Thursday, May 2, 2019

વ્યક્તિ વિશેષ : યુવાનોના આદર્શ હિમાંશુ પટેલ


                   

અંતરિયાળ ગામડાને વિકાસ થકી વિશ્વ ફલક પર ઓળખ અપાવનાર યુવાનોના આદર્શ હિમાંશુ પટેલ


                    હિમાંશુ પટેલ.
               આજની ટેકનોસેવી યુવા પેઢી માટે આ નામ અજાણ્યું નથી. આશરે 6000ની વસતી ધરાવતું ડિજિટલ અને સ્માર્ટ ગામ પુંસરી વૈશ્વિક ફલક પર ઓળખ પામ્યું છે. શહેરને શરમાવે તેવી સુવિધાઓથી સજ્જ બનાવી સમસ્ત દેશ માટે એક ઉત્તમ આદર્શ પૂરો પાડનાર પુંસરીના પૂર્વ સરપંચ હિમાંશુભાઈ યુવાન છે , તેઓ પાસે આગવું વિઝન છે. ઉર્જાનું જનરેટર છે, કામ કરવાની આગવી શૈલી છે. હિમાંશુ પટેલને કામ કરવાની આગવી કોઠાસૂઝ, તેઓના દાદા અને આ પંથકના જાણીતા લોકસેવક  સ્વ. નટવરભાઈ પટેલ તથા પિતા નરેન્દ્રભાઈ  પટેલ તરફથી વારસામાં મળી છે.
તેઓના વિઝન સાથેના ભગીરથ પુરૂષાર્થના પરિણામે પુંસરી ગામમાં વિકાસ અને સમૃદ્ધિનો ચમત્કાર સર્જ્યો છે. 
             ગાંધીજી, વિનોબા ભાવે કે જય પ્રકાશ નારાયણ જે ગ્રામશક્તિની વારંવાર વાત કરતા હતા તે વાત અહીં સાકાર થઈ છે. ગાંધીજી કહેતા કે સાચું હિન્દુસ્તાન ગામડાઓમાં વસે છે અને ગામડાઓના વિકાસ વગર હિન્દુસ્તાનનો વિકાસ શક્ય નથી. ગાંધીજીના આ વિચારને સાકાર કરતું ગામ જોવું હોય તો આપે એકવાર પુંસરી ગામની મુલાકાત લેવી જ પડે. 
                  વર્ષ 2006માં માત્ર 23 વર્ષની ઉંમરે પ્રથમવાર સરપંચ તરીકે પ્રથમ વાર ચૂંટાઈ આવ્યા. ગ્રામ પંચાયતનું નેતૃત્વ હિમાંશુ પટેલ નામના એક નવયુવાનના હાથમાં આવ્યું. તેઓ ગામના સીઇઓ (ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર) બન્યા. તે વખતે પુંસરી ગામમાં રસ્તા, વીજળી, પાણી જેવી પાયાની સામાન્ય સુવિધાઓનો પણ અભાવ હતો. પંચાયત પાસે પૂરતું ભંડોળ પણ નહોતું. પંચાયતના માથે દોઢેક લાખનું દેવું હતું. શહેરીકરણ વધવા માંડ્યું, તો શું કરવું? હિમાંશુભાઈને લાગ્યું કે ભંડોળ તો પૂરતું આવે છે પરંતુ તેનો ઉપયોગ બરાબર થતો નથી.
              સરપંચ બન્યા બાદ તેણે વિવિધ ગ્રામ્યલક્ષી સરકારી યોજનાઓ સાથે સંકળાવાનો નિશ્વય કર્યો. શરૂઆતના ત્રણેક વર્ષ તેણે મુળભુત સુવિધાઓની ઉપલબ્ધિઓ લગાવવા પાછળ મહેનત કરી. બે વર્ષમાં તેમણે દરેક ઘરમાં પાકું મકાન અને શૌચાલયની વ્યવસ્થા કરી આપી. પંચાયત માથેનું કરજ દુર કર્યુ. દરેક ઘરમાં વિજળી પહોચાડી દીધી. ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા લાગ્યા. 
         તે પછીનાં તેઓના બે ટર્મના સરપંચ કાળના 10 વર્ષ દરમિયાન, જિલ્લાના પ્રશાસન સાથે મળીને તેમણે ભંડોળ વિવિધ મથાળાં હેઠળ મેળવવાનું શરૂ કર્યું, જેમ કે જિલ્લા આયોજન પંચ, પછાત પ્રાદેશિક અનુદાન ભંડોળ, 12 મા નાણા પંચ અને ઉપરાંત સ્વ સહાય જૂથ યોજનાએ ગામના વિકાસને એક નવી ઊંચાઈ બક્ષી. યોજનાઓની સફળતામાં ગ્રામજનોના સહકારની સુગંધ ભળતાં સમૃદ્ધિની ગતિને વેગ મળ્યો. દરેક ગામની પાસે હિમાલય જેવી વિશાળ શક્તિ તે પુંસરીના પ્રયોગથી સાબિત થયું છે. આ સફળ પ્રયોગ કરનારા પ્રયોગવીર હિમાંશુ પટેલ અને પુંસરી ગામ હવે તો એકબીજાનાં પર્યાયવાચી બની ગયાં છે.

       હિમાંશુ પટેલે ગામની ખરા અર્થમાં કાયા બદલી નાખી. ક્લોઝ સર્કીટ કેમેરા, વોટર પ્યૂરીફાઇંગ પ્લાન્ટ, એર કન્ડિશન્ડ સ્કુલ, વાઇ-ફાઇ અને બાયો મેટ્રીક મશીનો જેવી અદ્યતન સુવિધાઓ તેમણે ગામમાં ઉભી કરી.
           ગામમાં ભેગા થતાં કચરાને લઇ જવા માટે વાનની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ એ કચરો વિજ ઉત્પાદનમાં વાપરવામાં આવતો. એમણે ત્રણ યુવાનોની સાથે મળી પબ્લિક પ્રાઇવેટ આર.ઓ વોટર પ્લાન્ટ બનાવ્યો. તે 2010થી લઇને આજ સુધી 5 રૂપિયામાં વીસ લિટર મિનરલ વોટર આપવામાં આવે છે. ગામમાં હાઇ-સ્પીડ વાઇફાઇની સુવિધા ઉપલબ્ધ છે અને પચાસ રૂપિયા આપીને મહિના માટે 30 એમબીપીએસની ઝડપે ઇન્ટરનેટ વાપરી શકાય છે.
             આ ઉપરાંત ગામની સ્કુલ અને સરકારી ઓફિસોમાં લગાવેલા કમેરાથી કોઇપણ સ્થળેથી જે-તે સ્થળનું લાઇવ નિરિક્ષણ શક્ય બન્યું છે. 2009 માં ગ્રામ-પંચાયતમાં વોટરપ્રુફ લાઉડ સ્પીકર મુકવામાં આવેલા છે. આ સ્પીકર દ્વારા સરકારી કે સામાજિક કાર્યક્રમોની જાહેરાત થાય છે. અને હિમાંશુ પટેલ ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા લાઉડસ્પીકરમાં જાહેરાત કરી શકે છે.
       સમસ્ત  ભારતના સાતેક લાખ ગામોમાં એક ઉત્તમ  ઉદાહરણ બેસાડ્યું છે, સાબરકાંઠા જીલ્લાના પુંસરી ગામે. જેના થનગનતા યુવાન સરપંચ હિમાંશુ પટેલે બારેક વર્ષમાં ગામની સૂરત જ ફેરવી દીધી છે. એ પણ એવી કે સ્માર્ટ સીટી પણ શરમાઇ જાય.

         આ યુવા સરપંચ હિમાંશુ પટેલની મહેનતને બિરદાવતા 2011 માં મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પુંસરી ગામને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીનરેન્દ્ર મોદી દ્વારા “બેસ્ટ ગ્રામ પંચાયત”નો પુરસ્કાર નવાજવામાં આવ્યા. દિલ્હીમાં પણ “બેસ્ટ ગ્રામ સભાનો” પુરસ્કાર આ ગામને પ્રાપ્ત થયો. આ ઉપરાંત 65 જેટલા બીજા પ્રતિષ્ઠિત એવોર્ડથી વિવિધ સંસ્થાઓએ હિમાંશુભાઈની કામગીરીની બિરદાવવામાં આવી છે. આજે પણ ગ્રામવિકાસની કોઈ વાત નીકળે તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં આદર્શ ગામ પુંસરીનું ઉદાહરણ આપવાનું ચૂકતા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અન્ય પ્રધાનો અને ભારતના ખ્યાતનામ પત્રકારોએ ટ્વિટ દ્વારા આદર્શ ગામ પુંસરીની સરાહના કરી છે. પુંસરી મોડેલને નિહાળવા અનેક ખ્યાતનામ હસ્તીઓ, ફિલ્મી કલાકારો, રાજનેતાઓ આ ગામની મુલાકાત લેતા રહે છે. તાજેતરમાં જ 62 દેશના પ્રતિનિધિમંડળના 120 જેટલા વિદેશી પ્રધાનો ગામની મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના લોકો આ ગામના અધ્યયન માટે આવતા રહે છે. 

              ખાસ વાત એ છે કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિષ્ઠા ધરાવતા BRICS સંમેલનમાં ગ્રામ વિસ્તાર પરિયોજના અંતર્ગત વ્યાખ્યાન આપવા ભારત સરકારે હિમાંશુ પટેલના નામ પર મહોર મારી હતી. લગભગ 90 જેટલી કોલેજોમાં હિમાંશુ પટેલ લેક્ચર આપી ચુક્યાં છે. પુંસરીને પ્રભાવશાળી બનાવવા પોતે ઘણા દેશોના જુદા-જુદા ગામોની મુલાકાતો લીધેલી છે.
        સરપંચ તરીકેની ઉત્કૃષ્ટ કામગીરી જોઈને ભારત સરકારના કુપોષણ મુક્ત ભારતના પ્રોજેક્ટ માટે હિમાંશુ પટેલની ચીફ એક્ષેક્યુટીવ ઓફિસર 'CEO' નિમણુંક કરવામાં આવી છે. સમગ્ર ભારતના 11 રાજ્યોમાં વેદાંત ગ્રુપ કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ અને ભારત સરકાર દ્વારા આ નંદઘર કઈ કઈ જગ્યાએ શરૂ કરવા તેનું લિસ્ટ રાજ્ય સરકારો પાસેથી મેળવીને આ નંગદર પોજેક્ટની જવાબદારી આ સરપંચ હિમાંશુ પટેલને સોંપવામાં આવી છે.
            સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની લોકપ્રિય થયેલી ધારાવાહિક "આજ કી રાત હે જિંદગી" કાર્યક્રમમાં સમાજના ઉત્થાન માટે વિશિષ્ટ પ્રદાન કરનાર કરનાર 30 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાં એક નામ હિમાંશુ પટેલનું હતું. હિમાંશુ પટેલને અમિતાભ બચ્ચનજીએ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે બોલાવી તેઓનું બહુમાન કર્યું હતું. 
મિત્રો વર્તમાન સમયમાં પુંસરી એક અદ્ભુત ગામનો દરજ્જો લેતું ઉભું છે. એની પાછળ હિમાંશુ પટેલનો હાથ રહેલો છે. ગામનો આગેવાન પરીવર્તન ઇચ્છનારો હોય તો કેવું પરીવર્તન લાવી શકે એનો આ દાખલો અમુક ગામોના સરપંચોએ શિખવા જેવો છે.
       મહાત્મા ગાંધીજી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પોતાના આદર્શ માનતા હિમાશુ પટેલનો એકમાત્ર જીવન મંત્ર છે, જે આગામી પેઢીને આપે છે કે " તમે જે ક્ષેત્રમાં છો તે ક્ષેત્રમાં તમારું શ્રેષ્ઠત્તમ યોગદાન આપો. એ જ સાચી દેશસેવા અને દેશભક્તિ છે" યુવાનોને પ્રેરક સંદેશો આપતા તેઓ જણાવે છે કે "જિંદગી અપને દમ પે જી આતી હૈ, દુસરો કે કંધેપે તો સિર્ફ ઝનાજે નિકલતે હૈ."
         એક સરપંચ ધારે તો શું કરી શકે તેનું ઉદાહરણ હિમાંશુભાઈ પટેલે પૂરું પાડ્યું છે. કામ કરવા માટે વાજાં વગાડવાં જરૂરી નથી. કામ કરશો તો આપોઆપ બોલી જ ઉઠશે.



(આવી જ વિરલ વ્યક્તિ વિશેની રસપ્રદ વાતો જાણીશું આવતા ગુરુવારે...)   

લેખન-સંકલન : ઈશ્વર પ્રજાપતિ
આપ આપના પ્રતિભાવ નીચેના whatsapp no. પર લખી મોકલી શકો છો.
(98251 42620)

નોંધ:- મિત્રો બ્લોગની લિંક આપ શેર કરી શકો છો પરંતુ  બ્લોગના આર્ટિકલ્સને પોતાના નામે ચડાવી વાયરલ કરવાનો અવિવેક ન કરવા વિનંતી.







No comments:

Post a Comment

સન્ડે સ્પેશિયલ

  ‘ જો વિશ્વે બીજી હેલન કેલર તૈયાર કરવી હોય તો તેને માટે મિસ એન. સુલીવાન જેવી શિક્ષિકા    જોઈએ.” :    એલેકઝાન્ડર ગ્રેહામ બેલ.       સાવ સા...

Popular Posts