Monday, May 27, 2019

આપણો જિલ્લો, આપણું વતન અરવલ્લી ભાગ - 17

અરવલ્લી જિલ્લાના સાહિત્ય રત્નો ભાગ -1


       
       અરવલ્લી જિલ્લો આમતો ખોબા જેવડો, અંતરીયાળ જિલ્લો છે. એમ છતાં આ ધરાએ શ્રેષ્ઠત્તમ સાહિત્યકારો સાહિત્ય જગતને ભેટ ધર્યા છે. સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠિત એવા જ્ઞાનપીઠ પુરસ્કાર અપાવી ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવનાર બે - બે  મૂર્ધન્ય સાહિત્યકરો અરવલ્લી એ આપ્યા છે. આ ઉપરાંત બાળસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર સાહિત્યકારો, અનુવાદકો પણ આપ્યા અને પત્રકારીતા જગતમાં શ્રેષ્ઠત્તમ પ્રદાન કરનાર પત્રકારો પણ આ જ ધરાની દેન છે. આ ધરામાં શબ્દ વાવીએ તો નવલકથાઓ ફૂટે છે, કવિતાઓ ફુટે છે, સત્ય ઘટનાઓ આધારે નારી સંવેદનાઓનો ચિત્કાર ફૂટે છે. આ ધરા એ શબ્દના અજવાળે સમસ્ત સાહિત્ય જગતને અજવાળ્યું છે. આવો આપણો જિલ્લો આપણું વતન ના આ મણકામાં  પરિચય મેળવીએ અરવલ્લીના મૂર્ધન્ય સાહિત્યકારો વિશે.

ઉમાશંકર જોશી 
(જન્મ: 21-Jul-1911  મૃત્યુ :- 19-Dec-1988):

             વાસુકિ ઉપનામ ધરાવતા ઉમાશંકર જોશી વિશ્વશાંતિ કવિ છે.
         ઉમાશંકર જોશીના પિતાશ્રી શામળાજી પાસેના ડુંગરમાં આવેલા લૂસડિયા ગામના વતની હતા. એમના પિતાશ્રી છપ્પનિયા દુકાળમાં લૂંટાયા પછી બામણમાં એમણે વસવાટ કર્યો બામણામાંજ ઉમાશંકર જોશીનો જન્મ થયેલો. ચોથા ધોરણમાં શિક્ષકની ગેરહાજરીને કારણે એક વર્ષ બગડયું. ઈડર છાત્રાલયમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ અમદાવાદ કોલેજમાં ભણ્યા. “નખી સરોવર ઉપર શરત પૂર્ણિમા” એમનું પ્રથમ કાવ્ય છે.
       એમણે કવિતા, નાટક, નવલિકા, નિબંધ, વિવેચન, નવલકથા, સંપાદન-સંશોધન ક્ષેત્રે અનન્ય કાર્ય કર્યું છે. ભારતની તમામ માન્ય ભાષામાંના સાહિત્યકારો માંથી કોઈ એક ભાષાના સાહિત્યકારને અપાતો પ્રતિષ્ઠિત એવોર્ડ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર છે, ઉમાશંકર જોશી (1967) જે એમના નિશીથ કાવ્ય સંગ્રહ માટે મળેલો.
        ગુજરાત વિદ્યાપીઠના વાતાવરણને કારણે આઝાદીની લડતમાં ઝૂકાવ્યું. ૧૯૩૬ માં અર્થશાસ્ત્ર સાથે બી.એ. થયા. ૧૯૩૮માં ગુજરાત મુખ્ય વિષય સાથે એમ.એ. થયા. પાશ્યાત્ય સાહિત્યનો પરિચય, સંસ્કૃતનો ઊંડો અભ્યાસ પુરાણોનું ઊંડ્ડુ અધ્યયન, રવીન્દ્ર ટાગોરના સાહિત્યનું વાંચન દ્વારા એ ઘડાતા હતા. ભો.જે. વિદ્યાભવનમાં અધ્યાપક થયા. સ્વેચ્છાએ રાજીનામું આપી “સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું.
         ૧૯૫૩ સુધી સ્વનિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા. ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. ૧૯૫૨માં ચીન, જાવા, બાલી, લંકા વગેરે એશિયાઈ દેશોનો, ૧૯૫૬માં અમેરિકાનો તેમ જ યુરોપનો, ૧૯૫૭માં જાપાનનો અને ૧૯૬૧માં રશિયાનો પ્રવાસ. ૧૯૫૭માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ. ૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી.
           બાલ્યાવસ્થાથી પ્રકૃતિ સોંદર્યનું પાન કર્યુ અને એમનું હ્વય ઝરણું સ્વયમેવ ગુંજવા લાગ્યું. વિરાટ પ્રણયં કાવ્યમાં સમગ્ર વિશ્વના પ્રકૃતિ સૌંદર્યને સાસ્વાદાવે છે. જ્ઞાનપીઠ એવોડ એવોર્ડ અપવાનાર ‘નિશીથ’ કાવ્યમાં વિશ્વનું મધ્યરાત્રિના સમયનું સૌંદર્ય અભિનવ રીતે આલેખ્યું છે. તિશીથ (રાત્રિ)ને વિરાટ ધૌનટ કલ્પીને બ્રહ્માંડના ફલક પર એના નૃત્યનું વર્ણન કર્યું છે.
૧૯૬૮માં ગુજરાતી સાહિત્ય પરિષદના દિલ્હીના ૨૪મા અધિવેશનના પ્રમુખ. ૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ. ૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના બિનવડાપ્રધાન એવા કુલપતિ. ૧૯૭૮માં સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ બન્યા.
          કવિતામાં રૂઢ થઈ ગયેલા વિષયો પ્રેમ, સૌંદર્ય, પ્રકૃતિને છોડીને ‘ઉકરડો’ કાવ્ય લખ્યું. શુદ્ર માનીને આપણે કેરીના ગોટલાને ફેંકી દઈએ છીએ, જયારે ઉમાશંકર એ ગોટલામાં આમ્રવૃક્ષ દેખાય છે જે એમણે “ચૂસાયેલા ગોટલા” દ્વારા જણાવ્યું છે ‘કરાલકવિ’ માં ધુવડના કર્ણકરુ લાગતા શબ્દોમાં એમને કવિતા દેખાય છે. ૧૯ વર્ષની ઉંમરે કાવ્ય ‘વિશ્વશાંતિ’ પ્રગટ થયું (૧૯૩૦) ઉમાશંકર ગાંધીવાદ હોવાથી યંત્ર સંફ્કૃતિ અને શહેર કૃત્રિમતાનો વિરોધ કરે છે. “ગુજરાત મોરી મોરી” માં ગુજરાત પ્રત્યેની ભકિત દેખાય છે. જયારે ‘ભારત’ કાવ્યમાં ભારતની મહત્તા ગાઈ છે. ‘પ્રાચીના સંગ્રહમાં કવિએ યદ્ય નાટકનો એક પ્રકાર આપણને આવ્યો છે. ‘સાપનાભારા’ અને શહીદ એમના જાણીતા નાટકો છે.
         સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર ગાંધીયુગના અગ્રણી સર્જક – વિવેચક છે. તેમની ગાંધીવિચારથી પ્રભાવિત કવિતા વિશ્વપ્રેમ સુધી પહોંચે છે. મુક્તકથી માંડી પદ્યનાટક સુધીના કાવ્યપ્રકારોમાં તેમનું સર્જન વિસ્તર્યું છે. તળપદી બોલી અને ગ્રામીણ પરિવેશ ધરાવતા એકાંકી-નાટકો, પાત્રમાનસને કેન્દ્રમાં રાખીને મર્મગ્રાહી ભાષા ઉઘાડતી એમની ટૂંકી વાર્તાઓ, હૃદયની વિવિધ છબીઓ આપતા નિબંધો અને વ્યક્તિચિત્રો, તો સૌંદર્યસૃષ્ટિ, સમભાવ અને બુધ્ધિમતાથી નિયંત્રિત અને સતત વિકાસશીલ એમના વિવેચનો – સંશોધનો – આ સર્વ ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન છે.


પન્નાલાલ નાનાલાલ પટેલ



                             (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)
       પન્નાલાલ પટેલને 'સાહિત્ય જગતનો ચમત્કાર' અને 'ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય' જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે. એમનો જન્મ ૭ મે ૧૯૧૨ના રોજ હવે રાજસ્થાન રાજ્યમાં આવેલા ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં નાનાશા અથવા નાનાલાલ અને હીરાબાને ત્યાં આંજણા ચૌધરી કુટુંબમાં થયો હતો. તેઓ તેમના ચાર ભાઇ-બહેનોમાં સૌથી યુવાન હતા. તેમના પિતા ખેડૂત હતાઅને રામાયણ, ઓખાહરણ અને અન્ય ધાર્મિક વાર્તાઓનું તેમના ગામમાં પઠન કરતા હતા. આને કારણે તેમના ઘરની નામના થઇ હતી. તેમના પિતા પન્નાલાલના નાનપણમાં જ મૃત્યુ પામ્યા અને તેમની માતા હીરાબાએ સંતાનોનો ઉછેર કર્યો હતો. તેમના શિક્ષણ દરમિયાન તેમની ગરીબીના કારણે અનેક અડચણો આવી હતી.
         તેઓ ઇડરની સર પ્રતાપ હાઇ સ્કૂલમાં માત્ર ચોથા ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા. શાળાજીવન દરમિયાન તેઓ ઉમાશંકર જોષીનામિત્ર બન્યા હતા. થોડો સમય માટે તેમણે ડુંગરપુરમાં દારુના ભઠ્ઠા પર મેનેજર તરીકે નોકરી કરી હતી. તેમણે તેમની પ્રથમ નવલકથા અમદાવાદમાં એક સદગૃહસ્થના ઘરે નોકરી કરતા લખી હતી.
       માત્ર ચાર ચોપડી ભણેલા ગુજરાતી સાહિત્‍યજગતના આ ગુજરાતી તારલાને કોણ નથી ઓળખતું? જેમણે ઇડરનાં ડુંગરાઓમાં રહીને ગુજરાતની પજાને તળપદી ભાષા દ્વારા ઉત્તમ સાહિત્‍ય પ્રદાન કર્યું.
           નવલકથા, નવલિકા, નાટક, ચિંતન, બાળ સાહિત્ય વગેરેમાં પોતાની રચના દ્વારા ગુજરાતી સાહિત્યને બુલંદ કરીને ગુજરાતને દ્વીતીય જ્ઞાનપીઠ પુરસ્‍કાર અપાવ્યો.
          ગુજરાતી સાહિત્યજગતના કદાચ પ્રથમ એક એવા નવલકથાકાર જેઓ દ્વારા રચિત વાર્તા પર આધારિત ફિલ્મને શ્રેષ્ઠ પ્રાદેશિક ફિલ્મ તરીકેનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. પન્નાલાલ પટેલ દ્વારા રચિત વાર્તા કંકુના આધારે દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની ફિલ્મ કંકુ શિકાગોનાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ચારેય તરફ ચમકી ઉઠી હતી.
           લગભગ બધાજ પ્રકારના લેખનમાં તેમણે ગુજરાતની અબાલ વૃદ્ધ પ્રજાને સાહિત્ય આપ્યું છે. ૧૯પ૦માં પન્‍નાલાલ પટેલને તેમના અમૂલ્‍ય પ્રદાન બદલ ગુજરાત સરકારશ્રીએ ગુજરતી સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર રણજિતરામ સુવર્ણચંદ્રક આપ્યો. અને ભારત સરકારે ભારતીય સાહિત્‍યનો સર્વોચ્‍ચ પુરસ્‍કાર જ્ઞાનપીઠ પુરસ્‍કાર ૧૯૮પમાં તેમની રચના માનવીની ભવાઇ માટે અર્પણ કરીને તેમનું સન્‍માન કર્યું.
        પન્નાલાલ પટેલે ૬૧ જેટલી નવલકથા અને ૨૬ જેટલી ટૂંકી વાર્તા લખી છે. આ સિવાય પણ કેટલીક અન્ય કૃતિઓ લખી છે. તેમની વાર્તા કે નવલકથામાં ઉત્તર ગુજરાત, પ્રાદેશિક રૂઢિપ્રયોગો કે સાબરકાંઠા જિલ્લાની બોલી ની છાપ ઉપસી આવે છે. એમની ઘણી નવલકથામાં પ્રેમ કેન્દ્રસ્થાને રહ્યો છે. એમની ઘણી નવલકથામાં ગામની સંસ્કૃતિ,ગામના લોકો એમની સમસ્યા, એનું સમાધાન પણ કેન્દ્રસ્થાને રહ્યું છે.
          વળામણાં, સુરભિ, મીણ માટીના માનવી, નગદ નારાયણ, અજવાળી રાત અમાસની, એક અનોખી પ્રીત, પાર્થને કહો ચડાવે બાણ, શિવપાર્વતી, ભીષ્મની બાણશય્યા, કુબ્જા અને શ્રીકૃષ્ણ જેવી નવલકથાઓ ઉપરાંત સુખદુ:ખના સાથી, ધરતી આભનાં છેટા, રંગમિનારા, બિન્ની, પન્નાલાલ પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, વીણેલી નવલિકાઓ, જમાઇરાજ, ચાંદો શેં શામળો, સપનાનાં સાથી, અલ્લડ છોકરી, સ્વપ્ન, મળેલાં જીવ જેવા નાટકો, દેવનાં દીધેલ, વાર્તાકલ્લોલ ગુચ્છ, લોકમિનારા, બાળકિલ્લોલ જેવા બાળ સાહિત્યો, અલકમલક, સર્જનની સુવર્ણ સ્મરણિકા, લોકગુંજન જેવા પકીર્ણો અલપઝલપની આત્મકથા અને પૂર્ણયોગનું આચમન જેવી રચનાઓની સાહિત્યરસીકોને ભેટ આપનાર આ મહાન વિભૂતીનો તા. પ એપ્રિલ- ૧૯૮૯ના રોજ દેહ વિલય થયો. તેમની ખોટ આજે પણ ગુજરાતી સાહિત્યપ્રેમીઓમાં જણાય રહી છે.

(ક્રમશઃ)
(અરવલ્લીના અન્ય સાહિત્યકારો વિશે જાણીશું  આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી




1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts