નીતિનભાઈ આપના સ્મરણો આલેખતાં શબ્દો ખૂટે છે અને હૈયું ઉલેચતાં આંસુ!!
Tuesday, January 27, 2026
હ્યુદયાંજલિ
Sunday, January 18, 2026
સન્ડે સ્પેશિયલ
Sunday, January 11, 2026
સન્ડે સ્પેશિયલ
સોમનાથ સ્વાભિમાન પર્વ! અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ!
સેકડો વર્ષોની કાળની કારમી થાપટો સામે અડીખમ ઉભેલું પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર ! .jpeg)
ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં છે. આ મંદિરે અનેક તડકી છાયા જોઈ છે. કાળ અનેક કારમી થાપટો સામે આજે પણ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ ભવ્ય છે. સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
દંતકથા અનુસાર, સોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બાંધ્યું હતું.
ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને "ચંદ્ર તારો ક્ષય થાય." એવો શ્રાપ આપ્યો.. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભા' પાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે
મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.
તીર્થસ્થળ હોવા ઉપરાંત તે બંદર પણ હતું. રાતા સમુદ્રનાં, ઈરાની અખાત પરનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે સોમનાથનો બહોળો વેપાર ચાલતો. આ વિદેશી સ્થળોમાંથી ઘોડા, ખજૂર, લવિંગ જેવી વસ્તુઓની આયાત થતી. સૂરતના ઉદય પૂર્વે, મક્કા અને મદીનાના મુસ્લિમોનાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય બંદર હતું. તે શૈવધર્મના પાશુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું.
સોમનાથ બંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈને મુસ્લિમોના આક્રમણનું તે ભોગ બન્યું હતું. અફઘાનિસ્તાનના સુલતાન મહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરેલી. ૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા વીરતા પૂર્વક લડ્યા.. હિન્દુઓની કતલ થઇ. પૂજારીઓએ મંદિરને બચાવવા માટે તેને પુષ્કળ ધન આપવા માંડ્યું; પરંતુ તે ધર્માંધ હોવાથી તેણે જ્યોતિર્લિંગ તથા મંદિરની ઇમારતને તોડી નાખ્યાં હતાં. આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. મંદિર તેમજ શહેરને લૂંટી તે પાછો ફર્યો. તે પછી મુઝફ્ફરશાહ પહેલાએ અને તેના પૌત્ર અહમદશાહે પણ મંદિરનો ધ્વંસ કરી નાખેલો.
૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષે, સને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો. સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.
અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી, જેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામ, ઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈ, લૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું.
એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું.
એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ, ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું.
ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.
ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૧૩ નવેમ્બર, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. . આ મંદિરનું શિખર 52.5 મીટર (175 ફૂટ) ઊંચું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતા.
સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે, મંદિર નજીક દક્ષિણ દિશા તરફ ચીંધીને એક તીર ગોઠવેલું છે, જેની સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિંદી મહાસાગરમાં ઍન્ટાર્ક્ટિકા સુધી કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ આવતો નથી. મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.
ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.
સં. - ઈશ્વર પ્રજાપતિ
Sunday, January 4, 2026
સન્ડે સ્પેશિયલ
એકલો પથિક : ગોવિંદ રાધો ખેરનાર
દાઉદના માણસોએ કહ્યું : ‘તમે ખેરનારને સમજાવો અમે તેને દસ કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. તે તુરત તેના પદ ઉપરથી રાજીનામું આપી મુંબઈ છોડી ચાલ્યા જાય”
ગોવિંદ
રાધો ખેરનારનું નામ કદાચ આજની પેઢી માટે અજાણ્યું હશે પરંતુ આજથી અઢી-ત્રણ દાયકા
પૂર્વે મુંબઈના ભૂ-માફિયાથી માંડી, ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ તેમનું
નામ સાંભળતા જ ફફડી ઊઠતા. એ જમાનામાં મહારાષ્ટ્રના મોટા ગજાના રાજનેતાઓ અને અંધારી
આલમના આકાઓએ મુંબઈમાં ઠેરઠેર ગેરકાયદેસર
બાંધકામ કરી પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું હતું. ગેરકાયદેસર હોવા છતાં આવા
બાંધકામને કોઈ સ્પર્શવાની પણ હિંમત કરી શકતું નહતું. મુંબઈના ડે. કમિશ્નર તરીકે જી. આર. ખેરનારે લાલચ
કે ધમકીઓને વશ થયા વિના, ભ્રષ્ટ રાજનેતાઓ અને અંધારી અલામના આકા એવા દાઉદના
ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી જમીનદોસ કરી નાખ્યાં. એ સમયે દાઉદ અન્ડરવલ્ડનો
બેતાજ બાદશાહ બની બેઠો હતો. એનો સિતારો સાતમા આસમાને ચમકી રહ્યો હતો. એના નામ
માત્રથી સૌ કોઈ થરથર કાંપતા હતા. એવા સમયે જી.આર.ખેરનારે જાનની પણ પરવા કર્યા વિના
નીડરતા, અને મક્કમતાથી બિલ્ડીંગને તોડી પાડી દાઉદને બરાબરનો પાઠ ભણાવ્યો. ત્યારે
વિશ્વભરમાં એક નખશીખ પ્રામાણિક, સત્યનિષ્ઠ અને જાબાંઝ અધિકારી ખેરનારનું નામ ગૂંજી રહ્યું.
મહારાષ્ટ્રના
નાસિક જીલ્લાના નાના અમથા પીપલ ગામમાં સાધારણ ખેડૂત પરિવાર માં ૧૪ એપ્રિલ ૧૯૪૨ના
રોજ ગોવિંદ રાધો ખેરનારનો જન્મ થયો. તેઓ તેમના માતા પિતાનું બારમું સંતાન હતા.
જેમનાં આગલાં છ સંતાન મૃત્યુ પામ્યાં હતાં. તેમના બહોળા પરિવારમાં કોઈએ નિશાળ જોઈ
જ નોહતી. તેમના આખા સમાજમાં માંડ કોઈ સાત ચોપડી ભણેલું જોવા મળે. પરંતુ શિક્ષિતોની
સુખ સાહેબી જોઈ તેમના પિતાએ ગોવિંદનો ભણાવવાનો સંકલ્પ કર્યો. પ્રાથમિક અને
માધ્યમિક શિક્ષણ તો પૂર્ણ કર્યું પરંતુ કોલેજ શિક્ષણ માટે હવે વતનથી દૂર જવું પડે
તેમ હતું. એ અરસામાં દુકાળ પડ્યો. ઘરની આર્થિક સ્થિતિ નબળી પડી. આગળ ભણવું તો
ભણવું કઈ રીતે ?? પરંતુ પિતાનો સંકલ્પ દૃઢ હતો કે ‘જરૂર પડે જમીન વેચીને પણ ગોવિંદને
આગળ ભણાવીશ.” ઘરની નબળી આર્થિક સ્થિતિની વચ્ચે વતનથી નેવું કિલોમીટર દૂર નાસિકની ‘ભીખુશા
યા માશા ક્ષત્રીય વણિક મહાવિદ્યાલય’માં પ્રવેશ મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન ઘણા
કડવા મીઠા અનુભવોથી શાલીન વ્યક્તિત્વનું ઘડતર થયું. કોલેજના છેલ્લા વર્ષે આદર્શ
વિદ્યાર્થીનો પુરસ્કારથી તેમને નવાજવામાં આવ્યા.
કોલેજ
પૂર્ણ કરી નોકરી માટે મુંબઈ ભણી પ્રયાણ કર્યું. અહી સરકારી નોકરી પણ મળી ગઈ. પરંતુ
એ છોડી જી.આર. ખેરનારે મુંબઈ મહાનગર પાલિકાની નોકરી સ્વીકારી. શરૂઆતથી જ સાદગી, સત્યનિષ્ઠા
અને ફરજનિષ્ઠાના સિદ્ધાંતો આત્મસાત કરી લીધા હતા. જેના કારણે ફરજ દરમિયન ગોળીથી
વીંધાયા, તલવારના ઘા સહ્યા, પારાવાર પીડા વેઠી, પોતાનો અને પરિવારજનોના જીવ
જોખમમાંમુકીને પણ નક્કી કરેલા સિદ્ધાંતોમાં ક્યારેય બાંધછોડ ન કરી તે ન જ કરી !
જી.
આર. ખેરનારે મરાઠીમાં પોતાની આત્મકથા લખી છે. જેમાં દાઉદની ગેરકાયદેસર બિલ્ડીંગને
તોડી પડવાની દિલધડક ઘટનાને વર્ણવતાં તેઓ
લખે છે. “દાઉદની સંપત્તિમાં ‘મહેજબીન' નામની
આલિશાન ઈમારત હતી. જે પેશકદમીમાં હતી 'મહેજબીન' ઉપર મેં કાયદાકીય કાર્યવાહી જેવી શરુ કરી તેવી દાઉદની ઉંઘ હરામ થઈ ગઈ.
તેની નજરમાં આ ઈમારાત ઉપર કાર્યવાહી થવાથી તેના આર્થિક નુકશાન કરતાએ વધારે આઘાત
તેની પ્રતિષ્ઠા ઉપર લાગશે તે નુકસાન વધારે હતું. આ કાર્યવાહીથી તેની આબરૂ માટીમાં
મળી જાય તો પછી દેશ વિદેશમાં બનાવેલા તેમના ખોફનાક સામ્રાજ્યની ધાક ગંજીપત્તાના
પાનાની જેમ ઢગલો થઈ જાય. એટલે તે આ ઈમારતને દરેક પ્રયત્નોથી મારી કાર્યવાહીથી તે
બચાવવા પ્રયત્નશીલ હતો.
દાઉદના માણસો એક અધિકારી પાસે ગયા અને તેમની સામે પ્રસ્તાવ
મુકતા કહ્યું,
‘તમે ખેરનારને સમજાવો અમે તેને દસ કરોડ રૂપિયા આપવા તૈયાર છીએ. તે તુરંત તેના પદ ઉપરથી રાજીનામું આપી મુંબઈ છોડી ચાલ્યા જાય. એ પછી અમે કયારેય તેની પાછળ
પડશું નહી કે તેને પરેશાન કરશું નહીં. બીજા ગમે તે શહેરમાં અમે તેઓને સંપૂર્ણ
સુવિધા સાથેનો સુસજ્જ બંગલો આપવા તૈયાર છીએ. એક આલિશાન બંગલો અને ઉપરથી દસ કરોડ
રૂપિયા રોકડા પણ આપીશું. તમે ગમે તેવા પ્રયત્નો સાથે ખેરનારને ખુશ કરો. આ કામ જલદી
પૂરું થવું જોઈએ.’
પેલા અધિકારીના કહેવા પ્રમાણે દાઉદ દસ કરોડ તો શું સો થી સવાસો
કરોડ રૂપિયા મારા મુંબઈ છોડી બીજે ચાલ્યા જવા ઉપર ખર્ચ કરવા તૈયાર હતો. બસ તેઓની
શરત માત્ર આટલી જ છે કે બસ તે મુંબઈ છોડી ચાલ્યા જાય. વિશેષ પેલા અધિકારીએ ઉમેર્યું કે જો તમે તેની મિલકત ઉપરની કાર્યવાહી
બંધ કરશો નહીં તો તમારી જિંદગી ઉપર જબરદસ્ત ખતરો છે, આ અધિકારીની
લાગણીઓ હતી તે મને સલામત જોવા ઈચ્છતા હતા તે એટલે જ તો મને આવી સલાહ આપી રહ્યા
હતા.
જોડિયા સ્ટ્રીટ, ભીંડી બજારમાં રચિત આ ઈમારત પહેલા કાદરી નામની વ્યકિતની હતી. તે
ઈમારતમાં અગિયાર ભાડૂત હતા. ત્યારપછી આ ઈમારત ૧૯૯૨માં દાઉદ ખરીદી લીધી. દાઉદનો
મોટો અડ્ડો તે ઈમારતની સામે જ દસ ફૂટ દૂર જ હતો. આ ઈમારત તેણે પોતાની બીબીના નામે
ખરીદી લીધી. એક નવી રીતે જ ઈમારતનું સમારકામ કરવા માટે એન.ઓ.સી. લઈ થોડા સમયમાં
ઈમારતનો એ ભાગ તોડી પાડયો. એન.ઓ.સી.માં એવી શરતો હતી કે ઈમારતનુ નવું નિર્માણ નહીં
કરવું. ઈમારતની આજુબાજુની ખાલી જગ્યામાં બાંધકામ કરવું નહીં, ઈમારતને વધારવી નહીં તૂટી પડેલી ઈમારતનું " સમારકામ કરવું નહીં,
ઈમારતની ઊંચાઈ વધારવી નહીં વગેરે શરતો સમાવેલી હતી. પરંતુ આવી રીતે
એન.ઓ.સી. ના આધારે દાઉદના માણસોએ ઈમારત તોડી પાડી અને તે જગ્યાએ પાંચ માળની આલિશાન
ઈમારત ઊભી કરી દીધી.
મને મળેલી જાણકારી પ્રમાણે
ઉપરની ઈમારતનો કબજો સંભાળતા પહેલા દાઉદ પેલા - અગિયાર ભાડૂતને પોતાના અડ્ડા ઉપર
બોલાવી એકને બાદ કરતા બધાને ચાર લાખ રૂપિયા - આપી ઈમારત ખાલી કરાવી. બધા જ ભાડુઆતો
જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી ગયા. પરંતુ તેઓની પાસે મકાન ખરીદવાની સગવડ નહીં
હોવાના કારણે નિરાશ્રીત બની સડક ઉપર રહેવા લાગ્યા.
જૂની ઈમારતની જગ્યાએ નવી
ઈમારત ઉભી થઈ ગઈ. તેમાં વધારાના માળ સાથે હોજ (સ્વીમીંગ પુલ) પણ બનાવ્યો હતો. બધી
જ રીતે વાતાવરણને અનુકૂળ રીતે બનેલી આ ઈમારતમાં કિંમતી કાચ લગાવવામાં આવ્યા હતા. બધી
જ પ્રકારની આધુનિક સુવિધા અને અતિ આધુનિક સામાનથી સજાવટ કરવામાં આવી હતી. ઈમારતની
આજુબાજુમાં ખાલી પડેલી જગ્યામાં પણ બાંધકામ કરવામાં આવ્યું હતું. તેની આજુબાજુમાં
દાઉદના પોતાના જ સંબંધીના રહેઠાણ વસાવ્યા હતા. હજી તો નાની મોટી સજાવટનું કામ તો
બાકી હતું. આ આલિશાન ઈમારતની સંપૂર્ણ સજાવટમાં ઘણું બધું ઘટતું હતું, આવુ દાઉદનું માનવું હતું. કાયદા
વિરૂદ્ધ થયેલા બાંધકામને તોડી પાડવાની કાર્યવાહી જલદીથી શરૂ કરવાની બેહદ જરૂરત હતી,
પરંતુ બોમ્બ વિસ્કોટના કારણે અમારી કાર્યવાહી ૧ ડિસેમ્બરથી માર્ચના
ત્રીજા સપ્તાહ સુધી બિલકુલ બંધ રહી.
આ સંબંધના કાગળો ઉપર નજર
કરતા મને અમુક જરૂરી કાગળો નજરે પડયા અને પોલિસ વિભાગના મદદનીશ કમિશ્નર દ્વારા 'સી’ વિભાગના અધિકારીઓએ લખેલા પત્રો મને મળી ગયા. જેમાં તે ઈમારત નામાંકિત
ગુંડા દાઉદની કાયદા વિરૂદ્ધ બનાવવામાં આવેલી છે તેની ઉપર કાર્યવાહી કરો આવી વિનંતી
કરવામાં આવી હતી. મારી આવી જ એક કાર્યવાહી દરમ્યાન તે સમયના મદદનીશ પોલિસ ડેપ્યુટી
કમિશ્નર ઝંડેએ મને તે ઈમારત બતાવી હતી. તેની ઉપર કાર્યવાહી કરવા માટે જણાવ્યું
હતું.
તે એક મહત્વપૂર્ણ મિશન હતું
કારણકે તે ઈમારત દાઉદ નામના મહાગુંડાની હતી. પોલીસ કર્મચારીઓ પણ સચેત હતા. બે દિવસ
પહેલાંથી જ તે ઈમારત ઉપર નજર રાખી ઊભા હતા મિશનને અંજામ આવતા પહેલા ત્યાં કૂતરાઓની
મદદથી કોઈ બોમ્બ નહીં હોવાની ચકાસણી કરાવવામાં આવી હતી. તે જગ્યાને ચારસોથી પાંચસો
પોલિસે ઘેરો ઘાલ્યો હતો. સરહદ સુરક્ષા ફોજ (બી.એસ.એફ.) પણ રોકેલી હતી. પૂરી તૈયારી
સાથે અમે ઈમારતની તોડફોડ શરુ કરી અને એક એક માળ તુટવા લાગ્યો. કાર્યવાહી શરુ કર્યા
પહેલાં બે દિવસે ત્યાં લગાવવામાં આવેલો કિંમતી સામાન જેવા કે સોનાના નળ, બારણાનાં કડાં વગેરે જેવી વસ્તુ દાઉદે બે દિવસ પહેલા હટાવી લીધી હતી તેવું
મને જાણવા મળ્યું હતું. બીજા દિવસે પણ અમારું તોડફોડનું કામ ચાલુ જ રહ્યું.
જોતજોતામાં ઈમારત તુટી ગઈ અને એક સુંદર રચનાના તૂટેલા અવશેષો ત્યાં રઝડતા રહી ગયા.
આ ઈમારત તોડવાના બદલે તે પાલિકાના કબજામાં લઈ લેવા બાબતે ઘણા સુચનો આવ્યા હતા. પરંતુ કાર્યોમાં આવી કોઈ જોગવાઈ હતી નહીં. વળી પોલીસ અધિકારીઓનું કહેવું એમ હતું કે ગુંડાઓની ઈમારત પાલિકા પોતાના કબજામાં લઈ લે છે તો પણ ત્યાં કોઈ ભાડૂત રહેવા માટે જશે નહીં.
દાઉદ અને
મેમણ બંધુની આવી પેશકદમીની ઈમારતો તોડવાનો ક્રમ ચાલુ રહ્યો
અને તેના અન્ડરવલ્ડના સામ્રાજ્યમાં મોટી
મોટી તિરાડો પડવા લાગી. તેની ઉંઘ ઉડી ગઈ.”
જી.આર. ખેરનારની આત્મકથાનો પ્રસંગ આ તો એક આછેરી ઝલક માત્ર છે. ફરજ દરમિયાન તેમનો સાચુકલો જીવનસંઘર્ષ વાંચીને રૂવાડાં ખડાં થઇ જાય છે. ઈમાનદારી માટે માણસે કેટકેટલું વેઠયું. છેવટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પરંતુ તેઓ અન્યાય, અનીતિ અને ભ્રષ્ટાચાર વિરુધ્ધની લડાઈમાં ન કદી ઝૂક્યા, ન હાર્યા, ન થાક્યા કે ન તો સિદ્ધાંતો સાથે બાંધછોડ ક્યારેય કરી. છેલ્લી ઘડી સુધી એકલે હાથે મક્કમતાથી ઝઝૂમતા રહ્યા.
અમેરિકા સ્થિત પ્રકાશભાઈ શાહના આમંત્રણને માન આપીને જી.આર.
ખેરનાર નિવૃત્તિ બાદ વાત્રક કાંઠે ચાલતા શ્રી કે. કે. શાહ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયા હતા. એ
દરમિયાન તેમને મળવાનું સદભાગ્ય મને સાંપડ્યું હતું. હાલ તેઓ મુંબઈમાં નિવૃત્ત જીવન
ગાળે છે. અનેકવિધ સામાજિક સંસ્થાઓ સાથે
જોડાઈને સેવાકાર્યો કરી રહ્યા છે.
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
Sunday, December 28, 2025
સન્ડે સ્પેશિયલ
પાંચ દિવસથી ગુમ થયેલો પ્રકાશ આખરે ક્યાં હતો ? અરવલ્લી પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો તો સામે આવી એવી હકીકત કે....!!
તારીખ ૨૫
નવેમ્બરની આ વાત છે.
અરવલ્લી
જિલ્લાના છેક છેવાડે ડુંગરની તળેટીમાં આવેલું એક ખોબા જેવડું ગામ સાંજ પડે
ચિંતામાં ઘરકાવ થઈ ગયું. સવારથી ખેતરમાં જવાનું કહીને નીકળેલો પ્રકાશ સૂરજ ડૂબવા
આવ્યો ત્યાં સુધી ઘરે પરત ફર્યો નહતો. માતા વિનાનાં બે નાનાં બાળકો પિતાની રાહ
જોતાં ટળવળી રહ્યાં હતાં. મોટા બાળકની ઉંમર પાંચ વર્ષ અને નાનાની ઉંમર માત્ર ત્રણ
વર્ષ.. ચારેક મહિના પહેલાં જ ઘરકંકાશથી કંટાળી આ બાળકોની માતાએ ગામનો કૂવો પૂરી
જીવન ટૂંકાવી દીધું. કુમળી વયે જ બાળકોએ માતાની ઓથ ગુમાવી દીધી. અને માતાના
અપમૃત્યુના આરોપસર તેમના પિતા પ્રકાશને પણ જેલમાં જવું પડ્યું. એક મહિનો જેલમાં
રહી આવેલો પ્રકાશ ખેતીકામમાં જોતરાયો હતો. બંને બાળકો માટે માતા ગણો કે પિતા એ
પ્રકાશ જ હતો. માંડી રાત સુધી પ્રકાશ ઘરે ન પહોંચતાં બાળકો તો રડતાં રડતાં સૂઈ
ગયાં. પ્રકાશનાં માતા-પિતા અને ભાઈને પણ હવે ચિંતા થવા લાગી. પ્રકાશનો મોબાઈલ પણ
બંધ હતો. પ્રકાશ ક્યાંય ગયો હશે તો સવારે આવી જશે એમ વિચારી રાત તો માંડ પસાર કરી
નાખી. પરંતુ બીજા દિવસે પણ પ્રકાશનો કોઈ અત્તોપત્તો મળ્યો નહિ.
સગાં
સંબંધીને ત્યાં પણ તપાસ કરાવી જોઈ પણ પ્રકાશની કોઈ ભાળ મળી નહિ. હવે પરિવાર વધુ
ચિંતાગ્રસ્ત બન્યો. અને આખરે પોલીસને જાણ કરાવનું મુનાસીબ માન્યું. પ્રકાશનો ભાઈ ભૂરો
અને પિતરાઈ ભાઈ રાજુ પોલીસ સ્ટેશન
જઈ ફરિયાદ નોંધાવી. પોલીસે જુદા
જુદા સોર્સ દ્વારા પ્રકાશની શોધખોળ આદરી. ભાઈ ભૂરો, પિતરાઈ ભાઈ રાજુ અને બીજા પરિવારજનો
પણ પોતાની રીતે પ્રકાશની ભાળ મેળવવા સતત આમ તેમ દોડાદોડી કરી રહ્યા હતા. એક પછી એક દિવસો પસાર
થઇ રહ્યા હતા. પાંચમા દિવસે પોલીસ સ્ટેશનમાં ફોનની ઘંટડી રણકી ઊઠી. અને
માહિતી મળી કે જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીના પટમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ
પડેલી છે. પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી. લાશ જોતાં જ કમકમાટી છૂટે એવી અવદશા
લાશની થઇ ગઈ હતી. આ લાશ બીજા કોઈની નહિ પરંતુ પ્રકાશની જ હતી. મસ્તક ધડથી અલગ થઇ
ગયું હતું. માત્ર ચામડીના આધારે મસ્તક ધડ સાથે જોડાયલું હતું. લાશ અતિશય ફૂલી ગઈ
હતી. જંગલી જનાવરોએ મૃત શરીરને ચૂંથી નાખ્યું નાખ્યું હતું. દુર્ગંધથી માથું ફાટી જાય એ હદે લાશ ગંધાઈ રહી
હતી. પ્રકાશના પરિવારજનોને જાણ કરી, પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી
આપી. આશરે પાંચેક દિવસ પહેલાં ગળું દબાવીને મોતને અંજામ આપ્યાનું પી.એમ. રિપોર્ટમાં
બહાર આવ્યું.
અરવલ્લી પંથકમાં ખૂન
થયાના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા. સ્થાનિક મીડિયાએ પણ અહેવાલો પ્રગટ કર્યા.
સમગ્ર પંથકમાં જાણે ભયનો માહોલ ફેલાઈ ગયો ! સ્થિતિની ગંભીરતા જતાં અરવલ્લી પોલીસ
અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જરૂરી માર્ગદર્શન આપી, હત્યારાને જડપી
પાડવા આદેશ આપ્યો. અરવલ્લી એલ.સી. બી. પી. આઈ. ઝાલા અને તેમની ટીમે મોરચો સંભાળ્યો.
હ્યુમન અને ટેકનીકલ રિસોર્સ કામે લગાડ્યા. પોલીસ તપાસ દરમિયન શંકાના દાયરામાં જે
વ્યક્તિનું નામ સામે આવી રહ્યું હતું, એ સાંભળી પ્રકાશના પરિવારજનોના પગ નીચેથી
જાણે જમીન સરકી ગઈ. પ્રકાશની હત્યાના ઉકેલની કડીઓ એક પછી એક જોડતી ગઈ, એમ શંકાની
સોય તેના જ પિતરાઈ ભાઈ રાજુ ઉપર તકાઈ રહી હતી. પોલીસે રાજુની પૂચપરછ આદરી. શરૂઆતમાં
તો રાજુ જુદાજુદા બહાના બનાવવા લાગ્યો. પરંતુ પોલીસે જ્યાં ઉલટ પ્રશ્નો પૂછવાના
શરૂ કર્યા એમાં જ રાજુ ફસડાઈ પડ્યો. અને પોપટની જેમ બોલવા લાગ્યો.
હત્યાનો
ગુનો કબુલતા રાજુએ જે ઘટસ્ફોટ કર્યો એ પણ ચોકાવનારો હતો. તેના કહેવા પ્રમાણે તેની
પત્ની નીલમ અને પ્રકાશ વચ્ચે છેલ્લા
કેટલાક સમયથી કાંઈક રંધાઈ રહ્યું હોવાની તેને ગંધ આવી રહી હતી. જેના કારણે દિવસેને
દિવસે રાજુના ઘરમાં પણ કંકાશ વધી રહ્યો હતો. રાજુ ચોરી છુપી નીલમ પર નજર રાખવાનું
શરૂ કર્યું. મોડી રાત્રે, વહેલી પરોઢે નીલમને ખાનગીમાં કોઈની સાથે વાત કરતી પણ રંગે
હાથ પકડી. એટલે રાજુના મનમાં જે શંકા આકાર
લઈ રહી હતી તે વધુ પ્રબળ બની. રાજુ અને તેની પત્ની નીલમ વચ્ચે હવે પતિપત્ની જેવા મધુર સંબધો પણ રહ્યા ન
હતા. આવા સમયે નીલમ ગર્ભવતી બની. આ વાતનો રાજુને એવી શંકા હતી કે નીલમના
પેટમાં પ્રકાશનું જ પાપ પાંગરી રહ્યું છે અને વાત વધુ ન વણશે એટલે નીલમે ગોળીઓ લઈ ગર્ભનો નિકાલ
કરી નાખ્યો છે. રાજુ હવે સમસમી ગયો હતો. કાંટો મૂળમાંથી ઉખેડી કાઢવાની નક્કર યોજના
ઘડી કાઢી. રાજુએ પોતાના ઘરસંસારમાં લાગેલી આગથી પોતાના સસરા અને સાળાને વાકેફ
કર્યા. તેમણે પણ કાંટાનું કાસળ કાઢવાની યોજનામાં સાથ આપવાનું નક્કી કર્યું.
નક્કી
કર્યા મુજબ એક દિવસ રાજુ પ્રકાશને બાઈક ઉપર પોતાના ગામથી દૂર જંગલ વિસ્તારમાં
નદીના પટમાં લઈ જાય છે. ત્યાં તેના સસરા અને સાળા પણ મોજુદ છે. યોજના પૂર્વક રાજુ
અને તેના સાથીદારોએ પ્રકાશને ચિક્કાર દારૂ
પીવડાવ્યો. પ્રકાશ જેવો નશામાં ચકચૂર બની ગયો એવો તરત પ્રકાશના પાછળ જઈ દોરડું ગળામાં ભરાવી કચકચાવી ખેંચી રાખ્યું. પ્રકાશ
તરફડતો રહ્યો. પણ પોતે પ્રતિકાર કરી શકે એવી કોઈ સ્થિતિમાં જ નહતો. આખરે પ્રકાશનું
પ્રાણ પંખેરું ઉડી ગયું. પ્રકાશના શબને આ નિર્જન અવાવરું જગ્યામાં છોડીને રાજુ, તેના
સસરા અને સાળા ભાગી છૂટ્યા. તેમને એમ હતું કે આ અવાવરું જગ્યા એ જંગલી પ્રાણીઓ લાશને
ફાડી ખાશે, કોઈ પૂરાવા પણ નહિ બચે અને હત્યા
કર્યાની કોઈને જાણ પણ નહિ થાય.
કોઈને પોતાના પર શંકા ન જાય એ માટે પ્રકાશના ગુમ થયાની ફરિયાદ આપવા રાજુ પોલીસ સ્ટેશને ભૂરા સાથે ગયો અને સાથે પ્રકાશને શોધવાનું નાટક કરતો રહ્યો. કહેવાય છે ને પાપ છાપરે ચડીને પોકાર કરે છે. અરવલ્લી પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં LCB PI એચ. એમ. ઝાલા, PSI વી.ડી. વાઘેલા, LCB PSI સી.એમ. રાઠોડ, ASI કલ્પેશસિંહ ASI શંકરજી, અ.પો.કો. મયુરકુમાર, એહોકો સુભાષભાઈ, એહોકો દિલીપભાઈ,અ.પો.કો. ભયપાલસિંહ આ.પો.કો. સુધીરકુમાર સમગ્ર LCB ટીમ તથા ભોલોડા PI એ.બી. ચૌધરરી અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો પર્દાફાશ કરી વધુ એક સફળતા પ્રાપ્ત કરી. હત્યામાં વપરાયેલ બાઈક, દોરડું અને બીજો મુદ્દામાલનો પોલીસે કબ્જો લીધો.
અનૈતિક
સંબધોથી કદાચ ક્ષણિક આનંદ પ્રાપ્ત થતો હશે પરંતુ તેનો અંત હંમેશા કરુણ હોય છે. એવી રીતે ક્રોધનું પરિણામ પણ ક્યારેય સુખદ નથી જ
હોતું. આજે રાજુનાં બાળકો પણ નોંધારાં બની ગયાં, તો બીજી બાજુ પ્રકાશનાં બંને સંતાનો
માતાપિતાની ઓથ ગુમાવી દીધી.
મનમાં
એક પ્રશ્ન સતત ડંખ્યા કરે છે : પ્રકાશનાં બાળકો આજીવન કઈ ભૂલની સજા ભોગવતાં રહેશે કે
તેમણે માતાની મમતા અને પિતાના પ્યાર માટે આખું આયખું વલખી વલખી હવે ઓશિયાળું જ
જીવન જીવવું પડશે !!!
(નામ પરિવર્તિત)
- ઈશ્વર પ્રજાપતિ
9825142620
Sunday, December 21, 2025
સન્ડે સ્પેશિયલ
પોતાની મિલકત વેચીને લાખો રૂપિયાનું દાન કરનાર કુમારી વસંતીબહેનની આંખોમાં અશ્રુ સાથે છલકાતા પ્રશ્નોના ઉત્તર આપની પાસે છે ?
Sunday, December 14, 2025
સન્ડે સ્પેશિયલ
સાહસ, સંઘર્ષ અને શાલીનતાના ત્રિભેટે પાંગરેલું મઘમઘતું વ્યક્તિત્ત્વ
એટલે નટુભા જાડેજા બાપુ.
કહેવાય
છે કે સો પુસ્તક વાંચવાથી જે જ્ઞાન પ્રાપ્ત ન થાય, એ જ્ઞાન કોઈ અનુભવી વ્યક્તિના
સાનિધ્યમાં રચાયેલા સંવાદથી સહજ પ્રાપ્ત થતું હોય છે. જીવનમાં આવતી તડકી- છાંયડી, ચડતી-પડતી
જેવા પ્રગાઢ અનુભવોથી ઘડાયેલી - કસાયેલી
વ્યક્તિ ખરા અર્થમાં તો એક હરતું ફરતું વિશ્વવિદ્યાલય છે. આવી કોઈ વ્યક્તિની
નિશ્રામાં જીવનના જે પાઠ શીખવા મળે, એ દુનિયાની કોઈ યુનીવર્સીટીમાં શીખવા નથી
મળતા. અનુભવના એરણે ચડાવી જીવનને જમણે
શણગાર્યું છે, સફળતા જેમણે પચાવી જાણી છે, એક ખોબા જેવડા ગામમાંથી નીકળી જેમણે સંતાનોને શિક્ષણ અને સંસ્કારોનો અમૂલો વારસો આપી
પ્રતિષ્ઠાના શિખરે પહોંચાડ્યા છે. એવા એક વિરલ અને મુઠ્ઠી ઊંચેરા માનવીની વાત આજ
માંડવી છે.
તેમનું
નામ છે નટુભા જાડેજા બાપુ.
સદીઓ
જૂની ગુલામીની ઝંઝીરો તોડી, આઝાદ થયેલો ભારત દેશ આળસ મરડી બેઠો થઇ રહ્યો હતો. અખંડ
ભારતના નિર્માણ કાજે સરદાર પટેલના એક વચન પર રાજવીઓએ પોતાનાં રાજપાટ દેશને શરણે
ધરી દીધાં હતાં.એવા સમયે જામનગર જીલ્લાના છેવાડાના નાના અમથા જાંબીડા ગામમાં ૬ ઓગષ્ટ ૧૯૫૦ના રોજ પિતા માધવસિંહ
બાપુ અને માતા બાઈરાજ બાના ખોરડે નટુભાનો જન્મ થયો.
નટુભા બાપુના પિતા માધવસિંહ બાપુ ખુબ ઓછું ભણેલા
પરંતુ કોઠાસૂઝ ગજબની. તેઓ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા. કરમની કઠણાઈ કહો કે
વિધાતાના લેખ કહો, માધવસિંહ બાપુએ બાલ્યવસ્થાએ જ પિતાની છત્રછાયા ગુમાવી. બીજાં
કોઈ ભાઈ ભાંડું હતાં નહિ, તેઓ માતા-પિતાના એક માત્ર સંતાન હતા. કહેવાય છે કે
તોફાની દરિયો જ કુશળ ખલાશીનું નિર્માણ કરે છે. બસ, એ જ ન્યાયે જીવનની વિપરીત
પરિસ્થિતિની વચ્ચે માધવસિંહ બાપુના જાજરમાન વ્યક્તિત્ત્વનું ઘડતર થયું. ઉચ્ચ આધ્યાત્મિકતાનો વારસો તેમના લોહીમાં
વણાયેલો હતો. એક સિદ્ધ તપસ્વી સન્યાસીને છાજે તેવી તેમની જીવન પ્રણાલી હતી. સંયમિત જીવન અને કડક અનુશાસનના નિયમો તેમને
અપનાવ્યા હતા. નિયમિત શ્રીમદ
ભગવદ્ ગીતાજીનું પઠન કરતા. એકદશી નિર્જળા કરતા. જીવ માત્ર પ્રત્યે કરુણાની ધારા
તેમના હૃદયમાં અવિરત વહ્યા કરતી. ખેતરમાં તૈયાર થયેલા પાકમાં જો ભૂલથી ગાયોનું ધણ
ઘુસી જાય અને ચરવા લાગે તો એને હાંકવાને બદલે નિરાંતે ચરવા દેતા. એટલું જ નહિ પાક
ઉપર રસાયણિક દવાઓનો છંટકાવ કરવાનું પણ ટાળતા. સુક્ષ્મ જીવ હત્યા પણ તેમના મન પાપ
હતું. નટુભા બાપુનાં માતા બાઈરાજ બા પણ તપસ્વી સન્નારી હતાં. બાઈરાજ બા પરણીને
સાસરે આવ્યાં ત્યારે સાસરીમાં ન મળે દેરાણી – જેઠાણી કે ન મળે નણંદ ! ખુબ ઓછી ઉંમરે
આખું ઘર સાચવવાની જવાબદારી સ્વીકારી લીધી. આજની પેઢી કદાચ માનવા પણ તૈયાર ન થાય કે
બાઈરાજ બા એક વાર સાસરે આવ્યા પછી ઘર-પરિવાર કેળવવામાં એવાં તો ગૂંથાઈ ગયાં કે ૨૦
વર્ષ સુધી પિયરની વાટ સામે નજર સુધ્ધાં કરી નહિ. ૨૦ વર્ષ પછી તેમના પિયર ગયેલાં.
માધવસિંહ બાપુ ખુબ મોટા જમીનદાર. આખા મલકમાં તેમની નામના
હતી. તેમના ખોરડે સાત દીકરાઓ અવતર્યા. માધવસિંહ બાપુ દુરંદેશી દૃષ્ટિ ધરાવતા અને
જીવનમાં શિક્ષણનું મુલ્ય પણ સુપેરે સમજતા. એટલે મોટા જમીનદાર હોવા છતાં દીકરાઓને ખેતીમાં
વાળવાને બદલે ઉત્તમ શિક્ષણ આપવાનું મુનાસીબ માન્યું. આજથી સિત્તેરેક વર્ષ પહેલાં
જાંબીડા ગામ એટલે એક નાનું સરખું ફળિયું જ
જોઈલો. માંડ સો - સવા સો માણસોની વસ્તી. એટલે શાળાની સુવિધા તો ક્યાંથી હોય. એક
શિક્ષક ફળીએ આવે અને બાળકોને ચોરામાં બેસાડી કલમ ખડિયો ઘૂંટાવે. નટુભા બાપુ પણ ગામના
ચોરે પાટી પેન લઈ કલમ ખડિયો ઘૂંટ્યો ! ધોરણ પહેલાથી ચોથું ગામના ચોરામાં જ લીધું. આગળ પાંચમાનો અભ્યાસ માટે પાંચ કિલોમીટર દૂર હડમતિયા જંકશન ચાલીને જવું પડતું. નટુભા બાપુએ ધોરણ સાત
સુધીનો અભ્યાસ હડમતિયા જંકશનની શાળામાં લીધું.
એ સમયે ભણતર પ્રત્યેની આજના સમય જેટલી જાગૃતિ પણ નહિ, એમ
છતાં માધવસિંહ બાપુની સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની તાલાવેલી જોઈ લોકો કહેતા પણ
ખરા. “બાપુ છોકરા ભણાવીને શો ફાયદો? આટલી લાંબી પહોળી જમીન છે. દીકરાઓને ખેતી કામમાં
જોતરી દો તો બે પૈસા રળતા થઈ જાય.” લોકોની આ વાતોથી માધવસિંહ બાપુને કાંઈ ફેર પડતો
નહિ. ખેતીમાં પહોંચી ન વળાય તો જમીન પડતર રહેતી. પણ દીકરાઓને ખેતી કામમાં ક્યારેય
જોતર્યા નહિ.
નટુભા બાપુએ ધોરણ સાત સુધીનો અભ્યાસ પૂર્ણ કરી આગળના
અભ્યાસ માટે ધ્રોલમાં આવેલ રાજપૂત બોર્ડીંગમાં પ્રવેશ લીધો. બોર્ડીંગમાં રહી
અભ્યાસ આગળ ધપાવ્યો. નટુભા બાપુની સાથે સાથે તેમના બીજા છ ભાઈઓનો અભ્યાસ પણ ચાલુ જ
હતો. ધ્રોલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરી કોલેજ શિક્ષણ માટે જામનગર ગયા.
આર્ટસ સાથે બી.એ. થયા. બે વર્ષ એલ.એલ.બી. કરી વકીલાત ભણ્યા. પણ એ જ અરસામાં નોકરી
મળી જતાં વકીલાતની સણદ લીધી નહિ. વર્ષ ૧૯૭૨ માં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત
કરી. ચાર મહિના શિક્ષક તરીકે સેવાઓ આપી. છેવટે ક્લાર્કની સરકારી નોકરીમાં સ્વીકારી
લીધી. નટુભા બાપુએ નોકરીમાં ઉચ્ચ માપદંડ નક્કી કર્યા હતા. જ્યાં પણ કામ કરીએ ત્યાં
નિષ્ઠા અને પ્રમાણિકતાથી સેવાઓ આપવી એ નટુભા બાપુએ જીવનમંત્ર બનાવ્યો હતો. વર્ષ ૧૯૭૪ માં
લગ્નગ્રંથી જોડાયા. અને વર્ષ ૧૯૭૫ માં નટુભા બાપુના ખોરડે પુત્રનો જન્મ થયો.
નદીના શાંત પ્રવાહની જેમ જીવન વહી રહ્યું હતું. પરંતુ
નદીની પણ નિયતિ છે કે તે ક્યારેય સીધી રેખામાં ગતિ નથી કરતી. નદી કેટલીક જગ્યાએ
શાંત તો કેટલીક જગ્યાએ ઉછળતી કુદતી, કેટ
કેટલાય અંધાર્યા વળાંકો લેતી, માર્ગમાં આવતા ચટ્ટાનો સાથે અથડાતી પછડાતી આગળ ધપે
જાય છે. પણ ક્યાંય અટકતી નથી. નટુભા બાપુનો
જીવનપથ પણ આવો જ એક અણધાર્યો વળાંક પ્રતીક્ષા કરી રહ્યો હતો.
૧૮ ડિસેમ્બર ૧૯૭૯ એ દિવસ હતો. નટુભા બાપુ છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. એ જ સમયે
માર્ગમાં ગમખ્વાર અકસ્માત સરજાયો. મુસાફરો ભરેલો છકડો પલ્ટી ખાઈ ગયો. છકડામાં સવાર
મુસાફરો ગંભીર રીતે ગવાયા. એમાં નટુભા બાપુ ખુબ ગંભીર ઈજાઓ થઇ. ઈજાઓ એટલી ગંભીર હતી કે જાણે મોત હાથ તાળી આપી
પાછું ચાલી ગયું ! માતાપિતાના પુણ્યપ્રતાપે અને કુળદેવીની કૃપાથી તેઓ બચી તો ગયા. પરંતુ
બંને પગમાં ભયંકર ફ્રેકચર હતાં. તેમના શરીર પર જુદાં જુદાં નવ જેટલાં જટિલ ઓપરેશન
થયાં. શારીરિક પીડા પારાવાર હતી. પણ મન મેરુ જેવું મક્કમ હતું. અઢી વર્ષ જેટલા લાંબા
સમય સુધી તેઓ સંપૂર્ણ પથારીવશ રહ્યા. પરિવાર માટે આ સમયગાળો ઘણો કપરો હતો. સદનસીબે
સાત ભાઈઓ વચ્ચેનો સંપ ગજબનો હતો. બધા સંયુક્ત
પરિવારમાં જ રહેતા હતા એટલે જીવન નિર્વાહ કે
સેવા સુશ્રુસાની ચિંતા નહીવત હતી. જીવનની ખુબ મોટી ઘાત આવીને ચાલી ગઈ.
નટુભા બાપુએ અકસ્માત
પહેલાં PSI ની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. પરંતુ અકસ્માતને કારણે PSI ની નોકરીમાં
જોડાઈ શક્યા નહી. અઢી વર્ષ કપાત પગારી રજાઓ ભોગવી ફરી વર્ષ ૧૯૮૨માં નોંકરી શરૂ કરી. વર્ષ ૧૯૮૮ માં સીનીયર ક્લાર્કનું
પ્રમોશન મળ્યું. પણ જીવનમાં હજી આગળ વધવાની તાલાવેલી જીવંત હતી. નોકરીની સાથે સાથે
ખાતાકીય GPSC ની તૈયારી કરી પરીક્ષા આપી.
તેમાં ઉતીર્ણ થયા. અને સેલટેક્ષ ઇન્સ્પેક્ટર બન્યા. સેલટેક્ષ ઇન્સ્પેક્ટર તરીકે
મોટાભાગની સેવાઓ વેરાવળ અને જામનગરમાં આપી. અકસ્માત પછી ચાલવામાં ખૂબ મુશ્કેલી
અનુભવતી. એમ છતાં નોકરી નિષ્ઠા પૂર્વક અને ખુમારીથી કરી.
નટુભા બાપુનાં માતૃ શ્રી ૧૯૯૦ માં અંતિમ શ્વાસ લીધા.
જયારે તેમના પિતા શ્રી વર્ષ ૨૦૦૭ માં અંનત
યાત્રાએ ચાલી નીકળ્યા. પરંતુ શિક્ષણ અને સંસ્કારનો વારસો નટુભા બાપુએ અકબંધ સાચવી
રાખ્યો છે.
નટુભા બાપુને કુલ ચાર સંતાનો. પિતાના પગલે પોતે પણ
શિક્ષણનું મુલ્ય સુપેરે સમજતા. નટુભા બાપુએ સંતાનોને શ્રેષ્ઠત્તમ શિક્ષણની સાથે સાથે પઢી દર
પેઢીથી ચાલ્યો આવતો સંસ્કારિતાનો અણમોલ વારસો આપ્યો. તેમના સૌથી મોટા પુત્ર કે
જેમણે સમગ્ર ગુજરાત એક હોનહાર IPS ઓફિસર તરીકે જાણે છે, તેમના નામ માત્રથી
ગુનેગારો થરથર ધ્રુજવા લાગે છે, રાજકોટ અને ગીર સોમનાથમાં તેમણે કરેલી ઉત્કૃષ્ઠ
કામગીરીને અસામાજિક તત્ત્વોને કડક સંદેશો આપનાર મનોહરસિંહ જાડેજા હાલ અરવલ્લી જીલ્લમાં પોલીસ
અધિક્ષક તરીકે ફરજનિષ્ઠ છે. બીજા દીકરા IT એન્જીનીયર છે. અને હાલ બેંગલોરમાં
કાર્યરત છે. જયારે ત્રીજા દીકરા કતારમાં એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય કંપનીમાં એન્જીનીયર તરીકે સેવાઓ આપી રહ્યા છે. અને દીકરી
જામનગરમાં સ્થાઈ થયાં છે.
નટુભા બાપુના સાત ભાઈઓની જોડી આજે પણ અખંડ છે. બધા ભાઈઓ
ક્લાસ વન – ટૂ જેવા ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થઈ સામાજિક સેવા કાર્યોમાં પ્રવૃત્ત
છે. અને સાતેય ભાઈઓ વચ્ચેનો મન મેળ આજના
સમાજમાં એક મિશાલરૂપ છે. ભલે બધા ભાઈઓ નોકરી ધંધાર્થે ભલે વતન છોડી બહાર સ્થાઈ થયા
હોય, પરંતુ દિવાળી ટાણે અને ઘરના અવસર પ્રસંગે સાત ભાઈઓનો પરિવાર સાથે વતન જાંબીડામાં અચૂક આવે. અને આજના સમયમાં માન્યામાં ન આવે એવી
વાત એ છે કે, પરિવારમાં બધા ઉચ્ચ હોદ્દાઓ ફરજ અદા કરતા હોવા છતાં, જયારે બધાં
વતનમાં આવે ત્યારે સાતેય ભાઈઓનો પરિવાર એક જ રસોડે જમે છે. એક પરિવારના ૫૦ – ૫૫ જણ
એક પાથરણે બેસી સાથે ભોજન જમે એ ગ્રામ્ય પરિવેશનું દૃશ્ય કેટલું મનોહર લાગતું હશે
! એક જ આજના સમયમાં લોકો ઉચ્ચ શિક્ષણ તો મેળવી લે છે પણ
વ્યક્તિમાં સંસ્કારિતાની ગેરહાજરી મનને કઠે છે. જયારે માધવસિંહ જાડેજા બાપુના
પરિવારમાં શિક્ષણની સાથે સંસ્કાર સોનામાં સુગંધ ભળે એમ ભળી ગયા છે.
નટુભા જાડેજા બાપુને તેમના પરિવાર વિષે વાત કરીએ છીએ
ત્યારે તેઓ ખુબ વિનમ્રતા પૂર્વક કહે છે કે “ અમારા માતા પિતાએ કરેલી પુણ્ય કર્મોની
વાવણીનાં ફળ આજે અમે લણી રહ્યા છીએ. માતા પિતાના પુણ્ય પ્રતાપ અને અને કુળદેવીની
કૃપા વગર કશું શક્ય નથી.” માતા પિતાને યાદ કરતાં જ નટુભા જાડેજા બાપુની ચમકદાર
આંખોના ખૂણામાં ઉતરી આવતો ભેજ નરી આંખે જોઈ શકાય છે. અને એ ભેજમાં આપણું હ્રુદય પણ
ભીંજાયા વિના રહેતું નથી.
-
ઈશ્વર પ્રજાપતિ
98251 42620




