Sunday, August 14, 2022

સન્ડે સ્પેશીયલ - 30

 

આઝાદીની લડતમાં અરવલ્લીનું યોગદાન 2


           
           સમગ્ર દેશમાં  આઝાદીનો અમૃત મહોત્સવની શાનદાર ઉજવણી થઈ રહી છે. દેશ આખો દેશભક્તિના રંગે રંગાયો છે. અને આ ઐતિહાસિક સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અરવલ્લીનાં આંગણે થવા જઈ રહી છે. આખા અરવાલીને  દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.  આ ઐતિહાસિક પળે સ્વતંત્ર સંગ્રામમાં અરવલ્લી પંથકે આપેલા યોગદાનનું સ્મરણ સ્વભાવિક રીતે જ થઈ આવે છે.  સ્વાતંત્ર સંગ્રામની મોટી ઘટનાઓને બાદ કરતાં સ્થાનિક કક્ષાએ નાના પાયે અને ગામડામાં થયેલા પ્રયાસો પ્રકાશમાં આવ્યા નથી. ભૂતકાળના ગર્ભમાં આવી અસંખ્ય ઘટનાઓ દફનાઈને પડી છે. 
         અંગ્રેજોની નીતિ રીતીના વિરુદ્ધમાં 1857નો મહાન વિપ્લવ સમગ્ર દેશમાં પ્રસર્યો હતો. તેમાં બૃહદ સાબરકાંઠા પણ જોતરાયું હતું. આ જિલ્લાના માલપુર, પ્રાંતિજ, ઇડર અને ભિલોડા તાલુકામાં  ક્રાંતિકારી કામગીરી થઈ હતી  તેમાં ઈડર તાલુકાના ચાંડપ અને મુડેટી ગામે બનેલા બનાવો વધુ જાણીતા છે. આ ઉપરાંત વિજયનગર તાલુકાના દઢવાવ  પાસે પાલ ગામે 7 માર્ચ 1922ના રોજ જલિયાવાલા બાગને પણ ભુલાવી દે તેવો નરસંહાર થયો હતો. વિશાળ લોક સમૂહને ખાળવા અંગ્રેજ ઓફિસર એમ.જી. શટ ની આપેલા હુકમ મુજબ ભીલ કોપર્સે ગોળીબાર કરતા, અંદાજે 1200 પણ વધુ શહીદવીરો એ પોતાના જાનની આહુતિ આપી હતી.  આ હત્યાકાંડના શહીદ થયેલાઓની યાદમાં તે સ્થળે સ્મારક આજે પણ મોજૂદ છે.  એમ છતાં આ આહુતિ ઇતિહાસના પાને અંકિત નથી. ઈતિહાસમાં આ બનાવોની નોધ લેવાઈ નથી.
સાબરકાંઠા ગેજેટ પ્રમાણે ઈડર સ્ટેટના લોકોની સ્વતંત્રતા માટેની નોંધ કંઈક આ પ્રમાણે છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી ઈસ્ટ ઈન્ડિયા કંપની જગ્યાએ દેશને શાસનધુરા રાણી વિક્ટોરિયાના હાથમાં આવી. રાણીએ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે રાજાઓના કરાર અને હકના પાલનની ખાતરી આપી.
             ઈ. સ. 1910 માં ઇડર રાજ્યના મહારાજા પ્રતાપસિંહે રાજ્યની પ્રજા પર કમરતોડ કરવેરા નાખ્યા. રાજ્યની પ્રજાએ આ કરવેરા ઓછા કરવા માટે મહારાજાને વિનંતી કરી. પરંતુ તેની ધ્યાનમાં લેવાને બદલે મહારાજાએ જાદર ખાતેના મામલતદાર ઓફીસ, હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન બંધ કરી ઈડર ખસેડી દીધા. પ્રજાએ 32 દિવસ સુધી આંદોલન કર્યું. પછી સમાધાન થતાં આંદોલન પાછું ખેંચાયું.
        પ્રતાપસિંહ પછી રાજ્ય ધુરા તેમના પુત્ર દોલતસિંહે સંભાળી. જે તેમના પિતા કરતા ઓછા જુલમી ન હતા. લોકોને તેમના શાસન દરમિયાન ખુબ જ દુઃખો સહન કરવા પડતા હતા. પ્રજાની કંગાલિયત અને દુઃખ દર્દની ગાથાને શ્રી મથુરદાસ ગાંધીએ મુંબઇ ખાતે લેખ પ્રસિદ્ધ કરી વાચા આપી. તેમણે ફેબ્રુઆરી 1925માં મુંબઈ ખાતે ઈડર રાજ્યના પ્રજાજનોની મીટીંગ બોલાવી. ઇડર સ્ટેટના શાસકોના જુલ્મ, અન્યાય અને જોહુકમી સામે પ્રજાને એક કરવા માટે "પ્રજામંડળ" ની સ્થાપના કરી
          ઈ. સ.1905માં સમગ્ર દેશમાં સ્વદેશાભિમાન જાગૃત બન્યું હતું. સ્વદેશી ચળવળ વિસ્તરતી જતી હતી. તે પ્રવાહમાં સાબરકાંઠા-અરવલ્લીની જોતરવાનો યશ મથુરદાસ ગાંધીને ફાળે જાય છે.
         મથુરદાસના પ્રયત્નોથી ઈ. સ.1905માં મોડાસામાં શંકર રામજીની ધર્મશાળામાં વલ્લભદાસ બાપુજી દેસાઈના પ્રમુખ પદે પ્રથમ રાજકીય સભા મળી. જેમાં મથુરદાસે પ્રથમ રાજકીય ભાષણ કરીને, સાબરકાંઠામાં રાષ્ટ્રીય લડત આરંભી. તેમના આ પ્રથમ રાજદ્વારી ભાષણમાં તેમને યુવાનોને વિલાયતી ખાંડ, વિલાયતી કાપડ વગેરેના બહિષ્કાર અંગે પ્રતિજ્ઞા લેવા આદેશ આપ્યો.
         મથુરદાસની આગેવાની હેઠળ આ જિલ્લામાં અંગ્રેજી માલના બહિષ્કારની જોરદાર ઝુંબેશ શરૂ થઈ. તેઓના આદેશને લઈને મોડાસાના 50થી 60 યુવાનોને અને વિદ્યાર્થીઓએ વિલાયતી ખાંડ નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી. અને તે પછી ધીરે ધીરે વિલાયતી ખાંડનો સમગ્ર જિલ્લામાં બહિષ્કાર થવા લાગ્યો. માલપુર, વડાગામ,ભેંસાવાડા, સાયરા, બાકરોલ, પાંડરવાડા, આંબલીયારા, વીરપુર વગેરે ગામોમાં પરદેશી કાપડનું વેચાણ અને ખરીદી બંધ થઈ ગયા.
              ઈ. સ.1905 માં બંગાળમાં હાથ બનાવટની વસ્તુઓને ઉત્તેજન મળતું હતું. બંગાળના લોકોએ બ્રિટિશ બીડી-સિગારેટ વગેરેનો પણ બહિષ્કાર કર્યો હતો. તેથી બંગાળના લોકોને દેશી બીડી પૂરી પાડવાના આશયથી મથુરાદાસે જોઈતારામ ભટ્ટ તથા ચંદુલાલ બુટાલાએ મોડાસામાં જ દેશી બીડીનું કારખાનું શરૂ કર્યું. તેમાં તૈયાર થતી બીડીયો તેઓ કલકત્તા તરફ રવાના કરતા હતા. દેશી બીડીયોના વધુ ગ્રાહકો મેળવવા તથા હાથશાળના ઉધોગો અંગે માહિતી મેળવવા ઈ.સ 1905 માં તેઓ કલકત્તા ગયા. પરંતુ મથુરદાસ વ્યસનના કટ્ટર વિરોધી હતા. તેથી રાષ્ટ્રીય ભાવનાના રંગે રંગાઈને શરૂ કરેલી બીડી જેવી વ્યસનની ચીજનો વ્યાપાર ઉચિત ન લાગતાં, તેમની બીડી ઉત્પાદનનો ધંધો પડતો મૂક્યો. તેમ છતાં મોડાસામાં એ ધંધો સારા પ્રમાણમાં ચાલતો જ રહ્યું. આજે મોડાસામાં ભાવસાર, કડિયા, મુસ્લિમ વગેરે ગરીબ પ્રજા બીડી વાળવાના હસ્ત ઉધોગમાંથી આજીવિકા પ્રાપ્ત કરે છે.
           
          સાબરકાંઠા-અરવલ્લીને સ્વતંત્રતા ચળવળમાં ધબકતું રાખવાનું મહત્ત્વનું કાર્ય  અહીંના વીર  સ્વાતંત્ર્ય  સેનાનીઓએ  કર્યું હતું. એ ઉપરાંત પુરુષોત્તમ ગો.શાહ ઈ. સ. 1916માં અમદાવાદમાં ગોકુળદાસ પારેખને પ્રમુખ પદે મળેલી બોરસદ પરિષદ વગેરે પરિષદમાં પ્રતિનિધિ તરીકે હાજર રહીને રાજકીય જાગૃતિના દર્શન કરાવ્યા હતા.
            તારીખ 9 મી માર્ચ 1921ના રોજ  સરદાર વલ્લભભાઈ પટેલ મોડાસામાં પધાર્યા હતા અને જાહેર સભા સંબોધી લોકોમાં આઝાદી માટેનો જબરજસ્ત જુસ્સાનો સંચાર કર્યો.
             1930માં મોડાસામાં લડતનું વાતાવરણ જામ્યું. આ જિલ્લામાં અગાઉ શરૂ થયેલી સ્વદેશીની ચળવળ પૂર્ણ સ્વરાજની માગણીના સંદર્ભમાં પૂરજોશમાં ઉપડી. તેનું સંચાલન કરવા રમણલાલ સોનીની આગેવાની હેઠળ 1930ના એપ્રિલમાં "સંગ્રામ સમિતિ" રચાઈ. આ સમિતિ રોજ-બરોજના બનાવોથી જનતાને વાકેફ રાખવા માટે મોડાસા તથા ધનસુરામાં લખાણ યુક્ત પાટિયા મુકવા, સંગ્રામ પત્રિકા બહાર પાડવી, તેને પાટિયા પર ચોંટાડી જાહેરમાં મૂકવી વગેરે કાર્યો કરતી સંગ્રામ પત્રિકાનું સંપાદન કરતા હતા. તેમાં કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવતો. સંગ્રામ પત્રિકા દ્વારા વિદેશી કાપડ બહિષ્કાર ઝુંબેશ શરૂ થઈ હતી. તેથી સાબરકાંઠામાં એક 1000 થી વધુ ભાઈ-બહેનોએ પ્રતિજ્ઞાપત્ર પર સહીઓ કરીને વિદેશી કાપડ નો બહિષ્કાર નો નિર્ધાર કર્યો હતો.
             માલપુર તાલુકામાં રામશંકર જયશંકર ઉપાધ્યાયના નેતૃત્વ હેઠળ પરદેશી કાપડ બહિષ્કાર અને સ્વદેશી કાપડના વપરાશ અંગેની ઝુંબેશ ચાલી હતી. પૂનમચંદ પંડ્યાના માર્ગદર્શન હેઠળ મેઘરજ તાલુકામાં સ્વદેશીની ચળવળ ચાલી હતી.
             ઈ. સ. 1942 ની ભારત છોડો ચળવળમાં રમણલાલ સોની, નટવરલાલ ગાંધી, મથુરદાસ ગાંધી, મોહનલાલ દશાભાઈ અને પરમસુખ પંડ્યાની આગેવાની હેઠળ યુવાનોને આઝાદી માટે પ્રેરિત કર્યા. અને ધરપકડ વહોરી. સ્વાતંત્ર્ય ચળવળ માટે મોડાસા હાઈસ્કૂલમાં ત્રણ મહિનાની હડતાળ પડી. દર અઠવાડિયે બે વખત પ્રચાર માધ્યમ દ્વારા પત્રિકાઓ વહેંચાતી. ટપાલ પેટીઓને કૂવામાં નાખી દેવામાં આવી. સરકારી કચેરીઓ સામે ફટાકડા ફોડવામાં આવતા. વગેરે જેવી પ્રવૃત્તિઓ ઉત્તરોઉત્તર વધતી ચાલી. ઘેરઘેર અંગ્રેજો ભારત છોડોની બૂમ ઉઠી અને આ સંઘર્ષ આઝાદી સુધી ચાલ્યો.
               "હિન્દ છોડો" આંદોલનના પ્રારંભે સાબરકાંઠા-અરવલ્લીના નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા. તેથી ઉશ્કેરાયેલા યુવાનોએ નેતાઓને મુક્ત કરાવવા માટે સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહાર ખોરવી નાખવો, સરકારી મકાનો પણ સળગતા કાકડા ફેંકવા બોમ બનાવવા વગેરે ઉગ્ર પ્રવૃત્તિઓ આચરી હતી. આ આંદોલન દરમિયાન 20 યુવાનોને જેલમાં મોકલીને રાષ્ટ્રીય વહેણ સાથે સાબરકાંઠા અરવલ્લી જિલ્લો પણ સુસંગત રહ્યો હતો.
              આઝાદીની લડત દરમિયાન મહાસભાના અધિવેશનમાં સાબરકાંઠા-અરવલ્લીના પ્રતિનિધિઓ હાજર રહેતા અને મહાસભાનો સંદેશો ઝીલીને જિલ્લામાં કાર્યક્રમ ગોઠવતા હતા. 1923માં અધિવેશનમાં મોહનલાલ વી.ગાંધી તથા વિષ્ણુભાઈ ત્રિવેદી કોંગ્રેસ કમિટીના અમદાવાદ મુકામે મળેલા 36 મા અધિવેશનમાં પુરુષોત્તમ ગો. શાહ, 1938ના હરીપુરા કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભભાઈ દોશી, પુરુષોત્તમદાસ ગો.શાહ તથા હરિપ્રસાદ જોશી, 1939માં કરાચીમાં મળેલી કોંગ્રેસમાં શંકરલાલ સુરા તથા ગોપાલદાસ સુરાએ હાજરી આપીને, રાષ્ટ્રીય મહાસભા કાર્યક્રમો ઝીલીને રાષ્ટ્રમાં વહેતાં થતાં લડતના પ્રવાહોમાં
               ગાંધીયુગના મુખ્ય કવિઓમાં સ્થાન ધરાવનાર ઉમાશંકર જોશીએ એ આઝાદીની લડત દરમિયાન ઝેરનો જાત અનુભવ કરીને, તેને પોતાની કવિતામાં કંડાર્યો. તેમાં રાષ્ટ્રીય અસ્મિતાની તેમની કવિતાથી તેમણે રાષ્ટ્રને નજર સમક્ષ રાખીને વિશ્વને આવરી લીધું. "વિશ્વશાંતિ", "ગંગોત્રી", "વસંત" વગેરે કાવ્યસંગ્રહો દ્વારા અરવલ્લીમાં જન્મેલા એ કવિઓએ આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્રીય અસ્મિતાને જાગ્રત કરીને, વિશ્વ અસ્મિતાના ઘડતરમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. એ ઉપરાંત રમણલાલ સોની, નીલકંઠ કવિ, ભોગીલાલ ગાંધી , મથુરદાસ ગાંધી, ગંગારામ શુક્લ, કાશીરામ ઠક્કર વગેરે લડતના વિવિધ તબક્કે કાવ્યો, લેખો, નાટકો વગેરે સંગ્રામ સાહિત્ય રચીને, સાબરકાંઠામાં લડતનો જુસ્સો ટકાવી રાખવાનું તથા તેમાં જોમ ઉમેરવાનું નોંધપાત્ર કાર્ય કર્યું હતું. 
         આમ, સાહિત્યકારોએ પોતાની રચનાઓ દ્વારા માત્ર જિલ્લા કે પ્રદેશ કક્ષાએ જ નહીં પરંતુ રાષ્ટ્રીય કક્ષાએ પણ લડતનો જુસ્સો ટકાવી રાખી તેમાં વેગ પૂરી ભારતના રાજકીય ઇતિહાસ ઘડતરમાં ફાળો નોંધાવ્યો હતો.
(સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો, સર્જનાત્મક સાબરકાંઠા)
 - :ઈશ્વર પ્રજાપતિ 

(98251 42620)


1 comment:

  1. આભાર, અરવલ્લી ને ઉજાગર કરીને આપ જાગ્રત સમાજ રાખો છો.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts