Sunday, January 1, 2023

સન્ડે સ્પેશિયલ

જગદીશ ત્રિવેદી જેવા સંસારી સાધુઓની સંખ્યા વધે, તો સમાજની આર્થિક અને માનસિક ગરીબી જરૂર ટળે : ગુણવંત શાહ 


ડૉ. જગદીશ ત્રિવેદીના નામથી પરિચિત ન હોય એવો ગુજરાતી વિશ્વના કોઇપણ ખૂણેથી શોધવો મુશ્કેલ છે. ડૉ જગદીશ ત્રિવેદીએ હાસ્ય કલાકાર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતી તો પ્રાપ્ત કરી જ છે સાથે સાથે વિશ્વમાં વસતા લાખો ગુજરાતીઓનાં દિલમાં સ્થાન પામ્યા છે. દેશ પરદેશમાં એમની પ્રતિભાએ લોકોને ઘેલા કર્યા છે. સાવ સામાન્ય વાચક, શ્રોતાથી માંડીને મોરારિબાપુ, ગુણવંત શાહ, ડૉ. મોતીભાઈ પટેલ સુધીના મહાનુભાવો એમના પર મન મૂકીને વરસ્યા છે.

         જગો જેરોક્ષ વાળો’ થી માંડી  સફળતા સર્વોચ્ચ શિખરે પહોંચવાની તેઓની જીવનસફરની કથા કોઈ રોમાંચક  ફિલ્મી કહાનીથી જરાય ઉતરતી નથી. તેમની સંઘર્ષ ગાથા લખવા બેસીએ તો પુસ્તકો લખાય એમ છે પરતું આજે વાત કરવી છે તેમની દાતારવૃત્તિની ! સમાજ પાસેથી મેળવી સમાજને જ અર્પણ કરવાની ઉદાર વૃત્તિની !  

        એક કલાકાર પચાસમા  વર્ષે નિર્ધાર કરે કે હવે કાર્યક્રમો થકી જ પણ આવક થાય એ આવકની એકપણ પાઈ પોતાના માટે ન વાપરતાં સમાજ માટે નિઃસ્વાર્થ ભાવે  દાન કરી દેવી ! આવો વિચાર આવે અને એને અમલમાં મૂકી અને આવકની પાઈ પાઈના  હિસાબનું સરવૈયું સમાજ સામે મૂકી દવેનું કામ તો જગદીશ ત્રિવેદી જેવી કોઈ વિરલ વ્યક્તિ જ કરી શકે !   

         એક વિચારે  જગદીશભાઈ ત્રિવેદીના જીવનની દિશા જાણે બદલી નાખી.  જીવન પરિવર્તનની એ પળને યાદ કરતાં જગદીશભાઈ જણાવે છે કે  તેમના શબ્દોમાં : ૨૦૧૨ ના ઓક્ટોબર માસમાં મારી વર્ષગાંઠ હતી અને સદભાગ્યે એ આખો દિવસ અમેરિકામાં એકલા રહેવાની તક મળી એટલે જાતનો સંગ કર્યો. મન વિચારોના વંટોળે ચઢ્યું. વીતેલી જિંદગીનું સરવૈયું કાઢ્યું તો નજરે પડ્યું કે અત્યાર સુધીમાં ૪૫ દેશોના પ્રવાસો કર્યા, ૩૫ પુસ્તકો લખ્યાં અને ૨૦૦૦ થી વધુ કાર્યક્રમો કર્યાં. વિચાર આવ્યો કે મારા જેવા સામાન્ય ઘરના સામાન્ય માનવીને અમેરિકા, યુકે, આફ્રિકા, મિડલ ઇસ્ટ, પાકિસ્તાન જેવા દેશોમાંથી હાસ્યના કાર્યક્રમો માટે આમંત્રણ મળે, મોં માગ્યા પૈસા મળે અને છાતીનાં બટન તૂટે એટલાં માન મળે એનાથી વિશેષ શું અપેક્ષા હોઈ શકે ? લાગ્યું કે ઘણું મળ્યું. ત્યાં અંદરના ઊંડાણમાંથી એક અવાજ ઊઠ્યો. ‘જગદીશ, આ બધું ક્યાં સુધી? પૈસા-પ્રસિદ્ધિ માટેની દોડના અંતે શું ક્યાં સુધી જાત કે પરિવારના ભૌતિક સુખ માટે દોડીશ?’  આવું મનોમંથન આખો દિવસ ચાલ્યું. આ વિચારયાત્રાના અંતે સમજાયું કે સંપત્તિનાં જેટલાં મીંડા વધશે એટલી જીવનની શૂન્યતા વધશે. આ પળે એક જબરજસ્ત નિર્ણય લેવાયો જેણે મારી જિંદગીની દિશા અને દશા બદલી નાખી .

      જગદીશભાઇનો નિર્ણય હતો કે આવનારાં પાંચ વર્ષ એટલે કે ૫૦ વર્ષની ઉંમર સુધી પરિવાર માટે કમાઇશ અને પછી જીવીશ ત્યાં સુધી સમાજ માટે કમાઇશ. જીવનમાં શૂન્યતા આવે નહીં એ માટે એમણે પોતાના બેન્ક એકાઉન્ટમાં મીંડાં ઉમેરવાને બદલે થનારી તમામ આવક સમાજના વિકાસ માટે સમર્પિત કરી દેવાનો પાકો નિર્ણય લઈ લીધો. અમેરિકાથી પાછા આવી આ સંકલ્પ પરિવાર અને મિત્રો સમક્ષ રજૂ કર્યા બાદ જાહેરાત કરી કે ૧૦-૧૨-૨૦૧૦ પછી આવકનો એક રૂપિયો ઘેર નહીં લઇ જઉં . પોતાના હતા એમને આશ્ચર્ય થયું અને દૂરના હતા એમને શંકા-કુશંકા થઈ. કોઈને દંભ દેખાયો તો કોઈને માર્કેટિંગ સ્ટ્રેટેજી દેખાઈ. કોઈને ઈર્ષ્યા થઈ તો કોઈને ટીકા કરવાનું બહાનું મળ્યું. પરંતુ જેમનો નિર્ણય અફર હતો એવા જગદીશભાઈના પેટનું પાણી પણ હાલ્યું નહીં. ટીકાઓની અવગણના કરી એ તો પોતે કંડારેલા માર્ગ ઉપર સડસડાટ આગળ વધવા માંડ્યા. ૨૦૧૬માં પોતાની બંને માતાઓના નામને સાંકળતું ‘ઊર્મિ-સરોજ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપ્યું. આ ટ્રસ્ટના હેતુમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેની સેવાઓ પાયામાં રાખી હતી.

          જગદીશભાઇ કહે છે : ૨૦૧૦ માં મારી અડધી સદીનાં ઓવારણાં નામનો કાર્યક્રમ સુરેન્દ્રનગરમાં યોજાયો હતો, ત્યારે દેશ-પરદેશથી 300 વિશિષ્ટ વ્યક્તિઓ સાથે ૩૦૦૦ થી વધુ માણસો આવ્યા હતા. બધાની વચ્ચે મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જીવીશ ત્યાં સુધી સફેદ કપડાં પહેરીશ, વાળ કાળા કરીશ નહીં અને કાર્યક્રમોની આવકમાંથી એક રૂપિયો ઘેર નહીં લઇ જાઉં. મોરારિ બાપુની હાજરીમાં આવી જાહેરાત કરવી એ નાનીસુની વાત ન હતી, પરંતુ સમાજ સમક્ષની મારી આ જાહેરાત મારા નિર્ણયને અમલમાં મૂકવા માટેનું પ્રેરકબળ હતી. હું માનતો હતો કે એક મર્યાદા સુધી સંપત્તિ માણસને સાચવે છે અને ત્યાર બાદ માણસ સંપત્તિને સાચવે છે. મને એ પણ સમજાણું હતું કે મોટા ભાગના સુખી લોકો પોતાના પૈસા પોતાના માટે વાપરી શકતા નથી અને બીજા માટે છોડી જાય છે. મને થયું કે મારી પાસે જે છે તે મારા અને મારા પરિવાર માટે પૂરતું છે તો આવનારી આવકથી બેન્ક બેલેન્સ વધારી બીજા માટે છોડી જાઉં એના બદલે મારા હાથે જ બીજા માટે વાપરું તો જીવન ધન્ય બની જાય. આ ધન્યતા પામવા મારો સંકલ્પ જાહેર કર્યો કે જેથી પાછીપાની કરવાનો વિચાર પણ ના આવે.

       કમાવાનું છોડવું બહુ અઘરું છે અને એથીય અઘરું છે કમાયેલું વહેંચવાનું, જે જગદીશભાઈએ ડંકાની ચોંટે કરી બતાવ્યું. જ્યારે એમને લાગ્યું કે જીવનનિર્વાહ માટે પૂરતું છે ત્યારે એમણે અર્થોપાર્જનમાંથી નિવૃત્તિ લઇ સત્કાર્યની પ્રશંશનીય પ્રવૃત્તિઓથી જીવનને શણગારી દીધું. એમણે કર્મનો ત્યાગ નથી કર્યો પણ કર્મોના ભૌતિક લાભનો ત્યાગ કરી ગીતાના કર્મયોગને જીવનમાં ઉતારી લીધો છે. તેમની ગણતરી હતી કે ‘નિવૃતિ બાદ પણ હું કાર્યક્રમો કરીશ તો તેનાથી અંદાજે રૂપિયા ૧૧ કરોડની આવક થવાની સંભાવના છે. આ તમામ રકમ દાનમાં આપવાનો મારો નિર્ણય હતો અને એ સાથે મનમાં એ ભાવ પણ હતો કે ૧૧ કરોડથી ઓછી આવક થાય તો મારે મારી સંપતિ વેચીને પણ ૧૧ કરોડ દાન કરવું.’

        જગદીશભાઇ કહે છે : મેં ૨૦૧૭ થી શિક્ષણ માટે શાળાઓના ઓરડા બંધાવવાની શરૂઆત કરી, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં એક, બે કે પાંચ રૂમના ઓરડા બનાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સુવિધા ઊભી કરી આપી. ગામડાંઓમાં બિસ્માર હાલતની શાળાઓમાં ભણાવવાનું કામ મુશ્કેલ છે અને એટલે લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક શાળાઓનો કાયાકલ્પ કરી દીધો છે. આ ઉપરાંત ગરીબ અને હોંશિયાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, ફી અને ભણવા માટેના પુસ્તકો આપી પ્રોત્સહિત કર્યાં છે. આજે અનેક વિદ્ધાર્થીઓ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી સન્માનપૂર્વક જીવી રહ્યા છે જેનો મને ખૂબ આનંદ છે. આજે તબીબી સારવાર મોંઘી થઈ છે, સરકારી સહાય બધાને મળતી નથી ત્યારે ગરીબ દર્દીઓને સારવાર માટે સહાય અને સારી હોસ્પિટલોને પણ નાણાકીય સહાય આપવાનું મેં શરૂ કર્યું હતું. આવી સહાયથી અનેક દર્દીઓને સારવાર માટે નિમિત્ત બનાયું છે. આ સહાયનો લાભ માત્ર ગુજરાત પૂરતો જ નથી પરંતુ ઘણાં રાજ્યો સુધી પ્રસર્યો છે. અત્યાર સુધીમાં રૂપિયા ૪,૩૬,૬૩,૨૫૨ / -નું દાન કરી શકાયું છે એ ખુશીની વાત છે.

        જગદીશભાઇ દર વર્ષે સેવાનું સરવૈયું સમાજ સમક્ષ રજૂ કરે છે. જેમાં એમને કયા કાર્યક્રમમાંથી કેટલી આવક થઇ અને એ આવક ક્યાં વપરાઈ તેનો પાઈ પાઈનો હિસાબ હોય છે. વાર્ષિક કાર્યક્રમમાં અનેક વિદ્વાનો, સાહિત્યકારો , સમાજસેવકો અને સંતો ઉપસ્થિત રહી જગદીશભાઇની યાત્રાને બિરદાવે છે એટલું જ નહીં અન્યને પ્રેરણા આપે છે.

       ડૉ. જગદીશ ત્રિવેદીના જીવન-કવન આધારિત પુસ્તક વંદુ એ જગદીશને અને સેવાનું સરવૈયુંના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ ૧૭ મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ  સુરેન્દ્રનગરના આંગણે યોજાયેલ ભવ્ય સમારંભના સાક્ષી બનવાનો અવસર મળ્યો. માયાળુ માનવી ડૉ બલવંતભાઈ વ્યાસ સાહેબની મહેમાનગતિ માણી. જગદીશભાઈની ભાવનાને મનોમન વંદી રહ્યો. ગુજરાતના વિચારપુરુષ ગુણવંત શાહ જગદીશભાઈની દાતાર વૃત્તિને બિરદાવતાં લખે છે કે જગદીશ ત્રિવેદી જેવા સંસારી સાધુઓની સંખ્યા વધે, તો સમાજની આર્થિક અને માનસિક ગરીબી જરૂર ટળે

-           ઈશ્વર પ્રજાપતિ


2 comments:

  1. ખરેખરા......દાનવીર.......કર્ણ સમા..... કોટી કોટી વંદન તેમને..

    ReplyDelete
  2. Jagdish Trivedi is not a only artist.but he is socialist.Educations faciliter.Good Iswerbhai.

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts