Monday, November 18, 2019

જિંદગી જીંદાબાદ

લોજમાં પીરસણીયા થી લઈ નાટક કંપની માં નોકરી કરી ધરાસભા સુધી ની સફર ખેડાનાર લોકપ્રિય લોકનેતા અંબાલાલ ઉપાધ્યાય

         અરવલ્લી એ અનેક બહુમૂલ્ય માનવ રત્નો સમાજને ભેટ ધાર્યા છે. ઉત્તમ સાહિત્યકરો, હોનહાર પત્રકારો, સેવાવ્રતી ડોક્ટર્સ, સમર્પિત શિક્ષણવિદો, કેળવણીકરો અરવલ્લીની ધરાએ આપ્યા છે. અને સમસ્ત ગુજરાત ને જ નહીં પરંતુ ભારતની રાજનીતિ ને અદર્શરૂપ લોકનેતાઓ પણ અરવલ્લી ની ધરાની દેન છે. એવું એક નામ એટલે અંબાલાલ ઉપાધ્યાય. મોડાસા તાલુકાનું લીંભોઇ તેઓનું વતન. તાલુકા પંચાયત થી લઈ ધરાસભા સુધી જંગી બહુમતીથી ચૂંટાયા અને પ્રજાકીય સેવા કર્યો થી લોકોના હ્રદયમાં સ્થાન પામ્યા. તેઓની લોકપ્રિયતા એટલી કે જ્યારે કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી નો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે અપક્ષમાં ઊભા રહીને જંગી બહુમતીથી  ધારાસભામાં ચુંટાઈ આવ્યા. સામે પક્ષના તમામ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી પડેલી.
             અંબાલાલ જયશંકર  ઉપાધ્યાય  મોડાસાના એક પૂર્વ ધારાસભ્યની છે . તેઓ બે વાર ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા , બે ટર્મ દરમિયાન એક પણ દિવસ વિધાનસભામાં ગેરહાજર ના રહ્યા . ગૃહમાં પૂરો સમય બેસી કાર્યવાહીનું નિરીક્ષણ કર્યું . હાઉસમાંથી એક પણ દિવસ વોકઆઉટ કર્યો નહીં , ગાંધીનગર જવા - આવવા બસમાં પ્રવાસ કર્યો . વિધાનસભા સચિવાલયે આપેલી રેલવેની કૂપનનો કદી ઉપયોગ કર્યો નહીં . તબીબી સારવાર માટે કદી એક રૂપિયાનું બિલ મંજૂર કરાવ્યું નહીં , સરકારી હાઉસનો એક દિવસ કે એક રાત માટે ઉપયોગ કર્યો નહીં . મતવિસ્તારમાં ઑફિસ , કાર્યાલય માટેનું ભાડું કે સ્ટાફ માટે કદી પગાર લીધો નહીં . મતવિસ્તારના એક પણ વ્યક્તિને કામ માટે ગાંધીનગર આવવું પડતું નહીં . આવા નેતાઓ - ધારાસભ્યો કેટલા??
      અંબાલાલ ઉપાધ્યાય પોતે ઉમદા લેખક પણ છે.  'મારી જીવનયાત્રા'  નામે  જાહેર જીવનના અનુભવો અને પોતાના જીવનની સંઘર્ષ ગાથાનું પુસ્તક પણ લખ્યું છે. એમની જીવનકથા એમના જ શબ્દો . વાંચો :
         "  પૂનમના રોજ જન્મ થયો એટલે જન્મ થતાં જ પૂનમ નામ પડી ગયેલ જે પ્રાથમિક શાળામાં નામ દાખલ થતાં સુધી ચાલુ રહેલ. મેઘરજથી આવેલા માસાએ જન્મસમયની કુંડળી બનાવી ગ્રહ જોઈ કહ્યું કે પૂનમ નામ બરાબર નથી. ગ્રહો જોતા મેષ રાશિ પર નામ આવે છે એટલે શાળામાં મેષ રાશિ મુજબ અંબાલાલ નામથી પ્રવેશ મેળવ્યો. ત્યારથી અંબાલાલ નામ ચાલુ થઈ ગયું.
          ગામમાં સાત ધોરણ સુધી શાળા હતી. ગામમાં બ્રાહ્મણ જ્ઞાતિના સાઠ ઘર હતાં. બ્રાહ્મણો બધા જ મુંબઈ રસોઈ કામ કરતા હતા. દીકરો ચાર ચોપડી ભણે એટલે તેને મુંબઈ લઈ જઈ રસોઈ કામે લાવી દેવાનો રિવાજ હતો. મારે પણ ચાર ચોપડી પૂરી થઈ એટલે બાપા મુંબઈ રસોઈ કામમાં હતા તેઓએ પોસ્ટકાર્ડ લખી બાને જણાવ્યું કે અંબાલાલને કોઈ મુંબઈ આવતાની જોડે મોકલાવો. બાએ કહ્યું કે તેને સાત ચોપડી સુધી ભણવા દો પછી મુંબઈ મોકલીશું. સાત ચોપડી સુધી સળંગ પાસ થઈ ગયો. સાતમું ધોરણ પાસ થયા પછી ગુજરાતીમાં વર્નાક્યુલર ફાઈનલની છેલ્લી પરીક્ષા ગણાય તો આપવા કલાસના બાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા. વર્નાક્યુલર ફાઈનલની પરીક્ષા આપવા પ્રાંતિજ સેન્ટર હતું ત્યાં જવું પડતું હતું, પરીક્ષા આપવા ગયા ત્યારે બધાનું જમવા માટે સીધું સામાન અને રાંધવાના વાસણ લઈ ગાડામાં ભરી મોડાસા ગયા. સાથે રસોઈ કરનાર લીધા. એક શિક્ષક અમારી જોડે આવ્યા હતા. મોડાસા જઈ ત્યાં તલોદ જવા માટે ખાનગી બસમાં બેસી ગયા. જિંદગીમાં પ્રથમ વખત આગગાડી જોઈ આવડી મોટી આગગાડી ચાલે કઈ રીતે તે વિચારે તો અચરજ પામ્યો. ગાડીમાં ઊતરનારા અને બેસનારા ધક્કામુક્કીમાં માંડ સામાન ચઢાવી ચાલુ ગાડીમાં બેઠા. પ્રાંતિજ સ્ટેશન આવતાં ઊતરતાં ચઢનાર અને ઊતરનારની જબ્બર ધક્કામુક્કીમાં ઊતર્યા પણ સામાન ઉતારતાં મારા કપડાં અને પુસ્તકોની પેટી રહી ગઈ અને આગગાડી ઊપડી ગઈ. રેલવે સ્ટેશનથી ઘોડાગાડીમાં સામાન ભરી ગામમાં ઉતારે ધર્મશાળામા ગયા. પરીક્ષા સાત દિવસ ચાલી. મારા કપડાની પેટી આગગાડીમાં જતી રહી હતી એટલે ગામમાંથી ટુવાલ વેચાતો લાવી તે રાત્રે પહેરી કપડાં ધોઈ સૂકવી દેતો હતો.
           પ્રાંતિજમાં હોટલમાં આઈસ્ક્રીમ એક પૈસામાં ડિશ મળે તે લઈ ખાતાં તેના સ્વાદથી અને ઠંડકથી તે ગમી ગયો એટલે સાતે દિવસ એક પૈસો આપી આઈસ્ક્રીમ ખાધો. ઘેર આવતાં મુંબઈ જવાનું ગોઠવાતું હતું એટલામાં મામાની તલોદમાં અંબિકા હિંદુ લોજ હતી ત્યાં તેઓએ મને બોલાવી લઈ માસિક રૂપિયા પાંચના પગારથી પીરસવાના કામે જોતરી દીધો. સવારે પાંચ વાગે જાગી જઈ ભઠ્ઠા સળગાવી તેના પર દાળ અને કઠોળ ચઢાવવા મૂકી દેવાનું. દાળ શાક મસાલા કાઢી દેવાના. અડધો મણ જેટલો ઘઉંનો લોટ મોટી પરાતમાં કાઢી પાણી નાખી લોટ મસળી બાંધવાનો. બાર વર્ષની ઉંમરે ફાવે નહીં, એટલે ઢીંચણોથી ગુંદી બાંધવો પડતો. શાક સમારવા બેસી જવાનું. દસ વાગતામાં રસોઈ થઈ જાય એટલે આગલી રાતની વધેલી ભાખરી કે પૂરી દાળમાં ખાઇ લેવાની. શાક, કઠોળ, ભાત કે રોટલી લેવાની નહીં. સળંગ દોઢ વરસ ત્રાસદાયક સ્થિતિમાં કાઢી કંટાળી ગયેલો પણ મામા ઘેર જવાની રજા ન આપે.
               તલોદમાં ભારત નાટક કંપની આવેલી ૬ માસ સુધી ચાલેલી. ત્યારે તેના માલિક હીરાલાલ ડી. નાયકને રોજ બે વખત જમવાની થાળી આપવા જવું પડતું હતું. નાટકના માલિકે મને મફત નાટક જોવા બેસાડી દે. હું દરરોજ નાટક જોતો હતો. નાટક જવાનું થયું એટલે માલિકે મને કહ્યું કે તારે નોકરી કરવી હોય તો અમો નરોડા જવાના છીએ, નરોડા આવી જજે. મામા પાસે ઘેર દવાનું બહાનું કાઢી માંડ ચાર દિવસ રજા લઈ ભાડાના પૈસા લઈ ગાડીમાં બેસી ઘેર જવાના બદલે નરોડા નાટક કંપનીમાં પહોંચી ગયો. નાટક કંપનીના માલિક મારી પાસે તેઓનું કામકાજ કરાવતા હતા. અઠવાડિયું થયું પણ ઘેર ગયો ન હતો. તલોદમાંય ન હતો એટલે ઘરના ચિંતામાં પડી ગયા. બાપા બીમાર હતા એટલે મુંબઈથી મારા બનેવી શંકરલાલ હીરાલાલ ત્રિવેદીને બોલાવી મારી શોધ ચાલુ કરી. તેઓ મને શોધતા ઓચિંતા નરોડા નાટક કંપનીમાં આવી ગયા મને સમજાવી ઘેર લઈ ગયા. મને મુંબઈ લઈ જઈ રસોઈયા તરીકેની નોકરીએ ચઢાવી દીધો.
              દેના બેન્કના માલિક દેવકરણ નાનજીના દીકરા પ્રાણલાલભાઈની દીકરી કલાબહેન પારેખના ઘેર રસોઈયાની નોકરીએ માસિક રૂ. ૩૦ના પગારથી મૂક્યો. દેના બેન્કના માલિક પોરબંદરના વતની હતા. મહાત્મા ગાંધીજીના નજીકના કુટુંબી હતા એટલે કલાબહેનના ઘેર ગાંધી સાહિત્ય અને છાપાઓ આવતા હતા. રસોઈ પરવારી પુસ્તકો અને છાપાઓ વાંચતો હતો. મુંબઈમાં તે વખતે સ્વાતંત્ર્યની લડત જોશભેર ચાલતી હતી. રોજેરોજ સત્યાગ્રહો થાય. મંદિરે દલિતોના પ્રવેશ માટે સત્યાગ્રહો થાય જેમાં હુંય બેસી જતો હતો. પરદેશી કાપડની હોળી થાય તે રસપૂર્વક જોતો હતો. ચોપાટી પર સભાઓ થતી જેમાં હું હાજર રહેતો હતો. ચોપાટીની સભામાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. બાબાસાહેબ આંબેડકર,જય પ્રકાશ નારાયણ, અશોક મહેતાની સભાઓ સાંભળી હતી. મેં મુંબઈથી ખાદી પહેરવાનું ચાલુ કર્યું હતું.
            15 ઓગસ્ટ 1947  સ્વાતંત્ર્ય દિને હું મુંબઈમાં હતો. આખું મુંબઈ શણગારાયેલું. મુંબઈ શહેરના લાખો માનવીઓએ ગાંડા બનીને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આખું મુંબઈ રસ્તાઓ પર ઊતરી ગયું હતું. ટ્રેન, બસ, વગર ભાડે ત્રણ દિવસને રાત ખુલ્લા મુકાયા હતા. હું પણ રાતભર રખડવામાં ક્યાંય નીકળી ગયા તેની પણ ખબર ન પડી ભૂલો પડી ગયો પણ રહેઠાણની જગા નું નામ યાદ રહી ગયેલ એટલે પૂછી પૂછી બીજા દિવસે સાંજે આવી શક્યો હતો. હોટેલો, લોજોમાં મફત ખાવાની છુટ હતી.
          મુંબઈ પ્રજાકીય મંડળની સભામાં ગયેલ ત્યારે ઈડર સ્ટેટ સામેની લડત માટે ઇડર સ્ટેટના ભીલોડામાં પ્રજા પરિષદ ભરવા નક્કી થતાં મુંબઈના પંદર જેટલા ભાઈઓ પ્રજા પરિષદના પ્રચાર માટે દેશમાં આવ્યા હતા જેમાં હું પણ આવ્યો હતો. દસ દિવસ સુધી પગપાળા ગામડે ફરી પ્રજા પરિષદની પત્રિકાઓ વહેંચી હતી. એ રીતે જાહેરજીવનમાં આવ્યો.
            1940ની સાલમાં રવિશંકર મહારાજ અને પૂજ્ય સંતબાલજીએ મારા લીંભોઈ ગામે રાત્રે જાહેર સભા યોજી હતી. જેમાં આબાલ વૃદ્ધ સૌ ગ્રામજનો હાજર રહ્યા હતા.ઇડર રાજ્યે તેઓને રાજકીય ભાષણ ન કરવાની શરતે પરવાનગી આપી હતી. સભામાં સંતબાલજીએ અને રવિશંકર મહારાજે વ્યસન મુક્તિ, બાળકોને ભણાવવા અને અસ્પૃશ્યતા દૂર કરવા ભાષણ કર્યા. ભાષણ પછી રવીશંકર મહારાજે કહ્યું જે બાળકો શાળામાં ભણતા હોય અને ચા પીતા હોય તેમાંથી ચા ન પીવાની પ્રતિજ્ઞા લે તે બાળક ઊભા થાય. હું ઊભો થયો અને ચા ન પીવાની પ્રતિજ્ઞા લીધી. રવિશંકર મહારાજે મારા માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. બેટા લોકોની સેવા કરજે. તે પ્રતિજ્ઞા મેં ૧૯૮૦માં બીજી વખત વિધાનસભામાં ચૂંટાઈ ગયો ત્યાં સુધી 51 વર્ષ સુધી પાળી."
            એમની ઉંમર 90 વર્ષની છે એમ છતાં આજે પણ પ્રવૃત છે. અવાજમાં સત્ય અને કર્તવ્યનિષ્ઠા નો રણકો છે. હાલ તેઓ તેમના વતનમાં રહે છે. વિધવાઓ, વંચિતો, દિવ્યાંગો ના કામ માટે આજે પણ તેઓ પ્રવૃત છે.   વિધાનસભાની તેઓની કાર્યવાહીથી પ્રભાવિત થઈ વર્ષ 2015 માં  ગાંધીનગર ઓલ ઇન્ડિયા Ex. MLA કાઉન્સિલ પરિષદમાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે તેઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું. 


અંબાલાલ ઉપાધ્યાય સંપર્ક નં. : 98787 48497
લેખન- સંકલન   : ઈશ્વર પ્રજાપતિ
સંદર્ભ : જીવન પ્રકાશ by દેવેન્દ્ર પટેલ
આભાર : નિલેશ જોશી.
    
(આપના પ્રતિભાવ નીચેના નંબર પર whatsapp દ્વારા આપી શકો છો 98251 42620)

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620

5 comments:

  1. પરિશ્રમ એજ પારસમણિ એ આ કહાની પરથી આપણને સમજાય વંદન આવા મહાન વ્યક્તિઓને

    ReplyDelete
  2. Where there is a will, there is a way.. truly motivational.. thanks for sharing about such personality

    ReplyDelete
  3. અંબાલાલ સાહેબ ને કોટી કોટી વંદન 🙏

    ReplyDelete
    Replies
    1. કાતિઁક સુખદેવપ્રસાદ ઉપાધ્યાય

      Delete
  4. पूज्य अंबालाल दादा जय माताजी पोताना ना वचन नी किमत करनार उत्तम मानवी ने शत शत वंदन जय बहु्स्मरणा मां

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts