Monday, February 25, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી. ભાગ - 4

બ્રિટિશ શાસન અને સાંપ્રત સમયમાં જિલ્લાના મુખ્ય મથક મોડાસાની આછેરી ઝલક

 


              જેમ પ્રાચીન સમયથી મોડાસા નગરની મહત્તા રહેલી છે.તેમ બ્રિટિશ શાસન દરમ્યાન પણ મોડાસાની ભૂમિકા મહત્વની રહી હતી. 1912 માં અમદાવાદના ગોરા કલેકટરે લખેલું "Modasa is an old fashioned town which shows considerable public spirit" 
                  આ વાત છે 1818 જ્યારે મોડાસા પ્રદેશ પર બ્રિટિશ અને ઇડર સ્ટેટ એમ બેવડી હુકુમત હતી. આઝાદીની એક સદી પહેલાં 1848 માં અંગ્રેજ સરકાર અને ઈડર સંસ્થાન  વચ્ચે ગામડાઓની વહેંચણી થઈ. તેમાં મોડાસા પ્રદેશ અંગ્રેજોના તાબામાં આવ્યો.
             એક લોકવાયકા એવી છે કે 1857ના વિપ્લવ બાદ મરાઠા વીર તાત્યાટોપેએ મોડાસામાં મજૂમ નદીના સામા કિનારે થોડા દિવસો કાઢ્યા હતા. એમના માટેની ખાદ્ય સામગ્રી મોડાસાના ગાંધીવાડામાં વસતા નગરશેઠના ત્યાંથી મોકલવામાં આવતી હતી. આ ઘટના શ્રી ભોગીલાલ ગાંધીએ "પુરુષાર્થની પ્રતિમા" નામે ગ્રંથ માં આલેખી છે.
                  એ સમય દરમ્યાન મોડાસામાં સાવા સો ઉપરાંત તેલની ઘાણીઓ ધમધમતી હતી. અહીંનું તેલ વઢવાણ, લીમડી અને ધોલેરા સુધી જતું. અને એ જમાનામાં ધોલેરાથી અહીંની વસ્તુઓ પરદેશમાં નિકાસ થતી. અહીંનું ડોળીયું (મહુડાનું તેલ) પણ વખણાતું. રંગવાના, છાપવાના, ખરાદીકામ અને કાપડનો ધંધો ફુલ્યો ફાલ્યો હતો. મોડાસા અને માળવા વચ્ચે ઊંટ દ્વારા માલની હેરફેર થતી.  એક સરકારી અહેવાલ પ્રમાણે એ અરસામાં મોડાસાની વસ્તી 4059 હતી.
            મોડાસા મ્યુનિ. ની સ્થાપના ૧/૧૦૧૮૫૯ માં થઈ. તે વખતે બધા જ સભ્યો સરકાર નીમતી હતી. સને ૧૮૭૯ માં ચૂંટણીનું ધોરણ દાખલ થયું. મોડાસા મ્યુનિસિપાલિટીના પ્રથમ ચૂટાયેલા પ્રમુખજહાજી મહમદ ખાન સાહેબ હતા.
                     અંગ્રેજી શાસન કાળ દરમિયાન મોડાસાની ધરતીએ ઘણી લીલી સૂકી જોઈ છે. 1900 માં કોલેરાએ અહીં કાળો કેર વર્તવેલો. તે પછી છપ્પનીયો દુકાળ (સં. 1956) આ દુકાળમાં મોડાસામાં 1498 માણસો મરી ગયાની મ્યુનિસિપાલિટીના દફતરે નોંધ છે.
                1948 માં દેશ સ્વતંત્ર થયો અને 10/6/1948 ના રોજ સાબરકાંઠા જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. ત્યારે આખા જિલ્લામાં દસ હજારથી વધારે વસ્તી વાળું ગામ એક માત્ર મોડાસા હતું. તે સમયે હિંમતનગરની વસ્તી માત્ર ચાર હજાર હતી.
               અગામી  અંધાધૂંધીના પ્રમાણમાં અંગ્રેજ રાજ્ય અમલમાં શાંતિ હતી. એટલે વેપાર ધંધા સ્થિર થયા. અને લૂંટફાટો અટકી હતી. તેની લોકમાનસ પર ઘણી મોટી અસર થઈ હતી. કવિ દલપતરામે તો ગાયું પણ છે કે 
" ઝેર ગયાં ને વેર ગયાં, વળી કાળો કેર ગયા કારનાર!
ઉપકાર ગણી અંગ્રેજી હરખ હવે તું હિંદુસ્તાન!"

                            સ્વાતંત્ર્ય ચળવળમાં પણ મોડાસા નું મહત્વનું યોગદાન રહેલું છે. ચંદુલાલ શંકરલાલ બુટાલા, મથુરદાસ ગાંધી, ભોગીલાલ ગાંધી, રમણલાલ સોની જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ આઝાદીની લડતમાં મોડાસાની આગેવાની લીધી હતી. મહેસુલકરની લડત માટે મોડાસાની મેડનીને સંબોધ્યા બાદ મથુરદાસ ની ધરપકડ થઈ હતી. ત્યારે હજારોની મેદની કચેરીએ ધસી ગઈ. બીજે દિવસે મથુરદાસ ને હારમાળાઓ પહેરાવી જય ગરજનાઓ વચ્ચે વિદાય આપી ગાયું 
"મથુરભાઈ! સ્વરાજ લઈ વ્હેલા આવજો રે"
             1930 ની નમક સત્યાગ્રહમાં ભાગ લેતા  લાંબો જેલવાસ ભોગવ્યો. 1942 ઓપરેશન કરાવેલી હાલતમાં જેલવાસ ભોગવ્યો. તેઓ મુંબઈ ધરાસભાના સભ્ય પણ બન્યા હતા.
           મોડાસા કેળવણીના પાયાના કાર્ય કર.મથુરદાદાએ મોડાસામાં શિક્ષણ ક્ષેત્રે, ગ્રામોદ્યોગ ક્ષેત્રે, હરિજન વિકાસ ક્ષેત્રે, કૃષિ વિકાસ ક્ષેત્રે એમ તમામ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.

મોડાસા આજે વિદ્યાનગરી બની છે. દૂર સુદુરથી વિદ્યાર્થીઓ આજે અભ્યાસાર્થે આવતાં થયાં છે પરંતુ મોડાસામાં સરકારી પ્રાથમિક શાળા ની સ્થાપના 29/4/1858 ના રોજ થઈ હતી. 1/10/1865 માં કન્યા શાળા સ્થપાઈ.
                       અંગ્રેજી અમલની શરૂઆત પછીના આધુનિક મોડાસાના ઘડતરમાં સૌથી મોટો ફાળો કોઈ વ્યક્તિનો હોય તો તે શંકરલાલ પિતામ્બર દાસ બુટલા. તેઓએ નગરના આગેવાનો શ્રી વલ્લભ દાસ બાપુજી દેસાઈ, રણછોડદાસ ભાયચંદ સુરા, લાલજી પીતાંબર ગાંધી, હાજી મહમદ ખાનજી જેવા વ્યક્તિઓનો સહકારથી મોડાસામાં1896 માં ચાર ધોરણ ની "એન્ગલો વાર્નાક્યુલર સ્કુલ" ચાલુ કરી.
                  મોડાસા કપડવંજ વચ્ચે દોડતી રેલવે માટે 1912 પહેલો ઠરાવ કર્યાની ચોપડે નોંધઃછે. દયકાઓ બાદ મોડાસા નગરનું   રેલવેનું  સપનું સાકાર થયું.આઝાદીના એક દાયકા પછી મોડાસામાં વીજળી આવી. અને મોડાસા ઝળહળવા લાગ્યું.
                 અમદાવાદની પોળો જેમ પ્રસિદ્ધ છે એમ મોડાસા નગરની શેરીના નામોનો પણ ઇતિહાસ છે. જેમકે ભાવસારવાડો, ગાંધીવાડો, મુસ્લિમવાડો,માળી વાડો, કુંભારવાડો, આ શેરી નામોના અભ્યાસ વિષયક  ડો. વિનોદ પુરાણી સાહેબે  ખૂબ સુંદર પુસ્તિકા તૈયાર કરી છે
               જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અરે કપડવંજ જેવા મોટા શહેરોમાં હાઈસ્કૂલ ન હતી ત્યારે મોડાસાના આગેવાનોએ બરાબર એક સદી પહેલાં 1919 માં "મોડાસા કેળવણી મંડળ ની સ્થાપના કરી. આ કેળવણી મંડળ આ વર્ષે એક સદી પૂર્ણ કરી શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યું છે. મોડાસા પ્રદેશની કેળવણી ના પાયામાં શ્રી મથુરદાસ લાલજીભાઈ ગાંધી, મોહનભાઇ વિઠ્ઠલભાઈ જેવા વડીલો રહેલા છે. આવા વડીલોના ઋણ સ્વીકાર સ્વરૂપે મોડાસા કોલેજના સંચાલક મંડળે કોલેજનું નામ મથુરદાસ લાલજીભાઈ ગાંધી એટલે કે મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ એવું નામ આપ્યું છે. શ્રી રાયચંદ દાસ ખાતુદાસ શાહ મંડળના પ્રથમ પ્રમુખ હતા. પ્રાણલાલ ગિરધર લાલ શેઠ Phd કરી  ડૉક્ટરેટ ની પદવી મેળવનાર મોડાસા નગરના પ્રથમ વ્યક્તિ હતા. તેઓએ એ જમાનામાં અમેરિકામાં ભણી ડોક્ટરેટની ઉચ્ચ પદવી મેળવી હતી.
શિક્ષણપ્રેમી વડવાઓએ રોપેલ કેળવણીના બીજ આજે વટવૃક્ષ બની ફાલ્યાં છે.
                 શિક્ષણ ક્ષેત્રે મોડાસાનો વિકાસનો સિલસિલો ચાલુ જ રહયો આજે મોડાસામાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ, સરકારી અને ખાનગી એન્જિનિયર કૉલેજ, ફાર્મસી કોલેજ, BBA, BCA, જેવી અનેક કોલેજોનું વિદ્યાધામ બન્યું છે. 
                     પ્રતિષ્ઠિત ડોક્ટરો દ્વારા અહીં આધુનિક તબીબ સેવાઓથી સજ્જ અનેક હોસ્પિટલ આકાર પામી છે. જેમાં માત્ર અરવલ્લી જિલ્લાના જ નહીં પરંતુ પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા અને રાજસ્થાન, મધ્યપ્રદેશના દર્દીઓ તબીબી સારવાર માટે મોડાસા આવવાનું પસંદ કરે છે. અહીં છેલ્લા 26 વર્ષ થી અન્નપૂર્ણા ટ્રસ્ટ કાર્યરત છે જે દૂરથી તબીબી સારવાર મેળવવા આવતા દર્દીઓ અને તેઓના સગાઓ માટે માત્ર બે રૂપિયામાં ટિફિન સેવા પુરી પાડે છે. અહીં દાદા દાદીની વાડી નામે એક સુંદર પ્રવૃત્તિ ચાલી રહી છે જ્યાં રોજ સાંજે 4-7 સિનિયર સીટીઝન આવે છે. અને અખબાર, મેગેઝીન, પુસ્તકો વાંચે છે.વડીલો માટે રોજ ગરમ નાસ્તાની અને ચાની વ્યવસ્થા પણ કરાય છે. અનેકવિધ રચનાત્મક પ્રવૃતિઓથી મોડાસા ધમધમે છે.
                        નગરપાલિકાના પ્રયત્નોથી ઓધારી તળાવ નવા રૂપરંગ સાથે સજ્જ છે. સવાર સાંજ અહીં બગીચામાં નગર વાસીઓની ભીડ ઉમટે છે. 15 મી સદીમાં થઈ ગયેલ દેવાયત પંડિતની ચેતન સમાધિ પણ અહીં મોડાસાના બાજકોટ પાસે આવેલી છે.  મહંતશ્રી ધનગીરીજી એ આ સમાધિસ્થળની કાયાપલટ કરી મનોરમ્ય તીર્થસ્થાન બનાવ્યું છે. જ્યાં દૂર સુદુરથી ભક્તો દર્શનાર્થે આવે છે. દર બીજે અને પૂનમે અહીં મેળા જેવો માહોલ હોય છે. કાશીવિશ્વનાથ અને ગેબીનાથ મહાદેવનું પ્રાચીન મંદિર તેમ જ સાંઈ મંદિર અને જબિજા અનેક મંદિરો આવેલાં છે. ઉપરાંત મોડાસામાં મુસ્લિમ સમુદાયની વસ્તી પણ નોંધપાત્ર છે તેથી  કલાત્મક મસ્જીદો પણ આકાર પામી છે.
             મોડાસામાં અદ્યતન બસ સ્ટેશન આકાર લઈ રહ્યું છે. અહીં GIDC પણ આવેલી છે.  શામળાજી બાય પાસ રોડ પર સરકારી કચેરીઓ નિર્માણ પામી છે. મલપુર રોડ, મેઘરજ રોડ, બાયપાસ રોડ, શામળાજી રોડ વીજળીની ગતિએ વિકાસ સાધી રહ્યા છે.
             ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ૬૭,૬૪૮ વસ્તી ધરાવતી મોડાસા મ્યુનિસિપાલિટીની ખુબ જડપથી વિકાસ સાધી રહ્યું છે.

( ક્રમશઃ  વધુ આવતા સોમવારે )

લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
(સંદર્ભ :"મારુ ગામ મોડાસા" લેખક ; રમણલાલ સોની)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.  તાજેતરમાં થયેલ એક  અનુભવ.






1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts