Saturday, January 29, 2022

.... અને આઝાદ ભારતની પહેલી ફાંસી અંબાલા જેલમાં ગોડસેને અપાઈ

          ........ અને આઝાદ ભારતની પહેલી ફાંસી 

              અંબાલા જેલમાં ગોડસે અને આપ્ટેને અપાઈ 

              


           આજે ગાંધી બાપુની ૭૪મી પુણ્યતિથી છે.  અહિંસાના પૂજારી એવા બાપુને આખરે ગોળીએથી વીંધાવું પડ્યું. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સાંજના ૫.૪૦ વાગ્યે જવાહરલાલ નહેરુએ સત્તાવાર જાહેરાત કરી :  “બાપુ હવે આપણી વચ્ચે નથી.”  આ સમાચારથી સમસ્ત દેશ અને દુનિયાએ  આઘાતનો જબરજસ્ત આંચકો અનુભવ્યો. સમાચાર જાણ્યા એ ઘરોમાં ભાગ્યે જ એ સાંજે ચૂલો સળગ્યો ! આખો દેશ જાણે સુન્ન થઈ ગયો ! ગાંધીજીની હત્યા અને તે પછેના  ૨૨ મહિના બાદ  ગોડસેને અપાયેલ ફાંસી સુધીના આખા ઘટનાક્રમ પર સમગ્ર દેશ અને દુનિયા મીટ માંડીને બેઠી હતી.

          તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ની આ વાત છે. એ દિવસે પણ દિલ્હી કાતિલ ઠંડીમાં ઠુંઠવાઈ રહ્યું હતું. બપોર પછી તડકો નીકળ્યો. ગાંધીજી બીરલાહાઉસમાં નિવાસ કરતા હતા. ૧૩ જાન્યુઆરીથી ૧૮ જાન્યુઆરી સુધી  કોમી તોફાનો રોકવા કરેલા સળંગ ઉપવાસને કારણે બાપુ બીમાર અને કમજોર હતા. અશક્તિને કારણે પ્રાર્થના સભામાં જવા ટૂંકો રસ્તો પસંદ કર્યો. લોકો બાપુને નમસ્તે કહી રહ્યાં હતાં. ભીડમાં ગોડસે પણ હતો. ગોડસેએ પણ બાપુને નમસ્તે કર્યા, બાપુના ચરણ સ્પર્શ કરવાની કોશિશ કરી. બાપુ મનુ અને આભાના ખભા ઉપર હાથ મૂકી ચાલી રહ્યા હતા. તેમને કહ્યું “બાપુ કો આજ બહુત દેર હો ગઈ હૈ. રાસ્તા દીજીએ”. પરંતુ એ જ વખતે નથ્થુરામ ગોડસેએ મનુ-આભાને ધક્કો મારી ખસેડી દીધા અને બાપુ સામે પોઈન્ટ ૩૮ બેરેટા સેમી ઓટોમેટીક પિસ્તોલ તાકી ઉપરાઉપરી ત્રણ ગોળીઓ તેમની છાતી પર ધરબી દીધી. આ દૃશ્ય જોઈએ લોકો હેબતાઈ ગયા. કેટલાકે ગોડસે પર ગુસ્સો કર્યો, પરંતુ સાંજના ૫.૧૭ વાગ્યે બિરલા હાઉસની લોનમાં ‘હે રામ’ કહેતા ઢળી પડ્યા. આ વાતની ખબર પડતા સરદાર દોડતા આવ્યા. પરંતુ તેઓ બાપુ પાસે પહોંચે એ પહેલા બાપુએ તેમના  નેત્રો બંધ કરી દીધા હતાં. થોડી જ મીનીટોમાં પંડિત નહેરુ પણ આવી પહોંચ્યા. બાપુને બેહોશ હાલતમાં એક ઓરડામાં લઈ  જવાયા. સાંજના ૫.૪૦ વાગ્યે જવાહરલાલ નહેરુએ સત્તાવાર જાહેરાત કરી :  “ બાપુ હવે આપણી વચ્ચે નથી.”

           બાપુ પર ગોળી ચલાવ્યા બાદ ગોડસે ભાગ્યો નહિ. તેને પિસ્તોલ સાથે જ પકડી લેવામાં આવ્યો. ગોડસેને ઘટના સ્થળની બાજુમાં જ આવલા તુઘલક રોડ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો. રાત્રે ૯.૪૫ વાગ્યે ગોડસે વિરુદ્ધની એફ. આઈ. આર. નં. ૬૮   સબ ઇન્સ્પેક્ટર દુલારામે લખી. આ એફ.આર.આઈ. ઉર્દૂમાં લખવામાં આવી હતી. ઘટનાનાં સાક્ષી તરીકે નંદલાલ મહેતાએ નજરે જોએલી આખી એ ઘટનાનું પોલીસ સમક્ષ વર્ણન કર્યું. એ વખતે દિલ્હીના આઈજીપી ડી.વી. સંજીવની, તેમના ડેપ્યુટી ડી.વી. મહેતા અને ડી.એસ.પી. જશવંત સિંહ પણ હાજર હતા.  નંદલાલ મહેતાએ આપેલા બયાન પર તેમના હસ્તાક્ષાર લેવામાં આવ્યા. પોલીસે ઇન્ડિયન પીનલ કોડ ૩૦૨ હેઠળ ગુનો દાખલ કર્યો. નજરે જોનાર બીજા સાક્ષી તરીકે સરદાર ગુરુબચનસિંહે સહી કરી. દિલ્હી પોલીસ સંગ્રાહલયમાં ઉર્દૂમાં લખવામાં આવેલી આ એફ.આર.આઈ. આજે પણ સુરક્ષિત છે.

         લોકઅપમાં રહેલા ગોડસે સાથે એક પત્રકારે વાત કરી અને પૂછ્યું , “ શું આના વિષે કશું કહેવા માંગો છો ?”  ત્યારે ગોડસે એ કહ્યું “ અત્યારે એટલું જ કાજી શકું ચુ કે મને કોઈએ અફસોસ નથી. બાકીની બાબતો હું કોર્ટમાં કહીશ.”

         કોર્ટમાં સુનાવણી કરતા જજ જીડી ખોસલાએ વર્ષ ૧૯૬૫ માં સમગ્ર કેસ પર ‘The murder of Mahatma’  વિષય  આધારે  એક પુસ્તક લખ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીની હત્યા અને ત્યાર પછીના કેસની વિગતો આપવામાં આવી છે.

          ગોડસેની ધરપકડ પછી તરત જ પોલીસે અન્ય કાવતરાખોરોની શોધ શરૂ કરી. તપાસ પાંચ મહિનામાં પૂરી થઈ ગઈ. ત્યાર પછી લાલ કિલ્લાની ટ્રાયલ કોર્ટે કેસની સુનાવણી શરૂ કરી. જેનું નેતૃત્વ ન્યાયાધીશ આત્મ ચરણ કરી રહ્યા હતા.

         જસ્ટીસ ખોસલા આ કેસની સુનાવણી કરતી ત્રણ જજની બેન્ચમાંથી એક હતા. કેસની ગંભીરતા અંગે તેઓ લખે છે કે : “ સામાન્ય રીતે હાઈ કોર્ટ નાં નિયમો અનુસાર હત્યા નાં કેસની સુનાવણી બે જજ ની બેંચ  કરતી હતી. પરંતુ આ કેસ એટલો સંવેદનશીલ હતો અને સાક્ષીઓ અને પુરાવા એટલા બધા હતા કે મુખ્ય ન્યાયાધીશે ત્રણ ન્યાયાધીશોની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો. આ બેન્ચમાં જસ્ટીસ ભંડારી, જસ્ટીસ અછુરામ અને હું ( જી.ડી ખોસલા ) સામેલ હતા. મામલાની સંવેદનશીલતા ધ્યાનમાં રાખીને અમે નકી કર્યું છે કે અમે જૂની પરમાંપરાનું પાલન નહિ કરીએ. અમે ન્યાયાધીશો દ્વારા પહેરવામાં આવતી વિગ પણ પહેરી ન હતી.”

         જસ્ટીસ ખોસલા લખે છે : “ ગોડસેએ વકીલ લેવાની ના પાડી. અને પોતાનો કેસ પોતે લડ્યો.”

        ૨ જી મે ૧૯૪૯ નાં રોજ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ.  આઠ મહિના સુધી કેસ ચાલ્યો જેમાં ફરિયાદી પક્ષામાં ૧૪૯ સાક્ષીઓની જુબાની લેવાઈ. ટ્રાયલ કોર્ટે ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ નાં રોજ પોતાનો ચુકાદો આપ્યો. જેમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને મૃત્યુ દંડની સજા સંભળાવવામાં આવી હતી. અન્ય છ ( ગોડસેનો  ભાઈ ગોપાલ ગોડસે  સહીત ) કાવતરાખોરોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ નિર્ણય સામે દોષિતોએ પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ગોડસે એ પોતાને મળેલી સજા સામે અપીલ કરી ન હતી.  તેણે તેની સામેના હત્યાના આરોપને પડકાર્યો પણ નહિ ! ગોડસેએ હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે ‘આ કોઈ કાવતરું ન હતું. હત્યા માટે પોએ એકલો જ જવાબદાર છે. સહ આરોપીયો નિર્દોષ હતા. તેમને છોડવા જોઈએ.’

         કોર્ટે ૨૧ જૂન, ૧૯૪૯ના રોજ ૩૧૫ પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં ગોડસે અને આપ્ટેની મૃત્યુ દંડની સજા યથાવત રાખવામાં આવી હતી. તે સમયે બ્રિટીશ સંસદનો એક પ્રીવી કાઉન્શીલનો એક ભાગ હતો જ્યાં ગોડસેએ અપીલ કરી હતી. આ અપીલ પણ ૨૬ ઓક્ટોબર ૧૯૪૯ નાં રોજ ફગાવી દેવામાં આવી હતી. અને ફાંસી આપવા માટે ૧૫ નવેમ્બર ૧૯૪૯ ની તારીખ નક્કી કરવામાં આવી હતી.

           ફાંસીના ચુકાદા બાદ દેશ-વિદેશમાંથી એવા અનેક પત્રો આવ્યા, જેમાં હત્યારાઓ ને ફાંસીની સજા ન કરવા વિનંતી કરવામાં આવી હતી.  નારાયણભાઈ દેસાઈએ તેમના  પુસ્તક 'મારું જીવન એ જ મારી વાણી -૪' માં નોધ્યું  છે કે " ગાંધીજીના અસ્થી વિસર્જન પછી જુગતારામ (દવે ) ની પ્રરણાથી આસપાસના ૨૮ ગામોમાંથી એકથી થયેલી મેદની એ ઠરાવ કર્યો કે આઝાદ ભારત દેશમાંથી સજા-એ-મોત ની પરંપરા દૂર કરવાનો આરંભ ગાંધીના ખૂનીને ફાંસી ન દઈને થાય ." 

           ગાંધી હત્યા વિશેની સરકારી ફાઈલમાં સજા માફી માટેના કેટલાક પત્રો સચવાયેલા છે. સજા માફી ની વિનંતીઓમાં નોધનીય રજૂઆતો ગાંધીજીના બે પુત્રોની છે.  ડરબનથી મણીલાલ ગાંધીએ ગવર્નર જનરલને તાર કરી ગોડસેની સજા માફા કરવા વિનંતી કરી હતી.  ગાંધીજીનાં મૃત દેહને અગ્નિ દાહ આપનાર તેમન પુત્ર રામદાસ ગાંધીએ ગૃહ મંત્રી સરદાર પટેલને પત્ર લખ્યાની નોધ અણમોલ વિરાસત પુસ્તકમાં આ પ્રમાણે છે. "ગોડસેને ફાંસીની સજા કરવી, એ  બાપુજીની અહિંસાથી ઉલટું થશે અને એમાંના આત્માને કલંક થાશે. ગોડસેના મૃત્યુ થી બાપુ ફરી જીવતા થવાના નથી. અમે દુખી છીએ, પણ વેર લઈને શું કરવાનું ? અને કોની સામે વેર લેવાનું ? નથુરામ તો ફક્ત નિમિત્ત હતો. એટલે વેરેની હિંસા જગાડીને આપણે બાપુજીની જીવનભર ની સાધના નો ક્ષય કરવો જોઈએ નહિ. આમ કરવાથી અહિંસાના પૂજારીનું અપમાન થશે." 

            ગોડસેના પરિવારે તાત્કાલિન રાજ્યપાલ રાજગોપાલાચારી સમક્ષ  દયાની અરજી દાખલ કરી હતી. ૫ મી નવેમ્બર ૧૯૪૯ નાં રોજ રાજગોપાલાચારી સમક્ષ દયાની અરજી આવી.  ૭ નવેમ્બરે તેમણે તેને ફગાવી દીધી. અને  ૧૫ નવેમ્બર ૧૯૪૯ના રોજ આઝાદ ભારત દેશની પહેલી  ફાંસી  અંબાલા જેલમાં નાથુરામ ગોડસે અને નારાયણ આપ્ટેને આપવામાં   આવી હતી.            સુપ્રસિધ વિદ્વાન એફ.આર.મોરેસે લખ્યું છે કે “ ગાંધીજીના જીવન કાર્યને આવનાર  પેઢીઓ જ્યારે મૂલવવા બેસશે ત્યારે રાજકીય નેતા કરતાં માનવા પ્રેમી તરીકેનું મૂલ્ય કદાચ ઊંચું આંકે એવું બને.” અને વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્ર પટેલ લખે છે કે  “ યાદ રહે કે કોઈએ ગાંધીજીની હત્યા કરી  શકશે પરંતુ ગાંધી વિચારધારાની નહિ.”

(સંદર્ભ : ગાંધીજી એક ખોજ : દેવેન્દ્ર પટેલ, The murder of Mahatma Gandhi : G.D. Khosala)

 - ઈશ્વર પ્રજાપતિ 

 


Saturday, January 22, 2022

સુભાષચંદ્ર બોઝ અને એમિલી શેંકલની દિલચસ્પ પ્રણયકથા

           સુભાષચંદ્ર બોઝ અને એમિલી શેંકલની દિલચસ્પ પ્રણયકથા      

 "મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે.  થઇ શકે કે હું તને ક્યારેય જોઈ શકું નહિ. 
પણ  વિશ્વાસ  કરો  તમે  મારા  હદયમાં  રહો  છો." :  નેતાજી  સુભાષચંદ્ર બોઝ  


        આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતી છે. નેતાજીના જીવન અને મૃત્યુ અંગે કેટલીક હકીકતો રહસ્ય જ રહી. આજદિન સુધી કેટલાક રહસ્યો પરથી પડદો ઊંચકાઈ  શક્યો નથી. ક્રાંતિપુરુષના જીવન મધ્યાહને પાંગરેલી અનોખી પ્રણયકથા અને વિવાહિત જીવન વિષે બહુ ઓછા લોકો જાણે છે. 

       નેતાજીના મોટાભાઈ શરતચંદ્ર બોઝના પુત્ર શિશિર કુમારનાં પત્ની અને ત્રણવાર સંસદસભ્ય બનેલાં કૃષ્ણા બોઝે સુભાષચંદ્ર અને એમિલીની પ્રેમકથા વિશે 'અ ટ્રુ લવ સ્ટોરી-એમિલી એન્ડ સુભાષ' પુસ્તક લખ્યું છે. સુભાષચંદ્ર અને એમિલી શેંકલ વચ્ચેના પ્રેમસંબંધનું દિલચસ્પ વિવરણ તેમાં લખેલું છે.

        ઈ.સ. 1934નાં વર્ષની આ વાત છે. સુભાષચંદ્ર બોઝ તે સમયે ઓસ્ટ્રેયાની રાજધાની વિયેનામાં હતા. આ દરમિયાન તેમને એક યુરોપિયન પ્રકાશને ‘ધ ભારતીય સ્ટ્રગલ’ પુસ્તક લખવાનું કામ સોંપ્યું. અનેક વ્યસ્તતા વચ્ચે પુસ્તક લેખન માટે નેતાજી  પાસે સમય રહેતો ન હતો. એટલે પોતે બોલે એ ઝડપે  અંગ્રેજી  ટાઇપિંગ  કરી શકે એવા  સહયોગીની જરૂર પડી.  સુભાષચંદ્ર બોઝના દોસ્ત  ડૉ. માથુરે  બે લોકોના રેફરન્સ આપ્યા. બંનેને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા પરંતુ ઇન્ટરવ્યુ સમયે નેતાજી  સંતુષ્ટ થયા નહિ ત્યાર પછી બીજા ઉમેદવારને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા.

       તારીખ 24 જૂન, 1934ના રોજ એક પ્રભાવશાળી મહિલા એમિલી શેંકલ  નોકરી માટેનું ઇન્ટરવ્યુ આપવા આવ્યાં હતાં. તેઓ  સારૂ ઇંગ્લિશ જાણતાં હતાં. અને  શોર્ટહેન્ડ પણ આવડતું હતું. તેઓ  ઇન્ટરવ્યુમાં પાસ થઇ ગયાં અને નેતાજીને પુસ્તક લખવામાં મદદ કરવા લાગ્યાં. એ વખતે એમિલી  23 વર્ષનાં હતાં. સુભાષચંદ્ર બોઝ  37 વર્ષના હતા.
પોતાની દીકરી કોઈ ભારતીયને ત્યાં કામ કરે એ એમિલીના પિતાને  પસંદ ન હતું પણ તેઓ સુભાષચંદ્ર બોઝને મળ્યા ત્યારે તેઓ તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થયા હતા.

        એમિલી જુન 1934થી  સુભાષચંદ્ર બોઝની સાથે કામ કરવાનું શરુ કર્યું.  નેતાજીના જીવનમાં પ્રવેશેલાં એમિલીના આગમનથી નેતાજીના જીવનમાં એક  નવા જ પ્રકરણની શરૂઆત થવાની હતી, જેની કોઈએ કલ્પના પણ કરી  હતી નહિ. .

     સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ શરતચંદ્ર બોઝના પૌત્ર સુગત બોઝને સુભાષચંદ્ર બોઝના જીવન પર ‘હિજ મેજેસ્ટી અપૉન્ટ–સુભાષચંદ્ર બોઝ એન્ડ ઇન્ડિયાઝ સ્ટ્રગલ અગેસ્ટ એમ્પાયર’ નામનું પુસ્તક લખ્યું છે. આમાં તેમણે લખ્યું છે કે એમિલીને મળ્યા પછી નેતાજીના જીવનમાં નાટકીય પરિવર્તન આવ્યું.

        સુગત બોઝના મત અનુસાર આ પહેલા સુભાષચંદ્ર બોઝને લગ્ન માટે કેટલીય ઓફર મળી હતી. પરંતુ તેમને એકમાં પણ દિલચસ્પી બતાવી નહી. પરંતુ એમિલીની ખુબસુરતીએ સુભાષચંદ્ર બોઝ પર જાદુ કરી દીધું હતું. સુગત બોઝે પુસ્તકમાં એમિલીને ટાંકીને જણાવ્યું છે કે "પ્રેમની પહેલ સુભાષચંદ્ર બોઝે કરી હતી અને ધીમે-ધીમે અમારો સંબંધ રોમૅન્ટિક થતો ગયો હતો."

   સુભાષચંદ્ર બોઝ અને એમિલી એક બીજાને બેપનાહ પ્રેમ કરતાં હતા. 1934 થી 1945 વચ્ચે બનેનો સાથ 12 વર્ષનો રહ્યો. અને બને સાથે વર્ષથી ઓછું સાથે રહ્યા. મિહિર બોઝે પોતાના એક પુસ્તકમાં નોધ્યું છે કે 1934 થી 1942 દરમિયાન નેતાજીએ 180 પત્રો લખ્યા હતા.

     એમિલીને લઈને તેમની લાગણી કેવી હતી તે તેમના પત્ર દ્રારા જાણી શકાય છે. આ પત્ર એમિલીએ પોતેજ શરતચંદ્ર બોઝના પુત્ર શિષિરકુમાર બોઝની પત્ની ક્રિષ્ના બોઝને આપ્યા હતા.

5 માર્ચ, 1936 ના રોજ લખાયેલ પત્ર આ રીતે શરૂ થાય છે.


           "માય ડાર્લિંગ,

       સમય આવતા હિમપ્રવાત પણ ઓગળે છે, એવો ભાવ મારી અંદર છે. હું તમને કેટલો પ્રેમ કરું છું, એ કહેવા માટે હું કંઇક  લખતા રોકી શકતો નથી.. જેમ આપણે એકબીજામાં કહીએ છીએ, માય ડાર્લિંગ, તમે મારા હૃદયની રાણી છો.પરંતુ તમે પણ મને પ્રેમ કરો છો.

     મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. કદાચ આખી જિંદગી જેલમાં રહેવું પડે, મને ગોળી મારે અથવા મને ફાંસીએ લટકાવી દે. થઇ શકે કે હું તને ક્યારેય જોઈ શકું નહિ. પણ વિશ્વાસ કરો તમે મારા હદયમાં રહો છો. તમે મારા વિચારો અને મારા સપનામાં  રહેશો. જો આપણે આ જીવનમાં મળતા નથી તો પછી હું તમારી સાથે આગામી જીવનમાં રહીશ.

       સુભાષચંદ્ર બોઝે આ પત્રને નષ્ટ કરવાની વિનંતી પણ કરી હતી, પરંતુ એમિલીએ પત્ર સંભાળીને રાખ્યો હતો.

     એમિલીએ કૃષ્ણા બોઝને જણાવ્યા અનુસાર, એમિલીના 27મા જન્મદિવસે-1937ની 26 ડિસેમ્બરે  તેમનાં લગ્ન થયાં હતાં. લગ્ન વખતે સામાન્ય ભારતીય નવોઢાની માફક પોતે પણ સેંથીમાં સિંદૂર પૂર્યું હતું. જોકે, બન્નેએ એ લગ્નને ગુપ્ત રાખવાનો નિર્ણય કર્યો હતો.

       બનેના પ્રેમની નિશાની રૂપે 29 નવેમ્બર 1942ના રોજ એક  પુત્રી જેનો જન્મ થયો. જેનું નામ અનીતા રાખવામા આવ્યું. સુભાષચંદ્ર તેમની પુત્રીનું મોં જોવા માટે 1942ના ડિસેમ્બરમાં વિયેના ગયા હતા. એ પછી તેમણે એમિલી તથા અનિતાની માહિતી આપતો પત્ર શરતચંદ્ર બોઝને બંગાળી ભાષામાં લખ્યો હતો.  નેતાજી  ત્યાર બાદ મિશન પર નીકળી ગયા હતા અને એ પછી તેઓ ક્યારેય પાછા ફર્યા ન હતા.

      એમિલી શેંકલે ક્યારેય બોઝનાં પત્ની હોવાની ઓળખ ઉજાગર નહીં કરી. તેઓ  પોતાની પુત્રીને લઇને ઑસ્ટ્રિયામાં જ રહ્યાં. અને જીવનનિર્વાહ માટે એક તારઘરમાં નોકરી કરતાં રહ્યાં. દીકરી અનિતા બોઝે ઘણા સમય બાદ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે એમાનાં માતાને પણ બોઝના મૃત્યુની ખબર અન્ય લોકોની જેમ રેડિયો સમાચારથી મળી હતી.

       એમિલી શેંકલે એક નાની ટેલિગ્રામ ઓફિસમાં કાર્યરત રહીને તેમણે અનિતાનો ઉછેર કર્યો અને જર્મનીનાં વિખ્યાત અર્થશાસ્ત્રી બનાવ્યાં. એમિલી શેંકલ સુભાષચંદ્ર બોઝની યાદોના સહારે 1996 સુધી જીવતાં રહ્યાં હતાં. વિયેના ખાતે 13 માર્ચ 1996માં 85 વર્ષની ઉંમરે એમિલીએ અંતિમ શ્વાસ લીધા હતા.


        સુભાષચંદ્ર બોઝ અને  એમિલીનાં પુત્રી  અનિતા બોઝ એક જર્મન અર્થશાસ્ત્રી છે અને ઑગ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહી ચૂક્યાં છે. અનીતા બોઝે   નેતાજી સુભાષચંદ્ર બોઝ એન્ડ જર્મનીનામનું  પુસ્તક પણ લખ્યું છે. જેનું લોકાર્પણ ભારતના તાત્કાલિન મહામહિમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. અનીતા બોઝ અને એમનો પતિ પ્રો. માર્ટિન ફાફ જર્મનીના રાજકારણમાં સક્રિય છે. અનિતા બોઝને એક પુત્ર- પીટર અરુણ અને બે પુત્રી- થોમસ કૃષ્ણા અને માયા કૈરીના છે.

        નેતાજીની 125મી જન્મજયંતીનાં  ઐતિહાસિક દિને    ભારતના સ્વતંત્ર સંગ્રમના ઐતિહાસિક સ્મારક ઈન્ડીયા ગેટ પાસે નેતાજીની  ભવ્ય પ્રતિમાનું લોકાર્પણ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેંદ્ર મોદીજીના હસ્તે થઈ રહ્યું છે. સમસ્ત ભારતવર્ષ માટે આ  ગૌરવપૂર્ણ ક્ષણ છે.  આ પ્રસંગે પોતાના પરિવાર સાથે જર્મનીમાં રહેતાં અનીતા બોઝે પ્રસન્નતા વ્યક્ત કરી છે.

         વિરલ વિભૂતિને કોટી કોટી વંદન. 

         જય હિન્દ.

- ઈશ્વર પ્રજાપતિ  

Thursday, January 6, 2022

માય ફ્રેન્ડ ઠાકોરભાઈ

માય  ફ્રેન્ડ ઠાકોરભાઈ



            આદરણીય દેવેન્દ્ર પટેલ સર લિખિત "માય ફ્રેન્ડ ઠાકોરભાઈ " હાથ લાગ્યું. વાચવાનું શરૂ કર્યા પછી પુસ્તક  પૂર્ણ ન થયું ત્યાં સુધી એને છોડી શક્યો નહિ, એટલી સરળ અને રસાળ શૈલીમાં લખાયેલ આ  પુસ્તકનો આસ્વાદ અહી પ્રસ્તુત છે. 
           વોશિંગ્ટન પોસ્ટના તંત્રી કેથેરાઈન ગ્રેહામે લખ્યું છે કે "We are not here to be popular, not to be respected, we are here to be belive." અર્થાત પત્રકારત્વ એ લોકપ્રિય થવા માટે કે માન સન્માન પામવા માટેની વ્યવસાય નથી. પરંતુ લોકો તમારી વાતમાં વિશ્વાસ મૂકે તેવી વિશ્વસનીયતા હાંસલ કરવાનો વિષય છે. ગુજરાતથી માંડી અમેરિકાનું પત્રકારીતા જગત એક સાથે ગૌરવ લઈ શકે એવું ગૌરવંતુ એક નામ એટલે ઠાકોરભાઈ પટેલ.. ચરોતરના સુણાવથી શરૂ કરેલી સંઘર્ષ પૂર્ણ જીવનયાત્રાને આપ બળે ઝઝૂમીને એક નવી ઊંચાઈ પર લઈ ગયા. સુણાવથી તલોદ. તલોદ થી અમદાવાદ અને અમદાવાદથી અમેરિકા સુધીની ઠાકોરભાઈ પટેલની શાનદાર જીવનસફરને આદરણીય દેવેન્દ્ર પટેલ સરે શબ્દબદ્ધ કરી સુંદર પુસ્તક પ્રગટ કર્યું છે. સરળ છતાં રસાળ શૈલીમાં આ પુસ્તક પ્રગટ કરી દેવેન્દ્ર પટેલ સરે ઠાકોરભાઈ સાથેની પચાસ વર્ષની મૈત્રીનું ઋણ અદા કર્યું છે. 
           સાધારણ પરીવારમાંથી આવતા શિક્ષકપુત્ર ઠાકોરભાઈ પટેલ જીવન ઝંઝાવાતોમાંથી સ્વબળે આગળ આવ્યા. આ પુસ્તકમાં લેખકે ઠાકોરભાઈના બાળપણથી લઈ યુવાનીના સંઘર્ષકાળના દિવસોને આબેહૂબ અલખ્યા છે. દેશ વિદેશની રાજનીતના અભ્યાસુ ઠાકોરભાઈ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓ પર ગજબનું પ્રભુત્વ ધરાવતા. સ્થાનિક પત્રકારો, સાહિત્ય કારો અને રાજનેતાઓ સાથે તેમનો અંગત ઘરોબો તો હતો જ પણ સાથે સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નેતાઓ અને સિલિબ્રિટીઝ સાથે તેમના ગાઢ સંબંધો રહ્યા છે.

          વીજળી કંપનીમાં કેશિયર  તરીકે, કામદારોના બાહોશ નેતા તરીકે, નીડર પત્રકાર તરીકે અને પરિવાર ના મોભી તરીકેની અનેકવિધ જવાબદારીઓ સુપેરે પાર પાડી. તેમનાં પત્ની સરલાબેન અને તેમની ત્રણ દીકરીઓ સોનલ, રૂપલ અને તેજલ સાથે તેઓ અમેરિકા સ્થાઈ થયા. એમ છતાં ગુજરાત સાથેનો નાતો કાયમ માટે યથાવત રહ્યો. પોતાની ત્રણ દીકરીઓ ઉપરાંત તેઓ પાલ્ય પુત્રી જયશ્રી બેનના પાલ્ય પિતા તરીકેની ફરજ અદા કરી.. 

           સત્ય વાત રજૂ કરવામાં કોઈની સડાબારી રાખતા નહીં. એક જમાનાના રાજનેતાના પ્રશંસા કરતો આર્ટિકલ લખનાર ગુજરાતના ખ્યાતનામ સાહિત્યકારને ચોટદાર ખુલ્લો પત્ર લખવાનું સાહસ ઠાકોરભાઈ જેવા નીડર પત્રકાર જ કરી શકે. ઠાકોરભાઈના જીવન પરિચય પામવા આ પુસ્તક ઉપયોગી થશે જ સાથે સાથે નવોદિત  સર્જકો માટે અભ્યાસ કરવા જેવું પુસ્તક છે. પત્રકારીતા ક્ષેત્રમાં પ્રદાન કરવા ઇચ્છતા તમામ યુવાનોએ ગાંઠે બાંધવા જેવી વાતો લેખકે સુંદર રીતે પ્રસ્તુત કરી છે.

               લેખક લખે છે. : "પત્રકાર અને સાહિત્યકાર વચ્ચે એક ભેદરેખા છે. બંને વચ્ચે કોઈ સમાન વાત હોય તો તે 'શબ્દ' છે. શબ્દ એ સાહિત્યનું માધ્યમ છે. અને શબ્દ એ જ પત્રકારત્વનું માધ્યમ છે. એથીય આગળ વધીને એમ કહી શકાય કે શબ્દ એ સાધન છે સાધ્ય નથી. પત્રકારત્વ નો મૂળ હેતુ માહિતીનું પ્રદાન અને પૃથક્કરણ છે. એમ કરવા માટે શબ્દના વૈભવની જરૂર નથી. 

          અઘરમાં અઘરી વાત સરળતાથી કહેવામાં આવે તે પ્રત્રકારત્વનો પહેલો સિદ્ધાંત છે. વિચારો અને માહિતીની સ્પષ્ટતા એ બીજો સિદ્ધાંત છે. ઓછામાં ઓછા શબ્દોમાં વધુ વાત કહેવી તે ત્રીજો સિદ્ધાંત છે. એકની એક વાત નું પુનરાવર્તન ન કરવું તે ચોથો સિદ્ધાંત છે. લોકપ્રિયતા માટે જ ન લખવું તે પાંચમો સિદ્ધાંત છે. માહિતી ની ચકાસણી કરી આધારભૂત લખવું તે છઠ્ઠો સિદ્ધાંત છે. વાંચકો નો વિશ્વાસ કદી ન ગુમાવવો એ સાતમો સિદ્ધાંત છે. નીડરતા લખવું તે આઠમો સિદ્ધાંત છે. કડવામાં કડવી વાત સભ્ય ભાષામાં લખવી તે નવમો સિદ્ધાંત છે. સૌંદર્ય અને બિભત્સતા વચ્ચે પાતળી ભેદરેખા છે તે સમજીને એ મર્યાદાનો લોપ કદી ના કરવો તે દસમો સિદ્ધાંત છે." આદરણીય ઠાકોરભાઈ તો હાલ આપણી વચ્ચે હયાત નથી પણ તેમના શબ્દ કર્મ થકી સદાય જીવંત રહેશે.

                                                                                                               - ઈશ્વર પ્રજાપતિ 
                                                                                                             સપર્ક : 9825442620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts