Thursday, May 23, 2019

વ્યક્તિ વિશેષ : ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ


સેવા, સાદગી અને સત્યનિષ્ઠાનો ત્રિવેદી સંગમ, સાબરકાંઠાના પૂર્વ સાંસદ  ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ 


              ચૂંટણી પરિણામ જાહેર થતાં જ આખરે આજે સૌની ઇન્તેઝારીનો અંત આવશે. સમસ્ત વિશ્વ ભારતના ચૂંટણી પરિણામો પર મીટ માંડીને બેઠું છે. સવા સો કરોડ ભારતીયો અનેક નવી આશાઓ અને અપેક્ષાઓ સાથે આતુરતા પૂર્વક પરિણામની રાહ જોઈ રહ્યા છે. જાણે આ પરિણામો બાદ ચમત્કારિક રીતે  ભાગ્ય બદલાઈ જવાનું હોય !! હા, ભાગ્ય જરૂર બદલાશે. પણ કોણું?? ચૂંટણી જીતીને આવનાર જનતાના પ્રતિનિધિઓનું. દેશ સેવાનું માધ્યમ ગણાતું રાજકીય ક્ષેત્ર આજે કમાણીનું સાધન બની ગયું છે. ચૂંટાયા પહેલા સાઇકલ ઉપર ફરનારા ચૂંટાયા બાદ પાંચ વર્ષના ટૂંકા ગાળામાં વૈભવી ગાડીઓમાં ફરતા આપણે સૌ જોઈ શકીએ છીએ. જનતાની "સેવા" કરતાં કરતાં આ પાંચ વર્ષ દરમિયાન એવું તો શું બને છે કે તેઓ બેસુમાર સંપત્તિના માલિક બની જાય છે. એ એક રહસ્ય છે. 
            આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો કેટલાક મુઠ્ઠીભર લોકોના હાથમાં દેશની 70 ટકા જેટલી સંપત્તિ જમા થઇ છે. એક અહેવાલ પ્રમાણે પાંચ કરોડ દેશવાસીઓ સાંજે ભોજન ન મળવાથી ભૂખ્યા સૂઈ જાય છે. તો બીજી બાજુ જનતાના ચૂંટાયેલા કેટલાક નિરક્ષર, અજ્ઞાની, અને અનેક અપરાધોના આરોપી એવા પ્રતિનિધિઓ જનતાના પૈસે તાગડધિન્ના કરતાં જોવા મળે છે. ત્યારે મન ખિન્નતા અનુભવે છે. આવી ચિંતા જનક રાજકીય પરિસ્થિમાં પણ કેટલાક આદર્શવાદી, સત્યનિષ્ઠ, કર્તવ્ય પારાયણ અને સેવાના ભેખધારી સાચા લોક સેવક જોઈએ ત્યારે દિલને શાતા મળે છે, ગૌરવ અનુભવાય છે. આજે વાત કરવી છે એવા જ એક પૂર્વ સાંસદની કે જેઓએ સત્તા માટે ક્યારેય ઉચ્ચ આદર્શો સાથે બાંધછોડ ન કરી. સાબરકાંઠાના આ પૂર્વ સાંસદનું નામ સૌ મતદારો આદરપૂર્વક લે છે. સેવા કર્યો થકી તેઓ લોકોના દિલમાં સ્થાન પામ્યા છે. 
           હા, આ વાત છે સાબરકાંઠાના પૂર્વ સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણજીની . 
          નિખાલસતા, સરળતા, સાદગી જેમનો સહજ સ્વભાવ છે, એવા મિતભાષી સર્જન એટલે સાબરકાંઠાના પૂર્વ સાંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ. રાજકારણની કઠોળ અને કાંટાળી ભૂમિ પર આવી વ્યક્તિનું પદાર્પણ એ નક્કી એક અકસ્માત છે. અને એ અકસ્માત રાજકીય ક્ષેત્ર માટે શુકનવંતો પણ છે કારણકે આંગળીના વેઢે ગણાય તેટલા થોડા મૂલ્યનિષ્ઠ માણસો હવે રાજકીય ક્ષેત્રમાં બચ્યા છે જ્યારે બધે જ ખરા અને પૂરા પાણી પીવા મળતા હોય ત્યારે ડોક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણ રાજકીય ક્ષેત્રમાં રણમાં એક મીઠી વિરડી જેવા છે.


           ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણે જ્યારે 2009માં પ્રજાના સમર્થન દ્વારા અનેક રાજકીય સમીક્ષકોને ખોટા પાડી 18 વર્ષ પછી એક દિગ્ગજને સરળતાથી હારાવ્યા, ત્યારે રીતસર રાજકીય ભૂકંપ સર્જાયો હતો. તેની અસર દિલ્હી સુધી થઈ હતી. 
         પ્રિ. નર્મદભાઈ ત્રિવેદી ( સંયોજક શિક્ષણ સંવર્ધન અભિયાન , સમન્વય ગુજરાત ) અને વિનાયક મહેતા (સહ સંયોજક સાબર વિકાસ મંચ ) સંભારણા સંસદના પુસ્તિકામાં એક લેખમાં જણાવે છે કે સાબરકાંઠા જિલ્લા પંચાયતમાંથી સીધા જ દેશની મહા પંચાયતમાં જવાનો અવસર એક મીઠી મૂંઝવણ સમાન હતો. તેમ છતાં પોતાને મળેલી આ તકને પ્રભુની પ્રસાદી સમજી લોકસભામાં તેમજ પોતાના સંસદીય મત વિસ્તારમાં કામ કરવાનો તેમણે પ્રયત્નો કર્યા છે. 
            
          લોકસભાની વાત કરીએ તો જ્યારે પ્રજાના સીધા જવાબદાર પ્રતિનિધિરુપ સાંસદો હાજરી આપવાનું ટાળતા હોય છે. પરંતુ  જવાબદારીની જાગૃતતા એટલી કે સંસદ ચાલુ હોય તે દરમિયાન એક રાજકીય ક્ષેત્રના વિદ્યાર્થીની જેમ તેઓ એક પણ દિવસ સંસદમાં જવાનું તેઓ ચૂક્યા નથી. તેમના પોતાના અંગત પારિવારિક સારા માઠા પ્રસંગોમાં પણ ઉપસ્થિત રહેવાની જવાબદારી પરિવારના સ્વજનોને સોંપી દે પણ સંસદમાં હાજર અચૂક રહે. મહત્તમ હાજરી સાથે પાર્લામેન્ટની કાર્યવાહીમાં ભાગીદાર બન્યા.સંસદ માં 100 % હાજરી આપનાર ગણ્યાગાંઠ્યા સાંસદોમાં એક સાંસદ ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ હતા. એમણે 786 જેટલા પ્રશ્નો, 192 જેટલી ડિબેટસ, 18 જેટલા ઘેર સરકારી વિધેયકો રજૂ કરી ઉત્કૃષ્ટ કામગીરી કરી. એમની કરેલી રજૂઆતો માં ખેડૂતોના, આદિવાસી પ્રજાના, રેલવેની અપૂરતી સુવિધા, સિંચાઈ, ઉધોગોની સ્થાપના, શિક્ષણ, આરોગ્ય જેવા વિષયોને લગતાં અનેક પ્રશ્નોને ઉઠાવ્યા.
       સાંસદ તરીકે સંસદની તૈયારી જાણે પરીક્ષા આપવા જવાનું હોય તેટલી તન્મયતાથી કરી ખૂબ વાંચે ખૂબ લખે વંચાવે સુધારે અને જ્યાં સુધી સંતોષ ન થાય ત્યાં સુધી લખવા સુધારવાની પ્રક્રિયા ચાલુ જ રાખે. 
           એકવાર પ્રશ્નોત્તરી દરમિયાન બ્લેક મની બાબતે તેઓએ પૂછેલા તર્કબદ્ધ ધારદાર સવાલના જવાબ આપતા તાત્કાલિન વિત્તમંત્રી પ્રણવ મુખર્જી ગુસ્સે થઈ ગયા હતા. તેના વિરોધમાં પક્ષના તમામ સભ્યોએ ઊભા થઈ વિરોધ નોંધાવતાં ગૃહમાં હોં હા ધમાલ થઈ ગઈ. ગૃહ દસ મિનિટ માટે બંધ રહ્યું. ત્યારબાદ માન. મુખર્જીએ પોતે ગુસ્સે ન થવું જોઈએ તેની જાહેરમાં કબૂલાત પણ સ્વીકારી. ત્યારબાદ તાત્કાલિન વિરોધ પક્ષના નેતા સુષ્માજીએ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની બોલાવી સુંદર પ્રશ્ન પુછવા બદલ અભિનંદન આપતા કહ્યું "આપને તો હાઉસ મેં પાર્ટી કા ઝંડા ગાઢ દિયા."
          પ્રજાના પ્રશ્નો ને લગતા બીલો વર્ષો સુધી વિપક્ષોના વિરોધ વચ્ચે પાસ થઈ શકતા નથી . પરંતુ જ્યારે સાંસદોના પગાર વધારાના બીલ સંસદમાં રજૂ થતું હોય છે ત્યારે કોઈપણ જાતના વિરોધ વગર તરત જ પાસ થઈ જતું જોવા મળે છે. પરંતુ સાંસના પગાર વધારાનો વિરોધ કરનાર એકમાત્ર સંસદ ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ હતા. ૧૫ મી લોકસભાના કાર્યકાળ દરમ્યાન સાંસદોના પગાર વધારાની માગણી મુદ્દો સંસદમાં ત્યારે ચર્ચામાં આવ્યો ત્યારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણે તે સમયના લોકસભાના સ્પીકર મીરા કુમારને પત્ર દ્વારા જણાવ્યું કે "અમો સૌ સાંસદો લોક સેવાની ભાવના સાથે રાજનીતિમાં આવ્યા છીએ ત્યારે એસી હજાર જેટલા પતિ પગારની વધારાની માગણી યોગ્ય ન ગણાય. " પગાર વધારા નો વિરોધ કરતાં અન્ય સાંસદોમાં તેઓ અળખામણા બની ગયા.  પાર્ટીની નારાજગી વહોરીને પણ  દિલ્હી ખાતેના  રામલીલા  મેદાનમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવતા અન્ના હાજારેને તેઓ એ    લેખિત સમર્થન આપ્યું હતું.   પોતાના આદર્શો સાથે સમાધાન કદી ન કર્યું.


          પોતાના મત વિસ્તારમાં એમની માલા,મંચ કે માઈક સિવાયના સાદગીભર્યા પ્રવાસ દ્વારા 1200 જેટલા નાના-મોટા ગામોની મુલાકાત લઈ, ગ્રામજનોના પડતર પ્રશ્નોના નિકાલ માટેની નિષ્ઠાપૂર્વક પ્રયાસ કર્યા. સંસદીય ક્ષેત્રના લોકોના સુખ દુઃખમાં હંમેશા ભાગીદાર બનવાનું પસંદ કર્યું. સાંસદે પોતાને મળતી સાંસદની ગ્રાંટ નું ગ્રામજનોની ઈચ્છા તથા માગણી પ્રમાણે ફાળવણી કરી પારદર્શક વહિવટનો ઉત્તમ નમૂનો પૂરો પાડી એક નવો જ ચીલો ચતર્યો. 
          આઝાદીના વર્ષો પછી પણ મહાત્મા ગાંધીજી ના અસ્થિ વિસર્જન કરવામાં આવેલ સ્થળ અરવલ્લી જિલ્લાનું મહાદેવગ્રામ બાકરોલ ગામ વિકાસથી વંચિત હતું. ડૉ. ચૌહાણ સાહેબના ધ્યાન પર આવતા અહીં મીની રાજઘાટ નું સ્મારક બનવી, જગ્યાની કાયા પલટ કરી નાખી. 
        તેઓના પિતા પૃથું સિંહજી એક સર્વોદયવાદી આદર્શ શિક્ષક હતા. ગાંધી વિચાર રંગે રંગાયેલા પિતાના સંતાન તરીકે સત્ય, પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાના ગુણો તેઓને વારસામાં મળ્યા. આદર્શ જનપ્રતિનિધિની આદર્શ આચાર સંહિતા ની સ્વીકૃતિ સાથે લપસણી રાજકીય પદ્ધતિ ઉપર અનેક પ્રલોભનો વચ્ચે નૈતિક આદર્શ મૂલ્યો સાથે તેઓ ઈમાનદારી સાથે ચાલ્યા છે. તેઓ બેદાગ સાંસદ બની તેમનનો સંસદીય સમય કાળ પુરો કર્યો છે. તેમની આદર્શવાદી વિચારધારા સત્યપ્રિયતા અને પ્રમાણિકતા દાદ માંગી લે તેવા છે તેમની નિષ્પક્ષતા બેનમૂન જોવા મળે છે.
          સાબરકાંઠા-અરવલ્લીના પ્રશ્નો વિષે મહત્તમ જાણકારી મેળવી સંબંધિત વિભાગો સાથે બેઠકો કરી તલસ્પર્શી અભ્યાસ કરી અને પછી સંસદમાં સચોટ અને સ્વરૂપે રજૂ કરી રેલ્વે ના પ્રશ્નો અને તેના ઉકેલની પ્રક્રિયા તો તેમની ઉંઘમાંથી ઉઠાડી પૂછો તો પણ તાજી સાંભળવા મળી તેઓ પ્રશ્નોત્તરી બજેટ સ્પીચ, નિયમ 377, જીરો અવર્સ, પ્રાઇવેટ મેમ્બર બિલ ડીબેટસની તૈયારીમાં કલાકોના કલાકો પસાર કરે. અને સંસદમાં ધારદાર રજુઆત કરે. 
        સાચી વાતમાં મોટા ચમરબંધી ની પણ પરવા ન કરે સાચું કે સાચું છે તેમણે સત્ય સાથે કદી સમાધાન ન જ કર્યું. 
           ડો મહેન્દ્રસિંહ ચૌહાણ રાજકીય ક્ષેત્રના પ્રવાસી કરતા સામાજિક ક્ષેત્રના જીવ સવિશેષ છે. આમ તો આ બંને ક્ષેત્રો વચ્ચે ઉંઘમાં પડખું ફેરવવા જેટલું જ અંતર છે પણ એકમા ખુરશીની ખેંચતાંણ છે. તો બીજામાં ખુરશી સામેથી મળે છે. તેથી રાજકીય ક્ષેત્રમાં પણ ડોક્ટર સાહેબ એ સહજ રીતે સરળતાથી જે મળે તે સ્વીકારવાની આદત કેળવી છે. તેમણે ક્યારેય રાજકીય દાવપેચ જ કાવા-દાવા કે નિંદા કુથલીનો સહારો લીધો નથી. પોતાને મળેલી જવાબદારી સુચારુ રીતે નિભાવી અને પોતાનું કાર્ય કરે જ રાખવું એ એમનું લક્ષ્ય રાખ્યું. ભ્રષ્ટાચાર અને વ્યસનોના તેઓ પાક્કા વિરોધી આ દૂષણો સામે લડવામાં તેઓ કોઇને શે શરમ ન રાખે. તાલુકામાં કેટલાય ગામોમાં વ્યસનમુક્તિ શિબિરો યોજી બુલેટગરોના છક્કા તેમને છોડાવી લીધા હતા.
            સરકારની લગભગ બધા જ વિભાગની કચેરીઓમાં લગભગ 11000 જેટલા પત્રો લખી કે ફોન કરી અરજદારોને મદદરૂપ થયા છે. પણ કોઈ આરોપીને છોડાવવા કે ગુનેગારોને બચાવવા પોલીસ સ્ટેશનમાં એક પણ ફોન કે ભલામણ કરી નથી.
         સંસદીય કાળ દરમિયાન તેઓ સોમવાર અને ગુરુવારે અચૂક કાર્યાલયમાં હાજર રહે અને 200 થી 300 મુલાકાતીઓને કંટાળા કે થાક્યા વિના મળે તેઓના પ્રશ્નો સમજે તેઓને હૈયાધારણ આપી ક્યાંક ફોનથી તો ક્યાંક ભલામણ પત્ર નથી તો ક્યાંક રૂબરૂ ચર્ચાથી પ્રશ્નોનો ઉકેલ લાવે. થાકેલો તણાવગ્રસ્ત ચિંતાતુર મુલાકાતી હળવોફૂલ થઇ હસતો હસતો વિદાય થાય.
ઉજ્જવળ અને બેદાગ પ્રતિભા ધરાવતા સાંસદ આંદોલનોમાં તો સોળે કલાએ ખીલી ઉઠે. અન્યાય સામે લડવામાં સામેથી નેતૃત્વ સ્વીકારે મક્કમ મનોબળથી લડત આપે અને પરિણામ લાવીને જ જંપે. વાટડા પ્રાંતિજ વડાલી મોડાસા ધનસુરા ડેમાઇના રેલ્વે આંદોલનનો તેના જાગતા પુરાવા છે. 
            હાલ તેઓ ભલે સાંસદ તરીકે નથી પરંતુ એક અદના સમાજ સેવક તરીકે 24કલાક સમાજસેવામાં ખૂંપેલા રહે છે. જન જાગૃતિ વિચાર મંચ દ્વારા આદર્શ સમાજના નવ નિર્માણ અભિયાન દ્વારા સમાજ ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. આ અભિયાન મારફત જિલ્લાના બુદ્ધિજીવીઓ, શિક્ષણશાસ્ત્રીઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, અને રાજકીય આગેવાનો સાથે સીધો સંવાદ તેમને રચ્યો છે. જિલ્લામાં કુરિવાજો, વ્યસનો, ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, કુપોષણ સામે અવાજ ઉઠાવી એક વૈચારિક ક્રાંતિ લાવવાનું સંનિષ્ઠ પ્રયાસ તેમણે કર્યો છે. ગાંધી વિચાર યાત્રા દ્વારા જિલ્લાના બાળકોમાં મૂલ્ય શિક્ષણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. જિલ્લાની શાળાઓની મુલાકાત લઇ વિદ્યાર્થીઓની ગાંધીવિચાર બીજ મળે તે માટે સતત પ્રયત્નશીલ છે. 
           એક નિષ્ઠાવાન પ્રમાણિક અને સજ્જન સાંસદ દેશને ભેટ ધર્યાનું ગૌરવ સાબરકાંઠા મત ક્ષેત્રના મતદારો હમેશ માટે લેતા રહેશે.


 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

2 comments:

  1. લેખ ગમ્યો.. આદરણીય ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ વિશે આલેખાયેલ એકેક વાત હકીકત છે.અમે જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને સાથે કામ કરેલું છે.શાંત સ્વબ્બાવ,પ્રામાણિકતા એમના રગેરગમાં અને જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જેવા પદ ઉપર હતા તે વેળાએ એમણે એ ક્ષેત્રને ક્યાંય દાગ લાગવા દીધો નથી.કશું જ ખોટું ચલાવી લેવાના તેઓ વિરોધી હતા.મારા જેવા અનેક સાથી કાર્યકર્તાઓ તેમની પાસેથી ઘણું શીખ્યા છે.વ્યક્તિ વિશેષ લેખની આપની શ્રેણીમાં માનનીય ડો.મહેન્દ્રસિંહજીના સાદગી ભર્યા જીવનની ઝલક મૂકીને આભારી બનાવવા બદલ ધન્યવાદ આપું છું.
    પ્રભુદાસ પટેલ.પત્રકાર. અરવલ્લી-સાબરકાંઠા

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts