રવિવાર, 20 ઑગસ્ટ, 2023

શિવમય શ્રાવણ - 4

 બાર  જ્યોતિર્લિંગોમાંથી ઓંકારેશ્વર એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ શયન કરવા આવે છે.

જ્યોતિર્લિંગ સામે રોજ ચોસર સજાવીને મુકવામાં આવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે સવારે જોવામાં આવે તો ચોસરના પાસા ઊંધા જોવા મળે છે, આ ખૂબ જ મોટું રહસ્ય છે


12 જ્યોતિર્લિંગોમાં ચોથું જ્યોતિર્લિંગ ઓંકારેશ્વર મંદિર છે. ઓંકારેશ્વર મધ્યપ્રદેશના ઇન્દોર શહેર પાસે સ્થિત છે. નર્મદા નદીના મધ્ય ઓમકાર પર્વત ઉપર સ્થિત ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિર હિંદુઓની ચરમ આસ્થાનું કેન્દ્ર છે. અહીં ૐ શબ્દની ઉત્પત્તિ શ્રી બ્રહ્માજીના મુખ દ્વારા થઈ છે. એટલે દરેક ધાર્મિક શાસ્ત્ર કે વેદોના પાઠ ૐ શબ્દ સાથે જ કરવામાં આવે છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ ૐકાર અર્થાત ૐના આકાર ધારણ કરે છે, એટલે તેને ઓંકારેશ્વર નામથી ઓળખવામાં આવે છે. ઓંકારેશ્વરની મહિમાનો ઉલ્લેખ પુરાણોમાં સ્કંદ પુરાણ, શિવપુરાણ અને વાયુપુરાણમાં કરવામાં આવે છે. હિંદુઓમાં બધા તીર્થોના દર્શન સાથે જ ઓંકારેશ્વરના દર્શન અને પૂજનનું વિશેષ મહત્ત્વ છે. તીર્થ યાત્રી બધા તીર્થોનું જળ લાવીને ઓંકારેશ્વરમાં અર્પણ કરે છે, ત્યારે જ બધા તીર્થ પૂર્ણ માનવામાં આવે છે. નહીંતર તે અધૂરા જ માનવામાં આવે છે.

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ પાંચ માળનું બિલ્ડિંગ છે. જેના પહેલા માળમાં ભગવાન મહાકાળેશ્વરનું મંદિર છે, ત્રીજા માળે સિદ્ધનાથ મહાદેવ અને ચોથા માળમાં ગુપ્તેશ્વર મહાદેવ અને પાંચમા માળે રાજેશ્વર મહાદેવનું મંદિર છે. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગમાં અનેક મંદિર નર્મદાના બંને દક્ષિણ અને ઉત્તર તટે સ્થિત છે. સંપૂર્ણ પરિક્રમા માર્ગ મંદિર અને આશ્રમો દ્વારા ઘેરાયેલ છે. અનેક મંદિર સાથે અહીં ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદાજીના દક્ષિણ તટ પર સ્થિત છે.

ઓંકારેશ્વર અને અમલેશ્વર બંને શિવલિંગોને ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં પર્વતરાજ વિંધ્યએ ઘોર તપસ્યા કરી હતી અને તેમની તપસ્યા પછી તેમણે ભગવાન શિવને પ્રાર્થના કરીને કહ્યું કે તેઓ વિંધ્ય ક્ષેત્રમાં સ્થિર નિવાર કરે. તે પછી ભગવાન શિવજીએ તેમની આ વાતનો સ્વીકાર કર્યો. અહીં એક જ ઓંકારલિંગ બે સ્વરૂપોમાં વહેંચાયેલ છે. આ પ્રકારે પાર્થિવમૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ હતી, તેને જ પરમેશ્વર કે અમલેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે.

ઓંકારેશ્વર મંદિરના પૂજારીના જણાવ્યા પ્રમાણે 12 જ્યોતિર્લિંગોમાંથી આ એકમાત્ર જ્યોતિર્લિંગ છે જ્યાં મહાદેવ શયન કરવા આવે છે. ભગવાન શિવ દરરોજ ત્રણેય લોકમાં ભ્રમણ કરીને અહીં આવીને આરામ કરે છે. ભક્તગણ તથા તીર્થયાત્રી ખાસ શયન દર્શન માટે અહીં આવે છે. ભોળાનાથ સાથે અહીં માતા પાર્વતી પણ રહે છે અને રોજ રાતે અહીં ચોસર રમે છે. અહીં શયન આરતી પણ કરવામાં આવે છે, શયન આરતી પછી જ્યોતિર્લિંગ સામે રોજ ચોસર સજાવીને મુકવામાં આવે છે. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે રાતે ગર્ભગૃહમાં કોઈ પણ જઈ શકતું નથી, પરંતુ સવારે જોવામાં આવે તો ચોસરના પાસા ઊંધા જોવા મળે છે, આ ખૂબ જ મોટું રહસ્ય છે જેના અંગે કોઈ જાણતું નથી. ઓંકારેશ્વર મંદિરમાં ભગવાન શિવની ગુપ્ત આરતી કરવામાં આવે છે જ્યાં પૂજારીઓ સિવાય કોઈપણ ગર્ભગૃહમાં જઈ શકતું નથી. પૂજારી ભગવાન શિવનું વિશેષ પૂજન તથા અભિષેક કરે છે.

ઓંકારેશ્વર જ્યોતિર્લિંગને લઇને અનેક કથાઓ પ્રચલિત છે. એક કથા પ્રમાણે એકવાર નારદ ઋષિ વિંધ્ય પર્વત પહોંચ્યાં. વિંધ્ય પર્વત પોતાની અભિમાનથી ભરપૂર વાતો નારદજીને સંભળાવી રહ્યા હતાં. ત્યારે જ નારદજીએ વિંધ્યાચલને જણાવ્યું કે તમારી પાસે બધું છે, પરંતુ મેરૂ પર્વત તમારાથી ખૂબ જ ઊંચો છે. આ વાત સાંભળીને વિંધ્ય પર્વતને ખૂબ જ દુઃખ થયું. વિંધ્ય પર્વતને આ વાતથી ઇર્ષ્યા થવા લાગી કે તે મેરૂ પર્વત કરતા ઊંચો કેમ નથી. તે ભગવાન શંકરજીની શરણમાં ગયો જ્યાં સાક્ષાત ઓંકાર વિદ્યમાન છે. તે સ્થાને પહોંચી તેણે પ્રસન્નતા અને પ્રેમપૂર્વક શિવની પાર્થિવ મૂર્તિ બનાવી અને છ મહિના સુધી સતત તેના પૂજનમાં મગ્ન રહ્યાં. શિવજીએ વિંધ્યને પોતાનું દિવ્ય સ્વરૂપ પ્રકટ કરીને બતાવ્યું, જેના દર્શન મોટા-મોટા યોગીઓ માટે પણ ખૂબ જ દુર્લભ હોય છે. ભગવાન શિવજીએ વિંઘ્યને અનેક કાર્યની સિદ્ધિ કરનારી તે અભીષ્ટ બુદ્ધિ પ્રદાન કરી અને કહ્યું કે તમે જે પ્રકારનું કામ કરવા ઇચ્છો છો, તેવું કરી શકો છો. મારા આશીર્વાદ તમારી સાથે છે.

ભગવાન શિવજીએ જ્યારે વિંઘ્યને ઉત્તમ વરદાન આપ્યું, તે સમયે દેવગણ તથા શુદ્ધ બુદ્ધિ અને નિર્મળ ચિત્ત ધરાવનાર થોડા ઋષિગણ પણ ત્યાં આવી ગયાં. તેમણે પણ ભગવાન શંકરજીની વિધિવત પૂજા કરી અને તેમની સ્તુતિ કર્યા પછી તેમને કહ્યું- પ્રભો, તમે હંમેશાં માટે અહીં સ્થિર થઈને નિવાસ કરો. દેવતાઓની વાતથી મહેશ્વર ભગવાન શિવજીને ખૂબ જ પ્રસન્નતા થઈ. લોકોને સુખ આપનાર પરમેશ્વર શિવજીએ તે ઋષિઓ તથા દેવતાઓની વાતને પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કર્યો. ત્યાં સ્થિત એક જ ઓંકારલિંગ બે સ્વરૂપોમાં વિભક્ત થઈ ગયાં. પ્રણવના અંતર્ગત જે સદાશિવ વિદ્યમાન થયાં, તેમણે ઓંકાર નામથી ઓળખવામાં આવે છે. આ પ્રકારે પાર્થિવ મૂર્તિમાં જે જ્યોતિ પ્રતિષ્ઠિત થઈ હતી, તે પરમેશ્વર લિંગના નામથી વિખ્યાત છે. પરમેશ્વર લિંગને જ અમલેશ્વર પણ કહેવામાં આવે છે.

મંદિરમાં નિયમિત રૂપથી દરરોજ 3 પૂજા કરવામાં આવે છે. ત્રણેય પૂજા વિવિધ પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. સવારની પૂજા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, બપોરની પૂજા સિંધિયા ઘરાનેના પૂજારી કરે છે અને સાંજની પૂજા હોલકર સ્ટેટના પૂજારી દ્વારા કરવામાં આવે છે. મંદિરમાં વર્ષભર ભક્તોની ભીડ જોવા મળે છે. પરંતુ શ્રાવણ મહિનામાં મંદિરનું મહત્ત્વ વધી ગયું છે. કહેવાય છે કે જે ભક્ત નર્મદામાં સ્નાન કરી નર્મદા જળથી ભરેલાં પાત્ર, પુષ્પ, નારિયેળ તથા અન્ય સામગ્રી લઇને ભગવાનનું પૂજન કરે છે. અનેક ભક્ત પુરોહિત સાથે ભગવાનનું વિશેષ પૂજન તથા અભિષેક પણ કરે છે. પર્વ કાળ તથા મેળા દરમિયાન ભારે ભીડ હોય છે.

દરેક સોમવારે ભગવાન ઓંકારેશ્વરની ત્રણેય મુખવાળી સ્વર્ણ મૂર્તિ એક સુંદર પાલકીમાં વિરાજિત કરી ઢોલ નગાડા સાથે પૂજારીઓ તથા ભક્તો દ્વારા જુલુસ કાઢવામાં આવે છે જેને ડોલા કે પાલકી કહેવાય છે. આ દરમિયાન સર્વપ્રથમ નદી કિનારે જવામાં આવે છે તથા પૂજન અર્ચન કરવામાં આવે છે. તે પછી નગરના વિવિધ ભાગોમાં ભ્રમણ કરવામાં આવે છે. આ જુલુસ સોમવાર સવારીના નામે ઓળખવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસમાં આ ઉત્સવ ખૂબ જ વિશાળ પાયે ઊજવવામાં આવે છે તથા ભારે માત્રામાં ભક્ત નૃત્ય કરે છે તથા ગુલાલ ઉડાડીને ઓમ શંભૂ ભોળાનાથનો જયજયકાર કરે છે. આ ખૂબ જ સુંદર દૃશ્ય હોય છે. (માહિતી સૌજન્ય : દિ.ભા.)

- ઈશ્વર પ્રજાપતિ  

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Popular Posts