Sunday, November 27, 2022

સન્ડે સ્પેશિયલ

"મૃત્યુની શૈયા પર સુતેલી વાત્રકની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં પ્રાણ પૂરવાનું કામ ધીરૂભાઇ પટેલે કર્યું હતું." :દેવેન્દ્ર પટેલ 

  

       વાત્રક હોસ્પિટલને મૃત્યુ શૈયા પરથી બેઠી કરનાર, અરવલ્લીની ધરાના પનોતા પુત્ર રોજ આદરણીય ધીરુભાઈ પટેલે તારીખ ૨3 નવેમ્બરના રોજ  અંતિમ શ્વાસ લીધા.  સાબરકાંઠા અને આસપાસના જિલ્લાઓના જરૂરિયાતમંદ પરિવારોની આરોગ્યલક્ષી સેવાઓ માટે  વાત્રક હોસ્પિટલ સાચા અર્થમાં આજે આરોગ્યધામ બની છે.   ભૂતકાળમાં તેના સંચાલનમાં અનેક મુશ્કેલીઓ હતી. એક સારી લોકઉપયોગી સંસ્થા બંધ થવાની અણી પર હતી. ત્યારે સ્વભાવે સાલસ, સૌજન્યશીલ અને ઓછાબોલા એવા વાત્રકના વહાલસોયા સંતાને તેના સંચાલનનું સુકાન સંભાળ્યું. તેઓએ ખૂબ જ જહેમત, સહયોગ અને ખંતથી  અતિ પછાત વિસ્તારના વંચિતોને સારી આરોગ્ય સેવા મળે તેવું સ્થાપકનું સ્વપ્ન સાકાર કરી દેખાડ્યું. આ નિસ્વાર્થ સેવાભાવી વ્યક્તિ એટલે  શ્રી ધીરુભાઈ પટેલ. 
     
શ્રી ધીરુભાઈ પટેલની આત્મકથા "પરિશ્રમની પાંખે" એ સામાન્ય વ્યક્તિના અસામાન્ય પુરુષાર્થની ગાથા છે.  આ પુસ્તકની પ્રસ્તાવનામાં જાણીતા કટાર લેખક  અને વરિષ્ઠ પત્રકાર પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ ખૂબ ઓછા શબ્દોમાં શ્રી ધીરુભાઈ પટેલની સંઘર્ષભરી જીવનયાત્રાનો સુંદર પરિચય કરાવે છે. તો આવો આજે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાહેબના શબ્દોમાં જ આ વ્યક્તિવિશેષ શ્રી ધીરુભાઈ પટેલનો પરિચય મેળવીએ.

         "પરિશ્રમની પાંખે" પુસ્તકની પ્રસ્તાવનામાં પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ નોંધે છે કે     "સેવા કરવા માટે શાસક બનવું જરૂરી નથી. સેવા કરવા માટે ચૂંટણી લડવી જરૂરી નથી. સેવા કરવા માત્ર સત્તા જ જરૂરી નથી. સેવા કરવા માટે ધન-સંપત્તિની પણ જરૂર નથી. ગાંધીજીએ શાસક બન્યા વગર દેશની સેવા કરી. વિનોબા ભાવે એ પ્રધાન બન્યા વગર જ ભૂદાનની પ્રવૃત્તિ કરી. રવિશંકર મહારાજે અકિંચન રહીને સેવા કરી.

         કશીયે અંગત લાલસા વિના ગરીબ અને છેવાડાના માણસોની સેવા કરનારી વ્યક્તિઓના જૂજ નામ છે. અને તેમાં ગૌરવપૂર્ણ લઈ શકાય તેવું એક નામ છે - ધીરુભાઈ વી. પટેલ.

            M.Sc. થયેલા ધીરુભાઈ વી. પટેલ એ સાબરકાંઠા - હવે અરવલ્લીની પુણ્યભૂમિની પેદાશ છે. સાબરકાંઠા-અરવલ્લીએ જે અનેક સપૂતો પેદા કર્યા તેમાંના તેઓ એક છે. અત્યારે લોકો તેમને શ્રી કે. કે. શાહ સાબરકાંઠા આરોગ્ય મંડળ સંચાલિત શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલ વાત્રકના ચેરમેન તરીકે ઓળખે છે. કોઈપણ સંસ્થા માત્ર ઈમારતોથી કે ધનથી ચાલતી નથી દરેક સંસ્થાની સફળતા પાછળ કોઈ એક સમર્પિત વ્યક્તિની સેવા હોય છે વાત્રકની આ હોસ્પિટલને ફરી એકવાર માનવસેવાની ઉત્કૃષ્ટ સંસ્થા બનાવી છે. તેની પાછળ ધીરુભાઈ પટેલની નિષ્ઠા અને સમર્પણની ભાવના જવાબદાર છે.

                 વાત્રક ખાતેની આ જનરલ હોસ્પિટલ એવા સમયે ઊભી થઈ જ્યારે આ વિસ્તારમાં તબીબી સારવારની શ્રેષ્ઠ સેવાઓની ઉણપ હતી. ધીરૂભાઇ પટેલે કેટલાય વર્ષો પહેલા પિતાજીને સારવાર માટે દાખલ કરાવવા હતા. તેમના પત્નીની પણ અહીં સારવાર થયેલી. પરંતુ જીવનની શ્રેષ્ઠ કારકિર્દી પછીના ઉત્તરાર્ધમાં આ હોસ્પિટલને જ્યારે કોઈ સમર્થ અને સમર્પિત વ્યક્તિની જરૂરિયાત હતી ત્યારે જ ધીરુભાઈ પટેલ તેની કમાન સંભાળી. શહેરથી દૂરના અંતરિયાળ વિસ્તારમાં એક નદીના કાંઠે આવેલી એક જાહેર ટ્રસ્ટની હોસ્પિટલ માટે તબીબો સાચવવા તથા દર્દીઓને નજીવા દરે તબીબી સેવાઓ આપવી તે એક કપરું કામ હતું.

          પરિસ્થિતિ તો એવી હતી કે તેમણે આ હોસ્પિટલનું વ્યવસ્થાપન સંભાળ્યું ત્યારે હોસ્પિટલની હાલત કંગાળ હતી, કફોડી હતી. હોસ્પિટલમાં કૂતરાં ફરતા હતા, રાત્રે બિલાડા ફરતાં હતાં. હોસ્પિટલનો સીત્તેર નો સ્ટાફ નિરાશ અને હતાશ હતો. ક્યારેક તો ચાર જ ઇન્ડોર પેશન્ટ હોય. ઓપીડીમાં બાર જ દર્દી ડોક્ટરોમાં એક જનરલ સર્જન અને તેમની પાસે કોઈ કામ જ નહીં.

          મૃત્યુની શૈયા પર સુતેલી વાત્રકની શ્રીમંત ફતેસિંહરાવ ગાયકવાડ જનરલ હોસ્પિટલમાં પ્રાણ પૂરવાનું કામ ધીરૂભાઇ પટેલે કર્યું. પહેલા તેઓ હોસ્પિટલના પ્રશ્નો સમજ્યા પછી તેના ઉકેલના રસ્તા શોધી કાઢ્યા. જયાં જયાં અડચણો હતી ત્યાં ત્યાં તેઓએ મુશ્કેલીઓ દૂર કરવાની શરૂઆત કરી. એમ કરવામાં તેમને અનેક મુશ્કેલીઓ નડી, પરંતુ પોતાની કુશાગ્ર બુદ્ધિ અને સ્વચ્છ વહીવટની યોજના કારણે તેમણે આ હોસ્પિટલને ફરી ધમધમતી કરી દીધી. ધીરુભાઈ પટેલના પ્રયાસથી હોસ્પિટલને ધીમે-ધીમે ડોક્ટરો પણ મળતા ગયા. દાનનો નવો પ્રવાસ શરૂ થયો. રાત દિવસના ઉજાગરા અને વારંવાર ગાંધીનગરના આંટાફેરાની મહેનત છેવટે રંગ લાવી.

            ફરી એકવાર ગરીબ અને સામાન્ય પરિવાર માટેનું એક આરોગ્ય મંદિર પુનઃ પગભર થયું.જાણે કે તેમાં ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જાણે કે શૂન્યમાંથી ફરી સર્જન થયું ડોક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામી જેવા સાંસદ પણ આ હોસ્પિટલની મુલાકાતે આવ્યા. નોંધપાત્ર વાત એ છે કે ધીરૂભાઇ પટેલે સ્વચ્છ અને પારદર્શક વહીવટના જ આગ્રહી રહ્યા. એ કારણસર જ નવા દાતા હોય તેમની પર ભરોસો મૂકીને દાનનો પ્રવાહ વહેવડાવ્યો. ધીરુભાઈ પટેલના પ્રયાસોના કારણે વાત્રક ની હોસ્પિટલને હવે મેડિકલ કોલેજ પણ મળશે.

           ધીરુભાઈ પટેલનું ગામ વસાદરા. કોઈ જમાનામાં રસ્તા વીજળીની સુવિધા વગરના આ નાનકડા ગામથી શરૂ થયેલી તેમની જીવન યાત્રા અનેક નાટયાત્મક પ્રસંગોથી ભરેલી છે. તેમનું જીવન સ્વયં એક નવલકથા છે. તેમની એ જીવનની શરૂઆતમાં અનેક તકલીફો વેઠીને M.Sc. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ નાના હતા ત્યારે બળદગાડું પણ ચલાવ્યું છે. બળદગાડું ચલાવતાં ચલાવતાં ખાડામાં પણ ગબડયાછે. કોલેજમાં મેથેમેટિક્સના લેક્ચરર તરીકે પણ સેવાઓ આપી છે. તેમનું ઘણું બધું જીવન વ્યવસાયિક જરૂરિયાતોના કારણે આણંદ વલ્લભવિદ્યાનગરમાં પસાર થયું. અહીં પણ તેમણે એક આગવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. આમ જોવા જઈએ તો આણંદને જ તેમણે પોતાનું વતન બનાવી દીધું હતું. પરંતુ પોતાની માતૃભૂમિમાં આવેલી હોસ્પિટલ તેમને ફરી એકવાર વતનની સેવા માટે પાછા લઈ આવી.

         જીવનકાળ દરમિયાન તેઓ પ્રવાસના શોખીન રહ્યા. નાના અંબાજી અને માઉન્ટ આબુ સુધી પદયાત્રા કરી. કશ્મીરનો પણ પ્રવાસ કર્યો. અમેરિકા પણ ગયા. દેશના અન્ય હિલ-સ્ટેશનો એ પણ ફર્યા અજંતા-ઇલોરાની ગુફાઓ પણ નિહાળી. ચારધામ યાત્રા પણ કરી. વિશ્વના અન્ય દેશોમાં પણ ફર્યા. આટલા બધા વિસ્તૃત પ્રવાસના કારણે તેમના વ્યક્તિત્વ સમજણ જ્ઞાન અને પ્રતિષ્ઠાને એક નવું જ સ્વરૂપ મળ્યું.

                 આજે ધીરુભાઈ પટેલ તેમના જીવનના શ્રેષ્ઠતમ ગૌરવપૂર્ણ શિખર પર છે. આ બધું જ તેમના અંગત લાભ માટે નહીં, પરંતુ લોક સેવા માટે જ હાંસલ કર્યું.’

       ધીરુભાઈ આજે આપણી વચ્ચે સદેહે  નથી રહ્યા પરંતુ તેઓનાં સેવાકાર્યોની સૌરભ અનંતકાળ સુધી પ્રસરતી જ રહેશે. દિવ્યાત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાજંલિ.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, November 20, 2022

સન્ડે સ્પેશિયલ

 

હવે તો સમય આવી ગયો છે, જુદા પડવાનો. મારે મૃત્યુને ભેટવાનો અને તમારે જીવંત રહેવાનો. પણ આપણામાંથી હકીકતમાં વધારે ઉચ્ચસ્થાને કોણ જઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી, સિવાય કે પરમાત્મા. : સોક્રેટીસ

 


        મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ   પશ્ચિમી તત્વજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. તેઓ પાશ્ચાત્ય દર્શનશાસ્ત્ર કે તત્ત્વચિંતનનાં પ્રણેતાઓમાંના એક ગણાય છે. તેમના પિતા શિલ્પી હતા અને માતા દાયણ હતાં. ઉંમરલાયક થતાં તેઓ પિતાના શિલ્પકામના કામમાં જોડાયા, પરંતુ વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનમાં રસ જાગતાં તેમણે શિલ્પકામ છોડી દીધું અને ચિંતનમાં સમય ગાળવા લાગ્યા. સોક્રેટિસ સોફિસ્ટો (કે જે સંપ્રદાયના અનુયાયીઓ ધર્મમાં માનતા ન્હોતા) ની જેમ અધાર્મિક માણસ છે - એવી વાત ફેલાવીને તેમની ઉપર ત્રણ આરોપ મૂકવામાં આવ્યા હતા: (૧) સોક્રેટિસ રાજ્યના દેવોને માનતા નથી, (૨) નવા દેવોની સ્થાપના કરે છે અને (૩) એથેન્સના યુવાનોને અવળા માર્ગે દોરે છે. સોક્રેટિસે મૃત્યુ પહેલા છેલ્લે ક્રીટોને સંબોધન કરેલું. એ સંબોધન અહીં પ્રસ્તુત છે.

        “ઓ એથેન્સના નાગરિકો, એક સૉક્રેટિસ જેવા ડાહ્યા માણસને મોતને ઘાટ ઉતારી તમે ચારિત્રહીનતા અને નામોશી વહોરી લો છો . આ શહેરને બદનામ કરવા જે લોકો તમને પણ બદનામ કરવા નીકળ્યા છે , તે તો કહેશે કે હું ડાહ્યો કહેવાઉં છું પણ હકીકતમાં તેમ નથી . છતાં જો થોડો સમય તમે થોભી ગયા હોત તો તમે જે કરવા ચાહો છો તે આપમેળે જ બન્યું હોત , કારણ કે મારી જૈફ ઉંમર તો જુઓ . મા ૨ી મોટા ભાગની જિંદગી વહી ગઈ છે અને હું મૃત્યુના આરે જ ઊભો છું . પણ આ બધું હું તમને સૌને ઉદ્દેશીને નથી કહેતો પણ ફક્ત તેઓને જ જેઓએ મને ગુનેગાર ઠરાવીને મોતની સજા ફરમાવી છે . અને એ લોકોને એમ પણ કહું છું કે , એથેન્સના નાગરિકો હું ગુનેગાર ગણાયો છું , પણ તે એવી દલીલોના અભાવે કે જેનો આશરો લઈને હું તમને   સમજાવી શક્યો હોત અને એ પ્રમાણે કરવું મને યોગ્ય લાગ્યું હોત તો અને કહ્યું હોત તો,  હું આ સજામાંથી છૂટી શક્યો હોત, કારણ કે આવા કોઈ મુકદ્દમામાં કે રણસંગ્રામમાં એ યોગ્ય નથી જે કે હું અથવા કોઈ પણ , ગમે તેવાં સાધનો અને માર્ગોનો ઉપયોગ કરીને મૃત્યુદંડમાંથી છુટકારો મેળવે.

      એથેન્સવાસીઓ, મૃત્યુદંડમાંથી છટકવું અઘરું નથી. તે કરતાં તો વધારે મુશ્કેલ છે, અને હાનિકર્તા, સંજોગોને દૂર રાખવાનું, કારણ કે એ મોતથી પણ વધારે ગતિએ દોડે છે. અને હવે તો હું ઉંમરે પહોંચેલો છું, ઢીલો પડી ગયો છું. જ્યારે મારી ઉપર આરોપો મૂકનારા બળવાન છે, કાર્યરત છે, ચપળ છે અને લુચ્ચાઈ અને બંધાઈથી ભરેલા છે, અને હવે હું જાઉં છું. તમે જે મને મોતની સજા ફરમાવી છે તે કારણે તે લોકો જ હકીકતમાં સત્યના ગુનેગાર છે. અને હડહડતા અન્યાય અને ગેરવાજબીપણાના ગુનેગાર છે. હું મારી સજા કબૂલ કરું છું અને તેઓ તેને વાજબી માને છે. કદાચ, આ પરિસ્થિતિ જ બંને પક્ષો માટે ઉત્તમ છે.

            વળી, બીજું હું એ પણ ભાખું છું કે તમે જેણે આ સજા ફરમાવી છે તેનું પોતાનું જ ભવિષ્ય કેવું હશે ! હું તો એ માનસિક દશામાં છું કે મહદંશે જ્યારે માણસ મૃત્યુના આરે ઊભો હોય ત્યારે આગાહીઓ કરે જ અને એટલે જ હું ઓ એથેન્સવાસીઓ, તમને કહું છું તમે કે જેણે મને મૃત્યુદંડ આપ્યો છે તે બધા મારા મૃત્યુ પછી તરત જ એવી સજા પામશો કે જે ઘણી બધી કઠોર સજા હશે. જ્યુપિટરના હાથે મળતી સજા તમે મને આપેલી સજા કરતાં પણ ખૂબ જ અસહ્ય હશે, કારણ કે તમે આવું વિચારનારાઓને તમારી જિંદગીનો હિસાબ આપવાની જરૂર ન પડે તેવા વિચારો સેવો છો અને હું મક્કમપણે કહું છું કે તમે ધારો છો તેનાથી ઊલટું જ તમારા માટે બનશે. તમારી ઉપર આરોપો મૂકનારા અસંખ્ય હશે કે જેમને મેં હજુ કાબૂમાં રાખ્યા છે અને જે વાત તમે જોઈ શક્યા નથી. એ લોકો તો વધુ આકરા થશે, કારણ કે તેઓ જુવાન છે અને તમે વધારે ચિડાયેલા હશો, કારણ કે તમે જો એમ વિચારતા હો કે કોઈને મોત આપીને, તમે બીજાઓને તમને સકંજામાં લેતા અટકાવી શકો છો, તો તમારી જીવનપદ્ધતિ યોગ્ય ન હોવાથી તમે ભૂલ કરી બેસો છો અને તમારી એમાંથી છૂટવાની રીત એ શક્ય પણ નથી અને શોભાસ્પદ પણ નથી. માનભર્યું અને સહેલું વર્તન તો એ છે કે બીજાઓ ઉપર પ્રતિબંધન લાદવા નહીં, માણસે પોતાની જાતે શીખ લેવી કે પોતે કઈ રીતે પરિપૂર્ણ બની શકે.

          અને તમને, મને આ સજા કરનારાઓને આ સૂચનો કર્યાં પછી હું તમારી રજા લઉં છું. પણ તમારામાંથી જેણે મારા છુટકારા માટે મત દર્શાવ્યો છે તેમની સાથે હું જરૂ ૨ ચર્ચા કરીશ કે અત્યારે જે બન્યું છે અને જ્યારે આ ન્યાયાધીશો તેમના કાર્યમાં  વ્યસ્ત છે અને જ્યાં સુધી મને મૃત્યુના ઘાટ ઉપર લઈ જવામાં આવ્યો નથી તો ત્યાં સુધી ઓ એથેન્સવાસીઓ, મારી સાથે રહો. તમારી સાથે વાતચીત કરવામાં કોઈ નડતર નથી. અને જ્યાં સુધી આપણને એમ કરવાની પરવાનગી છે, કારણ કે મારે તમને, તમે સૌ મારા મિત્રો છો માટે જણાવવું છે કે આ બધાનો મારી ઉપર જે કંઈ વીતે છે તેનો અર્થ શું છે ?

            ઓ મારા ન્યાય તોળનારાઓ હું તમને બહુ જ વાજબી રીતે ન્યાયાધીશ તરીકે સંબોધું છું અને જણાવું છું કે ખરેખર એક બહુ જ વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ છે. મને તો મારી દોરવણી કરનાર દેવત્વે તો કોઈક નાની - નાની બાબતોમાં આ પહેલાં પણ વાળ્યો છે. જો હું કંઈક અણઘટતું કરવાને તૈયાર થયો હોત, તોપણ હવે તો જે કંઈ મારી પર વીતે છે અને જે તમે નજરે જુઓ છો અને જે કોઈ પણ વિચારતો માણસ સમજી શકે કે આ તમારે પક્ષે ખૂબ જ અંતિમ પ્રકારનું પાપ છે. છતાંય હું સવારે ઘેરથી નીકળ્યો ત્યારે ન તો કોઈ દેવે મને ચેતવણી આપી કે જ્યારે હું અહીં ખટલાનો સામનો કરવા આવ્યો કે નહીં તો મારા આ પ્રવચનમાં હું જે કંઈ કહું છું તેમાં જુદી સૂચના આપી હોય. બીજા બધા પ્રસંગે તો મને બોલતી વખતે વારંવાર રોકવામાં આવ્યો છે. પણ હવે તો આ પૂરી વિધિમાં મારા બોલ સામે કે મારા વર્તન સામે કોઈ રોક - ટોક થઈ નથી. તો આનું કારણ મારે શું માનવું ? હું તમને કહું કે મારી ઉપર જે વીતે છે તે હકીકતમાં આશીર્વાદરૂપ છે.

             મૃત્યુ એ પાપ સમાન છે તેવું માનવું જ અશક્ય છે. અને આનો સૌથી મોટો પુરાવો તો એ છે કે જે લોકો વધુ સમજુ છે તેમણે મારો વિરોધ કર્યો નથી, એવી સમજથી કે જે પરિસ્થિતિનો મને ભેટો થવાનો છે તે મારા માટે રૂડું અને અનુકૂળ છે. વધુમાં આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ કે જરૂર મૃત્યુ એક આશીર્વાદ છે. તેમ આશા સેવી શકાય. મૃત્યુના બે અર્થ થાય કે કોઈનો જડમૂળથી સદંતર નાશ કરવો, કે કોઈ લાગણીના કોઈ એક છાંટાને રહેવા ન દઈએ અથવા એમ કહેવાય કે કોઈક ફેરફાર થયો છે અને આત્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરે છે. અને આ એક તદ્દન નિજી સંવેદના હોઈ જાણે કે નિદ્રાધીનને કોઈ સ્વપ્ન સરખું ન આવે તો મૃત્યુ એક અદ્ભુત અને મરનારના લાભમાં થતી ઘટના છે, કારણ કે હું એમ માનું છું કે જો આપણે એવી રાત્રિઓનો વિચાર કરીએ કે જેમાં આપણે ઘસઘસાટ ભોગવેલી બીજી રાત્રિઓ અને દિવસ સાથે સરખાવીએ અને વિચારીએ તો જા ઊંઘ્યા હોય અને કોઈ સ્વપ્નો ન આવ્યાં હોય, આવી રાત્રિઓને જો જીવન દરમિયાન શકીએ કે આ છેલ્લી રાત સ્વપ્નવિહીન અને કેટલી બધી આલાદક હતી !

              હું માનું છું કે આ કોઈ સામાન્ય માણસ તો ઠીક પણ રાજામહારાજાઓને પણ એમ સમજાય અને સરખામણી કરે તો તેમને ખ્યાલ આવે અને તેમને પણ આ વાતની પ્રતીતિ થાય  એટલે મૃત્યુ તો આ પ્રકારનું હોય છે. એ લાભદાયી હોય છે. અને એટલા માટે બધાં જ ભવિષ્યકાળ એક રાત્રિમાં સમાઈ જાય છે. પણ આની સામે ઓ મારા ન્યાયાધીશો, જો એમ હોય કે મૃત્યુ એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર માત્ર છે, તો એના કરતાં વધારે આશીર્વાદરૂપ શું હોઈ શકે ! કે જેમાં આપણે જ્યાં પહોંચીએ એટલે કે, પરલોકમાં તો આ ન્યાયાધીશોના દંભમાંથી છુટકારો મેળવીને તો આપણને મળે સાચા ન્યાય કરનારા જેવા કે મિનોસ અને રહદામંથસ, ઐક્સ અને ટ્રિોલેમસ જેવા જે તેમના જીવન દરમિયાન દેવસ્વરૂપ આત્માઓ હતા. તો પછી મૃત્યુને શું કોઈ દુઃખમય સ્થળાંતર કહેવાય ? અને કોઈ પણ કિંમત ચૂકવીને તમને જો ઓરશ્યિસ અને મુસઝસ, હેસિઓડ અને હોમર જોડે વિચાર - વિનિમય કરવાનો પ્રસંગ મળે તો તમે ચૂકશો ?

         અરે ! એવું બને તો તો હું વારંવાર મરવાનું પસંદ કરું , કારણ કે મારા માટે તો ત્યાંની યાત્રા આનંદાશ્વાર્ય ગણાય. જ્યારે હું પૅલામિડિસ અને તેલમનના પુત્ર એજક્સ કે બીજા કોઈ પૂર્વજોને મળવું, આ અન્યાયી મોતની સજા પામ્યા પછી મારી વેદનાઓ, અને અન્યાયના ભોગ બનેલા તેઓ સૌનાં દુઃખો સાથે સરખાવવાં એ તો સામાન્ય બીના ગણાય. એમાંથી શોક નહીં ઊપજે. પણ મોટામાં મોટો આનંદ મને એ લોકોને પ્રશ્નો પૂછવામાં કે જેમ અહીં હું માણસોની ચકાસણી કરું છું તેમ અને એમ કરીને જાણવા માટે કે એમાંથી સાચેસાચ શાણા કોણ છે ? અને નહીં હોવા છતાંય એવો દાવો કરનારા કેટલા ? મારા ન્યાય તોળનારા, તમે સમજો કે ગમે તેટલી કિંમત ચૂકવીને પણ કોને ન ગમે એવી તક કે જેમાં મોટા સામર્થ્યવાન લશ્કરોની સરદારી લઈને ટ્રૉય, યુલિસિસ, સિસિફસ અને એવા તો હજારો કે જેની શક્તિનાં વખાણ કરી શકાય, તેવાં સ્ત્રી અને પુરુષ, કે જેની જોડે સંવાદ કરી શકાય જેનો સથવારો માણી શકાય કે જેને પ્રશ્નો પૂછી શકાય. એ તો એ અકથ્ય આનંદોત્સવ બની રહે, બહુ નક્કી જ કે આવા પ્રસંગોને માટે ન્યાયાધીશો કંઈ મોતની સજા ફરમાવતા નથી. અને બીજી રીતે પણ ત્યાં જે રહે છે તે અહીં રહેનાર મૃત્યુથી પર છે. કરતાં વધારે સુખી છે. અને જે કંઈ કહેવાયું છે તે સાચું હોય તો તે કારણે જ તેઓ એટલા માટે ઓ મારા ન્યાય તોળનારાઓ તમારે મોત પ્રત્યે સન્માનની ભાવના કેળવવી જોઈએ અને ધ્યાન ધરીને વિચારવું જોઈએ કે આ સત્ય સગૃહસ્થ માટે બાપમય નથી – એ જીવંત હોય કે મૃત્યુ પામેલો હોય, એની ચિંતાઓ અને વિચારધારાઓ દેવો પણ નજરઅંદાજ કરતા નથી. અને મારી ઉપર જે આવી પડ્યું છે તે કોઈ અકસ્માતનું પરિણામ નથી.

          મને તો બહુ સ્પષ્ટ દેખાય છે કે હવે જો હું મૃત્યુને શરણ થાઉં તો આ બધી ચિંતા - વ્યાધિમાંથી છુટકારો મળશે. એ તો મારા માટે વધુ સારું છે. અને એટલા માટે આ ચેતવણી મને ડગમગાવતી નથી. મને કોઈ જાતનો અણગમો  ઊભો થતો નથી કે તેઓ પ્રત્યે કે જેઓ મને સજા કરે છે. અને મારા ઉ ૫૨ આક્ષેપો કરે છે. જોકે એટલું જરૂર કે તેઓ આ સજા કરવી કે મારી ઉપર આક્ષેપો કરવા તે કોઈ શુભ ઇરાદાથી કરતા નથી. મને હાનિ પહોંચાડવા તેઓ તેમ કરે છે માટે તેઓ વખોડવાને લાયક છે. આ રીતે હું ભલે તેમને સમજાવતો હોઉં છતાં એ મારા પુત્રોને એ ન્યાયાધીશોને સજા કરો, એ રીતે કે જેમ એમણે મને દુઃખી કર્યો છે. તે લોકો જો તમને સમજાય કે માત્ર ધનલાલસાને લીધે કે બીજા બધા કોઈ સગુણોને બાજુએ મૂકીને પોતે કંઈક બહુ જ મહાન છે કે જ્યારે તેઓ હકીકતમાં તેઓ કંઈ જ નથી. તો તેમને ઠપકો આપવો. જે રીતે હું કહું છું કે તેઓ ફરજ ચૂક્યા છે અને પોતાની જાતને કંઈક સમજી બેઠા છે. પણ હકીકતમાં તેઓ શૂન્ય સમાન છે. જો તમે આમ કરો તો હું અને મારા પુત્રો બંને માનીશું કે તમારા હાથે વાજબી વ્યવહાર થયો છે. પણ, હવે તો સમય આવી ગયો છે, જુદા પડવાનો. મારે મૃત્યુને ભેટવાનો અને તમારે જીવંત રહેવાનો. પણ આપણામાંથી હકીકતમાં વધારે ઉચ્ચસ્થાને કોણ જઈ રહ્યું છે તે કોઈ જાણતું નથી, સિવાય કે પરમાત્મા.

( મોતની સજા ફરમાવાઈ તે પ્રસંગનું પ્રવચન. અનુ.મોહનભાઈ પટેલ )

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, November 13, 2022

અરવલ્લીના નિરક્ષર આદિવાસી લોકવૈદ્યો પાસે જે વનસ્પતિ જ્ઞાન છે તે પશ્ચિમના વિજ્ઞાનીઓ પાસે પણ નથી. કમનસીબે આ જ્ઞાન હવે લુપ્ત થઇ રહ્યું છે.


        કહેવાય છે કે દરેક મૂળાક્ષરમાં મંત્ર ધ્વની રહેલો છે જ્યારે દરેક વનસ્પતિમાં કોઈને કોઈ ઔષધીય ગુણ રહેલો છે. પર્વતીય જંગલ વિસ્તારમાં થતી વિવિધ વનસ્પતિના ઔષધિ બહુમૂલ્ય હોય છે. આદિવાસી લોક્વૈદ્યોની વનસ્પતિને ઔષધિય જાણકારી અદભુત હતી. આ વિષય પર તાજેતરમાં જ સંદેશ અખબારમાં સંસ્કૃતિ કોલમમાં જાણીતા સંશોધક પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવે સુદર આર્ટિકલ પ્રગટ કર્યો હતો. જે અહી પ્રસ્તુત છે.    

         ગુજરાત  અને રાજસ્થાનને જોડતી અરવલ્લીની ડુંગરમાળ વિશ્વની પ્રાચીનતમ પર્વતમાળા ગણાય છે. આ પર્વતીય પ્રદેશોની ગાળિયુંમાં કુદરતી વાતાવરણ વચ્ચે આદિવાસી (વનવાસી) પ્રજાનો વસવાટ પ્રાચીનકાળથી જોવા મળે છે. તેમનું જીવન ખેતી અને વન્ય પેદાશો ઉપર આધારિત હોવાથી જંગલની વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓનું તેમને પરંપરાગત જ્ઞાન હોય છે. આ જડીબુટ્ટીઓની જાણકારી ધરાવનારા અરવલ્લીના કોઠાસૂઝવાળા ભગતો વિવિધ રોગો પર તેનો ઉપચાર કરતા. આજે આવા લોકવૈદ્યો ગોત્યાય જડતા નથી. લોકજીવનમાં પડેલી કોઠાસૂઝની આ લોકવિદ્યા લુપ્ત ન થઈ જાય અને જીવી જાય એ માટે ‘સૃષ્ટિ’ સંસ્થા દ્વારા અનિલ ગુપ્તા વર્ષોથી સંનિષ્ઠપણે કાર્ય કરી રહ્યા છે. આવી જ ચિંતા કરનારા બીજી વનસ્પતિશાસ્ત્રી હતા સ્વ. કનુયોગી એમણે બે એક દાયકા પૂર્વે અરવલ્લીની ડુંગરમાળ અને અંતરિયાળ દુર્ગમ વિસ્તારોમાં રખડી રઝળીને ઔષધિય વનસ્પતિઓના સાચા પરખંદાઓને શોધી. એમના હૈયાકપાટ ઉઘડાવી ‘આદિવાસી લોકવૈદ્યો અને પરંપરાગત જડીબુટ્ટીઓ’ નામે મૂલ્યવાન પુસ્તક પ્રગટ કરીને અભિનંદનીય કાર્ય કર્યું છે.

         એકકાળે પ્રાચીન ભારતમાં અનેક વિદ્યાઓ, વિજ્ઞાન અને કલાઓનો સુવર્ણયુગ હતો. વિદ્યા અને કલાઓની સાથે આયુર્વેદ વિજ્ઞાન પણ વિકાસ પામ્યું હતું. એ સમયે આજે આપણે જેમને પછાત અરણ્યવાસી તરીકે ઓળખીએ છીએ એવા અભણ પણ હૈયાં ઉકલતવાળા આદિવાસીઓ વનસ્પતિ અને જંગલના બીજા છોડવાઓની વિજ્ઞાનીઓ જેટલી જાણકારી ધરાવતા હતા. ગુરુશિષ્ય પરંપરાએ આ જ્ઞાન જીવંત રહેતું વનવિસ્તાર અને પહાડોમાં ઉગતી ભારતીય દેશી ઔષધિઓ અને જડીબુટ્ટીની વાત રામાયણમાં હજારો વર્ષ પૂર્વે નોંધાઈ છે. રામ રાવણનું યુદ્ધ થયું . ઘવાયેલા લક્ષ્મણ મૂર્છા પામ્યા. તૈયારાજોએ પહાડમાંથી સંજીવની લઈ આવવાની વાત કરી. હનુમાનજીએ બીડું ઝડપ્યું. જણાવેલા પહાડ પર જઈને જોયું તો અપાર વનસ્પતિઓ હતી. મુંઝવણમાં મૂકાયેલા હનુમાનજી આખો પહાડ ઊપાડી લાવ્યા અને સંજીવની દ્વારા લક્ષ્મણજી ભાનમાં આવ્યા. આ પ્રાચીન જ્ઞાનનું મહત્ત્વ આપણે આજે ભૂલી ગાય છીએ.

        થોડા વર્ષો પૂર્વ લખનૌ ખાતેની વનસ્પતિ અનુસંધાન સંસ્થાના વિજ્ઞાનીઓની ટુકડીએ ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જંગલોમાં સર્વેક્ષણ કર્યું હતું. તેમાં વનવાસીઓના વિશ્વાસને આધારિત ચોક્કસ વનસ્પતિઓ શોધી કાઢી હતી , જે બાર જિલ્લાઓમાં આ વિજ્ઞાનીઓએ સર્વેક્ષણ કર્યું હતું તેમાં થારૂ, ગોંડ, ભીલ અને કેમર જેવા આદિવાસીની વસતીને આવરી લેવામાં આવી હતી. આ વૈજ્ઞાનિકોને એવી પણ માહિતી પ્રાપ્ત થઈ હતી કે અહીંથી મળી આવેલી અમુક વનસ્પતિ તો એટલી બધી ગુણકારી છે કે તેનો ઇલાજ જો કેન્સર જેવા રોગ પર કરવામાં આવે તો તેમાં ધાર્યું પરિણામ લાવી શકાય એમ છે. ગર્ભનિરોધ માટે પણ અમુક જડીબુટ્ટીઓ મળી આવી છે જેનો ઉપયોગ સંતતિ નિયમન માટે આજે પણ વનવાસીઓ તેનો ઉપયોગ કરે છે . તેઓ નાનામાં નાના છોડને જોતાવેંત જ કહી દે છે કે આના ગુણધરમો કયા કયા છે ? કયા રોગના ઉપચાર તરીકે તેનો ઉપયોગ કરી શકાય ? નિરક્ષર આદિવાસીઓ પાસે જે વનસ્પતિ જ્ઞાન છે તે પશ્ચિમના વિજ્ઞાનીઓ પાસે પણ નથી.

        આજે આયુર્વેદની પદવી ધરાવનાર વૈદ્યો રોગીઓના રોગ મટાડવા માટે દેશી ઔષધિઓનો ઉપયોગ કરે છે. એવા જ ઉપયોગ આદિવાસી લોકવૈદ્યો ભણ્યા વગર ગુરુજ્ઞાન અને અનુભવ દ્વારા કરે છે . તેઓ ચામડીના હઠીલા રોગ, દમ, વા, સર્પદંશ, જૂના દર્દો, વાંઝિયાપણું. ગુપ્તરોગો વગેરે મટાડવાની આશ્ર ર્યજનક ક્ષમતા ધરાવે છે . તેમનામાં પણ વિવિધ શાખાના ડૉક્ટરોની જેમ બાળકોના રોગો , ઉપરાંત પશુઓના રોગોનો પણ ઉપચાર કરે છે . આવા લોકવૈદ્યોનું પ્રમાણ જ્યાં વિશેષ જડીબુટ્ટીઓ મળે છે ત્યાં વધુ જોવા મળે છે.

           ગુજરાતના આદિવાસી પટ્ટાના વિસ્તારોમાં આવેલ સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ અને ડાંગ તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાના ગીર અને બરડા વિસ્તારમાં અને કચ્છના ગામડાઓમાં જડીબુટ્ટીના જાણકાર લોકવૈદ્યો આજેય અલપઝલપ જોવા મળે છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આદિવાસી લોકવૈદ્યોને ઝારીના દવા કરનાર  વઇદી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોઈ માણસ માંદું પડે તો તરત કહે છે. ‘પેલા વઇદી હારે ઝાકલા' પેલા વૈદ્ય પાસે જાને.

       અભણ આદિવાસી લોકવૈદ્યોની વિદ્યા પર વારી ગયેલા સ્વ . કનુયોગી પોતાને ઔષધિય વનસ્પતિઓમાં શી રીતે રસ પડ્યો તેની વાત કરતા કહે છે : ‘આજથી લગભગ ૩૫-૪૦ વર્ષ પહેલાં ભાદરવી પૂનમે દાંતાથી અંબાજી જવાના માર્ગ પર જંગલ વચ્ચે એક અભણ આદિવાસીને જાતજાતના મુરાડા અને અન્ય ઔષધિઓ સાથે કોઈ દર્દીના રોગનો ઇલાજ કરતો જોઈને અત્યંત આશ્ચર્ય થયેલું. તેની સાથે વાત કરતા એણે જંગલમાં તી અનેક જડીબુટ્ટીઓ અને તેના ઉપયોગો ફટાફટ જાણકારની અદાથી જણાવ્યા, ત્યારે હું આશ્ચર્યચકિત થઈ ગયો. એ પછી મેં અરવલ્લીના વનવાસી ક્ષેત્રમાં ચાલતી આશ્રમશાળાઓના માધ્યમથી કેટલાક આદિવાસી લોકવૈદ્યોનો સંપર્ક સાધેલો. આ વનવાસી લોકવૈદ્યોને મળતા મને વનસ્પતિઓના અકસીર ઉપયોગોની દુનિયાના દર્શન થયા. ક્ષેત્રકાર્ય દરમિયાન આદિવાસી લોકવૈદ્યોની અંગત જિંદગી અને તેમના પરંપરાગત કૌશલ્યને લગતી અનેક બાબતો વિશે જાણકારી મળતા મને અંતરમાં આનંદ થતો, પણ સાથે સાથે આ મૂલ્યવાન લોકવિદ્યાઓ લુપ્ત થવાની અણી પર આવીને ઊભી છે તે જાણીને ભારોભાર દુઃખ થતું હતું.’

          આદિવાસી લોકવૈદ્યો ક્યારેય દવાની દુકાન કે હાટડી માંડતા નથી. તેઓ મોટેભાગે પોતાના ઘેર બેઠાં જ ઔષધિઓ આપે છે. તેઓનું ગુજરાત માત્ર ખેતી અને પશુપાલન પર જ નિર્ભર છે. દર્દીની દવા કરવાના બદલામાં તેઓ માત્ર શ્રીફળ અને સવા રૂપિયો જ લે છે. કોઈ કોઈ લોકવૈદ્ય દર્દી સાજો થયા પછી પોતાની ઇચ્છાથી કંઈપણ આપે તો તે સ્વીકારે છે. સામેથી કશું માગતા નથી. દવા પાછળ માનવ સેવાની જ ભાવના રહેલી છે,  રૂપિયા કમાવાની નહીં. આ સાચા લોકવૈદ્યો છે.

        શહેરના ફૂટપાથો પર જડીબુટ્ટીઓની ભામક જાહેરાતો કરનારા માત્ર ધંધાદારીઓ જ હોય છે. સાચો લોકવૈદ્ય તો દર્દીને તપાસ્યા પછી તેના માટે જરૂરી જડીબુટ્ટી જંગલમાંથી તાજી લાવેલી હોય તે જ વાપરે છે. દવાઓનો જથ્થો ભેગો કરી રાખી ક્યારેય વેચતા નથી. આપણી જડીબુટ્ટીઓનું મહત્ત્વન ભારતીયઓને નથી તેટલું વિદેશીઓને છે. દવાઓ બનાવતી વિદેશી દવાઓની કંપનીઓ ભારતના જંગલોમાં ઊગતી વનસ્પતિઓ પરના પેટન્ટ મેળવી સસ્તાભાવે ખરીદી તેમાંથી દવાઓ બનાવીને ઊંચા ભાવે વેચે છે. આજે આદિવાસી લોકવૈદ્યોની આ વિદ્યા લગભગ જૂની પેઢી સાથે લુપ્ત થવા માંડી છે. લોકવૈદ્યોય પોતાના જ્ઞાન તરફ ઉદાસિન થવા માડ્યા છે. નવા યુવાનોને આ વિદ્યા શીખવામાં રસ નથી. જંગલો આડેધડ કપાવા માંડ્યા છે. પરિણામે ઉંમરલાયક વૈદ્યો જંગલની ગાળિયો કે ડુંગરાની ટોચે પહોંચી શકતા નથી. એમને માટે જડીબુટ્ટીઓ શોધીને લાવવું મુશ્કેલ બન્યું છે. આજે તો માલકાંગણીના વેલા દુર્લભ બન્યા છે. કાળી વાઇસર નાકછીંકણી, ધોળો ખાખરો જેવી વનસ્પતિઓ ગાયબ થઈ ગઈ છે. નસોતર, કાળીપાઠ, શાલપર્ણી, અનંતમૂળ જેવી દેશી વનસ્પતિઓ પુસ્તકોના પાના પર રહી ગઈ છે. આદિવાસી લોક પાસેથી આ પરંપરિત વિદ્યા પ્રાપ્ત કરવી તે લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ છે. જૂનવાણી લોકવૈદ્યોની રૂઢ માન્યતા છે કે આ ઔષધિજ્ઞાન બીજાને આપીએ તો અસરહીન બની જાય. વૈદ્યનું આદર અને સન્માન ઘટી જાય. પરિણામે વૈદ્યો પોતાનું જ્ઞાન ગુપ્ત જ રાખે છે. જ્યારે તેઓને અધિકારી સંનિષ્ઠ શિષ્ય મળે ત્યારે જ તેઓ બીજાને શીખવે છે. નહીં તો લોકવૈદ્યોની ચિતામાં એ જ્ઞાન એની સાથે જ બળીને ભસ્મ થઈ જાય છે.

         આજે આધાશીશીનું માથું દુઃખતું હોય. આંખો આવી હોય, ઓરી, અછબડાં નીકળ્યાં હોય, દાઢ દુઃખતી હોય કે કાનમાં સણકા આવતા હોય તો આપણે એના સ્પેશિયાલિસ્ટ પાસે દોડી જઈ એમની ફી આપીને બજારમાંથી મોંઘીદાટ દવાઓ લાવીએ છીએ. આ લોકવૈદ્યો પૈસોય લીધા વગર જડીબુટ્ટીઓ આપી મફતમાં દો દૂર કરે છે. આપણને ભણેલાઓનો મફતની વાતમાં વિશ્વાસ બેસતો નથી. એટલે લોકવૈદ્યોની વિદ્યા અને ઉપચારો હવે ભૂતકાળની વાત બની ગયા છે.

(સાભાર : પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ)

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, November 6, 2022

સન્ડે સ્પેશિયલ 42

  ગાબટ એ તો રત્નોની ખાણ છે. આ ગામે ‘માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ના નામે આરંભેલ માનવતાનો મહાયજ્ઞ ગામેગામ આરંભાય તો!  

 

       અરવલ્લી જીલ્લાનું ગાબટ ગામ આમ તો છેવાડાનું ગામ ! પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે ગાબટ એ માનવરત્નોની ખાણ છે. આ ભૂમિએ અનેક મુઠ્ઠીઊંચેરા માનવીઓ સમાજને ભેટ ધર્યા છે. ગાબટની ભૂમિનું પાણી પીને આ ભૂમિના માનવરત્નો એ અરવલ્લીથી માંડી અમેરિકા સુધી ડંકો વગાડ્યો છે. પૂર્વ કેન્દ્રીય કેબીનેટ મિનિસ્ટર અને તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ કે. કે. શાહ એ આ ધરતીના પુત્ર હતા. જયારે અમેરિકામાં રહી  ભારતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં  એક લાખથી વધુ એકલ સ્કૂલની શરૂઆત કરનાર રમેશભાઈ શાહ પણ આ જ ધરતીની દેણ છે. અમેરિકાના પૂરાવ રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામાના સલાહકાર સોનલ શાહનાં મૂળ પણ ગાબટ સાથે જોડાયેલાં છે. કે.કે.શાહના પુત્ર પ્રકાશભાઈ શાહ પણ અમેરિકામાં રહી આ વિસ્તારની સેવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યા છે. અમદાવાદમાં સ્થાઈ થયેલો ભગત પરિવાર હોય કે મુંબઈમાં સ્થાઈ થયેલા  સુરેશભાઈ શાહ હોય તેઓ  વતન પર અવિરત વહાલ વરસાવતા રહે છે.  આ યાદી હજી ઘણી લાંબી થઇ શકે તેમ છે. પરંતુ આજે આ વાત કરવાનો ઉપક્રમ નથી આજે વાત કરવી છે ગાબટ ગામના માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા  શરૂ થયેલા માનવતા મહાયજ્ઞ સમાન ટીફીન સેવાની!

Study Room બ્લોગને આપના સહકારની આવશ્યકતા છે. સહયોગ માટે અહી ક્લિક કરો .

      ગાબટ ગામના અનેક શ્રેષ્ઠીઓ દેશ વિદેશ સ્થાઈ થયા છે. પરતું ગામના કેટલાંક પરિવારોની સ્થિતિ અત્યંત દયનીય છે. કોઈ શારીરિક અશક્ત છે તો કોઈ વૃધ્ધાવસ્થાએ નિરાધાર છે. આવા પરિવારો માટે  બે ટંક ભોજન મેળવવું દોહેલું છે. આવા પારિવારોની નાજૂક સ્થિતિ ગામના સંવેદનશિલ અને વિચાશીલ વ્યક્તિઓને વિચારતા કરી મૂકતી અને આ વિચારની ફલશ્રુતિ એટલે જ માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ટીફીન સેવા

     મોટા ભાગના ગ્રામજનો સુખી, હોય સમૃદ્ધ હોય એ જ ગામના કોઈ નિઃસહાય પરિવાર ભૂખ્યો સૂએ એ કેમ ચાલે ? નાજૂક પરિસ્થિતિના કારણે કોઈ વ્યક્તિ ભૂખી ન રહે આ વિચારમાં જ માનવીય લાગણી છલકે છે.

       માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ગાબટના મંત્રી તરીકે સેવા આપતા જીતેન્દ્રભાઈ કે. મોજાગર સંસ્થાની શરૂઆત કરતી વેળાની વાતો વાગોળતાં જણાવે છે કે હું અને મારા મિત્ર હિતેશભાઈ સોની તેમની દુકાને બેસતા ત્યારે ગામના કેટલાક પરિવારોની સ્થિતિ જોતાં થતું કે આ લોકો બે ટંક પેટનો ખાડો કેવી રીતે પૂરી શકતાં હશે ? તેઓ એક તો શરીરે અશક્ત છે. બીજા કોઈનો આધાર નથી અને  તેમની પાસે  કોઈ આવકનું સાધન નથી. આવા પરિવારો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા થઇ શકે તો કેવું ! એમાંથી વિચાર જન્મ્યો કે  આપણે ટિફિન સેવા ચાલુ કરીએ.  જરૂરિયાતમંદ લોકોને આપણે જમવાનું આપી મદદ કરી શકીએ. પરંતુ એકલા હાથે આ કાર્ય કરી શકાય તેમ ન હતું લગભગ એક વર્ષ સુધી વિચાર કરતા રહ્યા. એ સમય દરમ્યાન ગામની  હાઈસ્કૂલમાં સ્માર્ટ વિલેજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે એ મિટિંગમાં ટિફિન સેવા માટે વાત કરતાં  જગતભાઈ શાહે મને  પૂછ્યું : ‘ક્યારે ચાલું  કરો છો ટિફિન સેવા?’ તો મેં કહ્યું  ‘ટૂંક સમયમાં.’ તો જગતભાઈ શાહે કહ્યું : ‘ટૂંક સમય તો મહિનો કહેવાય અને બે મહિના પણ કહેવાય.’

     વિજયભાઈ કે શાહ જેઓ અનેક વિધ સેવા કર્યો સાથે જોડાયેલા છે તેઓ  ગાબટ આવ્યા હતા.  તેમની સાથે  પણ વાત થઈ તો તેમનો હિતેશભાઈના દુકાનના ઓટલે બેસી આછી માહિતી આપી. તેઓ કહ્યું કે  ‘ચિંતા કરતા નહિ, તમે એક ટીમ બનાવી ટીફીન સેવાનું કામ શરૂ કરો.’  હિતેશભાઈ, વિનયભાઈ શાહ, કિરીટભાઈ શાહ તથા અન્ય વ્યક્તિઓની હાજરીમાં વિજયભાઈ શાહે કહ્યું  કે ‘હિતેશભાઈ સોનીને પ્રમુખ બનાવો સાથે સાથે  હિસાબ માટે જીતુભાઈને જોડે રાખો તથા પ્રવીણભાઈ તથા વિનયભાઈ તથા અન્ય સભ્યોની હાજરીમાં નક્કી કરી દરેક સભ્યોએ યથાશક્તિ દાનનો સહયોગ આપી ટીફીન  સેવા શરૂ  કરવા માટે નક્કી કર્યું.  પછી ક્યારે ચાલુ કરીએ ટિફિન સેવા તો મે  કીધુ( જીતેન્દ્ર મોજાગરે) શુભ કામ મે દેરી કિસ બાત કી? આવતી કાલેથી જ ચાલુ કરીએ. અને પ્રથમ દિવસની જે ટિફિન સેવાનો ખર્ચ થાય તે હું આપીશ અને  એ આ રીતે ટિફિન સેવા શરૂ થઇ.

         ટીફીન સેવા શરૂ થઇ એ તારીખ હતી ૮મી માર્ચ ૨૦૧૮. માત્ર છ ટીફીનથી આ સેવા કાર્ય  શરૂ કરવામાં આવ્યુ. દાતા શ્રી ઓ નો સહયોગ મળતો રહ્યો અને ટિફિન સેવાનું કાર્ય ભગવાન ની કૃપા થી આજ દિન સુધી અવિરત ચાલ્યા કરે છે.

         કોઈ વ્યક્તિ ગામમાં ભૂખ્યો ના સુવે આશયથી ટિફિન સેવા ચાલુ કરવામાં આવી ટિફિન સેવા ચાલુ કરવામાં આવી ત્યારથી આજ દિન સુધી ગાબટના દરેક લોકો  તથા જે બહાર વસે છે તેમના તરફથી દાન ફાળો ટ્રસ્ટમાં અવિરત આવતો રહે છે. જન્મ દિવસ નિમિતે, લગ્ન તિથિ નિમિતે, લગ્ન નિમિતે તથા અન્ય શુભ પ્રસંગે ટિફિન સેવા લખવી ટ્રસ્ટમાં સહયોગ આપતા રહે છે. કાયમી તિથિ નિમિત્તે દાન આપી કાયમી તિથિ માટે પણ દાતાશ્રીઓ તરફથી દાન આપવામાં આવે છે

      દાતાશ્રીઓના સાથ અને સહકારથી ટ્રસ્ટનું  સુંદર મકાનનું પણ નિર્માણ કરેલ છે. જેનો દરરોજ સવારે ૧૧.૩૦ વાગે ૩૫ જરૂરિયાતમંદ લભરથીઓ ને દરરોજ ટિફિન સેવા આપવામાં આવે છે. દાળ,ભાત,રોટલી તથા શાક અને મીઠાઈ તથા ફરસાણ સાથેની ટિફિન સેવા આપવામાં આવે છે. દરરોજ ૩૫ લાભાર્થીઓને ટિફિન સેવા આપવામાં આવે છે. ચાલુ વર્ષે  અંદાજિત ૧૧૦૦૦( અગિયાર હજાર) લાભાર્થીઓને ટિફિન સેવાનો લાભ આપેલ છે. કોરોના વખતે પણ અનાજ, કરિયાણાના કિટની સેવા પણ આપેલ છે. ટ્રસ્ટ ચાર વર્ષ પૂરા કરી ટ્રસ્ટ પાચમાં વર્ષ માં પ્રવેશ કરેલ છે.

      માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં નાની મોટી સેવાકિય પ્રવૃત્તિ ચાલે છે. અન્નક્ષેત્ર, આદર્શ લગ્ન, મેડીકલ સારવાર, ઠંઠા પાણીની પરબ, સીનીયર સીટીઝન (લાયબ્રેરી) મરણ પાછળ કીટ, અસ્થી વિસર્જન, વાર્ષિક ટુર, આંખનું ઓપરેશન તથા કપડાંનું વિતરણ,  જેવી  સેવાકિય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે.  

       સેવાકાર્યમાં  દાતાશ્રીઓના ફાળો છે તે અમૂલ્ય છે.  સર્વે પ્રવૃત્તિમાં સાથ-સહકાર આપનાર પ્રેરણાસ્રોત શ્રી અનંતભાઇ એન શાહ, સુરેશચંદ્ર ચીમનલાલ તથા ભગત પરિવારના  સ્વ.મુ.શ્રી વ્રજમોહનભાઈ પરિવાર (ભગત એન્ડ સન્સ વાળા) તથા સુરેશભાઈ શાહ પરિવાર (મુંબઈ), પટેલ જયંતિભાઈ મનોરભાઈ (બાદરપુરા), નિલેષભાઈ સોની, પંચાલ શીવાભાઈ ડી. પરીવાર, સી.સી.શાહ, નવનીતભાઈ ડી. શાહ (મુંબઈ), મધુસુદનભાઈ  ડી. (મુંબઈ), પટેલ રોશનભાઈ બાલુભાઈ, તથા ઠેકડી વિજયભાઈ તથા વિલાસબેન સાથ આપનાર દરેક દાતાશ્રીઓના સહકારથી  સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ વેગવંતી બની છે.

         પ્રવીણભાઈ એમ શાહ માનવસેવા છે. ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. માનવસેવા  ચેરીટેબલ ટ્રસ્ટ ગાબટ સર્વ ધર્મ સમભાવ ની ચાલતી સંસ્થા છે. આ સંસ્થામાં જ્ઞાતિવાદ, કોમવાદ કે રાજકારણથી અલગ રહી સર્વધર્મ સમભાવથી ચાલતી સંસ્થા છે. માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારવા ઈચ્છે છે. જે દાતાશ્રીઓના સહકાર વગર અશક્ય છે.

      માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપનાર સૌ સેવાવ્રતીઓને વંદન !

- ઈશ્વર પ્રજાપતિ 

98251 42620

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts