Thursday, May 16, 2019

વ્યક્તિ વિશેષ : પરમ પૂજ્ય નરસિંહરામ દાદા


વ્યક્તિ વિશેષ : પરમ પૂજ્ય નરસિંહરામ દાદા



                 અરવલ્લી સાબરકાંઠા એ બહુમૂલ્ય માનવ રત્નો સમાજનેઆપ્યા છે. આ ભૂમિ પૂ. જેશીંગ બાવજી, પૂ.નથુરામ બાવજી, જેવા સંતોની પ્રાગટય ભૂમિ રહી છે. આ સંતો પોતાના તપોબળથી સમાજને એક નવી રાહ ચીંધી પારમાર્થ ના માર્ગે વાળે છે. પ્રગટ પુરુષ સંત શ્રી નરસિંહરામ દાદા પણ આ ધરાનું અણમોલ રત્ન છે. પૂ. નરસિંહરામ દાદા આજે 91 વર્ષે પણ મેળાવડાઓ, ભજન, સત્સંગ દ્વારા સમાજ જાગૃતિનું ભગીરથ કાર્ય અવિરત કરી રહ્યા છે. કાંકણોલ તેઓનું મૂળ વતન.
           પ્રગટ ધામ કાંકણોલનું નામ આજે શ્રદ્ધાળુઓ માટે અજાણ્યું નથી. સાબરકાંઠાના મુખ્ય મથક હિંમતનગરની બિલકુલ લગોલગ આવેલું આ પ્રગટધામ કાકણોલ નો મહિમા દેશ વિદેશમાં વિસ્તર્યો છે. પૂજ્ય પ્રગટ પુરુષ સંતશ્રી નરસિંહરામ દાદાના તપોબળથી પ્રગટ ધામ કાકણોલ હજારો શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. 
        આજથી બરાબર નવ દાયકા પૂર્વે સંવંત 1985ની ભાદરવા સુદ અગિયારસને સોમવારના રોજ પ્રાતઃ કાળે પૂ. દિવાબાના કૂંખે પૂ. નરસિંહરામ દાદાનું પાવન પ્રાગટય થયું. પિતા અમરદાસ પટેલ ખેતી ખેતી કરી પરિવારનું પેટિયું રળે. ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય. એમ છતાં માતા પિતા ભક્તિના રંગે રંગાયેલા. ભક્તિના સંસ્કાર માતા પિતા તરફથી વારસામાં મળ્યા. માતા દિવાબા સાવ અભણ અને ભોળા સ્વભાવના. ઘરે આવેલ કોઈ માંગણ ખાલી હાથે ન જાય. પોતે જમવા બેઠાં હોય અને કોઈ માંગણ આવી ચડે તો પોતાની થાળી માંગણને આપી દેતાં અને પોતે માત્ર છાસ પી ને સુઈ જતાં. આવી છલોછલ ધાર્મિક ભાવનાથી ભરેલા પરિવારમાં પૂ. નરસિંહરામ દાદાનું બાળપણ વીત્યું. 
             આઝાદી પહેલાંનાએ સમયમાં ભણતરનું ઝાઝું મૂલ્ય કોઈ સમજતું નહીં. ગામની ગામઠી શાળામાં જ ચાર ચોપડી સુધી અભ્યાસ કરી અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું. ઘરની આર્થિક પરિસ્થિતિ જોતાં આગળ અભ્યાસ ન કરી શક્યા. અને પૂ. નરસિંહરામ દાદા નાની ઉંમરથી જ પિતાને મદદરૂપ થવા ખેતીકામમાં જોતરાઈ ગયા. પરિવારના ભક્તિભાવ પૂર્ણ વાતાવરણમાં તેઓનું ચિત્ત પણ ભક્તિ માર્ગે લીન રહેતું. ઓછું પ્રાપ્ત કર્યું હોવા છતાં કામ કરતાં કરતાં ભક્તિના પદો સ્ફુરવા માંડ્યા. ખેતી કામ કરતા છતાં કાગળને કલમ તેઓ સાથે રાખતા. કોઈ પંક્તિ સ્ફૂરે તો તરત તેઓ કાગળમાં ઉતારી લેતા. 
          માતા પિતાની સેવા, પ્રભુ સ્મરણ સાથે ખેતી કામ કરતાં કરતાં તેઓ યુવાનીના ઉંમરે પહોંચ્યા. એ અરસામાં તેઓના માસીનો દીકરો ઘરે આવ્યો. 20 વર્ષની વયે ખેતી કામ છોડાવી પૂ. નારસિંહરામ દાદાને નોકરી માટે અમદાવાદ લઈ ગયા. અમદાવાદ કાલુપુર ડોશીવડાની પોળમાં ચાર વર્ષ સુધી જૈન ઉપાશ્રયમાં જૈન મુનિઓની સેવા કરી. જૈન મુનિ ભાનું વિજય અને તેઓના શિષ્ય સુબોધ વિજયના ગાઢ પરિચયમાં આવ્યા. જૈન મુનિઓની સેવા કરતાં કરતાં તેઓ જૈન મુનિ પાસે દીક્ષા લેવાનો ભાવ જાગ્યો. એ દરમ્યાન રામદાસ અવધૂત નામના મહંત સાથે તેઓનો પરિચય થયો. રામદાસ અવધૂતને જાણ થતાં નારસિંહરામ દાદાને જૈન દીક્ષા લેતા અટકાવ્યા. અને સંસારમાં રહીને બને એટલી સેવા કરવાનો બોધ આપ્યો. રામદાસ અવધૂત સાથે નિયમિત ડાકોર દર્શને જવાનો ક્રમ ચાલ્યો. ડાકોર જતાં હૃદયમાં એક વાણી પ્રગટી. જાણે રણછોડરાય ખુદ એમ કહેતા હોય કે "મારો ખુદનો વાસ નરસિંહરામ તમારામાં છે. તમારે ડાકોર આવવની પણ જરૂર નથી." એ દિવસે ડાકોર દર્શન કરી પરત ફર્યા. અને દિલમાં અલગ જ ભાવ અનુભવાયો. ડાકોર જવાનું છોડી પ્રભુ નામ સ્મરણ કરતા. 

                પુરુષોત્તમ ભાઈએ ઘરે સમાચાર આપ્યા કે નરસિંહરામ તો જૈન મુનિ હાથે દીક્ષા લેવા તૈયાર થયા છે. વાત જાણી પરિવારજનો ચિંતામાં ઘરકાવ થઈ ગયા અને તેઓને નોકરી થી ઘરે બોલાવી લીધા. 
        ઘરે આવી ફરી ખેતી કરવાની શરુ કરી પરંતુ મન તો ભક્તિમાં જ લિન રહેતું. દિવસે ખેતી કામ કરવાનું, સમય મળતાં ભક્તિ પદોની રચના કરતા અને રાત્રે ભજન સત્સંગ કરવાનો. 
              એકવાર ખેતરમાં મગફળી ઉપણતા હતા ત્યારે એક માંગણ આવી ચડ્યો. એને નરસિંહરામ દાદાએ પોતાનું ભાથું એને ખવડાવ્યું. માંગણે દાદાનો ભક્તિ ભાવ જોઈ કહ્યું " અમારા ગામ મુનાઈ માં પૂ. નાથુબાપા નામે ભગત છે. પોતે સિદ્ધ પુરુષ છે. દૂર સુદુરથી લોકો દર્શને આવે છે. તમે પણ ક્યારેક દર્શન કરી આવજો " માંગણની આ વાત સાંભળી પૂ. નથુરામ બાપને મળવાની તાલાવેલી જાગી.
             એક વાર કેટલાક મિત્રો સાથે ચાલતા મુનાઈ નથુરામ બાપાના દર્શને નીકળી પડ્યા. મુનાઈ પહોંચતા દિવસ આથમી ગયો. ગામની ભાગોળે નથુરામ બાપનું ઘર પૂછ્યું તો ત્યાં બેઠેલા વડીલો એ કહ્યું " આ ગાયો જ્યાં જાય છે એની પાછળ પાછળ જાઓ. આ ગાયો નથુરામ બાપુ ને ત્યાં જાય છે." ગાયોના પગલે પગલે તેઓ નથુરામ બાપાના ઘરે પહોંચ્યા. નથુરામ બાપાના મુખારવિંદ પરનું અનોખું તેજ જોઈ દિલ હરખ પામ્યું. ત્યાં બે કુતરીઓએ ગલુડિયાં ને જન્મ આપ્યો હતો. ગલુડિયાંના રક્ષણ માટે નથુરામ બાપાએ કોદાળી વડે ઘર આંગણે બે બખોલ બનાવી રાખી હતી. ગલુડિયાં એ બે કુતરી માંથી માઁ નો ભેદ રાખ્યા વિના ગમે તે કુતરીને ધાવતાં. આ દૃશ્ય જોઈ ભાવ જાગ્યો કે અહીં નથુરામ બાપાના સાનિધ્યમાં કૂતરાં પણ જગડ્યા વગર પ્રેમથી રહે છે. અંતરના દ્વાર ઉગડી ગયા. પૂ. નારસિંહરામ દાદા એ પૂ. નથુરામ બાપૂને સદગુરુનું સ્થાન આપ્યું. 
             ભક્તિ ભાવ થી રંગાયેલા નરસિંહ રામ દાદાને હવે સંસાર માં મન ચોટતું જ ન હતું. ઘરના લગ્ન કરવાની વાત કરે તો પણ તેઓ ના પાડી દેતા. આ વાતની જાણ નથુરામ બાપુ ને થતા તેઓએ નારસિંહરામ દાદાને લગ્ન માટે સમજાવ્યા. અને વચન આપ્યું કે તમે "માળા વચ્ચે સંસાર આડખીલી નહીં બને. સંસારમાં રહી સમાજનું કલ્યાણ કરો." ગુરુ વચન માથે ચડાવ્યું. દાદા લગ્ન માટે તૈયાર થયા. પૂ. સંતોકબા સાથે લગ્ન ગ્રંથીથી જોડાયા.
           દાદા દિવસે કામ કરે અને રાત્રે આજુબાજુના ગામોમાં ભજન સત્સંગ કરવા જાય. ધીમે ધીમે સંપૂર્ણ સમય ભક્તિ પાછળ ખર્ચવા લાગ્યા. પૂ. સંતોકબા એ ઘરની અને સંતાનોની તમામ જવાદરી સાંભળી લીધી. 
             પૂ. નરસિંહ રામ દાદાની અસખલિત વાણીમાં ભાવિકો ભીંજાવા લાગ્યા. ભજન-સત્સંગમાં લોકોને જીવનની નવી રાહ ચીંધવાનું ઉમદા કાર્ય કર્યુ છે.તેમણે સ્વંય રચેલા પદોની અસરથી સેંકડો લોકોએ સ્વેચ્છાએ ઘણા વ્યસનોને ત્યજ્યા છે અને પોતાનાનાં નવા જીવનની શરૂઆત કરી છે.

             સમાજજીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જવા માટે સંસારમાં સંતનું આગમન થતુ હોય છે. સમાજ જ્યારે બદીઓથી ખદબદતો હોય, સ્વાર્થના જ્યાં સંબંધો હોય, સંબંધોનું કઈ મૂલ્ય ન હોય ત્યા સંતનું પ્રાગટ્ય થવુ આશીર્વાદરૂપ હોય છે. ‘ટુકડો ત્યાં હરી ઢુકડો’ ઉક્તિ મુજબ પૂજ્ય નરસિંહરામ દાદા મેળાવડાઓમાં જ્યાં જાય છે ત્યાં લોકોને વ્યસન મુક્તિ કરવાની, ભૂખ્યા ને ભોજન કરાવવાની, પક્ષીઓને ચણ નાખવાની અને નીતિના માર્ગે ચાલવાની પ્રેરણા આપીને હજારો લોકને જીવનનો નવો રાહ ચીંધ્યો છે. 
              પૂજ્ય નરસિંહરામ દાદા કોઈની પાસે માગતા નથી. ક્યાંય હાથ લંબાવતા નથી. પણ લોકો ભાવથી કંઈક આપે તો તેને એક હાથે સ્વીકારી બીજા હાથે પંખીઘર , સદાવ્રત,અન્નક્ષેત્રમાં આપી દેવાની તેમની ટેક રહી છે. અહીં આશ્રમમાં આવેલ પંખીઘરમાં રોજના 200 કિલો અનાજ પંખી ચણ માટે નાખવામાં આવે છે. દર રવિવારે કૂતરાઓને લડવા બનાવી ખવડાવવામાં આવે છે. દર ગુરુવાર અને પૂનમે હજ્જારોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. સત્સંગ સાંભળી પ્રસાદ ગ્રહણ કરે છે. ગુરુપૂર્ણિમાએ તો દેેશ પરદેશથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. 
            અમેરિકા વસતા ભાવિકો દ્વારા અહીં વિશાલ સભાખંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. પંખીઓ રહી શકે અને ટાઢ, તડકો અને વરસાદથી બચી શકે એવું ભવ્ય 72 ફૂટ ઊંચાઈ વાળુ પંખી ઘરનું નિર્માણ ચાલુ છે. ભજન-સત્સંગમાં તેમણે નિર્જીવ વસ્તુ અને ધરતીના કણ કણમાં ભગવાન સ્વરૂપ દેખાય છે. માત્ર ચાર ચોપડીનું અક્ષર જ્ઞાન ધરાવતા પૂ. નારસિંહરામ દાદા જ્ઞાનનો દરિયો છે. તેઓની વાણી નિત નવીન હોય છે. 500 ઉપરાંત ભક્તિ પદો અને 5000 જેટલા દુહાની રચના પૂ. દાદાએ કરી છે. પૂ. દાાદાના
સત્સંગ આધારિત અનેક પુસ્તકો પ્રકાશિત થયા છે.
   ના કોઈ સમ્માનની ભૂખ.. ના સંપત્તિની ભૂખ! એવા અલગારી પૂરૂષ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ માટે વર્ષોથી આહલેક જગાવી ઉમદા સામાજિક કાર્ય કર્યુ છે. તેઓનો સત્સંગ છેવાડાના માણસને સમજાય એવા સાવ સરળ શબ્દોમાં હોય છે. એ નિખાલસ શબ્દો સાંભતાજ દિલના ગજબની શાંતિ પ્રસરી જાય છે.

 (આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts