Thursday, March 7, 2019

વ્યક્તિ વિશેષ : પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ :2

ગતાંકથી ચાલું. ભાગ ૧ વાંચવાં અહીં ક્લિક કરો

કલમ થકી સમાજમાં અજવાળું પાથરનાર માત્ર અરવલ્લીનું જ નહી પરંતુ ગુજરાતનું ઘરેણું પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ 

   

 નિયતિ દ્વારા  પદ્મશ્રી દેવેન્દ્ર ભાઈ પટેલના હાથમાં કલમ પકડાવવાનું નિશ્ચિત  હતું. નિયતિ નક્કી કરે એને કોણ મિથ્યા કરી શકે!

              આ સમય દરમિયાન સલૂનમાં પોતાનો વારો આવવાની રાહ જોતા જનસત્તા અખબાર જોતા હતા. ત્યાં નજર પડી એક જાહેરાત પર. 'વેસ્ટન ટાઇમ' નામનું અંગ્રેજી દૈનિક અમદાવાદમાં શરૂ થવા જઈ રહ્યું હતું. તે દૈનિક માટે અંગ્રેજી જાણનાર તાલીમી પત્રકારો માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજી કરી. પરીક્ષા આપી. અંગ્રેજી પર પ્રભુત્વ ખૂબ સારું હતું. જવાબવહી જોતા જ 'વેસ્ટન ટાઈમ'ના તંત્રી રામુભાઈ પટેલે તેઓને ઓફીસમાં બોલાવી કહી દીધું 'યુ આર સિલેક્ટેડ'
                આ પ્રસંગ એમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ. પત્રકાર જગતમાં, શબ્દ વિશ્વમાં આ રીતે પ્રથમ પ્રવેશ થયો. 100 રૂપિયા સ્ટાઇપન્ડ સાથે પ્રેક્ટીકલ તાલીમ શરૂ થઈ. તાલીમ દરમિયાન બીજા અખબારના સિનિયર પત્રકારો સાથે પરિચય થયો. એક દિવસ ગુજરાત સમાચાર ના પત્રકાર ચંદ્રકાંત ઉપાધ્યાય સાથે પરિચય થયો અને ગુજરાત સમાચાર કાર્યાલય પર તેઓને બોલાવ્યા. ત્યાં ગુજરાત સમાચારના શેઠ શાંતિલાલ શેઠ અને જયવદન પટેલ સાથે પ્રથમ વાર મુલાકાત થઈ. થોડી વાતચીતમાં જ તેઓએ દેવેન્દ્ર પટેલને 'ગુજરાત સમાચાર'માં જોડાવાનું આમંત્રણ આપ્યું. 1967 માં ગુજરાત સમાચારમાં એક જુનિયર પત્રકાર તરીકે કામગીરીનો પ્રારંભ થયો. જયવદન ભાઈ  પટેલની આંગળી પકડીને ગુજરાત સમાચારના પગથીયા ચડતા ત્યારે કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ યુવાન આગળ જતાં પત્રકાર જગતમાં એક સિમાચિન્હરૂપ નામ બનશે.
               શરૂઆતમાં  તેઓને અમદાવાદના સ્થાનિક કાર્યક્રમો અને અવસાન નોંધ ની કામગીરી સોંપવામાં આવી. સરળ અને ચોટદાર શબ્દોથી છપાયેલા અહેવાલથી અલગ છાપ વાચક વર્ગ પર પડી. જેના થકી રાજકીય ક્ષેત્રના દિગ્ગજો તેમના સાથે મૈત્રી કેળવતા થયા. પક્ષ હોય કે વિપક્ષ, મંત્રી હોય કે મુખ્યમંત્રી તમામ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસતા રહ્યા. પત્રકારત્વની હજી શરૂઆત હતી. ખેડાણ કરવાનું હજી બાકી હતું.
              કામ કરવાની ધગશ, આગવી કોઠાસૂઝ, ઘટનાઓ સમાચારોની ભીતરના સત્યોને પારખવાની અનોખી દ્રષ્ટિ અને કર્તવ્યનિષ્ઠા થકી ગુજરાત સમાચારના તંત્રીશ્રીના તેઓ વિશ્વાસપાત્ર વ્યક્તિ બની ગયા. અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ તેઓના શિર પર આવતી જ રહી. અને તેઓએ બખૂબી તેને નિભાવી.
              જીવ સટોસટના ખેલ ખેલી બેનમૂન સાહસનો પરિચય તેઓએ ગુજરાતના અખબારોને જ નહીં પરંતુ હિન્દુસ્તાનના મીડિયા જગતને કરાવ્યો. એવી એક રોમાંચક સાહસની કથા એટલે સરહદ પાર પાકિસ્તાન ભીતરનું રિપોર્ટિંગ.

     એક બપોરે ગુજરાત સમાચારના મેનેજીંગ તંત્રીશ્રી શ્રેયાંસભાઈ નો તેમના પર ફોન આવ્યો. 'તમારે સરહદ પર જવાનું છે અને પાકિસ્તાનની અંદર જઈ સ્ટોરી કરવાની છે' સાહસ ખેડવું અને ચીલાચાલુ પત્રકારત્વથી જરા હટકે કંઈક નવા પ્રયોગ કરવાની તેઓની આદત રહી છે.
                 માંડ 26 વર્ષની ઉંમર. એરકન્ડિશન વગરની એમ્બેસેડર કાર. મિત્ર  તસવીરકાર સનત ઝવેરી સાથે નીકળી પડ્યા. ભારતે કબજો કરેલ પાકિસ્તાની વિસ્તારમાં જવાની પરવાનગી માગી. પરંતુ લશ્કરી અધિકારીઓએ પરવાનગી ન આપતા વેશ પલટો કરી પાકિસ્તાનની ભૂમિ તરફ કૂચ કરી. ધોમધખતા તાપથી તપેલું રણ, ઝેરી વીંછી, સાપ અને અનેક ઝેરી જીવ-જંતુઓના પ્રકોપ અને ડગલે ને પગલે દુસ્મન દેશે બિછાવેલી સુંરંગો. જીવના જોખમ વચ્ચે ચાલતાં રણ પસાર કરતા રહ્યા. કેટલીએ લાંબી દડમજલ બાદ પાકિસ્તાનની ભૂમિની, પાકિસ્તાનના ગામડાની, અને પાકિસ્તાનના લોકોની તસવીરો લીધી. ગુપ્ત માહિતી એકત્રિત કરી. પાકિસ્તાનના ભીતરનો અહેવાલ અને તસવીરો ગુજરાત સમાચારમાં છપાઈ ગુજરાતના અખબારોનું આ કક્ષાનું રિપોર્ટિંગ પહેલી વખતનું હતું. દેશના એક પણ અખબારમાં પાકિસ્તાનના ભીતર પ્રવેશી આ પ્રકારના અહેવાલ કે તસવીર છપાઈ ન હતી. બસ એ જ દિવસથી ચીલાચાલુ રિપોર્ટિંગ કરવાના બદલે સંશોધનાત્મક પત્રકારત્વ તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. ચાર દીવાલો વચ્ચે એ.સી. ઓફિસમાં બેસી લખવાના બદલે ફિલ્ડમાં જઈ માહિતી એકત્ર કરવાનું નક્કી કર્યું. વધુ જોખમ લેવામાં રસ પડવા લાગ્યો.
                1973 મા જાણીતા તસવીરકાર અને ફિલ્મ મેકર વિનય વોરા સાથે ફ્રાંસ, યુરોપ, અમેરિકા ની સફર કરી. એ સમયે વિદેશગમન ખૂબ મોટી વાત ગણાતી. વિદેશ જવાના માનમાં ગામમાં વિદાય સમારંભ યોજાયો. આખું ગામ એરપોર્ટ પર મુકવા ઉમટ્યુ હતું. એ સુંદર સફરની યાદગાર પળો આજે પણ એમના દિલમાં જીવંત છે.
                પ્રવાસથી પરત ફર્યા બાદ કુમાર આનંદ કે જેઓ 'શ્રી' સાપ્તાહિકના સંપાદક હતા. તેમના તરફથી વાર્તા લખવાની પ્રેરણા મળી. 'શ્રી' સાપ્તાહિક માટે પ્રથમ ટૂંકી વાર્તા લખી જેનું શીર્ષક હતું 'સંગાથ'. શૈલીમાં લખાયેલી આ કથા આનંદ અને વાચકોને ખૂબ ગમી. ત્યારબાદ 'શ્રી' સાપ્તાહિકમાં 'મન_સોનાના_તન_રૂપાના' ટાઇટલ હેઠળ ટૂંકીવાર્તા શ્રેણી શરૂ થઈ. ચિત્રલોક માટે નવલકથા પણ લખી.
             બાળપણમાં નાટક ફિલ્મ જોવા જોવા પર પિતા તરફથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. વિધિના  વિધાને તેઓ પાસે નાટક અને ફિલ્મની પટકથા પણ લખાવી. અને તેના સફળ હાઉસફુલ શૉ પણ થયા. દેવેન્દ્રભાઈ પટેલના કથાબીજ પરથી સીરીયલ પણ બની. જેનું નામ હતું 'અંતરના_એકાન્ત' આ ધારાવાહીકે લોકોના હૃદયને લાગણીથી ભીંજવી દીધા.
              વડોદરામાં એ અરસામાં એક ઘટના બને છે રજિયા નામની ટીન-એજ  ગર્લને એક મિકેનિક યુવાન રોજ પજવતો. રજિયા મિકેનિકની માગણીને વશ ન થઈ. તો એ મીકેનીક યુવાને રજિયા ના ચહેરા પર એસિડ છાંટી ભાગી ગયો. રજિયા નો ચહેરો કદરૂપો બની ગયો. દૃષ્ટિ ચાલી ગઈ. આ દર્દનાક ઘટના ને તેઓએ વાર્તા સ્વરૂપે ગુજરાત સમાચારમાં પ્રગટ કરી. આખા ગુજરાતમાં રજિયા માટે સંવેદના નું પૂરું ઉમટ્યુ. 'મને રૂપ નહીં, રોશની જોઈએ' શીર્ષક હેઠળ લખાયેલી કથા એ લોકોના અંતર વલોવી નાખ્યા. આ ઘટનાએ દેવેન્દ્રભાઈ પટેલને હ્યુમન ઇન્ટરેસ્ટની સત્ય ઘટનાઓ લખવા પ્રેર્યા. આ વિચારમાંથી 'કભી_કભી' કોલમની શરૂઆત થઈ. આ કોલમ દ્વારા તેઓએ ભારતની મહિલા ઉપરના અત્યાચારો પર પ્રકાશ પ્રકાશ ફેંક્યો. પીડિત સ્ત્રીઓને ન્યાય અપાવવા ન્યાયતંત્રને પ્રેરણા આપી. નામદાર હાઇકોર્ટે તેમના કોલમની નોંધ લેતા ગુનેગારો સામે સુ-મોટો કેસ કર્યો.
               1984ના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી પદે માધવસિંહ હતા. શાસનકાળ દરમિયાન બી.જે.મેડિકલ કોલેજમાં અનામત વિરોધી આંદોલન શરૂ થયા. અને આ અનામત વિરોધ ના આંદોલન ની ધારદાર વાચા બની દેવેન્દ્ર પટેલ ની અન્ય એક કોલમ 'વોહી_રફતાર'
              અનામત આંદોલનની આગ આખા ગુજરાતમાં પ્રસરી ગઇ હતી. સરકારે આંદોલનને કચડી નાખવા પોલીસ દમનનો ઉપયોગ કર્યો. આગ, હિંસા ફાટી નીકળ્યા. અમદાવાદ કર્ફ્યુગ્રસ્ત થઈ ગયું. ખંજરબાજી શરૂ થઈ. માધવસિંહ ભાઈ ને કેટલાક તત્વોએ સમજાવ્યુ કે આંદોલન ગુજરાત સમાચારને કારણે જ છે. ગુજરાત સમાચાર ને દબાવવા તમામ પ્રયાસો કર્યા. વોહી રફતાર કોલમ  વધુને વધુ ખીલતી ગઈ. વકરતા જતા આંદોલનને જોઈ એક દિવસ ગુજરાત સમાચારના તંત્રીશ્રી શાંતિલાલ શેઠે કહ્યું પણ ખરું 'બંધ કરો વોહી રફતાર આમજ લખશો તો એક દિવસ ગુજરાત સમાચાર સળગી ઊઠશે' આગળ જતા શેઠ ની ભવિષ્યવાણી સાચી પડી. પરંતુ શ્રેયાંસભાઈ અને દેવેન્દ્રભાઈ ની કેમેસ્ટ્રી જબરજસ્ત મળતી હતી. બંનેનો મિજાજ એક સરખો 'વોહી રફતાર' અટકી નહીં.
            શહેરમાં તંગદિલી હતી. પોલીસે લોકો પર જુલમ વર્ષ આવવાનું શરૂ કર્યું હતું. એક યુવતીએ પોલીસે કરેલા બીભત્સ વર્તનનું વર્ણન વર્ણન કર્યું. અને દેવેન્દ્રભાઈ પટેલે લખેલી પોલીસ જુલમની સ્ટોરી મેઇન પેજ પર ગુજરાત સમાચાર છાપી. શહેરમાં પોલીસ સામે આક્રોશ ફાટી નીકળ્યો. કોઈ અંગત અદાવતના કારણોસર કોઈ પોલીસ વાળાની હત્યા થઈ. રાજકીય તત્વોએ આ ઘટના માટે ગુજરાત સમાચારને જવાબદાર ઠેરવી દીધું. કેટલાક અસામાજીક તત્વો ગુજરાત સમાચાર કાર્યાલય પર ધસી આવ્યા અને આગ ચાપી દીધી. ન્યુઝ પ્રિન્ટ, કીમતી યંત્ર સામગ્રી ભડ ભડ બળવા લાગી.
             .... અને હવે આ તોફાની ટોળું દેવેન્દ્રભાઈ પટેલના ઘરને સળગાવવા માટે પત્રકાર કોલોની તરફ ધસી ગયું. સશસ્ત્ર ટોળું ઘરે આવી પહોંચે પરિવારના બધા નું મૃત્યુ નિશ્ચિત હતું. તેથી ઝડપથી તેમના પત્ની અને બાળકોને અન્ય જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા.
                ગુંડાઓથી ભરેલી  પોલીસવાનો પત્રકાર કોલોની તરફ ધસી ગઈ. અને...... ( ક્રમશ:)

સંદર્ભ: આંતરક્ષિતિજ

(પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ વિશે રસપ્રદ વતો જાણીશું આવતા ગુરુવારે...)   


લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી. 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts