Sunday, August 21, 2022

સન્ડે સ્પેશીયલ - 31

       “જરૂરિયાતમંદો માટે મારા પતિએ જોયેલા સપનાઓ સાકાર કરવાં એ જ મારા જીવનનું એક માત્ર મિશન છે.” : મધુબહેન પંડ્યા

        વર્ષ 2014ની આ વાત છે. વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલાં એક મહિલા પોતાના વતનની પ્રાથમિક શાળાની મુલાકાતે ગયાં. આ શાળમાં તેમનું બાળપણ ગુજર્યું હતું. એટલે શાળાના પરિસરમાં પ્રવેશતાં જ રોમાંચ અનુભવી રહ્યાં હતાં. પરંતુ વર્ષો બાદ શાળાની સ્થિતિ જોઈ તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. એ સમયે શાળામાં સેનિટેશનની પણ પર્યાપ્ત વ્યવસ્થા ન હતી. શાળાની છત પરના પોપડા ઉખડી ગયા હતા. દીવાલો તરડાઈ ગઈ હતી. આ દયનિય દૃશ્ય જોઈને તેમની રાતોની ઊંઘ જાણે હરામ થઈ ગઈ. 'ગામ તેમજ આસપાસના જરૂરિયાત મંદ લોકો માટે શું કરી શકાય ?' એ વિચારે હૃદય વલોવાયું. અને તેમણે વતનના આ વિસ્તાર માટે અને અહીંના લોકો માટે કંઈક કરી છૂટવાનો દૃઢ નીર્ધાર કર્યો. અને અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં તેઓએ અનોખા એક સેવા યજ્ઞના શ્રી ગણેશ કર્યા. સૌથી પહેલું કામ ગામની શાળામાં વિદ્યાર્થીઓ માટે સેનિટેશન બનાવી આપવાનું કર્યું.

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

             એમનું નામ છે મધુબહેન પ્રવીણચંદ્ર પંડ્યા.

          અરવલ્લીના મોડાસા પાસેનું દધાલીયા તેમનું વતન છે. તેઓ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયાં છે. એમ છતાં વતન પ્રત્યે તેઓનો પ્રેમ અનન્ય છે. મુંબઈમાં રહી વતન અરવલ્લીના આસપાસના વિસ્તારના જરૂરિયાત મંદોની સેવા માટે જીવન સમર્પિત કરવાનો નીર્ધાર કર્યો છે. છ દાયકાની તેઓની જીવન સફર દરમિયાન તેઓના શરીર પર દસથી વધારે શસ્ત્રક્રિયાઓ થઈ, શરીર લકવાગ્રસ્ત બન્યું અને બીજા અનેક સંઘર્ષો આવતા ગયા. એમ છતાં અનેક પડકારો વચ્ચે હારી થાકીને બેસી જવાને બદલે સેવા પ્રવૃત્તિને પોતાના જીવનનું મિશન બનાવી બમણા વેગે પ્રવૃતિશીલ રહ્યાં. તેમની જીવનયાત્રા સમાજની સૌ કોઈ વ્યક્તિ માટે પ્રેરણા રૂપ છે.

        મધુબહેનનો જન્મ 7 ફેબ્રુઆરી 1955ના રોજ એક સાધારણ પરિવારમાં થયો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતન દઘાલીયામાંથી પ્રાપ્ત કર્યું. હાઈસ્કૂલના શિક્ષણકાર્ય દરમિયાન વોલીબોલનાં પ્લેયર તરીકે પણ ઘણા ઇનામો પ્રાપ્ત કર્યા. વર્ષ 1971- 72 માં મોડાસામાં કોલેજનો અભ્યાસ શરુ કર્યો. કોલેજમાં પણ વોલીબોલ પ્લેયર તરીકે નામના પ્રાપ્ત કરી સાથે સાથે ભણવામાં પણ તેજસ્વી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષાઓ ઉપર પ્રભુત્વ પણ ગજબનું. કોલેજકાળ દરમિયાન ગામના એઇર ફોર્સમાં પાયલટ તરીકે નોકરી કરતા યુવાન પ્રવીણચંદ્ર પંડ્યા સાથે આંખો મળી જીવનભર સાથ નિભાવના વચન આપી બેઠાં. અને વર્ષ 1976માં પ્રેમલગ્ન કરી લીધાં.

         રૂઢિ ચુસ્ત સમાજમાં એ જમાનામાં વિરોધ પણ થયો. વિરોધ વચ્ચે મધુબહેન અને પ્રવીણચંદ્ર મક્કમ રહ્યાં અને ઘર સંસાર માંડ્યો. પ્રવીણચંદ્ર પંડ્યા ઇન્ડિયન એઇર ફોર્સના એક જાબાંઝ પાયલટ હતા. એટલે આ દંપતી દિલ્હી સ્થાયી થયું. દિલ્હીમાં સારો એવો સમય પસાર થયો. અહીં પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલનો જન્મ થયો. પ્રવીણ ચંદ્રે 1987 માં વી. આર. એસ. લઈ પાયલટ તરીકેની નોકરી છોડી અને અમદાવાદ સ્થાયી થયા. વર્ષ 2000ના વર્ષમાં હસતા રમતા આ પરિવાર પર મુસીબતોનું જાણે આભ ફાટ્યું. 14મી સપ્ટેબરના રોજ પ્રવીણ ચંદ્રને હૃદય રોગનો હુમલો આવ્યો અને આ પરિવારને નોંધારો મૂકી અનંત યાત્રાએ નીકળી પડ્યા. હવે પરિવારની સઘળી જવાબદારી મધુબહેનના શિરે આવી પડી.

      પ્રવીણચંદ્ર એઇર ફોર્સના કર્મચારી હોવાના નાતે તેમનાં પત્ની મધુબહેનને અડધું પેંશન મળવા પાત્ર હતું પરંતુ કમનસીબે જરૂરી કાર્યવાહી કરેલ નોહતી પેન્શન શરૂ ન થતાં પરિવારની ચોક્કસ આવક અણધારી જ  બંધ થઈ ગઈ. પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલ એમ  ત્રણેય સંતાનો ઇંગલિશ મીડીયમમાં ભણતાં હોવાથી તેમની ફી પણ ઘણી મોંઘી હતી. આ પરિસ્થિતિને પહોંચી વળવાનું કામ સરળ ન હતું. એમ છતાં પરિસ્થિતિ  સામે ઝુકવાના બદલે મધુબહેન મક્કમ બની ઊભાં થયાં. ઘરે નાસ્તો બનાવી વેચવાનો શરૂ કર્યો. બીજા પણ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યા. એનાથી થતી કમાણીમાંથી ઘર-પરિવાર ચલાવ્યો. પેંશન માટે જરૂરી આધારો પુરા પડ્યા અને સ્વર્ગસ્થ પતિનું મળવા પાત્ર પેંશન પણ શરૂ કરાવ્યું. એકલા હાથે ઝઝુમીને ત્રણેય સંતાનોને સુશિક્ષિત કર્યા. આજે પુત્ર હિમાંશુ ખાનગી કંપનીની ઉંચા પગાર વાળી નોકરી છોડીને પોતાનો બિઝનેશ શરૂ કરવા જઈ રહ્યો છે. તો પુત્રી કોમલ પરિવાર સાથે ઓસ્ટ્રેલિયા સેટ થઈ છે. અને બીજી પુત્રી કિંજલ ખૂબ સારી લેખિકા છે.

         મધુબહેનનો પરિવાર વેલ સેટ છે. અને હવે સ્વર્ગસ્થ પતિએ જોયેલા સપનાઓ પૂરાં કરવામાં મધુબહેને જીવન સમર્પિત કરી દીધું છે. તેમને મળતું બધું જ પેંશન સેવાકર્યો પાછળ ખર્ચી નાખી જરૂરિયાતમંદ લોકોના મુખે સ્મિત રેલાવવાનું પુણ્યનું કાર્ય તેઓ કરી રહ્યાં છે.

       મધુબહેનને જીવનમાં નડેલા અકસ્માતોના પરિણામે હાથપગના જુદા જુદા દસ જેટલાં ઓપરેશન થઈ ચૂક્યાં છે. આટલું ઓછું હોય એમ વર્ષ 2012માં પેરાલીસીસ થઈ થઈ ગયો. શારીરિક વિડંબનાઓ વચ્ચે મધુબહેન હિંમત ન હર્યા. કુદરત પણ જાણે આકરી કસોટી લેવા આતુર હોય એમ વર્ષ 2017માં કલોટ આઉટ થતાં સ્મરણ શક્તિ જાણે ચાલી ગઈ. શારીરિક બીમારીઓની સામે લડતાં લડતાં સેવાની જ્યોત તેઓએ સતત પ્રજ્વલિત રાખી છે.

           મુંબઈ જેવા મહાનગરમાં રહી આસપાસના પરિવારો પાસેથી જુનાં સચવાયેલા કપડાં એકઠાં કરી પોતાના વતનના આસપાસના ગરીબ બાળકોને વહેંચે છે. વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મની પણ વ્યવસ્થા તેઓ આવી રીતે કરી રહ્યાં છે. ગરીબ બાળકોને ચપ્પલ, સ્વેટર અને પુસ્તકો જેવી સામગ્રી પણ પૂરી પાડી રહ્યાં છે.  ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા ગરીબ તેજસ્વી વિદ્યાર્થીને પણ તામમ રીતે તેઓ મદદરૂપ બની રહ્યાં છે. તેમના પતિના સ્મરણાર્થે "નીવ ચેરિટેબલ ટ્રસ્ટ" ની સ્થાપના કરી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યાં છે.                       અરવલ્લી ઉપરાંત મુંબઈમાં પણ તેમના સેવા કાર્યની સુવાસ પ્રસરી રહી છે. પરિણામે તેમની આસપાસ રહેતા લોકો હવે સામે ચાલીને જુના કપડાં, પુસ્તકો કે ઉપયોગમાં આવી શકે એવી અન્ય  સામગ્રી મધુબહેન સુધી પહોચાડે છે. અને મધુ બહેન  બધી જ સામગ્રી એકઠી કરી જરૂરીયાત મંદ સુધી પહોચાડે છે. અત્યાર સુધી તેઓએ પચાસ હજાર કરતાં વધુ કપડાંનું વિતરણ કરી ચૂક્યા છે.

         મધુબહેને પર્યાવરણ જતન માટે પણ આહલેખ જગાવી છે. તાજેતરમાં જ દધાલીયા પાસેના ઉમેદપુરા ગામમાં ૨૦૦ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, તેઓ ભલે મુંબઈ સ્થાઈ થયાં હોય પરંતુ સમયાંતરે નિયમિત વતનમાં આવે છે. નાનાં-મોટાં સૌને મળે છે. સૌનાં સુખદુઃખમાં ભાગીદાર બને છે.     

       સ્વર્ગસ્થ પતિના પેન્શનની મળતી બધી જ રકમ મધુબહેન ગરીબોની સેવા પાછળ ખર્ચે છે. એમ છતાં ક્યારેક વધુ રકમની આવશ્યકતા ઉભી થાય તો પુત્ર હિમાંશુ, પુત્રી કોમલ અને કિંજલ પુરેપુરો  આર્થિક સહયોગ આપી મમ્મીના મિશનને વધુ વેગવાન બનાવવામાં મદદરૂપ થાય છે.  સ્થાનિક ગ્રામીણ મહિલાઓ માટે ગૃહઉધોગ સ્થાપી આત્મનિર્ભર બનાવવાનું તેઓનું એક સપનું છે. મહિલાઓ જો આત્મનિર્ભર બનશે તો જીવન ધોરણ આપોઆપ ઊંચું આવશે. અને પોતના સંતાનોને સારું શિક્ષણ પણ આપી શકશે.

        મધુબહેન કહે છે કે મારા પતિનું એક સ્વપ્ન હતું કે પાછલી ઉંમરે શહેરની ભાગદોડની દુનિયાથી દૂર વતનના ગામડાની ગોદમાં પાછલાં વર્ષો નિરાંતે પસાર કરવાં છે. અને આસપાસના જરૂરીયાતમંદ લોકોના મુખ પર સ્મિત રેલાવી શકું એવા કોઈ કાર્ય થકી વતનનું ઋણ અદા કરવું છે. મારા પતિ આજે સદેહે હયાત નથી. પરંતુ તેમને જોયેલા સપનાઓ સાકાર કરવા એ જ મારા જીવનનું એક માત્ર મિશન છે.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620

6 comments:

  1. સાચી વાત સાહેબ મધુબહેન અમારી બાજુ ના ગામ છે ખૂબ જ સેવાકાર્ય કરે છે.

    ReplyDelete
  2. ધન્ય છે આ નારી શક્તિ, ખરેખરા જનની

    ReplyDelete
  3. ધન્ય છે મધુબેનના સેવા કાર્યને અને ઈશ્વરભાઈ તમારી કલમને.

    ReplyDelete
  4. ખૂબ સરસ આલેખન ઈશ્વરભાઈ અભિનંદન.. મધુબેન ની સેવાકીય પ્રવૃત્તિઓના જોઈ છે...

    ReplyDelete
  5. અભિનંદન.
    મધુબહેન, અરવલ્લી ના માટે સતત જાગૃત છે.
    ફ્રેન્ડ્સ ઓફ અરવલ્લી માટે મદદ કર્તા છે.

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts