Sunday, October 6, 2024

સન્ડે સ્પેશિયલ

ભાગ – ૬

ડૉ.  કુબેરભાઈ ડીંડોર  જયારે માનગઢના રક્તરંજિત  ઈતિહાસની વાત માંડે ત્યારે તેમના ચહેરા પરનાં ભાવો  અને આંખોની ભીનાશ સાક્ષી પૂરે છે કે તેમના હૃદયમાં માનગઢનું સ્થાન કેટલું  અદકેરું છે.

-      ઈશ્વર પ્રજાપતિ

 9825142620


           ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ૪ ઓકટોબરના રોજ રાજસ્થાનના પ્રવાસે હતાં. તેમના રાજસ્થાન બાસવાડાના પ્રવાસ  દરમિયાન તેઓએ ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ત્રિભેટે આવેલા આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્ર એવા માનગઢની મુલાકાત લીધી. સંતરામપુરથી માત્ર પચ્ચીસેક કિલોમીટરના અંતરે આવેલ માનગઢ આદિવાસી સમાજના આસ્થાનું કેન્દ્ર કેમ બન્યું હશે ? આ પ્રશ્નનો ઉકેલ શોધવા મથામણ આદરીએ તો  આઝાદી ચળવળ દરમિયાન સેંકડો આદિવાસી બંધુઓએ આપેલા બલિદાનની શૌર્ય કથાઓ પુનઃ ધબકતી થાય છે. સંજોગોવસાત આદિવાસી બંધુઓએ આપેલા બલિદાનનો ઈતિહાસ એ પહાડોની ભીતર જ ધરબાયેલો રહ્યો. પરંતુ છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન માનગઢ વનબંધુઓના  રક્તરંજીત ઈતિહાસ ઉજાગર કરવા ઉત્તમ પ્રયત્નો થયા. છેલ્લા દોઢ દશકથી  માનગઢ વિસ્તારની કાયાપલટ થતાં આજે તેની ખ્યાતી રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ ફેલાઈ છે. તેના પાયામાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરનું યોગદાન નાનુસૂનું નથી. તેઓ પાયાના કાર્યકર હતા ત્યારથી  માનગઢના વિકાસ માટેનું સપનું  સેવી રહ્યા હતા. કુબેરભાઈએ માનગઢની વિરલ વિરાસત વિષે તાત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સમક્ષ વિસ્તૃત ચિતાર પ્રસ્તુત કર્યો. મોદીજી એ માનગઢ વીરભૂમિની  મુલાકાતે પધાર્યા.  શહીદ વીરોને પ્રણામ કર્યા. અને આ પંથકની કયાપલટ કરવાની નીમ લીધી.  

૨૦ સપ્ટેમ્બરના રોજ ગુજરાત રાજ્યના યશસ્વી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાથે માનગઢની આ વીરભૂમિના દર્શને જવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. એક સદી પહેલા આ પંથકમાં ચાલેલી ચળવળ વિષે કુબેરભાઈએ જે વાતો માંડી એ સાંભળી હું પોતે આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. કુબેરભાઈ ડીંડોર  જયારે માનગઢના ઈતિહાસની વાત માંડે ત્યારે તેમના ચહેરા પરના ભાવો  અને આંખોની ભીનાશ સાક્ષી પૂરે છે કે તેમના હૃદયમાં આદિવાસી સમાજના આસ્થા કેન્દ્ર એવા માનગઢનું સ્થાન કેટલું  અદકેરું છે !

વીસમી સદીના બીજા દાયકાની શરૂઆતનો સમય હતો. આઝાદીની ચળવળે બરાબર રંગ પકડ્યો હતો. આદિવાસી સમાજ પણ  ગોવિંદ ગુરુજીના નેતૃત્ત્વમાં આઝાદીની લડત સાથે સાથે સામાજિક ક્રાંતિ માટે સક્રિય હતો. ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ત્રિભેટે સંતરામપુર પાસે આવેલ ટેકરીઓ પર મગશરી પૂનમે સંપ સભા મળતી. આ સભામાં દેશભરના આદીવાસી  બંધુઓ મોટી સંખ્યમાં ઉમટી પડતા. અહીં  સ્વતંત્રતા ચળવળ અને સામાજિક ક્રાંતિ માટેના અગત્યના નિર્ણયો લેવાતા. સંપ સભાની સફળતાના પરિણામે આદિજાતિ સમાજમાં જબરજસ્ત ક્રાંતિ આવી રહી હતી. અંધશ્રદ્ધામાં સબડતી, નિરક્ષર શોષિત આદિજાતિ પ્રજામાં જાગૃતિ આણવા  ગોવિંદ ગુરુજીના નેતૃત્ત્વમાં ચાલી રહેલી પ્રવૃત્તિથી અંગ્રેજોના પેટમાં તેલ રેડાતું. આદિવાસી સમાજમાં આવી રહેલી ક્રાંતિને પરિણામે અંગ્રેજો પણ ભયભીત હતા.

17 નવેમ્બર 1913 નો મગાશરી પૂનમનો એ દિવસ હતો. સંપસભા માટે  દેશ ભરમાંથી આદિવાસી સમાજના ભાઈઓ, બહેનો અને બાળકો  સંતરામપુર પાસેની ટેકરી પર ઉમટી પડ્યાં હતાં. અંગ્રેજોએ આગોતરી તૈયારીના ભાગરૂપે એ ટેકરીના આસપાસની ટેકરીઓ ઉપર હથિયાર બંધ સૈનીકો એ પહેલેથી જ સાથન લઈ લીધું હતું. રાત્રિના સમયે સંપ સભાની શરૂઆત થતાં જ સૈનિકોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી શરૂ કરી.. નિર્દોષ આદીવાસી ભાઈઓ બહેનોની આક્રંદ ભરી ચિચિયારીઓ ગુંજવા માંડી.. જોતજોતામાં લોહીથી  લથબથ સેંકડો લાશો વેરવિખેર  પડી હતી.. કોઈને કોઈ કારણસર આદીવાસી સમાજના આ શહીદ વીરોની શૌર્ય ગાથા ઇતિહાસના પાનાઓ પર ક્યાંય આલેખાઈ જ નહિ.

     ભારતમાં અંગ્રેજી હકુમત દરમ્યાન 1919માં અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્રિત થયેલા લોકો પર જનરલ ડાયરે ધડાધડ ગોળીઓ ચલાવીને આશરે 300 જેટલા લોકોની લાશો ઢાળી દીધી હતી. ઇતિહાસમાં આ બનાવ ખૂબ જ જાણીતો છે. પરંતુ ગુજરાતના મહીસાગર જીલ્લાના સંતરામપુર શહેરની નજીક આવેલી માનગઢની ટેકરીઓ ખાતે થયેલા નિર્મમ હત્યાકાંડ  ઇતિહાસનાં પૃષ્ઠો પર કદાચ નોંધાયો નથી માનગઢની ટેકરીઓ પર આજે પણ જાઓ તો ટેકરીની આસપાસ, ખીણોની ભીતરમાં, કાળમીંઢ પત્થરોના પેટાળમાં ધરબાઈ ગયેલા ઈતિહાસના આક્રંદનો અહેસાસ કરી શકશો. પ્રકૃતિપૂજકોની હ્રદયદ્વાવક ચીસો અને કિકીયારીઓ સાથેનું આક્રંદ ત્યાંના હવાના સુસવાટામાં પડઘાતું લાગે જો કે માનગઢની ટેકરીઓ પર લોહીથી તરબતર થનારું એ પ્રકરણ તો લોહીભીનું જ સંકેલાઈ ગયું હતું.

ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સીમાના ત્રિભેટે આવેલ માનગઢની આસપાસના વિસ્તારમાં આદિવાસી સમાજ વસે છે. સ્થાનિક સામંતો, રાજકુમારો અને અંગ્રેજોએ તેમની નિરક્ષરતા, સરળતા અને ગરીબીનો લાભ લઈને તેમનું શોષણ કર્યું.  તેમનામાં ફેલાયેલી બુરાઈઓ અને અંધશ્રદ્ધાને નાબૂદ કરવા માટે, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં એક મોટી સામાજિક અને આધ્યાત્મિક ચળવળનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને 'ભગત આંદોલન' કહેવામાં આવે છે. અહીંની ગામડાની અભણ  આદિવાસી પ્રજામાં ગોવિંદ ગુરુ નામે એક નેતા થઇ ગયા.  ગોવિંદ ગુરુ  - ગુજરાત અને દેશવાસીઓના દુર્ભાગ્યે એટલું જાણીતું નામ નથી. તેમનો જન્મ 1858માં ડુંગરપુર ખાતે થયો હતો. જે તે સમય દરમ્યાન દુષ્કાળમાં મૃત્યુ પામેલા ભીલોની દુર્દશા  જોઇ તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવી તેમણે સમાજસેવા કરવાનું નકકી કરી ધાર્મિક ઉપદેશ આપવાની શરૂઆત કરી. તેમણે 1903માં ‘સંપ સભા’ નામે એક સંગઠન ઉભુ કર્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ અહીંની પ્રજાને એકતા, વ્યસન નાબૂદી, શિક્ષણ, સદાચાર, ગુનાથી દૂર રહેવું વગેરે માટે જાગૃત કરવાનો હતો. ‘સંપ સભા’ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અને સ્વતંત્રતા પ્રાપ્તિ માટે પણ કાર્ય કરતી હતી. આ બાબત અંગ્રેજ સત્તાના ધ્યાનમાં આવી. સંપ સભાની પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર માનગઢની ટેકરી હતું.

1912-13 માં આદિવાસી સંત ગોવિંદગુરૂના નેતૃત્‍વમાં માનગઢના ડુંગર ઉપર આદિવાસીઓએ અંગ્રેજો સામે જંગ છેડેલો દરમ્યાન 17 નવેમ્બર 1913ના રોજ આ સંપ સભાના ભક્તો એકઠા મળ્યા હતા. આ દિવસે  ગોવિંદ ગુરુ  આદિવાસી અનુયાયીઓની ધર્મસભા ભરી તેમને ધાર્મિકતાનો ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે અંગ્રેજ કર્નલ શટને માનગઢ પહાડીઓને ઘેરી લઇ, તોપો અને મશીનગનથી હુમલો કરી સંખ્યાબંધ આદિવાસી ભક્તોને મારી નાખ્યા. ત્યારે અંગ્રેજોના પોલિટિકલ એજન્ટે દેશી રજવાડાંઓનો સાથ લઈ માનગઢ ડુંગરને ચારે તરફથી ઘેરો ઘાલ્યો અને અંધાધૂંધ ગોળીબાર તથા તોપમારો કરી 1507 જેટલા અબુધ આદિવાસીઓને ચિર નિદ્રામાં પોઢાડી દીધા.  1507 નો આંકડો તો અંગ્રેજોએ નોંધેલો છે પણ એનાથી પણ વધુ આદિવાસી બંધુઓની હત્યા કરી શહીદ કર્યા હતા.

લગભગ 110 વર્ષ પૂર્વે અહીં સર્જાયેલી આ  આઝાદીના આંદોલનના રક્તરંજિત પ્રકરણ ‘માનગઢ માનવ હત્યાકાંડ’ ની કરુણગાથા પાષણ હૃદયના માનવીને પણ કંપાવી દે તેવી છે. ગોવિંદ ગુરુ જીવતા પકડાયા. તેમને અંગ્રેજોએ વર્ષો સુધી જેલમાં પૂરી રાખ્યા. માનગઢ ઉપર આવેલ હોલમાં જ ગોવિંદ ગુરુની સમાધિ છે. સૌ પ્રથમ ‘અમર જ્યોતિ સ્તંભ’ . હોલની દિવાલો પર આરસની તકતીઓ લગાડેલી છે અને એમાં ગોવિંદ ગુરુના જન્મથી માંડીને ‘સંપ સભા’ની પ્રવૃતિઓ તથા અંગ્રેજોએ કરેલ સંહારની કથા વિગતે લખેલી છે. એ વાંચીને એમ થાય કે આપણા દેશભક્તો પર એક વિદેશી પ્રજાએ કેવી ક્રૂરતા આચરી હતી ! આ હોલમાં એક બાજુ ગોવિંદ ગુરુની સમાધિ પર ભક્તો ધૂપ સળગાવે છે, ફૂલો ચડાવે છે અને ભજન કીર્તન કરે છે. આજુબાજુનાં ગામડાંમાંથી કેટલા યે ભક્ત લોકો અહીં સમાધિનાં દર્શને આવે છે.

માનગઢને સુવિકસિત કરવા માટે કુબેરભાઈ ખુબ ઊંડો રસ લઇ રહ્યા છે. ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં  માનગઢના વિકાસ માટે માતબર કામ કર્યું છે. જેનાથી આ પંથકના આદિજાતિ બંધુઓને માટે રોજગારીની નવીન તકો ઉભી થઈ છે.  હિલ્સના શિખર સુધી પહોંચવા માટે પાકો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. અહી ભારત માતાનું સુંદર મંદિર નિર્માણ કરાવ્યું છે. બાળકોને રમવા માટે ખુબ સુંદર બગીચો પણ તૈયાર કરવામાં આવ્યો છે. બહારથી આવતા સહેલાણીઓને રહેવા જમવાની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. તેઓ આવરનવાર અહીંની  મુલાકાત લેતા રહે છે. આજે સેકડો સહેલાણીઓ માનગઢની મુલાકાતે આવી રહ્યા છે. અહીં આવતા પ્રવાસીઓ માટે કુબેરભાઈ ગાઈડ બની ગૌરવભેર માનગઢના ઈતિહાસની વાત માંડે છે.

૧૭ નવેમ્બર ૧૯૧૩ના દિવસે અહીં માનવ સંહાર થયો એ દિવસ મગશરી પૂર્ણિમા હતી. સૌ શહીદ વીરોને અંજલિ અર્પણ કરવા હવે દર માગશરી પૂનમના દિવસે કુબેરભાઈ દ્વારા  માનગઢ પર્વતની પરિક્રમા શરૂ કરવામાં આવી  છે.  જેમાં ભાગ લેવા દૂર દૂર થી આદિવાસી સમાજના હજારો લોકો ઉમટી પડે છે. પરિક્રમા દરમિયાન ભજન કીર્તન થાય છે. સૌને ભોજન પીરસાય છે. અ પરિક્રમામાં કુબેરભાઈ પોતે પણ સામેલ થાય છે.

ઈતિહાસના અભ્યાસુ  સંશોધક હોય કે પ્રકૃતિ પ્રેમી તેમના માટે  માનગઢની એક  મુલાકાત જીવનભારનું સંભારણું બની જશે એમાં કોઈ બેમત નથી.

4 comments:

  1. ખુબ ખુબ અભિનંદન ઈશ્વરભાઈ

    ReplyDelete
  2. અમારા સ્થાનિક નેતા છે. અમને એમ હતું કે અમે તેમને પુરેપુરા જાણીએ છીએ . તમારો લેખ વાંચ્યા પછી થયું અમે તેમના વિશે અધૂરા હતા. ખરેખર સાહેબ પ્રેરણા સ્ત્રોત છે.

    ReplyDelete
  3. ખુબ સરસ

    ReplyDelete
  4. બહું સરસ ઇતિહાસ શોધવો અને ઇતિહાસ ને કલમની તાકાત થી કંડારવામાં માહિર ઇશ્વરભાઇ ને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ

    ReplyDelete