Thursday, October 31, 2019

શિક્ષણ જગતના ઝગમગતા સિતારા : માહિપાલ સિંહ જેતાવત


બેલ વગર ચાલતી સ્માર્ટ શાળાના સ્વપ્નદ્રષ્ટા આચાર્ય 
મહિપાલસિંહ જેતાવત.


           સ્વપ્નમાંય આપે એવી શાળાની કલ્પના કરી છે જ્યાં સમય સુચકતા માટે "બેલ" જ ન હોય અને એમ છતાં શાળા સમયે વગર બેલે 100% વિદ્યાર્થીઓ અને શિક્ષકો પ્રાર્થનામાં હાજર હોય ?? માન્યામાં ના આવે એવી વાત છે પરંતુ બેલ વિના શિસ્તબદ્ધ ચાલતી આવી અનોખી શાળા નિહાળવી હોય તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની ટીડાણા ગામની "સપનોકી પાઠશાલા" ની મુલાકાત લેવી પડે. સુરેન્દ્રનગર જિલ્લાની પ્રથમ સ્માર્ટ સ્કૂલ હોવાનું ગૌરવ ધરાવતી આ સરકારી શાળાનાં વિદ્યાર્થીઓ પણ સ્માર્ટ છે. શાળાની નોખી કાર્યપ્રણાલી અને સાફલ્ય ગાથાનો પરિચય મેળવવા વર્ષે દહાડે આ જિલ્લાના અને જિલ્લા બહારના અનેક શિક્ષકો, કેળવણીકારો અને શિક્ષણ પ્રેમીઓ આ શાળાની મુલાકાત લેવા આવતા રહે છે. 
               મહિપાલસિંહ સજજનસિંહ જેતાવત. 
             એક કર્મયોગી શિક્ષક અને કર્તવ્યનિષ્ઠ આચાર્ય છે. વર્ષ 2002 ના વર્ષમાં શિક્ષક તરીકેની પ્રથમ નિયુક્તિ આ જ શાળામાં થઈ. છેલ્લાં 17 વર્ષથી આ જ શાળામાં અવિરત ઓતપ્રોત રહી શાળાની કાયાપલટ કરી નાખી. ઘટાદાર વૃક્ષો, લીલીછમ લોન અને જાત જાતના ફૂલ છોડથી મ્હેકતું હરિયાળું શાળા પરિસર અને વિદ્યાર્થીઓને ગમે એવા સુંદર રીતે સજાવેલા વર્ગખંડો જોતાં જ લાગે આ માણસે અહીં જીવ રેડયો છે. અહીંનું ભૌતિક વાતાવરણ જ નહીં પરંતુ શૈક્ષણિક વાતાવરણ પણ લીલુંછમ છે. 
       આજે રૂડી નંદનવન જેવી લાગતી ટીડાણા ગામની આ સરકારી શાળા વર્ષ 1953 માં સ્થપનાથી લઈ આજ દિન સુધીની સાડા છ દાયકાની મઝલ કાપતાં કાપતાં ઘણી તડકી-છાંયી જોઈ છે. વર્ષ 2001 માં ગુજરાતમાં આવેલ ભૂકંપે શાળાના અને શિક્ષકોના ઈરાદાઓને ડગમગાવી દીધા. શાળાના તમામ વર્ગો જમીનદોસ્ત થઇ ગયા. અહીંથી શાળાના શિક્ષકોનો પરિસ્થિતિને બદલવાનો સંઘર્ષ શરુ થાય છે . શરૂના વર્ષોમાં એક રૂમ 4 શિક્ષકો અને એક લીમડો. આ લીમડો એ જ શાળા. લીમડાની નિશ્રામાં સતત બે વર્ષ સુધી શાળા ચાલી. ભલે વર્ગખંડ ન હતા પરંતુ ઝાડની છાયામાં ચાલતી શાળાના શૈક્ષણિક કાર્યના ઉત્સાહ અને ઉમંગમાં કોઈ ઉણપ જોવા ન મળે. આવા સમયે રાજ સોભાગ નામની સંસ્થા આશાનું કિરણ બનીને આવી. અને શાળાને 4 નવા ઓરડા બનાવી આપ્યા. 'દોડવું હતું ને ઢાળ મળ્યો' વર્ગખંડ તૈયાર થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના ઉત્સાહ ને જાણે પાંખો ફૂટી!! આ શિક્ષણયજ્ઞમાં ફરજનિષ્ઠ શિક્ષકો જોડાતા ગયા. અને સૌના સહિયારા પુરુહાર્થે શાળા એ પ્રગતિનો જે માર્ગ પકડ્યો છે તે આજ સુધી અવિરત ચાલુ રહ્યો છે. એક સમયે પ્રાથમિક સુવિધાથી વંચિત શાળા આજે તમામ ઉત્તમ સુવિધાઓ ધરાવતી શાળા બની લાઈટ પંખા વગરની શાળા આજે જીલ્લાની પ્રથમ સ્માર્ટ શાળા બની છે. શિક્ષક દીઠ લેપટોપ, તમામ વર્ગખંડોમાં ચોકલેશ ડીઝીટલ બોર્ડ, પ્રોજેક્ટર , એલ.ઈ. ડી. ટી.વી. ખાનગી શાળા પણ કલ્પી ન શકે એવી એકદમ અદ્યતન સુવિધાઓથી સજ્જ શાળા. 

                  માત્ર 1200 ની વસ્તી ધરાવતા આ ગામની  શાળાને રાજ્યની એક આદર્શ શાળા બનાવનાર માહિપાલસિંહ છેલ્લાં 12 વર્ષથી એક સફળ અને યશસ્વી આચાર્ય તરીકે ફરજ અદા કરી રહયા છે. મહિપાલસિંહનું મૂળ વતન તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાનું મેધ ગામ. H . Sc . , PTC . સુધીનો અભ્યાસ કરી ટીડાણા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયા ત્યારથી આ ગામને જ પોતાનું વતન બનાવી દીધું. શાળાને જ પોતાનું ધર, શાળાના બાળકોને પોતાનો પરિવાર માની ચોવીસ કલાક શાળા વિકાસ તેમજ બાળકોના જીવન ધડતર કરવા માટે કમર કસી છે. જ્યારે જુઓ ત્યારે શાળાનાં પ્રાંગણમાં જ જોવા મળે. સતત શીખતા રહેવું એ તેઓની પ્રકૃતિ છે. નોકરી દરમિયાન ઇતિહાસ વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી. તેઓના રસનો વિષય કોમ્યુટરના નવીન પ્રવાહોથી માહિતગાર થઇ તેનો શિક્ષણમાં યોગ્ય ઉપયોગ કરી બાળકોને નુતન પ્રવાહો સાથે જોડતા ગયા. 
             મહિપાલસિંહ દ્વારા શાળામાં શિક્ષાના નવતર પ્રયોગો પણ કરવામાં આવ્યા છે. આજે ધોરણ 2 નો વિદ્યાથી પણ કમ્પ્યુટર નો મુક્ત રીતે ઉપયોગ કરી શકે છે. જેમાં તેમની શાળાના મોટા ભાગના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ કોમ્યુટરનો શૈક્ષણિક હેતુ માટે સારો ઉપયોગ કરી શકે છે . આશ્ચર્ય પમાડે એવી વાત તો એ છે કે આ બાળકો પોતાની રજા ચિઠ્ઠી ઇમેલ દ્વારા વર્ગ શિક્ષકને મોકલી આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ, હાજરી રીપોર્ટ તૈયાર કરવાની ધમતા ધરાવે છે . Google form નો ઉપયોગ કરી જાતે પ્રશ્નોત્તરી ઘરે બેઠા ક્સોટીઓ આપે છે. આપણે સૌ ભાર વગરના ભણતરની વાત કરીએ છીએ ત્યારે આ શાળાએ છેલ્લા બે વર્ષ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે બેગ ફ્રી શાળા બનાવી ભાર વગરના ભણતર અભિગમને સાર્થક કર્યો છે. 
     6 શિક્ષકો અને 130 વિદ્યાર્થીઓ  ધરાવતી  આ નાની અમથી શાળાએ NMMS પરીક્ષામાં 2018 ના વર્ષમાં 100% પરિણામ પ્રાપ્ત કર્યુ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ચિત્રકળા પરીક્ષાનું 100% પરિણામ પ્રાપ્ત કર્યું છે. કલા મહોત્સવ હોય કે ખેલ મહાકુંભ, શૈક્ષણિક સિદ્ધિ હોય કે સહ અભ્યાસીક પ્રવૃત્તિઓ આ શાળા હંમેશા શિરમોર જ રહે છે. શાળામાં અભ્યાસ કરતો એકપણ વિદ્યાર્થી અનિયમિત નથી . આ શાળામાં ધોરણ 3-8 માં અભ્યાસ કરતું એક પણ એવું વિદ્યાર્થી આપણને ન મળે જેણે વય કક્ષા અનુસાર વાંચવા લખતા કે ગણતાં ના આવડતું હોય. ધોરણ - 2 માં નિદાન કસોટીમાં 90% સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લા સાત વર્ષથી આ શાળા ગુણોત્સવમાં શ્રેષ્ઠતમ દેખાવ કરી રહી છે. 
                માહિપાલસિંહ આચાર્ય હોવાની સાથે સાથે ધોરણ 1-2 ના પ્રજ્ઞા વર્ગ ગણિત વિષયનો વર્ગ તેઓ બખૂબી સંભળે છે. અને તેઓના  પત્ની પણ આ જ શાળા માં ફરજ બજાવે છે. તેઓ પ્રજ્ઞા ર્ગમાં ભાષાનો વર્ગ સાંભળે છે. માહિપાલસિંહ પ્રજ્ઞાના માસ્ટર ટ્રેઇનર તરીકે પણ સેવાઓ આપી અન્ય શિક્ષકોને પ્રેરણા રૂપ કાર્ય કરી રહ્યા છે. 
            શિક્ષક જ્યારે મન દઈને કામ કરવાનો દૃઢ નીર્ધાર કરે છે ત્યારે તેને કોઈ મર્યાદાઓ નડતી હોતી નથી. શાળા શિક્ષક પરિવાર અને ગામ લોકોના સહિયોગથી ભવ્ય કોમ્પ્યુટર રૂમ અને પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. શાળાના શિક્ષકો પણ શાળામાં યોગદાન આપવા હંમેશા તતપર રહે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી , ગુજ૨ાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિહ ચૂડાસમા સાહેબના ‘ બેટી બચાવો બેટી પઢાઓ ' ના સૂત્રને તથા વિચારોને સંપૂર્ણ રીતે સાર્થક કરતા આ શાળાના શિક્ષકોએ ધોરણ 1 થી 8 ની તમામ કન્યાઓને શાળા પરિવારે દત્તક લીધેલ છે. શાળામાં અભ્યાસ કરતી તમામ દીકરીઓને વર્ષ દરમિયાન જોઈતી પેન્સિલ, રબ્બર , નોટબુક થી લઈ તમામ શૈક્ષણિક જરૂરિયાત શાળાના શિક્ષકો દ્વારા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. 
          NMMS, PSE, કે અન્ય કોઈ પણ પરીક્ષા હોય કોઈ વિદ્યાર્થી પાસે એ પરીક્ષાની ફી લેવામાં આવતી નથી . એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ ને પરીક્ષા સ્થળ સુધી લાવવા-લઈ જવા થી માંડી રોકવાનો અને જમવા સુધીનો તમામ ખર્ચની વ્યવસ્થા શાળા પરિવાર કરે છે. 
             તેમની આ કાર્યની કદર રૂપે માહિપાલસિંહને ગત પાંચમી સપ્ટેમ્બરના રોજ મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં રાજ્યનાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક થી સન્માનિત કરવામાં આવ્યા. તેમના આ કાર્યોની નોંધ લઇને તેમને તથા તેમની શાળા તથા શાળા પરિવારને અનેક સન્માન પ્રાપ્ત થયા છે . ગુણવત્તા એ વોર્ડ , 2017 શ્રીમતિ આનંદીબેન પટેલના હસ્તે સન્માનીત કરવામાં આવ્યા. પૂજ્ય મોરારિ બાપુ દ્વારા પણ તેઓ સન્માનીત થયા છે. તેઓના કાર્યની કદર રૂપે બીજા અનેક માતબર એ વોર્ડથી સમાનિત થયેલ છે.
        મહિપાલસિંહ ગર્વ સાથે કહે છે. "આ એ મેળવેલી સફળતાએ પરિવારના શિક્ષકમિત્રોની અથાક મહેનતનું પરિણામ છે. મારા તમામ નવીન પ્રયોગમાં શાળા પરિવાર હોંશે હશે સાથ આપે છે .શાળાની આ પ્રગતિમાં પૂર્વના શિક્ષકો ,આચાર્યો નો ખુબ ખુબ સહયોગ મળ્યો છે જેના વગર આ શક્ય ના થઇ શકે .આજે ગામ ના શબ્દો છે કે ગામને શિક્ષકો સારા મળ્યા છે .અને શિક્ષકો કહે છેકે અમને ગામ સારું મળ્યું છે.એક રૂમથી શરૂ થયેલી આ શાળા આજે જિલ્લાની ઉત્તમ શાળા તરીકે પ્રસિદ્ધિ પામી છે"
         એક સમયે ભૂકંપમાં ભાંગી પડેલી શાળા ગુજરાત રાજ્યની મોડેલ શાળા બની છે. માહિપાલસિંહ અને ટીડાણા શાળાના શિક્ષકોને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.

માહિપાલસિંહ જેતાવત સંપર્ક નં. : 97142 12474

આવા શિક્ષણ જગતના ઝગમગતા વધુ એક સિતારા વિશે જાણીશું આવતા ગુરુવારે
લેખન : ઈશ્વર પ્રજાપતિ
9825142620

( આપના પ્રતિભાવ આપ whatsapp દ્વારા 98251 42620 પર મોકલી શકો છો. આપ પણ આવા કોઈ વિરલ શિક્ષકની વિશિષ્ટ કામગીરીની મને જાણ કરી શકો છો. સમયાંતરે બ્લોગ પર સ્ટોરી પ્રકાશિત કરીશ)


1 comment:

  1. આપણા સૌ નું ગૌરવ છે મહિપાલ સિહ જેતાવત સાહેબ.🌷🌷🌷🌷🙏🙏🙏

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts