કર્મવીર, ધર્મવીર અને દાનવીર દંપતી પૂ. પ્રેમુભાઈ અને આનંદીબહેન ઠાકર
સાબરકાંઠા ઈડર પંથકમાં પંથકમાં આવેલું આ ગામનું નામ સાંભળતાં જ લોકસંત પ.પૂ. જેશીંગ બાવજીનું પુણ્ય સ્મરણ સાહજીક થઈ આવે. એક સામન્ય પરિવારમાં જન્મેલ એક વ્યક્તિ જીવનને આધ્યાત્મિક્તાના શિખર સુધી શિખર સુધી લઈ ગયા અને લાખો મુમુક્ષુઓને જીવનનો જીવવાનો નવો રાહ ચિંધ્યો. તેઓના તપોબળના કારણે નાનું અમથું આ ગામ વિશ્વના નકશા ઉપર અંકિત થયું. બાવજીની એક માત્ર હાંકલથી પોતાનો કરોડોનો કારોબાર રઝળતો મૂકી સમાજ સેવામાં જાત ઘસી ઘસી નાખી પોતાનું સમસ્ત જીવન ન્યોછાવર કરી દેનાર વિરલાઓ પણ આ ધન્ય ધરાની પેદાશ છે.
પ્રેમુભાઈ ઠાકર.
સાબરકાંઠા અને અરવલ્લીના અતરિયાળ આદિવાસી વિસ્તારમાં શિક્ષણ , આરોગ્ય અને સમાજ સેવાની જ્યારે પણ વાત નીકળે ત્યારે સૌથી પહેલું જો કોઈ નામ સાંભરે તો એ છે પ્રેમુભાઈ ઠાકર. પ્રેમુભાઈ ઉર્ફે પ્રેમુકાકા અને તેઓના ધર્મ પત્નિ આનંદીબેન આ ઋષિ તુલ્ય દંપતિએ અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં ગરીબ વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વ્યવસ્થા અને ગરીબ દર્દીઓ માટે અદ્યતન
આરોગ્ય સવલતો ઊભી કરવા માટે પોતાનો ખજાનો ખુલ્લો મુકી દીધો. પ્રેમુકાકાએ
વર્ષોથી મુંબઈ ઠરીઠામ થઈ વિશ્વ આખામાં લાખો કરોડોના કારોબારનો વિસ્તાર કર્યો. તેમની એલોપેથિક અને આયુર્વેદીક રૉ - મટિરિયલ્સ, દવાઓનું પ્રોડક્શન, એક્સપોર્ટ, ઇમ્પોર્ટ તેમજ મેન્યુફેકચરીંગ અને કન્સ્ટ્રકશનની કંપની ધીકતો ધંધો કરતી હતી. મુંબઈમાં ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનાર નિઃસંતાન દંપતી આનંદીબેન અને પ્રેમુભાઈ ઠાકર ધંધો જ્યારે સોળે કળાએ ખીલ્યો હતો ત્યારે ભેટો થયો બાવજીનો ! બાવજીએ પ્રેમુભાઈમાં રહેલી સાત્વિકતાને ઓળખી એક દિવસ કહ્યું : “ પ્રેમુભાઈ , તમારી પાસે ધનની કમી નથી , પરંતુ ધારો કે હું તમને ધનના ઢગલા પર બેસાડું તો તમે શું કરો ? ” પ્રેમુભાઈ કહે છે , બાવજીના આ સવાલનો મારી પાસે જવાબ ન હતો . ”
બાવજીના એક જ પ્રશ્ન આનંદીબેન અને પ્રેમુભાઈમાં સેવાયજ્ઞની જયોત જલાવી દીધી . મુંબઈવાસી ઉદ્યોગપતિ કરોડોના કમઠાણ પડતાં મૂકીને પચાસમે વર્ષે મહાનગર મુંબઈની માયા છોડી ખોબા જેવડા ગાંઠીઓલ ગામમાં રહેવા આવી ગયા !
પ્રેમુભાઈના પ્રથમ જ પરિચયમાં આવનાર વ્યક્તિ આજીવન તેમનો પ્રેમી બની જાય ! શિક્ષણ
પ્રેમ તેઓના હૈયે વસેલો. પૂજ્ય પ્રેમુકાકા અને પૂજય આનંદીબેને ગાંઠીઓલ ગામમાં "શ્રીમતી આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર હાઈસ્કૂલ"ની સ્થાપના, નિર્માણ અને વિકાસમાં સૌથી મોટો , મહત્ત્વનો - સિંહફાળો આપ્યો. પોતેના પરિવારે તો માતબર રકમનું દાન કર્યું જ પરંતુ ત્યાર પછી મિત્રવર્ગ , પડોશીઓ અને બીઝનેસ પાર્ટનર્સને દાન આપવા માટે પ્રેરીત કર્યા. બ્રહ્મસમાજને દાનના પ્રવાહમાં જોડી દીધો . જુદા જુદા ધાર્મિક અને સામાજિક સંગઠનો પાસેથી માતબર રકમનું દાન એકઠું કર્યું. ગ્રામજનો , સાથી ટ્રસ્ટી મિત્રો , શિક્ષકો અને શાળાના સુખી સંપન્ન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દાનના પ્રવાહમાં સ્વેચ્છાએ એવા તો જોડાયા કે જાણે દાનનો મહેરામણ ઉમટવા લાગ્યો!
શામળાજી જેવા આદિવાસી વિસ્તારોમાં ‘ મોટાભાઈ ” નરસિંહભાઈ ભાવસાર આદિવાસીઓની તન , મન અને ધનથી સેવા કરી રહ્યા હતા . પ્રેમુભાઈ મોટાભાઈના કાર્યોથી ખૂબ જ પ્રભાવિત થયા . ‘
મોટાભાઈ ” ના સાનિધ્યમાં સેવાયજ્ઞ શરૂ થયા અને થોડા જ વર્ષોમાં રૂા . ૩૦ લાખનું દાન પ્રેમુભાઈએ આપ્યું અને સમાજ પાસેથી એકઠું કરી આપ્યું. આદિવાસી વિસ્તારમાં અનેક શૈક્ષણીક સંસ્થાઓ બેઠી કરવાનું શ્રેય પ્રેમુકાકાને ફાળે જાય છે. આદિવાસી કન્યાઓ અભ્યાસ કરી શકે તે માટે છાત્રલયો બંધાવી આપી. અંતરિયાળ વિસ્તારના ગરીબ વિદ્યર્થીઓના ઉત્કર્ષ માટે જાણે પ્રેમુકાકાએ પોતાનો ખજાનો જ ખુલ્લો મુકી દીધો હતો. કોઈપણ
શિક્ષણ સંસ્થા માટે ટ્રસ્ટીઓ પ્રેમુકાકા પાસે
કોઈ અપેક્ષા લઈને જાય તો ક્યારેય એ ખાલી હાથે
પાછા ફર્યા નથી. સાબરકાંઠા જિલ્લાની 88 સ્કૂલોમાં સ્કૂલ દીઠ રૂા .15000 આપીને આનંદીબેન પ્રેમુભાઈ ઠાકર પારિતોષિક યોજના શરૂ કરાવી. જે આજે પણ કાર્યરત છે.
એમના ભત્રીજાઓ એટલા આજ્ઞાંકિત. જનકભાઈ સર્જિકલ ઇસ્યુમેન્ટસના મોટા વેપારી છે જે પ્રેમુભાઈની તમામ સામાજિક સેવાની પ્રવૃત્તિઓને
આગળ ધપાવી રહ્યા છે. પ્રેમુભાઈએ પોતાના ભત્રીજા દીપકભાઈ ઠાકર ( આર્કિટેક એન્જિનિયર , મુંબઈ ) ને સેવાયજ્ઞમાં જોતરીને ‘ હંસાબેન પ્રવિણભાઈ ઠાકર વિદ્યાલય , શામળાજી ' માટે રૂા . 61 લાખનું દાન અપાવ્યું. ગુજરાતના જાણીતા શિક્ષણવિદ,
કેળવણીનો કબીર વડ અને નખશિખ
શિક્ષક એવા મોતીદાદાના પ્રમુખ સ્થાને તેઓના મર્ગદર્શન હેઠળ આજે
પણ દિપકભાઈ તન , મન ધનથી ઉત્સાહ પુર્વક આ સંસ્થામાં ભગીરથ સેવા આપી રહ્યા
છે.
ઈ. સ. 1985
માં ગાંઠીઓલ ગામમાં શ્રીમદ્ જેશીંગ બાપજીની કૃપાથી જેશીંગબાપા હોસ્પિટલ શરૂ થઈ. આ હોસ્પિટલના નિર્માણમાં પ્રેમુભાઈ ઠાકરે મહત્વનું પ્રદાન આપ્યું. તેમજ તેના વિકાસ માટે પૂજય જેશીંગ બાવજીના મુમુક્ષોએ અમૂલ્ય યોગદાન આપ્યું . કોઈપણ પકારની સરકારી ગ્રાન્ટ વિના રૂપિયા પાંચ કરોડના માતબર રોકાણ સાથે સાબરકાંઠા જીલ્લામાં આ હોસ્પિટલ તબીબી સેવા ક્ષેત્રે સુંદર કાર્ય કરી રહી છે. અદ્યતન સુવિધાઓ અને સાધનોથી સજેજ આ હોસ્પિટલ અનેક દરિદ્રનારાયણ માટે ' વિસામો ' બની છે.
શ્રીમદ જેશીંગબાપા હોસ્પિટલમાં એવા નિઃસહાય , લાચાર અને ગરીબ દર્દીઓ આવવા લાગ્યા જેઓની પાસે દવા ખરીદવાના પૈસા જ ના હોય અને એમાંય જ્યારે દવાનો કોર્સ પૂરો કરવાનો હોય ત્યારે દરદીઓ લાચારી . બતાવે ! આ પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવવા પ્રેમુભાઈ ઠાકરે તેમના જ મિત્ર શ્રી કનુભાઈ પટેલ ( બાલેશ્વર ગ્રુપ . અમદાવાદ ) ને હોસ્પિટલ જોવા આમંત્રણ આપી ‘ મેડીકલ રિલીફ ફંડ યોજના ' નો પ્રસ્તાવ મુક્યો, શ્રી કનુભાઈ પટેલે આ પ્રસ્તાવને હસતાં હસતાં સહજતાથી સ્વીકારી રૂા . ૫ લાખ જેવી માતબર રકમનું દાન આપીને તેમના ધર્મપત્નીના નામે શ્રીમતી મુક્તાબેન કનુભાઈ પટેલ મેડીકલ રિલીફ ફંડ યોજના શરૂ કરી અને આજે પૂજ્ય બાવજીના મુમુક્ષો , પ્રેમુભાઈના મિત્રો અને સ્નેહીજનોના સહયોગથી રૂ. 1 કરોડ કરતાં પણ વધુ રકમનું દાન આ યોજનામાં મળેલ છે . આ યોજનામાં ૧ લાખ રૂપિયાના દાનથી નીચેનો કોઈ દાતા જોવા જ ના મળે ! આમ તો તેઓ રૂા . 100 નું દાન પણ સ્વીકારે છે , આ ફિક્સ ડિપોઝીટના વ્યાજમાંથી ગરીબ દર્દીઓને દવાઓમાં રાહત આપવામાં આવે છે .
પ્રેમુભાઈએ માત્ર કોંક્રિટ્ના જંગલો જ બનાવ્યા નથી , પરંતુ પ્રકૃતિના ખોળે બાળકો અભ્યાસ કરે છે. 5000 લીમડા, 400 કેસર આંબા , 150 સાગના વૃક્ષો અને ચીકુ - દાડમ જેવા અનેક ફળો વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણ પ્રત્યે પોતાનો અનહદ પ્રેમ પ્રદર્શિત કર્યો છે! તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી ગોઠીઓલ ગામનું અંતિમધામ એટલે કે સ્મશાન સ્વર્ગથી પણ સુંદર બન્યું છે ! દિલ્હીના રાજઘાટની યાદ અપાવી દે એવું સ્મારક બન્યું છે . બાવજીનું સમાધિસ્થાન આજે યાત્રાધામ બન્યું છે ! બાવજીનું સ્મૃતિ મંદિર ભક્તિ , સાધના અને આરાધનાનું કેન્દ્ર બન્યું છે ! પૂજય જેશીંગબાવજીનું ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય મંદિર બન્યું છે !
ગુજરાતના તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેમુભાઈની આદિવાસી વિસ્તારોમાં ઉત્કૃષ્ટ શૈક્ષણિક સેવાઓ બદલ ઈ . સ . ૨૦૦૫માં સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે પ્રશસ્તિપત્ર અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા છે . પ્રેમુભાઈએ ‘ સાબરકાંઠાના ભામાશા ' તરીકે નામના મેળવી છે. આનંદીબેન હરહંમેશ પ્રેમુભાઈનો પ્રેરણાસ્રોત રહ્યા છે . પ્રેમુભાઈની સફળતાનું રહસ્ય સ્વયં આનંદીબેન છે.
25 ઓક્ટોબર 2018 ના રોજ પૂ. પ્રેમુકાકાએ ચીર વિદાય લીધી. પૂજય પ્રેમકાકાના પરમ સ્નેહી અને જમાઈ શ્રી સતીષભાઈ ભટ્ટ ( યુ . એસ . એ . ) પ્રેમુકાકા વિશે લખે છે, “ જે વ્યક્તિને પ્રેમુકાકા જોડે ન બને, તે વ્યક્તિ કાં તો મુર્ખ હોય કાં તો મનોરોગી . પ્રમુકાકાના પરિચયમાં આવ્યા પછી તમે પ્રેમના તાંતણે અવશ્ય બંધાઈ જ જાવ . પ્રેમકાકા વિશ્વમાનવ હતા . સમગ્ર વિશ્વ તેમના માટે કુટુંબ હતુ . આવા વિશ્વમાનવો પરિવાર, જાતિ, ધર્મ, સંપ્રદાય, પ્રદેશ અને દેશના સીમાડાઓ ઓળંગી તેમાંથી બહાર આવી વિશ્વમાં માનવતાનો સંદેશો ફેલાવે છે. વિશ્વમાનવો કદી મરતાં નથી . તેમનાં અભતપુર્વ અને અસાધારણ કાર્યોથી અમર થઈ જાય છે.”
આજે પૂજ્ય પ્રમુભાઈ અને પૂજય આનંદીબહેન સદેહે આપણી વચ્ચે નથી , પરંતુ તેમણે આદરેલા સેવાયજ્ઞની જયોત સદાય પ્રવલિત રહેશે.”
સંસર્ભ : દિવ્ય સંસ્મરણો.
મહિતિ સહિયોગ : કમલેશભાઈ શુક્લ (ગાંઠીઓલ હાઈ.) અને યોગેશભાઈ પટેલ
લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
પ્રવીણભાઈ ઠાકર ( પૂ. પ્રેમુકાકાના ભાઈ શ્રી) સંપર્ક નં ; 098920 75128
સંસર્ભ : દિવ્ય સંસ્મરણો.
મહિતિ સહિયોગ : કમલેશભાઈ શુક્લ (ગાંઠીઓલ હાઈ.) અને યોગેશભાઈ પટેલ
લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)
No comments:
Post a Comment