name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, February 22, 2026

સન્ડે સ્પેશિયલ

 "બેટા  ! માર્કશીટ કરતાંય તારી મુશ્કાન મારા માટે વધુ મુલ્યવાન છે. આ પરીક્ષા માત્ર છે, જિંદગીનો આખરી જંગ નહીં"

  


      જંગલમાં એક વાર પરીક્ષા યોજાઈ. જેમાં સસલાને ઉડવાનું, કાચબાને દોડવાનું અને માછલીને ઝાડ પર ચડવાનું હતું! પેપર કાઢનાર ગધેડાભાઈ હતા. એટલે આવું સાવ સહેલું પેપર પુછાયું. હવે પરિણામની રાહ જોવાઈ રહી છે. બોલો આ પરીક્ષામાં પ્રથમ કોણ આવ્યું હશે ? આમ જૂઓ તો આ એક માત્ર રમૂજ છે અને બીજું બાજુ તપાસો તો આપણી પરીક્ષા પદ્ધતિની વરવી વાસ્તવિકતા છે.              
    આગામી ૨૭ ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા ઓ શરૂ થનાર છે. જાણે ત્રીજા વિશ્વ યુદ્ધના તણાવ કરતાય કરતાંય વધુ તણાવ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓના પરિવાર ઉપર છે. વિદ્યાર્થી જાણે જીંદીગીનો આખરી ઝંગ લડવા જઈ રહ્યો હોય એવો માહોલ ઉભો કરવામાં આવ્યો છે.
       વિદ્યાર્થીના માર્ક્સ હવે વિદ્યાર્થીના જ નહીં પરંતુ પુરા પરિવારનો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો છે. પોતાના સંતાનની ક્ષમતા કરતાં અનેક ઘણી વધારે અપેક્ષા રાખતાં રગવાયાં બનેલાં માં-બાપોની સ્થિતિ દયનિય છે.
  સંતાનના બીજા અનેક કૌશલ્યમાં  તરફ દુર્લક્ષય સેવતા અને સંતાનને માત્ર માર્ક્સ પાછળ આંધળી દોટ મુકવા મજબૂર કરનાર  મા-બપોએ એક વાર માળીયામાંથી જુની સુટ્કેશ ઉતારી પોતાની માર્કશીટ ઉપર એક નજર નાખી લેવી જોઈએ. વિદ્યાર્થીની કક્ષા કરતાં વાલીની વધુ પડતી મહત્વકાંક્ષા, ઉત્તમ પરિણામ માટે  પારિવારિક અતિ દબાણથી  વિદ્યાર્થી ડિપ્રેશન અનુભવે છે. પરીક્ષાના પરિણામો અંગે વિદ્યાર્થીના મસ્તિષ્કમાં કેવો ગજગ્રાહ સર્જાતો હશે કે વિદ્યાર્થી  હતોત્સહી થઈ આત્મહત્યા  કરવા પ્રેરાય છે.
     National Crime Records Bureau (NCRB) ના ૨૦૨૪ માં વિદ્યાર્થીઓ એ કરેલી આત્મહત્યા માટે રીસર્ચ રીપોર્ટ પ્રગટ કર્યો. જેના આંકડા ચોકાવી દેનારા છે. વર્ષ ૨૦૨૨ ના વર્ષમાં કોઈને કોઈ કારણો સર ૧૩૦૪૪ જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી જીંદગી ટૂંકાવી દેવાનું પસંદ કર્યું. દર વર્ષે આ વિદ્યાર્થીઓની આત્મહત્યાનું પ્રમાણ  ૪ % વધી રહ્યું છે. 
NCRB એ જાહેર કરેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાના આંકડા 


             ખેર! વાંક મા-બાપનોનો પણ નથી. આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણે યોગ્ય પરીક્ષા પદ્ધતિ વિકસાવવામાં નિષ્ફળ રહ્યા છીએ. બાર મહિના વિદ્યાર્થી પરિશ્રમ કરે તેનો નિચોડ માત્ર ત્રણ કલાકમાં આપી દેવાનો. અને આ ત્રણ કલાક દરમ્યાન આપેલા પરફોર્મન્સ આધારે તેની પ્રતિભા નક્કી કરવી એ  કેટલા અંશે વ્યાજબી છે ???  
           પરીક્ષાના માહોલને હળવા ફૂલ બનાવવાના સ્થાને ભયંકર બનાવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થી વિમાસણમાં છે. એક રીઢા કેદીને ન્યાયાધીશ સામે જુબાની આપવા હાજર કરતો હોય એ રીતે  ચુસ્ત બંદોબસ્ત સાથે વિદ્યાર્થીને પરીક્ષા ખંડ સુધી લઈ જવામાં આવે છે. પરીક્ષાખંડમાં પ્રવેશ પામતા પહેલા કસ્ટમ વિભાગ કરતા પણ વધારે કડક તપાસણીમાંથી પસાર થવું પડે છે. જાણે વિદ્યાર્થી ખિસ્સામાં RDX ભરી પરીક્ષા કેન્દ્રને ઉડાવી દેવા ન આવ્યો હોય!!   CCTV Cameraની ચુસ્ત નિજરાણીમાં પરીક્ષા લેવાય.  એવો માહોલ સર્જવામાં આવે છે કે વિદ્યાર્થી ભયમુક્ત પરીક્ષા આપવાના બદલે સતત તાણ અનુભવે છે. 
      પરદેશમાં વિદ્યાર્થીની અનુમતિ વગર એના વર્ગખંડમાંમાં અજાણી વ્યક્તિ પ્રવેશી શકતી નથી. અને અહીં ગ્મે તે વિદ્યાર્થીને ભરચક ક્લાસ વચ્ચે ગમે ત્યરે ગમે તે આવી ખિસ્સાં તપસી શકે છે.   વિદ્યાર્થી પર આટલો અવિશ્વાસ રાખવાનું કારણ સમજાતું નથી.  જે રીતે વિદ્યાર્થી પરીક્ષા સમયે વિદ્યાર્થી  પર જે રીતે વૉચ રાખવામાં આવે છે એ પરથી તો એક વાત ચોક્કસ ફલિત થાય છે કે આપણે મૂલ્ય શિક્ષણ  આપવામાં ક્યાંકને ક્યાંક દાટ વાળ્યો છે. આવા નકારત્મક વાતાવરણ વચ્ચે વાલી તરીકે સંતાનને હકારાત્મક વતાવરણ પુરૂ પાડવાની જવાબદારી આપણી છે.
     આપણે નકારાત્મક વલણથી તેના આત્મવિશ્વાસને, બુદ્ધિશક્તિને મુરઝાવી ન નાખીએ. દરેક બાળક સર્વગુણસંપન્ન ક્યાંથી હોય. કોઈનામાં કોઈ શક્તિ તો બીજાનામાં બીજી શક્તિ હોય એટલે માં બાપની ફરજ તો સંતાનમાં છુપાઈને પડેલી શક્તિ પારખી તેને બહાર લાવવા પ્રોત્સાહિત કરતા રહેવાની છે. તેને બદલે મર્યાદા કે અણઆવડત પ્રત્યે વધુ પડતું ધ્યાન આપતું કરી તેની અસ્વીકાર્યતા વલણ કેમ ઉભું કરવું ??? જીવનમાં જીત જીરવવી જેટલી સહેલી છે તેનાથી અનેકગણી મુશ્કેલ છે હારની સ્વીકાર્યતા. માતાપિતા તરીકે સંતાનને ખેલદિલી શીખવીએ. પડીને ઉભા થવામાં મર્દાનગી છે. વિદ્યાર્થી સાથે મૈત્રી પૂર્ણ અને વિશ્વાસ યુક્ત વ્યવ્હાર થવો જોઈએ. યાદ રાખો કુદરતનું દરેક સર્જન unique છે. તમે અને તમારું સંતાન પણ !
       દુનિયાભરમાં નામના મેળવનાર અને નોબેલ પારિતોષિક મેળવનાર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ક્યારેય શાળાએ નથી ગયા. એમને મહાન બનાવ્યા એમનામાં રહેલી સર્જનાત્મક શક્તિએ! વિશ્વની મહાન પ્રતિભાઓ પરીક્ષામાં અવ્વલ જ આવ્યા હોય એવા દાખલા જૂજ જોવા મળે છે. સદીના મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને ડફોળ વિદ્યાર્થી કહી શાળામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. વિચારો કદાચ આઈન્સ્ટાઈનના વાલી તમે હોત તો દુનિયાને મહાન વૈજ્ઞાનિક ભેટ મળત ખરી ???  ગરબડીયા અક્ષર વાળો, શરમાળ પ્રકૃતિનો, મેટ્રિકમાં માત્ર 40% માર્ક્સ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થી મહાત્મા બની વિશ્વમાં પૂજાયા. મહાત્મા ગાંધી વિદ્યાર્થીકાળ દરમ્યાન એવરેજ વિદ્યાર્થી જ હતા.  સમસ્ત વિશ્વ જેઓને તલ્લીન થઈ સાંભળે છે એવા  રામાયણનું રસપાન કરાવતા પૂ. મોરારી બાપુ મેટ્રિકમાં ત્રણ વાર નાપાસ થયા હતા. વિશ્વભરમાં રિલાયન્સ સામ્રાજ્યને વિસ્તારનાર ધીરુભાઈ અંબાણી માત્ર ચાર ચોપડી ભણેલા હતા.  મહારાષ્ટ્ર માં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકો માં જેના પાઠ ભણાવાય છે એ સચિન તેંડુલકર ધોરણ દસમાં નાપાસ હતા. સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પન્નાલાલ પટેલ માત્ર સાત ચોપડી ભણ્યા હતા. ઉદાહરણની યાદી  હજી લાંબી થઈ શકે છે. પરંતુ કહેવાનું તાત્પર્ય એટલું જ છે જીવનમાં સફળતાનાં ઉચ્ચત્તમ શિખરે પહોંચવા પરીક્ષાના માર્ક્સ ક્યાંય બાધારૂપ બનતા નથી.
                 પોતાના સંતાનોને વધુ માર્ક્સ મેળવવાની લ્હાયમાં ધુવાંપુવાં થઈને ફરતા વાલીઓને મારે એક જ વાત કરવી છે. કે આજની પરીક્ષાએ આપના વહાલસોયા સંતાનની બુદ્ધિકક્ષા ચકાસવાની યોગ્ય પારાશીશી નથી જ. કસમનસીબે આવી પરીક્ષાને વધુ પડતું મહત્વ આપી આપણે આપણા સંતાનોને અનેક આઘતો આપી મુરઝાવી દઈએ છીએ. તેના મગજમાં તેની જાત માટે  વિશ્વાસ, આત્મવિશ્વાસ ઉભો કરવાને બદલે તેની શ્રધ્ધાને જ ડગાવી મૂકીએ છીએ. બીજાના સંતાનોના પરિણામો સાથે તેના પરિણામો સરખાવી તેના આત્મસન્માનને ઘાત કરીએ છીએ. વધુ માર્ક્સની મહત્વકાંક્ષા પાછળ આંધળી દોટ મુકતા આપણે ક્યારેય વિચાર્યું છે કે અજાણતા જ એને અધોગતિના વહેણ તરફ ઘસડી રહ્યા છીએ. ઔપચારિક શિક્ષણને એટલું બધું મહત્વ આપી દીધું છે કે સંતાનમાં રહેલી સર્જનાત્મકતા ખીલવા દેવાનો અવકાશ જ ક્યાં અપાય છે??? પણ ઔપચારિક શિક્ષણ વાસ્તવિક જગતમાં કેટલું ઉપયોગી છે તેનો વિચાર ક્યારેય કર્યો છે ખરો??
                એક આદર્શ વાલી તરીકે આપણી આંખે આંજેલા સપનાઓ સંતાનની આંખે સાકાર થતાં જોવાની ભૂલ કદી ન કરીએ. કારણ સંતાનની આંખોમાં એના પોતિકા સપનાઓ છે. એને સાકાર કરવામાં મદદરૂપ ન  બનીએ તો વાંધો નહીં પરંતુ એમાં બાધારૂપ તો ન જ બનીએ.
     પરીક્ષા  આપવા જતા વહાલસોયા સંતાનને પાસે બેસાડી એટલું જરૂર કહો કે  "બેટા  ! માર્કશીટ કરતાંય તારી મુશ્કાન મારા માટે વધુ મુલ્યવાન છે. આ પરીક્ષા માત્ર છે જીંદગીનો આખરી જંગ નથી."  આ નાનું અમથું એક  વાક્ય કદાચ  આપના સંતાનના જીવનમાં ચમત્કાર સર્જવા પુરતું સાબિત થશે. 
                   
.
લેખન :ઈશ્વર પ્રજાપતિ
(98251 42620)

Sunday, February 15, 2026

સન્ડે સ્પેશિયલ

“જો મારા પરિવારે જોખમ ખેડી બલિદાન ન આપ્યું હોત તો કદાચ આજે હું  ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનો હિસ્સો ન હોત.” : ખીલન પટેલ

 


    અરવલ્લીની ભૂમિ સાચે જ ફળદ્રુપ છે. આ ભૂમિએ સાહિત્ય, કલા, પત્રકારિતા, શિક્ષણ અને રમત-ગમત ક્ષત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત પ્રતિભાઓ ભેટ ધરી છે. ઉમાશંકર જોશી, પન્નાલ્લાલ પટેલ, રામલાલ સોની જેવા મૂર્ધન્ય સાહિત્યકારો, પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ જેવા તેજ તર્રાર પત્રકારો આ ફળદ્રુપ ભૂમિની ઉપજ છે. રમત-ગમત ક્ષેત્રે પણ અરવલ્લીની ભૂમિએ આંતરરાષ્ટ્રીય કક્ષાના દિવ્યાંગ ક્રિકટર ભલાજી ડામોર, વિકાસ પટેલ જેવા શ્રેષ્ઠ રમતવીરો આપ્યા છે. તો બાબુભાઈ પનુચા જેવા રમતવીરોએ ઓલ્મપિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વમાં ડંકો વગાડ્યો છે. અરવલ્લીની ભૂમિના આવા જ એક અણમોલ રતનનું નામ આજે ગુજરાત કે ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે. જેમનું નામ છે ખીલન પટેલ. અન્ડર ૧૯ ક્રિકેટ વિશ્વ કપ વિજેતા ભારતીય ટીમના તેઓ ઓલરાઉન્ડર ખેલાડી છે. ક્રિકેટ વિશ્વ કપની ઇંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં ખીલન પટેલે કરેલા  ઉત્કૃષ્ઠ પ્રદર્શને સૌ ક્રિકેટ ચાહોકોનાં હૃદય જીતી લીધાં હતાં.

અરવલ્લીના અંતરિયાળ ગામના એક ખેડૂત પરિવારના દીકરાની ભારતની અન્ડર-૧૯ ક્રિકેટ વિશ્વકપ  ટીમના ખેલાડી સુધીની યાત્રા કેવી રહી એની સંઘર્ષ ગાથા દિલધડક અને રોમાંચક છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના નહેરુ કંપો તેમનું વતન છે. મોડાસાથી આશરે સત્તર કિલોમીટરના અંતરે આવેલા  આ કંપાની કુલ વસ્તી આંગળીના વેઢે ગણી શકાય એટલી !  ખીલન પટેલના પિતા અનિલભાઈ મૂળે તો ખેતી સાથે સંકળાયેલા. અને આશરે વીસેક વર્ષ પહેલાં મોડાસામાં આવીને રહેવાનું શરુ કર્યું. ખેતી માટે કંપે તો નિયમિત જવાનું જ ! અનિલભાઈ પોતે ક્રિકેટના જબરા શોખીન ! કચ્છી પટેલ સમાજ દ્વારા દર વર્ષે યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓ છાભૈયા - ૧૧ ટીમ ફરજીયાત ઉતારે. ક્રિકેટ એ તેમનું પેશન હતું. દિવસે ખતી – ધંધો અને રાત્રે ટુર્નામેન્ટ ! તેમનો આ શોખ તેમના સંતાનમાં ઉતરી આવ્યો.

૨૬ નવેમ્બર ૨૦૦૬ ના રોજ જન્મેલા ખીલન પટેલના ઘરે બેટ અને બોલ હાથ વગા જ હતાં. ખીલનને બીજાં રમકડાં કરતાં બેટ અને બોલ જ વધુ આકર્ષતાં હતા. પ્રાથમિક શિક્ષણ મોડાસાની સ્કૂલમાં શરુ થયું. ભણવા સાથે ક્રિકેટમાં રુચી ખૂબ હતી. બેટ અને બોલને જોઈ ખીલનની આંખમાં ઉગતાં સપનાં  પિતા અનિલકુમાર અને માતા મનીષાબેન આવાક બની જોઈ જ રહેતા. બાળપણથી જ ખીલનના ક્રિકેટ પ્રત્યેના અપ્રતિમ પ્રેમને જોઈ માતા પિતાએ મનમાં ગાંઠ વાળી કે  ખીલનને હવે ક્રિકેટમાં જ ખીલવા દેવો છે. એ જ સમયે મોડાસામાં ક્રિકેટ એકેડમી પણ શરૂ થઇ હતી. દોડવું હતું ‘ને જાણે  ઢાળ મળી ગયો. અગિયારમાં વર્ષે ખીલને મોડાસા એકેડેમી જોઈન કરી. ક્રિકેટનું એવું તો ઘેલું લાગ્યું હતું કે આખો દિવસ ખીલન મેદાન પર હોય તોય થાકનું નામોનિશાન નહિ. ખીલન માત્ર પરીક્ષા આપવા જ શાળાએ જતો. આ બાબતે શાળાને વાંધો પડ્યો, તો માતા પિતાએ શાળા જ બદલી નાખી. પણ ખીલન અને ક્રિકેટ વચ્ચે જરા પણ ખલેલ ન જ પડવા દીધી. કોરોના સમયે ખીલન આખેઆખો દિવસ મેદાન પર રહી સતત પ્રેક્ટીસ કરતો રહેતો. જેનાથી બેટિંગ, બોલિંગ, અને ફિલ્ડીંગનું હુનર ઓર દમદાર બની રહ્યું.

 (ડાબેથી ભાઈ કથન, ખીલન, લેખક ઈશ્વર પ્રજાપતિ, પિતા અનિલકુમાર, માતા મનીષાબેન)

મોડાસા એકેડેમી પાસે એફીલેશન હતું નહિ એટલે જો ક્રિકેટમાં આગળ વધવું હોય તો મોડાસા છોડી અમદાવાદની કોઈ એકેડેમી જોઈન કરવી પડે તેમ હતી. હવે અમદાવાદ જવું તો જવું કેવી રીતે? પિતા અનિલભાઈનો ખેતીની સાથે  સાથે નાનો-મોટો ધંધો હજી માંડ મોડાસામાં સેટ થયો હતો. અને અમદાવાદ રહેવા જવું હોય તો મહીને ખર્ચ પણ ત્રણ ઘણું વધી જાય ! બીજી બાજુ અનિલભાઈના માતાને પેરાલીસસનાં દર્દી તેઓ સંપૂર્ણ પથારી વશ. આ બધું સાધારણ પરિવારને પોષાય પણ કેવી રીતે ! કરવું તો કરવું શું? કોઇપણ નિર્ણય લેવાનું કામ ખુબ જટિલ હતું. દાદા બાએ હિંમત આપી અને કહ્યું કે ખીલન જો ક્રિકેટમાં આગળ વધવા માંગતો હોય તો અમારી ફિકર કરશો નહિ. દાદા – બાએ આપેલી  આવી હિંમતથી અનિલભાઈ અને મનીષાબેનને પણ બળ મળ્યું. ખીલને આંખમાં આંજેલા સપનાને સાકાર કરવા  આખરે વર્ષ ૨૦૨૧માં અનિલકુમારે પરિવાર સાથે અમદાવાદની વાટ પકડી. વર્ષ ૨૦૧૮માં અનિલભાઈએ મોડાસામાં નવું જ મકાન બનાવ્યું હતું. અને હવે આ મકાન છોડીને અમદાવાદ ભાડાના મકાનમાં રહેવા ગયા તો સમાજના ઘણા લોકોએ તેમને ગાંડામાં ખપાવ્યા. લોકો ટોણા પણ મારતા કે “૧૪૦ કરોડની વસ્તીમાંથી ભારતીય ક્રિકેટ ટીમમાં માત્ર ૧૧ ખેલાડીયોને રમવા મળે છે. એમાં વળી આપણો નંબર ક્યાંથી આવે ?” લોકોની વાતોમાં આવ્યા વિના આ પરિવારે અડગ નિશ્ચય કરી લીધો હતો. ખીલનના ક્રિકેટના શોખને પોષવા જે પણ ભોગ પરિવારે આપવો પડે એ આપવા પરિવાર તૈયર હતો.

અનીલભાઈ અમદાવાદ ભાડાનું ઘર ખોલ્યું. ખીલન માટે ક્રિકેટ એકેડેમીની શોધખોળ આદરી અને સદનસીબે  ઉત્તમ કક્ષાની એકેડેમી તેમને મળી રહી. સન્ની પટેલ, જેસલ કરિયા, ચિરાગ પટેલ જેવા અનુભવી કોચનું માર્ગદર્શન પ્રાપ્ત થયું. ખીલનની ક્રિકેટ રમવાની ટેકનીક જોઈને જ અમદાવાદની એકેડેમી કોચને અંદાજ આવી ગયો કે “બંદે મેં દમ હૈ !” ખીલન પણ ખુબ પ્રતિબદ્ધતા અને શિસ્ત સાથે સંપૂર્ણ સમય મેદાન પર પરસેવો પાળવામાં જ પસાર કરી દેતો. ગાંધીનગરની ટીમમાં રમવા માટે છેવટે ગાંધીનગરની સ્કૂલમાં એડમિશન લઇ લીધું. અહી પણ માત્ર પરીક્ષા આપવા માટે જ સ્કૂલમાં જવાનું અને બાકીનો બધો સમય ક્રિકેટ ગ્રાઉન્ડને સમર્પિત રહેતો. ગાંધીનગરના એકેડેમીના  ક્રિષ્ણસિંહજીના  માર્ગદર્શને  ખીલનના પરફોર્મન્સને વધુ ધારધાર બનાવ્યું.  ખીલનની મહેનત રંગ લાવવા લાગી હતી. તેનું  સિલેકશન ડિસ્ટ્રીક અને સ્ટેટની ટીમમાં થઇ ગયું હતું. પરિવારમાં આનંદ છવાયો હતો. પણ આ આખરી મુકામ ન હતો. આંતર રાજ્યની મેચોમાં ખીલનના દમદાર પરફોર્મન્સથી સિલેકશન કમિટીની આંખો તે વસી ગયો.

ખીલને ટાઢ-તાપ- વરસાદ જોયા વિના મેદાનમાં કરેલી શિસ્તબદ્ધ મહેનત આખરે ફળી. અન્ડર ૧૯ ટીમ માં ખીલનનો સમાવેશ થઇ ગયો. આ સમાચારે આખા અરવલ્લી પંથકમાં ઉજાણી જેવો માહોલ સર્જ્યો હતો. દુબઈમાં રમાયેલા એશિયા કપમાં પણ ખીલને કરેલા પર્ફોર્માંન્સે સૌના હૃદય જીતી લીધા. તો ઓસ્ટ્રેલીયા, સાઉથ આફ્રિકા માં રમાયેલ મેચોમાં પણ ખીલન જાણે સોળે કળાએ  ખીલી ઉઠ્યો.  

હવે એક મહત્ત્વ પૂર્ણ સીરીઝ  ઇંગ્લેન્ડમાં રમાવાની હતી. પણ કુદરત હવે કસોટી કરવાના મૂડમાં હતી. એ સમય દરમિયાન ખીલનના પગે ઈજા થઇ. અને છેલ્લી ઘડીએ ખીલન ઇંગ્લેન્ડની સીરીજ રમી ન શક્યો.  આગળ અન્ડર ૧૯ વિશ્વ કપ પણ આવી રહ્યો હતો. હવે શું થશે એ વિચારે આખો પરિવાર જાણે ઊંડા આઘાતમાં સરી પડ્યો. પણ ખીલને પ્રયત્ન ન છોડ્યો. ઈજા રીકવર કરી ફરી મેદાન પર ઉતાર્યો. અને ફરી દમદાર પરફોર્મન્સ કરી સૌને દંગ કરી દીધા. કહેવાય છે ને કે “કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી!” બસ ખીલનના બુલંદ ઈરાદાઓ અને આ પરિવારની પ્રગાઢ આસ્થાની જીત થઇ. અન્ડર ૧૯ ક્રિકેટ વિશ્વકપના ખેલાડીયોની યાદી જાહેર થઇ તેમાં ખીલનનું નામ વાંચીને પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુઓનું જાણે પૂર ઉમટ્યું.   

ઝીમ્બાબ્વે - નામ્બીયામાં યોજાયેલા ૧૬ માં ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ખીલને ભારતીય ટીમ વતી ભાગ લીધો.  ભારતીય ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ફાઈનલ મેચમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. ૬ ફેબ્રુઆરીના રોજ હરારે ખાતે વિશ્વ કપની ફાઈનલ મેચ યોજાઈ હતી. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ૫૦ ઓવરમાં ૪૧૧ રનનો વિશાળ સ્કોર ખડકી નાખ્યો હતો. જની સામે ઇગ્ન્લેડ ભારતીય બોલરોના તરખાટ સામે  માત્ર ૪૦.૨ ઓવર માં ૩૧૧ રન કરી ખખડી ગયું હતું. આ સાથે ભારતે છઠ્ઠી વાર આ ખિતાબ પોતાના નામે કરી લીધો હતો. આ મેચમાં પણ ખીલનનું ઓલ રાઉન્ડર તરીકેનું પરફોર્મન્સ કાબિલ –એ- દાદ હતું.

અરવલ્લીના અંતરિયાળ ખૂણાનો એક છોકરો આટલી ઓછી ઉંમરમાં વિશ્વમાં ડંકો વગાડી જયારે માદરે વતન પરત ફર્યો ત્યારે આખા અરવલ્લી પંથકના આગેવાનો અને ક્રિકેટ ચાહકોએ મોડાસાના આંગણે  ભવ્યાતિભવ્ય સ્વાગત કરી વાતાવરણને ક્રિકેટમય બનાવી દીધું હતું.

ખીલન તેની સફળતાનો યશ તેના પરિવાર જનોને આપતાં કહે છે “મારા માતા-પિતા, દાદા-દાદીએ મારા ક્રિકેટના શોખને સંતોષવા વતન છોડ્યુ, અમદાવાદ ગયા, ભાડે રહ્યા, અનેક તકલીફો અને સંઘર્ષો વેઠ્યા માત્રને માત્ર મારી ક્રિકેટની કારકિર્દી ખાતર ! જો મારા પરિવારે આ બલિદાન ન આપ્યું હોત તો કદાચ આજે હું  ભારતીય અન્ડર ૧૯ ક્રિકેટ ટીમનો હિસ્સો ન હોત. મારા કોચે મારામાં વિશ્વાસ મૂકી મને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. જેના પરિણામે આત્મવિશ્વાસ પૂર્વક હું રમી શક્યો. અને આ બધાથી ઉપર હું આ બધી ભગવાનની કૃપા જ સમજુ છું.”

સફળતા મળ્યા પછી પગ ધરતી સાથે જોડી રખાવનું કામ કપરું હોય છે. પણ ખીલને આ કપરું કામ સહજ બનાવી લીધું છે. તેની પાસે બેઠા હોઈએ તો આપણને લાગે નહિ કે આપણે ભારતીય ચેમ્પેઈન  ક્રિકેટ ટીમના સફળ ખેલાડી પાસે બેઠા છીએ. સાથે દીકરો   ભારતીય ટીમનો ખેલાડી હોવા છતાં તેમના માતા પિતા અને દાદા-દાદીની  સાદગી અને વિનમ્રતા હૃદયસ્પર્શી છે. 

ભારતીય સીનીયર ક્રિકેટ ટીમમાં રમવાનું  ખીલનનું સપનું છે. એની ધગશ, શિસ્ત અને પ્રતિબદ્ધતા જોતાં તેનું આ સપનું પણ જલ્દી સાકાર થતું આપણે સહુ જોઈ શકીશું. ખીલને માત્ર તેના પરિવારનું જ નહિ પરંતુ સમસ્ત અરવલ્લી અને ગુજરાતનું નામ આજે વિશ્વમાં ગૂનાજ્તું કર્યું છે. ખીલનને તેની આગામી ઇનિંગ્સ માટે  અગિયાર દરિયા ભરીને હાર્દિક શુભકામનો.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, February 8, 2026

સન્ડે સ્પેશિયલ

જંગલમાં એક ઝાડ પર લટકતી મિત્તલની લાશ જોઈ પરિવારજનોના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ ! 

 અરવલ્લી જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા છેવાડાના ગામની આ વાત છે. ગામ ખૂબ નાનું હોવાથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે બાજુના  ગામ જવું પડતું. આ ગામમાં રહેતી મિત્તલ કોલેજમાં અભ્યાસ કરતી હતી. પોતાના ડોક્યુમેન્ટસની કોપી કઢાવવા અને કપડાં સિવડાવવા તે એક બપોરે મેઘરજ જવાનું કહીને ઘેરથી નીકળી.

બપોરથી નીકળેલી જુવાનજોધ દીકરી સાંજ પડી એમ છતાં ઘેર પહોંચી નહિ એટલે સ્વાભવિક રીતે જ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા. મિત્તલનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો હતો એટલે ચિંતા વધુ ઘેરી બની. તેની બધી સહેલીઓને પણ ફોન કરી પૂછી જોયું. ક્યાંય ભાળ મળી નહિ..

ખૂબ રાહ જોયા પછી રાત્રીના સમયે પરિવારે મિત્તલની શોધખોળ આદરી. બધે જ તપાસ કરી જોઈ પણ ક્યાંયથી મિત્તલનો પત્તો લાગ્યો નહિ. શોધખોળમાં રાત પસાર થઈ ગઈ.. સવાર થઈ એમ છતાં મિત્તલના કોઈ સમાચાર મળ્યા નહીં. પરિવારના માથે તો જાણે આભ ફાટ્યું ! કેટલીય શંકા કુશંકાઓ પરિવારજનોનું હૃદય ચીરી નાખતી.
    બપોર થતાં કિરણ નામનો યુવાન મિત્તલના સમાચાર લઈને આવ્યો. પાસેના ગામના બે યુવાનો મિત્તલને માર મારી મોટર સાઇકલ પર ઉઠાવીને જંગલ તરફ ભગતાં જોયાના સમાચાર કિરણે આપ્યા. સમાચાર સાંભળીને પરિવારના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. દીકરી સહીસલામત હશે કે કેમ અને હશે તો કેવી હાલત માં હશે એ વિચાર જ ધ્રુજાવી મુકતો હતો.

મિત્તલને શોધવામાં કિરણ પરિવારની મદદે આવ્યો. કિરણે બતાવેલી દિશા તરફનો રસ્તો જંગલમાં જતો હતો. મિત્તલની શોધમાં બધા એ જંગલ તરફ ગયા. ત્યાં જે દૃશ્ય જોયું ત્યાં બધાના હોશ જ ઊડી ગયા. જંગલના એક ઝાડ પર લાશ લટકતી હતી અને એ લાશ બીજા કોઈની નહિ પણ મિત્તલની હતી.
      ઝાડ પર દુપટ્ટાના સહારે લટકી મિત્તલની લાશ જોતાં જ સમજાઈ જાય એમ હતું કે આ આત્મહત્યા નહિ પણ ઈરાદા પૂર્વક કરાયેલી હત્યા છે. લાશ જમીનને અડકેલી અને પગ વળેલા હતા. જેથી સ્પષ્ટ થતું હતું કે આ આત્મહત્યા તો નથી જ. મિત્તલ કોલેજ કરતી એક હોશિયાર યુવતી હતી. તેનાં પણ સપનાઓ હતા. પરંતુ કોઈએ દુપટ્ટા વડે બાંધી મિત્તલની સાથે સાથે એનાં સપનાઓની પણ હત્યા કરી કરી હતી.
    પરિવારે પોલીસને તાત્કાલિક જાણ કરી સમાચાર આપ્યા. અને કિરણે આપેલી માહિતિને આધારે એણે જે નામ આપ્યા હતા એમની વિરુદ્ધ એફ.આર.આઈ. દાખલ કરવમાં આવી.

વાત વાયુ વેગે ચારેકોર પ્રસરી ગઈ. જ્યાં સુધી ગુનેગારો પકડાય નહિ ત્યાં સુધી દીકરીના શબને અગ્નિ સંસ્કાર નહિ કરવાનો પરિવારે નીર્ધાર કર્યો. ઘટનાની ગંભીરતા જાણીને પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ. જિલ્લા પોલીસ પર પણ આ કેસ જાણે પડકારરૂપ બની ગયો હતો.    પોલીસે ગુનેગારોને ઝડપથી પકડી લેવાની મિત્તલના પરિવારને ખાતરી આપી અને પરિવાર સાથે સમજાવટ અને કુનેહ પૂર્વક કામ લીધું. જુદી જુદી ટિમો બનાવી અને વિશ્વાસુ બાતમીદારોને કામે લગાડ્યા.

કિરણે પોલીસને જે નામ આપ્યા હતા. પોલીસે તેમને ઝડપી પાડ્યા. તેમની સઘન પૂછપરછ કરી. પણ કોઈ સફળતા ન મળી. કડક પૂછપરછ કર્યા બાદ પોલીસને એટલો તો અંદાઝ આવી ગયો કે જેમણે પકડ્યા છે એ યુવાનો નિર્દોષ છે. પરંતુ આરોપી બીજું જ કોઈ છે. કેસ હવે ગુંચવાતો જતો હતો. અન્ય કોઈ કડી પણ મળતી ન હતી. પોલીસે ધીરજ પૂર્વક કામ લીધું.

મિત્તલની હત્યા સમયે એ સ્થળના લોકેશન પર જે સીમકાર્ડ વારંવાર એક્ટિવ હતું એની તપાસ આદરી અને આ તપાસમાં.જે મોબાઈલ નંબર સામે આવ્યો એ જાણી સૌ દંગ જ રહી ગયા. ઘટના સ્થળે હત્યા સમયે જે મોબાઈલ નંબર વારંવાર લોકેટ થતો હતો એ નંબર બીજા કોઈનો નહીં પરંતુ કિરણનો જ હતો. આ એ જ કિરણ જે મિત્તલના પરિવાર અને પોલીસને આરોપીઓ વિશે શરૂઆતથી માહિતી આપી રહ્યો હતો.
          પોલીસે ચતુરાઈ પૂર્વક કિરણને જ દબોચી લીધો. અને પોલીસે તેના આગવા અંદાજમાં પૂછપરછ કરવા માંડીત્યારે કિરણ ડાહ્યો ડમરો બની પોપટની જેમ બકવા લાગ્યો. કિરણે હત્યાનો ગુન્હો કાબુલી લીધો. કિરણે જણાવ્યા પ્રમાણે તે મિત્તલ સાથે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમમાં હતો. અને બંને અવાર નવાર મળતાં રહેતાં. હત્યાના દિવસે પણ ક્રિરણ અને મિત્તલ ગામની સીમના એ જંગલમાં મળ્યાં હતાં. એ સમય દરમિયાન મિત્તલના ફોનમાં એના કોઈ પુરુષ  મિત્રના મેસેજ ફ્લેશ થયા. મિત્તલ અન્ય કોઈ પુરુષ સાથે પણ પ્રેમ સંબંધ હોવાની કિરણને શંકા ઉપજી. અન્ય કોઈ પુરુષના મેસેજ મિત્તલના ફોનમાં આવેલા જોઈ કિરણ સાંખી ન શક્યો. એનો ગુસ્સો સાતમા આસમાને જઈ ચડ્યો. અને મિત્તલના ગાલ પર જોરદાર તમાચો ચોડી દીધો. તમાચાનો પ્રહાર એટલો જોરદાર હતો કે મિત્તલ ત્યાં જ ઢળી પડી અને તે બેભાન થઈ ગઈ.
       મિત્તલ બેભાન થઈ જતાં કિરણ ગભરાઈ ગયો. કિરણને થયું કે મિત્તલ મૃત્યુ પામી છે. પોતે ક્યાંય ફસાઈ જાય નહીં એટલે મિત્તલના ગળે દુપટ્ટો કસીને બાંધી ઝાડ સાથે લટકાવી દીધી. પોતે ક્યાંય આ હત્યાના ગુન્હામાં ફસાઈ ન જાય એટલે એને આખી કહાની ઉપજાવી કાઢી..અને પરિવારની સાથે મિત્તલને શોધવાનો ડોળ કરવા લાગ્યો હતો. પરંતુ પોલીસની હોશિયારીથી કિરણ બચી શક્યો નહિ. કિરણના ઘરમાંથી મિત્તલનો ફોન પણ કબજે લેવામાં આવ્યો.

પોલીસે રાત દિવસ એક કરી હત્યારા વિરુદ્ધના પુરાવા એકત્રિત કર્યા. નામદાર કોર્ટમાં કેસ ચાલ્યો જેમાં મદદનીશ જીલ્લા  સરકારી વકીલે ધારદાર રજૂઆત કરી.  અને આખરે નામદાર ન્યાયાલય દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો. નામદાર કોર્ટે કસુરવાર કિરણને આજીવન કેદની સજા ફટકારી અને રૂપિયા પંદર હજારનો દંડ ફટકાર્યો હતો. અને આખરે એક શાતીર હત્યારો જેલના હવાલે કરી દેવામાં આવ્યો.

 વિશ્વાસની વેલ પર જ પ્રેમનું પુષ્પ પાંગરતું હોય છે. પ્રેમ જેવા પવિત્ર સંબંધમાં જ્યારે અવિશ્વાસ અને શંકા પ્રવેશે છે ત્યારે તેનો કેવો કરુણ અંજામ આવે છે તેનું આ દૃષ્ટાંત છે. 

અરવલ્લી જિલ્લા પોલીસે આવા અનેક જટિલ કેસ ઉકેલી પ્રજામાં પોલીસ પરત્વેના વિશ્વાસની એક મિશાલ પ્રસ્તુત કરી છે. હાલ અરવલ્લી જિલ્લાના પોલીસ વડાવડા મનોહરસિંહ જાડેજા પણ ખૂબ ઓછા સમયમાં પ્રશંશનીય કામગીરી કરી પ્રજાનો વિશ્વાસ બરકરાર રાખ્યો છે. 

 (સત્યઘટના. નામ પરિવર્તિત કરેલ છે. )


ઈશ્વર પ્રજાપતિ 

9825142620

નોંધ : -(આપના જીવનની પણ વ્યથા-કથા નીચેના ઈ મેઈલ કે વોટ્સેપ દ્વારા મોકલી શકો છો, અનુકુળતાએ સન્ડે સ્પેશિયલમાં સમાવિષ્ઠ કરવામાં આવેશે. e-mail : khudishwar1983@gmail.com whatsapp : 9825142620

Sunday, February 1, 2026

સન્ડે સ્પેશિયલ

   "આપના જીવનની મહત્ત્વપૂર્ણ વ્યક્તિને  Love you, Thank you કે Sorry  કહેવાનું હોય તો આજે જ કહી દો. આવનારી ક્ષણ સાવ ઠગારી છે."


જિંદગી સાચે જ રોલર કોસ્ટર જેવી છે. ક્યારેક તે આપણને સાતમા આસમાને પહોંચાડે છે તો ક્યારેક બીજી જ ક્ષણે ઊંધા માથે નીચે લાવી પટકે છે. જીવન કોઈક ક્ષણે એવા વળાંકો લેતી હોય છે વ્યક્તિએ તેની સ્વપ્નમાં પણ કલ્પના કરી નથી હોતી. અત્યંત નિકટના પ્રિયજન ની અણધારી વિદાય વ્યક્તિ ના જીવનને વેરવિખેર કરી મૂકે છે. છેલ્લી ઘડીએ પ્રિયજન સાથે છેલ્લી કોઈ જ વાત થઈ શકી ન હોય તેનો અકથ્ય બોઝ વ્યક્તિએ આજીવન હૃદયમાં પીડા આપતો રહે છે. આજે અહીં એવા કેટલાક પ્રશ્નો ને પ્રગટ કરતું પુસ્તક ની ચર્ચા કરવી છે. 

અમેરિકામાં વધુમાં વધુ વેચાતાં પુસ્તકોની યાદી 'ન્યુ યોર્ક ટાઇમ્સદૈનિકમાં દર અઠવાડિયે પ્રગટ થાય છે.  ધ બુક ઑફ કવૈશ્વન્સ' પુસ્તકે તેમાં પહેલું સ્થાન મેળવેલું.  ગ્રેગરી સ્ટોક આ પુસ્તકના  લેખક છે. અંગ્રેજી પુસ્તક ‘ધ બુક ઑફ કવૈશ્વન્સ'માંથી નમૂનારૂપે ઉપરના પ્રશ્નો આપ્યા છે . સામાન્ય જ્ઞાનની કસોટીઓમાં પુછાતા હોય છે તેવા સવાલોના જવાબ આપવા માટે આપણે અમુક માહિતી કે આંકડા યાદ કરવાં પડે છે. પણ આ પ્રશ્નોનો ઉત્તર આપતી વખતે આપણે વિચાર કરવો પડે છેઅંતર - નિરીક્ષણ કરવું પડે છે. આ પ્રશ્નોના કોઈ અમુક જ સાચા જવાબ નથી. એક પ્રશ્નના વિવિધ જવાબો મળવાના અને તે બધા સાચા હોઈ શકે કારણ કે તે પ્રામાણિક હૃદર્યોએ આપેલા હશે. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નોમાંના કેટલાક પ્રશ્નો આ પ્રમાણે  છે.

1. તમે ભૂતપ્રેતમાં માનો છોન માનતા હો તો ‘ ભૂતિયા બંગલા તરીકે ઓળખાતા કોઈ છેવાડાના મકાનમાં એક રાત એકલા ગાળવા તૈયાર થશો ?

2. આજથી એકસો વરસ પછીની દુનિયા આજના કરતાં વધારે સારી હશે કે ખરાબ?

૩. અઠવાડિયા પછી પરમાણુ - યુદ્ધ થવાનું છે એમ તમે જાણતા હોતો શું કરો ?

4. તમારા જીવનની મોટામાં મોટી સિદ્ધિ કઈ છેહજી એના કરતાંય વધુ સારું કશુંક કરવાની આશા તમને છે ?

5. છેલ્લે ક્યારે તમારે કોઈની સાથે ઝઘડો થયેલોતેનું કારણ શું હતું ?

6. તમારું બહુ નજીકનું કોઈ સ્વજન પીડા ભોગવી રહ્યું છેએમનાં અંગો લકવાનો ભોગ બન્યાં છે અને મહિનાકમાં એમનું મરણ થશે એમ દાક્તરો કહે છે. એ સ્વજન તમને કહે છે કે આ વેદનામાંથી મારો છુટકારો થાય તે માટે મને ઝેર આપો ! તો તમે આપો ?

7. તમારું મૃત્યુ કઈ રીતે આવે તે તમને ગમે?

8. તમારા જીવનની કઈ બાબત માટે તમે વધુમાં વધુ આભારની લાગણી અનુભવો છો?

9. તમે માંસાહાર કરો છોતો કતલખાના પર જઈને કોઈ પશુની જાતે કતલ કરવા તમે તૈયાર થશો ?
10. 
એકાદ વરસમાં અચાનક તમારું મૃત્યુ થવાનું છે એવી તમને ખબર હોયતો અત્યારે તમે જે રીતે જીવો છો તેમાં કશો ફેરફાર કરો?

11. તમને પ્રખ્યાત થવું ગમેકઈ રીતે વિખ્યાત બનવાનું તમે પસંદ કરો ?

12. કોઈ અમુક વસ્તુ કરવાનું તમારું લાંબા કાળનું સપનું છેતો અત્યાર સુધી તમે તે કેમ નથી કરી ?
13. 
તમે જેનાથી બચી શકતા ન હોએવી તમારી કઈ આદતો છેતેમાંથી છૂટવા માટે તમે નિયમિત મથામણ કરો છો ?

14. જીવનમાં શાને માટે તમે વધુમાં વધુ પ્રયત્નો કરો છો? – કોઈ સિદ્ધિસલામતીપ્રેમસત્તાજ્ઞાન કે બીજા કશાક માટે?

15. તમારી એ ફરજ ન હોય છતાં કોઈને માટે તમે કશુંક કરોઅને પછી એ તમારો આભાર ન માનેત્યારે તમને શી લાગણી થાય છે?

16. દુનિયાભરમાં તમારા મનપસંદ સ્થળે જઈને મહિના સુધી ત્યાં રહી શકો તેમ હોઅને પૈસાની કશી ચિંતા કરવાની ન હોયતો તમે ક્યાં જાવ અને ત્યાં શું કરો?

17. જેના વિના જિંદગી જીવવા જેવી ન રહેએટલી બધી મહત્ત્વની કઈ વસ્તુ લાગે છે તમને?
18. 
તમારા મિત્રો તમારે વિશે ખરેખર શું ધારે છે એ નિખાલસપણે અને કઠોર થઈને તમને કહેવા તૈયાર હોયતો તમે એવું ઇચ્છો ખરા કે તેઓ તમને એ જણાવે ?

19. અદાલતે કોઈ માણસને મોતની સજા કરી હોયઅને પછી એ સજાનો અમલ કોણ કરે તેની ચિઠ્ઠી નાખી હોય તેમાં એ કામગીરી તમારે બજાવવાની આવેઅને તમે તે ન બજાવો તો એ માણસને છોડી મૂકવામાં આવનાર હોયતો તમે તેની ડોકમાં ફાંસીનો ગાળિયો નાખવા તૈયાર થાવ ?

20. જેને વિશે રમૂજ ન જ કરી શકાય એટલી બધી ગંભીર કોઈ વસ્તુ તમને લાગે છેકઈ ?

21. કોઈની સાથેના સંબંધમાં સૌથી મૂલ્યવાન વસ્તુ તમને કઈ લાગે છે?

22. કોઈ માણસને ફાંસી આપવાની હોય ને તેનું દૃશ્ય ટી.વી. પર બતાવેતો તમે તે જુઓ ખરા ?

23. બીજાઓ સાથે જેની ચર્ચા ન કરી શકાયતેવી અતિ અંગત બાબતો તમને કઈ લાગે છે ?

24. કોઈ વસ્તુની ચોરી તમે છેલ્લે ક્યારે કરેલી?  તે પછી તમે કશી ચોરી કેમ નથી કરી?

25. તમારી કેટલી મૈત્રીઓ દસ વરસથી વધુ ટકી છેઅત્યારે તમારા જે મિત્રો છે તેમાંથી કયા કયા આજથી દસ વરસ પછી પણ તમારે મન મહત્ત્વના રહ્યા હશે ?

આ પ્રશ્નપત્રની થોડીક નકલો કઢાવીને એક રાંજે સહુ કુટુંબીજનો ભેગાં બેસે અને દરેક જણ એક એક સવાલનો પોતાને સૂઝે તે જવાબ બોલતું જાયતો પોતાના ઘરનાં જ માણસોની કેટલીક નવી પિછાન પરસ્પરને મળતી જશે અને એ નિખાલસતા વિશેષ નિકટતા પેદા કરશે . શિક્ષક પોતાના જવાબો વર્ગોમાં વિદ્યાર્થીઓ સમક્ષ વાંચી બતાવે તો તેમાંથી પ્રેરણા મેળવીને ઘણા વિદ્યાર્થીઓ ઘેરથી પોતાના ઉત્તરો લખી લાવીને પછીના દિવસોમાં વર્ગમાં વાંચી સંભળાવી શકે."

સાચે જીવન અનિશ્ચિતતા ઓ થી ભરેલું છે. આવનારી ક્ષણ કેવી હશે એની કલ્પના પણ નથી હોતી. આજે સવારે સૂર્યોદય જોનાર સેંકડો વ્યક્તિઓ આજનો સૂર્યોદય જોઈ શકવાના નથી. અને આજનો સૂર્યોદય જોનાર પૃથ્વી  પરની અનેક વ્યક્તિઓ આવતી કાલનું પ્રભાત જોઈ શકવાના નથી. એ દુર્ભાગી વ્યક્તિ કોણ હશે શું ખબર ?? એટલે જ વર્તમાન  જ જીવન છે. ભૂતકાળ કે ભવિષ્ય એ જીવન નથી. માટે આપના જીવનમાં જે મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે તેમને  Love you, Thank you કે Sorry  કહેવાનું હોય તો આજે જ કહી દો. આવનારી ક્ષણ ઠગારી છે. આ ક્ષણ ચૂક્યા તો તેનો વસવસો આજીવન તમારા હૃદયને ડંખ્યા કરશે. અને પારાવાર પસ્તાવા સિવાય કંઇ જ નહીં બચે. 

 ( સંદર્ભ:અડધી સદીની વાચન યાત્રા. સં. મહેન્દ્ર મેઘાણી) 

- ઈશ્વર પ્રજાપતિ

9825142620

Tuesday, January 27, 2026

હ્યુદયાંજલિ

નીતિનભાઈ આપના સ્મરણો આલેખતાં શબ્દો ખૂટે છે અને હૈયું ઉલેચતાં આંસુ!!


      અણધારી વિદાય લીધાને આજે ત્રણ દિવસ થયા પણ હજી મન માનવા તૈયાર નથી કે નીતિનભાઈ હવે આપણી વચ્ચે નથી. નીતિનભાઈનું આમ અચાનક અનંત યાત્રાએ ચાલી  નીકળવાથી મન મસ્તિષ્ક પર જે કઠોર વજ્રઘાત થયો છે એમાંથી ઉઘરવાનો દૂર દૂર સુધી કોઈ માર્ગ દેખાતો નથી. સઘળું સુન્ન થઈ ગયું છે. હૃદયમાં સર્જાયેલો આ દાવાનળ ક્યાં જઈ ઠરાવો???
     નીતિનભાઈ વિનાની આકરુંદ શાળાની કલ્પના પણ હચમચાવી દે છે. એક સમયે સાવ વેરવિખેર થયેલી શાળાને પુનર્જીવિત કરવાનું આ માણસે પ્રણ લીધું અને દોઢ દાયકામાં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાની હરોળમાં મૂકી દીધી તેનું  તમામ શ્રેય નીતિનભાઈને ફાળે જાય છે. પોતે દિવસ રાત રજા વેકેશન જોયા વિના માત્રને માત્ર શાળા અને વિદ્યાર્થીઓના હિત માટે મથ્યા કર્યું. સફળતા મળી પણ એનો યશ હંમેશા બીજાને આપી પોતે હંમેશા નિર્લેપ રહ્યા..
     શાળાના પરિસરમાં નીતિનભાઈનો પ્રવેશ થાય અને તરત આખુ શાળા પરિસર "જય રણછોડ"ના નાદથી ગૂંજી ઊઠે.. એક એક બાળક નીતિનભાઈને વળગી પડી જય રણછોડથી અભિવાદન કરે!
      નીતિનભાઈ શાળા પરિસરમાં પ્રવેશે અને  ચોતરફ એક નજર ફેરવી લ. તરત એમનો હાથ ફરતો જાય અને અસ્તવ્યસ્ત પડેલી વસ્તુઓ આપોઆપ યોગ્યસ્થાને ગોઠવાતી જાય.. કચરા પેટી, સાવરણા, પાણીના નળ, પાણીની મોટર ચાલું કરવી, કોમ્પ્યુટર, સી. સી. ટીવી, પ્રાર્થના સભાની બેઠક વ્યવસ્થા બધું જ ઓટો મોડ પર ગોઠવાઈ જતું. બીટ શાળા એટલે વહીવટી કામ ખૂબ રહે એમ છતાં વર્ગ અને વિદ્યાર્થીઓની જ  હંમેશા પ્રથમ પ્રાથમિકતા હોય! નીતિનભાઈને શોધવા હોય તો વર્ગમાં બાળકોના ટોળાની વચ્ચે જ મળે. રિશેષ સમયે ચાલીમાં ખૂરશી નાખી બેઠા હોય અને આજુબાજુ બાલવાટિકાનાં વીંટળાઈ વળ્યાં હોય.! બાળકોના ટોળામાં નીતિન ભાઈ ને શોધવા મુશ્કેલ બની જાય !
     શાળામાંથી છેલ્લું વિદ્યાર્થી ઘરે ન પહોંચે ત્યાં સુધી નીતિનભાઈ શાળામાં જ રોકાય! બહાર ગામના વિદ્યાર્થીને કોઈ વાહન ન મળે તો પોતાની બાઇક પર ઘરે પહોંચાડી પછી જ પોતે ઘરે જાય.. રાત્રે પણ જમીને શાળા અને લાઇબ્રેરીની મુલાકાતે ફરજિયાત લેવાની..! દસ વર્ષ પહેલાં ની કોઈ ફાઇલ ન મળે અને નીતિનભાઈ ને પૂછો તો ફાઇલ ના કલર સાથે બતાવી દે કે આ તિજોરીમાં આ જગ્યા એ પડી હશે અને ફાઇલ ત્યાં જ પડી હોય!
    પૂજ્ય મોરારી બાપુના મુખે અનેકવાર વડોદરા કોયલી શાળાના મનસુખ માસ્તર ની કથા સાંભળી છે. નીતિનતિનભાઈ આકરુંદ ગામના મનસુખ માસ્તર હતા. રણછોડ રાય પરની એમની શ્રદ્ધા ગજબની હતી.  વિચલિત કરી દે તેવી વિકરાળ પરિસ્થિતિમાં પણ તેઓ સઘળું રણછોડ રાય પર છોડી સ્થિતપ્રજ્ઞ બની રહેતા. અને મનસુખ માસ્તર ની જેમ નીતિનભાઈની વ્હારે પણ રણછોડ રાય અનેક વખત દોડી આવ્યા છે.  તેમની શ્રદ્ધા ની કસોટી કરતો એક પ્રસંગ મને યાદ આવે છે. નીતિનભાઈ ના એકના એક સુપુત્ર વત્સલના લગ્ન હતા.. મંડપ ડેકોરેશનને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. બીજા દિવસે ભવ્ય રિસેપ્શન હતું.. અને આગલી રાત્રે અચાનક વાતાવરણ પલટાયું ભયંકર વાવાઝોઝા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો.. થોડી વાર તો એમ જ લાગ્યું કે હવે આવતું કાલનો પ્રસંગ કરવો તો કરવો કઈ રીતે.. સગા સંબંધીઓ, આવેલ સૌ મહેમાન સૌ ચિંતિંત હતા. પણ નીતિનભાઈ એકદમ શાંત હતા. એ માત્ર એટલું બોલ્યા કે "રણછોડ રાય જે કરશે એ સારું જ કરશે. આપણા કરતાં આપણો પ્રસંગ સુધારવાની ચિંતા એણે વધારે છે..." આત્મવિશ્વાસ સાથેના લાગણીભીના  શબ્દો સૌના  હૃદયને ભીંજવી ગયા. જોતજોતામાં વાતવરણ શાંત થઈ ગયું અને પ્રસંગ રંગે ચંગે પૂર્ણ થયો. આવી સ્થિત માં ભલભલા સંતપુરુષની શ્રધ્ધા ડગવા માંડે પણ નીતિનભાઈ વાત જ જુદી હતી..આજ સુધી એક પણ પૂનમ ડાકોર દર્શને ન ગયા હોય એવું બન્યું નથી. ડાકોર ગયા હોય અને શાળામાં મોડા પડ્યા હોય એવું આજસુધી બન્યું નથી. ડાકોર જઈને પણ ૧૦ વાગે સ્કૂલ માં હાજર હોય !
        ફરજ નિષ્ઠા તેમના લોહીમાં વણાઈ ગઈ હતી. શાળામાં નિયમિત કેટકટેલા કાર્યક્રમો થતા રહ્યા. કેટકેટલા મહાનુભાવો આવતા રહ્યા. આ એકપણ કાર્યક્રમમાં નીતિનભાઈ નો ફોટો તમને ક્યાંય જોવા જ ન મળે. પોતે પડદા પાછળ રહી કાર્યક્રમને સફળ બનાવવા ખૂંપી ગયા હોય. મંચ પર મહાનુભાવ નું સ્વાગત કરવા માટે પણ પોતે જવાનું ટાળે હંમેશા બીજાને જ આગળ કરે.
      શાળા અને જૂથના તમામ શિક્ષકોના પરિવારની તેમને ચિંતા હોય. કોઈપણ શિક્ષકના ઘરે કોઇપણ શુભ અશુભ પ્રસંગ બન્યો હોય નીતિનભાઈ સોથી પહેલાં ત્યાં ખડેપગે હાજર હોય. તાલુકા માં પણ જ્યારે શિક્ષણ આલમ માં કોઈ કોયડો ગૂંચવાય ત્યારે તેનો હલ નીતિનભાઈ પાસે અચૂક હોય. સંઘ હોય કે મંડળી પોતે તમામ હોદ્દાઓથી દૂર રહે પણ એમની તમામ ગૂંચવણો નીતિન ભાઈ ઉકેલી આપે.
    નીતિનભાઈની વિદાયથી આકરુંદ શાળાનો જાણે મુખ્ય આધારસ્તંભ જ ભાગી પડ્યો !  શિક્ષકો જ નહીં વિદ્યાર્થીઓ ની આંખોમાંથી આંસુ સુકાતાં નથી. તેમની ખોટ માત્ર આકરુંદ શાળાને જ નહીં પરંતુ આકરુંદ નાણા જૂથ, ધનસુરા તાલુકા અને સમગ્ર શિક્ષણ જગતને ચિરકાળ સુધી સાલતી રહેશે.
    નીતિનભાઈ જેવા ભેરુનો ભેટો હવે કયા ભવે થાશે એ તો રણછોડ રાય જ જાણે !
- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, January 18, 2026

સન્ડે સ્પેશિયલ

લીટલ જીનિયસ જસ્વી પટેલને શું તમે ઓળખો છો ? 


    કુદરત કેટલીક પ્રતિભાઓનું સર્જન ખૂબ વિશેષ રીતે કરતી હોય છે.  ઉંમરની સરખામણીએ તેમની યાદશક્તિ, સમજણ અને પરિપક્વતા અસામાન્ય હોય છે.  આવી પ્રતિભાશાળી વ્યક્તિની પ્રતિભા સૌ કોઈને આશ્ચર્ય મૂકી દે છે. આજે વાત કરવી છે એવી જ એક પ્રતિભાશાળી બાળાની.
    તેનું નામ છે જસ્વી પટેલ. ૨૯ જુલાઈ ૨૦૧૮ ના રોજ વિસાવદરમાં જન્મેલી જસ્વીએ હજી હમણાં માંડ સાત વર્ષ પૂર્ણ કર્યાં છે. પરંતુ તેની પ્રતિભાએ સૌ કોઈને આશ્ચર્યમાં ઘરકાવ કરી દીધાં છે. નાની અમથી ઢીંગલી જેવી આ જસ્વીને ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ અને જનરલ નોલેજના કોયડાઓ ગણતરીની સેકન્ડમાં ઉકેલી આપે છે. પાંચથી સાત વર્ષનાં બાળકોને મોટાભાગે રમકડાં પ્રિય હોય. બહુ બહુ તો મોબાઈલ પર આવતી ગેમ્સ અને કાર્ટૂન જોઈ  આનંદિત થઈ જતાં હોય. પરંતુ જસ્વીને રમકડાં કરતાં પુસ્તકો પ્રિય લાગે છે. મોબાઈલ તો જસ્વી પણ જુએ છે પરંતુ માત્ર ગેમ્સ કે કાર્ટૂન જોવા માટે નહીં પણ નવું નવું  જાણવા અને પોતાની જીજ્ઞાસા સંતોષવા માટે !
    જસ્વી જ્યારે માત્ર ચાર વર્ષની જ હતી ત્યારથી તેના મનમાં ઉદભવતા સવાલો સાંભળી ઘર વાળાં પણ દંગ રહી જતાં. તેના કેટલાક સવાલોના જવાબ આપવામાં તો વડીલોને પણ માથું ખંજવાળવું પડતું. જસ્વીની અવલોક શક્તિ, તર્ક શક્તિ અને યાદ શક્તિ જોઈ પરિવાર જનોને અંદાઝ આવી ગયો કે જસ્વીનો IQ સામાન્ય બાળક કરતાં ઘણો ઊંચો છે. તેને યોગ્ય પોષણ આપવું અત્યંત જરૂરી છે. અને બાલ્યાવસ્થા થી જ જસ્વીની જ્ઞાનયાત્રા શરૂ થઈ.
    જસ્વીનાં મમ્મી હેતલબેન સરકારી નોકરી માં જોડાયેલા છે જ્યારે પિતા રાકેશભાઇ અંકલેશ્વરમાં નોકરી કરે છે. જસ્વીની પ્રતિભા અનુસાર તેને કેળવવાની જવાબદારી માતા પિતા સાથે તેના નાના ભરતભાઈએ ઉપાડી લીધી. ભરતભાઈએ વર્ષ ૧૯૮૪ માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી  BSc કર્યું છે. તેઓ વર્ષો સુધી શૈક્ષણિક સંસ્થા સાથે સંકળાયેલા હોવાથી કેળવણી એ તેમના રસનો વિષય હતો. પોતે હાલ નિવૃત્ત હતા. જસ્વીની સારસંભાળ રાખતાં રાખતાં તેને વિશેષ રીતે કેળવવાની યાત્રા આરંભી.
માત્ર ચાર વર્ષની વયે જસ્વીએ વાંચતા લખતાં શીખી લીધું. માત્ર વાંચતા શીખી લીધું એટલુ જ નહીં પરંતુ જે પણ કાંઈ વાંચે એ યાદ રહી જતું. એણે જે પણ વાંચ્યું હોય એમાંથી કોઇપણ પ્રશ્ન પૂછો તો ક્ષણ નો વિલંબ કર્યા સિવાય તરત ઉત્તર મળી જાય. જસ્વી ને તેની પ્રતિભા અનુરૂપ પ્રતિપોષણ આપવું એ પણ પરિવાર માટે પડકાર રૂપ હતું. પાંચ વર્ષની વયે જસ્વી એ લેપટોપ ઓપરેટ કરતાં શીખી લીધું.
    પોતાના મનમાં ઉદભવતા સવાલો જસ્વીએ પોતે જ મેળવવાની મથામણ આદરી. ગૂગલનો સહારો લીધો. અને એનાં પણ ચમત્કારિત પરિણામો પ્રાપ્ત થયાં. ગણિત વિજ્ઞાન નો અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે જે પ્રશ્નોના ઉત્તર ન હોય તેના ઉત્તર જસ્વી આસાનીથી આપી શકતી.
હવે એને શાળામાં દાખલ કરવાની વાત આવી એ પણ ખૂબ પડકાર સમાન હતું. કારણ કે છ સાત વર્ષનાં બાળકો જ્યાં કલમ ખડિયો અને એકડી ઘૂંટવાનું શીખતાં ત્યાં જસ્વી તો  આ ઉંમરે ઘણી આગળ નીકળી ચૂકી હતી. શાળામાં નામ તો નોંધાવ્યું પણ જસ્વીની પ્રતિભાને શાળાની ચાર દિવાલોમાં બંધાવું જરા પણ રુચ્યું નહી. તેના ઉપાય રૂપે ભરતભાઈએ ઘરે જ અભ્યાસ કરાવવાનું મુનાસિબ માન્યું. અને ગૂગલ જેમિની મેન્ટર દ્વારા જસ્વીની અનોખી શિક્ષણયાત્રાનો આરંભ થયો.
જેમિની મેન્ટર દ્વારા નિયમિત જસ્વીને નવા નવા ટાસ્ક મળતા અને જસ્વી તેને પૂર્ણ કરી પડકાર ઝીલી લેતી. સાથે સાથે ભરતભાઈ પોતે ગણિત વિજ્ઞાન અને સામન્યજ્ઞાનની તૈયારી કરાવી તેની પ્રતિભાને વધુ નિખારવા લાગ્યા.
    જસ્વીને હાલ NASA વિશે પૂછો કે ISRO વિશે તમને એનો સંતોષકાર જવાબ આપવા સક્ષમ છે. ગણિતના અઘરા કોયડાઓ મૌખિક ગણતરી કરી ગણતરીની સેકન્ડમાં ઉકેલી આપે છે. IAS, IPS, IFS જેવી સિવિલ સર્વીસસ વિશેનું તેનું નોલેઝ પણ આપણને અચરજ પમાડે છે. UPSC - GPSC જેવી પરીક્ષાને લગતી મહત્તમ માહિતી અત્યારથી જ તેને આત્મસાત કરી છે. શૈક્ષણિક વિષયોની સાથે સાથે આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ્ ભગવત ગીતા, મહાભારત અને રામાયણ જેવા ગ્રંથો વિશે પણ તેની જાણકારી આપણું હૃદય વલોવી નાખે છે. અભ્યાસ ની સાથે સાથે ડાન્સમાં પણ ઊંડી રુચિ ધરાવે છે.
    પ્રતિભાસંપન્ન વ્યક્તિઓ ને મળવું તેમની સાથે વાર્તાલાપ કરવો એ જસ્વીને ગમતી પ્રવૃત્તિ છે. એટલે જ ભરતભાઈ સાથે IAS IPS IFS અધિકારી શ્રીની મુલાકાત નિયમિત પણે લેતી રહે છે.
    જસ્વી સનદી સેવામાં જોડાઈને ભારત દેશ ની સેવા કરવાનું વિરાટ સપનુ સેવી રહી છે. જસ્વી બાલ્યાવસ્થા થી પોતાના સપનાને સાકાર કરવાની દિશામાં જે રીતે મક્કમતાથી આગળ ધપી રહે છે એ જોતાં એનું સપનુ એક દિવસ જરૂર સાકર થશે જ એમાં કોઈ બેમત નથી.
    જસ્વી પાસે અસાધારણ પ્રતિભા છે. જો એને વિહારવા આકાશ મળે તો એને  ચીરીને સાતમા આસમાને વિહરી શકે તેમ છે. જસ્વીની પ્રતિભાને જો હજુ વધુ તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેની પ્રતિભા એક દિવસ માત્ર ગુજરાત જ  નહીં પરંતુ ભારતના સીમાડા ઓળંગી સમગ્ર વિશ્વમાં નામ રોશન કરશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
    જસ્વીની ઉજવળ અને યશસ્વી ઉડાન માટે હૃદયપૂર્વક ની હાર્દિક શુભકામનાઓ.
(સંપર્ક : ભરતભાઈ પટેલ - 95129 40844)
- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, January 11, 2026

સન્ડે સ્પેશિયલ

  સોમનાથ સ્વાભિમાન પર્વ! અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ!

સેકડો વર્ષોની  કાળની કારમી થાપટો સામે  અડીખમ ઉભેલું પ્રથમ જ્યોતિર્લીંગ  સોમનાથ મંદિર ! 

 ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ  સોમનાથમાં છે. આ મંદિરે અનેક તડકી છાયા જોઈ છે. કાળ અનેક કારમી થાપટો સામે આજે પણ સોમનાથ મંદિર અડીખમ ઊભું છે. સોમનાથ મંદિરનો ઈતિહાસ ભવ્ય  છે.  સોમનાથ ગુજરાત  રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે.  સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છેત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.

દંતકથા અનુસારસોમ એટલે ચંદ્ર ભગવાને સોનાનુંરાવણે ચાંદીનું અને શ્રી કૃષ્ણે ચંદન ના લાકડાનુ મંદિર બાંધ્યું હતું.

ચંદ્રદેવને ૨૭ પત્નીઓ હતી જેને આપણે આજે ૨૭ નક્ષત્રોના નામોથી     ઓળખીએ છીએ. તે બધી દક્ષ પ્રજાપતિની પુત્રીઓ હતી. તેમાંથી રોહિણી નામવાળી પત્ની સાથે ચંદ્ર સદાય પ્રેમમગ્ન રહેતા. બાકીની ૨૬ પત્નીઓ કે જે સગી બહેનો હતી તે પતિ વિયોગે ઉદાસ રહેવા લાગી. એક દિવસ પિતા દક્ષ દીકરીઓનું દુઃખ જાણીને દુભાયા અને જમાઈ ચંદ્રને આજ્ઞા કરી કે દરેક પત્ની સાથે સરખો પ્રેમભાવ રાખવો. પણ ચંદ્રે વડીલની આજ્ઞા અવગણી. આથી દક્ષરાજે ક્રોધે ભરીને તેમને "ચંદ્ર તારો ક્ષય થાય." એવો શ્રાપ આપ્યો.. આથી પ્રજાપિતા બ્રહ્માની સલાહથી સૌથી પ્રિય પત્ની રોહિણી સાથે ચંદ્રએ આ સ્થળે 'પ્રભાપાછી મેળવવાની આશા સાથે પ્રભુ શિવનું ધ્યાન કર્યું ને તપસ્યા કરી. તેણે આ ક્ષેત્રમાં શિવજીની મહામૃત્યુંજય મંત્રથી પૂજા કરી હતી. તપથી પ્રસન્ન થયેલા શિવ શંકરના અનુગ્રહથી ચંદ્રનો શ્રાપમાંથી આંશિક છૂટકારો થયો. ત્યારથી શિવજીની કૃપાથી ૧૫ દિવસ સુધી વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી ૧૫ દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે

    મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. ૬૪૯ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. આ સમય સને ૪૮૭ થી ૭૬૭ સુધીનો ગણાય છે. પરમારોના એક શિલાલેખ મુજબ માળવાના ભોજ પરમારે અહીં મંદિર બંધાવ્યું હતું. આ મંદિર ૧૩ માળ ઊંચું હતું અને મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર ૧૪ સુવર્ણ કળશો વિરાજમાન હતા. તેની ઉંચે ફરકતી ધજાથી નાવિકો તેને સોમનાથનું મંદિર પિછાણી તે તરફ વહાણો હંકારતા. ઈ.સ. ૭૫૫ માં વલ્લભી સામ્રાજ્યના પતન સાથે આરબ આક્રમકોએ સોમનાથનું પતન કર્યું. સિંધના અરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો. પ્રતિહાર રાજા નાગ ભટ્ટ બીજાએ ૮૧૫માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પથ્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું.

તીર્થસ્થળ હોવા ઉપરાંત તે બંદર પણ હતું. રાતા સમુદ્રનાંઈરાની અખાત પરનાં અને પૂર્વ આફ્રિકાનાં બંદરો સાથે સોમનાથનો બહોળો વેપાર ચાલતો. આ વિદેશી સ્થળોમાંથી ઘોડાખજૂરલવિંગ જેવી વસ્તુઓની આયાત થતી. સૂરતના ઉદય પૂર્વેમક્કા અને મદીનાના મુસ્લિમોનાં ધાર્મિક સ્થળોના પ્રવાસ માટે સોમનાથ મુખ્ય બંદર હતું. તે શૈવધર્મના પાશુપત સંપ્રદાયનું પણ મહત્વનું મથક હતું.

સોમનાથ બંદરેથી થતા વેપાર તેમજ મંદિરની આવકથી લોભાઈને મુસ્લિમોના આક્રમણનું તે ભોગ બન્યું હતું. અફઘાનિસ્તાનના સુલતાન મહમ્મદ ગઝનવીએ સોમનાથ પર ચડાઈ કરેલી. ૧૦૨૫ની સાલમાં મહંમદ (કે મહમૂદ) ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના ૮ દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા વીરતા પૂર્વક લડ્યા..  હિન્દુઓની કતલ થઇ. પૂજારીઓએ મંદિરને બચાવવા માટે તેને પુષ્કળ ધન આપવા માંડ્યુંપરંતુ તે ધર્માંધ હોવાથી તેણે જ્યોતિર્લિંગ તથા મંદિરની ઇમારતને તોડી નાખ્યાં હતાં. આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. મંદિર તેમજ શહેરને લૂંટી તે પાછો ફર્યો. તે પછી મુઝફ્ફરશાહ પહેલાએ અને તેના પૌત્ર અહમદશાહે પણ મંદિરનો ધ્વંસ કરી નાખેલો.

૧૦૨૬-૧૦૪૨ના સમયમાં માળવાના પરમાર રાજા ભોજ તથા અણહિલવાડ પાટણના સોલંકી રાજા ભીમદેવે ચોથા મંદિરનું નિર્માણ કર્યું. તે જીર્ણ થતાં સમ્રાટ કુમારપાળે સને ૧૧૬૯માં આ મંદિરની રચના પુન: કરાવીને ફરીથી મંદિરની મહિમાનો અને જાહોજલાલીનો યુગ શરૂ કર્યો. આ પછી ૧૨૦ વર્ષેસને ૧૨૯૯ની સાલમાં જ્યારે દિલ્લી સલ્તનતે ગુજરાતનો કબજો કર્યો ત્યારે અલ્લાઉદ્દીન ખીલજીના સેનાપતિ ઉલુઘખાને મૂર્તિના ટુકડે ટુકડા કર્યા અને ગાડામાં ભરીને તે દિલ્હી લઇ ગયો.  સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો.

અગિયારમી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે ૧૦,૦૦૦ ગામડાં અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં ૨૦૦ મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતીજેના દ્વારા શિવપૂજાના સમયની જાહેરાત કરાતી. ૫૬ જેટલા સાગના વિરાટ સ્તંભો ઉપર આ મંદિર ઉભું હતું. સેંકડો નટ-નટીઓ નૃત્ય કરી ભગવાન શિવને રીઝવતા. થાંભલે થાંભલે હિન્દુસ્તાનના રાજવીઓના નામઈતિહાસ અને ખજાના ભર્યા હતા. માત્ર અને માત્ર ગંગાજીના પાણીથી જ અહીં પૂજન થતું. ભોયરામાં રત્નો અને સોનાના ભંડારો હતા. પરંતુ મૂર્તિ ગઈલૂંટ થઇ. પછી ફરી મંદિર વેરાન બની ગયું.

એ પછી રા'નવઘણ ચોથાએ માત્ર લિંગની પ્રતિષ્ઠા કરી અને રાજા મહિપાળ દેવે સને ૧૩૦૮ અને ૧૩૨૫ વચ્ચે સમગ્ર મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. સને ૧૩૪૮ માં રાજા રા'ખેંગાર ચોથાએ સોમનાથમાં રહેતા મુસ્લિમ હાકેમને હાંકી કાઢ્યો. પરંતુ માત્ર ૭૦ જ વર્ષ પછી સને ૧૩૯૪-૯૫માં ગુજરાતના ધર્માંધ સુલતાન મુઝ્ઝફરખાન બીજાએ તેનો ફરીથી મૂર્તિ સહિત વિનાશ કર્યો. મંદિરમાં મસ્જિદ બનાવી. મૌલવીઓ અને કાઝીઓ રાખ્યા. સોમનાથ ફરી એક વાર ભ્રષ્ટ કરાયું. લોકોએ થોડા જ વર્ષોમાં ફરી નવી મૂર્તિ પધરાવી. સને ૧૪૧૪ માં અમદાવાદનો સ્થાપક અહમદશાહ પહેલો મૂર્તિ ઉઠાવીને લઇ ગયો અને સોમનાથ પાયમાલ કરી મૂક્યું.

એ પછી સને ૧૪૫૧માં રા'માંડલિકે મુસ્લિમ થાણા ઉઠાવી પુન: મંદિર પ્રતિષ્ઠા કરી. પરંતુ૧૫મી સદીમાં મહમદ બેગડો (સને ૧૪૫૯ થી ૧૫૧૧) ચઢી આવ્યો. તેણે મંદિરને મસ્જીદમાં ફેરવી નાખ્યું.

 ઈ.સ. ૧૫૬૦માં અકબરના સમયમાં મંદિર હિન્દુઓને પાછું મળ્યું અને પાછો પુનરુદ્ધાર થયો. ત્યાર બાદ શાંતિનો સમય ૨૦૦ વર્ષ સુધી ચાલ્યો. એ પછી ઔરંગઝેબ અને માંગરોળના શેખે મંદિરની અવદશા કરી. ૧૭૦૬ની સાલમાં મોગલ શાસક ઔરંગઝેબે મંદિરના સર્વનાશનો હુકમ કર્યો અને ફરીથી મંદિર તોડી પાડ્યું. ભારત દેશ સ્વતંત્ર થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર સને ૧૭૮૭ માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો.

       ભારતના લોખંડી પુરૂષ તથા પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ૧૩ નવેમ્બર, ૧૯૪૭નાં રોજ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. ૧૧ મે ૧૯૫૧ના દિવસે કે જયારે મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". ૧૦૧ તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી. . આ મંદિરનું શિખર 52.5 મીટર (175 ફૂટ) ઊંચું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને આ ટ્રસ્ટ હવે મંદિરની દેખરેખ કરે છે. સરદાર પટેલ આ ટ્રસ્ટનાં પ્રથમ ચેરમેન હતા.

સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણેમંદિર નજીક દક્ષિણ દિશા તરફ ચીંધીને એક તીર ગોઠવેલું છેજેની સીધી રેખામાં વચ્ચે અરબી સમુદ્ર કે હિંદી મહાસાગરમાં ઍન્ટાર્ક્ટિકા સુધી કોઈ પણ પ્રકારનો ભૂમિભાગ આવતો નથી. મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૃવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી.

      ચાલુક્ય શૈલીથી બાંધેલું આજનુ "કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદિર" ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન કરે છે. મૂળ સોમનાથ મંદિર ત્રિકૂટાચલ પ્રકારનું હતું. છેલ્લા ૮૦૦ વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી.

 સં. - ઈશ્વર પ્રજાપતિ