Monday, May 20, 2019

આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી ભાગ -16

ભાતીગળ લોકમેળા મેળાનો મલક અરવલ્લી જિલ્લો ભાગ : 2



          અરવલ્લી પ્રદેશમાં વસતા લોકો ઉત્સવ પ્રેમી છે. વારે તહેવારે અહીં અનેક સ્થળોએ મેળા ભરાય છે. જ્યાં આસપાસના જિલ્લાના લોકો પણ આનંદ લૂંટવા ઉમટી પડે છે. અરવલ્લીમાં ભરાતા કેટલાક મેળાઓ પૈકી પ્રચલિત મેળાઓનો પરિચય આપને કરાવવો છે. ગત સપ્તાહે શામલાજીના મેળાની વિગતે વાત કરી હતી. આ સપ્તાહે જોઈએ અરવલ્લીમાં ભરાતા અન્ય મહત્વપૂર્ણ મેળાની.

ચાડીયા મેળો
           
          મેઘરજ તાલુકા થી 7 કિલોમીટર બાંઠીવાડા ગામે ફાગણ વદ પાંચમના દિવસે ચાડિયા મેળાનું આયોજન થાય છે. અંબાના મંદિરની આજુબાજુ આ મેળો ભરાય છે. તેમાં મુખ્યત્વે આદિવાસી વસ્તી જોવા મળે છે. આ મેળામાં વર્ષનાં શુકન જોવામાં આવે છે અને આવનાર વર્ષ કેવુ જશે, પરંપરા આધારે  અનુમાન એનું લગાવવામાં આવે છે. 
             આ મેળાની શરૂઆત હોળીના દિવસથી થાય છે. જેમાં હોળીના દિવસે અંબાના મંદિરની બાજુમાં એક સ્તંભ રોપવામાં આવે છે. ત્યારબાદ મકાઈના લોટના ગોળ લાડવા બનાવી કોરા માટલામાં 5 લાડુ મૂકવામાં આવે છે. સ્તંભ સાથેે માંટલાને જમીનની અંદર મૂકી દેવામાં આવે છે. ત્યારબાદ આદિવાસીઓ ચાડિયો બનાવવા સુથાર ને ત્યાં જાય છે. ત્યારથી બાળક આકારનો ચાડીયો બનાવવામાં આવે છે અને હોળીના પાંચમા દિવસની રાત્રીએ લોકો સ્તંભની આજુબાજુ ઢોલ વગાડી અને હોળી ના ગીતો ગાઈ આનંદ ઉત્સાહમાં આવી નૃત્ય કરે છે. 
             પાંચમા દિવસે બાળક સ્વરૂપના ચાડિયાની કપડા પહેરાવવામાં આવે છે અને મેળા ના દિવસે 40 થી 50 ફૂટ ઊંચા સ્તંભ  ઉપર  ચાડીયો લટકાવવામાં આવે છે. ચાડિયો ઉતારતી વખતે સ્ત્રીઓ સ્તંભની આજુબાજુ ગીતો ગાતી હોય છે. દરેક ગામના યુવાનો સ્તંભ પર ચડવા જાય ત્યારે તે સ્ત્રીઓ સોટાથી માર મારે છે. અંતે જે યુવાન સોટાનો માર સહન કરી સ્તંભ પર ચડી જાય તે ગામ બળવાન ગામ તરીકે ઓળખાય છે.

        મેળામાં સ્ત્રીઓ નૃત્ય ગીતો અને ઢોલ વગાડીને વાતાવરણને આનંદમાં ફેરવી છે. ત્યારબાદ માટલાના લાડુ આગેવાનો જુએ છે અને ભવિષ્યની તારવણી કાઢે છે. જો માટલાના લાડુ સંપૂર્ણ પડી ગયા હોય તો વરસાદ સારો અને જો ઓછા પાણીવાળા થયા હોય તો વરસાદ ઓછો થશે તેવી માન્યતા પણ પ્રચલિત છે.
                આ મેળાની શરૂઆત લગભગ ઈ.સ. 1954 - 55 ની આસપાસ થઇ હોવાનું મનાય છે. જેની ગુજરાત ગેઝેટિયરમાં નોંધ કરવામાં આવી છે. બાંઠીવાડા, અજુના, ઈરોલા, ઇરાટીંબા, લાલકંપા ખેવા એવા પાંચ ગામના લોકો આ મેળાનું આયોજન કરે છે. અત્યારે આ મેળો બાર મુવાડા ના મેળા તરીકે પ્રખ્યાત થયેલ છે.

રાલેશ્વર મહાદેવનો મેળો

            આ મેળો મેઘરજ થી લગભગ ચાર કિલોમીટર દૂર પંચાલ રોડની બાજુમાં રાલેશ્વર નામના ગામે મહાદેવનું મંદિર આશરે 700 વર્ષ પુરાણું મનાય છે. રોલા ગામ ની બાજુ ની સીમ માં પર્વતીય વિસ્તારમાં બોરસી તળાવ આવેલું છે.
          આ મેળો રોલા ગામની આજુબાજુના સીમમાં પર્વતીય વિસ્તારમાં મૂળથી તળાવની બાજુમાં ભરાય છે મહાશિવરાત્રી તથા જન્માષ્ટમીના દિવસે મહાદેવના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. મેઘરજ અને આજુબાજુના ગામના લોકો મેળાની મોજ માણે છે. રોલેશ્વર મેળાના વિસ્તારથી થોડાક અંતરે આવેલા વિસ્તારમાં ભાદ્રપદ ના બીજા રવિવારે ઝાલા બાવજીનો મેળો ભરાય છે જેને ઝાલાનો મેળો તરીકે ઓળખવામાં આવે છે.
        પહેલા ગામમાં નાગર બ્રાહ્મણોની વસ્તી વિશેષ હતી પરંતુ ભૂકંપ જેવી કુદરતી હોનારત સર્જાતાં ઘણા લોકો મૃત્યુ પામ્યા આ ઘટનામાં નાગરોનો વિશેષ ભોગ લેવાયો અને જે લોકો બચી શક્યા તે છૂટાછવાયા ગામોમાં ચાલ્યા જઈ વસવાટ કરું ત્યાર બાદ આસ્થાની સમય જતાં નવી વસાહત સ્થપાઇ જેને લોકોએ રાલેશ્વર એવું નામ આપ્યું. ભૂકંપ થવા છતાં મહાદેવના મંદિરની નુકસાન થયું ન હતું. આ મેળાની મુખ્ય વિશેષતા એ છે કે એક વર્ગ પોતાની મસ્તીમાં મસ્ત હોય છે જ્યારે વૃદ્ધ વર્ગ એ જ સમયે મંદિરમાં ભજન કીર્તન માં ડૂબેલા હોય છે. આ મેળામાં લગભગ એક લાખ થી વધુ સંખ્યામાં લોકો આવે છે.
ભવનાથનો મેળો


             અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા મથકથી આશરે છ કિલોમીટર દૂર મઉં ગામે આવેલ ભુવનેશ્વર મહાદેવનું મંદિર અતિ પ્રાચીન મંદિર માનવામાં આવે છે. આ સ્થળ 300 વર્ષ જૂનું હોવાની આધાર શીલાલેખ ઉપર મળે છે. અહીં ભૃગુના પુત્ર ચ્યવન ઋષિનો આશ્રમ આવેલો હતો તેના પ્રત્યક્ષ પ્રમાણમાં ભૃગુકુંડ ઋષિનું મંદિર વગેરે સ્થાપત્યનું સાક્ષી પૂરે છે. 
            લિંગ આકારે પ્રગટ સ્વયંભૂ મહાદેવનું મંદિર શિવભક્તો માટે અનોખા આસ્થાનું કેન્દ્ર છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શિવ ભક્તોની ભારે ભીડ રહે છે. અને શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસો એ અહીં મેળાનું ભવ્ય આયોજન થાય છે સાબરકાંઠા અને અરવલ્લીના અનેક ગામોના લોકો અહીં મેળો માણવા ઉમટી પડે છે. 

ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરી 

            ઝાંઝરી અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા ડાભા ગામની ન઼જીકમાં જંગલ વિસ્તારમાં આવેલું છે. ડાભા ગામ થી આશરે ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે આવેલા આ મંદિર થી તાલુકા મથક બાયડનું અંતર આશરે ૧૬ કિલોમીટર અને દહેગામનું અંતર આશરે ૩૨ કિલોમીટર જેટલું થાય છે. દહેગામ થી બાયડ જતો રાજ્ય ધોરી માર્ગ અહીંથી ૫ (પાંચ) કિલોમીટર જેટલો દૂર છે.
       જન્માષ્ટમી અને શિવરાત્રિ પર્વ પર અહીં મેળો ભરાય છે. જ્યાં હજારો ની સંખ્યામાં લોકો ઉમટી પડે છે. 
            આ મંદિરનું બાંધકામ ઈ.સ.૧૯૬પ (સંવત-ર૦રર)માં કરવામાં આવ્યું છે. આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું ગણાય છે. આ ઉપરાંત આ કુદરતી રમણિયતા ધરાવતું સ્થળ છે. અહીં આવેલી ઝાંઝરી નદીના ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૃશ્યો સર્જે છે, જે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આર્કષણનું કેન્દ્ર છે. આ સ્થળ પર અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ સ્થળો પરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં પર્યટન હેતુ  આવે છે. જો કે અહિં સ્નાન કરવું ખૂબ જ જોખમી છે, છતાં કેટલાય પર્યટકો અહિં સ્નાન કરી મઝા માણતા હોય છે. ઝાંઝરી  પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકોનું પ્રિય સ્થળ છે. દર શનિ રવિ દરમ્યાન શહેરી જનો કોલાહલ થી દૂર પ્રકૃતિની ગોદ માં સમય પસાર કરવા આવે છે. આટલું પ્રચલિત સ્થળ હોવા છતાં આ સ્થાન નો જોઈએ તેટલો વિકાસ હજી થયો નથી.


(આપણો જિલ્લો આપણું વતન અરવલ્લી વિશે વધુ જાણીશું  આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો 
ડો. સ્વામી ગૌરાંગશરણ દેવાચાર્ય અભ્યાસ લેખ
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts