Thursday, July 4, 2019

વ્યકતિ વિશેષ : રજનીભાઈ પટેલ


અરવલ્લીને રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ નામના અપાવનાર કૃષિ વૈજ્ઞાનિક રાજની પટેલ



              ભારત દેશ ઋષિ અને કૃષિ પરંપરાનો દેશ છે. અહીં ખેડૂતને 'જગતનો તાત' કહી નવાજવામાં આવ્યો છે. એમ છતાં ભારતમાં ખેડૂતોની દશા જોઈએ તે પ્રમાણમાં સારી નથી. ભારતનો આજનો ખેડૂત અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે. અત્યંત મોંઘા રાસાયણિક ખાતર બિયારણ, જમીનની ઘટતી જતી ફળદ્રુપતા અને ઘટતું જતું ઉત્પાદન જેવા અનેક પડકારોનો સામનો કરતો કિસાન દેવાના બોજ તળે ડૂબી રહ્યો છે અને આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં અરવલ્લીના એક ધરતીપુત્રએ આગવી સૂઝથી કરેલા સંશોધનો દ્વારા ખેડૂતોમાં આશાની ઉમિદ જગાવી છે. અનાજ ના ઓછા ભાવ મળવાની કાગારોળ કરતા ખેડૂતો છેવટે આત્મહત્યા કરવા સુધી પ્રેરાય છે ત્યારે આ પ્રગતિશીલ ખેડુતના દ્વારે બમણા ભાવે અનાજ ખરીદવા માટે પ્રતિષ્ઠિત લોકો રીતસરના કતારમાં ઊભા રહે છે. 
            તેઓનું નામ છે રજનીભાઈ પટેલ.
           અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં વસતા રજનીભાઈ પટેલ 1984 માં ગ્રામ સેવક તરીકે સરકારી નોકરીમાં જોડાયા. નોકરી દરમિયાન ખેડૂતો સાથે રહેવાનું થયું. તનતોડ મહેનત કરી બે પાંદડે થવા મળતા ખેડૂતોની દશા જોઈ હૃદય વલોવાયું. જો ખેડૂત રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે અને કુદરતી પ્રસાધનોનો ઉપયોગ વધારી ખેતી કરે તો જગતનો તાત ખેતીના ખોટા ખર્ચમાંથી બચી શકે અને સન્માનપૂર્વક જીવી શકે તે માટે નવા નવા સંશોધનો આદર્યા. પોતે કિસાન પુત્ર તો હતા જ. તેથી પોતાની જમીન ઉપર જ જુદા જુદા પ્રયોગો કરવાના શરૂ કર્યા.

           તેઓ જણાવે છે કે આપણા પૂર્વજો દ્વારા પહેલા સજીવ ખેતી કરવામાં આવતી ધીરે-ધીરે રસાયણોના વપરાશની ચાલુ થવાથી સજીવખેતી લુપ્ત થવાના આરે આવીને ઊભી છે. પર્યાવરણ અને માનવ જીવનમાં વધતાં જતાં ઝેરી રસાયણોના પ્રસારથી માનવજીવન અનેક રોગોનો ભોગ બની રહ્યું છે. ઘણા સમયથી વધતી જતી વસ્તીની જરૂરિયાતોને પૂરી કરવા માટે ખેડૂત મિત્રો દ્વારા વધુ ઉત્પાદન મેળવવાની લાયમાં જમીન તથા પર્યાવરણની થતી આડઅસરોને ધ્યાને લીધા વગર આડેધડ કૃષિ રસાયણો જેવા કે રાસાયણિક ખાતરો જંતુનાશકો ફુગનાશક ઓ તથા નિંદામણનાશક કોનો વધુ પડતો ઉપયોગ કરે છે આમ રસાયણોના વધુ પડતા ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ તેમ જ વધુ પડતા ખાતરોના મિશ્રણથી પોષકતત્વો અલભ્ય સ્વરુપમાં ફેરવાય જવાથી જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન ક્ષમતા ઘટી છે વધુ પડતી રાસાયણિક દવાઓના ઉપયોગને કારણે રોગ જીવાત ની પ્રતિકારક ક્ષમતા પણ ઘટી છે આ ઉપરાંત આ જમીનોના તૈયાર થતાં ઉત્પાદનોનો ઉપયોગ થકી મનુષ્ય પક્ષીઓ તથા પ્રાણીઓના સ્વાસ્થ્ય પર ખૂબ જ વિપરિત અસર જોવા મળે છે .કેટલીક અત્યંત ઝેરી રાસાયણિક દવાઓ પાક રક્ષણની દવાઓ જેવી કે ડી.ડી.ટી., બી. એચ. સી, લિન્ડેન ઉપર સરકાર પ્રતિબંધ મુકવા મજબુર બની છે.
            આમ જમીન પ્રાણીઓ તથા મનુષ્યને થતી આડઅસરો ને રોકવા માટે રસાયણ વિહીન સજીવ ખેતી એક જ યોગ્ય રસ્તો છે જે થકી આપણને જમીનની ફળદ્રુપતા તથા ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ."
        છેલ્લા ચાર દાયકાની ધીરજ પૂર્વકની મહેનત થકી તેઓએ કૃષિ વૈજ્ઞાનિકોને શરમાવે તેવા સંશોધનો કરેલ છે. સરકારી નોકરી કરતા તેઓ સતત વિચારતા કે આપણો માનવજીવનમાં આયુર્વેદ વનસ્પતિના ઉપયોગ થી રોગ અટકાવી શકાતા હોય તો વનસ્પતિ અને ખેતીમાં આવતા રોગ, જીવાત કેમ ના અટકાવી શકાય? તેથી પર્યાવરણ બગડે નહીં. મિત્ર કીટકોનું રક્ષણ થાય અને માનવને શુદ્ધ ખોરાક મળી શકે. 1990માં આવા વિચારોથી સંશોધનના પ્રયોગ શરૂ કર્યા. ૧૯૯૫ માં તેઓને પહેલી સફળતા મળી. થોરના દૂધનો આ જીવાત અને રોગોનું નિયંત્રણ મેળવી શકાય છે તે 1995માં તેઓ સાબિત કર્યું. પ્રથમ સફળતાથી તેઓના આનંદનો પાર ન રહ્યો. ત્યારથી શરૂ કરી અલગ-અલગ વનસ્પતિ જેવીકે ગંધાતી, રતન જ્યોત, તમાકુની છીકણી, પીલુ, 'નિકુછી' એટલે કે નીમ તેલ કુંવરપાઠું અને ચીકણી કાળી વેલડી વગેરે વનસ્પતિઓ દ્વારા જુદા જુદા સંશોધનો કર્યા જેનાથી પાકને નુકસાનકારક જીવાત પર નિયંત્રણ ખૂબ સારી રીતે મેળવી શકાય છે. 
           તેઓના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા અને અરવલ્લીના ખેડૂતોએ વનસ્પતિઓના ઉપયોગ દ્વારા ઝેરી રસાયણો થી મુક્તિ મેળવી, લાખો રૂપિયા બચાવ્યા તેમજ પર્યાવરણને પણ બચાવ્યું છે. આવા પ્રયોગો થી મળેલી સફળતા ના કારણે સજીવ ખેતી ને ખૂબ જ વેગ મળ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈ પકવતા મોટાભાગના ખેડૂતો ગાભમારા ની ઈયળ ના નિયંત્રણ માટે નો ઉપયોગ કરતા થઈ ગયા છે અને ગાભમારાની ઈયળ નું ખૂબ જ સફળતાપૂર્વક નિયંત્રણ મેળવી શક્યા છે. 
           અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત સમસ્ત ગુજરાત અને ભારત દેશમાં સજીવ ખેતી ના પ્રચાર-પ્રસાર માટે રજનીભાઈ એ ખૂબ જ રસ લીધો છે અત્યારે અનેક ખેડૂતો તેમના આ કાર્ય થી પ્રભાવિત થઈ અને પોતાના ખેતરોમાં પણ આવા પ્રયોગો કરવાના શરૂ કર્યા છે અને સંપૂર્ણ સજીવખેતી આધારે ખેતી કરતા થયા છે. હજારો ખેડૂતો યશ સજીવ ખેતીનું રાહ અપનાવ્યો છે. 
             રાજ્ય હોય કે રાજ્યની બહાર સજીવ ખેતીની શિબિરોમાં તેઓ ભાગ લઈ ખેડૂતોને માર્ગદર્શન આપ્યું રાજ્યના ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા અનેક પ્રયત્નો કર્યા. દુરદર્શન પર આવતા ગ્રામ જગત કાર્યક્રમે રજનીભાઈ ના આ સંશોધનો ની નોંધ લીધી અને સમસ્ત ગુજરાતના ખેડૂતોને માર્ગદર્શન કરવા માટે અનેક વાર આ ગ્રામ જગત કાર્યક્રમમાં તેઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય પણ ખાનગી ટીવી ચેનલો એ રજની વાયરની આ સંશોધન પ્રવૃત્તિ નથી પ્રેરાઈને તેઓને પોતાના કાર્યક્રમોમાં સામેલ કર્યા છે.

              ખેતીમાં પાક સંરક્ષણ અંગેના આ સંશોધનો કરવા બદલ 1997માં સૃષ્ટિ સંસ્થા દ્વારા લોકવિજ્ઞાન સંકલન હરીફાઈમાં તેઓને પુરસ્કૃત કરવામાં આવ્યા વર્ષ 2001માં રાષ્ટ્રીય કક્ષાએ એન. આઈ. એફ. દ્વારા ગ્રાસરૂટ ઇનોવેશન માટે સ્ટેટ એવોર્ડ માટે રાજની ભાઈ ને રૂપિયા 25000ના રોકડ પુરસ્કારથી દિલ્હી ખાતે તેઓને સન્માનવામાં આવ્યા. વર્ષ 2004માં રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિન માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જૈવિક પાક સંરક્ષણ કરવા બદલ સરદાર પુરસ્કાર એનાયત કરવામાં આવેલ છે.
             સાબરકાંઠા ઈકોકલબ દ્વારા પર્યાવરણ સંરક્ષણ સજીવખેતી કરવા બદલ ઇકો એવોર્ડ પણ રજનીભાઈને એનાયત કરવામાં આવેલ છે. ગૌસેવા આયોગ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગાય આધારિત સજીવ ખેતીના કાર્યક્રમ ચલાવવા બદલ વર્ષ 2012માં પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા. 
          અનેક સંશોધનો બાદ વર્ષ 2004માં મગફળી ક્રિષ્ના જાત તેઓએ વિકસાવી છે. જે વધુ તેલ અને વધુ ઉત્પાદન આપતી જાત છે અને નાઇટ્રોજન વધુ મેળવે છે. 2004 પાંચમાં ઘઉંની નવી જાતની શોધ કરી જેની 2009 10માં લોક બાલ જાત શોધી છે કે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ જ અનુકૂળ વધુ ઉત્પાદન આપતી જાત છે. અને ટુકડી પ્રકારની ઘઉંની જાત શોધી છે જે ખાવામાં ખૂબ જ અનુકૂળ છે. 
           વર્ષ 2008માં અડદની નવી જાત શોધવાનું તેઓ શરૂ કર્યું વર્ષ 2015 16 માં અડદની નવી જાત ભૈરવ 1 તેઓના સંશોધનનું પરિણામ છે. જે ખેડૂતોમાં ખૂબ જ પ્રચલિત થઇ છે. જેનું ઉત્પાદન અન્ય જાતિઓ કરતાં બમણું મળે છે રોગપ્રતિકારક શક્તિ વધે છે. વરસાદમાં બગડતી નથી. સિંગ ફાટતી કે ખરતી નથી. જેથી ખેડૂતોનો ખૂબ જબરો પ્રતિસાદ મળ્યો છે. ખેડૂતોએ આ જાત અપનાવી લીધી છે. 
                 રજનીભાઈનો પ્રકૃતિપ્રેમ અનન્ય છે. તેઓના સંશોધનોમાં તેઓના પરિવારનો સહકાર પણ દાદ માંગી લે તેવો છે. તેઓનો પરિવાર ચોમાસા દરમિયાન ધાબા પર નું પાણી ભૂગર્ભ ટાંકામાં એકત્રિત કરી તેનો સંગ્રહ કરે છે અને આખા વર્ષ દરમિયાન એ વરસાદી પાણીનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરે છે. બજારમાં મળતું મિનરલ વોટર તેઓ ક્યારેય ખરીદતા નથી. 
           રજનીભાઈ પટેલ બહુમુખી પ્રતિભા ધરાવતા વ્યક્તિત્વ છે તેઓ મોસમી પવનોના પણ અભ્યાસી છે. ઉત્તરાયણના દિવસે સૂર્યોદય પહેલા અગાસી પર જઈ સૂર્યાસ્ત સુધી વાતા પવનો નો અભ્યાસ કરે છે. દરેક સેકન્ડ અને મીની તે મિનિટે દિશા બદલતા પવનોની તેઓ નોંધ કરે છે. જે પ્રશ્નો ના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેની તેઓ ભવિષ્યવાણી કરે છે. કઈ તારીખે કેટલા પ્રમાણમાં વરસાદ પડશે તેની સચોટ આગાહી તેઓ પવનના અભ્યાસ દ્વારા કરી શકે છે. પાછલા વર્ષો ની આગાહી જોતા તેઓની આગાહી સચોટ અને સત્ય સાબિત થઈ છે. 
              ખેતીક્ષેત્રે વિવિધ સંશોધનો બદલ તાજેતરમાં જ નાયબ મુખ્ય મંત્રી નીતીનભાઇ પટેલના હસ્તે રજનીભાઈ નું સન્માન કરવામાં આવ્યું છે. હજી પણ રજનીભાઈ ના ખેતી પર નાર સંશોધનો ચાલુ છે. બહુમુખી પ્રતિભા ધરાવતા રજનીભાઈ પટેલ એ ખરા અર્થમાં અનેક પડકારોનો સામનો કરી રહેલા ખેડૂતો માટે એક આદર્શ છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી


No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts