Sunday, April 28, 2024

સન્ડે સ્પેશિયલ

 સાબરકાંઠા લોકસભા મત ક્ષેત્ર માંથી ચૂંટાઈને બે બે  વખત કાર્યવાહક  PM બનનારા એ  નેતા જેમનો કુલ  સામાન એક પેટીમાં સમાય એટલો જ હતો.

    
       
 લોકસભાની ચુંટણીનો મહાસગ્રામ જબરજસ્ત જામ્યો છે. ત્યારે આજે એવા એક રાજનેતાની વાત કરવી છે કે જેઓની  પ્રમાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની વાતો આજની પેઢીને કદાચ દંતકથા સમાન જ લાગે  ! વાત છે સાબરકાંઠા મત ક્ષેત્રમાંથી ચૂંટાઈને લોકસભામાં પહોંચેલા બે બે વાર કાર્યકારી વડાપ્રધાન પદ શોભાવનાર  ભારતરત્ન ગુલઝારી લાલ નંદાની !   

    એક 94 વર્ષના વૃદ્ધને ભાડાના મકાનમાંથી મકાન માલિકે બહાર કાઢી મુક્યા. આ વૃદ્ધ માણસ પાસે પોતાની જૂની પથારીકેટલાક એલ્યૂમિનિયમના વાસણોપ્લાસ્ટિકની ડોલ અને ટમલર સિવાય ભાગ્યે જ કોઈ સામાન હતો. આ બધો જ સામાન મકાન માલિકે રસ્તા ઉપર ફેંકી દીધો. 94 વર્ષના વૃદ્ધે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા વિનંતી કરી. પડોશીઓને પણ આ વૃદ્ધ પર દયા આવી અને તેમણે મકાન માલિકને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપવા માટે સમજાવ્યા હતા. અંતે આ મકાનમાલિકે વૃદ્ધને ભાડું ચૂકવવા માટે થોડો સમય આપ્યો. આ વૃદ્ધ માણસ તેમની વસ્તુઓ ઘરની અંદર પરત લઈ ગયા. ત્યાંથી પસાર થતા એક પત્રકારે રોકાઈને આ સમગ્ર ઘટનાક્રમ જોયો. 

        પત્રકાર ભાડુઆત અને મકાનની કેટલીક તસવીરો  લીધી અને તેના તંત્રીને જઈ આ ઘટના અંગે વિગતવાર જણાવ્યું. તંત્રી તસવીરો જોઈને ચોંકી ગયા.  તેમણે પત્રકારને એકીશ્વાસે પૂછ્યું  "તું આ વૃદ્ધને ઓળખે છે ".  પત્રકારે કહ્યુંના.." બીજા જ દિવસે આ અખબારના પહેલા પેઈજ પર મોટા સમાચાર છપાયા. હેડિંગ હતું, "ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ગુલઝારીલાલ નંદા એક દયનીય જીવન જીવી રહ્યા છે." આ સમાચારમાં આગળ લખ્યું કે કેવી રીતે ભૂતપૂર્વ વડા પ્રધાન ભાડું ચૂકવવામાં અસમર્થ હતા અને કેવી રીતે તેમને ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા હતા. 

        આ સમાચાર છપાયાના બીજા દિવસે તત્કાલીન વડાપ્રધાને તેમના પ્રધાનો અને અધિકારીઓને વાહનોના કાફલા સાથે ગુલઝારીલાલ નંદના ઘરે મોકલ્યા હતા.  આટલા બધા વીઆઈપી વાહનોનો કાફલો જોઈને મકાન માલિક પણ સ્તબ્ધ થઈ જાય છેજ્યારે તેને ખબર પડી કે તેમના ભાડૂઆત બીજુ કોઈ નહી પરંતુ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા છે.  મકાનમાલિકે તરત જ ગુલઝારીલાલ નંદાના પગમાં પડી પોતાના વર્તન બદલ દિલગીરી વ્યક્ત કરી હતી. અધિકારીઓ અને વીઆઈપીઓએ ગુલઝારીલાલ નંદાને સરકારી આવાસ અને અન્ય સુવિધાઓ સ્વિકારવા વિનંતી કરી પણ ગુલઝારીલાલ નંદાએ એમ કહીને તેમની ઓફર ન સ્વીકારી કે આ વૃદ્ધાવસ્થામાં આવી સુવિધાઓનું હવે મારે શું કામ છે. તેમના છેલ્લા શ્વાસ સુધી તેઓ એક સામાન્ય નાગરિકની જેમ સાચા સ્વાતંત્ર્ય સેનાની રહ્યા હતા. 1997 માં  તેમને "ભારત રત્ન" એનાયત કરવામાં આવ્યો હતો. 

      વિરલ રાષ્ટ્રભક્ત નંદાજી  વધુ એક પ્રેરક દાહરણ પ્રસ્તુત છે.  સન 1951-52નું વર્ષ હતું.  મુંબઈના નેપિયન્સી રોડ ઉપરમુંબઈ રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી ગુલઝારીલાલ નંદાજી પોતાના બંગલામાં ભોજન લેવા બેઠા હતા. એ સમયે ભારતની પછાત પ્રજા માટે રશિયાથી આયાત કરાયેલા હલકી કક્ષાના લાલ ઘઉંની ભાખરી તેઓ જમી રહ્યા હતા. તેમના એક મિત્ર તે વખતે ત્યાં આવ્યા ને પૂછ્યું : ‘તમે શા માટે આવું હલકું ધાન જમો છો આપણને તો સારા ઘઉં મળે જ છે ને !’

     નંદાજીએ કહ્યું : ‘હું જે પ્રજાનો નેતા બન્યો છું એ મોટા ભાગની પ્રજા આ જ ઘઉં ખાય છેતો મારાથી સારા ઘઉં કઈ રીતે જમાય ?’નંદાજીના આ ઉત્તરે મિત્રને નતમસ્તક બનાવ્યા.

       અમદાવાદ મેમનગરમાં એક નાની સોસાયટીમાં બે રૂમ રસોડાના સાવ નાના મકાનમાં નંદાજીને મળતાં કોઈને પણ એમના વાર્તાલાપમાં અણસાર સુધ્ધાં ન આવતો કે તેઓ વર્ષો સુધી ભારતના કેન્દ્રીય મંત્રી અને બબ્બે વખત કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે રહી ચૂકેલ વરિષ્ઠ રાષ્ટ્રીય નેતા છે ! ન કોઈ બ્લેકકેટ કમાન્ડોની કિલ્લેબંદી કે ન કોઈ દોરદમામ ! ન કોઈ અહંકાર કે ન કાંઈ કરી નાંખ્યાનો ગર્વ ! નરી સરળતા અને સાદગી ! આંજી નાંખે તેવા મુખ પર છલકાતો જીવનનો પરમ પરિતોષ !

    ગુલજારીલાલ નંદાનો જન્મ જુલાઇ, 1898ના રોજ પંજાબના સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરઆગ્રા તેમજ અલ્હાબાદમાં પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેમણે અલ્હાબાદ વિશ્વ વિદ્યાલય (1920-1921)માં શ્રમ સંબંધિ સમસ્યાઓ પર એક શોધ અધ્યેતાના રૂપમાં કાર્ય કર્યું તેમજ 1921માં નેશનલ કોલેજ (મુંબઇ)માં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક બન્યા. આ જ વર્ષે તેઓ અસહયોગ આંદોલનમાં સામેલ થયાં. 1922માં અમદાવાદ ટેક્સ્ટાઇલ લેબર એસોસિયેશનના સચિવ બન્યા જેમાં તેમણે 1946 સુધી કામ કર્યું. તેમને 1932માં સત્યાગ્રહ માટે જેલ જવું પડ્યું તેમજ ફરી 1942થી 1944 સુધી પણ તેઓ જેલમાં રહ્યા.

    નંદાજી 1937માં બોમ્બે વિધાનસભા માટે ચૂંટાઇ આવ્યા તેમજ 1937થી 1939 સુધી તેઓ બોમ્બે સરકારના સંસદિય સચિવ (શ્રમ તેમજ ઉત્પાદ શૂલ્ક) રહ્યા. પાછળથી બોમ્બે સરકારના શ્રમમંત્રી (1946થી 1950 સુધી)ના રૂપે તેમણે રાજ્ય વિધાનસભામાં સફળતાપૂર્વક શ્રમ વિવાદ વિધેયક રજૂ કર્યું. તેમણે કસ્તુરબા મેમોરિયલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકેહિન્દુસ્તાન મજદૂર સેવક સંઘમાં સચિવ તરીકે તેમજ બોમ્બે આવાસ બોર્ડમાં અધ્યક્ષ તરીકે કાર્યું કર્યું. તેઓ રાષ્ટ્રીય યોજના સમિતિના સદસ્ય પણ રહ્યા હતા. રાષ્ટ્રીય મજદૂર કૉંગ્રેસના આયોજનમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને પછીથી તેમના અધ્યક્ષ બન્યા હતા. 1947માં તેમણે જિનેવામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં એક સરકારી પ્રતિનિધી તરીકે ભાગ લીધો હતો. તેમણે સંમેલન દ્વારા નિયુક્ત ‘ધ ફ્રીડમ ઓફ એસોસિયેશન કમિટિ’ પર કાર્ય કર્યું તેમજ સ્વીડનફ્રાન્સસ્વીટ્ઝરર્લેન્ડબેલ્જિયમ તેમજ ઇંગ્લેન્ડની મુલાકાત લીધી. જેથી તેઓ એ દેશોમાં શ્રમ અને આવાસની સ્થિતિનું અધ્યયન કરી શકે.

     માર્ચ 1950માં તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ તરીકે સામેલ થયા હતા. પછીના વર્ષે સપ્ટેમ્બરમાં તેઓ કેન્દ્ર સરકારના યોજના મંત્રી બન્યા હતા. આ ઉપરાંત તેમને સિંચાઇ તેમજ વિજળી વિભાગોનો પ્રભાર પણ અપાયો હતો. તેઓ 1952ની સામાન્ય ચૂંટણીમાં મુંબઇથી લોકસભા માટે ચૂંટાયા અને ફરીથી યોજના સિંચાઇ તેમજ વિજળીમંત્રી તરીકે નિયુક્ત થયા હતા. તેમણે 1955માં સિંગાપોરમાં આયોજિત યોજના સલાહકાર સમિતિ તેમજ 1959માં જિનેવામાં આયોજિત આંતરાષ્ટ્રીય શ્રમ સંમેલનમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું.

    નંદાજી 1957ની સામાન્ય ચૂંટણીમાં લોકસભા માટે ચૂંટાયા તેમજ શ્રમ તથા રોજગાર અને નિયોજનના કેન્દ્રિય મંત્રી બનાવવામાં આવ્યા હતા. પછીથી તેઓ યોજના આયોગના ઉપાધ્યક્ષ નિયુક્ત થયાં હતા. તેમણે 1959માં જર્મની સંઘીય ગણરાજ્યયુગોસ્લાવિયા તેમજ ઓસ્ટ્રીયાની મુલાકાત લીધી હતી.

    1962ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ગુજરાતના સાંબરકાંઠાથી લોકસભા માટે ફરીથી ચૂંટાયા હતા. તેઓ 1962 તેમજ 1963માં કેન્દ્રીય શ્રમ તેમજ રોજગાર મંત્રી તેમજ 1963થી 1966 સુધી ગૃહમંત્રી રહ્યા હતા.

    તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુનું નિધન 1964ની 27 મેના રોજ થયું હતું. તેમના મૃત્યુ પછી ગુલઝારીલાલ નંદાએ નવમી જૂન સુધી દેશના કાર્યવાહક વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. એ પછી લાલબહાદુર શાસ્ત્રી વડા પ્રધાન બન્યા હતા. તાંશ્કદમાં શ્રી લાલબહાદુર શાસ્ત્રીના નિધન બાદ ફરીથી 11 જાન્યુઆરી 1966માં તેમણે પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. બે વાર કાર્યવાહક વડાપ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા સાદગીને પવિત્રતાની મૂર્તિ હતા.

     રાજકારણમાં ગુલઝારીલાલ નંદા જેવા નખશીખ પ્રમાણિક રાજનેતાની   અછત વર્તાય છે. જેઓ બે વખત વડાપ્રધાન હતા.

     ગુલઝારીલાલ નંદા કહેતા હતા કે ગાંધીજીના સિદ્ધાંતોથી વિચલિત થવું એ તમામ ભ્રષ્ટાચારનું મૂળ છે. તેમણે માત્ર એવું કહ્યું જ ન હતુંતેનું આચરણ પણ કર્યું હતું. તેથી જ કદાચ તેમના બૅન્ક એકાઉન્ટમાં થોડાક હજાર રૂપિયાથી વધારે રકમ ક્યારેય રહી ન હતી. ગુલઝારીલાલ નંદાને  રાજકારણનું રત્ન કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય.

 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

 

2 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts