન ફરી શકી.
બ્લાઉઝ પરના સ્ટીકરના આધારે અરવલ્લી પલીસે જમના અને તેના પુત્રના હત્યારાને જેલના સળીયા પાછળ ધકેલી દીધો.
તારીખ 23મી નવેમ્બર 2021ની વાત છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુર ગામની સીમમાં ખારી તળાવની પાળ પરથી અજાણી એક સ્ત્રી અને એક બાળકની બિનવારસી લાશો મળી આવી. ગામમાં આવો બનાવ કદી ન બન્યો હોઈ ગ્રામજનો પણ હેબતાઈ ગયાં. હઠીપુરા ગામના રહીશોએ પોલિસને જાણ કરતાં જિલ્લા પોલીસ ઘટના તુરંત સ્થળે દોડી આવી. આખા જિલ્લામાં જાણે ખળભળાટ મચી ગયો.
નિર્જન
ઝાળીમાંથી મળેલી લાશોમાં સ્ત્રીની ઉંમર આશરે 40 વર્ષ અને બાળકની ઉમર 12 વર્ષ
હોવાનું જણાઈ આવતું હતું. આ સ્ત્રી અને બાળક આસપાસના કોઈ જ ગામનું ન હતું. તો આ
લાશ અહીં આવી કઈ રીતે? સમગ્ર
જિલ્લામાં આ કેસની ચર્ચા થવા લાગી. અરવલ્લી જીલ્લા પોલીસ માટે પણ આ પડકારરૂપ કેસ હતો.
જિલ્લા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.
પ્રાથમિક તરણમાં એવું જણાઈ આવતું હતું કે આ સ્ત્રી અને બાળકને કોઈ અન્ય
સ્થળે ગળે ટુંપો દઈ મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં છે. અને પુરાવાનો નાશ કરવા લાશોને
અહીં નિર્જન વિસ્તારમાં ફેંકી દેવામાં આવી છે.
કોઈપણ કડી વગર અરવલ્લી જિલ્લા પોલીસ માટે આ કેસ ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો. અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જુદી જુદી ટીમો બનાવી. જેમાં એલ.સી.બી. પી. આઈ. સી. પી. વાઘેલા, એસ.સી.બી.પી.એસ.આઈ. વી.એસ. દેસાઈ અને તેમની ટીમે અને બતમીદારો રોકી કેસની ઇન્કવાયરી શરૂ કરી.
મોડાસા એલ.સી.બી. એ ઘટના સ્થળની મુલાકાત લીધી. આ તપાસ દરમિયાન ત્યાંથી
કપડાં ભરેલી એક થેલી હાથ લાગી. એ થેલીમાં સ્ત્રી અને બાળકનાં કપડાં હતાં. કપડામાં
સ્ત્રીનો નવો નક્કોર બ્લાઉઝ હતો અને તેના પર "જમનાબેન (મોટી ખેરવાણ)"
એવું નામ લખેલું હતું. બસ આટલો જ સુરાગ પોલીસને હાથ લાગ્યો. બ્લાઉઝ પરના માત્ર
નામના આધારે કાતિલ સુધી પહોંચવું સહેલું ન હતું. પરંતુ પોલીસે ધીરજપૂર્વક કામ હાથ
પર લીધું.
બ્લાઉઝ પર લખેલ ગામના નામ મોટી ખેરવાણના આધારે પોલીસે એ ગામને શોધી લીધું.
મોટી ખેરવાણ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું એક નાનું ગામ હતું. અને અહીં જે
સ્ત્રીની લાશ મળી હતી એ મોટી ખેરવાણ ગામના રમેશભાઈ ગામીતની પત્નીની હતી અને 12 વર્ષનું
બાળક પણ તેમનું જ હતું. એ સ્ત્રીનું નામ જમનાબેન અને બાળકનું નામ આલોક હતું. પોલીસ
દ્વારા જ્યારે રમેશભાઈને તેમનાં પત્ની અને પુત્રના હત્યાના સમાચાર જાણવા મળ્યા
ત્યારે તેઓ રીતસરના ડઘાઈ ગયા.
હત્યાનો કોયડો વધુ
ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો. રમેશભાઈ અને જમના વચ્ચે કોઈ અણબનાવ ન હતો. પરંતુ
ટેક્નિકલ સર્વેલન્સ અને વિશ્વાસુ બાતમીદારોને માહિતી મળી કે રમેશભાઈની પત્ની
જમનાને જૂનાગઢ પાસેના મેવાસા ગામના સુરેશ મેર નામના કોઈ આધેડ સાથે પ્રેમ સંબંધ
હતો. અને તેથી જમના તેના 12 વર્ષના
પુત્ર આલોકને લઈ સદા માટે સુરેશ સાથે રહેવા મેવાસા,જૂનાગઢ ચાલી નીકળી હતી. સાથે ત્રણ લાખ
જેટલી રકમ પણ સાથે લીધી હતી. જમના હસતો-રમતો પરિવાર છોડી પ્રેમી સાથે નવી જિંદગી
શરૂ કરવાના શમણાં લઈ ચાલી નીકળી હતી.
કેસની આગળની કડી જૂનાગઢ ભણી ઈશારો કરતી હતી. હવે અરવલ્લી પોલીસ મેવાસા જૂનાગઢ જઈ સુરેશને પકડવા ચક્રો ગતિમાન કરે છે. અને આખરે સુરેશને દબોચી લેવમાં અરવલ્લી પોલીસને સફળતા મળે છે. અરવલ્લી જિલ્લા પોલીસ સુરેશની પૂછપરછ આરંભે છે. પોલીસ પૂછપરછમાં સુરેશ પોપટની માફક બોલવા લાગે છે અને પોતે કરેલ ગુન્હો કબુલ કરે છે.
જમના સાથે સુરેશને પ્રેમ સંબંધ હતો. પરંતુ હવે જમના અને તેનો પુત્ર સુરેશ
માટે જાણે ગળામાં ફસાયેલ હાડકી સમાન બની ગયાં હતાં. સુરેશે જમના અને તેના પુત્ર
આલોકને ખતમ કરી દઈ કાયમ માટે રસ્તો સાફ કરી દેવા માંગતો હતો આખરે સરેશે તેના મિત્ર ગાંડું જાદવની
સાથે મળી જમના અને તેના પુત્રને ખતમ કરી દેવાની યોજના ઘડી કાઢી. આખી યોજનામાં સુરેશનો મિત્ર ગાંડું જાદવે પણ સાથ
આપ્યો. યોજના એવી સિફતતાથી ઘડી કે કોઈને પણ આ હત્યા અંગે શંકા જ ન જાય.
સુરેશ, જમના, આલોક
અને ગાંડું સુરતથી બસમાં બેસી ડાકોર આવે છે. અને અહીંથી મેવાસા જૂનાગઢ જવાના બદલે
નવી જિંદગી શરૂ કરવાના સપનાઓ સાથે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના હઠીપુરા ગામની
સીમમાં પહોંચે છે. નિર્જન જગ્યા જોતાં જ સુરેશ અને તેના મિત્ર ગાંડુંએ ઘડેલી યોજના
પ્રમાણે દોરી વડે જમના અને તેના પુત્રનું ગળું દબાવી શાંત કલેજે હત્યા કરી નાખી.
જમના અને આલોક ચીસો પડતાં રહ્યા, તરફળતાં રહ્યાં અને આખરે બન્નેના શ્વાસો થંભી
ગયા.
નિર્જન વિસ્તારમાં માતા પુત્રની ચીસ સાંભળવા વાળું કોઈ જ ન હતું. જમના જેના માટે પરિવાર અને ઘરબાર છોડી ભાગી નીકળી હતી આખરે એ પ્રેમીએ જ જમનાનું ગળું દબાવી ખતમ કરી નાખી. સુરેશ અને ગાંડુંએ હત્યા કરી માતા-પુત્રની લાશોને ઝાડીમાં નાખી દીધી. જમના પોતાની સાથે ત્રણ લાખ રૂપિયા લાવી હતી એ સુરેશે કપડાંની થેલીમાંથી કાઢી લીધા અને થેલી ત્યાં જ ફેંકી દીધી. ખૂની ગમે તેટલો શાતીર કેમ ન હોય એ કોઈને કોઈ પુરાવો તો છોડે જ છે. સુરેશે ત્યાં ફેંકેલી કપડાંની થેલી સુરેશને જેલના સળીયા પાછળ ધકેલવામાં મહત્વની કડી બની.
સુરેશ મેર અને ગાંડું જાદવની ધરપક કરવમાં આવી. બંનેને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. જમના પાસેના ત્રણ લાખ રુપિયા પણ કબજે લેવામાં આવ્યા. એક ગૂંચવણ ભર્યો કેસ ખૂબ ઓછા સમયમાં ઉકેલી જિલ્લા પોલીસે પણ સરાહનીય કામ કરી બતાવ્યું. કેસની સફળતાનો યશ જીલ્લા પોલીસ વડા સંજય ખરાત તેમની ટીમને આપે છે.
આજના સમયમાં પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. શારીરિક આકર્ષણને પ્રેમનું નામ આપી દેવમાં આવે છે. અને જ્યારે શારીરિક આકર્ષણ ખતમ થઈ જાય ત્યારે સંબંધમાં જમના જેવો જ કરુણ અંત આવે છે. જીવનનો માર્ગ ભૂલી ભટકેલ કોઈએ પણ જમનાના જીવનમાંથી બોધપાઠ લેવો રહ્યો.
(સત્ય ઘટના )
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
સન્ડે સ્પેશિયલ
‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા જોઈએ.” : એલેકઝાન્ડર ગ્રેહામ બેલ. સાવ સા...
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgPJstAjVBk0yOezbcWRp8SYpB8PG1cKmZf4iWJFRNUNd68OyFnOpG8J2ksR0BasGcKIGFgxwTPJL_ZQT3W0P_8MG07d1fYti_gBLmRHNwvAF6jL-D3_pY9akvnx-uNXnckiPJMnOt8yVQ_Se19stxC7ahm4FBv_PJMQf64QSwjtCy9dui_JUSyiKr79YDd/w321-h400/220px-Helen_KellerA.jpg)
Popular Posts
-
સેનામાં ભરતી માટે જવાનું કહી ઘેરથી નીકળેલો નવનીત આખરે ક્યાં ગયો ? ચિતાની રાખમાંથી મળેલી વીંટી કોની હતી ? એનું નામ નવનીત. ...
-
“વાયરા સાથે જ્યારે બધા બદલાઇ જાય, ત્યારે ટોળાશાહીમાં ભળી જવાને બદલે પોતાના માર્ગે ચાલવાનું બળ મારા બાળકને આપવાનો પ્રયત્ન કરજો. : અબ્રાહમ લ...
-
પિતાની ભેટ: "પોતાનાં સંતાનો માટે સડક બાંધી આપવાની જવાબદારી માબાપો ઉપર નથી, એમણે તો વાટનો નકશો જ પૂરો પાડવાનો છે." : જેક્સન બ્ર...