"બેટા ! માર્કશીટ કરતાંય તારી મુશ્કાન મારા માટે વધુ મુલ્યવાન છે. આ પરીક્ષા માત્ર છે, જિંદગીનો આખરી જંગ નહીં"
પરીક્ષાના માહોલને હળવા ફૂલ બનાવવાના સ્થાને ભયંકર બનાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી વિમાસણમાં છે. એક રીઢા કેદીને ન્યાયાધીશ સામે જુબાની આપવા હાજર કરતો હોય એ રીતે ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીને પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં આવે છે. પરીક્ષાખંડમાં પ્રવેશ પામતા પહેલા કસ્ટમ વિભાગ કરતા પણ વધારે કડક તપાસણીમાંથી પસાર થવું પડે છે. જાણે વિદ્યાર્થી ખિસ્સામાં RDX ભરી પરીક્ષા કેન્દ્રને ઉડાવી દેવા ન આવ્યો હોય!! CCTV Cameraની ચુસ્ત નિજરાણીમાં પરીક્ષા લેવાય. એવો માહોલ સર્જવામાં આવે છે કે વિદ્યાર્થી ભયમુક્ત પરીક્ષા આપવાના બદલે સતત તાણ અનુભવે છે.
આપણે નકારાત્મક વલણથી તેના આત્મવિશ્વાસને, બુદ્ધિશક્તિને મુરઝાવી ન નાખીએ. દરેક બાળક સર્વગુણસંપન્ન ક્યાંથી હોય. કોઈનામાં કોઈ શક્તિ તો બીજાનામાં બીજી શક્તિ હોય એટલે માં બાપની ફરજ તો સંતાનમાં છુપાઈને પડેલી શક્તિ પારખી તેને બહાર લાવવા પ્રોત્સાહિત કરતા રહેવાની છે. તેને બદલે મર્યાદા કે અણઆવડત પ્રત્યે વધુ પડતું ધ્યાન આપતું કરી તેની અસ્વીકાર્યતા વલણ કેમ ઉભું કરવું ??? જીવનમાં જીત જીરવવી જેટલી સહેલી છે તેનાથી અનેકગણી મુશ્કેલ છે હારની સ્વીકાર્યતા. માતાપિતા તરીકે સંતાનને ખેલદિલી શીખવીએ. પડીને ઉભા થવામાં મર્દાનગી છે. વિદ્યાર્થી સાથે મૈત્રી પૂર્ણ અને વિશ્વાસ યુક્ત વ્યવ્હાર થવો જોઈએ. યાદ રાખો કુદરતનું દરેક સર્જન unique છે. તમે અને તમારું સંતાન પણ !
દુનિયાભરમાં નામના મેળવનાર અને નોબેલ પારિતોષિક મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ક્યારેય શાળાએ નથી ગયા. એમને મહાન બનાવ્યા એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિએ! વિશ્વની મહાન પ્રતિભાઓ પરીક્ષામાં અવ્વલ જ આવ્યા હોય એવા દાખલા જૂજ જોવા મળે છે. સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ડફોળ વિદ્યાર્થી કહી શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિચારો કદાચ આઈન્સ્ટાઈનના વાલી તમે હોત તો દુનિયાને મહાન વૈજ્ઞાનિક ભેટ મળત ખરી ??? ગરબડીયા અક્ષર વાળો, શરમાળ પ્રકૃતિનો, મેટ્રિકમાં માત્ર 40% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી મહાત્મા બની વિશ્વમાં પૂજાયા. મહાત્મા ગાંધી વિદ્યાર્થીકાળ દરમ્યાન એવરેજ વિદ્યાર્થી જ હતા. સમસ્ત વિશ્વ જેઓને તલ્લીન થઈ સાંભળે છે એવા રામાયણનું રસપાન કરાવતા પૂ. મોરારી બાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. વિશ્વભરમાં રિલાયન્સ સામ્રાજ્યને વિસ્તારનાર ધીરુભાઈ અંબાણી માત્ર ચાર ચોપડી ભણેલા હતા. મહારાષ્ટ્ર માં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો માં જેના પાઠ ભણાવાય છે એ સચિન તેંડુલકર ધોરણ દસમાં નાપાસ હતા. સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પન્નાલાલ પટેલ માત્ર સાત ચોપડી ભણ્યા હતા. ઉદાહરણની યાદી હજી લાંબી થઈ શકે છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ છે જીવનમાં સફળતાનાં ઉચ્ચત્તમ શિખરે પહોંચવા પરીક્ષાના માર્ક્સ ક્યાંય બાધારૂપ બનતા નથી.
એક આદર્શ વાલી તરીકે આપણી આંખે આંજેલા સપનાઓ સંતાનની આંખે સાકાર થતાં જોવાની ભૂલ કદી ન કરીએ. કારણ સંતાનની આંખોમાં એના પોતિકા સપનાઓ છે. એને સાકાર કરવામાં મદદરૂપ ન બનીએ તો વાંધો નહીં પરંતુ એમાં બાધારૂપ તો ન જ બનીએ.








.jpeg)