Sunday, July 10, 2022

સન્ડે સ્પેશિયલ 25

 શૈલેષ રાવલની એક એક ક્લીક સાથે કેટકેટલું વૈવિધ્ય ભાવી માટે ભૂતકાળ થતું અટકીને રોકાઈ ગયું છે, ક્ષણમાં થંભી ગયું છે.



          ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવનાર  સુપ્રસિદ્ધ ફોટો જર્નાલિસ્ટ શૈલેષ રાવલે કોરોનાકાળમાં આપણા સૌ  વચ્ચેથી અણધારી  વિદાય લીધી. ગુજરાતી અખબારોથી માંડીને ઇન્ડિયા ટુડે જેવા દેશના પ્રતિષ્ઠિત સામયિકો માટે મિશન મોડમાં કામ કરનારા શૈલેશ રાવલ એક ઉમદા ફોટો જર્નાલિસ્ટ  હતા. તેનના કેમેરાની એક એક ક્લીકે વહેતા સમયને આવનારી પેઢીઓ માટે ક્ષણે ક્ષણ  થીજવ્યો છે. દૃશ્યને કચકડે કંડારવાની એવી આગવી કુનેહ તેઓએ હસ્તગત કરી હતી કે અખબાર કે સામયિકમાં છપાયેલા ફોટો જોઈને જ વાચકો સમજી જતા કે આ કરતબ શૈલેષ રાવલનું જ હોવું જોઈએ. જેમની તસ્વીરો જ એમની ઓળખ હતી એવા શૈલેષ રાવલનો  આજે જન્મ દિવસ છે. ત્યારે ઉત્તર ગુજરાતના એક ખોબા જેવડા ગામના એક સાધારણ પરિવારમાંથી આવેલા શૈલેષ રાવલની ફોટો જર્નાલિઝમ ક્ષેત્રે શૂન્યથી શિખર સુધીની રોમાંચક યાત્રા અહી પ્રસ્તુત છે.

       મહેસાણા પાસે આવેલું રાંતેજ  શૈલેષ રાવલનું  મૂળ વતન. સાદગી અને શિસ્ત પ્રિય શિક્ષક દંપતીના ખોરડે  10 જુલાઈ 1963નાં રોજ શૈલેશ રાવલનો જન્મ થયો. તેમના માતા-પિતા બંને શિક્ષક- શિક્ષિકા  એટલે શિક્ષણ અને સંસ્કાર ગળથૂથીમાંથી જ મળ્યા. શૈલેષભાઈથી નાના બે ભાઈઓ અને અને એક બહેન એમ ભર્યો ભાદર્યો પરિવાર. પિતા બાબુભાઈ વતન છોડી અમદાવાદ સ્થાઈ થયા. એટલે શૈલેશભાઈનું શિક્ષણ અમદાવાદમાં થયું. શાળાના અભ્યાસકાળ દરમિયાન એક સાધારણ વિદ્યાર્થી રહ્યા પણ કોલેજકાળમાં તેજસ્વી વિદ્યાર્થી તરીકે ઝળકી ઉઠ્યા.  એન.એએસ.એસ. ની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા અને ત્યાં થી પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દી ઘડવાનાં બીજ રોપાયાં. ૧૯૮૩માં    કોલેજકાળથી જ આપબળે કમાણીની પ્રબળ ઇચ્છાથી પ્રાઇવેટ કંપનીમાં માત્ર ૩૦૦ રૂપિયામાં નોકરી કરી . ૧૯૮૫ માં બી.કોમ પૂરું કર્યું. અને ભવન્સ કોલેજમાં ડીપ્લોમા ઇન જર્નાલિઝમનો કોર્સ શરૂ કર્યો. ૧૯૮૭ માં આ કોર્ષ પૂરો કર્યો ત્યાં સુધી કેમેરો શું ચીજ છે તેનું કોઈ જ જ્ઞાન હતું નહિ.

            પત્રકારત્વના ભાગ રૂપે એક કેમેરો સાથે હોય તો સારું. એવા વિચારે  ૧૯૮૭ માં ૭૦૦ રૂપિયા પગાર હતો ત્યારે ૧૦૦૦ રૂપિયાની બચત કરીને ઘરઘરેલુ કેમેરા ખરીદ્યો ત્યારે આખા ખાનદાનમાં કોઈનેય ફોટોગ્રાફીનો ફ ' પણ આવડતો નહોતો.  ૧૯૮૮ માં નવગુજરાત મલ્ટીકોર્સમાં ફોટોગ્રાફીનું પ્રાથમિક જ્ઞાન મેળવ્યું . એક તો પત્રકારત્વનો આત્મા અને તેમાં ભળી ફોટોગ્રાફીની આંખ. પછી તો મંઝીલના એક પછી એક પગથિયાં ખૂબ જ ઝડપથી પસાર કરવા લાગ્યા . સંદેશ અખબારના  સ્વ . ચીમનભાઇ પટેલે   એક  નવા નિશાળીયા કેમેરામેનને ફોટોગ્રાફી જર્નાલીસ્ટ તરીકે અવકાશ આપ્યો.  રિપોર્ટિંગ અને ફોટોગ્રાફી કરવા માટે, પત્રકારત્વ જગતમાં ઊભા રહેવા માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું.  એક દિવસ ગુજરાત સમાચાર તંત્રીશ્રી શ્રેયાંશભાઈની નજર શૈલેશ રાવલ  પર ઠરી. અને પછી તેઓ  ગુજરાત સમાચારમાં જોડાયા. અહી પણ માતબર કામ કર્યું.

        શૈલેષ રાવલનીની કેરિયરમાં મહત્વનો વળાંક ઉદય મહુરકરના પરિચયથી આવ્યો જે એને ઇન્ડીયા ટુડેના રાષ્ટ્રીય પ્લેટફોર્મ પર લઇ ગયો.  સ્વાભાવિક જ ઇન્ડીયા ટુડેનો એનો પગાર ગુજરાતના કોઈ પણ છાપાના ફોટોગ્રાફરથી વધુ હતો. શૈલેષ રાવલ  પહેલા પગારની સ્લીપ લઈને  જાણીતા અખબારના તંત્રી  પાસે ગયા  અને ગર્વથી સ્લીપ બતાવીને કહ્યું, કે ગુજરાતના મોટામાં મોટા ફોટોગ્રાફરથી વધારે મોટો મારો પગાર છે. ત્યારે એ તંત્રી  એ કહ્યું હતું કે આ તમારી  પગારસ્લીપ  અમારા કોઈ ફોટોગ્રાફરને બતાવશો નહિ.

       ઉત્તર ગુજરાતના સાવ સામાન્ય શિક્ષક પરિવારનું સંતાન અને આપબળે કઠોર પરિશ્રમથી એમણે  રાજ્ય અને પછી રાષ્ટ્રીય કક્ષાએ  મીડિયામાં પોતાનું આગવું નામ ઉભું કર્યું.. એના મૂળમાં  તક ઝડપી લેવાની એમની આવડત અને ધગશ પણ ખરી.

         હંમેશા નોખા ચીલે ચાલનારા શૈલેષ રાવલે  ફોટોગ્રાફર તરીકે પણ દિવ્ય ભાસ્કરમાં ફોટો નિબંધોથી આગવી ઓળખ ઉભી કરી. ફૂલછાબમાં કોલમ લેખક તરીકે ગૌતમ અદાણીથી અને પંકજ પટેલથી માંડીને અજાણ્યા રત્નોને પણ આગવી ભાષા અને તસવીર સાથે લોકો સમક્ષ રજુ કર્યા. કેટલા બધા પુસ્તકો કર્યા. શૈલેષ રાવલનું  સ્વપ્ન હતું, ગુજરાતમાં ફોટો જર્નાલીઝમની યુનીવર્સીટી શરુ કરવી. એણે કોલેજ કક્ષાએ એકલે હાથે પ્રયત્ન કર્યો પણ સફળતા ના મળી. જો કે નિષ્ફળતાથી હારે એ શૈલેષ રાવલ  નહિ. એમને  હાર્યા વિના થાક્યા વિના પ્રયાસો ચાલુ રાખ્યા. તેઓ કહેતા   હું તો ખેડૂત છું, ખેતી કર્યે રાખું છું. શૈલેશ રાવલ  હકીકતમાં એમના  વતનમાં એક ખેતર પણ ખરીદેલું અને નિયમિત ત્યાં ખેતી કરવા જતા.

          કેટકેટલું વૈવિધ્ય શૈલેષ રાવલની એક એક ક્લીક સાથે ભાવી માટે ભૂતકાળ થતું અટકીને રોકાઈ ગયું છે, ક્ષણમાં થંભી ગયું છે. બાર વર્ષનો સચિન. ચરસોમી વિકેટ લેતો કપિલ, બીલીયાર્ડનો બાદશાહ ગીત શેટી, ગુજરાતના નવ મુખ્યમંત્રી શ્રીઓની તાજપોશી, જેવા એક એક દૃશ્યો, મધર ટેરેસા, વર્ગીશ કુરિયન. રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, અટલ બિહારી વાજપાઇ અડવાણી નરેંદ્ર મોદી કેટકેટલા ચહેરા તેમની ક્લિક વાટે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય જર્નાલિઝમમાં ઝળકતા  રહ્યા.  ટાઈમ મેગેઝીન, ધ ઇન્ડીપેન્ડેન્ટ લંડન, નેશનલ જીઓગ્રાફી ટ્રાવેલ મેગેઝીન, પ્રિવેન્સન, રીડર ડાઈજેસ્ટ ફોર્બસ જેવા અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય અખબારો, મેગેઝીનોના પાને શૈલેષ રાવલની ક્લીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

        શૈલેષ રાવલે ક્લિક કરેલી કેટલીય તસ્વીરો તો અમર થઇ ગઈ પરંતુ તેમને નિહાળેલી અને ક્લિક કરતાં આંગળી જ ન ઉપાડી હોય હૃદય હચમચાવી નાખે એવાં  દૃશ્યો એમણે છેલ્લા શ્વાસ સુધી હૃદયમાં સાચવી રાખ્યાં. આવી જ એક દર્દભરી હૃદય દ્રાવક ક્ષણ તેમણે કેમેરે તો ન જ કંડારી પણ સ્મૃતિ પટ પરથી ક્યારેય મિટાવી શક્યા નહિ.

            શૈલેષ રાવલે એક ઈન્ટરવ્યુંમાં આ દર્દનાક પ્રસંગ વર્ણવતાં કહ્યું હતું કે   પીઠોરા  એક આદિવાસી – વનવાસી પરંપરા છે. પીઠોરા વનવાસીના દેવ છે. પંચમહાલના રીંછ અભ્યારણના વિસ્તારમાં પત્રકારના કાર્ય નિમિત્તે ‘વનવાસીની વિટંબણા’ વિષયની એક સ્ટોરી કવરેજ માટે તૃપ્તિ સોની સાથે જવાનું થયું.

    ભરબપોરે વૃક્ષના આ છાયડા નીચે અમને એક માનવદેહ નજરે ચડ્યો. એનો દેહ ખૂલ્લો હતો. અમને જોઈને એ છાંયડાને પોતાના કપડા તરીકે વિંટવા મથામણ કરતો હતો. નજીક જતા જણાયું કે કોઈ પચાસેક વર્ષની આધેડ સ્ત્રી અમારાથી મોં ઢાંકીને શરીરે વસ્ત્રો ઢાંક્યા જેવો વ્યર્થ પ્રયાસ કરતી હતી. ક્ષણમાં લાગ્યું કે કોઈ માનસીક બીમાર કે અર્ધ પાગલ સ્ત્રી હશે જેને શરીર ઢાંકવાનું ભાન નહીં હોય. તૃપ્તીની સ્ત્રી સહજ કે પત્રકારત્વસહજ પૂરછા પછી બાજુની ઝુપડીમાંથી જે બહેને જે કથા કહી તેનો સાર એવો હતો કે આ બાઈ નાનપણથી જ આજે છેક પચાસ પુરા કર્યા ત્યાં સુધી શરીર પર એક પણ કપડું પહેરતી નથી કેમ કે જન્મી ત્યારે તેના મા-બાપે પિઠોરા ઉજવીને વસ્ત્ર પહેરાવવાની માનતા માની હતી . સમયના કાળચક્રમાં તેના મા - બાપ માનતા પુરી કરે તે પહેલાં જ સંસાર છોડી પરલોક સિધાવ્યા, દિકરી મોટી થતી ગઈ . સમય સરકતો ગયો. સગા સંબંધીઓ પણ આ માનતા પૂરી કરવામાં સહભાગી ન થયા. દિકરી પિઠોરા ઉજવી શકે તેવી પરિસ્થિતીમાં આવે તે પહેલાં નિવસ્ત્ર શરીર તેની આદત બની ગયું. સમાજે ઘ્યાન ન આપ્યું કે શું થયું તે ખબર નથી પણ પિઠોરા ઉજવવાની રાહમાં પચાસ પૂરા થયા. લાચારી,  દુઃખ, સામાજીક સમસ્યા , કૌટુંબીક સમસ્યા, એકલાપણું, જે હોય તે પણ તે બાઈ અર્ધપાગલ પણ ન હતી. માનસીક નબળાઈ પણ તેની આંખમાં ડોકાતી નહોતી. માત્ર પિઠોરા ન ઉજવ્યાનું છુપું દર્દ તેની આંખોમાં છલકાતું હતું અને તે દર્દ કોઈની નજરે ન ચડે તેમ તે આંખો છુપાવતી નીચું માથુ કરી સુનમુન બેઠી હતી- છેલ્લા પચાસ વર્ષથી. તેની મૌન સહન કરવાની તાકાત સામે હું અને મારો કેમેરો બંને લાચાર બની રહ્યા.

ટીએ આ લાચારી ક્લિક કરવાની મારી બધી તાકાત ધ્વંશ થઇ ગાઈ હતી. મેં એકપણ ક્લિક કર્યા વગર સમયને ત્યાંથી સરી જવા દીધો. અને હું પણ ધીમેથી પાછલા પગે સરકી ગયો –વગર ક્લિકે.

         આવી ક્લિક કરવાનું કોઈએ નોકરીના ભોગે દબાણ કર્યું હોત તો તે ક્ષણે હું નોકરી છોડી દેત પણ ક્લિક કરવાની હિમત ન જ કરત.

        નવોદિત પત્રકારોને પત્રકારત્વના પાઠ ભણતા શૈલેષ રાવલ હંમેશા કહેતા : જે દિવસે તમને સારી, પ્રતિભાશાળી સમાજોપયોગી પોઝેટીવ સ્ટોરી ન મળે તે પછી જ નેગેટીવ સ્ટોરી શોધજો. જીવનભર ક્યારેય તમારે સ્ટોરી વગર રહેવું નહિ પડે. કે નેગેટીવ સ્ટોરી કરવાનો વારો નહિ આવે. કેમ કે સમાજમાં ચારેય બાજુ એટલી સારી વાતો છે કે નબળી – નકારાત્મક વલણ ધરાવતી સ્ટોરી કરવાની જરૂર જ નહિ પડે.   


           શૈલેષ રાવલ માટે સંતોષની મોટામાં મોટી વાત દીકરા ધ્વનીતને હોનહાર પાયલોટ બનાવ્યો તે હતી. ધ્વનીતે પોતે કોક્પીટમાં બેસીને માં-બાપને ચાર્ટર્ડ ફ્લાઈટમાં હવાઈ સફર કરાવી એ શૈલેષ રાવલના જીવનની સર્વોચ્ચ ક્ષણ હતી. શૈલેષભાઈના સ્વભાવની સાદગી  અને ઋજુતા તેમના પુત્ર  ધ્વનિતમાં સહજ રીતે જ ઝીલાઈ છે. પુુુુલવામા એટેક દરમિયાન ઈજાગ્રસ્ત સૈનિકોને ઐર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોચાડવામાં ધ્વનિત રાવલની મહત્વની ભૂમિકા રહી હતી. અને કોરોના કાળ દરમિયાન પણ  અનેક દર્દીઓના જીવ બચાવવામાં પણ  એર એમ્બ્યુલન્સ દ્વારા ધ્વનિત રાવલ અગ્રેસર રહ્યા હતા. 

           23 એપ્રિલ 2021ના રોજ સિવિલ હોસ્પિટલના સ્ટ્રેચર પર શૈલેષ  રાવલે અંતિમ શ્વાસ લીધા.   પત્રકાળ જગત અને પરિવાર માટે આ સૌથી મોટો આઘાત હતો. તેમની વિદાયને સવા થવા આવ્યું એમાં છતાં સૌ પત્રકારો એક યારબાજ મિત્ર અને એક હોનહાર ફોટોગ્રાફર જર્નાલીસ્ટ તરીકે હંમેશા યાદ કરે છે.   

           પત્રકાર જગતમાં શૈલેષ રાવલની ખોટ તો ક્યારેય પૂરી શકાશે નહિ. પરતું આજે તેમનો જન્મ દિવસ છે ત્યારે  તેમને શબ્દાંજલિ અર્પણ.

-ઈશ્વર પ્રજાપતિ

9825142620

1 comment:

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts