Shri K. K. SHAH letter to brother when he was in Jail for Independence struggle under the British rule
આદરણીય શ્રીમાન કે. કે. શાહ સાહેબ એટલે એક જાજરમાન વ્યકિતત્વ. અરવલ્લીના ગાબટ જેવા છેવાડાના નાના અમથા ગામમાં સાધારણ પરિવારમાંથી નીકળી સત્તાના સર્વોચ્ચ શિખરો સર કર્યા હતા. એક વિદ્વાન વકીલ હોવાની સાથે સાથે વડોદરાના મહારાજા સયાજી રાવ ગાયવાડના સલાહકાર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમણે કેન્દ્રીય મિનિસ્ટરથી માંડી તમિલનાડુંના રાજ્યપાલ જેવા ગરીમામય પદો પૂરી નિષ્ઠાથી શોભાવ્યા હતા. બહુ ઓછાં લોકો એ વાત જાણે છે કે ગાંધી રંગે રંગાઈને શ્રીમાન કે. કે. શાહ સાહેબે સ્વતંત્રતા સંગ્રામમાં પણ અગ્રેસર રહી અસરકાર ભુમિકા નિભાવી હતી. પરિણામ સ્વરૂપે જેલવાસ પણ ભોગવ્યો. જેલવાસ દરમીયાન વતન પ્રત્યેની અપ્રતિમ લાગણી જરા પણ ઓછી થઈ નહોતી.
માતૃભૂમિને ઉન્નત બનાવવા કેવી ઊંડી લાગણી તેઓ ધરાવતા હતા આ બાબત તેમણે જેલવાસ દરમિયાન લખેલા પત્રોમાં પ્રતિબિંબિત થાય છે. 80 વર્ષ પૂર્વે લખાયેલા લાગણી ભીના આ પત્રો આદરણીય પ્રકાશભાઈ કે. સાહબે જીવની જેમ સાચવી રાખ્યા છે.
શ્રી કે.કે. શાહ સાહેબે જેલવાસ દરમિયાન લખેલ એક પત્ર અહીં અક્ષરશઃ અહી પ્રસ્તુત છે.
5-12-42
"પૂજ્ય મુરબ્બી ભાઈશ્રી તમારો પત્ર મળ્યો. ભાઈ મોહનલાલનો પત્ર પણ મળ્યો, સ્કુલના વેચાણની મંજુરી આવી ગઈ તો ઈશ્વરની ઈચ્છા. જે જગ્યાએ સ્કુલ એક વખત થઈ હોય ત્યાં રહેવા જવા દેવાની ઈશ્વર ઈચ્છા નહિ હોય. જે વખતે જે થાય તેથી સંતોષ માનવો. તમોને અડધો ભાગ મલતો હોય તો વહેવારે રાખી લેવો જોઈતો હતો. ભાગીદારીમાં બનતાં સુધી કંઈ ન થાય તે ઈચ્છુ છું. કારણ કે પાછળથી તકરાર થાય તે મને પસંદ નથી. ત્યાંથી છોકરાઓને આવતા વિલંબ થયો અને સમયસર (ટાઈમસર) સ્કુલમાં જઈ શક્યાં નહિ. આ ઠીક થયું નહિ. ઈશ્વર ઈચ્છા. મુંબઈથી આવે તે મોકલી આપવા આજે લખ્યું છે.
ઘરની સંભાળ રાખશો. અહિની કોઈપણ જાતની ફીકર કરશો નહિ. સમય બારીક હોઈ ઘર સંભાળીને રાખશો. દુનિયામાં દેવાલેણી પ્રમાણે બધુ જ બન્યા જાય છે. તેનો હરખ શોક હોય જ નહિ. જેટલું સુકૃત્ય બની શકે તેટલું અહોભાવ સમજવું. માણસ જેટલી આશા મોટી બાંધે તેટલો દુઃખી નિરાશા આવતાં થાય. એટલે છેવટે તો બધુ ક્ષણ ભંગુર છે અને તેથી તેમાં સમજી રહેવામાં આત્માનું કલ્યાણ થાય. પૂ. ભાઈચંદભાઈ પત્ર મળ્યો. આપના આશિવોદથી ગીતાનો અભ્યાસ ઘણો જ સારો ચાલે છે. અને ઈશ્વરની દરેક ઘટનામાં સંતોષ માનવા જેટલું આત્મબળ મળી રહેશે એમ લાગે છે. અવર નવર પત્ર લખતા રહેશો. બાઈબલ હજુ ખરી ધુનથી વાંચવા વિચાર છે. હાલ તો સર રાધા કૃષ્ણનની Indian philosophy વાંચવા વિચાર રાખું છું. એક વખત હિંદી સંસ્કૃતિ અને ફિલોસોફીનું જ્ઞાન સારૂ થાય પછી બીજી ફિલોસોફી સમજવા પ્રયત્ન કરીશ.
કુટુંબમાં બધાને પ્રણામ. છોકરાઓન આશિષ, પૂ.મા. ભાઈને માલુમ થાય કે આ પત્ર બધાને વંચાવશો. મા. ભાઈચંદભાઈને વંચાવશો. અને જોડેનો કાગળ (પત્ર) હરગોવિંદદાસને આપશો. બધાને છૂટા પત્ર લખી રકતો નથી. એટલે બધાને ભેગા મોકલું છું. મારાં પૂજય ભાભીને પ્રણામ. કુટુંબમાં પૂજ્ય કાકીઓને, ભાઈચંદભાઈને ત્યાં પૂ. રુક્મિણી ભાભીને, ભાઈ મોહન, પૂનમકાકા, ભાઈ ચુનિલાલ, ભાઈ રમણ, ભાઈ જેઠાલાલ, તથા ભાઈ ભોગીલાલને જય શ્રી કૃષ્ણ. બાઈશ્રી છોટાલાલ, સામલ દાસ તથા ઠેકડી શિવલાલ શેઠ તથા હિરાલાલ રોઠ તથા આંમભાઈ તથા રામભાઈને
પ્રણામ.
સિવાય યાદ કરે તે બધાને યાદ કહેશો. માસ્તર સાહેબ ચુનિકાકાને તથા જયચંદ કાકા,નાથાભાઈ હરગોવિંદ દાસને જય શ્રી કૃષ્ણ."
પત્ર સૌજન્ય : પ્રકાશ કે. શાહ.
સં. - ઈશ્વર પ્રજાપતિ.
No comments:
Post a Comment