Sunday, January 21, 2024

સન્ડે સ્પેશિયલ

 સતયુગથી માંડી સાંપ્રત સમય સુધીની  અયોધ્યા નગરીની રસપ્રદ કથા

 આવતી કાલ ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ નો દિવસ વિશ્વભરમાં વસતા હિંદુઓ  માટે એક ઐતિહાસિક દિવસ હશે. આશરે ૫૫૦ વર્ષ પછી શ્રી રામ જન્મ ભૂમિ પર ભવ્ય રામ મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. રામ લલ્લાની બાળ સ્વરૂપની અત્યંત સુંદર પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીમાં સમસ્ત દેશ રામમય બન્યો છે. સતયુગ થી માંડી સાંપ્રત સમય સુધી અયોધ્યા નગરીની રસપ્રદ કથા અહીં પ્રસ્તુત છે.

  અયોધ્યા સમયના ચક્ર સાથે બદલાતી રહી. સતયુગથી અત્યાર સુધીમાં અયોધ્યા કેટલું બદલાયું છે? આ કાળનું ચક્ર છે જે અનેક યુગોથી સતત ચાલતું રહે છે. તે ન તો અટકે છે કે ન વેગ આપે છે, તે ફક્ત પોતાની ગતિએ આગળ વધતું રહે છે. સમયના ચક્રે એ બધું જોયું છે, સહન કર્યું છે, જે આજે ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે નોંધાયેલું છે. સતયુગથી ચાલતું આ કાલચક્ર, ત્રેતાયુગ જોયું, દ્વાપરયુગ સમજ્યું, કળિયુગ સહન કર્યું અને હજુ પણ અવિરત આગળ વધી રહ્યું છે.

અથર્વ વેદમાં અયોધ્યાને ઈશ્વરની નગરી કહેવામાં આવી છે અને તેની તુલના સ્વર્ગ સાથે કરવામાં આવી છે. સ્કંદપુરાણ અનુસાર `અયોધ્યા’ શબ્દ `અ’ કાર બ્રહ્મા, `ય’ કાર વિષ્ણુ છે અને `ધ’ કાર રુદ્રનું સ્વરૂપ છે. એવી માન્યતા છે કે અયોધ્યા મનુએ વસાવ્યું હતું અને તેમણે જ `અયોધ્યા’ નામ આપ્યું હતું. અયોધ્યાનો અર્થ છે જેને યુદ્ધ દ્વારા પ્રાપ્ત કરી શકાય નહીં. માથુરોના ઇતિહાસ પ્રમાણે વિવસ્વાન (સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ ઈ.સ. પૂર્વે લગભગ ૬૬૭૩ પૂર્વે થઈ ગયા. વૈવસ્વત મનુના ૧૦ પુત્રો- ઈલ, ઈક્ષ્વાકુ, કુશનામ, અરિષ્ટ, ધષ્ટ, નરિષ્યંત, કરૂપ, મહાબાલી, શર્યાતિ અને પૃષધ હતા. તેમાં ઈક્ષ્વાકુ કુળનો વિસ્તાર વધુ થયો. ઈક્ષ્વાકુ કુળમાં કંઈકેટલાયે મહાન પ્રતાપી રાજા, ઋષિ, અરિહંત અને ભગવાન થયા. ઈક્ષ્વાકુ કુળમાં જ આગળ ચાલતાં ભગવાન શ્રી રામ થયા.

પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીને જ્યારે મનુએ પોતાના માટે એક નગરના નિર્માણની વાત કરી તો તેઓ તેમને ભગવાન વિષ્ણુ પાસે લઈ ગયા. વિષ્ણુજીએ સાકેતધામમાં એક સ્થાન બતાવ્યું. વિષ્ણુ ભગવાને આ નગરી વસાવવા માટે બ્રહ્મા તથા મનુની સાથે દેવશિલ્પી વિશ્વકર્માને પણ મોકલ્યા. આ ઉપરાંત રામાવતાર માટે યોગ્ય સ્થળ શોધવા માટે મહર્ષિ વશિષ્ઠને પણ તેમની સાથે મોકલ્યા. એમ માનવામાં આવે છે કે મહર્ષિ વશિષ્ઠ દ્વારા જ સરયૂ નદીના તટ પર લીલાભૂમિની પસંદગી કરવામાં આવી. જ્યાં વિશ્વકર્માએ નગરનું નિર્માણ કર્યું. આ કારણથી અયોધ્યાને `સાકેત’ અને `રામનગરી’ પણ કહેવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર અયોધ્યામાં સૂર્યવંશી, રઘુવંશી અને અર્કવંશી રાજાઓનું રાજ હતું. જેમાં ભગવાન શ્રી રામે જન્મ લીધો. વંશમાં આ કુળના 123 રાજાઓનો ઉલ્લેખ છે. જેમાંથી 93એ મહાભારત પહેલા અને 30એ મહાભારત પછી શાસન કર્યું. પુરાણો અનુસાર અયોધ્યા પહેલા 11 સૂર્યવંશી રાજાઓ હતા. દશરથ 63મા રાજા હતા અને ભગવાન શ્રી રામ 64મા રાજા બન્યા હતા. ભગવાન શ્રીરામનો જન્મ ઈ.સ.પૂર્વ ૫૧૧૪માં થયો હતો. ભારતીય તિથિ પ્રમાણે ચૈત્ર માસની નવમીને `રામનવમી’ તરીકે ઊજવવામાં આવે છે.

વેદોમાં સરયુ અને અયોધ્યાનો ઉલ્લેખ છે.  ઋગ્વેદના મંત્રોમાં સરસ્વતી અને સિંધુની સાથે સરયુનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે વૈદિક કાળમાં સિંધુ અને સરસ્વતીની જેમ સરયૂ પણ એક મોટી નદી હતી અને આ નદીના કિનારે અયોધ્યા શહેર વસેલું છે. અથર્વેદમાં પણ અયોધ્યા નગરીનો ઉલ્લેખ છે. અથર્વવેદમાં અયોધ્યાને ભગવાનની નગરી કહેવામાં આવી છે. જેની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવી છે. અથર્વેદ જણાવે છે કે આ સમયગાળા દરમિયાન અયોધ્યા એક સંપૂર્ણ સમૃદ્ધ અને વિકસિત શહેર હતું.

બધા વેદ, ઉપનિષદો અને સંહિતાઓ શોધીએ તો ત્યાં અયોધ્યા નગરીનો ઉલ્લેખ જોવા મળે છે. આજની અયોધ્યાનું નામ ભલે અગાઉ અયોધ્યા ન હોય, પણ શહેર તો એવું જ હતું. જેમ જેમ ઈતિહાસના પાના ફેરવાયા તેમ તેમ અયોધ્યા 12 અલગ-અલગ નામોથી જાણીતી હતી. જેમના નામ છે, અયોધ્યા, આનંદિની, ચકાસણી, સત, સાકેત, કોશલા, વિમલા, અપરાજિતા, બ્રહ્મપુરી, પ્રમોદવન, સંતનિલોક અને દિવ્યલોક.

અયોધ્યાની ભૂગોળ રામાયણમાં સમજાવવામાં આવી છે.

અયોધ્યાની સમગ્ર ભૂગોળ વાલ્મીકિ રામાયણમાં સમજાવવામાં આવી છે. આ હિસાબે અયોધ્યા લગભગ 5200 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી હતી. જ્યારે આજની અયોધ્યા પર નજર કરીએ તો તે માત્ર 120.8 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે. એટલે કે તે સમયે અયોધ્યા આજની અયોધ્યા કરતાં લગભગ 44 ગણી મોટી હતી.

સ્કંદપુરાણ અનુસાર અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર બિરાજમાન છે. આ નગર વસાવનાર મનુ બ્રહ્માજીના માનસપુત્ર હતા. ભગવાન શ્રીરામ પછી ભગવાન શ્રીરામના પુત્ર લવએ શ્રીવસ્તી નગરી વસાવી. એ જ રીતે ભગવાન શ્રીરામના પુત્ર કુશએ રાજધાની અયોધ્યાનું પુનનિર્માણ કર્યું હતું. અયોધ્યા રઘુવંશી રાજાઓની પુરાણી નગરી ગણાય છે. પહેલાં તે કૌશલ જન્મપદની રાજધાની હતી. આજે પણ અયોધ્યા ઘાટો તથા મંદિરોની સુપ્રસિદ્ધ નગરી છે. સરયૂ નદીના કિનારે ૧૪ મુખ્ય ઘાટ છે જેમાં ગુપ્ત દ્વાર ઘાટ, કૈકેયી ઘાટ, કૌશલ્યા ઘાટ, પાપપોચન ઘાટ તથા લક્ષ્મણ ઘાટ જાણીતા છે. જૈનોના મત અનુસાર ૨૪ તીર્થંકરો પૈકી પાંચ તીર્થંકરોનો જન્મ પણ અહીં જ થયો હતો. આવી પવિત્ર નગરી છે અયોધ્યા.

      આવી અત્યંત પ્રાચીન નગરીમાં નવું બનેલું રામમંદિર અયોધ્યામાં રામજન્મભૂમિ પર બનાવવામાં આવ્યું છે. તા.૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરની સંરચના સોમપુરા પરિવારના જાણીતા સ્થપતિ ચંદ્રકાંત સોમપુરા, નિખિલ સોમપુરા અને આશિષ સોમપુરાએ કરેલી છે. સોમપુરા પરિવારની પંદર પેઢીઓએ અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મંદિરો બનાવેલાં છે.

     આ નવનિર્મિત મંદિર ૨૩૫ ફૂટ પહોળું, ૩૬૦ ફૂટ લાંબું અને ૧૬૧ ફૂટ ઊંચું છે. આ મંદિર પરિસરમાં એક પ્રાર્થનાકક્ષ છે. એક રામકથા કુંજ વ્યાખ્યાન કક્ષ, એક વૈશ્વિક પાઠશાળા (શૈક્ષણિક સુવિધા) એક સંત નિવાસ અને એક યતિ નિવાસ એટલે કે છાત્ર નિવાસ અને એક સંગ્રહાલય પણ છે. મંદિર પરિસરમાં કૅફેટેરિયા પણ છે. આ મંદિર હવે મંદિર પરિસરની દુનિયામાં ત્રીજું સહુથી મોટું હિંદુ મંદિર બની ગયું છે.

આ મંદિરનું નિર્માણ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રએ કર્યું છે. લાર્સન એન્ડ ટુબ્રોએ મંદિરની ડિઝાઈન અને નિર્માણનું કામ વિનામૂલ્યે કર્યું છે. આ મંદિર માટે રાજસ્થાનથી ૬૦૦ હજાર ક્યુબિક ફીટ બલુઆ પથ્થર બંસી પર્વત પરથી લાવવામાં આવ્યા હતા. મંદિરના બાંધકામ માટે માટીનું, કોંક્રિટનું પરીક્ષણ ઈસરોએ કર્યું હતું. આ મંદિરમાં ભગવાન શ્રીરામના પાંચ ફૂટના બાળસ્વરૂપ દર્શાવતી ૪ ફૂટ ૩ ઈંચ ઊંચી મૂર્તિનું નિર્માણ પણ અયોધ્યામાં જ કરવામાં આવ્યું હતું.

રામજન્મભૂમિના જ સ્થળે રૂ.૧૮૦૦ કરોડના ખર્ચે બનેલું રામમંદિર રામલલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા માટે સજ્જ છે. દેશ-વિદેશના ૧૦૦ કરોડ હિંદુઓ ખુશ છે.

( સંદર્ભ : રેડ રોઝ - શ્રી દેવેન્દ્રભાઈ પટેલ, ગુજરાતી  વિશ્વકોષ) 

 

 

3 comments:

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts