Thursday, June 27, 2019

વ્યક્તિ વિશેષ : સુમતિબહેન રાવલ "સુગોરા"


સમાજને છ હજ્જાર શિક્ષિકાઓ ભેટ ધરનાર સુમતિબહેન રાવલ "સુગોરા"


             વિશ્વમંગલ થકી ગુજરાતને છ હજાર પ્રતિબદ્ધ  શિક્ષિકાઓ ભેટ ધરનાર "સુગોરા "    હવે સ્વર્ગમાં પણ વિશ્વમંગલ રચે તો આશ્ચર્ય પામવા જેવું નહીં લાગે... સુમતિબહેને બીજી જુલાઈના રોજ આપણા સહુ વચ્ચેથી ચીર વિદાય લઈ અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. 
        ગાંધીવાદી વિચાર સરણીને વરેલ મહિલા સુમતિબેન રાવલને પહેલી નજરે  જોઇને કોઈને પણ ના લાગે કે આ મહિલાએ સાબરકાંઠા અરવલ્લી  જીલ્લ્લામાં શિક્ષણ અને કેળવણીની મજબુત કેડી કંડારી હશે!  આજે તેઓની શિક્ષણ સાધનાના  પ્રતાપે છ હજારથી વધુ મહિલાઓ શિક્ષકની નોકરી કરી ગર્વભેર અને સ્વમાનભેર જીવી રહી છે. સુમતિબેનના પ્રતાપે આજે હિમતનગરથી પાંચેક કિલોમીટરનાં અંતરે આવેલા હડીયોલ, ગઢોડા અને આકોદરા ગામ "શિક્ષકોની ખાંણ" તરીકે ગુજરાતમાં ખ્યાતિ પામ્યાં છે.
             સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લા પર સુમતીબેન રાવલનું બહુ મોટું ઋણ રહેલું છે. જે સમયે કન્યા કેળવણીનું મહત્વ જ નહોતું એ વખતે સુમતિબેને ઘરે ઘરે ફરીને દીકરીઓને ભણવવા માટેની હિમાયત કરેલી… વર્ષ ૧૯૫૯ થી સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલે આ વિસ્તારમાં વિશ્વમંગલમ સંસ્થા રૂપે શિક્ષણનો પાયો નાખ્યો. અને દીકરાઓના શિક્ષણની સાથે સાથે દીકરીઓને પણ શિક્ષણ અપાય તે માટેના પ્રયાસો શરુ કર્યા… 

             સુમતિબહેન ગોવિંદભાઈ રાવલ કહેતાં કે  "1959માં અહીં કન્યા કેળવણી શૂન્ય હતી. સ્ત્રીને વળી ભણતર શા કામનું?? લોકો રોકડું પરખાવે. વર્ષો લગી અમે ઘરે ઘરે ફર્યા. મા-બાપને ખૂબ સમજાવ્યા. ધીરે-ધીરે છોકરીઓ શાળામાં આવતી થઈ. પણ પછી તો ચમત્કાર થયો. આ પ્રદેશમાં ગામોમાં ભાગ્યે જ એવું ઘર કે હરિજન ખોડું હશે કે એની દીકરી એસ.એસ.સી સુધી ન ભય હોય. " સુમતિબહેન રાવલ સ્ત્રી અધ્યાપન મંદિરના ત્રીસ વર્ષો સુધી આચાર્યા રહ્યા. અધ્યાપન મંદિરે આ પંથકની નવો વિચાર આપ્યો. લોકોએ જોયું કે દૂરની દીકરીઓ અનેરામાં પી.ટી.સી થઈ, તરત પ્રાથમિક શિક્ષિકાની નોકરી મેળવી સુખનો રોટલો રળતી થઈ ગઈ. પગભર બની ગઈ. આનાથી અભિપ્રેરિત થઇ આપણા વિસ્તારની કન્યાઓ એસ.એસ.સી કરી પી.ટી.સી. થઇ પ્રાથમિક શિક્ષિકા બનવા લાગી. આજુબાજુના 11 ગામોની એક પણ કન્યા એસ.એસ.સી. થયા વગરની નથી. આ પ્રદેશમાંથી 1000 શિક્ષિકાઓ અનેરાની છે. સુમતિબહેન રાવલના હાથ અને હૂંફ નીચે ઘડાઈને 6000 શિક્ષિકાઓ ભાવિ પેઢીને ઘડે છે. 
          આજે અહીં આસપાસના ગામોની  અનેક દીકરીઓ ગર્વભેર ગુજરાત અને ગુજરાત બહારની શાળાઓમાં શિક્ષિકા તરીકેની ફરજ નિભાવી અનેરામાં મેળવેલા ગાંધીના વિચારો અને શિક્ષણના સિધ્ધાંતોના પ્રયોગો વર્ગખંડમાં કરી રહ્યાં છે. આ સંસ્થાના શિક્ષણયજ્ઞના પરિણામે લોક જાગૃતિ એટલી હદે આવી કે અહીંના લોકોમાં જાણે કે શિક્ષણનું ઘેલું લાગ્યું. અને એની ફળશ્રુતિ રૂપે આજે હડિયોલમાં 800 ઉપરાંત શિક્ષકો છે. ગઢડામાં 600 ઉપરાંત શિક્ષકો છે. ક્યાંક તો એક ઘરમાં સાત-સાત શિક્ષકો છે. ગુજરાતનો એવો કોઈ તાલુકો નહિ હોય કે જ્યાં આ ત્રણ ગામના શિક્ષકો ન હોય! આટલા બધા શિક્ષકો તૈયાર કરવાનો શ્રેય ગાંધીવાદી સંસ્થા વિશ્વમંગલમ-અનેરાને જાય છે. 
              વર્ષો પહેલાં શિક્ષણિક ક્ષેત્રે પછાત ગણાતા આ વિસ્તારમાં કેળવણીના બીજ રોપનાર સુમતિ બહેન ભરૂચ જિલ્લાના આમોદ ગામના જૈન વાણીયા ભોગીલાલ જેઠાલાલ શાહ અને જે જશકોરનાં પુત્રી.  કુટુંબ પર ગાંધીજીની ઊંડી અસર. ઘરમાં જૈન સંપ્રદાયની નહીં પણ ગાંધીજીના સ્વરાજ્ય આંદોલનની હવા. ભોગીલાલ પૂર્ણપણે ખાદીધારી. જાતે કાંતે, વણાવે અને તેની ખાદી પહેરે. વિનોબાના ભૂદાન આંદોલનમાં ગુજરાતમાંથી પહેલું સંપત્તિ દાન કરનાર શેઠ. જીવ્યા ત્યાં સુધી પોતાની આવકનો છઠ્ઠો હિસ્સો દાન કરતા રહ્યા. 
           પિતાને કપાસની જીન પણ ઘરમાં કોઈ દિવસ મીલનું કાપડ આવ્યું નથી. પરિવારમાં ચાર બહેનો અને બે ભાઈઓ. ઘરમાં દિલરૂબા વસાવેલું. સવાર ના પહોર માં પિતાજી હાર્મોનિયમ વગાડે.
            બે બહેનોને નડિયાદની વિઠ્ઠલ કન્યા વિદ્યાલયમાં ભણવા મોકલી. ચોથા ધોરણથી ત્યાં ગયા તે દસ વર્ષ અહીં રહ્યાં. સુમતિબહેન અહીં આઠ વર્ષ ભણ્યાં અને બે વર્ષ શિક્ષિકા થઈ ભણાવ્યું. રાજકોટની કડવી બાઈ
વિદ્યાલયનાં સ્થાપકો સુભદ્રાબેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્ય એમના શિક્ષકો. કુસુમ બહેન આચાર્ય, અપરણિત, જેલમાં જઇ આવેલા પૂજ્ય મોટાના ભક્ત મૌન સાધક. સુમતિબહેન બે વર્ષ તેમની સાથે તેઓના ઘરમાં રહ્યાં. સરદાર પટેલ, રવિશંકર મહારાજ, બબલભાઈ , પંડિતજી સત્સંગ કરવા આવતા. તેનો સીધો લાભ સુમતિબહેન ને મળ્યો. 
              પછીનું તેઓનું ભણતર અને જીવનઘડતર થયું ગુજરાત વિદ્યાપીઠમાં. અહીં તેઓનો પરિચય થયું દેખાવડા મોટા અભ્યાસુ યુવાન ગોવિંદ રાવલનો. ગોવિંદભાઈ નું વ્યક્તિત્વ વિચાર અને ગામડાં પ્રત્યેનો પ્રેમ ગમી ગયાં. આ મા વગરનો યુવક સુમતિ બહેનના મનમાં વસી ગયો. બંને વચ્ચે ઘણો બધો વિરોધાભાસ સ્વભાવ , ટેવ , વલણમાં... પરંતુ એક વાતનો સામ્યતા અને તે ગામડા માં બેસી શિક્ષણનું કામ કરવાની ઝંખના જીવનનું એક મિશન જડી ગયું જેણે સુમતિબહેનને "સુગોરા" બનાવી દીધા. 

          ત્રણ ગામના ત્રિભેટે  ભેંકાર વગડામાં, એક ટિંબા ઉપર આ દંપતીએ ઉત્તમ કેળવણીની સંસ્થા સ્થાપવાનું સ્વપ્ન સેવ્યું. અને આ સપનાને સાકાર કરવા પોતાનું સમસ્ત જીવન શિક્ષણને સમર્પિત કરી દીધું. 
          આજે  કિશોર અને કિશોરીઓ માટેનું સંસ્કારધામ નિર્માણ પામ્યું છે. કુમાર અને કન્યા માટે ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને અધ્યાપન મંદિર છે. આ સંસ્થાએ 6000 શિક્ષિકાઓ સમાજને ભેટ ધરી છે. વિશ્વમંગલમ્.અનેરાને જોત જોતામાં સાડા પાંચ દાયકા થઇ ગયા. ત્યાંથી 10 કિલોમીટર દૂર 80 એકર જમીન પર વૃંદાવન પણ નિર્માણ પામ્યું છે. જ્યાં 12 ધોરણ સુધીની છોકરીઓની નિવાસી સંસ્થા, સાત હજાર વૃક્ષો, ગૌશાળા, ચાર ઉદ્યાનો છે. 
( 'સુગોરા' સાથે સમાલાપ સમયે લેવાયેલી તસવીર)

        ગોવિંદભાઇ રાવલ અને સુમતીબેન જીવ્યા ત્યાં સુધી  શિક્ષણની વાત આવે એટલે યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિ બતાવે છે. વાતચીતમાં તેમણે આખી યાત્રાની વાત કરી હતી. ગોવિંદભાઇ હડિયોલ ગામના જ વતની. બન્ને વિદ્યાપીઠમાં ભણે અને ગામડામાં બેસી શિક્ષણ દ્વારા સમાજ પરિવર્તનનો નિશ્ચય કર્યો. 1959થી રાવલ દંપતીએ અહીં ધૂણી ધખાવી છે. તેમના શિક્ષણ યજ્ઞથી આખા વિસ્તારની સીકલ બદલાઇ ગઇ છે. ગામમાં મહાદેવના મંદિરમાં એક રૂમમાં ભણાવવાની શરૂઆત કરી હતી. વિશ્વ મંગલમ અનેરા સંસ્થામાં આજ સુધી તેમણે 6 હજારથી વધારે યુવતીઓને ભણાવી છે. વિશ્વ મંગલમ અનેરા સંસ્થાનો પરિવાર આજે ગુજરાતના ખૂણેખૂણે છે. 
           અનેરા પ્રેમના વૃંદાવનમાં વિશ્વમંગલમની શુભભાવના એ અનેક સન્માનો  બક્ષયા. દર્શક એવોર્ડ, મહાદેવ દેસાઇ એવોર્ડ, અંજારિયા એવોર્ડ અને સૌથી મોટો પોતાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિક્ષણ મળતો સંતોષ અને અંતર ના આશીર્વાદનો એવોર્ડ.
"સુગોરા" હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
સંદર્ભ: મુઠ્ઠી ઊંચેરા માનવી ભદ્રાયું વચ્છરાજાની
લેખન - સંકલન : ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)

4 comments:

  1. અરવલ્લી અને સાબરકાંઠા ના ગામો માં આ શિક્ષકો ના કારણે શિક્ષણ વધ્યું, ગામ ના લોકોની વિચારસરણી અને આધુનિક ખેતી તરફ નું પ્રયાણ થયું અને વિકાસ ની રાહ મળી.આજે ગામ ની મુલાકાત લો તો સ્પષ્ટ દેખાઈ આવે.તેમની નિસ્થા અને મહેનત ઉગી નીકળી.

    ReplyDelete
  2. 🙏🙏🙏thank you sir.hu pan te 6000 sixikao mani ek 6u. mara jivan ghadatarma pujy mota benno amulya falo 6.

    ReplyDelete
  3. Mara shat shat vandan ane pranam pujya mota ben ne🙏

    I alws miss "Anera"

    ReplyDelete

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts