Sunday, August 28, 2022

સન્ડે સ્પેશીયલ - 32

  યુધિષ્ઠિરે ભીષ્મપિતામહને પૂછ્યું  : સ્ત્રી અને પુરુષ બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે?


        મહાભારત એક અદભુત ગ્રંથ છે. કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ બીજે ક્યાય નથી. અને આ દુનિયામાં કશું જ મૌલિક નથી, સઘળી બાબતોનો સમાવેશ મહાભારતમાં થયેલો છે. મહાભારત જ્ઞાનનો ભંડાર છે. તેમાં નીતિ, ધર્મ, રાજનીતિ, જ્ઞાન-વિજ્ઞાન, યોગ, ઈતિહાસ, રહસ્ય વગેરે વાતોનો સમાવેશ થાય છે. મહાભારત ધર્મગ્રંથ હોવાની સાથે સાથે સામાજિક ગ્રંથ પણ છે. જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પરમાં સમાગમ કરે છે ત્યારે બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે એ વિશેની પણ રસપ્રદ કથા મહાભારતમાં છે.

        મહાભારત અનુશાસન પર્વના બારમા અધ્યાયમાં એક કથા આવે છે. જે અનુસાર  બાણશૈયા પર સુતેલા  ભીષ્મપિતામહને  યુધિષ્ઠિર પ્રશ્ન પૂછે છે :

સ્ત્રીપુંસયોઃ સમ્પ્રયોગે સ્પર્શ કસ્યાધિકો ભવેત્ ॥

               અર્થાત્ જ્યારે સ્ત્રી અને પુરુષ પરસ્પરમાં સમાગમ કરે છે ત્યારે બન્નેમાંથી સમાગમનું સુખ કોને વધુ પ્રાપ્ત થાય છે તે કહો. અહીં એક વસ્તુ ધ્યાન આપવા જેવી છે. ભીષ્મ બાળબ્રહ્મચારી છે. પરણેલા નથી. તેમણે સ્ત્રીસુખ ભોગવ્યું નથી. તેમ છતાં બિનઅનુભવીને પ્રશ્ન પુછાય છે. ભીષ્મ પણ ‘હું નથી જાણતો’ તેવું કહીને છૂટી પડવાની જગ્યાએ એક આખ્યાયિકાના માધ્યમથી જવાબ આપે છે અને તે સચોટ જવાબ હોય છે. આને ‘પ્રાતિભજ્ઞાન' કહેવાય છે. શાસ્ત્રજ્ઞાન, અનુભવજ્ઞાન અને તેથી પણ વધારે પ્રાતિભજ્ઞાન હોય છે . પોતાને અનુભવ ન હોવા છતાં પણ પ્રતિભાની પ્રબળતાથી મહાપુરુષો બિનઅનુભવોનું જ્ઞાન પણ સચોટ આપી શકે છે. તે આ કથાથી જણાય છે.

          ભીષ્મ કહે છે : યુધિષ્ઠિર સાંભળ, એક ભંગાસ્વન નામનો રાજા હતો, તેણે એવો યજ્ઞ કર્યો કે જેમાં ઇન્દ્રને સ્થાન ન હતું. તેથી ઇન્દ્ર ચિડાયો. અને વેર બંધાયું. ઇન્દ્રને થયું કે આ ભંગાસ્વન રાજાએ યજ્ઞો કર્યા પણ મને તો બોલાવતો જ નથી. મારે તેને ખબર પાડી દેવી જોઈએ. તે દિવસથી ઇન્દ્ર ભંગાસ્વન રાજાનું છિદ્ર શોધવા લાગ્યો. છિદ્ર એટલે દોષ. દોષ વિના હુમલો ન કરાય. ઇન્દ્રે ઘણા કાગડાવેડા કર્યા પણ રાજાનું કોઈ છિદ્ર દેખાયું નહિ.

       એક વાર રાજા ભંગાવન શિકાર રમવા વનમાં એકલો જ ગયો. રાજા તો વનમાં દૂર દૂર ચાલ્યો ગયો. થાક્યોપાક્યો તે એક સરોવરના કિનારે પહોંચ્યો. તેણે ઘોડાને સ્નાન કરાવ્યું અને પાણી પિવડાવ્યું. પોતે પણ પાણી પીધું અને પછી સરોવરના નિર્મળ જળમાં સ્નાન કરવા ઊતર્યો. તેણે ખૂબ પ્રેમથી સ્નાન કર્યું. પણ આ શું ? તે તો પુરુષમાંથી સ્ત્રી બની ગયો. તેને નવાઈ લાગી, અરે !  આ શું થયું ? હવે મારું શું થશે ? હું ક્યાં જાઉં ? શું કરું ? ડૂબી મરું ? હવે આવું જીવન મારાથી કેમ કરીને જિવાશે ?'  તે ચિંતા કરવા લાગ્યો.

       સ્ત્રી બની ગયેલો રાજા મહાદુઃખી થઈ ગયો. તે પોતાની રાજધાની ગયો. મંત્રી - રાણીઓ અને પોતાના સો પુત્રોને મળ્યો. સૌને નવાઈ લાગી. રાજાએ જોયું કે હવે તેનું પહેલાં જેવું માન રહ્યું નથી. બધાં મશ્કરીઓ કરે છે. તિરસ્કાર કરે છે. ઇન્દ્રે આ બદલો લીધો છે. તેણે પુત્રોને ભેગા કરીને બધું રાજપાટ સોંપી દીધું અને વનમાં ચાલ્યો  ગયો. જે જગ્યાએ બહુમાનપૂર્વકનું જીવન જીવ્યા હોઈએ તે જગ્યાએ જો માનહીન થઈ જવાય તો ડાહ્યા પુરુષે તેવી જગ્યાનો ત્યાગ કરી દેવો જોઈએ. જો તે પડ્યો રહે તો વધુ ને વધુ તિરસ્કૃત થતો રહે.

      રાજા વનમાં તો ચાલ્યો ગયો. અથવા ચાલી ગઈ. પણ હવે વનમાં પણ  ક્યાં જવું ? ફરતાં ફરતાં તેને એક આશ્રમ દેખાયો. આશ્રમમાં એક ઋષિ રહેતા હતા. પેલી સ્ત્રીએ આશ્રય માગ્યો. ઋષિ એકલા જ હતા. આશ્રય માગનાર સ્ત્રી હતી. પુરુષને આશ્રય આપવામાં પાછળથી કોઈ ઉપાધિ થતી નથી, પણ સ્ત્રીને આશ્રય આપવાથી  લોકાપવાદ, વિજાતીય આકર્ષણ , મોહમાયા, બંધન વગેરે અનેક પ્રશ્નો સાથે હોય છે. પણ આશ્રય ન  આપીને તેને કાઢી મૂકવી તે પણ પુરષની કાયરતા જ કહેવાય. ઋષિએ પેલી સ્ત્રીને આશરો આપ્યો. બન્ને રહેવા લાગ્યાં. હવે પેલી સ્ત્રીને જવાની તો બીજી કોઈ જગ્યા જ ન હતી. કાયમી સાથે રહેવાનું નિમિત્ત ભગવાને જ બન્નેમાં મૂકી દીધું છે. તે છે આકર્ષણ. આવેગો અને લાગણીઓનું પ્રબળ આકર્ષણ. ન  ઇચ્છતાં હોય તોપણ બન્ને નજીક આવી જાય અને પછી બન્ને એકબીજામાં સમાઈ જાય.

         ઋષિ અને પેલી સ્ત્રીનું પણ એવું જ થયું. બન્નેના દ્વારા સો પુત્રો થયા. પેલી સ્ત્રી સો પુત્રોને નગરમાં લઈ ગઈ. અને પહેલાંના પોતાના સો પુત્રો હતા તેમની સાથે મેળવ્યા પછી બધાને હળીમળીને સંપીને રાજ કરવાનું કહી પાછી વનમાં ચાલી આવી. આ બાજુ ઇન્દ્રને થયું કે આ તો બધાં લીલાલહેર કરે છે. તે દ્વેષનો માર્યો બળી ઊઠ્યો. તેણે બસો પુત્રોને અંદરઅંદર લડાવી માર્યા. પેલી સ્ત્રી બહુ દુ:ખી થઈ. તેણે ઇન્દ્રની ક્ષમા માગી. મારી ભૂલ થઈ કે મેં તમને નિમંત્રણ ન આપ્યું. ઇન્દ્ર પ્રસન્ન થયો અને વરદાન માગવા કહ્યું કે ‘આ બસો પુત્રોમાંથી જે કહે તે સો પુત્રોને હું જીવતા કરી આપું.’ પેલી સ્ત્રીએ કહ્યું કે મેં પુરુષ અવસ્થામાં જે પુત્રો ઉત્પન્ન કર્યા હતા તેને જીવતા નહિ કરો તો ચાલશે, પણ મેં સ્ત્રી અવસ્થામાં જે પુત્રો ઉત્પન્ન કર્યા છે તે સો પુત્રોને જીવતા કરી આપો, કારણ સ્ત્રીને પોતાના સંતાન ઉપ૨ અત્યંત મમતા હોય છે. મા એ મા જ છે.’ તે સ્ત્રીના પોતાની પ્રસૂતિથી થયેલા પુત્રો જીવિત થઈ ગયા.

         ઇન્દ્રે કહ્યું કે હું તમને વધારાનું એક વરદાન આપવા માગું છું. બોલો માગી લો. તમે ધારો તો ફરીથી પુરુષ થઈને રાજા થઈ શકો છો. અથવા જે અત્યારે તમારું સ્ત્રીરૂપ છે એ જ ધારણ કરી રાખવા માગો છો ?  

      ત્યારે સ્ત્રીએ કહ્યું કે  

સ્ત્રીત્વમેવ વૃણે શક્ર, પુસ્ત્વમ નેચ્છામી વાસવ l

 ‘હે ઇન્દ્ર મારે સ્ત્રી જ રહેવું છે. પુરુષ નથી થવું. કારણ કે

સ્ત્રીયા:  પુરુષ સંયોગે પ્રીતિ રામ્યધિકા સદા |

          કારણ કે સ્ત્રી - પુરુષ જ્યારે પ્રેમ અને સમાગમ કરે છે, ત્યારે સ્ત્રીને જ વધુ રિતસુખ મળે છે. એવું રતિસુખ પામવા સ્ત્રી લાલાયિત રહે છે. એટલે હવે મારે ફરીથી પુરુષ થવું નથી. હું પત્ની તરીકે અને માતા તરીકે જે સુખ પ્રાપ્ત કરું છું, તે પુરુષ થઈને પ્રાપ્ત કરી શકાય તેમ નથી.

(સંદર્મભ : હાભારત અનુશાસન પર્વ બારમો અધ્યાય, મહાભારતની કથાઓ : સ્વામી સચ્ચિદાનંદ)

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

Sunday, August 21, 2022

સન્ડે સ્પેશીયલ - 31

       “જરૂરિયાતમંદો માટે મારા પતિએ જોયેલા સપનાઓ સાકાર કરવાં એ જ મારા જીવનનું એક માત્ર મિશન છે.” : મધુબહેન પંડ્યા

        વર્ષ 2014ની આ વાત છે. વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલાં એક મહિલા પોતાના વતનની પ્રાથમિક શાળાની મુલાકાતે ગયાં. આ શાળમાં તેમનું બાળપણ ગુજર્યું હતું. એટલે શાળાના પરિસરમાં પ્રવેશતાં જ રોમાંચ અનુભવી રહ્યાં હતાં. પરંતુ વર્ષો બાદ શાળાની સ્થિતિ જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. એ સમયે શાળામાં સેનિટેશનની પણ પર્યાપ્ત વ્યવસ્થા ન હતી. શાળાની છત પરના પોપડા ઉખડી ગયા હતા. દીવાલો તરડાઈ ગઈ હતી. આ દયનિય દૃશ્ય જોઈને તેમની રાતોની ઊંઘ જાણે હરામ થઈ ગઈ. 'ગામ તેમજ આસપાસના જરૂરિયાત મંદ લોકો માટે શું કરી શકાય ?' એ વિચારે હૃદય વલોવાયું. અને તેમણે વતનના આ વિસ્તાર માટે અને અહીંના લોકો માટે કંઈક કરી છૂટવાનો દૃઢ નીર્ધાર કર્યો. અને અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં તેઓએ અનોખા એક સેવા યજ્ઞના શ્રી ગણેશ કર્યા. સૌથી પહેલું કામ ગામની શાળામાં વિદ્યાર્થીઓ માટે સેનિટેશન બનાવી આપવાનું કર્યું.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

             એમનું નામ છે મધુબહેન પ્રવીણચંદ્ર પંડ્યા.

          અરવલ્લીના મોડાસા પાસેનું દધાલીયા તેમનું વતન છે. તેઓ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયાં છે. એમ છતાં વતન પ્રત્યે તેઓનો પ્રેમ અનન્ય છે. મુંબઈમાં રહી વતન અરવલ્લીના આસપાસના વિસ્તારના જરૂરિયાત મંદોની સેવા માટે જીવન સમર્પિત કરવાનો નીર્ધાર કર્યો છે. છ દાયકાની તેઓની જીવન સફર દરમિયાન તેઓના શરીર પર દસથી વધારે શસ્ત્રક્રિયાઓ થઈ, શરીર લકવાગ્રસ્ત બન્યું અને બીજા અનેક સંઘર્ષો આવતા ગયા. એમ છતાં અનેક પડકારો વચ્ચે હારી થાકીને બેસી જવાને બદલે સેવા પ્રવૃત્તિને પોતાના જીવનનું મિશન બનાવી બમણા વેગે પ્રવૃતિશીલ રહ્યાં. તેમની જીવનયાત્રા સમાજની સૌ કોઈ વ્યક્તિ માટે પ્રેરણા રૂપ છે.

        મધુબહેનનો જન્મ 7 ફેબ્રુઆરી 1955ના રોજ એક સાધારણ પરિવારમાં થયો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતન દઘાલીયામાંથી પ્રાપ્ત કર્યું. હાઈસ્કૂલના શિક્ષણકાર્ય દરમિયાન વોલીબોલનાં પ્લેયર તરીકે પણ ઘણા ઇનામો પ્રાપ્ત કર્યા. વર્ષ 1971- 72 માં મોડાસામાં કોલેજનો અભ્યાસ શરુ કર્યો. કોલેજમાં પણ વોલીબોલ પ્લેયર તરીકે નામના પ્રાપ્ત કરી સાથે સાથે ભણવામાં પણ તેજસ્વી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓ ઉપર પ્રભુત્વ પણ ગજબનું. કોલેજકાળ દરમિયાન ગામના એઇર ફોર્સમાં પાયલટ તરીકે નોકરી કરતા યુવાન પ્રવીણચંદ્ર પંડ્યા સાથે આંખો મળી જીવનભર સાથ નિભાવના વચન આપી બેઠાં. અને વર્ષ 1976માં પ્રેમલગ્ન કરી લીધાં.

         રૂઢિ ચુસ્ત સમાજમાં એ જમાનામાં વિરોધ પણ થયો. વિરોધ વચ્ચે મધુબહેન અને પ્રવીણચંદ્ર મક્કમ રહ્યાં અને ઘર સંસાર માંડ્યો. પ્રવીણચંદ્ર પંડ્યા ઇન્ડિયન એઇર ફોર્સના એક જાબાંઝ પાયલટ હતા. એટલે આ દંપતી દિલ્હી સ્થાયી થયું. દિલ્હીમાં સારો એવો સમય પસાર થયો. અહીં પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલનો જન્મ થયો. પ્રવીણ ચંદ્રે 1987 માં વી. આર. એસ. લઈ પાયલટ તરીકેની નોકરી છોડી અને અમદાવાદ સ્થાયી થયા. વર્ષ 2000ના વર્ષમાં હસતા રમતા આ પરિવાર પર મુસીબતોનું જાણે આભ ફાટ્યું. 14મી સપ્ટેબરના રોજ પ્રવીણ ચંદ્રને હૃદય રોગનો હુમલો આવ્યો અને આ પરિવારને નોંધારો મૂકી અનંત યાત્રાએ નીકળી પડ્યા. હવે પરિવારની સઘળી જવાબદારી મધુબહેનના શિરે આવી પડી.

      પ્રવીણચંદ્ર એઇર ફોર્સના કર્મચારી હોવાના નાતે તેમનાં પત્ની મધુબહેનને અડધું પેંશન મળવા પાત્ર હતું પરંતુ કમનસીબે જરૂરી કાર્યવાહી કરેલ નોહતી પેન્શન શરૂ ન થતાં પરિવારની ચોક્કસ આવક અણધારી જ  બંધ થઈ ગઈ. પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલ એમ  ત્રણેય સંતાનો ઇંગલિશ મીડીયમમાં ભણતાં હોવાથી તેમની ફી પણ ઘણી મોંઘી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવાનું કામ સરળ ન હતું. એમ છતાં પરિસ્થિતિ  સામે ઝુકવાના બદલે મધુબહેન મક્કમ બની ઊભાં થયાં. ઘરે નાસ્તો બનાવી વેચવાનો શરૂ કર્યો. બીજા પણ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા. એનાથી થતી કમાણીમાંથી ઘર-પરિવાર ચલાવ્યો. પેંશન માટે જરૂરી આધારો પુરા પડ્યા અને સ્વર્ગસ્થ પતિનું મળવા પાત્ર પેંશન પણ શરૂ કરાવ્યું. એકલા હાથે ઝઝુમીને ત્રણેય સંતાનોને સુશિક્ષિત કર્યા. આજે પુત્ર હિમાંશુ ખાનગી કંપનીની ઉંચા પગાર વાળી નોકરી છોડીને પોતાનો બિઝનેશ શરૂ કરવા જઈ રહ્યો છે. તો પુત્રી કોમલ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા સેટ થઈ છે. અને બીજી પુત્રી કિંજલ ખૂબ સારી લેખિકા છે.

         મધુબહેનનો પરિવાર વેલ સેટ છે. અને હવે સ્વર્ગસ્થ પતિએ જોયેલા સપનાઓ પૂરાં કરવામાં મધુબહેને જીવન સમર્પિત કરી દીધું છે. તેમને મળતું બધું જ પેંશન સેવાકર્યો પાછળ ખર્ચી નાખી જરૂરિયાતમંદ લોકોના મુખે સ્મિત રેલાવવાનું પુણ્યનું કાર્ય તેઓ કરી રહ્યાં છે.

       મધુબહેનને જીવનમાં નડેલા અકસ્માતોના પરિણામે હાથપગના જુદા જુદા દસ જેટલાં ઓપરેશન થઈ ચૂક્યાં છે. આટલું ઓછું હોય એમ વર્ષ 2012માં પેરાલીસીસ થઈ થઈ ગયો. શારીરિક વિડંબનાઓ વચ્ચે મધુબહેન હિંમત ન હર્યા. કુદરત પણ જાણે આકરી કસોટી લેવા આતુર હોય એમ વર્ષ 2017માં કલોટ આઉટ થતાં સ્મરણ શક્તિ જાણે ચાલી ગઈ. શારીરિક બીમારીઓની સામે લડતાં લડતાં સેવાની જ્યોત તેઓએ સતત પ્રજ્વલિત રાખી છે.

           મુંબઈ જેવા મહાનગરમાં રહી આસપાસના પરિવારો પાસેથી જુનાં સચવાયેલા કપડાં એકઠાં કરી પોતાના વતનના આસપાસના ગરીબ બાળકોને વહેંચે છે. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મની પણ વ્યવસ્થા તેઓ આવી રીતે કરી રહ્યાં છે. ગરીબ બાળકોને ચપ્પલ, સ્વેટર અને પુસ્તકો જેવી સામગ્રી પણ પૂરી પાડી રહ્યાં છે.  ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીને પણ તામમ રીતે તેઓ મદદરૂપ બની રહ્યાં છે. તેમના પતિના સ્મરણાર્થે "નીવ ચેરિટેબલ ટ્રસ્ટ" ની સ્થાપના કરી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યાં છે.                       અરવલ્લી ઉપરાંત મુંબઈમાં પણ તેમના સેવા કાર્યની સુવાસ પ્રસરી રહી છે. પરિણામે તેમની આસપાસ રહેતા લોકો હવે સામે ચાલીને જુના કપડાં, પુસ્તકો કે ઉપયોગમાં આવી શકે એવી અન્ય  સામગ્રી મધુબહેન સુધી પહોચાડે છે. અને મધુ બહેન  બધી જ સામગ્રી એકઠી કરી જરૂરીયાત મંદ સુધી પહોચાડે છે. અત્યાર સુધી તેઓએ પચાસ હજાર કરતાં વધુ કપડાંનું વિતરણ કરી ચૂક્યા છે.

         મધુબહેને પર્યાવરણ જતન માટે પણ આહલેખ જગાવી છે. તાજેતરમાં જ દધાલીયા પાસેના ઉમેદપુરા ગામમાં ૨૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, તેઓ ભલે મુંબઈ સ્થાઈ થયાં હોય પરંતુ સમયાંતરે નિયમિત વતનમાં આવે છે. નાનાં-મોટાં સૌને મળે છે. સૌનાં સુખદુઃખમાં ભાગીદાર બને છે.     

       સ્વર્ગસ્થ પતિના પેન્શનની મળતી બધી જ રકમ મધુબહેન ગરીબોની સેવા પાછળ ખર્ચે છે. એમ છતાં ક્યારેક વધુ રકમની આવશ્યકતા ઉભી થાય તો પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલ પુરેપુરો  આર્થિક સહયોગ આપી મમ્મીના મિશનને વધુ વેગવાન બનાવવામાં મદદરૂપ થાય છે.  સ્થાનિક ગ્રામીણ મહિલાઓ માટે ગૃહઉધોગ સ્થાપી આત્મનિર્ભર બનાવવાનું તેઓનું એક સપનું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બનશે તો જીવન ધોરણ આપોઆપ ઊંચું આવશે. અને પોતના સંતાનોને સારું શિક્ષણ પણ આપી શકશે.

        મધુબહેન કહે છે કે મારા પતિનું એક સ્વપ્ન હતું કે પાછલી ઉંમરે શહેરની ભાગદોડની દુનિયાથી દૂર વતનના ગામડાની ગોદમાં પાછલાં વર્ષો નિરાંતે પસાર કરવાં છે. અને આસપાસના જરૂરીયાતમંદ લોકોના મુખ પર સ્મિત રેલાવી શકું એવા કોઈ કાર્ય થકી વતનનું ઋણ અદા કરવું છે. મારા પતિ આજે સદેહે હયાત નથી. પરંતુ તેમને જોયેલા સપનાઓ સાકાર કરવા એ જ મારા જીવનનું એક માત્ર મિશન છે.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620

Sunday, August 14, 2022

સન્ડે સ્પેશીયલ - 30

 

આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન 2


           
           સમગ્ર દેશમાં  આઝાદીનો અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે. દેશ આખો દેશભક્તિના રંગે રંગાયો છે. અને આ ઐતિહાસિક સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લીનાં આંગણે થવા જઈ રહી છે. આખા અરવાલીને  દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.  આ ઐતિહાસિક પળે સ્વતંત્ર સંગ્રામમાં અરવલ્લી પંથકે આપેલા યોગદાનનું સ્મરણ સ્વભાવિક રીતે જ થઈ આવે છે.  સ્વાતંત્ર સંગ્રામની મોટી ઘટનાઓને બાદ કરતાં સ્થાનિક કક્ષાએ નાના પાયે અને ગામડામાં થયેલા પ્રયાસો પ્રકાશમાં આવ્યા નથી. ભૂતકાળના ગર્ભમાં આવી અસંખ્ય ઘટનાઓ દફનાઈને પડી છે. 
         અંગ્રેજોની નીતિ રીતીના વિરુદ્ધમાં 1857નો મહાન વિપ્લવ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. તેમાં બૃહદ સાબરકાંઠા પણ જોતરાયું હતું. આ જિલ્લાના માલપુર, પ્રાંતિજ, ઇડર અને ભિલોડા તાલુકામાં  ક્રાંતિકારી કામગીરી થઈ હતી  તેમાં ઈડર તાલુકાના ચાંડપ અને મુડેટી ગામે બનેલા બનાવો વધુ જાણીતા છે. આ ઉપરાંત વિજયનગર તાલુકાના દઢવાવ  પાસે પાલ ગામે 7 માર્ચ 1922ના રોજ જલિયાવાલા બાગને પણ ભુલાવી દે તેવો નરસંહાર થયો હતો. વિશાળ લોક સમૂહને ખાળવા અંગ્રેજ ઓફિસર એમ.જી. શટ ની આપેલા હુકમ મુજબ ભીલ કોપર્સે ગોળીબાર કરતા, અંદાજે 1200 પણ વધુ શહીદવીરો એ પોતાના જાનની આહુતિ આપી હતી.  આ હત્યાકાંડના શહીદ થયેલાઓની યાદમાં તે સ્થળે સ્મારક આજે પણ મોજૂદ છે.  એમ છતાં આ આહુતિ ઇતિહાસના પાને અંકિત નથી. ઈતિહાસમાં આ બનાવોની નોધ લેવાઈ નથી.
સાબરકાંઠા ગેજેટ પ્રમાણે ઈડર સ્ટેટના લોકોની સ્વતંત્રતા માટેની નોંધ કંઈક આ પ્રમાણે છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની જગ્યાએ દેશને શાસનધુરા રાણી વિક્ટોરિયાના હાથમાં આવી. રાણીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે રાજાઓના કરાર અને હકના પાલનની ખાતરી આપી.
             ઈ. સ. 1910 માં ઇડર રાજ્યના મહારાજા પ્રતાપસિંહે રાજ્યની પ્રજા પર કમરતોડ કરવેરા નાખ્યા. રાજ્યની પ્રજાએ આ કરવેરા ઓછા કરવા માટે મહારાજાને વિનંતી કરી. પરંતુ તેની ધ્યાનમાં લેવાને બદલે મહારાજાએ જાદર ખાતેના મામલતદાર ઓફીસ, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન બંધ કરી ઈડર ખસેડી દીધા. પ્રજાએ 32 દિવસ સુધી આંદોલન કર્યું. પછી સમાધાન થતાં આંદોલન પાછું ખેંચાયું.
        પ્રતાપસિંહ પછી રાજ્ય ધુરા તેમના પુત્ર દોલતસિંહે સંભાળી. જે તેમના પિતા કરતા ઓછા જુલમી ન હતા. લોકોને તેમના શાસન દરમિયાન ખુબ જ દુઃખો સહન કરવા પડતા હતા. પ્રજાની કંગાલિયત અને દુઃખ દર્દની ગાથાને શ્રી મથુરદાસ ગાંધીએ મુંબઇ ખાતે લેખ પ્રસિદ્ધ કરી વાચા આપી. તેમણે ફેબ્રુઆરી 1925માં મુંબઈ ખાતે ઈડર રાજ્યના પ્રજાજનોની મીટીંગ બોલાવી. ઇડર સ્ટેટના શાસકોના જુલ્મ, અન્યાય અને જોહુકમી સામે પ્રજાને એક કરવા માટે "પ્રજામંડળ" ની સ્થાપના કરી
          ઈ. સ.1905માં સમગ્ર દેશમાં સ્વદેશાભિમાન જાગૃત બન્યું હતું. સ્વદેશી ચળવળ વિસ્તરતી જતી હતી. તે પ્રવાહમાં સાબરકાંઠા-અરવલ્લીની જોતરવાનો યશ મથુરદાસ ગાંધીને ફાળે જાય છે.
         મથુરદાસના પ્રયત્નોથી ઈ. સ.1905માં મોડાસામાં શંકર રામજીની ધર્મશાળામાં વલ્લભદાસ બાપુજી દેસાઈના પ્રમુખ પદે પ્રથમ રાજકીય સભા મળી. જેમાં મથુરદાસે પ્રથમ રાજકીય ભાષણ કરીને, સાબરકાંઠામાં રાષ્ટ્રીય લડત આરંભી. તેમના આ પ્રથમ રાજદ્વારી ભાષણમાં તેમને યુવાનોને વિલાયતી ખાંડ, વિલાયતી કાપડ વગેરેના બહિષ્કાર અંગે પ્રતિજ્ઞા લેવા આદેશ આપ્યો.
         મથુરદાસની આગેવાની હેઠળ આ જિલ્લામાં અંગ્રેજી માલના બહિષ્કારની જોરદાર ઝુંબેશ શરૂ થઈ. તેઓના આદેશને લઈને મોડાસાના 50થી 60 યુવાનોને અને વિદ્યાર્થીઓએ વિલાયતી ખાંડ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી. અને તે પછી ધીરે ધીરે વિલાયતી ખાંડનો સમગ્ર જિલ્લામાં બહિષ્કાર થવા લાગ્યો. માલપુર, વડાગામ,ભેંસાવાડા, સાયરા, બાકરોલ, પાંડરવાડા, આંબલીયારા, વીરપુર વગેરે ગામોમાં પરદેશી કાપડનું વેચાણ અને ખરીદી બંધ થઈ ગયા.
              ઈ. સ.1905 માં બંગાળમાં હાથ બનાવટની વસ્તુઓને ઉત્તેજન મળતું હતું. બંગાળના લોકોએ બ્રિટિશ બીડી-સિગારેટ વગેરેનો પણ બહિષ્કાર કર્યો હતો. તેથી બંગાળના લોકોને દેશી બીડી પૂરી પાડવાના આશયથી મથુરાદાસે જોઈતારામ ભટ્ટ તથા ચંદુલાલ બુટાલાએ મોડાસામાં જ દેશી બીડીનું કારખાનું શરૂ કર્યું. તેમાં તૈયાર થતી બીડીયો તેઓ કલકત્તા તરફ રવાના કરતા હતા. દેશી બીડીયોના વધુ ગ્રાહકો મેળવવા તથા હાથશાળના ઉધોગો અંગે માહિતી મેળવવા ઈ.સ 1905 માં તેઓ કલકત્તા ગયા. પરંતુ મથુરદાસ વ્યસનના કટ્ટર વિરોધી હતા. તેથી રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાઈને શરૂ કરેલી બીડી જેવી વ્યસનની ચીજનો વ્યાપાર ઉચિત ન લાગતાં, તેમની બીડી ઉત્પાદનનો ધંધો પડતો મૂક્યો. તેમ છતાં મોડાસામાં એ ધંધો સારા પ્રમાણમાં ચાલતો જ રહ્યું. આજે મોડાસામાં ભાવસાર, કડિયા, મુસ્લિમ વગેરે ગરીબ પ્રજા બીડી વાળવાના હસ્ત ઉધોગમાંથી આજીવિકા પ્રાપ્ત કરે છે.
           
          સાબરકાંઠા-અરવલ્લીને સ્વતંત્રતા ચળવળમાં ધબકતું રાખવાનું મહત્ત્વનું કાર્ય  અહીંના વીર  સ્વાતંત્ર્ય  સેનાનીઓએ  કર્યું હતું. એ ઉપરાંત પુરુષોત્તમ ગો.શાહ ઈ. સ. 1916માં અમદાવાદમાં ગોકુળદાસ પારેખને પ્રમુખ પદે મળેલી બોરસદ પરિષદ વગેરે પરિષદમાં પ્રતિનિધિ તરીકે હાજર રહીને રાજકીય જાગૃતિના દર્શન કરાવ્યા હતા.
            તારીખ 9 મી માર્ચ 1921ના રોજ  સરદાર વલ્લભભાઈ પટેલ મોડાસામાં પધાર્યા હતા અને જાહેર સભા સંબોધી લોકોમાં આઝાદી માટેનો જબરજસ્ત જુસ્સાનો સંચાર કર્યો.
             1930માં મોડાસામાં લડતનું વાતાવરણ જામ્યું. આ જિલ્લામાં અગાઉ શરૂ થયેલી સ્વદેશીની ચળવળ પૂર્ણ સ્વરાજની માગણીના સંદર્ભમાં પૂરજોશમાં ઉપડી. તેનું સંચાલન કરવા રમણલાલ સોનીની આગેવાની હેઠળ 1930ના એપ્રિલમાં "સંગ્રામ સમિતિ" રચાઈ. આ સમિતિ રોજ-બરોજના બનાવોથી જનતાને વાકેફ રાખવા માટે મોડાસા તથા ધનસુરામાં લખાણ યુક્ત પાટિયા મુકવા, સંગ્રામ પત્રિકા બહાર પાડવી, તેને પાટિયા પર ચોંટાડી જાહેરમાં મૂકવી વગેરે કાર્યો કરતી સંગ્રામ પત્રિકાનું સંપાદન કરતા હતા. તેમાં કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવતો. સંગ્રામ પત્રિકા દ્વારા વિદેશી કાપડ બહિષ્કાર ઝુંબેશ શરૂ થઈ હતી. તેથી સાબરકાંઠામાં એક 1000 થી વધુ ભાઈ-બહેનોએ પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ કરીને વિદેશી કાપડ નો બહિષ્કાર નો નિર્ધાર કર્યો હતો.
             માલપુર તાલુકામાં રામશંકર જયશંકર ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પરદેશી કાપડ બહિષ્કાર અને સ્વદેશી કાપડના વપરાશ અંગેની ઝુંબેશ ચાલી હતી. પૂનમચંદ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મેઘરજ તાલુકામાં સ્વદેશીની ચળવળ ચાલી હતી.
             ઈ. સ. 1942 ની ભારત છોડો ચળવળમાં રમણલાલ સોની, નટવરલાલ ગાંધી, મથુરદાસ ગાંધી, મોહનલાલ દશાભાઈ અને પરમસુખ પંડ્યાની આગેવાની હેઠળ યુવાનોને આઝાદી માટે પ્રેરિત કર્યા. અને ધરપકડ વહોરી. સ્વાતંત્ર્ય ચળવળ માટે મોડાસા હાઈસ્કૂલમાં ત્રણ મહિનાની હડતાળ પડી. દર અઠવાડિયે બે વખત પ્રચાર માધ્યમ દ્વારા પત્રિકાઓ વહેંચાતી. ટપાલ પેટીઓને કૂવામાં નાખી દેવામાં આવી. સરકારી કચેરીઓ સામે ફટાકડા ફોડવામાં આવતા. વગેરે જેવી પ્રવૃત્તિઓ ઉત્તરોઉત્તર વધતી ચાલી. ઘેરઘેર અંગ્રેજો ભારત છોડોની બૂમ ઉઠી અને આ સંઘર્ષ આઝાદી સુધી ચાલ્યો.
               "હિન્દ છોડો" આંદોલનના પ્રારંભે સાબરકાંઠા-અરવલ્લીના નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. તેથી ઉશ્કેરાયેલા યુવાનોએ નેતાઓને મુક્ત કરાવવા માટે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર ખોરવી નાખવો, સરકારી મકાનો પણ સળગતા કાકડા ફેંકવા બોમ બનાવવા વગેરે ઉગ્ર પ્રવૃત્તિઓ આચરી હતી. આ આંદોલન દરમિયાન 20 યુવાનોને જેલમાં મોકલીને રાષ્ટ્રીય વહેણ સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લો પણ સુસંગત રહ્યો હતો.
              આઝાદીની લડત દરમિયાન મહાસભાના અધિવેશનમાં સાબરકાંઠા-અરવલ્લીના પ્રતિનિધિઓ હાજર રહેતા અને મહાસભાનો સંદેશો ઝીલીને જિલ્લામાં કાર્યક્રમ ગોઠવતા હતા. 1923માં અધિવેશનમાં મોહનલાલ વી.ગાંધી તથા વિષ્ણુભાઈ ત્રિવેદી કોંગ્રેસ કમિટીના અમદાવાદ મુકામે મળેલા 36 મા અધિવેશનમાં પુરુષોત્તમ ગો. શાહ, 1938ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભભાઈ દોશી, પુરુષોત્તમદાસ ગો.શાહ તથા હરિપ્રસાદ જોશી, 1939માં કરાચીમાં મળેલી કોંગ્રેસમાં શંકરલાલ સુરા તથા ગોપાલદાસ સુરાએ હાજરી આપીને, રાષ્ટ્રીય મહાસભા કાર્યક્રમો ઝીલીને રાષ્ટ્રમાં વહેતાં થતાં લડતના પ્રવાહોમાં
               ગાંધીયુગના મુખ્ય કવિઓમાં સ્થાન ધરાવનાર ઉમાશંકર જોશીએ એ આઝાદીની લડત દરમિયાન ઝેરનો જાત અનુભવ કરીને, તેને પોતાની કવિતામાં કંડાર્યો. તેમાં રાષ્ટ્રીય અસ્મિતાની તેમની કવિતાથી તેમણે રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને વિશ્વને આવરી લીધું. "વિશ્વશાંતિ", "ગંગોત્રી", "વસંત" વગેરે કાવ્યસંગ્રહો દ્વારા અરવલ્લીમાં જન્મેલા એ કવિઓએ આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રીય અસ્મિતાને જાગ્રત કરીને, વિશ્વ અસ્મિતાના ઘડતરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એ ઉપરાંત રમણલાલ સોની, નીલકંઠ કવિ, ભોગીલાલ ગાંધી , મથુરદાસ ગાંધી, ગંગારામ શુક્લ, કાશીરામ ઠક્કર વગેરે લડતના વિવિધ તબક્કે કાવ્યો, લેખો, નાટકો વગેરે સંગ્રામ સાહિત્ય રચીને, સાબરકાંઠામાં લડતનો જુસ્સો ટકાવી રાખવાનું તથા તેમાં જોમ ઉમેરવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. 
         આમ, સાહિત્યકારોએ પોતાની રચનાઓ દ્વારા માત્ર જિલ્લા કે પ્રદેશ કક્ષાએ જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ લડતનો જુસ્સો ટકાવી રાખી તેમાં વેગ પૂરી ભારતના રાજકીય ઇતિહાસ ઘડતરમાં ફાળો નોંધાવ્યો હતો.
(સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો, સર્જનાત્મક સાબરકાંઠા)
 - :ઈશ્વર પ્રજાપતિ 

(98251 42620)


Sunday, August 7, 2022

સન્ડે સ્પેશીયલ -29


આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન 1


                ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ   કરવા જઈ રહ્વયો છે. અને સમગ્ર દેશ આઝાદીની અમૃત મહોત્સવ ઉજવણીના રંગે રંગાયો છે. અને આ ઐતિહાસિક અવસરે રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી અરવલ્લીના આંગણે થવા જઈ રહી છે. આઝાદી પહેલાં સાબરકાંઠા અને અરવલ્લી એ મહીકાંઠાના વિસ્તાર તરીકે ઓળખાતો હતો. જલિયાવાલા બાગનાં હત્યાકાંડ કરતાય વધુ દર્દનાક હત્યાકાંડ સબરકાંઠાનાં પાલ દાઢવાવની ભૂમિ પર થયો હતો.  આ હત્અંયાકાંડમાં દાજે ૧૨૦૦ જેટલા નિર્દોષ લોકોએ જીવ  ગુમાવ્યા હતા.  ઘણા વર્ષો પછી આ ઘટના પ્રકાશમાં આવી. સાબરકાંઠા અરવલ્લીની ભૂમિ આવી તો અનેક ઘટનાઓની સાક્ષી રહી છે.   ઝાદીને લડતમાં આ અરવલ્લી જીલ્લાનું પણ મહત્વનું યોગદાન રહેલું છે.   

        સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયેલા રાષ્ટ્રીય નેતાઓથી તો સૌ કોઈ પરિચિત હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ પાયાના કાર્યકર તરીકે સ્વતંત્રતા સંગ્રામમાં જીવન હોમી દેનારા સ્વતંત્ર સેનાનીઓને વિસરી જવાનું બહુ મોટું પાપ આપણા સહુ થી થતું હોય છે. અરવલ્લી જીલાનો મોટાભાગનો  વિસ્તાર સ્વતંત્રતા  સંગ્રામમાં   મોખરે રહ્યો હતો.  

            અંગ્રેજો અને અંગ્રેજી શાસન સામે  રાષ્ટ્રીય નેતાઓની હાકલ થઈ તેનો આ વિસ્તારના લોકોએ પુરેપુરી  ગર્મજોશીથી જવાબ આપ્યો હતો.  અંગ્રેજો વિરુદ્ધની કોઈપણ ગતિવિધિથી હંમેશા સક્રિય રહેનારા મોડાસાના  શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી અને તેમના સાથીદારો તેના યશના ભાગીદાર છે. મથુરદાસ લાલજીભાઈ ગાંધીએ મોડાસાને કાર્યક્ષેત્ર બનાવી મુંબઈ, ઇડર રહીને, ઇડર સ્ટેટ વિરુદ્ધમાં જઈ પ્રજાતંત્ર માટે જબરજસ્ત લડત આપી હતી.
      ઈ. સ. 1905માં સ્વદેશી અને બંગ-ભંગની ચળવળ શરૂ થઈ ત્યારે મથુરદાસ ગાંધી, જોઈતારામ ભટ્ટ, મોહનલાલ ગાંધી અને ચંદુલાલ એસ. બુટાલાએ જિલ્લામાં આગેવાની લીધી અને પરદેશી ચીજ-વસ્તુઓના બહિષ્કારની હાકલમાં સક્રિય નેતાગીરીનાં દર્શન કરાવ્યાં. વલ્લભદાસ બાપજી દેસાઈના અધ્યક્ષ પદે મોડાસામાં સર્વપ્રથમ રાજકીય ભાષણ થયું, જેમાં યુવાનોને  વિદેશી કાપડ અને ખાંડનો બહિષ્કાર તથા વિદેશી વસ્તુઓનો  વપરાશ નહીં કરવા માટેના સોગંદ લેવડાવ્યા.
          આ જિલ્લામાં નવરાત્રિ, દશેરા, દિવાળી, બેસતુ વર્ષ, ઉત્તરાયણ હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી સળગાવીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવાતા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણિકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભને અવગણીને વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિ ભાઇઓની દુકાન પર કડક પિકેટીંગ કરીને એ ઝુંબેશ ને સફળ બનાવી હતી. આમ, વિદેશી કાપડ બહિષ્કાર ઝુંબેશમાં સાબરકાંઠા-અરવલ્લીના વણિકોનું પ્રદાન વિશિષ્ટ રહ્યું હતું.
              ઈ.સ. 1920માં નાગપુર અધિવેશનમાં ગાંધીજીએ નોકરીઓના બહિષ્કાર અંગે આપેલા આદેશને અનુસરીને આ જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી, મોહનલાલ ગાંધી, પુરુષોત્તમદાસ ગો. શાહ, રમણલાલ સોની, સુરજીભાઈ સોલંકી વગેરે કુટુંબની જીવાદોરી સમા નોકરી-ધંધાને તિલાંજલિ આપીને આઝાદીના યજ્ઞમાં આહુતિ આપી હતી. ઈ. સ. 1922- 23 ના ગાળામાં એકલા મોડાસા ગામમાં 240 રેટિયા વસાવી સ્વદેશી ભંડાર શરૂ હોવાની નોંધ છે.
          અદાલતોના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતોનો વિકલ્પ પૂરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદ્ ગૃહસ્થઓએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી.
         આ જિલ્લાએ ઈ. સ. 1930માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વડી ધારાસભાની ચૂંટણીમાં મોડાસામાંથી માત્ર 6, ધનસુરા માંથી માત્ર 2 અને ડેમાઈ માંથી માત્ર 1 જ મતનું મતદાન થયું હતું.
        કલમમાં તલવાર કરતાં વધુ તાકાત છે તે વાત જે તે વખતના સ્વાતંત્ર્યવીરો સમજી ચૂક્યા હતા. ભીતચિત્રો, પોસ્ટર અને પત્રિકાઓ દ્વારા જિલ્લામાં ઠેર ઠેર સ્વાતંત્રતાના વિચારોનો પ્રચાર થતો હતો. મોડાસા ખાતેથી પણ બે પત્રિકાઓ શરૂ થઈ. જ્યારે બોલવા પર પ્રતિબંધ હોય છે ત્યારે લખીને ભૂગર્ભમાં જ વિચારોને લોકો સુધી સમાચાર પહોંચાડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. અહીંયાથી ધર્મયુદ્ધ, પડઘમ, મહીકાંઠા વર્તમાનપત્ર, પ્રજામત અને સાબરકાંઠા સમાચાર પત્રો પ્રસિદ્ધ થયા.ધર્મયુદ્ધ મોડાસા કોંગ્રેસ સમિતિનું મુખપત્ર હતું. તારીખ 13/7/1930 થી 5/3/1931 સુધી ચાલેલી આ પત્રિકાનો મુદ્રાલેખ હતો " માથાના મોહ મેલી હાલો હો બંધવા, માંડ્યા છે મોરચા ભારી" ઓગસ્ટ 1930માં રણનાદ અને સ્વરાજ ગીત નામની પત્રિકાઓ મોડાસા ખાતેથી જપ્ત કરવામાં આવી પ્રિન્ટીંગ પ્રેસને પ્રત્યેક માટે રૂપિયા 500 જમાનત રૂપે જમા કરવામાં આવ્યા હતા.
              બાયલ - ઢાંખરોલના મગનભાઈ પટેલ, સાકરીયાના ડાહ્યાભાઈ પટેલ, અને બીજા યુવાનોની ધરપકડ થઈ. ચંદુલાલ એસ બુટાલા, રમણલાલ મગનલાલ શાહ, પુરુષોત્તમ શાહ અને રમણલાલ એમ ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધ તેજાબી ભાષણો કર્યા બદલ ધરપકડ થઈ.
                મદ્યનિષેધ વખતે મોડાસા તાલુકાના તથા પ્રાંતિજ તાલુકાના તમામ પીઠા પીકેટરોએ જાનના જોખમે બંધ કરાવ્યા હતા.
          આઝાદીની લડત દરમિયાન સાબરકાંઠા-અરવલ્લીમાં હિન્દુ મુસ્લિમ એકતા જળવાઇ રહે તે માટે મથુરદાસ ગાંધી, રમણલાલ સોની, મહંમદહુસેન મુનશી, મહંમદખાનજી, ભોગીલાલ ગાંધી વગેરે અગ્રણીઓએ સબળ પુરુષાર્થ કર્યો હતો મોડાસા હાઇસ્કુલ આર્થિક ભીંસ અનુભવતી હતી ત્યારે હાઈસ્કૂલની "હિન્દુ હાઈસ્કૂલ" નામ આપવાની શરતે મળતું એક લાખનું માતબર દાન, કોમી એકતા જાળવવા ખાતર જતું કરીને અરવલ્લીએ કોમી એખલાસનું જ્વલંત અને અનુકરણીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઈ. સ.1920માં મોડાસામાં શરૂ થયેલી રાષ્ટ્રીય શાળા આર્થિક ભીંસને કારણે 1925માં બંધ કરવી પડી. 
        મીઠાના કાયદા સામેના સત્યાગ્રહ દરમિયાન સાબરકાંઠા-અરવલ્લીના યુવાનો દાંડી, લસુન્દ્રા, ધોલેરા, રાણપુર, ધંધુકા, મુંબઈના વડાલા વગેરે સ્થળે જઈને મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા અને તે સ્થળોની "બિનજકાતી સબરસ" લાવીને ગામોમાં વહેંચ્યું હતું. ધોલેરાની ખાડીનું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસે અમાનુષી અત્યાચાર કરીનેઆબાલવૃદ્ધોને ઘાયલ કર્યા હતા મણિબહેન દોશી જેલમાં જવાના ઇરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગની ઝુંબેશ દરમિયાન ધરપકડો કરીને તથા લાઠી પ્રહાર ઝીલીને સ્વયંશિસ્ત અને બલિદાનની ભાવના બુનિયાદી મૂલ્યોને પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકીય વાતાવરણ સર્જ્યું હતું.
         ધર્મ, જાતિ, બોલી અને સંસ્કૃતિનું વૈવિધ્ય ધરાવતા ભાતીગળ ભારત દેશમાં સુલેહ શાંતિ જાળવવા માટે અંગ્રેજોને રહેવાની અત્યંત જરૂર છે તે જુઠ્ઠાણાને પુરવાર કરવા માટે વસ્તી ગણતરી બહિષ્કાર ઝુંબેશ શરૂ કરી માતાનો ખોળો ખૂંદતા મોડાસાની દુધિયા દાંત વાળી વાનરસેનાએ મધ્યરાત્રિ સુધી હૂપાહૂપના જયનાદ, ઢોલ-ત્રાંસા અને ડબ્બાઓના અવાજ સાથે વસ્તી ગણતરી અધિકારીઓનો પીછો કરીને, વસતિ ગણતરીને નિષ્ફળ બનાવી હતી.
          ભારતીય પ્રજાજીવનની અનુરૂપ સમૂહ જીવનની ભાવનાને વ્યાપક બનાવવા સારુ અમદાવાદના સાબરમતી આશ્રમની જેમ એક પ્રયોગશાળાના સ્વરૂપે ઈ. સ. ૧૯૩૦-૩૧ અરવલ્લીના ઓઢા ગામે ભોગીલાલ ગાંધીના નેતૃત્વ હેઠળ "ગાંધી મંદિર" શરૂ કરવામાં આવ્યું હતું. આ ગાધી મંદિરે વર્ગવીહીન સમાજરચના, અસ્પૃશ્યતાનિવારણ, ખાદી પ્રવૃત્તિ ગામ ઉધોગનું શિક્ષણ વગેરે પ્રવૃત્તિઓ સાથે રાષ્ટ્રીય જાગૃતિ કેળવવાનું પણ શિક્ષણ આપ્યું હતું.
         વીસમી સદીની શરૂઆતના પાંચ દાયકા દરમિયાન અરવલ્લીની અબુધ, નિરક્ષર અને ગરીબ પ્રજાએ સંગઠિત બનીને સામંતશાહીની મજા લૂંટતા રાજાઓ, ઠાકોરો, જાગીરદારો અને અમલદારો સામે જોરદાર પ્રજાકીય લડતો ચલાવીને પ્રજાએ ખુમારી દર્શન કરાવ્યા હતા. ( ક્રમશઃ ) 

(સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો,  સર્જનાત્મક સાબરકાંઠા)

- :ઈશ્વર પ્રજાપતિ 

(98251 42620)


સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts