Thursday, May 27, 2021

ચાલ ઝાડની ખબર કાઢવા

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા



              માનવજાતથી કોરોના મહામારી  ન જાણે કયા ભવનું વેર લઈ રહી છે કંઈ સમજાતું નથી. ચોતરફ દૃશ્યો હૃદય કંપાવનારાં છે.  કેટલાય હસતા રમતા પરિવારો વેર વિખેર થઈ ગયા છે. કેટલાક ઘરોના તો  મોભ જ ભાગી પડ્યા. તેમના પર જાણે મુસીબતોનું આભ  જ ફાટ્યું. સાંત્વના માટે શબ્દો પણ જડતા નથી.  પા... પા.. પગલી માંડતાં કેટલાય નિર્દોષ  બાળકો માતાપિતાની ઓથ ગુમાવી નિરાધાર બન્યા છે. તો કેટલાય વૃદ્ધ માતાપિતા ઘડપણની લાકડીનો ટેકો ગુમાવી નિઃસહાય બન્યાં છે. ભાગ્યે જ  કોઈ પરિવાર મળે કે જેને પોતાના કોઈ નિકટના  પરિચિત, સ્નેહી કે સ્વજન ગુમાવ્યા ન હોય!  .
          ગત સપ્તાહે કોરોનાથી મૃત્યુ પામેલ એક શિક્ષક પરિવારને ત્યાં શિક્ષક કલ્યાણનિધિનો  ચેક આપવા જવાનું થયું.   શિક્ષકના મૃત્યુથી તેમનો પરિવાર જાણે સાવ નોંધારો બની ગયો. પરિવારનો એક મોભી ગયો એટલે પરિવારનૂ6 તો બધું લૂંટાઈ જ ગયું હતું પરંતુ હવે દર મહિને ઘરમાં આવતી નિશ્ચિત આવક હવે એકાએક બંધ થઈ ગઈ.  કમનસીબે એ શિક્ષક GPF ના  લાભોમાં સમાવિષ્ટ ન હતા, પરંતુ સરકારશ્રીની નવી નીતિ મુજબ શિક્ષક CPF યોજનામાં  સમાવિષ્ટ હતા.  એટલે હવે તેમના પરિવાર પેંશન લાભથી પણ નહીં મળી શકે..  શિક્ષક મિત્રની અણધારી વિદાયથી  તેમનો  હસતો રમતો પરિવાર નિરાધાર બની ગયો. નાના સંતાનોના ઉજ્જવળ લાગતા ભવિષ્ય પર પણ હવે જાણે અમાસની કાળ અંધારી રાતનું તિમિર ફરી વળ્યું.. આ પરિવારના ભવિષ્યની કલ્પના હૃદયને  ધ્રુજાવી દે છે.
            CPF યોજનામાં સમાવિષ્ટ શિક્ષક જ્યારે મૃત્યુ પામે છે ત્યારે  પેંશન તો ઠીક પણ પરિવારને અન્ય કોઈ મોટી આર્થિક સહાય પણ મળવા પાત્ર નથી. ઉચ્ચક થોડીએક રકમ મળે છે. જે આજના સમયમાં પરિવારના નિર્વાહ માટે પર્યાપ્ત નથી જ.. એક શિક્ષકનો પરિવાર શિક્ષકની ગેરહાજરીમાં લાચાર બને એ તો કેમ ચાલે ?? કોઈપણ શિક્ષકનો પરિવાર એ આપણો પરિવાર છે.  સમાજમાં બધી જગ્યાએ તો આપણે મદદ માટે નથી જ પહોંચી શકતા એ આપણી મર્યાદા છે. પરંતુ આપણા સમાજનો જ એક શિક્ષક પરિવાર નોંધારો બન્યો હોય ત્યારે  આવી નિઃસહાય પરિસ્થિતિમાંનાની અમથી મદદ પહોંચાડવા આપણે નિમિત્ત ન બની શકીએ?  એ પરિવારને આધાર માટે આપી બેઠો કરવા  એક શિક્ષક તરીકે   જો આપણે જ આગળ નહીં આવીએ તો કોણ આવશે ??
          કોઈ પરિવાર પર આવી અણધારી આફત ન આવી પડે  ઈશ્વરને એ જ પ્રાર્થના. પણ જે પરિવાર પર ખરેખર આફત આવી પડી છે તેમના પરિવારને મદદરૂપ થવા અરવલ્લી જિલ્લા નાયબ ડી.પી.ઈ.ઓ. શ્રી સમીરભાઈ પટેલ સાહેબે એક વિચારબીજ વહેતુ મૂક્યું. તેઓની પ્રેરણાથી આપની સામે એક અપીલ લઈને આવ્યો છું. ફરજ દરમિયાન મૃત્યુ પામેલ જે શિક્ષકના પરિવારને પેંશન પણ મળવા પાત્ર નથી તેવા શિક્ષક પરિવાર માટે  તાલુકા કે જિલ્લાના શિક્ષકો દ્વારા માત્ર  પાંચસો કે હજાર રૂપિયા યોગદાન આપવામાં આવે તો એ  નિરાધાર બનેલા શિક્ષક પરિવારબે એક સન્માન જનક રકમ આપી શકાય. એ પરિવાર  માટે આ રકમ આશીર્વાદ રૂપ સાબિત થાય એમ છે. પેંશન મળવા પાત્ર નથી એવા શિક્ષકોના પરિવારને  કંઈક અંશે મદદરૂપ થવા શું આપણે એક નવી શરૂઆત ન કરી શકીએ?? 
           આજના સમયમાં કોઈ પણ માટે પાંચસો કે હજાર રૂપિયા એ બહુ મોટી રકમ નથી. પરંતુ જિલ્લાના શિક્ષકો આ આહવાનમાં જોડાય તો ભેગી થયેલી એ રકમ ઘણી  મોટી થવા પામે છે. અને એ રકમ શિક્ષકના પરિવારને મળે તો કમસેકમ એ પરિવાર લાચારી નહીં પણ ખુમારીથી જીવી શકે. દિવંગત શિક્ષકના બાળકોનું મુખ પરનું સ્મિત પાાછું લાવવા નિમિત્ત બની શું તો પણ  મોટું પુણ્યકાર્ય થશે.
         શિક્ષકના હૃદયમાં કરુણાનું ઝરણું હમેશ માટે વહ્યા કરે છે. માનવતાના મહાયજ્ઞમાં આહુતિ આપવામાં શિક્ષક સમાજ ક્યારેય પાછો નથી પડ્યો. મને ખાતરી છે આપણો તાલુકો કે જિલ્લો આ પહેલ કરશે તો સમસ્ત રાજ્ય તેના પગલે ચાલવા મજબૂર બનશે..

           જાણિતા કવિ મુકેશ જોષીની એક કવિતા અર્પણ 

કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી
એ પંખીની હામ ખુટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા

         આપ સહુ ની અપેક્ષા સહ કપરા કાળમાં મૃત્યુ પામેલા સૌ શિક્ષક મિત્રોને હૃદય પૂર્વકની શ્રધ્ધાંજલિ.. તેમના પરિવાર પર આવી પડેલ દુઃખદ પળોને   સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.

લે. ઈશ્વર પ્રજાપતિ

(આપ આપના પ્રતિભાવ 98251 42620 નં. પર વૉટસેપ કરી શકો છો.)

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts