Monday, December 30, 2019

જિંદગી ઝિંદાબાદ ; સ્વામી ધર્મબંધુજી



રાષ્ટ્રકથા થકી દેશપ્રેમની આહલેખ જગાવનાર  અને  અપ્રતિમ બુધ્ધિ પ્રતિભા ધરવતા રાષ્ટ્રિય સંત 

સ્વામી ધર્મબંધુજી 




             સ્વામી ધર્મબંધુજી.

           અપ્રતિમ બુદ્ધિ પ્રતિભા ધરાવતા સ્વામી ધર્મબંધુજી ખરા અર્થમાં એક રાષ્ટ્રીય સંત છે. રાષ્ટ્રકથા થકી ભારતીય યુવાનોમાં રાષ્ટ્રભક્તિની ચેતનાનો સંચાર કરી રાષ્ટ્ર ઉત્થાનની આહલેખ જગાવનાર સ્વામી ધર્મબંધુજી વિચક્ષણ બુધ્ધિ પ્રતિભા ધરાવનાર પ્રખર રાષ્ટ્રપુરુષ છે.  સંન્યાસી હોવા છતાં ભાગવા વસ્ત્રો, ટીલા-ટપકાં, અને બાહ્ય અડંબરોથી પર છે.  શ્વેત વસ્ત્રોમાં તેઓનું શાલીન વ્યક્તિત્વ દીપી ઉઠે છે. તેઓ વેદોના ઊંડા અભ્યસી તો છે જ પરંતુ વિશ્વની ઐતિહાસિક ઘટાઓથી લઈ સાંપ્રત વૈશ્વિક પ્રવાહ વિશેનું તેઓનું જ્ઞાન ગજબનું છે.  તેઓ પ્રખર વક્તા છે. વિશ્વની કોઈ પણ ઘટના માટે કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે તો અનેક સંદર્ભો સાથેના તેઓના ધારદાર જવાબો ભલા ભલા બૌદ્ધિકોને અચરજ પમાડે છે.
          સ્વામી ધર્મબંધુજી પોતાની રાષ્ટ્રકથા શિબિરને કારણે દેશભરમાં પ્રસિદ્ધ થયા છે. ભાગવત કથા, રામાયણ કથા, અને શિવ કથા વિશે તો આપ જાણતા જ હશો. પરંતુ શું આપ રાષ્ટ્રકથા વિશે સાંભળ્યું છે??? હા, રાષ્ટ્રકથા. આ રાષ્ટ્રકથા થકી જ રાજકોટથી સવાસો કિલોમીટર દૂર આવેલ અંતરિયાળ નાનું અમથું ગામ આજે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું છે. અને બૌદ્ધિકો માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જે વ્યક્તિઓને મિનિટોની મુલાકાત મેળવવા માટે આપને  મહિનાઓ પહેલાં એપોઇન્ટમેન્ટ લઈ વેઇટિંગ કરવું પડે એવી પ્રતિષ્ઠિત હસ્તીઓ આ નાનકડા ગામમાં આવી યુવાનોને દેશભક્તિના પાઠ ભણાવે છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિથી લઈ જુદાજુદા રાજ્યના રજ્યપલો,  લશ્કરની ત્રણેય પાંખના વડાઓ, સિનિયર વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ, રાષ્ટ્ર કક્ષાના વરિષ્ઠ પત્રકારો  અને ભારતના પ્રથમ હરોળના ઉદ્યોગપતિઓ અવાર નવાર ગુજરાતના આ ગમમાં આવેલ એક આશ્રમની મુલાકત માટે આવતા રહે છે. ગુજરાતનુ પહેલું એવું ગામ છે જ્યા ખોબા જેવડું ગામ હોવા છ્તાં ચાર ચાર હેલીપેડ ધરાવે છે. રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના આ ગામનું નામ છે પ્રાંસલા.
   
         રાજકોટથી 125 કિલોમીટર દૂર આવેલા પ્રાંસલા નામના ગામમાં બે દાયકા પહેલાં એક વિશાળ ગૌશાળા બનાવીને એમાં જ આશ્રમની સ્થાપના કરી સ્વામી ધર્મબંધુજી એ આ ભૂમીને પોતાની કર્મભૂમી બનાવી.  સ્વામીજીનું જીવન ખુદ એક મિશાલ રૂપ છે.

    બાળપણમાં જ તેઓનાં માતાના મૃત્યુ થયું. અને દાદીમા એ તેઓનો ઉછેર કર્યો. સ્વામીજી આજે પણ માને છે કે તેઓના ઘડતરમાં દાદીમાનો ફાળો સવિશેષ છે. સ્વામી દયાનંદ સરવસ્તીને પોતાના આદર્શ માને છે.. સ્વામી ધર્મબંધુજી પોતાના સંસારી જીવન દરમિયાન પોલીસ ઓફિસર રહી ચૂક્યા હતા. ચાર વર્ષ પોતાની ડ્યુટી બજાવ્યા પછી સીબીઆઇમાં જોડાયા હતા. જો કે અઢી વર્ષની પોતાની જોબ દરમિયાન વેદના અભ્યાસે તેમને સંસારથી દૂર કર્યા અને તેમણે સંસાર છોડી દીધો. એ પછી તેઓ હિમાલયમાં એકથી દોઢ વર્ષ રહ્યા અને પછી દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ફરતા રહ્યા. ત્યારબાદ ગુજરાત આવીને અહીં જ પોતાનું કાર્યસ્થાન બનાવી લીધું.
       સ્વામીજી જણાવે છે કે, માત્ર ઇતિહાસના આધારે દેશનું ઘડતર ન થાય. ઇતિહાસને આધાર બનાવી દેશનો વર્તમાન શું છે, ક્યાં ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ નવી પેઢીને આપવો જોઇએ અને આથી જ અમે આ રાષ્ટ્રકથા શિબિર શરૂ કરી હતી.
          હાલ પ્રાંસલામાં 22 મી રાષ્ટ્રીય શિબિર ચાલી રહી છે.  જ્યાં કાશ્મીરથી લઈ કન્યા કુમારી અને ગુજરાતથી લઈ ગૌહાટી સુધીના એમ ભારતના તમામ રાજ્યોના , તમામ જ્ઞાતિ-ધર્મના કિશોરો, વિદ્યાર્થીઓ અને યુવાનો કોઈપણ જાતના ભેદભાવ વગર આ કથામાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છેલ્લા બે દાયકાથી રાષ્ટ્રીય શિબિરમાં સ્વામી ધર્મબંધુજીના આમંત્રણને માન આપીને દેશની ત્રણેય સેનાના સિનિયર અધિકારીઓ પોતાની ટુકડી સાથે આવે છે અને શિબિરમાં હાજર રહેલા યુવાઓને સેલ્ફ-ડિફેન્સના પાઠ ભણાવે છે.
             પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઈલ મેન એ.પી. જે. અબ્દુલ કલામ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે.પી એસ. ગીલ, કિરણ બેદી, બોલીવૂડના જાણીતા એક્ટર નાના પાટેકર, પરેશ રાવલ, ઓમ પુરી, મુકેશ ખન્નાથી માંડીને કોકિલાબહેન અંબાણી અને જેવા અનેક મહાનુભાવો ધર્મબંધુજીના આશ્રમમાં કે આશ્રમ દ્વારા કરવામાં આવતી રાષ્ટ્રીય શિબિરમાં હાજરી પુરાવી ચૂક્યા છે.

            રાષ્ટ્રકથા ગુજરાતની એક અલગ ઓળખ બની છે. નવ દિવસ સુધી આ કથા ચાલે છે. ધર્મબંધુજી સ્વામી હોવા છતાં માળા, ટપકા અને મંત્ર-તંત્રથી પર છે. તેમનું મુખ્ય લક્ષ્ય દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવાનો અને યુવતીઓ આવે તે રાષ્ટ્ર કથાનું શ્રવણ કરે. ધર્મબંધુજીએ જણાવે  કે, ‘ હું ચેલા-ચેલી બનાવતો નથી. મારું ધ્યેય રાષ્ટ્ર માટે સારા નાગરિક બનાવવાનું છે.
રાષ્ટ્ર કથાનો એકમાત્ર હેતુ એ છે કે, યુવાનોમાં રાષ્ટ્ર માટે ઉદાત ભાવના જગાડવાનો છે. કોઇ ધર્મ કે સંપ્રદાયની વિરૂધ્ધમાં નથી. આપણે દેવી-દેવતાઓની વાત જે રીતે કરીએ છીએ એટલી ચીવટ અને નિસબતથી દેશની વાત પણ કરવી જોઇએ. માત્ર ઇતિહાસના આધારે દેશનું ઘડતર ન થાય. ઇતિહાસને આધાર બનાવી દેશનો વર્તમાન શું છે, ક્યાં ક્ષેત્રમાં શું થઇ રહ્યું છે તેનો ખ્યાલ નવી પેઢીને આપવો જોઇએ અને આથી જ અમે આ રાષ્ટ્ર કથા શિબિર શરૂ કરી હતી.
        પ્રાંસલામાં પહેલી રાષ્ટ્રીય શિબિર યોજી હતી જેમાં 5 હજાર યુવાનોએ લાભ લીધો હતો. બીજી શિબિરમાં 2500 યુવતીઓએ લાભ લીધો હતો. ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય છે. હાલ દસ થી બાર હજાર જેટલાં યુવાનો લાભ લઇ રહ્યા છે.  દર વર્ષે રાષ્ટ્ર કથાનું આયોજન થાય છે. રાષ્ટ્ર કથા સિવાય સીઆરપીએફ, બીએસએફ વગેરે દળો અને સરહદી ગામોમાં આવેલી શાળાઓમાં નાના પાયે શિબિર કરવામાં આવે છે.
            રાષ્ટ્રના નિર્માણ માટે ના અનેક રચનાત્મક કાર્યો કરી એક સન્યાસી તરીકે આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. અહીં દર બે વર્ષે સમૂહલગ્નનું આયોજન થાય છે. કચ્છમાં આવેલા ભૂકંપ બાદ અનેક ગામોને બેઠા કરવાનો શ્રેય સ્વામી ધર્મબંધુજીને જાય છે. સાબરકાંઠાના પોશીના જેવા અંતરિયાળ વિતારમાં સેંકડો કૂવા ખોદાવી ત્યાંના લોકોને પાણી ની સમસ્યા થી મુક્તિ અપાવી છે. અરવલ્લીના બાયડ વિસ્તારમાં પણ જળ સંચય માટે અનેક ચેકડેમોનું નિર્માણ તેઓએ કરાવ્યુ છે.
નાગાલેન્ડ ઝારખંડ જેવા અતિ પછાત રાજ્યોમાં શાળાઓનું નિર્માણ કરી આદિ જાતિના લોકોમાં શિક્ષણની જ્યોત પ્રગટાવી છે.
           ભારત દેશના તમામ ધર્મગુરુઓ અને સંન્યાસીઓ જો પોત પોતાના વાડાઓનું નિર્માણ કાર્ય પડતું મૂકી સ્વામી ધર્મબંધુજી ની જેમ રાષ્ટ્ર નિર્માણ ના કાર્યમાં પોતાની શક્તિ કામે લગાડે તો ભારતને વિકસિત રાષ્ટ્ર બનતાં કોઈ તાકાત રોકી શકે તેમ નથી. હાલ 28 ડિસેમ્બર થી રાષ્ટ્ર જાગરણ શિબિરની શરૂઆત થઈ ચૂકી છે. દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં અહીં પધારેલ યુવાનો જે 5 જાન્યુઆરી સુધી મહાનુભાવો દ્વારા દેશભક્તિના પાઠ ભણશે.

લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)


(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620

 

Friday, December 27, 2019

પ્રસંગ વિશેષ ; શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ શતાબ્દી મહોત્સવ


                એક સદીની શિક્ષણયાત્રા પુુુુર્ણ કરી    બીજી સદીની શિક્ષણયાત્રાના મંગલા ચરણ માંડતી  ઝાઝરમાન  શૈક્ષણિક સંસ્થા

 શ્રી કે.એન. શાહ હાઈસ્કૂલ મોડાસા



        શ્રી  કે. એન. શાહ હાઈસ્કૂલ મોડાસા.
               આ નામથી ગુજરાતમાં ભાગ્યે જ કોઈ શિક્ષિત વ્યક્તિ અપરિચિત હશે. કે. એન. શાહ વિદ્યાલય માત્ર મોડાસાની કે માત્ર અરવલ્લીની નહીં પરંતુ સમસ્ત ગુજરાતની એક પ્રતિષ્ઠિત અને ગૌરવશાળી શૈક્ષણિક સંસ્થા છે. સંસ્થા આજે સો વર્ષની યશસ્વી મઝલ કાપી એક ગૌરવપૂર્ણ પડાવે પહોંચી છે. એક સદીની શિક્ષણ યાત્રા પૂર્ણ કરી બીજી સદીમાં મંગલ પગરણ માંડવા આ સંસ્થા સજ્જ છે.  હાલ, આ સંસ્થાના શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી  થઈ રહી છે.  સંસ્થાને નવવધૂની જેમ સુંદર સજાવવામાં આવી છે.  મહામહિમ  રજ્યપાલથી લઈ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, માધવપ્રિયદાસ સ્વામી જેવા ઝાઝરમાન મહેવાનો અહીં પધારી રહ્યા છે. અને આખું મોડાસા નગર અને આખો પંથક આ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી બની રહ્યો છે.  રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આખુ નગર હિલોળે ચડ્યું છે.   આ સંસ્થાનો સ સંસ્થાના સ્થાપનાથી લઈ આજ દિન સુધીના સો વર્ષની સફર દરમિયાન કેટલીય તડકી છાંયડી જોઈ છે. એક નાનકડા બીજમાંથી વિશાળ વટવૃક્ષ બની ફૂલીફાલેલી  આ સંસ્થાનો વર્તમાન આટલો ભવ્ય છે તો એનો ઈતિહાસ પણ એટલો જ ગૌરવવંતો અને ઝાઝરમાન છે.  .

               વાત છે . . 1919 ની. વર્ષ ભારતના ઈતિહાસમાં પણ વર્ષ એક સીમાચિહ્ન રૂપ વર્ષ ગણાય છે. 1919 એટલે પ્રથમ વિશ્વ યુદ્ધની પૂર્ણાહુતિનું વર્ષ.   વર્ષે અંગ્રેજ સરકારે રોલેક્ટ એક્ટનો કાળો કાયદો અમલમાં મૂકી હિન્દુસ્તાન પરની ગુલામીની બેડીઓને વધુ મજબૂત કરી. અને ચોથી એપ્રિલ 1919 ના રોજ અમૃતસરમાં આવેલ જલિયાંવાલા બાગમાં જૂલ્મી અંગ્રજ સરકારે નિર્દોષ લોકો પર બેફામ ગોળીબાર કરી સેંકડો સ્ત્રીપુરુષ અને બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા. ગુલામીની ઝંઝીરોમાં સબડતા ભારત દેશમાં આઝાદીની લડત એની ચરમ સીમાએ હતી. હાજરો વર્ષની ગાઢ નિદ્રામાંથી દેશ કરવટ બદલી જાગી ગયો હતો.
         સમગ્ર દેશ જ્યારે આઝાદીની લડત માટે સજ્જ બન્યો હતો ત્યારે મોડાસા પંથક પણ ખુમારી દાખવી આઝાદીની લડતમાં શિરમોર રહયો હતો. એની આગેવાની લીધી માથુરદાસ ગાંધીએ. તેઓની સાથે મોહનાલાલ વી. ગાંધી, મહંમદ હુસેન ભાઈ અબ્દુલ કારીમભાઈ મુનશી અને બીજા અનેક આગેવાનો ખભેખભા મિલાવી લડતમાં અગ્રેસર રહ્યા.
                આવા કટોકટીના સમયમાં પણ મોડાસા પંથક કેળવણી બાબતે પછાત રહી જાય માટે આગેવાનો જાગૃત હતા. મોડાસામાં પ્રાથમિક શાળાની સ્થાપના તો છેક 1857 ના વિપ્લવ પછીના વર્ષે 1858 માં થયેલી. 1865 માં કન્યા શાળા અને 1883 માં ઉર્દુ શાળા પણ સ્થપાઈ. સમયના આગેવાનોની દુરંદેશી પણ કેવી!! 1896 માં ચાર ધોરણ ની અંગ્રેજી શાળા અને 1898માં એક પુસ્તકાલય શરૂ કરેલું. એમ છતાં અરસામાં આખા સાબરકાંઠા જિલ્લામાં , અરે કપડવંજ જેવા મોટા શહેરોમાં પણ હાઈસ્કૂલ હતી. ત્યારે જૂન 1919 માં ' મોડાસા કેળવણી મંડળ' ની સ્થાપના કરી. પ્રખર ગાંધીવાદી અને આઝાદીના લડવૈયા માથુરદાસ લા. ગાંધી, હરિભાઈ ગાંધી, ભોગીલાલ શાહ, હીરાલાલ દેસાઈ, રતિલાલ શાહ, જેવા વિદ્વાનો સંસ્થાનું સફળ સંચાલન કર્યું. શ્રી ભાઈચંદ ભાઈ માણેકચંદ શાહે ઉજ્જવળ ભવિષ્ય વાળી સરકારી નોકરી છોડી મોડાસા હાઈસ્કૂલના પ્રથમ આચાર્ય તરીકે સેવાઓ આપી. 1919 માં માત્ર 82 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકોથી શરુ થયેલી સંસ્થામાં આજે 1700 ઉપરાંત વિદ્યાર્થીઓ અને 71 પ્રતિબદ્ધ કર્મચારી ભાઈઓ બહેનો અવિરત ફરાજનિષ્ઠ છે. દીર્ઘદ્રષ્ટા અને વિદ્યાપ્રેમી વહીવટ કર્તાઓ અને કર્મયોગી કર્મચારીઓ સંસ્થાને એક નવી ઊંચાઈ બક્ષી છે.
                1961 માં પ્રથમ જ્ઞાનસત્ર મોડાસાના આંગણે કે. એન. શાહ વિદ્યાલયના પ્રાંગણમાં જ્યારે યોજાયું ત્યારે કાકાસાહેબ કાલેલકરે સંસ્થાને રવીન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન સાથે સરખાવી હતી. જ્યારે વિદ્યાપુરુષ ઉમાશંકર જોશીએ સંસ્થાને ગુજરાતના ઓક્સફર્ડ તરીકે નવાજી હતી.
                   મોડાસા કેળવણી મંડળની સ્થાપનાથી પંથકમાં જાણે શૈક્ષણિક ક્રાંતિનો પ્રારંભ થયો. કુશળ વહીવટ કર્તાઓની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે સંસ્થાને જાણે વિકાસની નવી પાંખો ફૂટી. સંસ્થાએ આજ સુધી અન્ય 14 શૈક્ષણિક વિદ્યાસંસ્થાઓ સમાજને ભેટ ધરી છે.
           આ સંસ્થાએ આદર્શ નાગરિકોનું ઘડતર કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. શિક્ષણ અને સાથે સાથે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં સંસ્થાએ ખૂબ સારું કાઠું કાઢ્યું છે. વિદ્યાર્થીઓ આદર્શ નાગરિક બને માટે સંસ્થાના કેળવણી મંડળ અને ઉત્સાહી ગુરુજનો હંમેશ નીતનવીન પ્રવૃત્તિઓ થકી સંકુલની ચેતનવંતુ રાખે છે.
          એક શતાબ્દી જૂની સંસ્થાએ ઉત્તમ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, કાવીઓ, લેખકો, કેળવણીકારો, રમતવીરો, સંગીતકારો, રાજકીય અગ્રણીઓ, વાણિજ્યવિદો, શિક્ષકો અને આદર્શ નાગરિકોનું ઘડતર કર્યું છે. સંસ્થામાં ઘડતર પામેલા સેંકડો વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ડંકો વગાડી રહ્યા છે. દેશ-દુનિયાની અનેક પ્રતિષ્ઠિત સ્થાન ઉપર કે. એન. શાહ ના વિદ્યાર્થીઓ આજે નામના મેળવી રહ્યા છે.
         મોડાસા કેળવણી મંડળમાં છેલ્લા 26 વર્ષથી જોડાયેલા દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણ પ્રેમી બીપીનભાઈ શાહ અને પદાધિકારીઓ ના ભગીરથ પ્રયત્નોથી મોડાસા કેળવણી મંડળ ના કેમ્પસમાં શ્રી કે.એન.શાહ મોડાસા હાઈસ્કુલ, શ્રી સી.જી. બુટલા સર્વોદય હાઈસ્કૂલ, કલરવ હાઈસ્કૂલ, શ્રી બી- કનાઈ હાઈસ્કૂલ માં 6500 જેટલાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ઉચ સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યાં છે.
             સો વર્ષ પૂર્ણ કરનાર સંસ્થાના મકાનો જૂનાં થયાં છે. કેટલાક મકાનો પતરા વાળા છે. તેથી તમામ સુવિધા યુક્ત વર્ગખંડો સાથે આખી શાળાનું નવ નિર્માણ નું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. તે માટે પ્રથમ ચરણમાં  પાંચ કરોડ જેટલી માતબર રકમ ખર્ચ થવાનો અંદાજ છે. બધાજ વર્ગો નવા બનશે તેનું ફર્નિચર બદલાશે, વર્ગખંડો સ્માર્ટ બનશે. માટે ભુતપૂર્વ વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠીઓઓ, આગેવાનોએ વિદ્યાપ્રેમી સુજ્ઞ જનો ઉદાર હાથે સખાવત પૂરી પાડી રહ્યા છે.

                 સંસ્થાના પ્રમુખ શ્રી બીપીનભાઈ શાહ. સૌ એમને બિપીનકાકાના હુલામણા નામે સંબોધે છે. સંસ્થાના વિકાસના કામો મિશનના રૂપે તેઓએ ઉપડ્યા છે. તેઓ કુશળ વહીવટ કરતા છે, કામ લેવાની ગજબની કોઠાસૂઝ તેઓ ધરાવે છે. સંસ્થાના હિતમાં આકારમાં આકરા નિર્ણયો લેવામાં તેઓ ખચકાતા નથી. કોઈના અપ્રિય બનવું પડે તો બનીને પણ સંસ્થાના હિતમાં સિદ્ધાંતોમાં બાંધછોડ કરવામાં તેઓ માનતા નથી. એટલે કદાચ સંસ્થા પારદર્શી વહીવટ થકી ગુજરાતની શ્રેષ્ઠ સંસ્થાઓમાં સ્થાન પામી છે. બિપીન કાકાની સાથે સંસ્થાના ઉપ પ્રમુખ શ્રી દિલીપભાઈ કે સોની, કનુભાઈ સી. શાહ, ટ્રસ્ટી શ્રી ઓચ્છવભાઈ જી ગાંધી, કિરીટભાઈ બી. શાહ, માનદ મંત્રીશ્રે કૃષ્ણ જીવન એમ. શાહ, ધીરેનભાઈ એમ પ્રજાપતિ, કિરીટભાઈ કે . શાહ, કનુભાઈ પટેલ અને મોડાસા હાઈસ્કૂલના યુવાન ઉત્સાહી અને સૌમ્ય સ્વભાવના આચાર્ય મનીષભાઈ જોશી ખભેખભા મિલાવી સંસ્થાને ઉચ્ચત્તમ શિખરે લઈ જવાના ઉત્તમ પ્રયાસો કરી રહ્યા છે.
           એક સદીની શિક્ષણયાત્રા પૂર્ણ કરી બીજી સદીની શિક્ષણયાત્રાનાં પગરણ માંડતી સંસ્થા અરવલ્લીના અંતરિયાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો દિપક પ્રગટાવે... રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હજીએ નામના દિવ્ય બને ... અને આદર્શ નાગરિકો નું ઘડતર કરી રાષ્ટ્ર નિર્માણ કર્યો માં અગ્રેસર રહી સફળતાનાં તમામ શિખરો સર કરે એવી દિલથી શુભેચ્છાઓ....

લેખન સંકલન : ઈશ્વર પ્રજાપતિ 
( આપ આપના પ્રતિભાવ 98251 42620 પર whatsapp કરી શકો છો)
સંદર્ભ : મારુ ગામ  મોડાસા ( રમણલાલ સોની)
શતાબ્દી મહોત્સવ બુક લેટ:  સાભાર આચાર્ય શ્રી મનીષભાઈ જોશી

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts