રવિવાર, 22 સપ્ટેમ્બર, 2024

સન્ડે સ્પેશિયલ

ભાગ - ૫

માર્ગ ઉપરથી સડસડાટ પસાર થઈ રહેલા વાહનોના કાફલાને મંત્રીશ્રીએ એકાએક થોભાવી દેવાની સૂચના આપી અને...

- ઈશ્વર પ્રજાપતિ

9825142620


     જીવનમાં કેટલીક એવી ક્ષણોના સાક્ષી બનવાનું થાય છે કે એ પળો કાયમી સંભારણું બની હ્રુદય માં સચવાઈ જતી હોય છે. ૨૦ સપ્ટે . ૨૦૨૪નો  દિવસ મારા માટે જીવનનો એક યાદગાર દિવસ બની ગયો.

પ્રસંગ કાંઈક એવો હતો કે સંતરામપુરની સડક ઉપરથી  ગુજરાત રાજ્યના એક કેબિનેટ મિનિસ્ટર શ્રીના  વાહનનો કાફલો સાયરન વગાડતો સડસડાટ પસાર થઈ રહ્યો હતો.. ત્યાં જ મંત્રીની નજર રસ્તા પરના પીક -અપ સ્ટેન્ડ પાસે બેઠેલાં એક વૃદ્ધ મહિલા પર પડી. અને તરત જ વાહનો ત્યાં જ રોકી દેવા મંત્રી શ્રીએ જણાવ્યું.. આમ એકાએક કાર થંભાવી દેવાની સૂચનાથી સૌને અચરજ થયું. પરંતુ જેવી કાર ઊભી રહી. સાયરન બંધ થયું. મંત્રીશ્રીએ વિન્ડો કાચ ઉતારી પિક -અપ સ્ટેન્ડ પર બેઠેલાં વૃદ્ધ મહિલાને સાદ કર્યો.. "ચંપાબેન સંઘાડા"  વૃદ્ધ મહિલા ઝાંખી થયેલ દૃષ્ટિથી કાર સામે તાકી રહ્યાં. અને મંત્રીશ્રીને જોતાં જ તેમની આંખોમાં અનેરી ચમક ઉભરી આવી.. મંત્રી શ્રીએ ઓળખ પાકી કરી કે તમારું નામ ચંપા બેન ને ? નિસ્તેજ થયેલો માજીનો ચહેરો ખીલી ઉઠ્યો. અને જવાબ વાળ્યો "હા, સાહેબ !"

    મંત્રીશ્રી જાણે કોઈ પરિવારના સદસ્યની કાળજી લેતા હોય એમ પૂછ્યું.. " દર મહિને તમને અનાજ  તો મળે છે ને?" માજી એ હકારમાં જવાબ આપ્યો.. મંત્રી શ્રીએ વધુ ઊંડાણ પૂર્વક પૂછપરછ કરી કે તમે વિધવા સહાય માટે મને મળ્યાં હતા એ ચાલુ થયું કે નહીં? " ચંપાબેને નકારમાં જવાબ આપ્યો.. તરત જ મંત્રીશ્રીને કહ્યું ત્યારે જ કાર્યાલય પર આવો. આજે જ બધી વિગતો સાથે ફોર્મ ભરી દઈએ છીએ અને આ મહિનાથી જ વિધવા સહાય મળે એવું આયોજન કરી દઈએ છીએ."  વૃદ્ધ ચંપાબેન તો ગદગદિત સ્વરે મંત્રી શ્રી પર આશિષ વર્ષા વરસાવી.

     પિક-અપ સ્ટેન્ડ  પર બેઠેલાં ચંપાબેનને તો ખ્યાલ પણ નહોતો કે આ ગાડીઓનો કાફલો કોનો છે. પરંતુ કારમાંથી તેમને જોતાં જ કાર થંભાવી કાળજી પૂર્વક પૂછપરછ કરનાર મંત્રી શ્રીના હ્રુદયમાં વહેતી માનવ સેવા સરવાણી નિહાળી હું પોતે ભીંજાઈ ગયો. આ મંત્રી શ્રી એટલે  બીજું કોઈ નહિ પણ પ્રજાની પીડાને પોતીકી પીડા માની રાત-દિવસ કે ટાઢ - તડકો જોયા વિના  પ્રજાજનોની  સેવામાં પોતાની જાત નીચોવી પ્રજાના સુખે  સુખી અને પ્રજાના દુઃખે દુઃખી થનાર ગુજરાત  રાજ્યના  યશસ્વી શિક્ષણ મંત્રી શ્રી ડૉ. કુબેર ભાઈ ડિંડોર..

      ડૉ. કુબેરભાઈ ડિંડોરે સંતરામપુરના આખા વિસ્તારનાં આબાલવૃદ્ધ સૌ સાથે એવો મજબૂત સંપર્ક સેતુ રચ્યો છે કે એના તાર સીધા એકમેકના હ્રુદય સાથે જોડાયેલા જોવા મળે. કુબેરભાઈ  ડિંડોરની કાર જ્યાંથી પસાર થાય ત્યાં લોકો "રામ- રામ, જય ગુરુ" કહેવા આદરપૂર્વક  ઊભા રહી જાય. ડિંડોર સાહેબ પણ તમને ખૂબ ભાવ પૂર્વક અભિવાદન કરવાનું ક્યારેય ચુકતા નથી. જરૂર લાગે ત્યાં ગાડીનો કાફલો ઊભો રાખી રસ્તે જનારના પરિવારની ખબર અંતર પૂછી લે. પદ અને પ્રતિષ્ઠા મળ્યા પછી આટલી વિનમ્રતા જાળવી રાખવી એ નાનીસૂની વાત નથી જ નથી.
      ડૉ. કુબેરભાઈ ડિંડોર  સંતરામપૂર પંથકના પ્રજાજનોનો આટલો અપ્રતિમ પ્રેમ કેમ પામ્યા હશે !? એ જોવું હોય તો એક વાર આ પંથકના ડુંગરો, કોતરો , કાચા- પાકા રસ્તા અને  પ્રત્યેક પગદંડી ખુંદવી પડે... આ તમામ જગ્યાએ કુબેરભાઈનાં પગલાંનાં તાજા નિશાન જડી આવે.. રાજ્યના  શિક્ષણ મંત્રી તરીકે ની વ્યસ્તતા હોવા છતાં શનિ રવિએ આ પંથકનાં ગામ, ગલી, ફળી ખૂંદી વળી પ્રજા જનોને મળી તેમના પ્રશ્નો જાણી તેના ઉકેલ માટે સતત મથામણ કરતા રહે છે.

    ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે વિદ્યાર્થી અને શિક્ષક હિતના નક્કર નિર્ણયો લઈ અસરકારક કામગીરી કરી જ રહ્યા છે. સાથે સાથે પોતાના મત ક્ષેત્ર સંતરામપુર વિસ્તારની કાયા પલટ કરવાની તેઓએ જબરજસ્ત જહેમત ઉઠાવી છે.
       આઝાદી પછી દાયકાઓ સુધી આ આદિજાતિ વિસ્તાર  વિકાસથી વંચિત રહ્યો. પરંતુ કુબેર ભાઈએ જ્યારથી નેતૃત્ત્વની કમાન  સંભાળી ત્યારથી આ વિસ્તારની  સિક્કલ બદલવાની શરૂઆત થઈ.. અંતરીયાળ ગામ - ફળિયા ને જોડતા સેંકડો કિલોમીટરના પાકા રસ્તાનું નિર્માણ કરાવ્યું. છતા પાણીએ, પાણી માટે વલખતાં પ્રજાજનો માટે બોર - મોટરની વ્યવસ્થા તાબડતોબ કરાવી.  પાણીના સંગ્રહ માટે અનેક ચેક ડેમ બંધાવ્યા, પ્રજાજનો વ્યસનોથી દૂર રહે અને આધ્યાત્મિકતા તરફ વાળવા સાચા સમાજ સેવકની ભૂમિકા અદા કરી રહ્યા છે..


      આઝાદીની ચળવળ દરમીયાન જલિયાવાલા બાગ કરતાંય અધિક ભયાવહ  હત્યાકાંડ માનગઢમાં થયો હતો. ૧૫૦૭ જેટલા આદિવાસી ભાઈઓ બહેનોને અંગ્રેજોએ ગોળીબાર કરી વીંધી નાખ્યાં હતાં. પરંતુ માનગઢનો રક્તરંજિત ઈતિહાસ ક્યાંય ઉજગરત થયો જ નહિ. આદિ વાસી ભાઈ બહેનો એ દેશ માટે આપેલા બલિદાન   ની શૌર્ય ગાથાને દેશ દુનિયા જાણી શકે એ માટે  આ માનગઢને શહીદ સ્મારક તરીકે વિકસિત કરવાનું સ્વપ્ન કુબેરભાઈએ જ સેવ્યું.. તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું  ધ્યાન  દોરી માનગઢને વિકસિત કરવાનું બીડું ઝડપ્યું. કેટલાક  અલગાવવાદી કહેવાતા નેતાઓના વિરોધનો કુબેર ભાઈએ  એકલા હાથે સામનો કર્યો.. અહીંની પ્રજા જનોને ડિંડોર સાહેબના રૂપ માં એક સબળ અને સંવેદનશિલ  નેતા પ્રાપ્ત થયા હતા. એટલે આ વિસ્તાર ના સૌ પ્રજાજનો ડિંડોર સાહેબનો પડ્યો બોલ ઝીલવા તૈયાર રહે છે. અને એટલે જ માનગઢ હિલ્સનો વિકાસ સંભવી શક્યો.. આજે માનગઢ હિલ્સ પર જઈએ તો આજે પણ શહીદોનાં લાગણી ભીનાં સ્પંદનો અનુભવી શકાય છે.

     નરેન્દ્રભાઇ મોદી સાહેબ આ સુંદર  સ્મારકની ત્રણવાર મુલાકાત લઈ ચૂક્યા છે. ભુલાયેલા ભવ્ય ઇતિહાસને ઉજાગર કરી માનગઢ હિલ્સના વિકાસનું શ્રેય જો કોઈ એક વ્યક્તિને આપવું હોય તો એ કુબેર ભાઈને  ફાળે જાય છે.

      સંતરામપુર ખાતે તેમના કાર્યાલયના દરવાજા સૌ કોઈ માટે ખુલ્લા રાખ્યા છે. કાર્યલય પર  રજૂઆત માટે આવતાં લોકોને નિહાળીએ તો પણ આ વિસ્તાર ના લોકોની સ્થિતિનો ચિતાર મેળવી શકાય. જરૂરિયાત  મંદ અને ગરીબ લોકો કોઈ પણ જાત ના પ્રોટોકોલ વિના ગુજરાત  ના કેબિનેટ મંત્રી શ્રી કુબેર ભાઈ ને મળી હૈયાની વાત કહી શકે છે. રજૂઆત  સંદર્ભે જે તે વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીને ત્વરિત ફોન કરી સૂચના આપી સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાય છે. પ્રજાજનોના પ્રશ્નોના નિકાલ માટે તેઓ હંમેશા એક્શન મોડમાં રહે છે. 
     કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં તેઓ ડાઉન ટુ અર્થ રહી જીવન જીવે છે. તેમના સ્વભાવની સરળતા, સાદગી અને નિખાલસતા હ્રુદય સ્પર્શી છે. ડૉ. કુબેર ભાઈએ  પ્રજાજનોનો એટલો તો  પ્રેમ સંપાદિત કર્યો છે કે  ચૂંટણી સમયે કદાચ તેઓ પ્રચાર કરવા ન પણ જાય તો પણ તેઓ ઝંગી બહુમતીથી ચુંટાઈ આવે એમાં કોઈ બેમત નથી.
    એક દિવસના તેમની સાથેના પ્રવાસમાં તેઓએ જે સ્નેહ વરસાવ્યો એ બદલ હું ગદગદિત છું. તેમને મળી રાત્રે ઘરે પહોંચ્યો તો તરત તેમનો કોલ આવ્યો કે " ઈશ્વર ભાઈ સુખરૂપ પહોંચી ગયા? કોઈ તકલીફ તો નથી પડી ને? પરિવારના સભ્ય સિવાય આટલી બારીક કાળજી કોણ લઈ શકે?  તેમના સ્વભાવની આવી સહજતાના કારણે જ તેઓ સફળતાના શિખરો સર કરી શક્યા છે. એક મંત્રી  તરીકે તેમની કાર્યનિષ્ઠા, કર્તવ્ય પરાયણતા અને પારદર્શક વહીવટને જોતાં એટલું તો ચોક્કસ કહી શકાય કે રાજનીતિમાં કુબેર ભાઈનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે.

     ડૉ. કુબેરભાઈ ડિંડોરને મળી મને એટલું તો સમજાય છે કે મોદીજી પાક્કા ઝવેરી છે. જ્યાં કોઈનેય નજર ન પહોંચે એવા અંતરીયાળ પંથકમાંથી ૨૪ કેરેટ નહિ પણ પૂરા ૧૦૦ કેરેટના ડાયમંડ શોધી લાવ્યા છે.

1 ટિપ્પણી:

Popular Posts