name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, January 4, 2026

સન્ડે સ્પેશિયલ

એકલો પથિક : ગોવિંદ રાધો ખેરનાર

દાઉદના માણસોએ કહ્યું : તમે ખેરનારને સમજાવો અમે તેને દસ કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. તે તુરત તેના પદ ઉપરથી રાજીનામું આપી મુંબઈ છોડી ચાલ્યા જાય”

ગોવિંદ રાધો ખેરનારનું નામ કદાચ આજની પેઢી માટે અજાણ્યું હશે પરંતુ આજથી અઢી-ત્રણ દાયકા પૂર્વે મુંબઈના ભૂ-માફિયાથી માંડી, ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ તેમનું નામ સાંભળતા જ ફફડી ઊઠતા. એ જમાનામાં મહારાષ્ટ્રના મોટા ગજાના રાજનેતાઓ અને અંધારી આલમના આકાઓએ મુંબઈમાં ઠેરઠેર  ગેરકાયદેસર બાંધકામ કરી પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. ગેરકાયદેસર હોવા છતાં આવા બાંધકામને કોઈ સ્પર્શવાની પણ હિંમત કરી શકતું નહતું.  મુંબઈના ડે. કમિશ્નર તરીકે જી. આર. ખેરનારે લાલચ કે ધમકીઓને વશ થયા વિના, ભ્રષ્ટ રાજનેતાઓ અને અંધારી અલામના આકા એવા દાઉદના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી જમીનદોસ કરી નાખ્યાં. એ સમયે દાઉદ અન્ડરવલ્ડનો બેતાજ બાદશાહ બની બેઠો હતો. એનો સિતારો સાતમા આસમાને ચમકી રહ્યો હતો. એના નામ માત્રથી સૌ કોઈ થરથર કાંપતા હતા. એવા સમયે જી.આર.ખેરનારે જાનની પણ પરવા કર્યા વિના નીડરતા, અને મક્કમતાથી બિલ્ડીંગને તોડી પાડી દાઉદને બરાબરનો પાઠ ભણાવ્યો. ત્યારે વિશ્વભરમાં એક નખશીખ પ્રામાણિક, સત્યનિષ્ઠ અને  જાબાંઝ અધિકારી ખેરનારનું નામ ગૂંજી રહ્યું.

મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના નાના અમથા પીપલ ગામમાં સાધારણ ખેડૂત પરિવાર માં ૧૪ એપ્રિલ ૧૯૪૨ના રોજ ગોવિંદ રાધો ખેરનારનો જન્મ થયો. તેઓ તેમના માતા પિતાનું બારમું સંતાન હતા. જેમનાં આગલાં છ સંતાન મૃત્યુ પામ્યાં હતાં. તેમના બહોળા પરિવારમાં કોઈએ નિશાળ જોઈ જ નોહતી. તેમના આખા સમાજમાં માંડ કોઈ સાત ચોપડી ભણેલું જોવા મળે. પરંતુ શિક્ષિતોની સુખ સાહેબી જોઈ તેમના પિતાએ ગોવિંદનો ભણાવવાનો સંકલ્પ કર્યો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તો પૂર્ણ કર્યું પરંતુ કોલેજ શિક્ષણ માટે હવે વતનથી દૂર જવું પડે તેમ હતું. એ અરસામાં દુકાળ પડ્યો. ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી. આગળ ભણવું તો ભણવું કઈ રીતે ?? પરંતુ પિતાનો સંકલ્પ દૃઢ હતો કે ‘જરૂર પડે જમીન વેચીને પણ ગોવિંદને આગળ ભણાવીશ.” ઘરની નબળી આર્થિક સ્થિતિની વચ્ચે વતનથી નેવું કિલોમીટર દૂર નાસિકની ‘ભીખુશા યા માશા ક્ષત્રીય વણિક મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન ઘણા કડવા મીઠા અનુભવોથી શાલીન વ્યક્તિત્વનું ઘડતર થયું. કોલેજના છેલ્લા વર્ષે આદર્શ વિદ્યાર્થીનો પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા.

કોલેજ પૂર્ણ કરી નોકરી માટે મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહી સરકારી નોકરી પણ મળી ગઈ. પરંતુ એ છોડી જી.આર. ખેરનારે મુંબઈ મહાનગર પાલિકાની નોકરી સ્વીકારી. શરૂઆતથી જ સાદગી, સત્યનિષ્ઠા અને ફરજનિષ્ઠાના સિદ્ધાંતો આત્મસાત કરી લીધા હતા. જેના કારણે ફરજ દરમિયન ગોળીથી વીંધાયા, તલવારના ઘા સહ્યા, પારાવાર પીડા વેઠી, પોતાનો અને પરિવારજનોના જીવ જોખમમાંમુકીને પણ નક્કી કરેલા સિદ્ધાંતોમાં ક્યારેય બાંધછોડ ન કરી તે ન જ કરી !

જી. આર. ખેરનારે મરાઠીમાં પોતાની આત્મકથા લખી છે. જેમાં દાઉદની ગેરકાયદેસર બિલ્ડીંગને તોડી પડવાની દિલધડક  ઘટનાને વર્ણવતાં તેઓ લખે છે. “દાઉદની સંપત્તિમાં ‘મહેજબીન' નામની આલિશાન ઈમારત હતી. જે પેશકદમીમાં હતી 'મહેજબીન' ઉપર મેં કાયદાકીય કાર્યવાહી જેવી શરુ કરી તેવી દાઉદની ઉંઘ હરામ થઈ ગઈ. તેની નજરમાં આ ઈમારાત ઉપર કાર્યવાહી થવાથી તેના આર્થિક નુકશાન કરતાએ વધારે આઘાત તેની પ્રતિષ્ઠા ઉપર લાગશે તે નુકસાન વધારે હતું. આ કાર્યવાહીથી તેની આબરૂ માટીમાં મળી જાય તો પછી દેશ વિદેશમાં બનાવેલા તેમના ખોફનાક સામ્રાજ્યની ધાક ગંજીપત્તાના પાનાની જેમ ઢગલો થઈ જાય. એટલે તે આ ઈમારતને દરેક પ્રયત્નોથી મારી કાર્યવાહીથી તે બચાવવા પ્રયત્નશીલ હતો.

દાઉદના માણસો  એક અધિકારી પાસે ગયા અને તેમની સામે પ્રસ્તાવ મુકતા કહ્યું, ‘તમે ખેરનારને સમજાવો અમે તેને દસ કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. તે તુરંત તેના પદ ઉપરથી રાજીનામું આપી મુંબઈ છોડી ચાલ્યા જાય. એ પછી અમે કયારેય તેની પાછળ પડશું નહી કે તેને પરેશાન કરશું નહીં. બીજા ગમે તે શહેરમાં અમે તેઓને સંપૂર્ણ સુવિધા સાથેનો સુસજ્જ બંગલો આપવા તૈયાર છીએ. એક આલિશાન બંગલો અને ઉપરથી દસ કરોડ રૂપિયા રોકડા પણ આપીશું. તમે ગમે તેવા પ્રયત્નો સાથે ખેરનારને ખુશ કરો. આ કામ જલદી પૂરું થવું જોઈએ.’

પેલા અધિકારીના  કહેવા પ્રમાણે દાઉદ દસ કરોડ તો શું સો થી સવાસો કરોડ રૂપિયા મારા મુંબઈ છોડી બીજે ચાલ્યા જવા ઉપર ખર્ચ કરવા તૈયાર હતો. બસ તેઓની શરત માત્ર આટલી જ છે કે બસ તે મુંબઈ છોડી ચાલ્યા જાય. વિશેષ પેલા અધિકારીએ  ઉમેર્યું કે જો તમે તેની મિલકત ઉપરની કાર્યવાહી બંધ કરશો નહીં તો તમારી જિંદગી ઉપર જબરદસ્ત ખતરો છે, આ અધિકારીની લાગણીઓ હતી તે મને સલામત જોવા ઈચ્છતા હતા તે એટલે જ તો મને આવી સલાહ આપી રહ્યા હતા.

જોડિયા સ્ટ્રીટ, ભીંડી બજારમાં રચિત આ ઈમારત પહેલા કાદરી નામની વ્યકિતની હતી. તે ઈમારતમાં અગિયાર ભાડૂત હતા. ત્યારપછી આ ઈમારત ૧૯૯૨માં દાઉદ ખરીદી લીધી. દાઉદનો મોટો અડ્ડો તે ઈમારતની સામે જ દસ ફૂટ દૂર જ હતો. આ ઈમારત તેણે પોતાની બીબીના નામે ખરીદી લીધી. એક નવી રીતે જ ઈમારતનું સમારકામ કરવા માટે એન.ઓ.સી. લઈ થોડા સમયમાં ઈમારતનો એ ભાગ તોડી પાડયો. એન.ઓ.સી.માં એવી શરતો હતી કે ઈમારતનુ નવું નિર્માણ નહીં કરવું. ઈમારતની આજુબાજુની ખાલી જગ્યામાં બાંધકામ કરવું નહીં, ઈમારતને વધારવી નહીં તૂટી પડેલી ઈમારતનું " સમારકામ કરવું નહીં, ઈમારતની ઊંચાઈ વધારવી નહીં વગેરે શરતો સમાવેલી હતી. પરંતુ આવી રીતે એન.ઓ.સી. ના આધારે દાઉદના માણસોએ ઈમારત તોડી પાડી અને તે જગ્યાએ પાંચ માળની આલિશાન ઈમારત ઊભી કરી દીધી.

મને મળેલી જાણકારી પ્રમાણે ઉપરની ઈમારતનો કબજો સંભાળતા પહેલા દાઉદ પેલા - અગિયાર ભાડૂતને પોતાના અડ્ડા ઉપર બોલાવી એકને બાદ કરતા બધાને ચાર લાખ રૂપિયા - આપી ઈમારત ખાલી કરાવી. બધા જ ભાડુઆતો જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી ગયા. પરંતુ તેઓની પાસે મકાન ખરીદવાની સગવડ નહીં હોવાના કારણે નિરાશ્રીત બની સડક ઉપર રહેવા લાગ્યા.

જૂની ઈમારતની જગ્યાએ નવી ઈમારત ઉભી થઈ ગઈ. તેમાં વધારાના માળ સાથે હોજ (સ્વીમીંગ પુલ) પણ બનાવ્યો હતો. બધી જ રીતે વાતાવરણને અનુકૂળ રીતે બનેલી આ ઈમારતમાં કિંમતી કાચ લગાવવામાં આવ્યા હતા. બધી જ પ્રકારની આધુનિક સુવિધા અને અતિ આધુનિક સામાનથી સજાવટ કરવામાં આવી હતી. ઈમારતની આજુબાજુમાં ખાલી પડેલી જગ્યામાં પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. તેની આજુબાજુમાં દાઉદના પોતાના જ સંબંધીના રહેઠાણ વસાવ્યા હતા. હજી તો નાની મોટી સજાવટનું કામ તો બાકી હતું. આ આલિશાન ઈમારતની સંપૂર્ણ સજાવટમાં ઘણું બધું ઘટતું હતું, આવુ દાઉદનું માનવું હતું.  કાયદા વિરૂદ્ધ થયેલા બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી જલદીથી શરૂ કરવાની બેહદ જરૂરત હતી, પરંતુ બોમ્બ વિસ્કોટના કારણે અમારી કાર્યવાહી ૧ ડિસેમ્બરથી માર્ચના ત્રીજા સપ્તાહ સુધી બિલકુલ બંધ રહી.

આ સંબંધના કાગળો ઉપર નજર કરતા મને અમુક જરૂરી કાગળો નજરે પડયા અને પોલિસ વિભાગના મદદનીશ કમિશ્નર દ્વારા 'સી’ વિભાગના અધિકારીઓએ લખેલા પત્રો મને મળી ગયા. જેમાં તે ઈમારત નામાંકિત ગુંડા દાઉદની કાયદા વિરૂદ્ધ બનાવવામાં આવેલી છે તેની ઉપર કાર્યવાહી કરો આવી વિનંતી કરવામાં આવી હતી. મારી આવી જ એક કાર્યવાહી દરમ્યાન તે સમયના મદદનીશ પોલિસ ડેપ્યુટી કમિશ્નર ઝંડેએ મને તે ઈમારત બતાવી હતી. તેની ઉપર કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.

તે એક મહત્વપૂર્ણ મિશન હતું કારણકે તે ઈમારત દાઉદ નામના મહાગુંડાની હતી. પોલીસ કર્મચારીઓ પણ સચેત હતા. બે દિવસ પહેલાંથી જ તે ઈમારત ઉપર નજર રાખી ઊભા હતા મિશનને અંજામ આવતા પહેલા ત્યાં કૂતરાઓની મદદથી કોઈ બોમ્બ નહીં હોવાની ચકાસણી કરાવવામાં આવી હતી. તે જગ્યાને ચારસોથી પાંચસો પોલિસે ઘેરો ઘાલ્યો હતો. સરહદ સુરક્ષા ફોજ (બી.એસ.એફ.) પણ રોકેલી હતી. પૂરી તૈયારી સાથે અમે ઈમારતની તોડફોડ શરુ કરી અને એક એક માળ તુટવા લાગ્યો. કાર્યવાહી શરુ કર્યા પહેલાં બે દિવસે ત્યાં લગાવવામાં આવેલો કિંમતી સામાન જેવા કે સોનાના નળ, બારણાનાં કડાં વગેરે જેવી વસ્તુ દાઉદે બે દિવસ પહેલા હટાવી લીધી હતી તેવું મને જાણવા મળ્યું હતું. બીજા દિવસે પણ અમારું તોડફોડનું કામ ચાલુ જ રહ્યું. જોતજોતામાં ઈમારત તુટી ગઈ અને એક સુંદર રચનાના તૂટેલા અવશેષો ત્યાં રઝડતા રહી ગયા.

આ ઈમારત તોડવાના બદલે તે પાલિકાના કબજામાં લઈ લેવા બાબતે ઘણા સુચનો આવ્યા હતા. પરંતુ કાર્યોમાં આવી કોઈ જોગવાઈ હતી નહીં. વળી પોલીસ અધિકારીઓનું કહેવું એમ હતું કે ગુંડાઓની ઈમારત પાલિકા પોતાના કબજામાં લઈ લે છે તો પણ ત્યાં કોઈ ભાડૂત રહેવા માટે જશે નહીં. 

  દાઉદ અને મેમણ  બંધુની  આવી પેશકદમીની ઈમારતો તોડવાનો ક્રમ ચાલુ રહ્યો અને  તેના અન્ડરવલ્ડના સામ્રાજ્યમાં મોટી મોટી તિરાડો પડવા લાગી. તેની  ઉંઘ ઉડી ગઈ.”

          જી.આર. ખેરનારની આત્મકથાનો પ્રસંગ આ તો એક આછેરી ઝલક માત્ર છે. ફરજ દરમિયાન તેમનો સાચુકલો જીવનસંઘર્ષ વાંચીને રૂવાડાં ખડાં થઇ જાય છે. ઈમાનદારી માટે માણસે કેટકેટલું વેઠયું. છેવટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પરંતુ  તેઓ અન્યાય, અનીતિ અને ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં ન કદી ઝૂક્યા, ન હાર્યા, ન થાક્યા કે ન તો સિદ્ધાંતો સાથે બાંધછોડ ક્યારેય કરી. છેલ્લી ઘડી સુધી એકલે હાથે મક્કમતાથી ઝઝૂમતા રહ્યા. 

અમેરિકા સ્થિત  પ્રકાશભાઈ શાહના આમંત્રણને માન આપીને જી.આર. ખેરનાર નિવૃત્તિ બાદ વાત્રક કાંઠે ચાલતા શ્રી કે. કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયા હતા. એ દરમિયાન તેમને મળવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. હાલ તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન ગાળે છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાઈને સેવાકાર્યો કરી રહ્યા છે.  

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620