Monday, September 2, 2019

સત્યઘટના આધારીત જિંદગી જિંદાબાદ


કેન્સર પીડિત શ્રુચિ વડાલિયાની અંતિમ ઈચ્છા :

 "હું લોકોના શ્વાસમાં જીવવા માગું છું"


             સામાન્ય રીતે "કેન્સર" નામ સાંભળત જ ભલભલાના શરીરમાંથી કંપારી છૂટે છે. કેન્સરનું નિદાન થતાં જ માણસ માનસિક રીતે ભાંગી પડતો હોય છે, માણસ જીવન સંગ્રામના સઘળાં શસ્ત્રો હેઠાં મૂકી, મૃત્યુની શરણાગતિ સ્વીકારી મૃત્યુની રાહ જોયા કરે છે. પરંતુ કેન્સર પીડિત સુરતની એક યુવતીએ સમાજને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરું પડ્યું છે. આ યુવતી જિંદગીના અંતિમ દિવસોની પીડાને ભૂલી પ્રત્યેક દિવસને મધુર યાદોથી શણગારી રહી છે. અને પર્યાવરણ માટે બહુ મોટું અભિયાન એકલા હાથે ઉપાડી જગતને સુંદર ભેટ આપી રહી છે. 
                એ યુવતીનું નામ છે શ્રુચિ વડાલિયા. 
               શ્રુચિ બ્રેઈન ટ્યુમરના છેલ્લા સ્ટેજમાં છે, હવાના પ્રદૂષણથી કોઈને કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવા અભિયાન શરૂ કરી વિવિધ જગ્યાએ વૃક્ષો ઉગાડી રહી છે. 36 કિમો થેરાપીની અસહ્ય પીડા સહન કરી હોવા છતાં મે બે વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડ્યાં છે, કારણ કે મૃત્યુ પછી પણ શ્રુચિ લોકોના શ્વાસમાં જીવવા માંગે છે. પ્રેમ મિશ્રા, જલ્પેશ કાળેણાએ શ્રુચિને મળી એના પ્રેરક કાર્યોનો સુંદર રિપોર્ટ પ્રસ્તુત કર્યો. 
                 27 વર્ષની શ્રુચિને બ્રેઈન ટ્યુમર છેલ્લા સ્ટેજમાં છે, છતાં કોઈ પણ જાતના ડર વગર શાનથી જિંદગી જીવી રહી છે. પોતે અસાધ્ય કેન્સરની બીમારીથી પીડાઈ રહી છે પરંતુ ભવિષ્યમાં ગ્લોબલ વોર્મિંગ અથવા અન્ય કોઈ કારણથી કેન્સર ન થાય તે માટે પર્યાવરણ બચાવવાનું અભિયાન ચલાવી રહી છે. પર્યાવરણ બચાવવા માટે 2 વર્ષમાં 1100 વૃક્ષ ઉગાડી ચૂકી છે. શ્રુચિ કહે છે કે, 'મારી અંતિમ ઈચ્છા જ એ છે કે, હું અસંખ્ય વૃક્ષો ઉગાડું. હું શારીરિક રીતે તો મૃત્યુ પામીશ પરંતુ, વૃક્ષોના કારણે હું લોકોના શ્વાસમાં જીવીશ.' સુરતીઓ માટે શ્રુચીએ લખ્યો છે એક ખુલ્લો પત્ર...! 

              પ્રિય શહેરીજનો... 
            મારી જિંદગીનો કેટલો સમય બચ્યો છે એ મને ખબર નથી, મારા ફ્રેન્ડ સાથે વાત કરતી હતી ત્યારે મને અચાનક જ દેખાતું બંધ થઈ ગયું અને હું બેભાન થઈ ગઈ, મને હોસ્પિટલ પર લઈ ગયા, ડોક્ટરે જ્યારે કહ્યુ કે, ' બ્રેઈન ટ્યુમર છે...!' ત્યારે મને એમ લાગ્યું કે, ડોક્ટર મારી સાથે મજાક કરી રહ્યાં છે. મને તેમની વાત પર ભરોસો જ ન હતો. ત્યાર બાદ અમે 25 ડોકટર્સ પાસે રિપોર્ટ કરાવ્યા હતા. તમામ ડોક્ટરે મને એક જ વાત કહી 'બ્રેઈન ટ્યુમર છે.' તમને કોઈ કહેશે કે તમને કેન્સર છે તો તમને શું થાય? હું પણ આ વાતને સ્વીકારી શકતી ન હતી. બીજા દિવસે મને આઈસીયુમાંથી બહાર લાવવામાં આવી ત્યારે હું સજાગ થઈ ગઈ હતી. કારણ કે, 'મેે મારી જિંદગીમાં અનેક સપના જોયા હતાં. મારા સપના અને મારી ઈચ્છાઓ હજી તો હું કોઈની સામે વ્યક્ત કરું તે પહેલાં જ જિંદગી મારી નજર સામે જ સમેટાઈ જતી હોય તેવું મને લાગી રહ્યું હતું, મારા દિલ અને દિમાગમાં અસહ્ય પીડા થઈ રહી હતી. જિંદગીનું રહસ્ય ઉકેલી શકું તે પહેલાં મારી નજર સામે મારી જિંદગી સમેટાઈ રહી હતી, સંકેલાઈ રહી હતી. ત્યારે મને એમ પણ થયું કે, આવી અસાધ્ય બીમારી મને જ શા માટે થઈ. ધીમે ધીમે દિવસો વીતી રહ્યા હતા, બધંુ જ નોર્મલ થઈ રહ્યું હતું. તમને સૂંઘવી ન ગમે એવી વસ્તુ તમારી પાસે મૂકવામાં આવે તો તમારી કેવી હાલત થાય? પરંતુ મારે તો સૂંઘવી પણ ન ગમે તેવી દવાઓના ડોઝ રોજ લેવો પડતો. કિમો થેરાપી, રેડિયેશન થેરાપી અને રોજ હોસ્પિટલના રોજ ધક્કા....! આ તમામ ઘટનાઓના કારણે મારા જીવનમાં અચાનક જ ભૂકંપ આવ્યો હોય તેવું મને લાગી રહ્યું હતું. કોલેજની જગ્યાએ રોજ મારે હોસ્પિટલ પર જવું પડતું હતું. 
                   અત્યાર સુધીમાં 36 વખત કિમો થેરાપી અને 36 વખત રેડિયેશન સારવાર લઈ ચુકી છું. કિમો થેરાપીને કારણે મારા વાળ ખરી ગયા છે. મને કેન્સરની જાણ થઈ એટલે મેં નક્કી કર્યુ હતુ કે, હું હવે લગ્ન નહીં કરું. જ્યારે ધોરણ 8માં અભ્યાસ કરતી હતી ત્યારે સારંગ ઓઝા મારા સંપર્કમાં આવ્યો હતો, ત્યાર બાદ અમે સારા ફ્રેન્ડ બની ગયા હતાં. મને કેન્સર છે એની ખબર હોવા છતાં મારી સારંગે મારી સાથે લગ્ન કર્યા હતાં. દરેક સમયે મને સપોર્ટ કર્યો. સાહેબ આ તો મારી જિંદગીની વાતો છે પરંતુ જ્યારે તમે કેન્સરની હોસ્પિટલમાં જઈને જોશો તો તમારા શરીરમાંથી કંપારી છૂટી જશે. જ્યારે હું સારવાર લેવા માટે જતી હતી ત્યારે કેન્સરની સારવાર લેવા માટે આવેલા ફૂલ જેવા નાના ભૂલકાઓને જોઈને હું રીતસર રડી પડતી હતી. દુનિયામાં આવું શા માટે થઈ રહ્યું છે. ત્યારે મને વિચાર આવતો કે, કેન્સરને અટકાવી ન શકાય...? ત્યારે મને એક રસ્તો દેખાયો, કેન્સરને અટકાવવા માટે વૃક્ષો ઉગાડી શકાય, મારી જિંદગી તો ખરાબ થઈ હતી પરંતુ હવે આવનારી પેઢીની જિંદગી ખરાબ ન થાય તે માટે મેં વૃક્ષો ઉગાડવાની શરૂઆત કરી.
            મને બ્રેઈન ટ્યુમર છે એની જાણ થઈ ત્યારથી જ મને ખબર પડી કે, પર્યાવરણને આપણે બચાવવું પડશે, પર્યાવરણ પ્રદૂષણના કારણે કેન્સર જેવી ભયાનક બીમારીઓ થઈ રહી છે, મને તો કેન્સર થઈ ગયુ છે, ખરાબ પર્યાવરણને કારણે અન્ય લોકોને કેન્સર ન થાય તે માટે છેલ્લાં બે વર્ષથી વૃક્ષારોપણ કરી રહી છું, અત્યાર સુધીમાં 1100 વૃક્ષો ઉગાડ્યાં છે. તમે પણ એક વૃક્ષ ઉગાડીને અનેક લોકોની જિંદગી બચાવી શકો છો. 

તમારી પ્રિય શ્રુચિ વડાલિયા. 

            શ્રુચિ અહીં તેનો સંવેદનાસભર પત્ર પૂરો કરે છે. કેન્સરના છેલ્લા સ્ટેજમાં પોતાના કરતાં વધુ પર્યાવરણની ચિંતા કરતી ઝાબાઝ શ્રુચિ પાસેથી સમાજે હજી ઘણા પાઠ શીખવાના બાકી છે. આપણાથી બીજું કાંઈ જ ન બની શકે તો એક વૃક્ષ ઉછેરી શ્રુચિના અભિયાનને વેગ આપીએ અને તેના નિરામય સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થના કરીએ. 

લેખન- સંકલન : ઈશ્વર પ્રજાપતિ
વિશેષ આભાર : પ્રેમ મિશ્રા, જલ્પેશ કાળેણા.

(આપના જીવનની પણ કોઈ વેદના કે સંવેદનાની, પ્રેમની કે પીડાની દુઃખની કે સુખની કોઈ ઘટના કે બનાવને કહેવા ઇચ્છતા હોવ તો જરૂર whatsapp માધ્યમથી મારો સંપર્ક કરી શકો છો. મો. નં. 98251 42620)


1 comment:

  1. Salute to her...!!! Great work...!!! Great confidence!!! Great msg for mankind....!!!

    ReplyDelete

સન્ડે સ્પેશિયાલ

  પ્રેમ , પ્રતિશોધ અને પ્રાયશ્ચિતના ત્રિભેટે પાંગરેલી રહસ્ય તથા રોમાંચથી ભરપૂર નવલકથા   એટલે અનાહિતા. વરિષ્ઠ પત્રકાર આદરણીય દેવેન્દ્રભાઈ પ...

Popular Posts