name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, May 10, 2026

સન્ડે સ્પેશિયાલ

યુદ્ધભૂમિ પર સારવારના અભાવે તરફડી રહેલા ઘાયલ  સૈનિકો જોઈ હેનરી ડ્યુનાન્ટનું હૈયું હચમચી ઊઠ્યું અને....

માનવસેવાને સમર્પિત રેડક્રોસ સોસાયટીના ઈતિહાસની  એક અદભૂત ગાથા.

૮ મે ના રોજ વિશ્વભરમાં  આંતરરાષ્ટ્રીય  રેડક્રોસ દિનની ઉજવણી કરવામાં આવી. માનવ સેવાને સમર્પિત વિશ્વવ્યાપી રેડક્રોસની સ્થાપનાનો ઈતિહાસ રોચક છે. રેડ ક્રોસની સ્થાપના પાછળ એક ખૂબ જ પ્રેરણાદાયી કથા છે જે બહુ ઓછા લોકો જાણે છે.

તારીખ ૨૪ જૂન, ૧૮૫૯.ની આ વાત છે.! સોલ્ફેરીનોનું યુદ્ધ જામી ચુક્યું હતું.  એક તરફ ફ્રાન્સ (નેપોલિયન ત્રીજાના નેતૃત્વમાં) અને ઈટાલીનું ગઠબંધન હતું, જ્યારે બીજી તરફ ઓસ્ટ્રિયન સામ્રાજ્ય હતું. આ યુદ્ધ ૧૫ કલાક સુધી ચાલ્યું હતું, જેમાં લગભગ ૩ લાખ સૈનિકો સામસામે લડ્યા હતા.

એ સમયે સ્વિસ બિઝનેસમેન હેનરી ડ્યુનાન્ટ પોતાના કામ માટે નેપોલિયન ત્રીજાને મળવા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ સોલ્ફેરીનો પહોંચ્યા, ત્યારે તેમણે રણમેદાનની ભયાનકતા જોઈ. હજારો સૈનિકો પાણી અને સારવાર માટે બૂમો પાડી રહ્યા હતા.યુદ્ધમાં હજારો સૈનિકો મોતને ભેટ્યા હતા તો બીજા હજારો ઘાયલ  સૈનિકો  સારવારના અભાવે તરફડી રહ્યા હતા. તે સમયે સૈન્ય પાસે પૂરતી મેડિકલ સુવિધા નહોતી, જેના કારણે ઘાયલ સૈનિકો તડપી-તડપીને મરી રહ્યા હતા.આ ઘટનાએ તેમને હચમચાવી દીધા અને તેમણે પોતાનું કામ પડતું મૂકીને સ્થાનિક લોકોની મદદથી ઘાયલોની સેવા કરી.

ડ્યુનાન્ટે પોતાનો બિઝનેસ ભૂલીને ત્યાંના સ્થાનિક લોકો (ખાસ કરીને મહિલાઓ) ને એકઠા કર્યા. તેમણે એક ચર્ચ (Chiesa Maggiore) ને હંગામી હોસ્પિટલમાં ફેરવી નાખ્યું. તેમણે દુશ્મન કે મિત્ર જોયા વગર દરેક ઘાયલ સૈનિકની સેવા કરી. જ્યારે લોકોએ પૂછ્યું કે તમે દુશ્મનોને કેમ બચાવો છો? ત્યારે ડ્યુનાન્ટે સૂત્ર આપ્યું: "Tutti Fratelli" (તેઓ બધા આપણા ભાઈઓ છે).

ઘરે પાછા ફર્યા પછી ડ્યુનાન્ટ તે દ્રશ્યો ભૂલી શક્યા નહીં અને તેમણે 'A Memory of Solferino' પુસ્તક લખ્યું. અને એક એવી સંસ્થાનો વિચાર રજૂ કર્યો જે યુદ્ધમાં ઘાયલોની નિઃસ્વાર્થ સેવા કરે. સોલ્ફેરીનોના યુદ્ધ પછી, હેનરી ડ્યુનાન્ટના વિચારોએ વિશ્વના દેશોને વિચારતા કરી દીધા. તેના પરિણામે જિનીવા કન્વેન્શન (Geneva Conventions) અસ્તિત્વમાં આવ્યું, જે આજે યુદ્ધના કાયદા તરીકે ઓળખાય છે. અને  રેડ ક્રોસનો પાયો નાખ્યો: તેમણે દુનિયા સામે બે મુખ્ય પ્રસ્તાવ મૂક્યા: ૧.શાંતિના સમયમાં જ દરેક દેશમાં સ્વૈચ્છિક રાહત મંડળો બનાવવામાં આવે. ૨. યુદ્ધમાં ઘાયલોની સેવા કરનારાઓને 'તટસ્થ' ગણીને તેમના પર હુમલો ન થાય તેવો આંતરરાષ્ટ્રીય કરાર થાય. આ વિચારને અમલમાં મૂકવા માટે ૧૮૬૩માં જિનીવા (સ્વિટ્ઝર્લેન્ડ) ખાતે 'કમિટી ઓફ ફાઈવ'ની રચના થઈ, જે પાછળથી ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ (ICRC) તરીકે ઓળખાઈ. આમ, સોલ્ફેરીનોનું લોહિયાળ યુદ્ધ એ આધુનિક માનવતાવાદી કાયદા અને રેડ ક્રોસ સંસ્થાના જન્મનું મુખ્ય કારણ બન્યું.

રેડક્રોસનું ચિન્હ સ્વિટ્ઝર્લેન્ડના ધ્વજ (લાલ ધ્વજ પર સફેદ ક્રોસ) ના રંગોને ઉલટાવીને બનાવવામાં આવ્યું છે. આ પ્રતીકનો હેતુ ધાર્મિક નથી, પરંતુ તે એક તટસ્થ ઓળખ છે, જેથી યુદ્ધમાં દુશ્મન દેશના સૈનિકો પણ આ ચિન્હ જોઈને ફાયરિંગ ન કરે અને રાહત કાર્ય ચાલુ રહી શકે. મુસ્લિમ દેશોમાં રેડ ક્રોસના સ્થાને રેડ ક્રેસન્ટ (લાલ અર્ધચંદ્રાકાર) પ્રતીકનો ઉપયોગ થાય છે.

હેનરી ડ્યુનાન્ટનો જન્મ ૮ મે, ૧૮૨૮ ના રોજ જિનીવા, સ્વિટ્ઝર્લેન્ડમાં થયો હતો. ડ્યુનાન્ટે  પોતાનું આખું જીવન અને સંપત્તિ માનવતાના કામમાં લગાવી દીધી હતી. એક સમયે તેઓ ખૂબ જ ગરીબ થઈ ગયા હતા અને જિનીવા છોડીને એક નાનકડા ગામમાં રહેવા જતા રહ્યા હતા. અંતે જ્યારે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો, ત્યારે તેમણે તે રકમ પણ ચેરિટીમાં આપી દીધી હતી. તેમને "માનવતાના પિતા" તરીકે પણ ઓળખવામાં આવે છે. ૩૦ ઓક્ટોબર, ૧૯૧૦ ના રોજ હેડન, સ્વિટ્ઝર્લેન્ડમાં થયું.

રેડક્રોસ એટલે માત્ર એક લાલ રંગનું નિશાન નહીં, પણ વિશ્વભરમાં કરોડો લોકો માટે આશાનું કિરણ છે. યુદ્ધ હોય, કુદરતી હોનારત હોય કે મહામારી, જ્યાં માનવતા મુશ્કેલીમાં હોય ત્યાં રેડક્રોસ હાજર હોય છે.  આજે ૧૯૦થી વધુ દેશોમાં રેડ ક્રોસ અને રેડ ક્રેસન્ટ સોસાયટીઓ કાર્યરત છે. રેડક્રોસને અત્યાર સુધીમાં ૩ વાર (૧૯૧૭, ૧૯૪૪, ૧૯૬૩) નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪-૧૯૧૮) દરમિયાન, ભારતમાં ઘાયલ સૈનિકોની સેવા અને રાહત કાર્યો માટે 'સેન્ટ જોન એમ્બ્યુલન્સ એસોસિએશન' અને 'રેડક્રોસ' ની એક સંયુક્ત સમિતિ કાર્યરત હતી. યુદ્ધના અંત પછી, એક કાયમી સંસ્થાની જરૂરિયાત અનુભવાઈ જે શાંતિના સમયમાં પણ આપત્તિ વ્યવસ્થાપન અને આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકે. ભારતમાં રેડક્રોસની સ્થાપના માટે બ્રિટિશ ભારતની તે સમયની ધારાસભામાં એક ખરડો પસાર કરવામાં આવ્યો હતો. ૩ માર્ચ, ૧૯૨૦ ના રોજ 'ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી એક્ટ' (1920 ના એક્ટ XV) પસાર થયો.આ કાયદા હેઠળ ૨૦ માર્ચ, ૧૯૨૦ ના રોજ 'ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી' (IRCS) ની વિધિવત સ્થાપના કરવામાં આવી. સર સી.એચ. સેટલવાડ ભારતીય રેડક્રોસ સોસાયટીના પ્રથમ ભારતીય અધ્યક્ષ બન્યા હતા.આજે ભારતમાં ૧,૧૦૦ થી વધુ શાખાઓનું વિશાળ નેટવર્ક છે, જે ગામડાઓ અને જિલ્લા કક્ષા સુધી વિસ્તરેલું છે. ભારતના રાષ્ટ્રપતિ આ સંસ્થાના પ્રેસિડેન્ટ હોય છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી તેના ચેરમેન હોય છે.

 ગુજરાતમાં રેડ ક્રોસની ૧૯૬૦ માં તેની સ્થાપના થઈ હતી. ૧૯૬૦ સુધી રેડ ક્રોસ સંગઠન બરોડા, રાજકોટ, જૂનાગઢ, કપડવંજ, દેવગઢ-બારિયા, અમદાવાદ વગેરે જેવા અનેક ભૂતપૂર્વ રજવાડા હેઠળ કાર્યરત હતું. ૧૯૬૦માં ભૂતપૂર્વ બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોમાં વિભાજન થવાના પરિણામે, ભારતીય રેડ ક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાની ઔપચારિક રચના કરવામાં આવી.

ભારતીય રેડક્રોસની ગુજરાત શાખા પણ અત્યંત સક્રિય છે. ખાસ કરીને ૨૦૦૧ના કચ્છના ધરતીકંપ સમયે અને તાજેતરમાં કોરોના મહામારી દરમિયાન રેડક્રોસના સ્વયંસેવકોએ પાયાની કામગીરી કરી હતી. હાલ અજયભાઈ એચ. પટેલ  ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના અધ્યક્ષ છે. તેમના નેતૃત્ત્વમાં ગુજરાત શાખા ઉત્તમ કાર્ય કરી રહી છે.  બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા પીડિત બાળકોની સેવામાં ગુજરાત રેડક્રોસ મોખરે છે.

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે પણ વર્ષ ૨૦૧૫ માં રેડ ક્રોસ સોસાયટીની શાખા કાર્યરત કરવામાં આવી. છેલ્લા એક દાયકામાં અરવલ્લીના અંતરિયાળ વિસ્તારમાં રેડ ક્રોસે સીમાચિહ્ન રૂપ કામગરી કરી બતાવી છે. તાજેતરમાં જ મોડાસા રેડક્રોસ સોસાયટીની મુખ્ય ધુરા વનીતાબેન પટેલે સંભાળી છે. વનીતાબેનનો સમગ્ર પરિવાર સમાજસેવા સાથે દાયકાઓથી જોડાયેલો છે. તેમના નેતૃત્ત્વમાં મોડાસા રેડક્રોસ સોસાયટી દ્વારા થતાં માનવસેવા કાર્યોને નવી દિશા અને નવો વેગ મળ્યો છે.  

રેડ ક્રોસ સોસાયટી મોડાસા દ્વારા અનેક સવલતો પૂરી પાડવામાં આવે છે જેવી કે રાહત દરે પેથોલોજી લેબોરેટરી,ડેન્ટલ વિભાગ,સુપર ઓ.પી.ડી. વિભાગ,ફસ્ટ એઇડ તાલીમ,હોમ કેર આસીસ્ટન કોર્સ,હેલ્થ કેર એટેન્ડન્સ,મેડીકલ સર્જીકલ સાધનો,બ્લડ કલેશન વાન,પર્યાવરણ જાગૃતિ અભિયાન,આરોગ્ય લક્ષી કેમ્પ,જન્મથી સાંભળી ન શકતા બાળકો માટે ડિવાઈઝ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ,મોબાઈલ મેડીકલ વાન.અને આ સિવાય પણ બીજી અનેક સેવાઓથી રેડક્રોસ સોસાયટી ધમધમે છે.

આગામી સમયમાં મોડાસામાં બ્લડ બેંક અને પેથોલોજી સેન્ટર સ્થાપવા માટે ચેરમેન વાનીતાબેને કમર કસી છે. જેના માટે સરકાર શ્રી તરફથી જમીન પણ ફાળવવા આવી છે. બ્લડબેંક અને પેથોલોજી સેન્ટરનું મોડાસા રેડક્રોસ સોસાયટીનું સ્વપ્ન નજીકના ભવિષ્યમાં જરૂર સાકાર થશે.

૧૯૨૦માં એક નાનકડા કાયદાથી શરૂ થયેલી આ સંસ્થા આજે ભારતભરમાં ૧૧૦૦ થી વધુ શાખાઓ ધરાવે છે. 'સેવા પરમો ધર્મ' ના સૂત્રને સાર્થક કરતી ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભારતના આરોગ્ય માળખાનો એક મજબૂત સ્તંભ છે.

રેડ ક્રોસ સોસાયટીના માનવતાના મહા યજ્ઞમાં જોડાવા અને તેની સેવાઓની વિસ્તૃત માહિતી માટે ચેરમેન વનિતાબેન પટેલનો સંપર્ક કરી શકે છે.

સંપર્ક : વનિતાબેન પટેલ (ચેરમેન રેડક્રોસ સોસાયટી મોડાસા, અરવલ્લી) : +919898544285


 - ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, May 3, 2026

સન્ડે સ્પેશિયલ

બરાબર આજના દિવસે વર્ષ ૧૯૧૩ માં રીલીઝ થયેલી કેવી હતી ભારતીય પ્રથમ ફિલ્મ? કેવા હતા તેના કલાકારો અને કેવાં હતાં એ સમયે સિનેમાઘરો ?

ભારતીય સિનેમા આજે વિશ્વના સૌથી મોટા ફિલ્મ ઉદ્યોગોમાંનો એક છે, પરંતુ આ વિશાળ વૃક્ષનું બીજ લગભગ સવા સો વર્ષ પહેલાં રોપાયું હતું. દાદાસાહેબ ફાળકે દ્વારા નિર્મિત અને દિગ્દર્શિત, "રાજા હરિશ્ચંદ્ર"  ફિલ્મ  3 મે, 1913 ના રોજ  કોરોનેશન સિનેમા , ગિરગાંવ, બોમ્બે ખાતે તેનું થિયેટરમાં રિલીઝ થયું હતું. તેણે દેશમાં ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો હતો. તે માત્ર ભારતની પ્રથમ ફીચર ફિલ્મ જ નહોતી, પરંતુ તેણે ભારતીય મનોરંજનનો ઇતિહાસ પણ કાયમ માટે બદલી નાખ્યો.

૧૯૧૧માં, મુંબઈના અમેરિકા-ઈન્ડિયા પિક્ચર પેલેસમાં "ધ લાઈફ ઓફ ક્રાઈસ્ટ" ફિલ્મ જોયા પછી, ધુંડીરાજ ગોવિંદ ફાળકે (દાદા સાહેબ ફાળકે) ને એક વિચાર આવ્યો. તેમને આશ્ચર્ય થયું કે શું આપણે ભારતીય પડદા પર આપણા દેવતાઓ અને પૌરાણિક કથાઓનું ચિત્રણ કેમ ન કરી શકીએ ? આ  વિચારે જ "રાજા હરિશ્ચંદ્ર" ફિલ્મનો પાયો હતો.

દાદા સાહેબ ફાળકેએ ફિલ્મ નિર્માણની આંટીઘૂંટી શીખવા માટે પોતાની વીમા પૉલિસી ગીરવે મૂકી અને ફિલ્મ નિર્માણની તકનીકો શીખવા માટે લંડન ગયા. ભારત પાછા ફર્યા પછી, તેમણે તેમની પત્ની સરસ્વતીબાઈ સાથે ફાળકે ફિલ્મ કંપનીની સ્થાપના કરીતે દિવસોમાં કોઈ ફિલ્મ બનાવવી એ કોઈ સિદ્ધિથી ઓછું નહોતું. ફિલ્મ માટે સૌથી મોટો પડકાર સ્ત્રી મુખ્ય પાત્ર શોધવાનો હતો. તે સમયે, અભિનયને સારો વ્યવસાય માનવામાં આવતો ન હતો, દિવસોમાં કેમેરા સામે દેખાવું "અપમાન" માનવામાં આવતું હતું.  ખાસ કરીને સ્ત્રીઓ માટે! દાદા સાહેબે સ્ત્રી કલાકાર શોધવા માટે  વેશ્યાલયોમાં પણ મુલાકાત લીધી હતી, પરંતુ ફિલ્મમાં કામ કરવા કોઈ તૈયાર ન થયું.   અંતે, તેમની નજર એક રેસ્ટોરન્ટમાં રસોઈયા અન્ના સાલુંકે પર પડી . અન્ના સાલુંકેના હાથ થોડા નાજુક અને શરીર થોડા સુડોળ હતા. ફાળકેએ તેમને સમજાવ્યા, અને આમ પુરુષ રસોઈયો  ભારતની પ્રથમ ફિલ્મની "મહારાણી" બન્યો.

તે સમયે, ભારતમાં કોઈ ફિલ્મ પ્રોસેસિંગ લેબ નહોતી. દાદા સાહેબે તેમના ઘરના રસોડાને લેબમાં રૂપાંતરિત કર્યું. તેમના પત્ની, સરસ્વતી બાઈ, રસાયણો વચ્ચે રીલ્સ ધોવા અને સૂકવવામાં કલાકો ગાળતા. તેઓ લગભગ 40-50 લોકોના ક્રૂ માટે રસોઈ પણ બનાવતા. ફાળકે સાહેબ દિગ્દર્શક, કેમેરામેન, સંપાદક અને મેકઅપ કલાકાર હતા.

તે દિવસોમાં વપરાતી ફિલ્મ રીલ્સ (નાઈટ્રેટ રીલ્સ) ખૂબ જ જ્વલનશીલ હતી અને થોડી ગરમીથી પણ આગ પકડી શકતી હતી. ફાળકે સાહેબ મીણબત્તી અથવા દીવા દ્વારા કાળજીપૂર્વક કામ કરતા હતા. ફિલ્મ પ્રત્યેનો તેમનો જુસ્સો એટલો બધો હતો કે રસાયણોના સતત સંપર્ક અને ઝીણવટભર્યા એડિટિંગને કારણે દાદાસાહેબ ફાળકેની એક આંખની દ્રષ્ટિ ખરાબ થઈ ગઈ. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી, પરંતુ ફિલ્મ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ સતત પ્રવૃત્ત જ રહ્યા રહ્યા.

    આ ફિલ્મનું શૂટિંગ મુંબઈના દાદરમાં આવેલા એક સ્ટુડિયોમાં થયું હતું. આ  ફિલ્મ મૂક હતી, એટલે કે તેમાં કોઈ અવાજ નહોતો; વાર્તા દ્રશ્યો અને ઇન્ટરટાઇટલ દ્વારા આગળ વધતી હતી. ફિલ્મ આશરે 40 મિનિટ લાંબી હતી અને તેની રીલ લંબાઈ 3,700 ફૂટ હતી. "રાજા હરિશ્ચંદ્ર" ફિલ્મનું પ્રથમ જાહેર પ્રદર્શન ૩ મે, ૧૯૧૩ના રોજ મુંબઈના કોરોનેશન સિનેમામાં થયું હતું. ફિલ્મ જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા. આ ફિલ્મ એટલી સફળ રહી કે તે ઘણા અઠવાડિયા સુધી ચાલી અને દાદાસાહેબ ફાળકે રાતોરાત "ભારતીય સિનેમાના પિતા" બની ગયા.

"રાજા હરિશ્ચંદ્ર" નો પ્રથમ પ્રીમિયર મુંબઈના કોરોનેશન સિનેમેટોગ્રાફ અને વેરાયટી હોલમાં થયો હતો. આ ફિલ્મની વાર્તા પૌરાણિક રાજા હરિશ્ચંદ્ર પર આધારિત હતી, જેમણે સત્ય અને પોતાના શબ્દો માટે પોતાના રાજ્ય, પત્ની અને પુત્રનું બલિદાન આપ્યું હતું. રાજા હરિશ્ચંદ્રની વાર્તા ભારતીયો માટે ખૂબ જ ભાવનાત્મક અને પ્રેરણાદાયક હતી. દર્શકો તેમના પ્રિય દેવતાઓને સ્ક્રીન પર ગતિમાં જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.

ફિલ્મમાં કોઈ અવાજ ન હોવાથી, પ્રેક્ષકોને વ્યસ્ત રાખવા માટે થિયેટરની અંદર પડદા નીચે એક નાનું ઓર્કેસ્ટ્રા બેઠું હતું. જ્યારે સ્ક્રીન પર કોઈ ઉદાસી દ્રશ્ય દેખાય છે, ત્યારે હાર્મોનિયમ અને સારંગી એક ઉદાસ સૂર વગાડતા હતા, અને યુદ્ધ કે આનંદના દ્રશ્યો દરમિયાન, ઢોલ અને તબલા વગાડતા હતા.

સ્ક્રીન પર ચિત્રો ચાલી રહ્યા હતા, પરંતુ ઘણા લોકો અભણ હતા અને ઇન્ટરટાઇટલ વાંચી શકતા નહોતા. તેથી, એક વ્યક્તિ થિયેટરમાં ઊભો રહીને બૂમ પાડીને વાર્તા સમજાવતો તે સમયે કોઈ દેવ કે કોઈ મહાન પૌરાણિક વ્યક્તિ સ્ક્રીન પર આવતાની સાથે જ લોકો પોતાની બેઠકો પરથી ઉભા થઈને "જય હો !" ના નારા લગાવતા હતા,. જ્યારે ફિલ્મ પૂરી થઈ, ત્યારે મિનિટો સુધી તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠતો.

    "રાજા હરિશ્ચંદ્ર" ની સફળતાએ સાબિત કર્યું કે ભારતમાં સિનેમા માટે એક વિશાળ બજાર છે. આનાથી પૌરાણિક અને ઐતિહાસિક ફિલ્મોનો દોર શરૂ થયો. આ ફિલ્મે ટેકનોલોજી, કલા અને વ્યવસાયને એકીકૃત કર્યા, જેનાથી "આલમ આરા" (પ્રથમ બોલતી ફિલ્મ) અને આધુનિક બોલીવુડનો માર્ગ મોકળો થયો.

    શરૂઆતના સિનેમા હોલ મોટાભાગે તંબુઓ અથવા લાકડાના બાંધકામોમાં સ્થિત હતા, જેને "ટૂરિંગ ટોકીઝ" તરીકે પણ ઓળખવામાં આવે છે. મુંબઈ જેવા શહેરોમાં, થિયેટરો વધુ કોંક્રિટના બનેલા હતા, જેમાં નીચેની હરોળ સામાન્ય લોકો માટે અનામત રાખવામાં આવતી હતી અને ઉપરની ગેલેરીઓ શ્રીમંત અથવા બ્રિટિશ અધિકારીઓ માટે અનામત રાખવામાં આવતી હતી.

આજે આપણે જે સિનેમાની ટેકનોલોજીકલ અને ભવ્યતા જોઈ રહ્યા છીએ તેના મૂળ "રાજા હરિશ્ચંદ્ર" ની સાદગી અને દાદાસાહેબ ફાળકેની અતૂટ શ્રદ્ધામાં છે. તે માત્ર એક ફિલ્મ નહોતી, પરંતુ એક સાંસ્કૃતિક ક્રાંતિ હતી જેણે ભારતીયોને તેમની પોતાની વાર્તાઓ એક નવા માધ્યમ દ્વારા કહેવાતી જોવાનો લહાવો આપ્યો.  ૧૯૧૩ની તે બ્લેક એન્ડ વ્હાઈટ  ફિલ્મ ભારતીય સિનેમાના સુવર્ણ ઇતિહાસમાં સૌથી તેજસ્વી સિતારો છે.  દાદાસાહેબ ફાળકેએ માત્ર ફિલ્મો જ બનાવી નહીં, પરંતુ એક એવો વ્યવસાય પણ સ્થાપિત કર્યો જેમાં આજે લાખો લોકો રોકાયેલા છે.

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620

Sunday, April 26, 2026

સન્ડે સ્પેશિયલ

"અમે સેવા નહી, પ્રેમ કરીએ છીએ." : પદ્મ શ્રી સુરેશભાઈ સોની.
 

"અમે સેવા નહી, પ્રેમ કરીએ છીએ." અંતરના ઊંડાનેથી પ્રગટેલા લાગણીભીના ઉદગારોમાં સંવેદનાનો દરિયો છલકાતો અનુભવાય છે. આ ઉદગારો છે ; નિરાધાર, નિસહાય અને બહિષ્કૃત માનવીઓના જીવન ઉત્કર્ષ માટે જેમણે પોતાની જાત ઓગળી દીધી એવા આધુનિક મહર્ષિ પદ્મશ્રી સુરેશ સોનીના ! ઘોર અંધકાર ભરેલી કેટ કેટલીય જિંદગીઓમાં આશાનો ઉજાસ પાથરી તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ ની સંધ્યાએ તેઓ આ ફાની દુનિયાને અલવિદા કહી અનંત યાત્રાએ ચાલી નીકળ્યા. અને સમજે જબરજસ્ત આંચકો અનુભવ્યો. આ ઓલિયો ફકીર એક આયખામાં યુગકાર્ય કરી ગયો. 
             સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ સેવાધામના સ્થાપક, સેવા યજ્ઞની વેદી પર બિરાજમાન આધુનિક મહર્ષિ એટલે સુરેશભાઈ હરિલાલ સોની. 
          અભ્યાસકાળ દરમ્યાન એક પ્રતિભાસંપન્ન વિદ્યાર્થી. વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના તેઓ વિદ્યાર્થી. 1966 માં M.Sc. માં ભૂતકાળના તમામ રેકોર્ડ બ્રેક કરી ફર્સ્ટક્લાસ ફર્સ્ટ વિથ ડિસ્ટ્રીક્શન સાથે ઉત્તીર્ણ થનાર આ વિદ્યાર્થી. તેજસ્વી પ્રતિભાને કારણે આ જ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નિમણૂક પામનાર આ વ્યક્તિત્વ. પરંતુ પ્રોફેસર જેવી મોભાદાર અને આરામદાયક નોકરી છોડી મધર ટેરેસા અને મહાત્મા ગાંધીએ ચીંધેલ દરિદ્ર નારાયણની સેવાનો કપરો જીવનમાર્ગ પસંદ કર્યો.
           સુરેશભાઈ સોનીનું મૂળ વતન તો વડોદરા જિલ્લાનું શિનોર ગામ. પરંતુ ભાગ્યરેખાઓ તેઓને સાબરકાંઠાના છેક છેવાડે આવેલ રાજેન્દ્રનગર સુધી ખેંચી આવી.
           મા-બાપ તરફથી ગળથૂથીમાંથી મળેલ સંસ્કાર, ઉપરાંત હાઈસ્કૂલના અભ્યાસ દરમ્યાન બી.એસ. જોષી જેવા કર્મઠ શિક્ષકનું સાનિધ્ય સાંપડ્યું. આ કર્તવ્યનિષ્ઠ શિક્ષકે કિશોર વિદ્યાર્થી માનસમાં સેવા પરાયણતાના બીજ વાવ્યાં. અને શાળા પુસ્તકાલયમાં ર. વ. દેસાઈ અને મુનશી પ્રેમચંદ જેવા પ્રખર સાહિત્યકારોના પુસ્તકોના અભ્યાસે કિશોર સુરેશભાઈના અંતરના દ્વાર ખોલી આપ્યા. અને પછી તો અંતરના ઊંડાણમાં રોપાયેલાં આ બીજ સમય જતાં ફૂલ્યા, ફા લ્યા, અને ફળ્યા પણ ખરાં!
            યુવાન સુરેશભાઈનું હૃદય સેવા યજ્ઞ માટે સંકલ્પિત બન્યું. સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર તરીકે નોકરી તો સ્વીકારી પરંતુ મનમાં ગાંઠ વાળી કે સેવા કાર્ય કે પરમાર્થનું કોઈ મન ગમતું કામ મળી જાય તો નોકરી છોડી દેવી. અને બન્યું પણ એવું જ 
                 પ્રોફેસરની નોકરી દરમિયાન સરકારી લેપ્રસિ હોસ્પિટલના કમ્પાઉન્ડરની દોસ્તીને પરિણામે તેઓએ રકતપિત્તના દર્દીઓની પારાવાર વેદના નજીકથી નિહાળી. રક્તપિત્તગ્રસ્ત એટલે અપંગમાં અપંગ, અસ્પૃશ્યમાં અસ્પૃશ્ય. લોહીના સગાઓથી તિરસ્કૃત, ગંદકીથી ખદબદતા ઝૂંપડાં કે ફૂટપાથ ઉપર મરવાના વાંકે કુતરાંથીય બદતર જિંદગી જીવતા માણસો. આ જિંદગી તેઓએ નજીકથી નિહાળી. ઘામાંથી પરું નીકળતા, કણસતા દર્દીઓને જોઈ તેઓ દ્રવી ઉઠ્યા. ભીખ માંગવા મજબૂર બનેલા આવા માણસોની આવી હાલત જોઈ હૃદય વલોવાયું. વડોદરાની ઝૂંપડપટ્ટીમાં ગયા. તરછોડાયેલા આવા નિઃસહાય રક્તપિત્ત ગ્રસ્તોની સેવામાં મન પરોવી દીધું. અને મનમાં વાળેલી ગાંઠ પ્રમાણે પ્રતિષ્ઠિત કોલેજના પ્રોફેસરની મોભાદાર નોકરીને તિલાંજલિ આપી અને આવા દરિદ્ર નારાયણની સેવાનો ભેખ ધારણ કર્યો.
           આ સમય દરમિયાન અમદાવાદના સુખી પતિવારમાં ઉછરેલા ઇન્દિરાબેન તરફથી વિવાહનો પ્રસ્તાવ આવ્યો. તો સામે પક્ષે સુરેશભાઈએ જિંદગી જીવવા માટેની શરતો વર્ણવતો 17 પાનાનો પત્ર લખ્યો. ઇન્દિરાબેનને એમ કે જુવાનીનું જોમ છે એટલે આવી શરતો લખે પરંતુ પરણ્યા પછી જવાબદારી આવશે એટલે બધું બરાબર ગોઠવાઈ જાશે. અને સઘળી શરતો મંજુર રાખી લગ્ન ગ્રંથિથી જોડાયાં. સુરેશભાઈ ને સુધારવાની ખેવના લઈને પરણેલા ઈન્દિરાબેન લગ્ન બાદ પોતે પણ સેવાના રંગે રંગાઈ ગયાં. 
         વડોદરાની ઝૂંપડપટ્ટીમાં આવા દર્દીઓની સેવા માટે શ્રમમંદિર નામે ચાલતા ટ્રસ્ટમાં રહી સુરેશભાઇ દર્દીઓની સેવા કરતા. પરંતુ સમય જતાં ટ્રસ્ટના સંચાલકો સાથે મતભેદ ઉભો થયો. સુરેશભાઈને આખરે ટ્રસ્ટ છોડવાનો વારો આવ્યો. ત્યાંના રહેવાસી દર્દીઓ રડતાં રડતાં કહેવા લાગ્યાં " જ્યાં તમે, ત્યાં અમે. અમે ફરી ભીખ માંગીશું. એમાં પહેલાં તમે કુટુંબ જમજો પછી અમે જમીશું. પણ અમે તમારાથી દૂર નહીં જઈએ. "
      સુરેશભાઈ પર જાણે કે ધર્મ સંકટ આવ્યું! હવે કરવું શું. આ દર્દીઓને લઇને જવું ક્યાં? પણ જ્યાં પરમાર્થનો મંત્ર છે ત્યાં પરમાત્માનો સાદ છે. સર્વોદય આશ્રમના રચનાત્મક કાર્યકર રામુભાઈ પટેલનો ફોન આવ્યો. અને તેઓએ કોઈ પણ જાતની શરત વગર 32 એકર જમીન દાનમાં આપી. અને આજથી બરાબર ત્રણ દાયકા પહેલા 1988 માં સાબરકાંઠામાં સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટની કામગીરી શરૂ કરી ત્યારે સંસ્થામાં સેવા મેળવતાં 20 રક્તપિત્તગ્રસ્તો અને 6 બાળકો હતાં આજે સુરેશભાઈ અને ઈન્દિરાબેનના સેવાના તપોબળથી આ ભૂમિ તીર્થ ભૂમિ બની છે. 
સહયોગ કૃષ્ઠયજ્ઞ એટલે સાબરકાંઠાના છેવાડે વસતું, શ્વસતું, ધબકતું મીની ઇન્ડિયા! સંવેદનાની સરવાણીના સરનામા સમ આ તીર્થસ્થાન પરિવારથી તરછોડાયેલા સમાજથી બહિષ્કૃત, રક્તપિત્તગ્રસ્ત ભારતના વિધ વિધ પ્રાંતના લોકો પોતાની પારાવાર વેદના વિસારી અહીં સન્માન પૂર્વક જિંદગી વિતાવી રહ્યાં છે. 
         સહયોગ એક સંસ્થા નહીં પણ એક ગામ છે. સાચા અર્થમાં ગોકુળિયું ગામ. જ્યાં વસતા લોકો એક નવી જ જિંદગી જીવી રહ્યાં છે. જેમાં રક્તપિત્તગ્રસ્તો, રક્તપિત્ત ગ્રસ્તોના બાળકો, મંદબુધ્ધિ વાળા ભાઈઓ, મંદબુદ્ધિ ધરાવતી મહિલાઓ છે. સૌ હળી મળીને રહે છે. આ સંસ્થા રક્તપિત્તગ્રસ્તોના અંદરોઅંદર લગ્ન કરાવે છે. આ ગામમાં ભારતભરમાં ઉજવાતા તમામ ઉત્સવો ઊજવાય છે. નંદનવન સમા આ ગોકુળીયા ગામમાં ગંદકી નથી. શહેરોની જેમ સડક , પાણી , વીજળી છે, ઘરે ઘરે શૌચાલય છે. દરેકના ઘર આંગણે તુલસી ક્યારો છે. રોજ સંધ્યા ટાણે ક્યારે ક્યારે દીવડા પ્રગટાવવામાં આવે છે. અહીં 24 કલાક ખુલ્લું રહેતું મંદિર છે. અહીં રોજ સાંજે સૌ ગ્રામવાસીઓ પ્રાર્થના કરવા ભેગા મળે છે. ચૂંટણી બૂથ છે જ્યાં 100% મતદાન થાય છે. એક સરકારી પ્રાથમિક શાળા છે જ્યાં અહીંના બાળકો અભ્યાસ કરે છે. 45 પથારીની અદ્યતન હોસ્પિટલ છે. જ્યાં આજુબાજુના ગામોના દર્દીઓ પણ સારવાર મેળવે છે.
         રક્તપિત્તગ્રસ્ત લોકોની સેવાથી પ્રારંભયેલો આ માનવતાનો સેવા યજ્ઞ હવે અબોલ પશુઓ સુધી પાહોંચ્યો છે. અહીં સુરેશભાઇ અને ઈન્દિરાબેન તેઓના સાથી ઓ સાથે મળી 37 જેટલી વૃદ્ધ અને અપંગ ગાયોની સેવા કરે.

             દેશભરમાંથી આવતા સેવાભાવી યાત્રીઓ માટે યાત્રી નિવાસ પણ છે. સુંદર પુસ્તકાલય અને વૈજ્ઞાનિક અભિગમ વિકસે તે માટે સાયન્સ કોર્નર પણ શરૂ કરાયો છે. 32 એકરમાં પથરાયેલું સેવા સુગંધથી પમરાટ પામેલું સંકુલ ગુજરાતની સેવાવૃત્તિનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. સુરેશભાઈના સેવા કર્યો ની સૌરભ દેશ દુનિયામાં પ્રસરી રહી. સુરેશભાઈએ આજીવન આદરેલા સેવા યજ્ઞની નોંધ ભારત સરકારે પણ લીધી. પદ્મશ્રી જેવા પ્રતિષ્ઠિત સન્માન થી તેમને નવાજવામાં આવ્યા. 

ડિસેમ્બર ૨૦૨૪ માં થાઇરોડના કેન્સરનું નિદાન થયું. નાદુરસ્ત તબિયત હોવા છતાં છેલ્લા શ્વાસ સુધી આશ્રમની સેવામાં પોતાની જાતને નીચોવી દીધી. છેલ્લા કેટલાય સમયથી વ્હીલ ચેર ના સહારે જ હરીફરી શકતા. શારીરિક પીડા પણ દિવસે દિવસે વધતી રહેતી એમ છતાં તેમના મુખ પરનું નિખાલસ બોખું સ્મિત જરાય કરમાવા દીધું નહી. અને છેલ્લે ૨૩ એપ્રિલે હિંમતનગર ની હોસ્પિટલમાં પૂર્ણ સંતોષ સાથે આંખો મીંચી દીધી. 
             નરસિંહે ગાયેલું 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે...' એ શબ્દોને સુરેશભાઈએ યથાર્થ જીવી બતાવ્યું છે. 
પિતાએ આરંભેલા સેવાયજ્ઞ અવિરત પ્રજ્વલિત રાખવા તેમના પુત્ર દીપકભાઈએ પોતાની ઉજ્જવળ કારકિર્દી, ધીખતો વ્યવસાય છોડીને સેવાનો ભેખ ધારણ કરી લીધો. સુરેશભાઈ ના વિરાટ સપનાને સાકાર કરવા ઇન્દિરાબેન અને દીપકભાઈને પ્રભુ બળ આપે એ જ પ્રાર્થના સાથે પુણ્યશ્લોક આત્મા સુરેશભાઈને હૃદયપૂર્વક ની ભાવાંજલિ !
સંપર્ક: દીપક સોની - +919825598900

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

 

Sunday, April 19, 2026

સન્ડે સ્પેશિયલ

કેવી હતી મોડાસા નગરપાલિકાની પ્રથમ  ચૂંટણી ? જયારે તમામ ઉમેદવારોએ કોઇપણ પક્ષના નિશાન સાથે ચૂંટણી લડવાના બદલે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું પસંદ કર્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો માહોલ ચરમસીમાએ છે. મોડાસા નગરપાલિકાની ચૂંટણી પણ ૨૬ એપ્રિલના રોજ યોજવા જઈ રહી છે. હાલ તો પ્રચારના પડઘમ વાગી રહ્યા છે પરંતુ બહુ ઓછા લોકોને મોડાસા નગરપાલિકાના ઈતિહાસ વિશેની જાણ હશે !  સૌથી પહેલાં મોડાસા મ્યુનિસિપાલિટી, એ પછી મોડાસા નગરપંચાયત અને ત્યાર બાદ મોડાસા  નગરપાલિકા સુધીની આ સફર ઘણી રોચક અને રસપ્રદ છે. આવો મોડાસા નગરપાલિકાના અસ્તિત્ત્વના  ઈતિહાસની કુંજગલીઓમાં એક લટાર મારીએ.

મોડાસા એક અતિ પ્રાચીન નગર છે. તેના તાર છેક પાષણયુગ સાથે જોડાયેલા છે. રાજા- રજવાડાં, મોઘલ આક્રમણો અને બ્રિટીશ હુકુમતનું   મોડાસા નગર તાજનું સાક્ષી રહ્યું છે. પ્રાચીન સમયથી મોડાસા નગરનું સ્થાન અત્યંત મહત્ત્વનું રહ્યું છે.

    અકબર બાદશાહના અમલમાં તેમના પ્રધાન ટોડરમલે સને ૧૫૭૯માં જમીનની માપણી કરી દર ઠરાવેલા, પણ તે મોડાસા સુધી આવેલો નહિ. ઈ. સ. 1818થી મોડાસા પર અંગ્રેજોએ હકૂમત સ્થાપી અને મોડાસા ડિવિઝન બન્યું. મોડાસાની વસ્તી સને 1825 માં 4059 હતી. મોડાસામાં જમીનની માપણી સને 1842થી 1846 સુધીમાં થઈ અને સને ૧૮૫૧માં વિઘોટી પ્રથા શરૂ થઈ. સમગ્ર વિસ્તારના ટોપોગ્રાફિકલ નકશા સને 1881માં બન્યા.

અમદાવાદની મ્યુનિસિપાલિટી સને 1857 માં સ્થપાઈ છે. અમદાવાદ જિલ્લાના એક ભાગ તરીકે સૌપ્રથમ પ્રાંતિજમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી. બીજી મ્યુનિસિપાલિટીપણ અમદાવાદ જિલ્લાના ભાગ તરીકે  તા. 1-10-1859 ના રોજ મોડાસા મ્યુનિસિપાલિટીની સ્થાપના થઈ. તે વખતે બધા જ સભ્યો સરકાર નીમતી હતી. સને 1879  માં ચૂંટણીનું ધોરણ દાખલ થયું, તે સને 1884માં વધીને પચાસ ટકા થયું. અડધા સભ્યોને લોકો ચૂંટે અને અડધા સરકાર નીમે. આવું પચીસ વર્ષ ચાલ્યું, પછી સને ૧૯૧૦માં બે ભાગના સભ્યો લોકો ચૂંટે અને એક ભાગના સરકાર નીમે એવું થયું. અત્યાર સુધી મહાલકારી પ્રમુખ હતા, હવે સભ્યોને પોતાનામાંથી પ્રમુખ ચૂંટવાની સત્તા મળી.સને ૧૯૨૫માં સરકારે મુસ્લિમો માટે અલગ મતદારમંડળ અને અનામત બેઠકો નક્કી કરીતે છેક સ્વરાજય આવ્યું ત્યાં લગી રહી. મોડાસા મ્યુનિસિપાલિટીના પહેલા ચૂંટાયેલા પ્રમુખ ખાનસાહેબ હાજી મહમદ ખાનજી હતા.

અંગ્રેજી અમલ દરમિયાન મોડાસાએ ઘણી લીલીસૂકી જોઈ છે. સને ૧૯૦૦માં કોલેરાએ કેર વર્તાવેલો; તે પછી આવ્યો છપ્પનિયો દુકાળ (સં. 1956). તે વખતે ગામડાંમાંથી ભૂખે મરતા લોકોનાં ટોળાં મોડાસામાં આવતાં. દુકાળમાં મોડાસામાં 1498 માણસો મરી ગયાની મ્યુનિસિપાલિટીના દફતરે નોંધ છે. આવું જ ફરી સને 1918માં બન્યું. પ્લેગ અને ઈન્ફલ્યુએન્જાએ અનેક માણસોનો ભોગ લીધો. ગામના લોકો ઘરબાર છોડી દૂર જંગલમાં છાપરાં બાંધી રહેલા. તેમ છતાં આવા ભયંકર દુકાળ, પ્લેગ, રોગ જેવા કપરા પ્રસંગોએ પણ ગામના લોકો રાહતની કામગીરી બજાવવાની પોતાની નૈતિક ફરજ ચૂક્યા નથી એની નોંધ લેવી જોઈએ.

સને 15-8-1947 ના રોજ દેશ સ્વતંત્ર થયો અને તા. 10-6-1948 ના રોજ સાબરકાંઠા જિલ્લો બન્યો, ત્યારે જિલ્લામાં દશ હજારથી વધારે વસ્તીવાળું ગામ એક માત્ર મોડાસા હતું. સ્વરાજય મળ્યા પછી ગુજરાતની આપણી સરકારને એવી ધૂન ચઢી કે એણે વીસ હજારથી ઓછી વસ્તીવાળાં ગામની મ્યુનિસિપાલિટીઓ બંધ કરી, તેની જગાએ નગરપંચાયતો ઊભી કરી, અને એ નગરપંચાયતોને તાલુકા પંચાયત હેઠળ મૂકી. આથી મોડાસાની પ્રગતિ ઘણી રૂંધાઈ. આવું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. સરકારે પ્રગટ કરેલું 'સાબરકાંઠા ગેઝેટિયર' ચોખ્ખું કહે છે કે 'મોડાસા છેક ખૂણે પડેલું હોવાથી અંગ્રેજી અમલમાં તેના પ્રત્યે કંઈ જ ધ્યાન અપાયું નથી.' વર્ષ 1938 માં મથુરદાસ મગનલાલ શાહ મોડાસા નગર પંચાયતના સભાપતિ તરીકે ચૂંટાયા હતા.  સ્વરાજય મળ્યા પછી મોડાસાનું મહત્ત્વ સ્વીકારાયું. મોડાસાની વસ્તી વીસ હજારનો આંક વટાવી ગઈ ને બાવીસ હજારની થઈ. મોડાસાને નગરપાલિકાનો દરજ્જો આપવાની લોકલાગણી તીવ્ર બની. તે પછી બબ્બે દશકા વીતી ગયા પછી 8 મી ઓક્ટોબર 1986 ના રોજ મોડાસાનું દાયકાઓ જૂનું સપનું સાકાર થયું. અને મોડાસા નગર પંચાયતને નગરપાલિકાનો દરજ્જો મળ્યો. ત્યારે ફરી પાછી તે સ્વતંત્ર નગરપાલિકા  થઈ.

           વર્ષ 1987 માં મોડાસા નગરપાલિકાની સૌપ્રથમ ચૂંટણી યોજાઈ. આ ચૂંટણી ખુબ રસપ્રદ અને રસાકસીભરી બની રહી. પ્રથમ ચૂંટણીમાં તમામ ઉમેદવારોએ  કોઇપણ પક્ષ સાથે જોડાયા વિના અપક્ષ તરીકે જ ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. એ સમયે  રાજકીય પક્ષોના રાજ્ય કક્ષાના નેતાઓએ ઉમેદવારોને રાજકીય પક્ષના નિશાન સાથે ચૂંટણી લડવા  સમજાવવાના પ્રયત્નો પણ  કરી જોયા પણ કોઈ ઉમેદવાર તે માટે તૈયાર થયા નહિ.  નગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી હતી એટલે ઉમેદવારો અને જનતામાં પણ ખુબ ઉત્સાહ હતો. ચૂંટણી પૂર્ણ થતાં પરિણામ જાહેર થયું. તારીખ 4 નવેમ્બર 1987ના રોજ  આફતાબહુસેન દુરાની નગરપાલિકાના પ્રથમ પ્રમુખ તરીકે સત્તારૂઢ થયા. 11 નવેમ્બર 1992 સુધી એમ  પૂરા પાંચ વર્ષ નગરપાલિકાનું સાશન અપક્ષ દ્વારા ચલાવવામાં આવ્યું. વર્ષ 1992 થી વર્ષ 1995 એમ ત્રણ વર્ષ  વહીવટદાર દ્વારા નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં આવ્યો. અને ત્યાર બાદ જાન્યુઆરી 1995 માં યોજાયેલી મોડાસા નગરપાલિકાની ચૂંટણી પક્ષના નિશાન સાથે લડવા લડવામાં આવી. જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. જાણીતા સમાજસેવક, મૃદુ અને મિતભાષી  કનુભાઈ આર. પટેલ  તારીખ  19 જાન્યુઆરી 1995ના રોજ નગરપાલિકાના પ્રમુખ તરીકેનું સુકાન સંભાળ્યું.  કમનસીબે એ સમયે નિયમોની આંટીઘૂંટી એવી હતી માત્ર એક વર્ષ માટે જ નગરપાલિકા પ્રમુખ પદની સત્તા મળતી. બીજા વર્ષે બીજા પ્રમુખની નિયુક્તિ કરવામાં આવતી.  આ એક વર્ષમાં પણ દૂરંદેશી કનુભાઈએ ઉદાહરણરૂપ નેતૃત્ત્વ પૂરું પાડ્યું. એ સમયે આફતાબહુસેન દુરાની વિરોધપક્ષના નેતા હતા. સત્તાપક્ષ અને વિરોધ પક્ષના બંને નેતાઓ નગર વિકાસના કાર્યોમાં ખભે ખભા મિલાવી આધુનિક મોડાસાના વિકાસને એક નવી દિશા પૂરી પાડી.  

          વર્ષ 1995 થી આજદિન સુધી મોડાસા નગરપાલિકા ભાજપનું સાશન બરકરાર રહ્યું છે. નગરપાલિકાની સ્થાપનાથી પ્રથમ પ્રમુખ આફતાબ હુસેન દુરાનીથી   માંડી છેલ્લા યુવા પ્રમુખ નીરજ શેઠ એમ  અઢાર જેટલા નગરપ્રમુખોનું સાશન મોડાસા નગરે નજીકથી નિહાળ્યું છે. મોડાસા નગરના વિકાસના પાયામાં મહિલા પ્રમુખોનું યોગદાન પણ ઓછું આંકી શકાય તેમ નથી. શ્રીમતી સુશીલાબેન ભોઈ, શ્રીમતી નીતાબેન એ. ભાવસાર, શ્રીમતી ગુણવંતીબેન કંસારા, વનીતાબેન પટેલ અને જલ્પાબેન ભાવસાર એમ પાંચ મહિલાએ મોડાસા નગરપાલિકાનું પ્રમુખપદ શોભાવ્યું છે. વનિતાબેન પટેલને કામ કરતાં નજીકથી નિહાળ્યાં છે. આગવી સુઝબુઝ, કુનેહ અને પારદર્શક વહીવટ થકી નગરપાલિકાને એક નવી ઉંચાઈએ લઇ જવામાં તેમનું યોગદાન અમુલ્ય છે.  

          શરૂઆતમાં મોડાસા નગરપાલિકાની કચેરી  બજાર વિસ્તારમાં  કોમર્શિયલ કોમ્લેક્ષમાં કાર્યાન્વિત હતું.  નવીન ભવનની તાતી જરૂરિયાત હતી. જેને દીર્ઘદૃષ્ટા પ્રમુખ  સુભાષભાઈ શાહએ ભારતના ગૃહ મંત્રી  અમિતભાઈ શાહને મળી જૂની મામલતદાર (કલેકટર) કચેરી નગરપાલિકાને ફાળવવા વિનંતી કરી.  અમિતભાઈ શાહે અંગત રસ લઈ તાત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ભલામણ કરી. પરિણામે  મોડાસા નગર પાલિકાને ઝર્ઝરિત બિલ્ડીંગમાંથી મુક્તિ મળી. 22 જુલાઈ 2019 ના રોજ કચેરી નવીન બિલ્ડીંગમાં લઇ  જવામાં આવી. નવીન બસ પોર્ટની પાછળની બાજુએ આવેલ જૂની મામલતદાર કચેરીમાં હાલ નગરપાલિકા કાર્યરત છે.  સુભાષભાઈ શાહે એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક  210 કરોડ ગ્રાન્ટ મંજૂર કરાવી સુદૃઢ વહીવટનો પરિચય કરાવ્યો. 

      મોડાસા નગરપાલિકાની સ્થાપના પછી મોડાસા ઘણું વિકસિત બન્યું છે એમાં કોઈ બેમત નથી. મોડાસા નગરના વિકાસ કાર્યોમાં જરૂર પડે સત્તા પક્ષનું ધ્યાન દોરવામાં વિરોધ પક્ષે પણ મહત્ત્વની ભૂમિકા અદા કરવાની જવાબદારી નિભાવી છે. મોડાસાના વિકાસમાં ચૂંટાયેલા તમામ પક્ષના પદાધિકારીઓથી માંડી વહીવટકુશળ અધિકારીઓનો પણ ફાળો રહ્યો છે.

 (સંદર્ભ : મારું ગામ મોડાસા : લે. – રમણલાલ સોની, ઇડર રાજ્યનો ઈતિહાસ : લે. દીનું ભદ્રેસીયા, ગુજરાતી વિશ્વકોષ)

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620

Sunday, April 12, 2026

સન્ડે સ્પેશિયલ

વરિષ્ઠ પત્રકાર આદરણીય  દેવેન્દ્ર પટેલ સાહેબે  સાડા ત્રણ દાયકા પહેલાં ઈરાકની ભૂમિ પર ખેલાયેલા યુદ્ધની અખબારમાં પ્રગટ કરેલી શ્રેણી  "રેગીસ્તાનમાં આંધી"  લોકો આજે પણ ભૂલી શાક્યા નથી.

-------------------------------------------------------------------  

જ્યારે એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું . : ગોલ્ફવોર 1991


    યુદ્ધ એક ઉન્માદ છે. માનવીના દિમાગ પર સવાર હોય ત્યારે એને રોકી શકાતું નથી. આખી દુનિયા અમેરિકા- ઇઝરાયેલ - ઈરાન વચ્ચે ખેલાઈ રહેલા યુદ્ધના ઉન્માદ વચ્ચે મોતનું તાંડવ મૂક સાક્ષી બની નિહાળી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે  ગઈકાલે યોજાયેલી વાટાઘાટો પણ નિષ્ફળ રહી છે. માનવતા વિસરી ચુકેલા વિશ્વના રાજનેતાઓ હજી કેટલી તારાજી નોતરશે એ કહેવું મુશ્કેલ છે.   પાછલા દાયકા ઓમાં જે કોઈ યુદ્ધો ખેલાયા છે એમાં સૌથી નોંધનીય યુદ્ધ 1991ની સાલનું "ગોલ્ફવોર" રહ્યું છે.

    આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે યુદ્ધની રજેરજની માહિતી ઉપલબ્ધ છે. યુદ્ધનાં ભયાનક  લાઇવ દૃશ્યો ટી. વી. ચેનલ પર પ્રસારિત થતાં જોઈ શકાય છે. પરંતુ આજથી સાડા ત્રણ દાયકા પહેલાં "ગલ્ફ્વોર" ખેલાયું ત્યારે ટેકનોલોજી આજના જેટલી પાવરફુલ નોહતી કે માહિતી પ્રસારણ  સંસાધનો કે  ઈન્ટરનેટની  સુવિધા પણ  પુરતી ઉપલબ્ધ ન હતી. ત્યારે યુદ્ધનું કવરેજ કરી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કાર્ય પડકાર રૂપ હતું. એવા સમયે વરિષ્ઠ  પત્રકાર  દેવેન્દ્ર પટેલે આખા યુદ્ધનો રોજે રોજનો અહેવાલ ચિત્રાત્મક શબ્દોમાં "રેગીસ્તાનમાં આંધી" શિર્ષક હેઠળ અખબારમાં  પ્રગટ થયા. યુદ્ધની શરૂઆતથી અંત સુધીનું આ જબરજસ્ત કવરેજ એટલું દમદાર હતું કે લોકો આજે પણ એ કાવરેજની કોલમને ભૂલી શક્યા નથી. નિયમિત ચાલેલી કોલમ "ગોલ્ફ વોર" પુસ્તક રૂપે પ્રગટ થઈ.

       આજથી ત્રણ દાયકા પહેલાં 1991માં અમેરિકા અને ઇરાક વચ્ચે ભયંકર યુદ્ધ ખેલાયું હતું. અમેરિકાના પ્રેસિડેન્ટ બુશ અને ઇરાકના સર્વેસર્વા સદ્દામ હુસેન આમને સામને હતા. આ યુદ્ધની શરૂઆતનું  દિલધડક પ્રકરણ અહીં અક્ષરશઃ પ્રસ્તુત છે.

         "તા . ૧૮-૧-૧૯૯૧ 

        આખરે અખાતમાં આગ લાગી જ ગઈ છે. ૧૫ મી જાન્યુઆરીની મહેતલ વીતી ગયા બાદ પણ ઈરાકે કુવૈત ખાલી ન કરતાં અપેક્ષા મુજબ જ થોડા કલાકોના તનાવપૂર્ણ અજંપા બાદ અમેરિકા અને સાથી દળોએ ગઈ મધરાત વીતી ગયા બાદ ઈરાકીઓ પાછલી રાતની મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે પરોઢે ૩-૪૦ વાગ્યે આખાયે ઈરાકને હચમચાવી મૂક્યું હતું. એકસાથે ૪૦૦ જેટલાં વિમાનોએ ઈરાક પર ચઢાઈ કરી હતી અને બગદાદને ધ્રૂજવી મૂક્યું હતું. આજે અમેરિકા, બ્રિટન, કુવૈત તથા સાઉદી અરેબિયાનાં વિમાનોએ એકસાથે પ્રથમ હવાઈ હુમલામાં ભાગ લીધો હતો. 
        આકાશને ગજવી મૂકતા આ પ્રથમ પ્રહાર દરમિયાન ૬૭ જેટલાં રિફાઈનરીઓ, ઍર બેઈઝ, રેડિયો મથક અને ટી.વી. સ્ટેશનોને હવાઈ હુમલાનાં લક્ષ્ય બનાવવામાં આવ્યાં હતાં. આ હુમલા દરમિયાન ઈરાકને પારાવાર નુકસાન થયું હોવાનું મનાય છે. સદ્દામ હુસેનના બગદાદ ખાતેના મહેલને પણ લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો. આ મહેલને કેટલું નુકસાન થયું છે તેની સત્તાવાર માહિતી મળતી નથી. પરંતુ પ્રથમ હવાઈહુમલા દરમિયાન જ બગદાદમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. ટીવી સ્ટેશન બંધ થઈ ગયું હતું. ઈરાકનો સંદેશાવ્યવહાર પણ જામ કરી દેવામાં આવ્યો હતો. 
        આ હુમલો કરતાં પહેલાં અમેરિકાએ યુદ્ધજહાજમાંથી એક ક્રુઝ મિસાઇલ પણ છોડી હતી. આ હુમલાના જવાબમાં ઈરાકે પણ સાઉદી અરેબિયા તરફ મિસાઇલ છોડી હતી અને તે દરમિયાન સાઉદીની ઑઇલ રિફાઈનરીને પણ નુકસાન થયું હોવાનું કહેવાય છે. 
         યુદ્ધના આરંભનો હુકમ આપતાં પહેલાં પ્રેસિડન્ટ બુશે પેન્ટેગોનના ટોચના સાથીઓ સાથે ગંભીર ચર્ચાઓ કરી લીધી હતી. યુદ્ધનો આદેશ આપીને તેઓ સુઈ ગયા હતા અને સવારે રાબેતા મુજબ ઊઠ્યા બાદ તેમણે કેજ્યુઅલ ડ્રેસમાં ડિફેન્સ સેક્રેટરી ડીક ચેઈની તથા વિદેશ સચિવ જેમ્સ બેકર સાથે સવારનો બ્રેકફાસ્ટ લેતાં લેતાં રાતના પ્રથમ હવાઈહુમલાની વિગતો મેળવી હતી.
        અમેરિકા અને સાથી દળોએ એકસાથે ચારસો વિમાનો દ્વારા હવાઈ હુમલો કરી ૬૭ જેટલાં સ્થળો પર આજ બપોર સુધીમાં ૧૦ હજાર બૉમ્બ ફેંક્યા હતા જેના દારૂગોળાનું કુલ વજન ૧૮ હજાર ટન જેટલું થાય છે. આ બૉમ્બવર્ષા દરમિયાન નાગરિક વસ્તીને બચાવી લેવાનો પ્રયાસ થયો છે .
    બગદાદથી મળતા સમાચાર પ્રમાણે બે દિવસ પહેલાંથી જ બગદાદમાંથી મોટાભાગના લોકો શહેર ખાલી કરીને દૂર દૂર તેમનાં સગાંસંબંધીઓને ત્યાં રહેવા ચાલ્યા ગયા છે. રડચાખડ્યા લોકો આજની બૉમ્બવર્ષ બાદ સૂટકેસો લઈને શહેર છોડતા જણાતા હતા. અલબત્ત, યુદ્ધનું કવરેજ કરવા ગયેલા પત્રકારો બગદાદની અલ - મન્સુર હોટલમાં છે અને તેઓ શક્ય તેટલી ભરપૂર માહિતી તેમની સમાચાર સંસ્થાઓને કે ટેલિવિઝન કંપનીઓને મોકલી આપે છે. બગદાદમાંથી ઠેર ઠેર ઊઠતા ધુમાડાઓનાં વર્ણન તેમણે મોકલી આપ્યાં છે. 
     ‘સદ્દામ હુસેન જીવે છે કે કેમ ?' - તેવા એક ટેલિવિઝન પ્રસારણ દરમિયાનના પ્રશ્નમાં બગદાદના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, તેઓ બિલકુલ હયાત છે. આગલી રાત્રે જ પ્રેસિડન્ટ સદ્દામ હુસેને બગદાદ રેડિયો પરથી ઈરાકની પ્રજાજોગ વાયુપ્રવચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ યુદ્ધ બાદ પ્રેસિડન્ટ બુશે વ્હાઈટ હાઉસ ખાલી કરી નાખવું પડશે. 
         અલબત્ત, સદ્દામની આ ઇચ્છા આજનું યુદ્ધ જોતાં ફળીભૂત થાય તેમ જણાતી નથી. અમેરિકાનાં એફ-૧૫ અને બ્રિટનનાં ટોર્નેડો વિમાનોએ ઈરાક પર કાળો કેર વર્તાવ્યો છે. વૉશિંગ્ટનનું વ્હાઈટ હાઉસ રંગમાં આવી ગયું છે. લંડન ખાતેના ઈરાકના એલચી આજે લંડનમાં પ્રેસ બ્રીફીંમ વખતે લગભગ રડવા જેવા થઈ ગયા હતા.
       આજનો દિવસ અમેરિકા અને સાથી દળોનો દિવસ હતો. અમેરિકા - બ્રિટનનાં તાલીમી પાઇલટોએ હાઈ-ટેક યંત્રોનો તથા કૉમ્પ્યૂટર્સનો બરાબર ઉપયોગ કરીને નિશાન બરાબર તાક્યાં છે. ઈરાકનાં લશ્કરી થાણાં, રિફાઈનરીઓ, ઍર બેસ તથા ટીવી સ્ટેશનોનું ચોક્કસ સ્થળ શોધી આપવા માટે જાસૂસી ઉપગ્રહોએ કરેલી મદદ અદ્ભુત હતી. લશ્કરી નિષ્ણાતો માને છે કે અમેરિકાએ આ યુદ્ધ માટે જે ટેક્નૉલૉજી મેદાનમાં ઉતારી છે તે ટેક્નૉલૉજી જ ઈરાકને માત કરવા માટે પૂરતી છે. 
    અમેરિકાના લશ્કરી વડા જનરલ પોવેલે કહ્યું છે કે, જો પરિસ્થિતિ આમ જ ચાલુ રહેશે તો ઈરાક કદાચ વહેલું શરણાગતિ સ્વીકારી લેશે. 
        અલબત્ત, પ્રેસિડન્ટ સદ્દામ હુસેને આજ રાત સુધીમાં તેમનાં હુકમનાં પત્તાં હજી ખોલ્યાં નથી. ઝેરી ગૅસ અને ખતરનાક જંતુઓ ભરેલી મિસાઇલો હજી છોડી નથી. એથીયે વધુ ગંભીર વાત તો એ છે કે ઈરાક પાસે ફૂડ બનાવટનો અણુબૉમ્બ પણ હોવાની કેટલાકને આશંકા છે. સદ્દામે યુદ્ધ શરૂ થવાના બે દિવસ પહેલાં જ એવો ઇશારો આપ્યો હતો કે જરૂર પડશે તો હું આશ્ચર્યજનક શસ્ત્ર વાપરીશ. આ આશ્ચર્યજનક શસ્ત્ર તે કદાચ અણુબૉમ્બ પણ હોઈ શકે. પેન્ટેગોનના નિષ્ણાતો માને છે કે ઈરાક પાસે જટિલ પ્રકારનો અણુબૉમ્બ હોવાની શક્યતા નથી, પરંતુ રેડીએશન ફેલાવે તેવો કોઈ પણ બૉમ્બ હોવાની શક્યતા છે. પેન્ટેગોન ઈરાકના આ પરમાણુ ક્ષેત્રને શોધી રહ્યું છે અને તેનો તત્કાલવિનાશ કરવા માગે છે.
         કેટલાક વખત અગાઉ સદ્દામ હુસેને કહ્યું હતું કે , ઈરાક એ એવું પહેલું રાષ્ટ્ર હશે જેની પાસે અણુબૉમ્બ હશે. 
         ઇતિહાસ એવો છે કે ૧૯૭૭ ની સાલથી ઈરાકે ફ્રાન્સની બનાવટનું એક નુકલીઅર રિએકટર નાખવાની શરૂઆત કરી હતી. આ પ્રોજેકટ સંશોધન માટે હોવાનું ઈરાકે જણાવ્યું હતું. આ સ્થળ બગદાદથી ૧૭ કિલોમીટર દૂર દક્ષિણ - પશ્ચિમમાં અલ - તુવાઈથા ખાતે આવેલું છે. ચાર વર્ષ બાદ ખબર પડી હતી કે આ રિએકટર ખરેખર તો પ્લુટોનિયમ બનાવવા માટે હતું અને તે રસાયણનો ઉપયોગ અણુબૉમ્બ બનાવવા માટે કરવાનો હતો. ઇઝરાયલે પાછલાં વર્ષોના યુદ્ધ દરમિયાન આ રિએકટર બૉમ્બમારો કરી નષ્ટ કરી દીધું હતું. 
આ ઘટના બાદ ઈરાકે ભૂગર્ભ સપ્લાયરો પાસેથી બૉમ્બ - ગ્રેડ મટીરિયલ ખરીદવા માંડ્યું હતું. ૧૯૮૨ માં ઈરાકે ઈટાલી સ્થિત દાણચોરને ૬૦ મિલિયન ડૉલર ચૂકવીને પ્લુટોનિયમ તથા એનરીશ્ડ યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો. પણ અમેરિકા માને છે કે ઈટાલીના દાણચોરોએ પૈસા લઈ લીધા હતા અને ઈરાકને કંઈ જ આપ્યું નહોતું.
        ત્રીજા પ્રયાસમાં ઈરાકે નુકલીઅર કલબમાં જોડાઈને યુરેનિયમ મેળવવા પ્રયાસ કર્યો હતો . આ માટેનું મટીરિયલ એણે બ્રાઝીલ, ચીન અને નીગર પાસેથી મેળવ્યું હોવાનું જણાય છે. જરૂરી ખનીજ મેળવવા ઈરાકે પોતાના દેશમાં પણ ખોદકામ કર્યું હોવાનું મનાય છે. ત્યાર બાદ કેટલીક ટેક્નૉલૉજી તેણે એક ખાનગી બ્રિટિશ પેઢી પાસેથી ખરીદી હોય તેમ લાગે છે. આ ઉપરાંત કેટલાંક ઇલેક્ટ્રૉનિક્સ કેપેસીટર્સ જે ઈરાક લઈ જવાનાં હતાં તે પણ લંડનના હીથરો ઍરપોર્ટ પરથી પકડાયાં હતાં. આ કેપેસીટર્સ નુકલીઅર બૉમ્બ બનાવવા માટે વપરાય છે. હાલ સદ્દામ પાસે જે એનરીશ્ડ યુરેનિયમ છે તેમાંથી ઈરાક નાગાસાકી પર વપરાયેલા બૉમ્બ જેવડો અણુબૉમ્બ બનાવી શકે તેમ છે. 
         આવો કોઈ બૉમ્બ એણે બનાવ્યો છે કે કેમ તેના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી. છતાં અમેરિકા કોઈ જ ચાન્સ લેવા માગતું નથી. અમેરિકા અને સાથી દળો જો હોય તો ! ઈરાકના છૂપા અણુક્ષેત્રને શોધી રહ્યાં છે. આ વખતના અખાતી યુદ્ધમાં અગાઉના કોઈ મેદાને જંગમાં જોવા નહિ મળેલી કેટલીક વિશિષ્ટ ને નવી ઘટનાઓ જાણવા મળી છે.
       અગાઉ કોઈ યુદ્ધમાં ઉપયોગમાં નહિ લેવાયેલા એવિયોનિક્સની ચકાસણી આ વખતે બગદાદ ઉપર થઈ. આને કારણે પ્રસીશન બૉમ્બિંગ થઈ શકે છે અને ધાર્યા પ્રમાણેનું પિન - પૉઇન્ટ નિશાન લઈ શકાય છે. 
     બગદાદની અલ - રયદી હોટલમાં ઊતરેલા અમેરિકાના સંવાદદાતાઓને ઈરાકે જીવંત રિપોર્ટિંગ કરવાની પરવાનગી આપી છે.
        બહુ રાષ્ટ્રીય દળોના આક્રમણના પ્રથમ દસ કલાકમાં જ ઈરાકના લક્ષ્યાંકો ઉપ૨ ૧૮ હજાર ટન જેટલી વિસ્ફોટક સામગ્રી વરસાવી દેવામાં આવી છે. ઈતિહાસમાં આ હવાઈ આક્રમણ કદાચ સૌથી મોટું બની રહેશે. બીજા વિશ્વયુદ્ધ પછી વિવિધ સાથી રાષ્ટ્રોનાં દળો ક્યારેય આટલી મોટી સંખ્યામાં એકત્રિત થયાં નથી. ઈરાકની રાસાયણિક જૈવિક શસ્ત્રો બનાવતી ફૅકટરીઓનું અસ્તિત્વ ભૂંસી નાખવામાં આવ્યું છે.
        બગદાદ તો દોઝખ બની ગયું છે. ૪૦ લાખની વસ્તી ધરાવતું આ પાટનગર ટાવરિંગ ઇન્ફર્નો બની ગયું છે. બહુ રાષ્ટ્રીય દળોમાં ૨૮ દેશોનાં દળો ભાગ લઈ રહ્યાં છે. વિજાણુ સંચાલિત પિન - પૉઇન્ટ બૉમ્બિંગથી ઇરાકના સંરક્ષણ ખાતાના તથા ટેલિકૉમ્યુનિકેશન્સ સેન્ટરને પણ ઉડાવી દેવાયું છે. વિજાણુ આક્રમણથી ઈરાકની રાડાર તથા મિસાઇલ ગાઇડન્સ સિસ્ટમો મૃતપ્રાય બની ગઈ છે. લાશોની ગણતરી કરવાનું હજુ શક્ય બન્યું નથી . હૉસ્પિટલો ઘવાયેલાઓને દાખલ કરવા માટે સજ્જ છે.
       બગદાદથી થોડાક કિલોમીટર દૂર આવેલી ઈરાકની અણુ સવલત પણ તારાજ થઈ ગઈ છે. ૧૯૫૪ પછી જન્મેલા તમામ ઈરાકી મર્દોને શસ્ત્રો ઉઠાવવા સદ્દામ હુસેને અપીલ કરી છે." 
      18 જાન્યુઆરી 1991ના દિવસનો યુદ્ધ અહેવાલ અહીં પૂરો થાય છે. પરંતુ સમગ્ર યુદ્ધનો દિલચસ્પ વૃતાંત વાંચવા દેવેન્દ્ર  પટેલ લિખિત ગલ્ફવોર પુસ્તક વાંચવું રહ્યું.  

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, April 5, 2026

સન્ડે સ્પેશિયલ

રેશમા તેના સાવ વેર-વિખેર થયેલ જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. .

જિંદગીની ચાલને સમજવી અકળ છે. જીંદગી વ્યક્તિને રોલરકોસ્ટરની જેમ ક્યારેક આસમાની ઉંચાઈએ લઇ જાય છે તો બીજી જ પળે નીચે ધરતી લાવી પટકે છે.  રોજીંદા જીવનમાં ઘટતી કેટલીક સાધારણ કહી શકાય તેવી ઘટનાઓ વ્યક્તિને એટલી છિન્નભિન્ન કરી મુકે છે કે જીવન જ જાણે અભિશાપ બની જાય ! રેશમાની જીવનનૌકા પણ એવા કિનારે આવી લાંઘરી છે, જ્યાં કિનારો તો છે પણ દૂર દૂર સુધી મંજીલ ક્યાંય દેખાતી નથી.

રેશમાનો જન્મ અમદાવાદના એક સુખી પરિવારમાં થયો. પિતા સરકારી ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા હતા અને માતા ગૃહિણી. રેશમાને બીજી ત્રણ બહેનો અને એક ભાઈ હતો. બહેનો અને ભાઈ ભણવામાં પણ ખુબ તેજસ્વી હતાં. અમદાવાદની સારામાં સારી સ્કૂલમાં તેને મુકવામાં આવી. રેશમાનું બાળપણ તો ખૂબ જાહોજલાલીમાં વીત્યું. બાળપણથી જ રેશમા ખુબ લાગણીશીલ હતી. ઘરમાં કોઈ ઊંચા આવજે કાંઈ બોલી જાય તો પણ તેનું નાજુક હૃદય તેને સહન કરી શકાતું નહિ. રેશમા નાની સરખી ઘટનાની પણ હૃદય પર ઊંડી અસર અનુભવતી. ઘરમાં માતા-પિતા વચ્ચે થતી સાધારણ બોલાચાલી રેશમાના મનની શાંતિ ડહોળી નાખતી.

સમય વહેતો રહ્યો. રેશમાના માતા-પિતા વચ્ચેની સાધારણ બોલાચાલીએ હવે કજિયાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. રોજના રોજના કજિયાએ એક હસતા-રમતા પરિવારની શાંતિ ડહોળી મૂકી. પિતાનો સ્વભાવ દિવસે દિવસે વધુને વધુ ઉગ્ર બની રહ્યો હતો. હવે પારિવારિક કજિયો હિંસામાં પરિવર્તિત થવા લાગ્યો.  રેશમાના પિતા તેની માતા સાથે મારઝૂડ કરવા લાગ્યા. પરિવારના આ કલુષિત વાતાવરણે રેશમાના મનનો ચેન જ હરી લીધો. શાંત સરોવરમાં એક કાંકરી નાખતાં જેટલાં વમળો ઉદભવે તેના કરતાં અનેકઘણાં વમળોએ રેશમાના કુમળા મનનો ભરડો લીધો. આવા નાજુક સમયે તેનાં દાદીમાં તેને સાચવી લેતાં.

પરિવારના રોજ રોજના થતા ઝઘડાની વચ્ચે રેશમા દસમા ધોરણમાં સારું પરિણામ લાવી. પણ હવે પિતાના ઉગ્ર સ્વભાવનો ભોગ સંતાનો પણ બનવા લાગ્યા. મારઝૂડ – અભદ્ર ગાળોએ ઘરને જાણે રણસંગ્રામ બનાવી દીધું હતું. હવે રેશમાનું મન ભણવામાં લાગતું જ નહિ. તે સાવ સુન્ન બની ગઈ. અગિયારમું ધોરણ માંડ પસાર કર્યું. બારમા ધોરણમાં તો અભ્યાસ પ્રત્યે તે સાવ નિરશ બની ગઈ. બારમા ધોરણમાં સારું પરિણામ લાવવા માતા-પિતાનું દબાણ પણ વધી રહ્યું હતું. હવે રેશમા જબરજસ્ત માનસિક તાણ અનુભવવા લાગી. એક બપોરે રેશમા બેભાન થઈ ઢળી પડી. તેના શરીરની નસો ખેંચાઈ રહી હતી. તેના મોઢામાં ફીણ આવી ગયાં હતાં. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી.

જરૂરી તપાસ કર્યા બાદ તબીબોએ નિદાન કર્યું કે રેશમા હિસ્ટીરીયા (વાઈ)ના રોગનો ભોગ બની છે. આજીવન દવા લેવી અને ટ્રેસ  મુક્ત જીવન  એ જ આ રોગનો ઉપચાર છે. રેશમા માટે આ ખૂબ મોટો આઘાત હતો. બીમારીને કારણે એક સમયની તેજસ્વી વિદ્યાર્થીની બારમા ધોરણમાં નાપાસ થઈ. જેમની હૂંફથી નાજુક સમયમાં રેશમા ટકી રહી હતી તે દાદીમા પણ એ જ સમયે મૃત્યુ પામ્યાં. જીવનમાં એક પછી એક આવતા આઘાતો રેશમાનું મન સહન કરી શક્યું નહિ. એ જ અરસામાં ગુજરાતમાં આવેલા ભૂકંપને કારણે અત્યંત ભયભીત બની ગઈ. રેશમા હવે તેનું માનસિક સંતુલન ગુમાવી રહી હતી. કયારેક હસવાનું ચાલુ કરે તો બંધ જ ન થાય. એ જ રીતે ક્યારેક કોઈ જ કારણ વિના રડવાનું શરૂ કરે તો તેને શાંત કરવી મુશ્કેલ બની જતું.

માતા-પિતા અને ભાઈ-બહેનોને  ક્યારેક તો એમ લાગતું કે રેશમા આ બધું નાટક કરી રહી છે.  પરિવારે ભૂત-ભુઆ, દોરા-ધાગાનો સહારો લીધો. દિવસે-દિવસે રેશમાની સ્થિતિ વધુ નાજુક બની રહી હતી. છેવટે રેશમાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી.તબીબોએ જે નિદાન કર્યું તે ચોકાવી દેનારું હતું. રેશમા સ્કિઝોફ્રેનીયા ( Schizophrenia) નામના એક ગંભીર માનસિક રોગનો શિકાર બની ચૂકી હતી. આ એક એવી બીમારી છે તેનો કોઈ સંપૂર્ણ ઈલાજ નથી. દવા અને થેરેપી દ્વારા તેને માત્ર નિયંત્રિત કરી શકાય છે. રેશમા માટે દવા એ જ માત્ર એક સહારો હતો.

બીમારીમાં એક વર્ષ તે ઘરે જ બેસી રહી. નિયમિત દવાથી તેના સ્વાથ્યમાં સુધારો આવ્યો. અને બીજા વર્ષે બારમું ધોરણ પાસ કર્યું. બીજી બહેનો ભણીને ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. એટલે રેશ્માને ને પણ કોઇપણ ભોગે આગળ ભણવું હતું. બારમા ધોરણ પછી રેશમાએ સૌરાષ્ટ્રની એક પોલિટેકનીક કોલેજમાં પ્રવેશ મેળવી ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ ચાલુ કર્યો. અભ્યાસ દરમિયાન પણ મન ક્યારેક વિચારે ચડી જતું. દવાના સહારે એ શાંત થઇ શકાતું. પણ ક્યારેક ક્યારેક વાઈ આવી જતી. તેની આવી સ્થિતિ જોઈ તેની ફ્રેઇન્ડસ ગભરાઈ જતી. ધીમે ધીમે એમના માટે સ્થિતિ  નોર્મલ લાગવા લાગી.  એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. પણ ઘરના વાતાવારણમાં કોઈ પરિવર્તન નોહ્તું આવ્યું,

રેશમાએ હવે નોકરી શોધી લીધી. દર મહીને એક  ચોક્કસ રકમ એના હાથ પર આવવા લાગી. તે તેના મોજ શોખ પુરા કરવા લાગી. પણ એનું મન કોઈ એક જગ્યાએ સ્થિર રહી શકતું નહોતું. દર ત્રણ મહીને એ નોકરી છોડી, નવી નોકરી શોધી લેતી. રેશમા નવી જિંદગી જીવવાની શોધ કર્યા કરતી પણ પેલી બીમારી તેનો પીછો છોડતી જ નહોતી. એક સમયે તેના માતા-પિતા વચ્ચે તો ઝઘડો ચરમસીમાએ પહોંચ્યો અને બંને એકબીજાથી અલગ થઇ ગયાં. રેશમા એક આઘાતમાંથી માંડ બહાર નીકળે ત્યાં બીજો આઘાત એની પ્રતીક્ષા કરતો ઊભો જ હોય !

રેશમાએ  અહી નોકરી છોડી પરિવારથી દૂર જવાનું નક્કી કરી લીધું. તેના આવજની મધુરતા અને  ભાષા પરની પક્કડ ખૂબ સારી હતી.  માઉન્ટ આબુ જઈ રેડિયો જોકીની ટ્રેઈનીંગ લઈ ત્યાંના જ રેડિયો સ્ટેશન પર નોકરી લાગી ગઈ. તેના મધુર આવાજ ઘેર ઘેર ગૂંજવા લાગ્યો. રેડિયો પર રેશમાનો અવાજ સાંભળી કોઈ કલ્પી પણ ન શકે કે આ મધુર  અવાજ ભીતર  કેટલી વેદના છુપાયેલી છે !   

રેશમા પાંત્રીસે પહોંચી ચૂકી હતી. લગ્નની ઉંમર ક્યારની વટાવી ચુકી હતી. બીમારીને કારણે તેનો હાથ પકડવા કોઈ જલ્દી તૈયાર થતું નહીં.. બીમારીની જાણ હોવા છતાં  એક યુવકે રેશમાનો હાથ પકડવાની તૈયારી બતાવી. યુવકને અને તેના પરિવારને રેશમાની બિમારીની તમામ બાબતોથી અવગત કરવામાં આવ્યાં. એ પરિવાર રેશમાને બીમારી સાથે સ્વીકારવા તૈયાર હતો.  ધૂમધામથી લગ્ન યોજાયા. આ લગ્નમાં  તેના પિતા હાજર ન રહ્યા. તેની માતાએ રેશમાને વિદાય આપી. રેશમાના જીવનમાં જાણે સુખનો  સુરજ ઊગ્યો! પણ સુખનો સુરજ મધ્યાહને પહોંચતા પહેલાં જ આથમી ગયો. લગ્નના પાંચમા દિવસે જ રેશમાને બેભાન થઈ ઢળી પડી. તેનાં અંગો ખેંચવા લાગ્યા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યું. આખો પરિવાર ગભરાઈ ગયો. અને રેશમાને તેના ઘરે મૂકી આવ્યો. ગણતરીના દિવસોમાં છુટા છેડા થઇ ગયા. રેશમાના ઘરેણા અને રૂપિયા પણ પરિવારે પચાવી પડ્યા.

રેશમાની માનસિક સ્થિતિ એ હદે નાજુક બની ગઈ કે તે સંતુલન ગુમાવી બેઠી. તેના વર્તન પરનો કાબુ તે ગુમાવી બેઠી. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જતો. જેના કારણે  પોતાની જાતને પણ ગંભીર ઈજાઓ પહોચાડતી. તેની સ્થિતિ દયનીય બની ગઈ હતી.  તેને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બીજા પાગલો સાથે તેને રાખવામાં આવી. ઇલેક્ટ્રિક શોક આપવામાં આવ્યા. તેની સ્થિતિ સુધરતાં મહિનાઓ લાગી ગયા. રેશમાની આ સ્થિતિ તેના માતા-પિતા, ભાઈ અને બહેનો માટે પણ પડકાર રૂપ બની ગઈ હતી.

સમાજમાં સન્માન સાથે જીવવું તેના માટે દુષ્કળ બની ગયું. એક સમયની તેજસ્વી અને પ્રતિભાવાન રેશમા છેવટે ગુજરાતની એક જાણીતી સેવાભાવી સંસ્થામાં તેણે નિરાશ્રીતોની સાથે આશ્રય લેવા મજબૂર બની. અહી તેને યોગ્ય સારવાર મળી, હૂંફ મળી, સન્માનજનક જીવન મળ્યું જેના પરિણામે માનસિક અપ્રતિમ શાંતિનો અનુભવ થતાં તેની સ્થિતિમાં ચમત્કારિક પરિવર્તન આવવા લાગ્યું. રેશમના પ્રત્યેક દિવસ ઝંઝાવાતની જેમ વીત્યા છે.  રેશમા તેના સાવ વેર-વિખેર થયેલા જીવતરને ફરીથી શણગારવા મથી રહી છે. રેશમા હાલ તેની આત્મકથા લખી રહી છે.   

પરિવારના નાના-નાના  ઝઘડા, કલુષિત વાતાવરણ એક હસતી-રમતી કોમળ જિંદગીને કેટલી હદે તહસ-નહસ કરી નાખે છે ! રેશમાના ઝંઝાવાતી જીવનમાંથી બોધપાઠ લેવો રહ્યો.  

(સત્ય ઘટના - નામ પરિવર્તિત )

- ઈશ્વર પ્રજાપતિ 
9825142620

Sunday, March 29, 2026

સન્ડે સ્પેશિયલ

"અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," વૃદ્ધ માતાપિતાના આ શબ્દો પાછળ નફરત નહીં  પણ પોતાના પુત્ર પ્રત્યેનો  અપાર પ્રેમ અને કરુણા હતી.

   જીવન એક વરદાન છે, પરંતુ ક્યારેક એવું વરદાન અભિશાપ બની જાય છે કે મૃત્યુ જ એકમાત્ર આશાની કિરણ દેખાય છે. દિલ્હીના રહેવાસી હરીશ રાણાના કિસ્સામાં આ વાત અક્ષરશઃ સાચી ઠરે છે. ૧૩ વર્ષથી કોમા જેવી સ્થિતિમાં રહેલા હરીશના જીવનની આસપાસ વણાયેલી વેદના, તેના વૃદ્ધ માતા-પિતાનો લાચાર સંઘર્ષ અને અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલી ઈચ્છા મૃત્યુની અરજી – આ એક એવી દાસ્તાન છે જે પથ્થર દિલના માણસને પણ હચમચાવી મૂકે.

     હરીશ રાણા એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારનો યુવાન હતો. તે સમયે તેની ઉંમર માત્ર ૨૦-૨૧ વર્ષની હતી. તે ઉત્સાહથી ભરેલો હતો અને પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યના સપના જોતો હતો. હરીશ ભણવામાં અને કામકાજમાં હોશિયાર હતો. વર્ષ 2013માં પંજાબ યુનિવર્સિટીના  એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે હરીશના સપનાઓ આસમાને હતા, પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વર્ષ ૨૦૧૩માં એક દુર્ઘટનાએ બધું જ બદલી નાખ્યું. હરીશ પીજીના ચોથા માળેથી નીચે પટકાયો. આ અકસ્માતે  હરીશને મગજમાં ગંભીર ઈજા  થઈ.આ અકસ્માતે તેને 100 ટકા ક્વાડ્રિપ્લેજિક અપંગતા આપી. તે કાયમી ધોરણે Permanent Vegetative State - PVS) માં ધકેલાઈ ગયો. છેલ્લા 13 વર્ષથી તે ન તો હલનચલન કરી શકતો હતો, ન તો બોલી શકતો હતો; તે માત્ર શ્વાસ લઈ રહ્યો હતો.આ અકસ્માત બાદ તે ક્યારેય પોતાના પગ પર ઊભો થઈ શક્યો નહીં. એક ક્ષણની દુર્ઘટનાએ એક હસતા-રમતા યુવાનને પથારીવશ કરી દીધો.

        હરીશના પિતા અશોક રાણા અને માતા નિર્મલા દેવી માટે આ આઘાત સહન કરવો અશક્ય હતો. એક યુવાન પુત્ર જે વૃદ્ધાવસ્થાની લાકડી બનવાનો હતો, તે આજે પથારીમાં જીવતું મડદું બનીને પડ્યો હતો. માતા પિતા માટે જીવન જ જાણે નર્ક બની ગયું.  હરીશના પિતા સાધારણ નોકરી કરતા હતા. પુત્રની સારવારમાં ઘરની બધી જ બચત ખર્ચાઈ ગઈ. દિલ્હીમાં દ્વારિકાપુરીમાં આવેલું ઘર પણ વેચાઈ ગયું. મોંઘી દવાઓ, ફિઝિયોથેરાપી અને દેખરેખ પાછળ લાખો રૂપિયા ખર્ચાયા છતાં હરીશની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં.

 માતા-પિતા પોતે હવે વૃદ્ધ થઈ રહ્યા હતા. હરીશને પથારીમાં ફેરવવો, તેને નવડાવવો, જમાડવો અને તેની કુદરતી હાજતો સાફ કરવી એ હવે તેમના માટે શારીરિક રીતે અશક્ય બની રહ્યું હતું. માતાની આંખના આંસુ સુકાઈ ગયા હતા અને પિતાના ખભા જવાબદારીના બોજ નીચે ઝૂકી ગયા હતા.  તેમના મનમાં પ્રશ્ન થતો કે, "અમે જ્યાં સુધી જીવતા છીએ ત્યાં સુધી તો આની સેવા કરીએ છીએ, પણ અમારા પછી આ દીકરાનું શું થશે?" આ સવાલ જ તેમને વહાલસોયા પુત્ર માટે  ઈચ્છા મૃત્યુના રસ્તે લઈ ગયો.

    હરીશ છેલ્લા ૧૩  વર્ષથી 'Persistent Vegetative State' (પીવીએસ) માં છે. તેનો અર્થ એ છે કે તે શ્વાસ તો લે છે, તેની આંખો ખુલે છે, પણ તે કોઈને ઓળખી શકતો નથી કે કોઈ પ્રતિક્રિયા આપી શકતો નથી.   તેના શરીરમાં પડેલા  ઘા (Bedsores)  રુઝાતા જ નહોતા.  તેને પાઈપ દ્વારા ખોરાક આપવામાં આવતો. હરીશ માટે જીવવું એ રોજ હજારો મોત મરવા સમાન છે. તેની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી કારણ કે તે પોતે બોલી શકતો નથી.

   જ્યારે તમામ આશાઓ તૂટી ગઈ, ત્યારે હરીશના માતા-પિતાએ હ્રુદય પર પથ્થર મૂકી  દિલ્હી હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તેમની વેદના પ્રગટ કરતાં જણાવ્યું કે   પોતાના પુત્ર હરીશને 'નિષ્ક્રિય ઈચ્છા મૃત્યુ' (Passive Euthanasia) ની મંજૂરી આપવામાં આવે. પથારીવશ દીકરાની દયનીય સ્થિતિ હવે જોઈ જતી નથી.   ડૉક્ટરોએ પણ આ વાત સ્વીકારી હતી કે હરીશના સાજા થવાની કોઈ શક્યતા નથી. પરિવાર આર્થિક અને શારીરિક રીતે તેની સેવા કરવા સક્ષમ રહ્યો નથી. પોતે હયાત છે ત્યાં સુધી તો દીકરાની સેવા સુશ્રુષા કરશે પરંતુ પોતે વૃદ્ધ થઇ ગયા છે. ભવિષ્યમાં જયારે તેઓ પોતે જ હયાત નહિ હોય ત્યારે  તેમની ગેરહાજરીમાં દીકરાની સારસંભાળ  કોણ રાખશે ? માતા પિતાની આ વેદના જ ધ્રુજાવી મુકે તેવી હતી. વ્યક્તિને સન્માન સાથે જીવવાનો હક છે, તો પીડા વગર મરવાનો હક કેમ નહીં?

ભારતમાં ૨૦૧૮ના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ 'પેસિવ યુથેનેશિયા' માન્ય છે, પરંતુ તેના માટે મેડિકલ બોર્ડની પરવાનગી અનિવાર્ય છે. હરીશના કિસ્સામાં કોર્ટે મેડિકલ રિપોર્ટ મંગાવ્યો હતો.  કાયદો કહે છે કે કોઈનો જીવ લેવો એ ગુનો છે. પણ જે જીવનમાં માત્ર પીડા જ હોય, તેને લંબાવવું એ પણ એક પ્રકારનો અત્યાચાર નથી? ડૉક્ટરો માટે પણ આ સ્થિતિ મુશ્કેલ હોય છે. જે શ્વાસ ચાલી રહ્યા છે તેને રોકવા માટેની મંજૂરી આપવી એ તબીબી નીતિશાસ્ત્ર (Medical Ethics) ની વિરુદ્ધ ગણાય છે.

        હરીશ રાણાના માતા-પિતાએ જ્યારે કોર્ટમાં કહ્યું કે, "અમે અમારા દીકરાને મરતો જોવા માંગીએ છીએ," ત્યારે તે શબ્દો પાછળ નફરત નહીં પણ અપાર પ્રેમ અને કરુણા હતી. તેઓ તેને આ અસહ્ય નરકમાંથી મુક્ત કરવા માંગતા હતા. ઈચ્છા મૃત્યુ અહીં ક્રૂરતા નથી, પણ એક 'દયા' છે.

     માનવીય સંવેદના અને કાયદાકીય મર્યાદાઓ વચ્ચેના દ્વંદ્વમાં આખરે સર્વોચ્ચ અદાલતે એક પિતાની મજબૂરી અને પુત્રની કાયમી યાતનાને સમજીને ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. ગૌરવપૂર્ણ જીવન જીવવાના અધિકારની સાથે હવે ગૌરવપૂર્ણ મૃત્યુના અધિકાર પર મહોર મારતા સર્વોચ્ચ અદાલતે  13 વર્ષથી કોમામાં રહેલા 31 વર્ષીય હરીશ રાણાની  લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાની મંજૂરી આપી. આ સંવેદનશીલ ચુકાદો વાંચતી વખતે બેન્ચના જસ્ટિસ જે.બી. પારડીવાલા પણ પોતાની લાગણીઓ રોકી શક્યા નહોતા અને તેમની આંખો ભીની થઈ ગઈ હતી.

 સુપ્રીમ કોર્ટે 11 માર્ચે તેમને 'પેસિવ યુથેનેશિયા'/ઈચ્છા મૃત્યુની પ્રક્રિયા માટે મંજૂરી આપી. હરીશ રાણાને 14 માર્ચે દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 માર્ચે તેમનો પ્રવાહી ખોરાક બંધ કરી દેવામાં આવ્યો હતો અને 17 માર્ચે પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. પરિણામે, છેલ્લા 10 દિવસથી તેમને ખોરાક અને પાણી આપવાનું બંધ હતું.  ધીમે ધીમે લાઈફ સપોર્ટેડ સિસ્ટમ્સ દૂર કરવામાં આવી હતી અને આખરે 24 માર્ચ 2026ના રોજ હરીશ રાણાએ અંતિમ શ્વાસ લીધા હતા.

દુનિયામાં સૌથી ભારે ચીજ કઈ છે જાણો છો ? એક પિતાએ ઉપાડેલી પુત્રની અર્થી !

- ઈશ્વર પ્રજાપતિ 

9825142620