Sunday, July 17, 2022

સન્ડે સ્પેશિયલ - 26

 જ્યારે અમદાવદમાં એકધારો 52 ઇંચ વરસાદ ખાબક્યો, ત્યારે શહેરનો હાલ જાણવા ધોધમાર વરસતા વરસાદ વચ્ચે સરદાર પટેલ શહેરની સડકો પર આખી રાત ફરતા રહ્યા.


 
 

                રાષ્ટ્ર પર, રાજ્ય પર કે કોઈ શહેર પર કુદરતી કે માનવ સર્જિત કોઇપણ આફત આવી પડે છે ત્યારે સરદાર પટેલનું સ્મરણ થયા વિના રહેતું નથી. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૨ થી ૧૮ ઇંચ જેટલા ખાબકેલા  વરસાદે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારોનું જાણે  જનજીવન ખોરવી નાખ્યું. અમદાવદ જેવા આધુનિક શહેરના રહેણાંક વિસ્તારમાં કમર સુધી પાણી ભરાયાં. કેટલાય પરિવારોની સ્થિતિ દયાજનક બની. આવા સમયે સરદાર સાહેબ જ્યારે અમદાવાદ મ્યુનિસિપલિટીનાં પ્રમુખ હતા ત્યારે અમદાવાદ અને ખેડામાં પૂર જેવી સ્થિતિમાં સરદાર સાહેબે વરસતા વરસાદમાં તાબડતોબ પગલા લીધા સ્વાભાવિક રીતે જ તેનું સ્મરણ થઇ આવે છે.

          વર્ષ ૧૯૨૪ ની સાલમાં સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપલિટીના પ્રમુખ બન્યા.  વાત છે તારીખ  ૨૩ જુલાઈ ૧૯૨૭ ની !   શનિવારે સાંજે અમદાવાદમાં મુશળધાર વરસાદ શરૂ થયો. ભારે વરસાદ પડ્યા પછી રવિવારે એવું લાગતું હતું કે વરસાદ રહી જશે. પણ વરસાદ અટકચો નહીં. રવિવારે સાંજથી ભારે વરસાદ સાથે પવનનાં જોરદાર ઝાપટાં શરૂ થયાં. વલ્લભભાઈ ઘરમાં એકલા હતા. મણિબહેન ગાંધીજી અને કસ્તૂરબા જોડે દક્ષિણ ભારતમાં આવેલી નદી ટેકરીઓમાં ગયાં હતાં અને ડાહ્યાભાઈ પણ બહારગામ હતા. વલ્લભભાઈ રવિવારે રાત્રે સુઈ શક્યા નહીં. મધરાતે પથારીમાંથી ઊઠીને ઘરની બહાર નીકળ્યા અને શહેરની સ્થિતિ જોવા જવાનું ઠરાવ્યું. વરસાદ અને પવન જોડે જોડે વીજળીના કડાકા થવા લાગ્યા હતા. પોતાની જોડે કોઈ હોય તો સારું તેવું લાગવાથી તેમણે હરિલાલ કાપડિયાનો દરવાજો ઠોક્યો. કાપડિયાએ બારણું ખોલ્યું ત્યારે પૂરેપરા પલળી ગયેલા વલ્લભભાઈએ બીજી વાત થતાં અગાઉ ચા બનાવી લાવવાનું કહ્યું.


                વલ્લભભાઈએ કપડાં બદલ્યાં અને કાપડિયાએ ચા બનાવી. શહેરના જુદા જુદા વિસ્તારની સ્થિતિ જાતે નિહાળવા માટે કાપડિયાએ પોતાની જોડે આવવું તેવું વલ્લભભાઈએ કહ્યું. કાપડિયાના ઘરની દીવાલો પણ વરસાદ અને પવનના ઝપાટાથી હચમચી  હતી અને ક્યારે પડી જાય તે કહી શકાય તેમ ન હતું. છતાં કાપડિયા સરદાર પટેલ જોડે ઊપડ્યા. બંને જણ સવાર સુધી ( જુલાઈ ૨૫ ) ફર્યા પણ વરસાદ તો ક્ષણભર પણ અટકયો નહીં. મ્યુનિસિપાલિટીના કમિશનર ગોરેના ઘેર બંને જણ પહોંચ્યા અને ગોરેને ઉઠાડ્યા. ત્રણે જણ મ્યુનિસિપાલિટીની ઑફિસે પહોંચ્યા. અધિકારીઓ અને કર્મચારીઓને તાબડતોબ બોલાવવામાં આવ્યા અને દરેકને સૂચના આપવામાં આવી. નાળાંઓ મોટાં કરવામાં આવ્યાં અને પાણી વહી જવા માટે એક નાળા પરનો રસ્તો વલ્લભભાઈના હુકમથી તોડી નાખવામાં આવ્યો. વરસાદ અટકચો નહીં. અને હવે આ વરસાદ  જુલાઈની ૨૯ મી સુધી ચાલુ રહેવાનો હતો.

           વરસે 30 ઇંચ વરસાદ પડે તેવા અમદાવાદમાં સતત છ દિવસમાં 52 ઇંચ વરસાદ પડ્યો. ત્રણચાર દિવસ સુધી સતત કામ કરતા રહીને વલ્લભભાઈ અને ગોરેએ પૂરપાટ વહેતા પાણીને વહી જવાના રસ્તા કરી આપવા અને કાટમાળ ખસેડવા માટે ભગીરથ પ્રયાસ કર્યાં. રેલવે, ટપાલ કે તારની અવરજવર અટકી પડી હોવાથી અમદાવાદની બહાર શું થઈ રહ્યું છે તે જાણવાનું કામ શરૂઆતમાં અશક્ય થઈ પડ્યું હતું. અમદાવાદના કલેક્ટરે સંકોચ છોડીને સામે ચાલીને વલ્લભભાઈની મદદ માગી. તેમણે જણાવ્યું કે ખેડા જિલ્લામાં પરિસ્થિતિ ગંભીર છે. મોટા ભાગનો વિસ્તાર ત્રણથી ચાર ફૂટ પાણીમાં ડૂબી ગયો છે. ખેડા શહેરના તમામ લોકો ઘરબાર છોડીને કલેકટરનો બંગલો હતો તે ઊંચાણિયા પર ચડી બેઠા છે અને તેમને ખોરાક પહોંચાડવાની તાત્કાલિક જરૂર છે . વલ્લભભાઈ કંઈ કરશે ? વલ્લભભાઈ તૈયાર હતા. ચોખા, ઘઉં, ખાંડ અને કેરોસીન મોટા પ્રમાણમાં એકઠાં કરીને વલ્લભભાઈએ સામાન અને સ્વયંસેવકોને રેલવે સ્ટેશને પહોંચાડ્યા ; ત્યાંથી ગમે તેમ કરીને તેઓ મહેમદાવાદ પહોંચ્યા, અને પછી તેમને ખેડા પહોંચાડવામાં આવ્યા. કલેકટર રેજિનાલ્ડ મેક્સવેલે સામાન અને સ્વયંસેવકોને ‘ગેબી આશીર્વાદ’ તરીકે આવકાર્યા.

            ત્યાર પછીના દિવસોમાં કમરતોડ સમસ્યાનો મુકાબલો કરી રહેલા અત્યંત કુશળ સંયોજક તરીકેનું વલ્લભભાઈનું રૂપ જોવા મળ્યું. ઊભો પાક અને ઢોરઢાંખર તણાઈ ગયાં હતાં. લોકો ભૂખે મરતા હતા અને ૭૫,૦૦૦ ઘર પડી ગયાં હતાં. આશરો મેળવવા માટે લોકો ઝાડ પર ચડી બેઠા હતા અને સાપ પણ તેમની સાથે ચડ્યા હતા. દ્વાર નદીને કાંઠે આવેલાં ત્રણ ઝાડ પર એકસઠ ભીલો ચડ્યા અને ચાર દિવસ સુધી ડાળીઓને વળગી રહ્યા. પાંચમે દિવસે ભૂખે મરતાં બાળકો, બુદ્દાઓ અને સ્ત્રીઓ જમીન પર પછડાયાં . આ રીતે એકત્રીસ માણસોએ જાન ગુમાવ્યા.

             વરસાદ અટકયો કે તરત જ વલ્લભભાઈએ નક્કી કરેલા કેન્દ્રોમાં સ્વયંસેવકો રેલવાટ અથવા રસ્તે ચાલીને પહોંચ્યા. રસ્તામાં પાણીમાંથી ચાલ્યા, તરીને ગયા અથવા ફુલાવેલી કોથળીઓને સહારે ગયા. સ્થાન પર પહોંચ્યા પછી તેમને મોકલવામાં આવેલાં અનાજ, કપડાં અને દવાઓની સંભાળ લેવાનું અને જરૂરતમંદ લોકોને વહેંચી આપવાનું કામ તેમણે ઉપાડી લીધું. ઘર ભાંગી પડ્યાં હતાં તેની સાથે જૂના ખ્યાલો પણ ખતમ થયા હતા.

          આ સર્વનાશમાં કેટલાંક ગામો સદંતર નાશ પામ્યાં હતાં. તેથી નવી અને વધારે સગવડરૂપ યોજના અનુસાર તેમને નવેસરથી વસાવવાનું કામ શરુ બન્યું. વલ્લભભાઈના સ્વયંસેવકોએ આવાં પાંચછ ગામો ઊભાં કર્યાં. નાણાં ધોધમાર આવ્યાં. શરૂઆતમાં સંખ્યાબંધ નાગરિકોએ નાણાં આપ્યાં . ત્યાર પછી મુંબઈ અને અમદાવાદમાં કૉંગ્રેસ માટે ચાહના ધરાવનાર લોકોએ નાણાં મોકલ્યાં . આખા ગુજરાતમાં વલ્લભભાઈએ જે ઝડપથી રાહતકાર્ય ગોઠવ્યું હતું તેનાથી પ્રભાવિત થયેલી સરકારે પણ મોટી રકમ ફાળવી. સ્વયંસેવકોએ જે જે માગણી કરી તે બધું વલ્લભભાઈએ તાબડતોબ મોકલી આપ્યું. નવા પાક માટેનું બિયારણ, મકાન બાંધવાની સામગ્રી, ખેતી માટેનાં ઓજારો મોકલવામાં આવ્યાં અને પાણીના મૂલે લોકોને આપવામાં આવ્યાં. ‘પેન્સિલથી લખાયેલી નાનકડી ચિઠ્ઠી આવે તોપણ વલ્લભભાઈ બેઠા થઈ જતા. અને તરત જરૂરી મદદ પહોચાડતા.

        સરદાર સાહેબ ૧૯૨૮ સુધી અમદાવાદ મ્યુનિસિપલિટીના પ્રમુખ રહ્યા. ધૂલેટાબાદ તરીકે ઓળખાતા અમદાવાદ શહેરને આધુનિક રૂપ આપવામાં સરદાર સાહેબનો બહુ મોટું યોગાદન છે એ કદી ભૂલવું જોઈએ નહિ.    

(સદર્ભ : સરદાર એક સમર્પિત જીવન – રાજમોહન ગાંધી )

 

-          ઈશ્વર પ્રજાપતિ

-        98251 42620

3 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts