Sunday, February 5, 2023

સન્ડે સ્પેશિયલ

  "ભારતમાં જ દર વર્ષે લાખો લોકો કેન્સરથી મૃત્યુ પામે છે. જડબાના કેન્સરમાં  ગુજરાત વિશ્વમાં પ્રથમ  ક્રમાંકે છે. સૌથી વધુ ઘાતક કોણ વાયરસ કે વ્યસન ?" : સુરેશ પ્રજાપતિ  



         ગઈ કાલે ૪ ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે   કેન્સર સામે  જાગૃતિ આણવા ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું.  કેન્સરનું નામ સાંભળતા જ નજર સામે મૃત્યુંનો વિકરાળ ચહેરો નજર સમક્ષ તરવળવા લાગે છે. કેન્સર જેવા ભયાનક રોગે જાણે આખા વિશ્વને પોતાના ભરડામાં લીધું છે. બીડી, સિગારેટ, તમાકુ, ગુડખા જેવા પદાર્થોના સેવનથી કેન્સર થવાના સંભાવનાઓ વધી જતી હોય છે એ સર્વ વિદિત વાત છે. એમ છતાં પાનના ગલ્લે જઈ  તમાકુને પ્રેમ કરનાર યુવાઓની સંખ્યા પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહી છે. પૈસાના ખર્ચીને કેન્સરને જાણે નિમંત્રણ આપી રહ્યા છે. તમાકુના વ્યસન થકી જિંદગી બરબાદ કરતા લોકોને જોઈ એક તરવળીયા યુવાનનું હૃદય દ્રવી ઉઠ્યું. લોકોને વ્યસનની ચુંગાલમાંથી મુક્ત કરી કેન્સર જેવી જીવલેણ બીમારીથી લોકોને જાગૃત કરવા આ યુવાને  રીતસરનો જંગ માંડ્યો. એ યુવાનું નામ છે સુરેશભાઈ પ્રજાપતિ.

     અમદાવાદ ચાંદખેડામાં રહેતી એક નાની વયની દીકરીની કેંસરનું નિદાન થયું. આ માસુમ દીકરીને હાડકાંનું કેંસર હતું. માતાપિતા સાથેની  ડોકટરની વાત આ દીકરી સાંભળી ગઈ કે જરૂર પડે દીકરીનો હાથ પણ  કાપવો પડે. આ વાત સાંભળી દીકરી એટલી તો ડરી ગઈ કે ડોકટરનું નામ સાંભળતાં જ દીકરી રજાઈ ઓઢીને સુઈ જતી. આ દીકરીના માતાપિતાને કોઈ એ સુરેશભાઈ પ્રજાપતિનું સરનામું આપ્યું. સુરેશભાઈને આ વાતની જાણ થતાં જ તેઓ તરત કેંસરગ્રસ્ત દીકરીને મળવા દોડી ગયા. દીકરી સાથે બે કલાક નિરાંતે ગાળી હળવી ફૂલ વાતો કરી દીકરીને ભયમુક્ત કરી. બીજા દિવસે દીકરીએ એનાં માતા પિતાને કહ્યું ચાલો પપ્પા, આજે ડોકટર અંકલને બતાવી આવીએ. મતાપિતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માત્ર બે કલાક્માં સુરેશભાઈ એ એવું તે શું જાદુ કર્યુ કે દીકરીમાં આટલી હિંમત આવી ગઈ! અને તે  ડોકટરને  મળવા સામેથી તૈયાર થઈ ગઈ! ઓપરેશન થયુ. હાથને બદલે માત્ર ટચલી આંગળી કાપવી પડી. માસૂમ દીકરી કેંસર મુક્ત બની  અને દીકરી ફરી હસતી રમતી થઈ ગઈ.

              આ દીકરીનું તો એક માત્ર ઉદાહરણ છે. સુરેશભાઈ પ્રજાપતિ અવા અનેક કેંસર ગ્રસ્ત લોકોને મળી તેઓનું કાઉંસલિંગ કરી ચુક્યા છે. આવા લોકોને  કેંસર નામના મહારોગ સામે લડવા તૈયાર કર્યા છે. તેમાના ઘણા દર્દીઓએ આ મહારોગને માત પણ આપી છે.

           સુરેશભાઈ પ્રજાપતિ જેઓ કેંસર કથા કરી આજે ગુજરાતના ગામડે ગામડે જાણીતા બન્યા છે. યુવાનોને વ્યસનની ચુંગાલમાંથી છોડવાવા સુરેશભાઈએ શરૂ કરેલી મથામણ આજે રંગ લાવી રહી છે.  

             WHO એક રીપોર્ટ પ્રમાણે દર વર્ષે  તમાકું અને ધુમ્રપાનના કારણે વિશ્વના 90 લાખ લોકો અને માત્ર ભારતના 11 લાખ લોકો કેંસર રોગનો ભોગ બની મોતને ભેટે છે. આજે વ્યસન એ ફેશન બની ગયું છે. યુવાનો પાનના ગલ્લે ઉભા ઉભા સીગારેટના ધુમાડો કાઢવામાં આનંદ અનુભવે છે. તમાકુ યુક્ત ગુટખા અને પાન મસાલાના વ્યસનથી  યુવાની બરબાદ કરી રહ્યા છે. આપને  જાણીને નવાઈ લાગશે કે મો અને જડબાના કેંસરમાં  ગુજરાત વિશ્વમાં પ્રથમ ક્રમાંકે છે. અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આ કેંસરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે. અને દિન પ્રતિદિન આ સંખ્યા ચિંતાજનક રીતે  વધી રહી છે ત્યારે  સુરેશભાઈ સમાજમાં કેંસર વિષે જાગૃતિ લાવવા અને   તમાકું, ગુટખા, બીડી, સિગારેટના વ્યસનથી સમાજને સંપૂર્ણ મુક્ત બનાવવા એકલા હાથે ઝંગ માંડ્યો છે.

              સુરેશ્ભાઈ હાલ અમદાવાદ નરોડા રહે છે. ઓઢવ LIC બ્રંચમાં કારકૂન તરીકે ફરજ બજાવે છે. થોડાં વર્ષ પહેલાં તેઓના પરિવારમાં તેમનાંં મોટીબાને જઠરનું કેન્સર થયું.  ડોકટરે કરેલા કેંસરના નિદાનથી પરિવાર પર જાણે મુસિબતોનું આભ ફાટ્યું. રોજ રોજ હોસ્પિટલના ધક્કા, મોઘી  દાટ દવાઓ, ડોક્ટરની ઊંચી ફી એમ છતાં પરિણામ શૂન્ય. આર્થિક, માનસિક, પારિવારિક તકલીફોનો પાર નહીં.  અત્યંત નજૂક પરિસ્થિમાં  અનેક  યાતનાઓનો  સુરેશભાઈને જાત અનુભવ થયો. મોટાબાની શરીરની પારાવાર અસહ્ય  વેદના નજર સમક્ષ નિહાળી.   ફક્ત 6 માસના ગાળામાં મૃત્યુ પામ્યા હતા. છ માસ અગાઉ સંપૂર્ણ તંદુરસ્ત જણાતાં મોટાબાને માત્ર છ જ માસમાં  કેંસર નામનો મહા રોગ ભરખી ગયો. સુરેશભાઈનું હૈયું વલોવાયું. અને એ જ દિવસથી મનમાં ગાંઠ વાળી કે કેંસર વિષે સમાજમાં જાગૃતિ લાવાવી. વ્યસન કરાતા લોકોમાં કેંસર થવાની શક્યતાઓ ઘની વધી જાય છે. માટે અવા  વ્યસન કરતા લોકોને કેવી રીતે વ્યસનમુક્ત કરવા તેનું ચિંતન કર્યું. 2 ઓક્ટોબર 2014 ના રોજ જ્યારે આપણા વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરી બસ એ જ દિવસથી એકલા હાથે એક નવા અભિયાનનો આરંભ કર્યો.

                ભાગવત કથા, રામાયણ કથા, સત્યનારાયણની કથા. . . જેવી ધાર્મિક કથાઓ વિશે આપણે સાંભળ્યું છે. . . પણ સુરેશભાએ એ  કૅન્સર જેવા અસાધ્ય મનાતા જટિલ રોગ અને વ્યસનોની વાત વણી લઈ કૅન્સર કથાનો પ્રારંભ કર્યો.   

              તેઓ જ્યારે ઘરની બહાર નીકળે એટલે કપાળ પર તમાકુ, ધુમ્રપાન છોડોલખેલી પેટ્ટી બાંધીને એક યોધ્ધાને જેમ  નીકળે. તેઓ પોતાના કર્ય ક્ષેત્રના એક નિષ્ઠાવાન કર્મચારી છે. આખો દિવસ  ઓફિસમાં નિષ્ઠા પુર્વક પોતાની ફરજ બજાવવાની  અને નોકરીનો સમય પૂર્ણ થતાં ગલ્લે ગલ્લે નીકળી પડવાનું. વ્યસનોની હાટડીઓ એવા પાનના ગલ્લાઓ પર જઈ લોકોને તમાકુ ધૂમ્રપાન જેવી આદતો માનવશરીરને શું નુકસાન પહોંચાડે છે એ વિષય પર જાણકારી આપતા રહે છે.  પહેલાં લોકોએ મજાક પણ ઉડાડી, પરંતુ મજાક સહન કરીને પણ નિયમિત  ઓફિસથી છૂટી પાનના ગલ્લે, બગીચાઓ, જાહેર સ્થળો પર જઈ લોકોને સમજાવવાનું ચાલું જ રાખ્યું. જેમની સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ ન હોય તેમને વ્યસનમુક્ત કરવા માટે પાનનાં ગલ્લે ફરીને સમજાવવાં તે કોઈ નાની સુની વાત તો નથી જ . અનેક મુશ્કેલીઓની વચ્ચે તેમણે એકલા હાથે આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી.    અત્યાર સુધી લગભગ 5 લાખ લોકોને રૂબરૂ મળી કાઉન્સેલીગ કરી હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. 

            સુરેશભાઈએ  અત્યાર સુધી એકપણ પૈસો લીધા વીના આખા ગુજરાતમાં 125 કેન્સર કથાઓ કરી છે. તેઓએ સ્વામિનારાયણ મંદિર, તેમજ અન્ય મંદિર, દરેક સમાજના સ્નેહમિલન,આઈ.ટી.આઈ, સ્કૂલ, શોરૂમ,ઔધોગિક એકમો, ભજન સંધ્યા, વિગેરે જગ્યાએ કેન્સર કથા પ્રસ્તુત કરી છે.  આકાશવાણી, દૂરદર્શન, મંતવ્ય ન્યૂઝ, ગુજરાત ન્યૂઝ, દિવ્ય ભાસ્કર,ગુજરાત સમાચાર વિગેરે પ્રસારણ માધ્યમો અવાર નવાર તેમના કાર્યને બિરદાવવા કાર્યક્રમો પ્રસ્તુત કરે છે. એટલું જ નહીં 4 ફેબ્રુઆરી વર્લ્ડ કેન્સર ડે ના દિવસે ભૂતકાળમાં ગુજરાત કેન્સર સોસાયટી એ પણ તેમની કેન્સર કથાનું આયોજન કર્યું હતું. આજે પણ છેલ્લા 3 વર્ષથી GCS માં દરરોજ કેન્સર કથા દર્દી અને તેમના સગાઓને બતાવવામાં આવે છે. એમની કેન્સર કથામાં 1.30 કલાક વ્યસનમુક્તિ અને 1.30 કલાક કેન્સર અંગેની જાગૃતિ બિલકુલ સરળ અને રમૂજી શૈલીમાં રજૂ કરે છે. આ ઉપરાંત શાળાઓ, કારખાના, સામાજિક સંસ્થાઓમાં અનેક કાર્યકમો કર્યા છેપોતે સરકારી કર્મચારી હોવા છતાં શનિ-રવિ રજાના દિવસે પરિવાર સાથે  રજાની મજા માણવાનું છોડી કોઈ કથા માટે આમંત્રણ આપે તો સુરેશભાએ સ્વખર્ચે પહોચી જાય છે.

           માત્ર દોઢથી બે કલાકની કેન્સર કથા સાંભળીને અનેક યુવાનો અને વડીલો  વ્યસનમુક્ત થયા છે . જેનો સંપૂર્ણ જશ જાય છે કેન્સર કથાકાર  સુરેશ પ્રજાપતિને! સમાજને વ્યસન મુક્ત કરવાનો નેક ઈરાદો ધરાવનાર  સુરેશ પ્રજાપતિએ જાણે કે કેન્સર સામે રીતસરનાં કેસરીયાં કર્યાં છે. આ એકલવીરની સમાજ પ્રત્યેની નિષ્ઠા એટલી જોરદાર છે કે તેઓ સ્કૂલો , કોલેજો તથા ફેક્ટરીઓમાં જઈને વિનામૂલ્ય કેન્સર કથા કરે છે. લોકોને તમાકુથી દૂર રહેવા માટે અપીલ કરે છેસમજાવે છે. તેમની ધારદાર રજૂઆતમાં સત્યઘટનાઓ તથા જ્ઞાન સાથે ગમ્મતના ચમકારા પણ જોવા મળે છે. જેને કારણે લોકો હોંશે હોંશે તેમને સાંભળે છે. કેન્સર કથા બોરીંગ ન થઈ જાય તે માટે શ્રી સુરેશ પ્રજાપતિ ખૂબ જ સતર્ક છે. તેઓ તદ્દન હળવી શૈલીમાં કેન્સરનાં લક્ષણો, નિદાન તથા વિવિધ પદ્ધતિની તબીબી સારવારને ચાલાકીપૂર્વક આવરી લે છે. સુરેશ ભાઈએ કેન્સર કથાના નવા અભિગમથી લોકોને તમાકુ ધુમ્રપાન છોડાવવાનું શરૂ કર્યું.

       સુરેશભાઈ વ્યથિત હ્રુદયે જણાવે છે કે છેલ્લાં બે વર્ષ સમગ્ર વિશ્વએ કોરોના વાઈરસનો સામનો કર્યો જેમાં ભારત પણ બાકાત ન હતું. વાઈરસને હરાવવા માનવ જાતિએ કેટલી ચોકસાઈ રાખી, ત્યારે આપણે કોરનાને હરાવી શક્યા છે. છેલ્લા બે વર્ષમાં કોરનાનાં કારણે જેટલાં મૃત્યું નથી થયા એટલાં મૃત્યુ કેન્સરના કારણે થયા છે. એક અંદાજ પ્રમાણે બે વર્ષમાં ૨૨ લાખ લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે. જે કોરોનાથી મૃત્યુ પામેલ સંખ્યા કરતા આ સંખ્યા અનેક ઘણી વધારે છે. પરતું દુખદ બાબત એ છે કે એક વાઇરસ સામે લડવામાં જેટલી કાળજી કેન્સર સામે લડવામાં પણ લીધી હોત તો ઘણા જીવ આપણે બાચાવી શક્યા હોત. WHOના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૦ માં ૧૦ બિલીયન લોકો કેન્સરના કારણે મૃત્યુ પામ્યા હતા.  યક્ષ  પ્રશ્ન તો એ છે કે સૌથી વધુ ઘાતક કોણ વાયરસ કે વ્યસન ?

      આજ દિન સુધી  કોઈએ ન કર્યું હોય એવું સર્વે ખુદ સુરેશભાઈએ જાતે ત્રણ મહિના સ્મશાનમાં બેસીને કર્યું છે. સ્મશાનમાં અગ્નિદાહ માટે આવતાં શબની તેઓએ ગણતરી માંડી. એમાં ૫૦ વર્ષથી ઓછી ઉમરની મૃત્યુ પામેલ વ્યક્તિના અગ્નિસંસ્કાર કરનાર આવનાર સગા સબંધીઓને સુરેશભાઈ કેટલાક સામાન્ય  પ્રશ્નો પૂછતા. એના આધારે  જાણવા મળતું કે મૃત્યુ પામનાર મોટા ભાગની વ્યક્તિઓને તમાકુનું વ્યાસન હતું અને કેન્સર જેવી અસાધ્ય બીમારીના કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. આવી વ્યક્તિઓના સંતાનો સને પરિવારની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. આ પરિસ્થિતિમાંથી સમાજને બહાર લાવવા સુરેશભાઈએ બમણા વેગે કેન્સર કથાઓ શરૂ કરી.

           કેન્સર કથાની વધતી જતી લોક ચાહનાને કારણે તેમના આ અભિયાનના પ્રસાર અને પ્રચારનો વ્યાપ પણ વધ્યો છે. જેને કારણે શ્રી સુરેશભાઈનાં ઉત્સાહમાં પણ અનેક ગણો વધારો થયો છે.. તેમની કેન્સર કથાઓ થકીના આ જાગૃતિ અભિયાનને તાજેતરમાં સંસ્થાએ પણ બિરદાવ્યું છે. એકલા હાથે સમાજ્માં બદલાવ લાવવા નીકળેલ આ એકલવીર યોધ્ધાને અભિનંદન આપીએ એટલાં ઓછા છે. 

સુરેશ પ્રજાપતિ સંપર્ક નં 99796 08721

લેખન-  : ઈશ્વર પ્રજાપતિ

9825142620 

No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts