Saturday, March 26, 2022

સન્ડે સ્પેશિયલ - 10

પદ્મ ભૂષણથી સન્માનિત ક્રાંતિકારી સંત  સ્વામી સચ્ચિદાનંદજીએ

યુવાન વયે એક અંધારી રાતે  સવા રૂપિયો મુઠીમાં લઇ ગૃહત્યાગ કર્યો અને પછી...


       તાજેતરમાં જ ‘પદ્મ ભૂષણ’ જેવા દેશના પ્રતિષ્ઠિત સન્માનથી  સ્વામી સચ્ચિદાનંદજીને સન્માનિત કરવામાં આવ્યા. દેશ અને દુનિયાના લાખો – કરોડો લોકોમાં જાણે આનંદની એક લહેર પ્રસરી ગઈ. તીવ્ર વૈરાગ્યની ઝંખનાએ સવા રૂપિયો મુઠી માં લઈને ગૃહ ત્યાગ કરાનાર ૨૧ વર્ષનો એક યુવાન આગળ જતાં પદ્મ ભૂષણથી સન્માનિત થાય આ આખી વાત જ કોઈ કાલ્પનિક કે ચમત્કાર સમાન લાગે છે. પરંતુ આ આખીયે ઘટનાના પાયામાં સ્વામીજીએ વેઠેલો સંઘર્ષ બહુ ઓછા લોકો નજીકથી જોઈએ શક્યા છે.  સ્વામીજીનું જીવન જ સૌ કોઈએ માટે મિશાલરૂપ છે.

          આપણા  સમાજમાં સાધુ – સંતોની સંખ્યા ઓછી નથી. પરંતુ  સમાજને સાચુકલું દર્પણ દેખાડવાનું  કાર્ય    બહુ ઓછા સાધુ સંત કરી શક્યા છે. ધર્મનાં નામે સમાજમાં પ્રવેશેલાં દુષણો અને અંધશ્રદ્ધા વિષે વૈજ્ઞાનિક અભિગમની વાતો બધા માટે સુપાચ્ય હોતી નથી.  ધર્મના નામે પોચી પોચી શ્રોતાગમ્ય કર્ણપ્રિય વાતો કરી  અનુયાયીઓનાં ઝુંડ વધારવા સહેલા છે. પરંતુ કોઈનીય પરવા કર્યા વિના સમાજને ક્રાંતિકારી વિચારોથી નવપલ્લવિત કરવાનું  શ્રેય ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદજીને ફાળે જાય છે.

          સ્વામીજીનો જન્મ ૨૨ એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના ચંદૂર ગામે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું. છ મહિનાનાં મનોમંથન બાદ તીવ્ર વૈરાગ્યની ધૂનમાં ૧૯૫૩માં એક અંધારી  રાત્રે માત્ર સવા રૂપિયો મુઠ્ઠીમાં  લઈને, ઘરનાં બારણાં ઉઘાડાં મૂકી, થેલામાં ચાર જોડી કપડાં લઇ  ગૃહ ત્યાગ કર્યો.  સવા રૂપિયો મુઠીમાં  એટલા માટે  હતો કે સીવેલાં કપડાં પહેરેલાં નહિ, અને એટલા પૈસા એટલા  માટે કે તેની જેટલી ટીકીટ આવે તેટલા દૂર પહોંચી જઈ લક્ષ્મીનો ત્યાગ કરવાનો નિયમ લેવો હતો. બાકીના પૈસા ઘરમાં છુટ્ટો ઘા કરી ફેંકી તેઓ નીકળી પડ્યા. આગળ જતાં મુઠ્ઠીમાં રહેલો સવા રૂપિયો પણ કોઈ ભિખારીના હાથમાં પકડાવી દીધો. એ સમયે સ્વામીજીના ઉદ્ગાર હતા : “ હાશ ... છુટ્યા કંચનથી..” હવે તેઓ પાસે ચાર વસ્ત્રો – એકાદ વાપરવાનું, એકાદ ઓઢવાનું, ગીતા વગેરે બે ચાર પુસ્તકો અને એક મોટો લોટો, એ સિવાય કાંઈ ન હતું.  પોતે અકિંચન બની આગળની સફર આદરી. ગૃહ ત્યાગ સમયે સ્વામીજીની ઉમર માત્ર ૨૧ વર્ષ હતી.

          ઘર તો છોડ્યું પણ ક્યાં જવું એનું કોઈ ઠેકાણું નહિ, તીવ્ર વૈરાગ્યની ધૂન હતી અને આ ધુને સ્વામીજીને ગજબની શક્તિ આપી. પગમાં જોડા પહેરવા નહિ, પૈસા પાસે રાખવા નહિ, મિષ્ઠાન જમવું નહિ, એક દિવસથી વધુ કોઈ ગામમાં રોકાવું નહિ અને ચોવીસ કલાકમાં માત્ર એક જ વાર જમવું વગેરે જેવા કઠોર નિયમ લઈ ચાલતા રહ્યા.લક્ષ્મીના સ્પર્શ કર્યા વિના  સ્વામીજીએ  પોણા ભાગના ભારતમાં  ત્રણ વરસ સુધી ગુરુની શોધમાં ભ્રમણ કરતા રહ્યા. હાથમા એક પણ રૂપિયો લીધા વિના સ્વામીજીએ પોણા ભાગના ભારતની યાત્રા કરી.  ધૂની માણસો જ મહાન કાર્ય કરી શકતા હોય છે. બહુ ફૂંકીફૂંકીને પગલાં ભરનારા બહુ બહુ તો સારી રીતે ઘરબાર –પેઢીઓ સાચવનારા થતા હોય છે, ઈતિહાસ રચનારા નહિ.  

         દિક્ષા વિના ભ્રમણ કરવામાં તકલીફ પડતી હતી. એટલે કુંભમેળામાં બ્રહ્મચારી દિક્ષા લીધી અને સ્વામીજીને   સત્યાનંદ એવું નામ આપવામાં આવ્યું. સન્યાસ દિક્ષા માટે ગુરુની શોધ તો ચાલુ જ હતી. આખરે સ્વામીજીનો પંજાબમાં  ગુરુ સાથે ભેટો થયો. સ્વામીજીની વૈરાગ્ય દૃઢતા જોઈએ  ગુરુએ દિક્ષા આપી અને સ્વામી સચ્ચિદાનંદ એવું નામ આપ્યું. સ્વામીજીએ ૧૧ વર્ષ કાશીમાં અભ્યાસ કર્યો.  તેમણે વારાણસી સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાંથી વેદાન્તાચાર્યની પડાવી મેળવી.

           સ્વામીજીને  આશ્રમ બનાવાનો જરા પણ રસ હતો નહી.  જીવનભર વિરક્ત રહીને ગામેગામ ફરી જીવન પૂરું કરવું હતું. પરંતુ યાત્રા દરમિયાન થયેલા મરડોનાં કારણે લોકો ની પ્રતિક્રિયા એ માથું ઢાંકવા જેટલી કુટીયા બનાવવા ઈચ્છા પ્રગટ કરી. સાથે રાખેલાં પુસ્તકો સાચવવા માટે પણ એક કુટિયાની જરૂર તો હતી જ.નાનકડો આશ્રમ બાંધવા માટે સ્વામીજીનું ધ્યાન વૃદાવન અને નર્મદા કિનારે સ્થિર થયેલું હતું. પરંતુ નિયતિ તેઓને દંતાલી લઇને આવી. દંતાલીવાળા  બએએઓનો આગ્રહ હતો કે સ્વામીજીએ આશ્રમ દંતાલીમાં જ બનાવવો . કાન્તીભાઈના પ્રયત્નથી દંતાલી પેટલાદ માર્ગ ઉપર જ એક વીઘાથી થોડી ઓછી જમીન પડતર હતી. તેના માલિક શ્રી ઝવેરભાઈ ઊત્તમભાઈ પટેલ નિઃસંતાન હતા. તેઓએ ચાલીસ વર્ષ પૂર્વે આ જમીન કોઈ સંતને અર્પણ કરવા વિચારેલું. ઝવેર ભાઈએ કહ્યું કે જો મારી જમીન આશ્રમ માટે સ્વીકાર નહિ કરાય તો હું ઉપવાસ પર ઉતારીસ. અંતે દંતાલી આશ્રમ કરવાની જાય બોલાવવામાં આવી દંતાલીના ભાઈઓ રાજી રાજી થઈ ગયા.

          સવંત ૨૦૨૫ના મહા સુદ ૫ વસંતપંચમી સવારે ભક્તિનિકેતન આશ્રમનું ખાતમુહૂર્ત શ્રી વાળીનાથજીના મહંત શ્રી બળદેવગીરીના હસ્તે કરવામાં આવ્યું. જોતજોતામાં આશ્રમ તૈયાર થઇ ગયો. બે રૂમ એક રસોડું. બસ આટલું ઘણું થઇ ગયું.

       હાલ તો આશ્રમમાં ૫૫ કરતાય વધારે રૂમો, સત્સંગ હોલ, મંદિર વગેરે સારું એવું બાંધકામ થયું છે. જ્યારે શરૂ કર્યું ત્યારે માત્ર પુસ્તકો રાખવાની અને માથું ઢાંકવાની જ યોજના હતી. સ્વામીજીની અનિચ્છાએ પણ ધીરે ધીરે આ કામ આગળ વધતું ગયું. આજે તો આ સંસ્થા આરોગ્ય કેન્દ્ર, અન્નક્ષેત્ર વૃધ્ધાશ્રમ, અન્નવિઅતર્ન, શિષ્યવૃત્તિઓ વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે.

         વર્ષ ૧૯૭૪-૭૫ની વાત છે. ચરોતરમાં જોઈએ તેવો વરસાદ પડ્યો નહિ. દુષ્કાળનું વર્ષ આવ્યું. સ્વામીજીને વિચાર આવ્યો કે ભુખ્યા લોકોને જમાડવા અન્નક્ષેત્ર શરુ કરીએ તો કેવું ! અને આ વિચારે ૨૧ જાન્યુઆરી ૧૯૭૫ પોષ સુદ આઠમ ને મંગળવારના રોજ અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું, એ પણ ઉદ્વેગ ચોઘડીયામાં  ! હાલ તો આ  ભક્તિ નિકેતન આશ્રમ અનેક વિધ માનવીય સેવાકીય પ્રવૃતિઓ થાકી ધમધમી રહ્યો છે.  

                  સ્વામીજીએ પોતાના જીવના અનુભવો આલેખતા પુસ્તક ‘મારા અનુભવોની પ્રસ્તાવનામાં નોંધે છે કે “ મેં ગૃહત્યાગ ન કર્યો હોત તો હું આજે જે છું તે ન થઇ શક્યો હોત. આટલી સ્વીકૃતિ પછી પણ આટલાં વર્ષો મારા અને બીજા અનેકના અનુભવોથી કહી શકું છું કે આ કુદરતી માર્ગ નથી. નાના બાળકો અને યુવાનોને વૈરાગ્યનો નશો ચડાવીને આ માર્ગે વાળી તો શકાય છે, પણ પાર પાડવાનું કામ સરળ નહિ, અત્યંત કઠીન બની જાય છે. મેં મારા આશ્રમમાં સન્યાસ લેવા આવેલા કેટલાય યુવાનોને સમજાવીને ઘરે પહોચાડ્યા છે. હું ભલે બાવો થયો પણ લોકોને બાવા બનાવવા નથી. મેં ધાર્યું હોત તો ઘણા શિષ્યોનું ટોળું ઉભું કરી શક્યો હોત. પણ હું જાણું છું એ કુદરતી માર્ગ નથી. થોડા લોકો ભલે મારા ઉપર  ચિડાય પણ જાગ્રત થવા માંગતા લોકોને મારે જાગ્રત કરવા જ જોઈએ. પોતાના બાળકોને સાધુ ન બનાવશો, સજ્જન બનાવશો તો ઘણું છે.”

         સ્વામીજી કહે છે “ હું કોઈએ ધાર્મિક સંગઠનનો પ્રતિનિધિ નથી કે કોઈ દાનની આશા રાખતો નથી. કદાચ હું જે કહીશ તે તમારી લાગણીઓ અને માન્યતાઓ દુભવશે અને કદાચ તમારા કાને ઝેર સમાન લાગશે. પણ જે ધર્મ સાથે હું ગૌરવ પૂર્વક જન્મ્યો હતો અને જે દેશ મને પ્રાણથી પણ અધિક વ્હાલો છે; તેને માટે મારા મનની વાત પૂર્ણ સત્યાનિષ્ઠાથી મારીશ ત્યાં સુધી કહેતો રહીશ.”  સ્વામીજી કહે છે : “ મેં ઈશ્વરને જોયો નથી પણ તેની કૃપા અસંખ્ય વાર અનુભવી છે.”

            સ્વામી સચ્ચિદાનંદજી એક કર્મયોગી સંત છે. સ્વામીજીએ તેઓની જાતને ક્યારેય યોગી ગણાવી નથી. તેઓ એક સામાન્ય માણસ થઇને જીવવાનું પસંદ કર્યું છે. ક્યારેય ખોટો દંભ કે ઢોંગ કર્યો નથી એ તેમના જીવનની સૌથી મોટી મૂડી છે. તેઓ વૈશ્વિક સત્ય અને વિજ્ઞાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. સ્વામીજીએ વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે. અને લોકો, પ્રચારકો અને તીર્થસ્થાનોનું મુલ્યાંકન કર્યું છે. તેમને ભારતીય શાસ્ત્રો અને માનવા જાતના ઇતિહાસના ઊંડા અભ્યાસી છે. તેઓ ઉત્તમ વક્તા છે. તેમની ભાષા સરળ હોવા છતાં પ્રભાવી છે. તેઓની વાણી સમાજના દંભ પર ચોટદાર પ્રહાર કરે છે. ભલે કેટલાક લોકોને સ્વામીજીની વાણી ઝેર સમાન લાગે પરંતુ ખરા અર્થમાં તો  તેઓ દરેક સમાજ અને સંપ્રદાયનાં લોકોના હ્રદયમાં સ્થાન પામ્યા છે. તેઓએ ઘણા પુસ્તકો લખ્યા છે. તેમનો ચાહક વર્ગ  ઘણો વિશાળ  છે. વિશ્વભરનાં  લાખો લોકો સ્વામીજીનો પડ્યો બોલ જીલવા તત્પર રહે છે. 

             જો આ દેશને સો સ્વામી સચ્ચિદાનંદ મળી જાય તો દેશની તાસીર અને તસવીર બદલાઈ જાય. સ્વામીજીને પદ્મ ભૂષણ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવીએ અને તેઓના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના !  

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620 (whatsapp only)

Saturday, March 19, 2022

સન્ડે સ્પેશિયલ -

                 ચકલી પ્રજાતિને ખતમ કરી નાખવાની ચીને કરેલી ભૂલના

પરિણામે અઢી કરોડથી પણ વધુ લોકો મોતને ભેટ્યા હતા.

            ૨૦ માર્ચ એટલે   વિશ્વ ચકલી વિશ્વ ચકલી દિવસ છે. થોડા વર્ષો પહેલા ઘર આંગણે ચકલીઓ ચણવા ઉમટી પડતી. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી ચકલી પ્રજાતિ શોધે પણ ઝટ જડતી નથી. ચકલી પ્રજાતિની ઘટતી સંખ્યા એક ચિંતાનો વિષય છે. જ્યારે કોઈ પ્રજાતિ નામશેષ થઈ જાય છે ત્યારે તેની વિપરીત અસર જીવસૃષ્ટિ ઉપર પણ પડતી હોય છે.  સમસ્ત જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે નાના કિટકોથી માંડી વિશાળકાય પ્રાણીઓ એમ સૌનું મહત્વ છે. જો  કોઈ પ્રજાતિ નામશેષ કરી દેવામાં આવે તો એની  પ્રકૃતિ અને માનવ જાત  ઉપર કેવી ઘાતક અસર થાય છે એ સમજવા, વર્ષ ૧૯૫૮માં ચીનમાં બનેલી ઘટના સૌ કોઈ માટે સિમાચિહ્નરૂપ છે અઢી કરોડથી વધુ લોકોની બલી ચડાવી ચકલી પ્રજાતિનો સર્વનાશ કરવાની કિંમત ચીને  ચૂકવવી પડી હતી.

            વર્ષ ૧૯૫૮ની આ વાત છે. જ્યારે માઓ ઝેડાંગ ચીનનો સર્વસત્તાધીશ હતો. ચીન ૧૯૫૦ માં આર્થીક સંકટમાં સપડાયેલું રાષ્ટ્ર હતું. બ્રિટન અને અમેરિકા આર્થિક દ્રષ્ટીએ ચીન કરતા ઘણા સધ્ધર રાષ્ટ્રો હતા. ચીનને આર્થિક સંકટમાંથી ઉગારવા માઓએ  Great Leap Forward   પ્લાન બનાવ્યો.  આ પ્લાન અંતર્ગત અનેક અભિયાનો શરૂ કરવામાં આવ્યાં. તે અભિયાનોમાંનું એક અભિયાન એટલે ‘four pests campaign’.  જે અંતર્ગત માનવ જાત અને કૃષિ ઉત્પાદનોને નુકશાન પહોચાડતા ચાર કિટકોને દેશમાંથી  સંપૂર્ણ નેસ્તનાબુદ કરવાનું ફરમાન કરવામાં આવ્યું. આ ચાર કિટકોમાં ઉંદર, મચ્છર, માખી અને ચકલીનો સમાવેશ થતો હતો. ચીનાઓની ગણતરી પ્રમાણે એક ચકલી ચારથી સડા ચાર કિલો અનાજ ખાઈ જાય  છે. જો આ ચકલીને જ મારી નાખવામાં આવે તો હજારો કિલો અનાજ બચી જાય અને વધુ ઉત્પાદન મેળવી શકાય. આવી તર્કહીન બાબતને આધાર બનાવી અભિયાન શરૂ કરવામાં આવ્યું.   માઓના માટે આ એક હાઈજીન અભિયાન હતું. જેના થાકી માનવ સ્વાસ્થ્ય  અને અનાજ બંનેની બચત થશે.

            ‘four pests campaign’  નામે  ચારેય કિટકોને શોધી શોધી મારવાનું શરૂ થયું. જ્યાં પણ ચકલી જોવા મળે ત્યાં લોકો ઢોલ અને થાળી વગાડી રીતસર તેની પાછળ પડતાં. જ જ્યાં સુધી ચક્તિ ઉડીને થાકી જઈ હાંફીને નીચે પટકાઈને મરી જાય,  ત્યાં સુધી લોકો થાળી વગાડતા  ચકલીની પાછળ દોડતા રહેતા. ચકલીના માળાઓ શોધી શોધી ઇંડાઓ ફોડી નાખવામાં આવ્યાં. ચકલીના નાનાં બચ્ચાંને પણ પટકી પટકી મારી નાખવામાં આવતાં. મોટાઓ સાથે નાનાં છોકરાં પણ આ કિટકોની હત્યા કરવા લાગ્યાં. એના પાછળનું મુખ્ય કારણ એ હતું કે   માઓ ઝેડાંગ ચકલીની  હત્યા બદલ ઇનામ આપતો. ‘મૃત ચકલી આપી જાઓ અને ઇનામ લઇ જાઓ.’  સૌથી વધુ ચકલીઓ મારનારનું જાહેરમાં સન્માન થતું. શાળા, કોલેજો અને બીજી સંસ્થો  વચ્ચે ચકલીઓ મારવાની રીતસરની સ્પર્ધાઓ યોજાતી. અને આ સ્પર્ધામાં વિજય મેળવનાર સંસ્થાને મેડલ આપી સન્માન કરવામાં આવતું.

          Four Pests Campaign ને બાદ ઉંદર, મચ્છર અને માખી જેવી  પ્રજાતિનું વધુ નુકશાન  થઇ શક્યું નહિ, પણ એક સમય એવો આવ્યો કે આખા ચીનમાંથી ચકલી જાણે  ગાયબ જ થઇ ગઈ. પર્યાવરણનું જતન કરતી ચકલી પ્રજાતિના  સર્વનાશ કર્યાનું પરિણામ માત્ર બે વર્ષમાં જ દેખાવા લાગ્યું. જે ચકલીઓને  ખેડૂતોની દુશ્મન ગણીને મારી નાખવામાં આવી એ જ ચકલીઓ પાકને નુકશાન કરતી જીવાત ખાઈ જતી હતી. પરિણામે જીવાતથી  પાકનું  રક્ષણ થતું. પરતું ૧૯૬૦ માં ચકલીઓના અભાવે પાક ઉપર જીવાતનો ઉપદ્રવ વધી ગયો. અને પાક હવે નિષ્ફળ જવા લાગ્યો. પાકને નુકશાન કરતા કિટકોને મારવા પેસ્ટીસાઈઝનો અતિશય છંટકાવ કરવામાં આવ્યો. એમ છતાં પાકને નુકશાન કરતી જીવાત એટલી બધી વધી ગાઈ કે આવે અનાજ પકાવવું જ મુશ્કેલ બને ગયું. અને આખરે ચીન ભયંકર દુષ્કાળના ભરડામાં સપડાયું. ઝેડોંગને પોતાની ભૂલ સમજાઈ.પરતું ત્યારે બહુ મોડું થઇ ચુક્યું હતું.

          ચીને વેઠેલા આ કારમા દુષ્કાળને  Chinese Famine નામથી પણ ઓળખાય છે. ચીનના સરકારી આંકડા પ્રમાણે આ દુષ્કાળથી  દોઢ કરોડ લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકારમાં આવે છે. પરંતુ હકીકતે આ   દુષ્કાળમાં અંદાજે અઢી કરોડ કરતાં પણ વધુ  લોકો મૃત્યુ પામ્યા હોવાનું મનાય છે. ચીન સરકારે આખરે સોવિયત યુનિયન પાસેથી ૨,૫૦,૦૦૦ ચકલીઓ આયાત કરવાનો નિર્ણય લીધો.

        ચીનના પત્રકાર યાંગ જેશાંગે  આ દુર્ઘટના આધારિત Tombstone નામે પુસ્તક લખ્યું હતું. એમાં યાંગ જેશાંગે  વર્ણવ્યું છે કે “ભૂખથી મરતાં લોકોએ પોતીકાંણી લાશોને ખાવા લાગ્યાં હતાં.”  નક્કર વાસ્તવિકતા દર્શાવતા આ પુસ્તક પર ચીને આખરે  પ્રતિબંધ મૂકી દીધો હતો. આજે પણ ચકલીઓ મારવાના આ અભિયાનને વિશ્વના સૌથી મોટું  Environmental Disasters’  મોટું માનવામાં આવે છે.

          આ વાત થઇ ચીનની. પરંતુ  ભારતમાં પણ છેલ્લાં કેટલાક વર્ષોમાં ચકલીઓની સંખ્યામાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. સતત ઘટતી જતી  ચકલી પ્રજાતિના અસ્તિત્વને જાળવી રાખવા હાલ અનેક પર્યાવરણવાદી સંસ્થાઓ આગળ આવી રહી છે. નાસિકના મોહમદ દિલાવર જેઓએ ચકલી જેવા ઘરેલું પક્ષીની જાળવણી હેતુ નેચર ફોરેવર સોસાયટીની સ્થાપના કરી હતી.  નેચર ફોરેવર સોસાયટી  અને એકો સીસ એક્શન ફાઉન્ડેશન ( ફ્રાંસ) ના સંયુક્ત પ્રયાસો થકી ૨૦ માર્ચને વિશ્વ ચકલી દિવસ ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી. વિશ્વ ચકલી દિવસણી ઉજવણી  ૨૦ માર્ચ ૨૦૧૦ નાં રોજથી શરૂ કરવામાં આવી હતી.

          ભારત અને ગુજરાતમાં અનેક સંસ્થાઓ આજે પક્ષીઓના જતન અને સંવર્ધન માટે કાર્યરત છે. હાલ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના બામણા પુનાસણ જેવા  અંતરિયાળ વિસ્તારમાં  શ્રવણ સુખધામ પંચવટી સંસ્થા  પક્ષીઓનાં જતન માટે કાર્ય ખુબ સુંદર કાર્ય કરી રહી છે. આ સંસ્થા સાથે સંકળાયેલ હિરેનભાઈ પ્રજાપતિ  અને  ભાવેશભાઈ પ્રજાપતિ ઉનાળા પહેલા માટીના પાકા  બનાવેલા પક્ષીઓના માળા અને પાણીના કૂંડા હજારોની સંખ્યામાં વિનામૂલ્યે વહેચે  છે.  ગુજરાતની અનેક સેલીબ્રીટીઝ આ સંસ્થાની બ્રાંડ એમ્બેસીડર બની, સેવાકાર્યનો પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ બની રહી છે. પશુ પક્ષીઓની સેવા સાથે સાથે સંસ્થાનાં ચેરપર્સન ઇન્દુબેન પ્રજાપતિ   દ્વારા બીજી પણ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં  આવી રહી છે.

         આ વિશ્વ ચકલી દિવસે  ઘર આંગણે એક પાણીથી ભરેલું  કૂંડું મૂકી ચકલીને ઘરની કાયમી મહેમાન   બનાવીએ અને પ્રકૃતિનું જતન કરીએ.

-      ઈશ્વર પ્રજાપતિ

Mo. No. 98251 42620

 (whatsapp only)

         

  

 

Friday, March 18, 2022

કાશ્મીર ફાઇલ્સ

 કાશ્મીર ફાઇલ્સ આ માત્ર ફાઈલ નથી પરંતુ

 ભારતીય જન જનની ફીલિંગ્સ છે.   

 



            કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે ફિલ્મની વિષયવસ્તુ અને ફિલ્મ નિર્માણનાં જાણે પરિમાણો જ બદલી નાખ્યાં. મોટા ભાગે લોકો ફિલ્મ મનોરંજન માટે જોવા જતાં હોય છે. પરંતુ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મે થિયેટરમાં જવાનો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. મનોરંજન માટે નહીં પરંતુ આબાલવૃદ્ધ સૌ દિલમાં દેશદાઝ લઈને થિયેટરમાં જઈ રહ્યા છે.

 
              ફિલ્મ દરમિયાન સિસોટીઓ અને ચિચિયારીઓને બદલે દાયકાઓથી દબાવી રાખેલી અસહ્ય વેદનાનાં ડૂસકાં સાંભળવા સાંભળતાં હતાં. ફિલ્મના એક એક સંવાદ હૃદય ચીરી નાખતા હતા. નજર સામે થી પસાર થતાં એક એક દર્દનાક દૃશ્ય મગજ પર હથોડો બની પ્રચંડ પ્રહાર કરતાં રહ્યાં. સતત એક પ્રશ્ન મુંજવ્યા કરતો કે આઝાદ ભારતમાં શું હકીકતમાં આવાં દર્દનાક દૃશ્યો ભજવાયા હશે ??? મન તો માનવા તૈયાર ન થાય એ સ્વભવિક છે પરંતુ આ એક વરવી વાસ્તવિકતા છે.

            મધ્યયુગમાં જ્યાં લલિત આદિત્ય જેવા પ્રતાપી હિન્દૂ રાજવીઓ રાજ હતા. લલિત આદિત્યના શૂરવીરતા અને તેજસ્વીતાને કારણે તેઓ કાશ્મીરના સિકંદર તરીકે નામના પામ્યા હતા. તેઓએ બંધાવેલ માર્કંડ મંદિરના અવશેષો આજે પણ એ સમયની જાહોજલાલીનાં દર્શન કરાવે છે. લલિત આદિત્યના અનુગામી રાજવી .... નો સમયકાળ કાશ્મીરના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તો પછી ઋષિ મુનિયો અને પંડિતોની આ જ્ઞાનભૂમી એ જ પંડિતોના રક્તથી રકતરંજીત કેમ બની ??

             જે ઋષીના નામ પરથી આ ભૂમિનું નામ કાશ્મીર પડ્યું એવા કશ્યપ ઋષિ અને આદિ શંકરાચાર્યની તપોભૂમિ છે. પંચતંત્ર અહીં લખાયું છે. હિમાલયના બરફાચ્છાદિત ઉત્તુંગ શિખરો પૃથ્વી પર જ સ્વર્ગનો અહેસાસ કરાવે છે. આ ભૂમિ નારકાગર કેમ બની ??

              વિવેક અગ્નિહોત્રીએ ગહન અભ્યાસ અને ઇતિહાસના તથ્યોને ટકોરા મારી તપાસીને કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપી છે. કાશ્મીરી પંડિતોએ કઈ સ્થિતિમાં પોતાના ઘરબાર છોડ્યું છે એ જોતાં હૃદય કંપી જાય છે. આઝાદ ભારતના કાશ્મીરમાં એ કટ્ટરવાદીઓએ હેવાનીયતની બધી સીમાઓ ઓળંગીને સ્ત્રીઓની જે દુર્દશા કરી હતી જોઈ પથ્થર દિલ માનવીની આંખો પણ ભીંજાયા વગર રહેતી નથી. જેનું વર્ણન લખતાં હાથ ધ્રૂજે અને હૈયુંકંપે એવી ઘટનાને કોઈ રાક્ષસ જ અંજામ આપી શકે. હા, રાક્ષસ ! માનવભક્ષી રાક્ષસ ! રક્ત તરસ્યો રાક્ષસ !

              ફિલ્મ ડાએક્ટરે મર્યાદા જાળવી આ તો માત્ર એક પરિવારની પીડા દર્શાવી છે. આવા તો સેંકડો પરિવારો ક્યાં હોમાઈ ગયા એનો કોઈ અતો-પત્તો નથી. અસહ્ય વેદનાની કીકીયરીઓ અને વતનના વલોપાતની પીડાની તીણી ચીસો વચ્ચે સમસ્ત તંત્ર જાણે મુકબધીર બની ખૂની ખેલ નિહાળ્યા કર્યો. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટના દેશ દુનિયા સામે આવતાં ત્રણ દાયકા જેટલો વખત લાગ્યો. આવા તો અનેક દર્દનાક કાંડ ભજવાયા હશે. પરંતુ કોઈનું ધ્યાન ત્યાં જાય જ નહીં એવી સિફત પૂર્વક એને ઇતિહાસમાં ધરબી દેવામાં આવ્યા હશે. વિવેક અગ્નિહોત્રી જેમ કોઈ હિંમત કરી ઉજાગર કરે ત્યારે એ પ્રજા સમક્ષ આવી શકશે.

           નવાઈની વાત એ છે કે પંડિતોને રંજાડનાર પીશાચોના પક્ષધરોની આજે પણ કોઈ કમી નથી. આ વરવી વાસ્તવિકતા જોયા પછી પણ કેટલાક લોકો આંખ પરથી પાટા ખોલવા તૈયાર નથી. એમને તો પેટમાં એની ચૂંક ઉપડી છે કે આવી ફિલ્મ બનાવી જ કેમ ? ગંદકી ખૂબ વધી ગઈ છે. આવા લંપટોને ઓળખી વધુ એક સફાઈ અભિયાન ચલાવવાની ભારતને જરૂર છે. ભારતને અબ્દુલ કલામની જરૂર છે ઓસામા બિન લાદેનની નહીં. ભારતને આરીફ મહમદ ખાન જેવા પાક ઇન્સાનની જરૂર છે, ચંગીઝ ખાનની નહીં. ભારતને અસફાક ઉલ્લા ખાનની જરૂર છે,  અફજલ ગુરુની નહીં. ભારતને દારા સિકોહની જરૂર છે બુરાહન વાનીની નહીં.

           હું કોઈ રાજનીતિ સાથે જોડાયેલ વ્યક્તિ નથી. કોઈનો પક્ષ લેવો અને કોઈનો વિરોધ કરવો એ પણ મારું કામ નથી. પરંતુ હું સત્યનો પક્ષધર છું. સત્ય પરથી પડદો ઊંચકનારની પીઠ થાબડવી એ મારો લેખક ધર્મ છે.

વંદે માતરમ... જય હિન્દ

                                                                                                                       -ઈશ્વર પ્રજાપતિ

98251 42620 ( whatsapp only)  

 

Saturday, March 12, 2022

સન્ડે સ્પેશિયલ - 8

“પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામાં મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી, આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.” : ડૉ. અબ્દુલ કલામ 

           


          કોઇપણ મહાન વ્યક્તિઓ માટે સમકાલીન મહાન વ્યક્તિનો સ્વીકાર કરવો એ ઘણું મુશ્કેલ હોય છે. અને એમાં’ય  જ્યારે કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક હોય અને બંધારણીય સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય ત્યારે કોઈ અધ્યાત્મિક ગુરુનું શિષ્યત્વ સ્વીકારવું એનાથી પણ અઘરૂ હોય છે. પરતું પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામ કોઈ જુદી માટીના માનવી હતા. ડૉ. કલામે Transcendence પુસ્તક લખી માનવા સમાજ માટે ખુબ મોટી ભેટ પ્રદાન કરી છે. લાખો લોકોના જીવન પરિવર્તિત કરનાર પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના દિવ્ય અનુભવો ડૉ. કલામે Transcendence પુસ્તકમાં  વિનમ્રભાવે આલેખ્યા છે.!  જાણીતા પત્રકાર અજય ઉમટે “પરાત્પર” નામે આ પુસ્તકનો ખુબ સુંદર  ગુજરાતી અનુવાદ  કર્યો છે. અબ્દુલ કલામ જેવા પ્રખર વૈજ્ઞાનિક પ્રમુખાસ્વમીજીનું શિષ્યત્વ સ્વીકારતાં કેવી નિખાલસ વાતો આ પુસ્તકમાં આલેખી છે એ આપણા સૌ કોઈ માટે પ્રેરક છે. આ પુસ્તકના કેટલાક અંશો અહી પ્રસ્તુત છે.

            ડૉ. કલામ પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે: “મને મારા શ્રેષ્ઠતમ શિક્ષક અને માર્ગદર્શક પ્રમુખસ્વામી મહારાજનો ભેટો અજાણતા જ થયો હતો. કદાચ મારી નિયતિ અને મારી જીજ્ઞાશા મને પ્રમુખસ્વામી સુધી દોરી ગઈ હતી. ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર તરીકે કચ્છના ભૂકંપ પછી પુનઃ વસવાટના કાર્યોની સમિક્ષ કરવા મેં ભૂજની મુલાકાત લેધી હતી. ત્યાં ૧૫ માર્ચ ૨૦૦૧ નાં રોજ મારી મુલાકાત પ્રમુખસ્વામી મહારાજના એક શિષ્ય બ્રહ્મવિહારી દાસજી સાથે થી હતી. સાધુ બ્રહ્મવિહારી દાસજીએ મને આશ્ચર્યચકિત કરે તેવો એક પ્રશ્ન પૂછ્યો હતો. અને તેનો અધ્યાત્મિક જવાબ એકાએક મને સ્ફૂર્યો હતો. સાધુ બ્રહ્મવિહારી દાસજી એ મને પૂછ્યું હતું : ‘ પ્રથમ અણુબોમ્બ વિસ્ફોટ પછી રોબર્ટ ઓપેન હાઈમરે શ્રીમદ ભગવદ ગીતાના શબ્દો ‘હું જ આ દુનિયાનો સંહારકર્તા છું.’ નું સ્મરણ કર્યું હતું. ભારતના પ્રથમ અણુબોમ્બનું  પરિક્ષણ કર્યા પછી  તમને શો વિચાર આવ્યો?’

           ‘આ પ્રશ્ન સાંભળીને હું મૂંઝાઈ ગયો હતો અને પછી  મેં  કહ્યું હતું :’દૈવી ઉર્જા કે પરમેશ્વર તરફથી વહેતો ઉર્જાનો અખૂટ સ્રોત ક્યારેય વિધ્વંશક હોતો નથી; તે તોડતો નથી, જોડે છે.’

            સાધુ બ્રહ્મવિહારીદાસજીએ તરત  વળતો જવાબ આપતા કહ્યું હતું : ‘ અમારા આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજ એકતાના મહાન શિલ્પી છે. પ્રમુખસ્વામીજી એ ખંડિત થયેલા અમારા જીવનમાં નવશક્તિનો સંચાર કરવા માટે અમારી અંદર રહેલી ઉર્જાને પુનઃ યોગ્ય દિશામાં વહેતી કરી, અમારી ઉર્જાને ચેતનવંતી બનાવી છે.’

          સાધુ બ્રહ્મવિહારીદાસજીની વાત સાંભળીને અભિભૂત થઈને મેં પ્રમુખસ્વામી મહારાજને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મારો આશય આવા મહાપુરુષોનો પરિચય કેળવવાની હતો, પણ અલ્પ પરિચય સ્વરૂપે થયેલી અમારી આકસ્મિક મુલાકાત જાણે “દૈવી નિયતિ” બની ગઈ હતી.

           ડૉ. કલામ આગળ નોધે છે : “પ્રમુખસ્વામી મહારાજને હું પ્રથમ વખત ૩૦મી જૂન , ૨૦૦૧ના રોજ ઉનાળાની એક સાંજે મળ્યો હતો. ભગવા વસ્ત્રોમાં શોભાયમાન, ગૌરવપૂર્ણ સૌમ્ય ચહેરો ધરાવતા પ્રમુખસ્વામી જાણે ચોતરફ દિવ્યતા રેલાવતા હોય, એવી આભા એમાંના મુખાર્વીન્દને જોતા જ પ્રથમ દ્રષ્ટિએ મારા મનમાં પડી હતી. પ્રમુખાસ્વામિજીની પ્રભાવશાળીને દિવ્યતા સભર ઉપસ્થિતિમાં અમે ટૂંકા સંવાદની શરૂઆત કરી.

         મેં પ્રમુખસ્વામી જી સમક્ષ મારા વિઝન-૨૦૨૦ના વિચારો પ્રસ્તુત કરતાં કહ્યું : ‘ભારતમાં પરિવર્તન લાવવાના હેતુથી  પાંચ ક્ષેત્રો તારવ્યા છે. : 1. શિક્ષણ અને આરોગ્ય 2. કૃષિ 3. માહિતી અને પ્રત્યાયન 4. માળખાગત સુવિધાઓ અને 5. મહત્વપૂર્ણ ટેકનોલોજી.’

          પ્રમુખાસ્વામીજીએ સ્મિત રેલાવીને સૌ પ્રથમ ઉચ્ચારેલા શબ્દો હતા : ‘ભારતને પરિવર્તિત કરવાનાં આપે જે પાંચ ક્ષેત્રો તારવ્યા છે, તેમાં છઠ્ઠું ક્ષેત્ર ઉમેરો. : ‘ભગવાન માં શ્રધ્ધા તથા આધ્યાત્મિકતા થકી લોકોનો વિકાસ’ આ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે.’  પ્રમુખસ્વામીના આ વિધાનની સ્પષ્ટતા, ચોકસાઈ અને દ્રઢતાથી હું આશ્ચર્ય ચકિત થઇ  ગયો.

     મૌન રહેવું મુનાસીબ માની હું શાંત ચિત્તે પ્રમુખસ્વામીજી વધુ બોલે તેની રાહ જોતો અનિમેષ નજરે પ્રમુખસ્વામી જી નાં મુખારવિંદ સમક્ષ  જોઈ રહ્યો. મને જાણે કોઈએ દિવ્ય ઉપસ્થિતિની અનુભૂતિ થઇ  રહી હતી. ખરેખર પ્રમુખસ્વામીજીમાં એક પરમ શક્તિ વસે છે; એક પરમ આત્મા, આત્માનો પણ આત્મા.  મને આપણા પ્રાણ ક્ષેત્રની સૌથી નજીક હોય એવા જુદા જ દિવ્ય તત્વ સાથેના જોડાણનો અનુભવ થયો. પ્રમુખસ્વામી જીના દિવ્ય તેજથી મારું અંતઃકરણ ઝળહળી ઉઠ્યું. જાની મારી છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થી હોય એવી અનુભૂતિ થઇ રહી હતી.

      મને લાગ્ય કે પ્રમુખસ્વામીજી સાથે હું જીવનની એક પરિવર્તનશીલ ઘડીમાથી પસાર થઇ રહ્યો હતો. અને જાણે હું કોઈએ જુદી જ દુનિયામાં પ્રવેશી રહ્યો હતો.”

        ડો. કલામ પુસ્તકના એક પ્રકરણમાં જણાવે છે કે “પ્રમુખસ્વામી મહારાજને મળવા છેલ્લે ,૧૧ માર્ચ ૨૦૧૪નાં રોજ ગુજરાતના સાળંગપુર ગયો હતો. સુંદર ફૂલોથી મહેકતા બગીચામાં અમે બેઠા હતાં. જ્યાં મોર ગહેકાતા હતાં. અધ્યાત્મિક અને લાગણીસભર વાતાવરણ માં પ્રમુખસ્વામી મહારાજે ૧૦ મિનીટ સુધી મારો હાથ પકડી રાખ્યો હતો. અમે બંને મૌન હતા. અમારી વચ્ચે એકપણ શબ્દનું આદાન પ્રદાન થયું નહતું. મૌનનું મહાત્મ્ય છવાયું હતું. ચેતનાના સુક્ષ્મ સંચાર સાથે અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યાં આ એક આધ્યાત્મિક અનુભવ હતો.

           સાળંગપુર પ્રમુખસ્વામી મારારાજ સાથે બગીચામાં સંપૂર્ણપણે અલગ અનુભવ થયો. અગાઉ બે પ્રસંગોમાં મને લાગ્યું હતું કે મને જે અનુભૂતિ થી રહી છે તે મારી કલ્પનાઓ છે , જો કે આ વખતે સક્ષાત્કાર થયો હતો. પ્રમુખસ્વામી મહારાજે સ્વયં મારો હાથ પકડ્યો હતો. હું શૂન્ય મનસ્ક થઇ ગયો હતો. અને શાશ્વત શાંતિ તરફ દોરી રહ્યો હતો. મને અહેસાસ થયો હતો કે તેમના હાથમાં કાયાપલટ કરી શકે તેવી અખૂટ ઉર્જા છે. જેની અત્યારે વિશ્વને સૌથી વધુ જરૂર છે. આ ઉર્જાનો પ્રવાહ સમગ્ર જગતમાં પરિવર્તન આણી શકે છે. આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા પ્રમુખસ્વામીજી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે. તેઓ ક્ષનિક અને નાશવંત પ્રકૃતિથી પર છે. મને એવો અહેસાસ થયો હતો કે માનવજાતના ઉત્થાન માટે, તને સામર્થ પ્રદાન કરવા માટેના સર્વશક્તિમાન ભગવાનનો દિવ્ય સંદેશ, પ્રમુખસ્વામી મહારાજ મારફતે મને મળી રહ્યો છે. એક એવો સંદેશો કે જે માનવા જગત વિસરી ચુક્યું હતું.

          ૨૫ એપ્રિલ ૨૦૦૭ નાં દિવસે અબ્દુલ કલામે યુરોપીયન સંસદ ને સંબોધન કર્યા બાદ તેમના શબ્દો હતા કે  ‘મારા માધ્યમથી પ્રમુખસ્વામી મહારાજ બોલી રહ્યાં છે. આખી સંસદે તાળીઓના ગડગડાટ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.’ અને યુરોપિયન સંસદના પ્રમુખે કહ્યું : ‘ તેમણે ક્યારેય આવું ભાષણ સાંભળ્યું ન હતું. આ તો ભગવાન પ્રેરિત ભાષણ હતું.”

         જ્યારે અબ્દુલ કલામે પ્રમુખાસ્વમીજીને રાષ્ટ્રપતિ ભાવનામાં પધારવાનું આમંત્રણ આપ્યું ત્યારે પ્રમુખસ્વામીજીનો જવાબ કાળબાહ્ય હતો. તેમણે કહ્યું “ તમે મને જ્યારે પણ યાદ કરો ત્યારે હું તમારી સાથે રાષ્ટ્રપતિ ભાવનામાં જ હોઉં છું.”  ડૉ.  કલામ નોધે છે કે અમારું જોડાણ વધુ ગાઢ બની રહ્યું હતું. પ્રમુખસ્વામીજીની ગેરહાજરીમાં પણ હું તેમની હાજરી અનુભવતો.”

          પ્રમુખસ્વામીજી સક્ષાત કરુણામૂર્તિ હતા. ડૉ કલામ  કહે છે કે “૨૪ મી સપ્ટેમ્બર ૨૦૦૨, સાંજે ૪.૪૫ કલાકે ગાંધીનગરના અક્રધામ મંદિર પર ત્રાસવાદી હુમલો થયો. અક્ષરધામ પરના આ ત્રાસવાદી હુમલામાં ૩૧ નિર્દોષ દર્શનાર્થીઓ, હરિભક્તો , કમાન્ડોઝ અને એક સાધુ પણ જીવ ગુમાવી બેઠા હતા.  23 પોલીસ કર્મીઓ સહીત ૮૦ થી વધુ લોકો ઘવાયા હતા.  આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કમાન્ડો સુર્જનસિંહ ભંડારી બે વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ શહીદ થયા.

         પ્રમુખ સ્વામી જી એ  કોઈએ પણ પ્રકારના હેતુપૂર્વકનું દોષારોપણ કર્યા વિના ઉદારતા દાખવી. અક્ષર ધામ એમનું અત્યત અમૂલ્ય , ભવ્ય અને અદભુત સર્જાના હતું એમાં છતાં પ્રમુખસ્વામીજી શાંત રહ્યા. તેમની સાધુતા હૃદયસ્પર્શી હતી. પ્રમુખસ્વામીએ ભોગ બનેલા કમ નસીબ લોકો અને શોકગ્રસ્ત સંબધિ માટે ઊંડા શોક અને સહાનુભુતિ ની લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી. ઘવાયેલા જલદી સાજા થાય તે માટે પણ તેમેને પ્રાર્થના કરી. બે ત્રાસવાદીઓ જે મૃત્યુ પામ્યા હતા, ત્યાં પણ તેમને પવિત્ર જળ છાંટી પુષ્પો વેર્યા. તેમની આંખોમાં લેશ માત્ર આક્રોશ ન હતો. ઉપસ્થિત સેંકડો લોકો અને સાધુઓ પ્રમુખાસ્વામીજીની અગાધ ક્ષમાશિલતા જોઈએ અચંબિત હતા. તેમની લાગણી સભર પ્રાર્થના એ જ હતી કે ભવિષ્યમાં આતંકનાં આવા વિચારો કોઈની મનમાં જન્મે નહિ અને આવી કરુણ ઘટનાની વેદના સમગ્ર વિશ્વમાં કોઈ દેશ કે સમુદાયના લોકોને સામનો ન કરવો પડે”.  

          ડૉ. કલામ પ્રમુખસ્વામી સાથેનો  પોતાનો દિવ્ય અનુભવ ટાંકતા લખે  છે કે “ હું એ નથી જાણતો કે પ્રમુખ સ્વામીજી ને હું ફરી ક્યારે માલીશ. જોકે એમાંના શબ્દો મારી સ્મૃતિમાં સંગ્રાહાઈ ગયા છે. અમારી વચ્ચે દિવ્ય સંબંધ સ્થપાઈ ગયો છે, જે શાશ્વત છે. મારા પર થયેલી પ્રમુખસ્વામી જી ની અસરનો સાર હું કઈ રીતે સમજાવું ? એમને મારું સંપૂર્ણ પરિવર્તન કર્યું છે. તેઓ મારા આધ્યાત્મિક આરોહણની પરાકાષ્ઠા છે. જે આરોહણનો પ્રારંભ મારા પિતાએ કરાવ્યો, ડો બ્રહ્મપ્રકાશ તથા સતીશ ધવને જેનું પોષણ આપ્યું : અને આખરે હવે પ્રમુખાસ્વામીજીએ મને પરમેશ્વરની લગોલગ એવી ભ્રમણક્ક્ષામા મૂક્યો છે કે મારે હવે કશું જ કરવાનું રહેતું નથી આ કારણે કે હું અનંતતાના મારા અંતિમ મુકામે પહોચી ચૂક્યો છું.”

(સંદર્ભ : ‘પરાત્પર’  મૂ.લે. -  ડૉ. અબ્દુલ કલામ અરુણ તિવારી સાથે, અનુ. અજય ઉમટ)

                                                                                             - ઈશ્વર પ્રજાપતિ

98251 42620 (whatsapp only) 

Saturday, March 5, 2022

સન્ડે સ્પેશિયલ - 7


"પુસ્તકોના અભાવે હું ભલે વધુ ભણી શક્યો નહિ, પરંતુ ભાવી પેઢીના ભણતર  માટે  પુસ્તકોનો  અભાવ  નડે નહિ તે માટે કંઈક  કરવું છે."    

            
              કલ્યાણસિંહ પુવાર.
            આ નામથી સાહિત્યકારો અને સક્ષારો બહુ ઓછા પરિચિત હશે. પરંતુ ઓછું ભણેલા આ માણસે મહીસાગર જિલાના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં સેવાની ધૂણી ધખાવી છે.
          મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાનું દધાલીયા સાવ છેવાડાનું ગામ છે. આ ગામમાં એક અનોખું  પુસ્તકાલય આકાર પામ્યું છે. પુસ્તકાલયનો ઓરડો તો સાવ સામાન્ય છે. બીજી ભૌતિક સગવડો પણ ખાસ  મળે નહિ. પરંતુ આ લાઈબ્રેરીમાં વિવિધ ભાષાનાં કુલ મળી  ૯૫૦૦૦ કરતાય અધિક પુસ્તકો ઉપલબ્ધ છે. કદાચ માન્યામાં ન આવે કે આ વિરાટ સપનાને હકીકત બનાવ્યું છે ખુબ ઓછું ભણેલા અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નિવૃત થયેલા કલ્યાણસિંહ પુવારે.
              કલ્યાણસિંહ  પુસ્તકોના અભાવે  વધુ  ભણી શક્યા નહિ. એટલે બેન્કમાં સિક્યુરીટી ગનમેન તરીકે નોકરી કરી. પોતે ઉચ્ચ અભ્યાસથી વંચિત રહ્યા પરીઅનામે જીવનમાં અનેક હાડમારીઓ વેઠી. એટલે હ્રુદયમાં ઊંડે ઊંડે એની પીડા પણ ખરી. આ પીડાને એમણે પ્રેરણામાં પલટાવી. ઓછા અભ્યાસના કારણે જીવનમાં જે સંઘર્ષો વેઠવા પડ્યા. એ જાત અનુભવે મનમાં ગાંઠ વાળી કે ‘મારા ગામની આસપાસના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વાંચવા માટે સમૃદ્ધ લાઈબ્રેરી બનાવીશ. મારી જેમ કોઈ  વિદ્યાર્થી હવે પુસ્તકોના અભાવે અભ્યાસ ન કરી એવું હું બનવા દઈશ નહિ ’ પરિણામ સ્વરૂપ  એક અનોખી લાયબ્રેરી આકાર પામી.  જેમાં ધર્મ, વિજ્ઞાન, આધ્યાત્મ, સાહિત્ય, કલા, અર્થશાસ્ત્ર, સ્પર્ધાત્મક પરીક્ષાઓના લગભગ ૯૫૦૦૦ કરતા વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. નાના અમથા ઓરડામાં પુસ્તકો ખીચોખીચ ભરેલાં છે. આ પુસ્તકો સાથે તેઓ એટલા તો ઓતપ્રોત છે કે  આટલા બધા બધા પુસ્તકોમાં વાચકને જે પુસ્તક જોઈએ એ કલ્યાણસિંહ તરત જ શોધીને આપી દે છે.   કલ્યાણસિંહ   લાઈબ્રેરી ચલાવે છે એ તો ખરું જ સાથે સાથે એક સફળ લાઈબ્રેરીયન તરીકેની ભુમિકા પણ સુપેરે નિભાવે છે.


             આ લાઈબ્રેરીમાં ગુજરાતના અને દેશનાં તમામ પ્રતિષ્ઠિત મેગેજીન નિયમિત આવે છે. તેમને દર મહીને પુસ્તકો ખરીદવા,લાવવા લઇ જવા માટે ખર્ચ પણ માતબર  થાય છે. તેમની નોકરી બેન્કમાં સિક્યુરીટી ગનમેનની હતી.  તેમનો પગાર પણ ઘણો ટૂકો. એટલે આ ખર્ચ ને પહોચી વળવા અને મહિનાનો વધારાનો ખર્ચ પૂરો કરવા તેઓ વધારાનો સમયમાં બેંકમાં મજુરીનું કામ કરીને ખર્ચ પૂરો કરતા,  આ બધા પુસ્તકો,વસ્તુઓની હેરાફેરીનું કામ માટે સાધન કરવું પોષાય તેમ હતું નહિ એટલે પુસ્તકો લાવવા લી જવા  સાઈકલનો જ ઉપયોગ કરે છે.
             કલ્યાણસિંહ પુસ્તકો મેળવી જરૂરિયાતવાળા લોકો સુધી પુસ્તકો પહોઁચાડવા સતત પ્રયત્નશીલ રહે છે.  લોકો રદ્દી તરીકે આપેલા પુસ્તકો પૈસા આપીને તેઓ  ખરીદી લાવે છે. તેમાંથી ઉત્તમાં પુસ્તકો શોધી પોતાની લાઈબ્રેરીમા સાચવી રાખે છે. ત્યાં આવતા વાચકોને મફત વાંચવા આપે છે.
          કલ્યાણસિંહે  આ સેવા યજ્ઞ પોતાના ગામની લાઈબ્રેરી પૂરતો સીમિત નથી રાખ્યો પણ ગુજરાના ગામડાઓ ખુંદી વાલી ૩૦૦ જેટલી બીજી નાની લાબ્રેરીઓ ઉભી કરી છે, સાથે સાથે ગુજરાતના ખૂણે ખૂણે ચાલતી લાઈબ્રેરીઓમાં અત્યાર સુધી લાખો પુસ્તકોનું દાન કર્યું છે. આજ સુધીમાં  તેઓએ ૫ લાખથી પણ વધારે પુસ્તકો શાળા, કોલેજો, જુદી જુદી સંસ્થાઓમાં મફત દાન સ્વરૂપે પહોંચાડ્યા છે.
    ભરાવદાર  મૂછો ધરાવતા કલ્યાણસિંહ સ્વભાવે અત્યત કોમળ છે. પુસ્તક થકી જ્ઞાનયજ્ઞ સાથે સાથે બીજા સેવાયજ્ઞો પણ તેઓ ચલાવી રહ્યા છે. જરૂરિયાતવાળી વસ્તુઓ લોકો પાસેથી મેળવી જરૂરિયાતમંદ  લોકો સુધી પહોચાડે છે.  આસપાસના ગરીબોને મફત કપડાં અને જરૂરિયાતની અન્ય ચીજો પહોચાડવામાં તેઓ મદદરૂપ કડી બને છે. ગામની આસપાસના અબોલ જીવ  પણ ભૂખ્યા ન રહે તેની પણ એટલી જ કાળજી લે છે.
     કલ્યાણસિંહ  કહે છે પુસ્તકોના વાંચન સિવાય ઉન્નતિનો બીજો કોઈ રસ્તો નથી.”  અને આ ઉક્તિને   એમનો જીવન મંત્ર બનાવ્યો છે. તેઓ સતત પ્રવાસ કરતા રહે છે.  તેઓના હાથમાં પુસ્તકોથી ભરેલી એક બેગ રહે છે.  રસ્તે જતા કોઈએ પુસ્તકપ્રેમી મળે તો એને એ ભેટ આપી આગળ વધે છે. અને કોઈ જગ્યાએ  પસ્તીમાં સુદર પુસ્તક જુએ તો એને ખરીદી પોતાની બેગમાં મૂકી આગળ વધે.
       દીવાદાંડી બની સેકડો સાક્ષરોને દિશા ચીંધતા કલ્યાણસિંહ સેવાનિવૃત્તિ બાદ બમણા વેગથી કામ કરી રહ્યા છે. કોઈ નોધ લે કે ન લે તેની જાજી પરવા કરવા નથી. પોતાની મસ્તીમાં અને પોતાની અલગારી ધૂનમાં મસ્ત બની અનેકો માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યાં છે. ઓછું ભણેલ કલ્યાણ સિંહ તો પુસ્તકોની દુનિયાનું મહત્વ સમજ્યા પરંતુ કહેવાતા સક્ષારો આ વાત ક્યારે સમજાશે??  
કલ્યાણસિંહ પુવાર
મો.9428673964
                                                                                                                        - ઈશ્વર પ્રજાપતિ 
 

 

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts