Monday, May 13, 2019

આપણો જિલ્લો, આપણું વતન: અરવલ્લી ભાગ -15

ભાતીગળ લોકમેળા મેળાનો મલક અરવલ્લી જિલ્લો


          મેળો એટલે હળવું-મળવું પરંપરાગત રિવાજ મુજબ નિયત કરેલા સ્થળે ભેગા થવું. લોક મેળાઓ લોક જીવનના ઉલ્લાસનું મોંઘેરૂ પર્વ જ નહીં લોકસંસ્કૃતિનું સંગમ સ્થળ પણ છે. પીઠ કે ગુજરીમાં વાછરડા, પાડા, બળદ, ઊંટ કે ઘોડાના મેળા ભરાય છે. દરેક મેળાની સાથે એના મહાત્મ્ય અને સ્થળની પ્રાચીનતાનો ઇતિહાસ સંકળાયેલા જોવા મળે છે. પ્રાચીનકાળથી મેળાઓનું આગવું મહત્વ રહેલું છે. મેળાઓ રોજ-બરોજના જીવનમાંથી થકાવટ કંટાળો અને નીરસતા તથા નિરાશાને દૂર કરીને માનવ મનમાં નવા ઉમંગ અને ઉત્સાહ પ્રગટાવવાનું કામ કરે છે.
             જૂના જમાનામાં આજની જેમ મનોરંજનના વિપુલ સાધનો ન હતા. ત્યારે લોકો ખેતી, ધંધા કે મજૂરીના રોજના એકધારા પરિશ્રમથી કંટાળી થાકી જતા. આ થાક દૂર કરવા લોકો અખૂટ આનંદનું અને આત્મવિશ્વાસનુ ભાથું મેળા દ્વારા મેળવતા. વળી, પ્રાચીનકાળમાં પર્વતીય પ્રદેશોમાં વાહન વ્યવહાર ન હતો. આદિવાસી વિસ્તારમાં જીવન જરૂરિયાતની ચીજો મેળવવાનું મુશ્કેલ હતું. આર્થિક સ્થિતિને કારણે વધુ ચીજો ખરીદવાનું કામ પણ કઠિન હોવાથી, આદિવાસીઓએ જીવન જરૂરિયાતની ચીજો ખરીદવા માટે અઠવાડિક મેળાનું આયોજન ગોઠવી. જે પ્રણાલી આજપર્યંત અવિરત ચાલુ છે.
              એકલા ગુજરાતમાં જ દર વર્ષે 1521 જેટલા મેળા ભરાય છે તેમાંથી હિન્દુઓના 1293, મુસ્લિમોના 175, જૈનોના 21, લોકમેળા 14 , ધંધાદારી મેળા 13, અને પારસી નો એક મેળો યોજાય છે. હવે ગાંધીજી ની જન્મ જયંતી પ્રસંગે યોજાતા ગાંધી મેળા અને સર્વોદય મેળા તો ઠીક જાણીતા થવા લાગ્યા છે.
       અરવલ્લી જિલ્લામાં વારે-તહેવારે પ્રાચીનકાળથી અલગ અલગ ભાતીગળ મેળાઓ યોજાતા રહ્યા છે. તેમાં શામળાજી ખાતે યોજાતો પરંપરાગત મેળો જગવિખ્યાત છે.
        શામળાજી એક પ્રસિદ્ધ વૈષ્‍ણવ તીર્થ છે. અહીં અન્ય દેવી-દેવતાના મંદિરો આવેલાં છે. શામળાજી મંદિર વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. 11મી સદીમાં નિર્માણ પામેલું આ મંદીર સ્થાપ્ત્ય કળા-કારીગીરીનો ઉત્તમ નમૂનો છો.
          આ પ્રદેશમાં વસતી જનજાતિ, ગરાસિયા, ભીલ જાતિના જનસમુદાય ભક્તિ-આનંદ ઉલ્લાસથી મેળાનો આનંદ લે છે. તીર્થયાત્રીઓ મેશ્વો નદીમાં સ્‍નાન કરે છે. આ આદીવાસી જનસમૂહ આ તીર્થમાં ભક્તિ ગીતો ગાઇ, પરંપરાગત ભજન-નૃત્યો અને તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે. અનેક હાડમારીઓ વેઠીને જીવન જીવતી આ પ્રજા પોતાના તમામ દુઃખો ભૂલીને આનંદથી મેળાને મહાલે છે. ભગવાન શામળાજી શ્રી કૃષ્ણનું જ સ્વરુપ છે. શામળાજીમાં બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણને એક દેવતાના રુપમાં નહીં પરંતુ તેમના સખા, મિત્ર, સહોદરના રુપમાં પૂજે છે. ભીલ જનજાતિમાં, શામળાજી ખૂબ જ સમ્‍માનીત છે અને લોકપ્રિય છે. જે ‘કાલિયો ભવજી’ ના રૂપમાં જાણીતા છે. શામળાજીનો મેળો નાગઘરા કુંડમાં સ્‍નાન અને વર્ષો જુની પરંપરાની ઉજવણી માટે જાણીતું છે.
            શામળાજીનો કારતકી પૂનમનો મેળો કારતક વદ અગિયારસથી માગશર વદ એકમ સુધીનો ગુજરાતનું સૌથી લાંબો 21 દિવસનો મેળો છે. આ મેળાનું આર્થિક દ્રષ્ટિએ આગવુ મહત્વ છે. શામળાજીના આ મેળામાં આજુબાજુના જિલ્લાના લોકો તથા ડુંગરના આદિવાસીઓ વાર્ષિક હટાણુ કરે છે. મેળામાં મુખ્ય વાણીયા, બ્રાહ્મણો, કણબી, કોળી કરતા ગરાસિયા ભીલ આદિવાસી વગેરે સમાજ મોટી સંખ્યામાં આવે છે. કાળીયા દેવ શામળિયા ઉપર ભીલોની મોટી આસ્થા છે.
         શામળાજી મેળાના ઉત્સવ પ્રસંગે સ્થાનિક મંદિર ટ્રસ્ટના અને ગ્રામ પંચાયત દ્વારા ઉભા કરાયેલા અવનવા ટેબ્લો અને રોશનીના શણગાર સજાવીને મંદિર અને ગામની શેરીઓ શણગારવામાં આવે છે. 

           આ ભવ્ય લોકમેળામાં સમગ્ર આદિવાસી સમાજનું આગવું પ્રતિબિંબ પડે છે. આ નાગધરોમાં સ્નાન કરવાથી કોઇપણ જાતનો વળગાડ કે ભૂત પ્રેત નીકળી જાય છે તેવી માન્યતા પ્રચલિત છે. આ મેળામાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા પંચમહાલથી મોટી સંખ્યામાં લોકો આવે છે. 
         માનવહૃદય ભક્તિભાવથી ભરાઈ જાય છે. અસંખ્ય યાત્રીઓ કંઠથી "શામળિયા લાલની જય" ના ગગનભેદી નારા બોલાવે છે. ભારતભરમાંથી મેળો માણવા આવેલા આદિવાસી લોકોનું રાસ નૃત્ય જોવા જેવું હોય છે. આ મેળાનું એક પ્રસિદ્ધ લોક ગીત આજે પણ લોક મોઢે ગવાય છે.
"હાલને છોરી રે, રણજણીયુ વાગે, પૈજણિયું વાગે,શામ
શામળાજીને મેળે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
ડોસા કોટા કાઢે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
મોટીયારા મૂછો મરડે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
ડોશીઓ ડોળા કાઢે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે,
હાલો, શામળાજીને મેળે રે, રણઝણિયું વાગે, પૈજણિયું વાગે."
           શામળાજીના મેળામાં લોકગીતોનો ઉપાડ અને લહેકો અલગ જ આનંદ આપે છે. લગભગ દરેક તીર્થના મેળાના ગીતો સ્થાનિક પ્રજામાં પ્રચલિત છે. અહીં આજુબાજુના પ્રદેશના ખેડૂતોના ગાડાઓની હારમાળા ચાલી આવે છે. તેમના બળદો શણગારેલા હોય છે. સિંગડીયો તેલ ઘસીને ચકચકિત કરેલી હોય છે. રંગીન ગોદડી ઓઢાડેલ આ લોક અને પગમાં ઘૂઘરા અને કોડીયોના હારથી શોભતા અને દોડતા વાઢીયાળી મસ્ત બળદોનો ધમધમાટ દૂરથી સંભળાય છે. આ દૃશ્ય ઉત્સાહ પ્રેરે તેવું નયનરમ્ય હોય છે. મેળે આવનાર ખેડૂતો અને લોકો પણ સુંદર રંગબેરંગી વસ્ત્રાલંકાર માં હોય છે. ઠાકરડા તથા ભીલો પોતાના ગામના સમૂહમાં મેળામાં આવે છે. અને યુવતીઓ સાથે ફરે છે. યુવાનો માથે રેશમી રૂમાલ કે છે કે હાથમાં ફરકાવે છે. મસ્ત થઈને ચાલ્યા આવતા આ યુવક-યુવતીઓ શામળાજીના મેળામાં લોકગીતો ગાતા હોય છે. મેળામાં આવનાર રાત્રિ રોકાણ કરે છે. તેમના વૃંદો મેળાના ગીતોની રમઝટ સાથે રાત્રિ પસાર કરે છે. 
         આદિવાસી યુવાનો મેળામાંથી જ પોતાની મનની માનેલી કન્યાને પસંદ કરી લે છે. યુવતીનો પ્રેમી પોતાના ગામના જુવાનિયા ને સાથે લઈને મેળામાંથી એની ખેંચી જાય છે. યુવતીના ગામવાળા તેને ઉપાડી જતી બચાવે છે. તે કિલા જુવાનિયા ઘણીવાર વટને ખાતર ધીંગાણા વહોરી લે છે. મેળામાંથી ઉઠાવાયેલા કન્યાની પછીથી પોતાના પ્રેમી સાથે લગ્ન કરવાની છૂટ અપાય છે. મેળા માંથી કન્યાની ઉપાડી જવા માટે લાડી ખેંચવી એવો શબ્દ પ્રયોગ જાણીતો છે.
         દર વર્ષે કારતકી ચૌદશના રોજ અહીં વસતા ભગત અને ભુવા ભેગા થાય છે. અને તેઓ પોતાના મંત્રો તાજા કરે છે. નવા ભૂવા પોતાની સાધના પણ અહીં જ શીખે છે. કોઈને ભૂત પ્રેત કે જોડિયું વળગ્યું હોય તો તેને કઢાવવા માટે અહીં લઇ આવવામાં આવે છે. મેશ્વો ના લાંબા વિશાળ ભગત ભુવા ને વળગાડ વાળા લોકો નો અનોખો મેળો જામે છે. ભુવા મંત્રો ભણે છે. હુંકારા અને ચિચિયારીઓથી વાતાવરણ ભરાઈ જાય છે. આદિવાસીઓને મૃત સગાઓ નું શ્રાદ્ધ કરવાની તક પણ મેળા પૂરી પાડે છે.
           મેળામાં આવનાર ભાવિકો વહેલી સવારે મેશ્વો ના નાગધરો કુંડમાં સ્નાન કરે છે. કાર્તિકી પૂનમે દેવ દિવાળી નિમિત્તે ત્રણ માળના આ ભવ્ય વિષ્ણુ મંદિરને નીચેથી ઉપર સુધી દીપમાળથી શણગારવામાં આવે છે પવનની લહેર ક્યુમાં થી શિખાઓ નું દ્રશ્ય મનોહર લાગે છે.
         મેળામાં તાંબા-પિત્તળના વાસણો, બેડા, ચાંદીના ઘરેણાં, ગાદલા, રજાઈ, કાપડ અને તૈયાર વસ્ત્રો લુહારની કોડ અને ખેતીના ઓજારો, શાકભાજી, અનાજ, બંગડીઓ જીવન જરૂરિયાની તમામ ચીજો મળી રહે છે. પરપ્રાંતના લોકો તે ખાસ ખરીદે છે. આદિવાસીઓ અને દૂરના લોકો તેમનું હટાણુ મેળામાંથી કરે છે. આદિવાસીઓ પણ તેમના સૂપડા, વાસની ચીજો વગેરે વેચવા મેળામાં આવે છે. 

          1951 સુધી આ મેળામાં પશુ વેચાતા. તેમાં ઉત્તર ગુજરાતના વઢીયારી, કાંકરેજી ,વાવ-થરાદના ઉમદા બળદો પંદર વીસ હજારની સંખ્યામાં વેચાતા અને રોજની હજારો રૂપિયાની લેવડદેવડ થતી. વળી ગાય, ભેંસ, કચ્છી ગધેડા અને અરબી પંજાબી જાતના ઘોડા બજારમાં વેચાતા. તેમનું કુલ વેચાણ લાખો રૂપિયાનું થતું હતું. અહીંનો માલ ખરીદવા કચ્છ, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ વગેરે જિલ્લાના તથા રાજસ્થાન મેવાડના વેપારીઓ પણ આ માલ લે-વેચ કરવા ખાસ આવતા હતા.
              25 વર્ષ પહેલા 25-30 ગામના લોકો આ મેળામાં વાર્ષિક હટાણુ કરતા અને મીઠાથી લઈ જીવનની તમામ જરૂરિયાતની ખરીદી માલ ગાડામાં કે ઊંટ ઉપર પોતાને ગામ લઈ જતા. રેલ્વે બસ વ્યવહાર મળતા મેળાનું બજાર ઉપરાંત, ખાનપાનની દુકાનો હોટેલો ચકડોળ વાગ્યે ભાડકા વિનોદ અને મનોરંજનના સાધનો ના સ્ટોલ ઉપલબ્ધ થયા છે.
           સાબરકાંઠા વિસ્તારમાં ભરાતા ચિત્ર-વિચિત્ર મેળા જેટલું મહત્વ ધરાવતો શામળાજીનો આ મેળો આજકાલ શહેરી સંસ્કૃતિની અસર વાળો થતો જાય છે. તેવું આ મેળો માણવા આવનારની લાગ્યા વિના રહેતું નથી. પરંતુ ભારતીય લોકજીવન ની નજીકથી ઝાંખી કરવા માટે એકવાર આ મેળો અચૂક નિહાળવો જોઈએ.

( ભાતીગળ લોકમેળા નો મલક અરવલ્લી વિશે વધુ આવતા સોમવારે)
લેખન - સંકલન :ઈશ્વર પ્રજાપતિ 
સંદર્ભ: અરુણોદય અરવલ્લીનો 
(આપના પ્રતિભાવ નીચે આપેલ whatsapp નંબર પર લખી મોકલી શકો છો )
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ મિત્રો મારા બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી

1 comment:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts