name='viewport'/> ISHWAR PRAJAPATI'S STUDY ROOM

Sunday, August 9, 2026

સન્ડે સ્પેશિયલ


રાત્રિના અઢી વાગ્યે સલમાના ઘરનું બારણું કોણે ખખડાવ્યું ?

        અમરેલી જિલ્લાનાં ખાંભા પોલીસ સ્ટેશનની ભીંત પરની ઘડિયાળના કાંટા રાત્રિના એક થવા તરફ આગળ ધપી રહ્યા હતા. રાત સમસમ વહી રહી હતી. રાત્રી પેટ્રોલિંગ માટેની ટીમો સજ્જ થઇ નીકળી પડી હતી. પોલીસ સ્ટેશનમાં હવે ચહલપહલ શાંત થઇ હતી. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે વાતાવરણમાં ચોતરફ નીરવ શાંતિ પથરાઈ હતી. એ જ સમયે અમરેલી જિલ્લાની અભય   હેલ્પલાઇન નંબર પર રણકેલી ટેલીફોનની ઘંટડીએ  નીરવ શાંતિને જાણે ચીરી નાખી.  અભયમ મહિલા કાઉન્સીલરે મહિલા ફોન રીસીવ કર્યો.  ટેલીફોનમાં સામે છેડેથી આવતા યુવતીનો ભયભીત અવાજ સાંભળી મહિલા કાઉન્સીલર પરિસ્થિતિ પામી ગયાં. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના  ફોન મૂકી તરત પોલીસ વાન લઈ નીકળી પડ્યા. પોલીસ વાન તેના હેડ લાઈટના અજવાળે  રાત્રિના ઘોર અંધકારને ચીરતી પુરપાટ ઝડપે આગળ વધી રહી હતી..! રાત્રિના એક કલાકે અભયમ હેલ્પ લાઈન પર ફોન કરવા મજબૂર થનાર યુવતી કોણ હશે ?  તે કેવી સ્થિતિમાં હશે ? તેની સાથે કશું અજુગતું તો નહિ બન્યું હોય ને ? આવા તો કેટ કેટલાય સવાલોએ  પોલીસ વાનમાં સવાર મહિલા કાઉન્સીલરના  મનનો ભરડો લીધો. મહિલા કાઉન્સીલર ખાંભા પોલીસ સ્ટેશન પહોંચી રાત્રી પેટ્રોલીંગમાં રહેલા જમાદાર બી.એમ. વાળા સાથે  પોલીસ વાન અને અભયમની વાન  રસ્તા પરના ખાડા-ટેકરા જોયા વિના જ લક્ષ્ય તરફ આગળ વધી રહી હતી.

      તેનું નામ સલમા !

     તે યુવાન હતી અને ખૂબસૂરત પણ હતી. તેના જ ગામમાં રહેતા  સાહિલ નામના હિંદુ યુવક  સાથે તેની આંખો મળી. બંને વચ્ચે મૈત્રી  બંધાઈ. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યાં. સમય જતાં બંને વચ્ચેની મૈત્રી પ્રેમમાં પરિણમી. અને પરિવારથી ચોરી છુપી મળવા લાગ્યાં. એકબીજાથી દૂર રહીને પણ એકમેકની કાળજી લેવા લાગ્યાં. એકબીજાનો સહવાસ તેમને ખૂબ ગમવા લાગ્યો. પરિણામે બન્ને સાથે જીવવા મરવાના કૉલ આપી બેઠાં.

      ઘરમાં સલમાનું વર્તન ઘણું બદલાઈ ચુક્યું હતું. તે કોઈના કોઈ  વિચારોમાં જ ખોવાયેલી રહેતી. તેનો મોટા ભાગનો સમય ફોન પર જ પસાર થતો. સલમાનું બદલાયેલું વર્તન તેનાં મા-બાપ પામી ગયાં. અને સલમાના બદલાયેલા વર્તનનું મૂળ કારણ શોધી કાઢ્યું. આખરે માતાપિતાને સલમાના સાહિલ સાથેના સંબધની જાણ થઇ ગઈ. એ દિવસે સલમાના પિતાએ તેને ખુબ ફટકારી અને સાહિલને ભૂલી જવા ચેતવી દીધી. સલમા માટે હવે ઘરેથી બહાર નીકળવું સદંતર બંધ થઇ ગયું.

          સલમાના પિતાએ સમાજનો એક યુવક શોધી સલમાના નિકાહ કરવાનું નક્કી કરી લીધું. પરંતુ આ યુવક સલમાને જરા પણ પસંદ નહતો. સલમાની મરજી વિરુદ્ધ તેના નિકાહ નક્કી કરવની ચહલપહલ ચાલુ થઈ. સલમા તેના જ  ઘરે નજર કેદ હતી. ક્યાંય છટકી શકે એવી સ્થિતિ જ નહોતી. પરંતુ એક દિવસ મધ્યરાત્રીએ સલમા વોશરૂમ જવાના બહાને ઊઠી. એ સમયે ઘરમાં બધાં ગાઢ નિદ્રામાં સુતાં હતાં. સલમા વોશરૂમમાં જઈ કોઈને ફોન કર્યો. એ અવાજે તેના પિતા જાગી ગયા. આટલી મોડી રાતે સલમાને અન્ય કોઈ  સાથે  વાત કરતી રંગે હાથ પકડવા તેના પિતા વોશરૂમ આગળ આવી ઊભા રહી ગયા. સલમા જેવી બહાર આવી અને તેના હાથમાં ફોન જોતાં જ તેના પિતાને લાગ્યું કે સલમા રાત્રે તેના પ્રેમીને ફોન કરી વાત કરી રહી છે. અને તેની સાથે ભાગવાની ફિરાકમાં છે. એવું લાગતાં  જ તેને ઘરમાં ઢસડી ગયા. ઘરમાં થોડીવાર શોર બકોર થયો અને થોડી જ વારમાં શાંત પણ થઇ ગયો. 

         રાત્રિના બરાબર અઢીના ટકોરે સલમાના ઘરનું બારણું ખખડ્યું.  ‘રાત્રિના અઢી કલાકે વળી કોણ આવ્યું હશે?’ એ વિચારોના વંટોળ વચ્ચે સલમાના પિતાએ બારણું ખોલ્યું. તેમના આશ્ચર્યની વચ્ચે સામે ખાંભા પોલીસ સ્ટેશનની નીકળેલી ટીમ તેમના બારણે આવી ઊભી હતી. સલમાના પિતાનું હૃદય જાણે એક થડકો ચૂકી ગયું. અને તેમનું મગજ ચકરાવે ચડ્યું કે આટલી રાત્રે પોલીસને ઘરમાં બનેલા બનવાની કોણે જાણ કરી હશે ?  બારણે ઉભેલી પોલીસે સલમાના પિતાને સલમા  સાથે વાતચિત કરાવવા માટે જણાવ્યું. સલમાના પિતાએ પોલીસને જણાવ્યું કે “સલમા અત્યારે સૂતી છે અને એ આમ પણ કોઈને મળવા માગતી નથી. આપ અમારી પારિવારિક બાબતમાં માથું માર્યા વિના અહીથી ચાલ્યા જાઓ.”

        જમાદારે સલમાના પિતાને જણાવ્યું કે “પોલીસ હેલ્પલાઇન નંબર પર સલમાનો ફોન આવ્યો હતો અને તેને પોલીસની મદદ માંગી છે એટલે તેને મળ્યા વિના અમે અહીથી જઈ શકીએ નહિ.”

      સલમા એ વોશરૂમમાંથી તેના પ્રેમીને નહિ, પરંતુ પોલીસ મહિલા હેલ્પલાઇન ‘અભયમ’ને ફોન કર્યો હતો. એ જાણી સલમાના પિતાના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ. 

          સલમાના પિતાએ પોલીસ સાથે ઘણી રકઝક કરી પણ પોલીસ એકની બે ન થઇ. સલમા સાથે વાત કર્યા સિવાય પોલીસ  અહીથી પાછી નહિ જાય એમ સ્પષ્ટ જણાવી દીધું. સલમાના પિતાના પગ હવે ઢીલા પડી ગયા. પોલીસે ઘરમાં પ્રવેશ કર્યો. સલમા  પથારીમાં સૂતી હતી. અભયમનાં મહિલા કર્મી  સલમાની  પથારી પાસે પહોંચી તેને ઢંઢોળી  જગાડવા પ્રયાસ કરી જોયો. પરંતુ સલમાએ મીંચેલી આંખ ખોલી જ  નહિ. . સલમા સાથે કાઈક અજુગતું બન્યાનો અંદેશો આવતાં જમાદારે ખાંભા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ ચૌહાણને જાણ કરી. રવિરાજસિંહ ચૌહાણ  ઘટનાની ગંભીરતા સમજી મેડીકલ ઓફિસરને લઈ સલમાના ઘરે પહોંચ્યા. મેડીકલ ઓફિસરે સલમાની જરૂરી તબીબી તપાસ કરી, હૃદયના ધબકારા તપાસી જોયા અને મૃત જાહેર કરી.

        બે કલાક પહેલાં જે યુવતીએ પોલીસ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી એ યુવતી મૃત્યુ પામી કઈ રીતે ? પોલીસ માટે આ એક કોયડો હતો. 

          પોલીસની ટીમેં સલામાના મૃતદેહને  PM માટે મોકલી આપ્યો અને સલમાના માતાપિતાને પોલીસ સ્ટેશને લાવી પૂછપરછ આદરી. પોલીસ આકરી પૂછપરછ કરે એ પહેલાં જ સલમાના પિતા ભાંગી પડ્યા અને પોતે જ સલમાનું ગળું દબાવી હત્યા કર્યાનું કબૂલી લીધું. સલમાની માતા જ યુક્તિ પૂર્વક  આ કેસમાં ફરિયાદી બનવા તૈયાર થયાં. જો પોતે જ પતિ વિરુદ્ધ ફરિયાદી બને તો ભવિષ્યમાં પતિને બચાવવા નામદાર કોર્ટમાં પોતાના નિવેદનથી પલટતાં વાર ન લાગે. અને પુત્રીનો હત્યારો પિતા કાયદાના સકંજામાંથી કદાચ છટકવાની તક પણ મળી જાય. પરંતુ પોલીસ સલમાનાં માતાની યુક્તિ પામી ગઈ. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન મુજબ ખાંભા પોલીસ સબ ઇન્સ્પેકટર રવિરાજસિંહ ચૌહાણ ફરિયાદી બન્યા. જેથી કેસ વધુ મજબૂત બની શકે અને ગુન્હો દાખલ કર્યો.

      રાત્રિના એક કલાકે પોલીસ હેલ્પલાઇન પર આવેલા સલમાના ફોનથી પરોઢના પાંચ કલાક સુધીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ ચૌહાણ, જમાદાર બી.એમ. વાળા, પોલીસ કોન્સ્ટેબલ કુમેશ શિયાળ, અને રાજુભાઈ બોદર એમ સમગ્ર પોલીસ ટીમે વાપરેલી કોઠાસૂઝ અને કુનેહને કારણે દીકરીના હત્યારા પિતાને દબોચી જેલના સળિયા પાછળ ધકેલી દીધો.  જો પોલીસ સમયસુચકતા વાપરી ઘટના સ્થળે ન પહોંચી હોત તો સવાર સુધીમાં તેના માતાપિતા તેની દફનવિધિ કરી દેવાની તૈયારીમાં જ હતાં. અને જો સલમાની દફનવિધિ થઈ ગઈ હોત તો સલમાની સાથે આ હત્યાનું કાવતરું પણ દફન થઇ ગયું હોત !    

          અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે : “સંતાનો એક ઉંમરે પહોંચે ત્યારે માતાપિતાએ તેની સાથે મૈત્રી પૂર્ણ વહેવાર કરવો જોઈએ. જેથી સંતાનો તેમના મનની તમામ વાતો માતાપિતા સાથે શેર કરી શકે. સંતાનોને માતાપિતા પાસે દિલની વાતો કરવાની મોકળાશ  મળશે તો સમાજમાં બનતી ઘણી અઘટિત બનતા બનાવો ઓછા થઈ જશે.”   

(સત્ય ઘટના : નામ પરિવર્તિત )

-ઈશ્વર પ્રજાપતિ

98251 42620

Sunday, August 2, 2026

સન્ડે સ્પેશિયલ


લીનાનાં માતા અને તેનાં  ત્રણ માસૂમ બાળકો હજુ પણ લીનાની  રાહ જોઈ રહ્યાં છે. શું  લીના હવે ક્યારેય પાછી આવશે ખરી ?


          એનું નામ લીના. લીના યુવાનીના ઉંબરે પગ મૂકે એ પહેલાં  જ તેનાં  માતાપિતાએ તેનાં લગ્ન કરાવી દીધાં. કોલેજ જવાની ઉંમરે લીનાએ ઘર માંડ્યું. અને જોત જોતામાં ત્રણ સંતાનોની માતા પણ બની ગઈ. તેનો ઘર સંસાર ઠીકઠાક ચાલી રહ્યો હતો. પરંતુ વિધિની વક્રતા કહો કે લીનાના કરમની કઠણાઈ ! લીનાના પતિનું આકસ્મિક અવસાન થયું. લીના પર જાણે આફતનું આભ તૂટી પડ્યું. ત્રણ – ત્રણ સંતાનોનું પાલન પોષણ કરવાની સઘળી જવાબદારી લીનાના ખભે આવી પડી. થોડો સમય તો લીનાએ પરિસ્થિતિ સાથે બાથ ભીડી પણ છેલ્લે થાકી પિયરમાં પિતાના ત્યાં આશરો લીધો. લીના તેના ત્રણ સંતાનોને લઇ પિતાના ઘરે કાયમ માટે રહેવા આવી ગઈ. સમય જતા તેના પિતા પણ ગુજરી ગયા. વૃદ્ધ માતાએ  વિધવા દીકરી અને તેનાં સંતાનોને ઓથ આપી.

          નદીના ધસમસતા  પ્રવાહની જેમ સમય વહી રહ્યો હતો. લીના ત્રણ સંતાનોની માતા હતી પરંતુ હજી યુવાન હતી, સુંદર હતી. તેનાં પણ અરમાનો હતાં. તે કોઈ પુરુષનો સહારો અને સાનિધ્ય ઝંખતી. આ ઉંમરે વિધવા તરીકે એકલવાયું જીવન જીવવું તેના માટે આકરી કસોટી જેવું બની ગયું. એ દરમિયાન લીના સાવન નામના યુવક સાથે પરિચયમાં આવી. અને સમય જતાં આ પરિચય પરિણયમાં પરિણમ્યો. પરંતુ વિધિની વક્રતા એ હતી કે સાવન પણ પરણિત હતો અને તેનાં પણ સંતાનો હતાં. એમ છતાં સાવને લીનાને પોતાની  સાથે રાખવા તેની પત્નીને સમજવી દીધી.

          લીના તેનાં સંતાનોને પિયરમાં  માતાના ઘરે જ મૂકી કાયમ માટે સાવન સાથે રહેવા ચાલી નીકળી. આ વાતથી લીનાની  માતા અત્યંત દુઃખી થયાં. લીનાને સમજાવવાના ખૂબ પ્રયત્નો કરી જોયા પરંતુ લીના એકની બે ન થઈ તે ન જ થઈ ! માતાએ પણ પોતાની જીદ છોડી મને-કમને લીનાના સાવન સાથેના સંબધને અનુમતિ આપી.  સાવન, તેની પત્ની અને લીના એક સાથે રહેવા લાગ્યાં.  લીના અવાર-નવાર તેનાં સંતાનોને મળવા તેના પિતાને ઘરે આવતી જતી રહેતી.   

          ત્રણેક વર્ષ તો બધું બરાબર ચાલ્યું. સમય જતાં લીનાને સાવનની પત્ની નડતર રૂપ લાગવા લાગી. અને દિવસે દિવસે ઝગડા પણ વધતા ગયા. છેલ્લા બે-એક મહિના થવા આવ્યા પણ લીના તેના સંતાનોને મળવા આવી નહિ એટલે તેનાં માતાને ચિંતા થવા લાગી. ફોન પર સંપર્ક કરવા છતાં સંપર્ક થઈ શક્યો નહિ. આખરે સાવનનો સંપર્ક કર્યો. તો સાવને કહ્યું “મહિના પહેલાં લીના તમારી પાસે રહેવા આવવાનું કહેતી હતી એટલે તેને તો હું અહિ ઉતારીને ગયો છું. હું પણ લીનાની રાહ જોઈ રહ્યો છું.”

          હવે ચિંતા ઘેરી બની. આખરે લીના ગઈ ક્યાં ? સગા સંબધીઓના ત્યાં તપાસ કરાવી જોઈ. પણ ક્યાંયથી લીનાના કોઈ સમાચાર મળ્યા નહિ. માતાનું હૃદય કોઈ અણધારી આફતનો સંકેત આપી રહ્યું હતું. આખરે, હિંમત ભેગી કરીને માતાએ અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશનના પગથિયાં ચડ્યા અને દીકરી ગુમ થયાની ફરિયાદ નોંધાવી.

      અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતે તપાસના ચક્રો ગતિમાન કરવા આદેશ આપ્યા. રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. કોલાદરાએ તપાસનો મોરચો સંભાળ્યો. તેમની ટીમ મધુભાઈ પોપટ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઈ અને મનુભાઈ લીનાની શોધમાં લાગી ગયા.

      પોલીસ ઈન્સ્પેક્ટર વી.એમ. કોલાદરા ગુનાખોરીના જટિલ કેસ ઉકેલવાના અનુભવી અધિકારી હતા. તેમણે ગુમશુદગીની ડાયરી વાંચી અને તરત જ સમજી ગયા કે આ સામાન્ય ગુમ થવાનો મામલો નથી. ત્રણ સંતાનોની માતા પોતાના બાળકોને મૂકીને આ રીતે અચાનક ગાયબ ન થઈ શકે.પોલીસે પહેલાં સાવનનો ઈતિહાસ તપાસ્યો. સાવન લીના સાથે લિવ-ઈનમાં રહેતો હતો પરંતુ તેની અસલ પત્ની અને પરિવાર પણ હતા. પોલીસની એક ટીમે સાવનને પૂછપરછ માટે બોલાવ્યો. સાવન પોલીસ સ્ટેશન આવ્યો ત્યારે તેના ચહેરા પર કોઈ ભય નહોતો. તેણે ખૂબ જ શાંતિથી કહ્યું, "સાહેબ, અમારે અવારનવાર ઝઘડા થતા હતા. એક રાત્રે તે ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ. મને લાગ્યું કે તે પિતાના ઘરે ગઈ હશે. પણ એ ક્યાં ગઈ, એ મને નથી ખબર."

           સાવનનો અવાજ ભલે શાંત હતો, પણ તેની આંગળીઓ સતત ધ્રૂજી રહી હતી. સાવનના બદલાતા નિવેદન અને ભેદી વર્તનથી પોલીસ શંકા વધુ પ્રબળ બની. અને એ સમય દરમિયાન કોઈ સાથે ઝગડો થતાં ગુસ્સામાં સાવન એવું બબડ્યો  હતો  કે 'લીના જેવા હાલ કર્યા એવા હાલ તારા પણ કરીશ." સૂત્રો દ્વારા પોલીસને એની જાણ થઇ. એ પછી પોલીસે  આગવા અંદાજમાં પૂછપરછ આદરી. શરૂઆતમાં તો સાવને આનાકાની કરી પરંતુ પોલીસે ચતુરાઈ પૂર્વક પૂછેલા પ્રશ્નોના ઉત્તર આપવામાં ગૂંચવાઈ ગયો અને આખરે પોતે ભાગી પડ્યો. પોલીસ આગળ સાવન પોપટની જેમ સત્ય આંકવા લાગ્યો.

      સાવને સ્વીકાર્યું કે લીનાને તેની પ્રથમ  પત્ની હવે નડતર રૂપ લાગતી હતી. એટલે એનો કાંટો કાયમ માટે કાઢી નાખવા ઝીદ કરતી હતી. હત્યાનું કાવતરું તો રચ્યું હતું સાવનની પહેલી પત્ની માટે જ ! પરંતુ લીનાના ઝગડાથી સાવન  ત્રસ્ત થઇ ગયો હતો એટલે  સાવને કુહાડીથી લીનાની હત્યા કરી લાશને નિર્જન વિસ્તારના અવાવરું કુવામાં ફેકી દીધી છે.  સાવનની વાત સાંભળી પોલીસ પણ દંગ રહી ગઈ. પોલીસ સાવનને લઈ અવાવરું કૂવા પાસે પહોંચી. કુવામાંથી પાણી બહાર ખેંચી કાઢ્યું. એક મહિના કરતાં વધુ સમય કૂવામાં રહેલી લાશ સાવ નાશ પામી હતી. માત્ર હાડપિંજર બચ્યું હતું. FSL ટીમને બોલાવી નરકંકાલ બહાર કાઢી એક પછી એક શરીરનાં હાડકાં ગોઠવી જોયાં. બધું જ બરાબર ગોઠવાઈ ગયું પરંતુ ખોપડીનો ભાગ ક્યાંયથી મળ્યો નહિ. ફરી કૂવામાં શોધ ખોળ આદરી પણ ખોપડીનું હાડકું ક્યાંયથી મળ્યું નથી.

       નિષ્ણાતોના મતે ખોપડીનું હાડકું જલ્દી નાશ પામતું નથી અને કોઈ જંગલી પશુ પણ તેને મોઢામાં રાખી વધુ દૂર લઈ જઈ શકતું નથી. તો ખોપડી ગઈ ક્યાં ? પોલીસે કુવાની આસપાસનો વિસ્તાર ફેંદી નાખ્યો. ડોગ સ્કોડની પણ મદદ લેવાઈ પણ ખોપડીના અવશેષ ક્યાંયથી પ્રાપ્ત થયા નહિ.  

        પોલીસે સાવનને કસ્ટડીમાં ફરી કડક પૂછપરછ શરૂ કરી. શરૂઆતમાં સાવન તૂટ્યો નહીં, પણ જ્યારે પોલીસે તેને ટેકનિકલ પુરાવા અને કૂવામાંથી મળેલા હાડપિંજરના ફોટા બતાવ્યા ત્યારે તેનો અહંકાર ઓગળી ગયો. સાવન ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો અને જે સત્ય બહાર આવ્યું તેણે કાયદાના રક્ષકોના પણ હોશ ઉડાવી દીધા. 

        સાવને કબૂલાત કરતાં કહ્યું “લીનાની કુહાડીથી હત્યા કરી, વિધિ કરવા  માટેનું મસ્તક કાપી વાડીમાં દાટી દીધું હતું.”

        બીજા દિવસે સવારે, પોલીસ સાવનને સાથે રાખીને ફરી વાડીએ પહોંચી. સાવને જે જગ્યા બતાવી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું. FSL ની હાજરીમાં જમીનમાંથી લીનાની ખોપડી મળી આવી. વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી પોલીસે આ જટિલ અને રહસ્યમય કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ખોપડી અને હાડપિંજરના ડીએનએ (DNA) ટેસ્ટ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. રીપોર્ટમાં સાબિત થયું કે આ ખોપડી લીનાની જ છે.

      પ્રેમના નામે આચરાયેલા આ ક્રૂર ખેલનો અંત આવ્યો હતો. લીનાના માતા અને તેનાં  ત્રણ માસૂમ બાળકો હજુ પણ લીનાની પ્રતીક્ષા કરી રહ્યાં છે  કે લીના  ક્યારેક તો પાછી આવશે ! પણ એ પ્રતીક્ષા આજીવન પ્રતીક્ષા બનીને જ રહી જશે.

       અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત કહે છે : “દુનિયાના કોઈ માતાપિતા પોતાના સંતાનનું અહિત વિચારી ન શકે. શારીરિક આકર્ષણ કે ક્ષણિક લાગણીના પ્રવાહમાં તણાઈને  કેટલાક સંતાનો પરિવારના વડીલોની સલાહ અવગણીને અવિચાર્યું પગલું ભરી બેસે છે. ક્યારેક પરિવારની એક વ્યક્તિએ ઉઠાવેલા ખોટા પગલાથી આખા પરિવારને  તેની પારાવાર પીડા આજીવન ભોગવવી પડે છે.”

(સત્ય ઘટના : નામ પરિવર્તિત)

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620


Sunday, July 26, 2026

સન્ડે સ્પેશિયલ

બાલવાટિકા અને ધોરણ પહેલા-બીજાનાં  કુમળાં પુષ્પોને ખીલવતાં  શિક્ષિકા કિરણબેન પટેલ

       શિક્ષણશાસ્ત્રીઓ પણ માને છે કે કોલેજમાં ભણાવવું સહેલું છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીઓ સમજદાર હોય છે. પરંતુ, જે બાળકે હજી હમણાં જ માતાનો પાલવ છોડ્યો છે, જેને પેન્સિલ પકડતા કે સીધા બેસતા પણ નથી આવડતું, તેવા બાલવાટિકા અને ધોરણ ૧ અને ૨ ના બાળકોને ભણાવવું એ દુનિયાનું સૌથી કઠિન કામ છે. આ કાર્ય ખુબ ધીરજ માંગી લે છે. અરવલ્લી જિલ્લાની પી.એમ. શ્રી અકારૂન્દ આદર્શ પ્રાથમિક શાળામાં આવાં કુમળાં પુષ્પો ખીલવવાનું કામ કરે છે ઉપ શિક્ષિકા કિરણબેન પટેલ. નવેમ્બર ૨૦૦૮થી આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવીને  ઉપ શિક્ષિકા કિરણબેન આજે માત્ર એક સરકારી કર્મચારી નથી, પરંતુ કુમળા ભૂલકાઓનાં વહાલસોયાં શિક્ષિકા બની રહ્યાં છે.  

         તેમની પાસે માતાનું હૃદય છે તો પિતાની આંખ પણ છે. વિદ્યાર્થીઓને માતાની જેમ વહાલ પણ કરે અને શિસ્તના પાઠ શીખવવા ક્યારેક પિતાની જેમ આંખ પણ બતાવે !

         કિરણબેનના વ્યક્તિત્વમાં રહેલાં શિસ્ત  અને વહીવટી ચીવટતાનાં   મૂળિયાં તેમના વિદ્યાર્થીકાળ અને તાલીમકાળમાં રોકાયેલા છે. ધોરણ ૧૦ ની પરીક્ષા ગૌરવભેર ઉત્તીર્ણ કર્યા બાદ તેમણે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યું. તેમણે ગુજરાતની શૈક્ષણિક આલમમાં ખૂબ જ ઊંચી પ્રતિષ્ઠા અને કડક નિયમો માટે જાણીતી કોબા પી.ટી.સી. (PTC) કોલેજમાં પ્રવેશ મેળવ્યો.

      એ સમયે કોબા કોલેજનું નામ પડતાં જ તાલીમાર્થીઓમાં એક ગંભીરતા આવી જતી, કારણ કે ત્યાંના પ્રિન્સિપાલ વનજાક્ષીબેન હતાં. વનજાક્ષીબેન એટલે શિસ્તના પર્યાય, નિયમોના પાકા અને મૂલ્યનિષ્ઠ શિક્ષણના પ્રખર આગ્રહી. તેમની નજર નીચેથી પસાર થનાર  વિદ્યાર્થી એક ઉત્કૃષ્ટ શિક્ષક બનીને જ બહાર નીકળતાં  વનજાક્ષી બેનની છત્રછાયામાં જ તેમનું સાચું ઘડતર થયું. વર્ગખંડનું વ્યવસ્થિત સંચાલન અને વિદ્યાર્થી પ્રત્યેની નૈતિક જવાબદારી જેવા ગુણો કિરણબેનને આ કોલેજમાંથી વારસામાં મળ્યા.

         વર્ષ ૧૯૯૮... આ એ વર્ષ હતું જ્યારે કિરણબેનના સપનાઓને પાંખો મળી, અરવલ્લી જિલ્લાના જ અંતરિયાળ એવા નારણપુરા ગામેથી તેમની શિક્ષણ યાત્રા શરૂ થઈ. એક નવયુવાન, ઉત્સાહી અને સંસ્કારી શિક્ષિકા તરીકે જ્યારે તેમણે નારણપુરા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં પગ મૂક્યો, ત્યારે ગ્રામીણ વિસ્તારના ગરીબ અને પછાત વર્ગના બાળકોને શિક્ષિત અને દીક્ષિત કરવાનો  એક અદમ્ય ઉત્સાહ તેમના ચહેરા પર હતો.

       નારણપુરામાં તેમણે સતત ચાર વર્ષ સુધી પોતાની નિષ્ઠાપૂર્વકની સેવાઓ આપી. એ ચાર વર્ષ દરમિયાન તેમણે માત્ર પુસ્તકીય જ્ઞાન ન આપ્યું, પરંતુ ગામના વાલીઓ સાથે આત્મીય સંબંધો બાંધ્યા. બાળકોને રમત-ગમત સાથે ભણાવવા—આ કિરણબેનની આગવી શૈલી બની ગઈ

     નારણપુરામાં સફળતાપૂર્વક ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ કિરણબેનની બદલી રામપુરા ભા.મુ. શાળામાં થઈ. અહીંની શાળામાં  કિરણબેને  માત્ર વર્ગખંડ પૂરતું મર્યાદિત રહેવાનું નહોતું, પરંતુ શાળાના આચાર્ય તરીકેની જવાબદારીપૂર્વકની ભૂમિકા ભજવવાની હતી.

     એક સ્ત્રી તરીકે સરકારી શાળાનો વહીવટ સંભાળવો, એ કોઈ નાની વાત નહોતી. પરંતુ, કોબા કોલેજની શિસ્ત અને નારણપુરાનો અનુભવ અહીં કામ લાગ્યો. કિરણબેને પોતાની અદભુત વહીવટી કુનેહ, ચપળતા કારણે રામપુરામાં નમૂનારૂપ કામગીરી કરી બતાવી.. આચાર્ય તરીકેના તેમના આ કાર્યકાળે સાબિત કર્યું કે તેઓ માત્ર એક સારા શિક્ષક જ નથી, પણ તેમનામાં વહિવટની ઊંડી સૂઝ પણ છે.

       ૨૮ નવેમ્બર ૨૦૦૮ના રોજ કિરણબેને ધનસુરા તાલુકાની આકરુંદ શાળામાં ઉપ શિક્ષિકા તરીકે પદભાર સંભાળ્યો. જ્યારે વર્ષ ૨૦૦૮માં કિરણબેન આકરુંદ શાળામાં આવ્યા, ત્યારે શાળાની સ્થિતિ ઘણી સામાન્ય હતી. સમગ્ર શાળામાં માત્ર ૫ શિક્ષકોનો સ્ટાફ હતો અને ધોરણ ૧ થી ૮ ના થઈને આશરે સવા સો (૧૨૫) જેટલા જ બાળકો નોંધાયેલા હતા. એ સમયના શિક્ષક પરિવાર સાથે મળી શાળાને મોડેલ શાળા બનાવવા કમર કસી. વાલીઓનો વિશ્વાસ જીત્યો. વિદ્યાર્થીઓની સંખ્યા પ્રતિ વર્ષ વધતી રહી. એ જ અરસામાં નીતિનભાઈ જે. પટેલ જેવા નખશીખ  ઉમદા શિક્ષક  પણ આકરૂન્દ શાળામાં આવ્યા. અનેક પડકારો વચ્ચે સ્ટાફ સાથે ખભે ખભા   શાળાને શ્રેષ્ઠત્તમ બનાવવા સૌ  શિક્ષકોએ મિશન બનાવી કામ કર્યું.  આજે જ્યારે આ શાળા દેશની પ્રતિષ્ઠિત 'પી.એમ. શ્રી આકરુંદ આદર્શ શાળા' તરીકે ગૌરવભેર ઊભી છે, ત્યારે તેની ભવ્યતા પાછળ કિરણબેનના દોઢ દાયકા દરમિયાન આપેલા યોગદાન નાનુસૂનું નથી.  

     તેઓ જેટલા હૃદયથી નરમ છે, શિસ્ત બાબતે કડક છે. જે કામ સોંપવામાં આવે એ ખુબ ચીવટ અને કાળજીપૂર્વક પૂર્ણ કરવું એ તેમનો સ્વભાવ છે. વહીવટી બાબતોમાં કિરણબેનની ચીવટ નોંધનીય  છે. શાળાના રજીસ્ટરોની નિભાવણી હોય, વિદ્યાર્થીઓની હાજરી પત્રક હોય, GR હોય કે LC Book હોય —દરેક બાબતમાં કિરણબેનની  ચોકસાઈ ઉડીને આંખે વળગે . તેમની આ વહીવટી સજ્જતાના કારણે શાળાના આચાર્ય અને અન્ય સહકર્મીઓને એક મોટું પીઠબળ મળી રહે છે.

          વર્ષ ૧૯૯૮ થી શરૂ થયેલી અને ૨૦૨૬ના આજના સમય સુધી અવિરત ચાલી રહેલી કિરણબેન પટેલની આ શૈક્ષણિક યાત્રા પ્રેરક છે. નારણપુરાના પાયાથી શરૂ કરીને, રામપુરા ભા.મુ. આચાર્ય પદ સુપેરે સંભાળી, આકરુંદ શાળામાં દિલથી સેવાઓ આપી રહેલાં  કિરણબેન પટેલને હૃદયપૂર્વક હાર્દિક અભિનંદન.

-      ઈશ્વર પ્રજાપતિ

9825142620

 


Tuesday, July 21, 2026

કર્તવ્ય 2.0

સુરક્ષા, સલામતી  અને સંવેદનાનો સરવાળો એટલે "ખાખી"   : લાઠી પોલીસના પ્રયાસોથી ૯ મહિના બાદ મનોદિવ્યાંગ યુવતીનું  પરિવાર સાથે મિલન !

        કહેવાય છે કે ‘ખાખી’ની અંદર પણ એક સંવેદનશીલ દિલ ધબકતું હોય છે. અસમાજિક તત્વો સામે સખ્તીથી કામ લેતી વખતે કઠોર લગતી "ખાખી", નિઃસહાય વ્યક્તિની વહારે ચડી, દેવદૂતનાં દર્શન પણ કરાવે છે. 
      ૨૯ જૂન ૨૦૨૬ ની આ વાત છે. રાત ધીમે ધીમે જામી રહી હતી. ચોતરફ પથરાયેલો ઘોર અંધકાર અને દૂર દૂરથી સંભળાતી શિયાળની લારી રાતની નીરવ શાંતિને ચીરી નાખતી હતી. પોલીસ સ્ટેશનની ભીંતે ભરાવેલી ઘડિયાળના કાંટા બારના અંક પર ભેગા થવા જાણે ઉતાવળે ભાગી રહ્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પોલીસ સ્ટેશનની પોલીસ રાત્રિ પેટ્રોલિંગ માટે સજ્જ બની નીકળી પડી છે. લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કુમારસિંહ રાઠોડ અને હસમુખભાઈ ખુમાણ પી. સી. આર. વાન માં સવાર થઈ લાઠીથી ચાવડ જવાના રસ્તે આગળ વધી રહ્યા હતા. વાનમાં બેસીને પણ તેમની બાજ નજર ચોતરફ ફરતી રહેતી. સાવ નિર્જન રસ્તા પરથી તેમનું વાહન પસાર થઈ રહ્યું હતું. રસ્તામાં આવતું રેલવે ક્રોસિંગ ક્રોસ કર્યું. ત્યાં જ તેમની નજર એક સ્ત્રી પર પડી ! સ્ત્રીની હાલત દયનીય હતી. નિસ્તેજ ચહેરો, મેલાઘેલાં કપડાં અને વિખરાયેલા વાળ સ્ત્રીની પરિસ્થિતિની ચાડી ખાતાં હતાં. આટલી મોડી રાત્રીએ એક સ્ત્રી આ નિર્જન વિસ્તારમાં એકલી શું કરતી હશે ? મનમાં કાંઈ કેટલાય વિચારો એક સાથે ઉમટ્યા..! ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વાહન પેલી સ્ત્રી પાસે લઈ જઈ થોભાવ્યું. સ્ત્રી પણ આવક બની કુમારસિંહ અને હસમુખભાઈ સામે જોતી રહી.! 
        સ્ત્રી જાણે અત્યંત ગભરાઈ ગઈ હતી. પોલીસે હળવેકથી પૂછ્યું.."તમે કોણ છો ? આટલી મોડી રાત્રિ એ અહીં શું કરો છો ? તમારે ક્યાં જવું છે?" તમામ પ્રશ્નો સાંભળી એ સ્ત્રી પોલીસ સામે જોતી જ રહી, કાંઈ જવાબ વાળ્યો જ નહીં. સ્ત્રી મૌન બની પોલીસ સામે બસ તાકી રહી ! તેના વર્તન પરથી તે મનોદિવ્યાંગ જણાતી અને અને ગુજરાતી પણ સમજી શકતી નહોતી. તે સતત માત્ર એક જ શબ્દ બોલતી "તલસારી... તલસારી.... તલસારી" કુમારસિંહ અને હસમુખભાઈ પણ વિચારમાં પડી ગયા. આ સ્ત્રીને પોલીસ ચોકી પર લઈ જવાનું મુનાસીબ લાગ્યું. થાણા અધિકારી એમ. બી. ઔસુરાને જાણ કરવામાં આવી. 
         એ સ્ત્રીને પોલીસ ચોકીએ લાવવામાં આવી. તેની માનસિક સંતુલન ગુમાવી દીધું હોય એવી એની સ્થિતિ હતી. પોલીસ ચોકી પર મહિલા પોલીસે પણ સ્ત્રીને પ્રેમથી પંપાળી વાતચીત કરવા પ્રયત્ન કરી જોયા. પણ તે માત્ર તલસારી... તલસારી... સિવાય બીજો એક શબ્દ બોલવા પણ સમર્થ નહતી! 
       રાત્રિનો એક વાગી ચૂક્યો હતો. માનસિક રીતે દિવ્યાંગ જણાતી આ સ્ત્રીનું સાચું સરનામું શોધવું કઈ રીતે? અને કઈ રીતે તેના પરિવાર સાથે ભેટો કરાવવો? પોલીસ માટે જાણે યક્ષ પ્રશ્ન બની ગયો. 
        પોલીસ સ્ટાફે યુવતીને પાણી પિવડાવી શાંત પાડી અને પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન ચાલુ રાખું . પણ તે કોઈ વિગત આપી શકતી નહોતી. તેના મુખેથી વારંવાર માત્ર એક જ શબ્દ નીકળતો હતો— "તલસારી". લાઠી પોલીસે આ એક જ શબ્દને કડી બનાવીને તપાસ શરૂ કરી.
         પોલીસે તુરંત ટેકનિકલ રિસોર્સનો ઉપયોગ કરી ‘તલસારી’ શબ્દ વિશે સંશોધન કર્યું. સર્ચ કરતાં માલૂમ પડ્યું કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ‘તલસારી’ નામનું એક ગામ આવેલું છે. હવે ગૂગલ મેપ અને સેટેલાઇટ મેપનો સહારો લઈ તલસારી ગામ શોધી લીધું. ગૂગલ મેપમાં તલસારી ગામ પાસે આવેલ MLA ઓફિસનું નામ, સરનામું અને ફોન નંબર મેળવી લીધા. ગૂગલ મેપ પર તલસારી ગામના ફોટા ડાઉનલોડ કરી લીધા. એ ફોટા સ્ત્રીને બતાવવામાં આવ્યા. ગામ અને કોઈ એક ચહેરાની તસવીર જોઈ સ્ત્રી ધ્રુસકે ને ધ્રુસકે ચોધાર આંસુએ રડવા લાગી. રાત્રે આશરે અઢી-ત્રણ વાગ્યે મહારાષ્ટ્રની સ્થાનિક પોલીસનો સહારો લીધો. ત્યાંની સ્થાનિક પોલીસે તલસારી ગામના સરપંચનો સંપર્ક કર્યો. અને લાઠી પોલીસ ચોકીમાં બેઠેલી સ્ત્રીનો ફોટો બતાવ્યો. સરપંચ તરત ઓળખ કરી લીધી.
              પરોઢ પાંચ થવા આવે એ પહેલાં લાઠી પોલીસે એ સ્ત્રીના પિતાનો સંપર્ક નંબર મેળવી લીધો. ફોન પર વાત કરાવી. ત્યારે જાણવા મળ્યું કે માનસિક રીતે અસ્થિર આ માસૂમ દીકરી છેલ્લા ૯ મહિનાથી પોતાના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. પરિવારે તેની ઘણી શોધખોળ કરી હતી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો. આટલા લાંબા સમયથી દિકરીનો પત્તો ન લગતાં ક્યારેક એવા અશુભ વિચાર આવતા કે દીકરી દુનિયામાં સહીસલામત હશે કે કેમ? તેની સાથે કાંઈ ખોટો બનાવ તો નહીં બન્યો હોય ને ? 
    છેલ્લા ૯ મહિનાથી જે દીકરીની શોધમાં માતા-પિતા રાત-દિવસ રડતા હતા, તે દીકરી હેમખેમ મળી ગઈ હોવાના સમાચાર મળતા જ પરિવારના આનંદનો પાર ન રહ્યો. 
    લાઠી પોલીસે રાત્રિના બાર વાગ્યાથી સ્ત્રીના પરિવારને શોધવાની  મથામણ સવાર સુધીમાં પૂર્ણ કરી લીધી. બીજા દિવસે આખો પરિવાર મહારાષ્ટ્રથી અમરેલી પહોંચ્યો.  લાઠી પોલીસે માનવીય અભિગમ દાખવીને દીકરીને સુરક્ષિત રાખી તેના પરિવારને સોંપી! જ્યારે ૯ મહિના બાદ દીકરી પોતાના માતા-પિતાને મળી, ત્યારે પોલીસ સ્ટેશનનું વાતાવરણ અત્યંત લાગણીસભર બની ગયું હતું. માતા-પિતાની આંખોમાંથી વહેતા હર્ષના આંસુઓએ લાઠી પોલીસની કામગીરીને સાચા અર્થમાં બિરદાવી હતી.
          લાઠી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી એમ. બી. ઔસુરા, કુમારસિંહ રાઠોડ અને હસમુખભાઈ ખુમાણની સતર્કતા, ટેકનોલોજીના યોગ્ય સમન્વય અને સંવેદનશીલતાના કારણે એક વિખૂટો પડેલો પરિવાર ફરી એક થઈ શક્યો. આ ઘટનાએ સાબિત કર્યું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવતી, પણ સમાજમાં આશાનું કિરણ  બની માનવતાની જ્યોત પણ પ્રગટાવી જાણે છે. 
         આ અત્યંત સંવેદનશીલ માનવીય ઘટના અંગે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતે માનવીય કામગીરી કરનાર સમગ્ર ટીમની કામગીરીને બિરદાવી. શ્રી સંજય ખરાત પ્રતિભાવ આપતાં જણાવે છે કે, "સમાજના દૂષણને ડામવાની પોલીસની ફરજ છે જ ! સાથે સાથે આવા નિઃસહાય નાગરિકોની કાળજી રાખી હૂંફ પૂરી પાડવાની વિશેષ જવાબદારી છે. અને આ પ્રકારની સંવેદનશીલ કામગીરી "ખાખી" પરનો જનતાનો વિશ્વાસ વધુ મજબૂત કરે છે."

- ઈશ્વર પ્રજાપતિ
98251 42620

Sunday, July 19, 2026

સન્ડે સ્પેશિયલ

  પ્રેમલગ્ન કરનાર ચિરાગે તેના સાસુ-સાસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તેની પત્ની સુનીતાને તેમણે ગોંધી રાખી છે. આખરે ગુમ થયેલી સુનિતા હતી ક્યાં ?? 
      આશરે બે વર્ષ પહેલાંની આ વાત છે. અમરેલી જિલ્લાના માંગવાપાળ ગામ પાસે આવેલા વડી ડેમની પાળ નજીક પથ્થર નીચે દટાયેલી એક સ્ત્રીની લાશ મળી આવી. લાશ એવી રીતે દટાયેલી હતી કે એ તરફ કોઈનું ધ્યાન જ જાય નહીં. પરંતુ કોઈ જાનવર લાશનો હાથ ખેંચી બહાર ખેંચી લાવ્યું હતું. જેના કારણે આ તરફ લોકોનું ધ્યાન ગયું. લોકોએ તરત અમરેલી તાલુકા પોલીસ મથકે જાણ કરી. ઘટનાની ગંભીરતા સમજી પોલીસ તરત ઘટના સ્થળે દોડી ગઈ. પોલીસે શબ ઉપરથી પથ્થરો હટાવી લાશને બહાર કાઢી. લાશની દયનીય સ્થિતિ જોતાં જ અનુમાન લગાવી શકાય એમ હતું કે આ ઘટના અંજામ આપ્યાને ઘણા દિવસો વીતી ચૂક્યા હશે. લાશ સાવ ગંધાઈ ચૂકી હતી. હાથ પર ટેટૂ ચીતરેલું હતું બસ એટલી જ ઓળખ છતી થતી હતી. ચહેરો પણ ઓળખી શકાય એવી સ્થિતિમાં નહતો. દૃશ્ય અત્યંત બિહામણું હતું. 
       પોલીસે ત્વરિત પગલાં લઈ લાશને P.M માટે મોકલી આપી. જરૂરી પૂરાવા એકત્રિત કરવા FSL ટીમની મદદ લેવાઈ. PM રિપોર્ટથી માત્ર એટલી માહિતી પ્રાપ્ત થઈ શકી કે ગળું દબાવવાથી ગૂંગળામણથી આ સ્ત્રી મૃત્યુ પામી છે. બસ આટલી જ માહિતી સિવાય બીજી કોઈ માહિતી પોલીસની પાસે નહોતી. 
      પોલીસે આસપાસનાં ગામોમાં તપાસ કરાવી જોઈ કે કોઈ મહિલા ગુમ થઈ છે કે કેમ ?? પરંતુ સ્ત્રીની ઓળખ થઈ શકે એ દિશામાં ક્યાંથી કોઈ સફળતા મળી નહી. એટલે એક વાત ચોક્કસ થઈ ચૂકી હતી કે આ સ્ત્રી અમરેલી જિલ્લાના આસપાસના વિસ્તારની તો નથી જ. તો આ લાશ છે કોની ? અને વડી ડેમની પાળ સુધી પહોંચી કેવી રીતે.? પોલીસની રાત દિવસની મહેનત પછી પણ આ કોયડો એ કોયડો જ રહ્યો. દિવસો મહિના અને વરસ વીતતાં લોકોની સ્મૃતિમાંથી પણ વાત ક્યાંય વિસરાઈ ગઈ !
     આ ઘટનાના બે વર્ષ પછી ગુજરાતના છેવાડાના જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આધેડ વયનાં દંપતીએએ ફરિયાદ નોંધાવી કે તેમની દીકરી સુનિતાને જમાઈ ચિરાગ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેની સાથે વાત પણ કરવા દેતા નથી, છેલ્લા બે વર્ષથી તેમણે દીકરીને જોઈ નથી. અમારે અમારી દીકરી સુનિતાને જોવી છે. આ ફરિયાદના ત્રીજા દિવસે જમાઈ ચિરાગે પણ તેના સાસુ સાસરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવે છે કે તેમણે મારી પત્ની સુનીતાને ગોંધી રાખી છે. તેઓ સુનીતાને મારી સાથે મોકલતા નથી.
       જે તે જિલ્લા પોલીસે પ્રાથમિક તપાસમાં તારવ્યું કે બે વર્ષ પહેલાં આ આખો પરિવાર અમરેલી જિલ્લામાં રહેતો હતો હતો અને સુનિતા અમરેલી જિલ્લામાંથી જ ગુમ થઈ હતી. એટલે અન્ય જિલ્લાની પોલીસે સમગ્ર કેસ અમરેલી પોલીસને ટ્રાન્સફર કર્યો. 
      આખરે કેસની તપાસ અમરેલી જિલ્લા પોલીસ હસ્તક આવી. માતા પિતા તરફથી દીકરી સુનિતા ગુમ થયાની અને જમાઈ તરફથી પત્ની ગુમ થયાની સામસામે કરેલી ફરિયાદમાં આખરે સત્ય શું છે તે એક મોટી દ્વિધા હતી. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતે ન્યાયિક તપાસના આદેશ આપ્યા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. કે. જાડેજા અને તેમની ટીમે તપાસનો મોરચો સાંભળ્યો.  
      સુનીતાના માતા પિતા અને તેના પતિ ચિરાગની પોલીસ દ્વારા પૂછપરછ કરતાં જે માહિતી સામે આવી તે ચોંકાવનારી હતી. ઉંડાણપૂર્વક તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે સુનિતા સાથે ચિરાગના પ્રેમ સંબંધ હતા. સાથે જીવવા મરવાના કોલ આપી તેઓ ઘરેથી ભાગી ગયાં. સમય જતાં સુનીતાના માતાપિતાએ પણ આ સંબંધને સ્વીકારી ચિરાગ અને સુનીતાના લગ્ન કરાવી આપ્યા હતાં. સુનીતાના માતા પિતા અમરેલીના એક ગામની વાડીમાં રહેતા હતા. જ્યારે ચિરાગ અને સુનિતા અમદાવાદમાં રહી છુટક કામ કરવાનું શરૂ કર્યું. થોડો સમય તો બધું બરાબર ચાલ્યું પરંતુ થોડા જ મહિનામાં સુનિતા અને ચિરાગ વચ્ચે નાનામોટા ઝઘડા શરૂ થયા. પોતાના ઘરસંસારમાં ચાલતા ઝઘડાઓથી ત્રસ્ત થયેલી સુનિતા કોઈ કોઈ વાર તેની માતાને ફોન કરીને પોતાનું હૈયું હળવું કરી લેતી. ઘરમાં કંકાસ વધતાં એક દિવસ સુનિતા ચિરાગને છોડી માતાપિતા પાસે આવી ગઈ. દિવસો વીતવા છતાં સુનિતા ચિરાગ પાસે અમદાવાદ ગઈ નહીં, એટલે એક દિવસ ચિરાગ પોતે સુનિતા પાસે આવી અહીં અમરેલી પાસેના ગામની વાડીમાં રહેવા લાગ્યો..! 
      દિવાળીનો સમયે સુનીતાના માતા પિતા તેમના વતનમાં સામાજિક પ્રસંગે જવાના હતાં. સુનિતા પણ તેમની સાથે જવા ઇચ્છતી હતી. પરંતુ તેના પતિ ચિરાગે સુનીતાને ક્યાંય પણ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. આખરે સુનિતા ચિરાગ સાથે વાડીમાં જ રોકાઈ અને માતા પિતા સામાજિક પ્રસંગમાં હાજરી આપવા વતનમાં ગયાં. 
       બે ચાર દિવસ પછી સુનીતાના માતા પિતા વાડીમાં પરત ફર્યાં ત્યારે ચિરાગ કે સુનિતા ઘરે હતાં નહીં. સુનિતા અને ચિરાગ બંનેને ફોન કરવા પ્રયત્ન કર્યો પણ બંનેના નંબર સ્વીચ ઓફ જ આવતા હતા. ચિરાગના પરિવારને ફોન કરી સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે ચિરાગ અમદાવાદ રહે છે. એ સિવાય બીજી કોઈ માહિતી મળી. સુનીતાના માતા પિતાએ સમયાંતરે સુનીતાની ભાળ મેળવવા મહિનાઓ કેટકેટલાય પ્રયત્નો કરી જોયા પણ કોઈ ભાળ મળી નહીં..! અને છેવટે પોલીસ ફરિયાદનો સહારો લીધો. ચિરાગને આ વાતની જાણ થતાં તેણે પણ સાસુ સાસરા વિરુદ્ધ પત્નીને ગોંધી રાખવાની ફરિયાદ નોંધાવી. 
      પોલીસે સુનીતાના માતાપિતા અને તેના પતિ ચિરાગને પોલીસ સ્ટેશને બોલાવી આકરી પૂછપરછ આદરી. જેમાં ચિરાગના નિવેદનોમાં હકીકત સાથે ક્યાંય મેળ ખાતો ન હતો. એટલે પોલીસે તેની આગવી શૈલી અપનાવી જેમાં ચિરાગનું જુઠ્ઠાણું વધારે ચાલી શક્યું નહી. અને પોપટની જેમ સત્ય ઓકવા લાગ્યો. 
ચિરાગે જણાવ્યું કે જ્યારે તેના સાસુ સાસરા વતનમાં સામજિક પ્રસંગ માટે ગયા એ દરમિયાન સુનિતા અને તેની વચ્ચે ઝગડો થયો. એ જ સમયે ચિરાગે સુનીતાનું ગળું દબાવી હત્યા કરી નાખી. અને લાશ ને વેડી ડેમ ની પાળ પાસે દાટી ઉપર પથ્થર ગોઠવી દીધા. અને પોતે ત્યાંથી ભાગી ગયો.!  
સાથે જીવવા મરવાના કૉલ આપી પ્રેમ લગ્ન કરનાર સુનિતાને પ્રેમના બદલામાં પ્રેમી તરફથી મોત ભેટમાં મળ્યું. 
      પોલીસને બે વર્ષ પહેલાં ડેમ પાસે મળેલી બિનવારસી અજાણી સ્ત્રીની લાશની કડી મળી. પોલીસે લાશના હાથ પરના ટેટૂ નું નિશાન વાળો ફોટો સુનિતાના માતા પિતાને બતાવ્યો. તરત તેમણે ઓળખ કરી કે આ ટેટૂ તેમની દીકરીના હાથ ઉપર હતું એ જ છે.
પોલીસે FSL અને PM રીપોર્ટ સહારો લીધો. લાશના DNA સાથે સુનીતાના માતા પિતાના DNA સેમ્પલ સાથે મેળવ્યા તો આ આખી મર્ડર મિસ્ટ્રી પરથી પરદો ઊંચકાઈ ગયો. આ લાશ બીજા કોઈની નહીં પરંતુ સુનીતાની જ હતી ! 
     અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ઓ. કે. જાડેજા, ભવદીપ કઠવાડિયા, કૌશિક બાંભણિયા અને તેમની સમગ્ર ટીમે હત્યા કેસ ઉકેલી તેના આરોપીને જેલના હવાલે કરી દીધો. 
       પોલીસે કરેલી સરાહનીય કામગીરી બદલ જિલ્લા કક્ષાએ યોજાયેલ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કાર્યક્રમ દરમિયાન સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું. 
  અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત કહે છે : " પરિવારમાં કંકાસ અને ક્રોધનું પરિણામ હંમેશા વિનાશકારી હોય છે. ક્યારેક વ્યક્તિ જેને પ્રેમ કરે છે તેની જ હત્યા કરવાની ક્રૂરતા આચરી બેસે છે. ક્રોધ ઉપજાવે તેવી નાજુક ક્ષણોમાં વ્યક્તિએ પોતાની જાતને સાચવી લેવી તેમાંજ તેનું અને સમાજનું હિત સમાયેલું છે. બેકાબૂ ક્રોધના અંતે વ્યક્તિના હાથમાં આજીવન પસ્તાવા સિવાય કાંઇ જ નથી લાગતું."
(સત્ય ઘટના: નામ  પરિવર્તિત)

- ઈશ્વર પ્રજાપતિ 
98251 42620


Sunday, July 12, 2026

સન્ડે સ્પેશિયલ

ઊર્મિલાબેન પટેલ જેવાં  સનિષ્ઠ શિક્ષિકા  આપણને યાદ અપાવે છે કે કુમળા બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.

 

        શિક્ષણ જગતમાં એક બહુ જાણીતું વાક્ય છે: "એક સારો શિક્ષક એ નથી જે માત્ર પ્રશ્નોના જવાબો આપે, પણ એ છે જે બાળકના મનમાં પ્રશ્નો પૂછવાની જિજ્ઞાસા જગાવે." આવી જ આગવી શૈલીથી વર્ગને સ્વર્ગમાં પરિવર્તિત કરતાં ઊર્મિલાબેન પટેલ અરવલ્લી જિલ્લાની પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાના ઉપ શિક્ષિકા તરીકે ફરજનિષ્ઠ છે. ધોરણ ૩ થી ૫ નાં ભૂલકાંઓ માટે ગણિત જેવા અઘરા વિષયને રમત રમાડતા શીખવવાની તેમની કુનેહ શિક્ષણ જગત માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

          ઉર્મિલાબેન તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન પોતે એક તેજસ્વી વિદ્યાર્થીની રહ્યાં છે. લીંભોઇ અને મેઢાસણ હાઈસ્કૂલમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકનો અભ્યાસ કર્યો. સમગ્ર કેન્દ્રમાં પ્રથમ ક્રમે આવીને તેજસ્વી પ્રતિભાનાં દર્શન કરાવ્યાં. ઊર્મિલાબેને પોતાની આગામી શૈક્ષણિક સફરની શરૂઆત અનેરા ખાતેથી પી.ટી.સી. (P.T.C.) કોલેજથી  કરી. હડિયોલ, ગઢોડા અને આકોદરાના ત્રિભેટે આવેલી તપોવન સમી કોલેજે ઉત્તમ શિક્ષકત્વનું ઘડતર કર્યું. ગાંધી રંગે રંગાયેલાં સુમતિબેન રાવલ અને ગોવિંદભાઈ રાવલના સાનિધ્યમાં વ્યક્તિત્ત્વને સંસ્કારિતા સાથે શિક્ષિત અને દીક્ષિત કરવાની સુંદર તક સાંપડી. 

પીટીસીનો અભ્યાસ પૂર્ણ કરતાની સાથે ૧ ડિસેમ્બર ૨૦૦૪ ના રોજ પ્રાથમિક શિક્ષિકા તરીકે જોડાયાં. નોકરીની શરૂઆતથી જ તેમના મનમાં એક સ્પષ્ટ વિઝન હતું: ‘શિક્ષણ ક્યારેય બોજ ન બનવું જોઈએ.’ નોકરીમાં જોડાયાના પ્રથમ દિવસથી જ તેમણે શિક્ષણને માત્ર એક આજીવિકાનું સાધન ન માનતા, જીવનનું ધ્યેય બનાવી લીધું. પી. ટી. સી. દરમિયાન મેળવેલી પ્રાયોગિક તાલીમને તેમણે પોતાના વર્ગખંડમાં ખૂબ જ સુંદર રીતે ઉતારી છે. ભણાવવાની તેમની આગવી શૈલી અને પ્રેમાળ  સ્વભાવને પરિણામે જ્યાં જ્યાં તેમણે સેવાઓ આપી ત્યાં ત્યાં તેઓ વિદ્યાર્થી પ્રિય શિક્ષિકા બની રહ્યાં. અને આખરે ૨૮ મી ઓગષ્ટ ૨૦૧૨ ના રોજ આકરુંદ શાળાને પોતાની કર્મભૂમિ બનાવી દીધી. જ્યારે તેઓ આકરુંદ પ્રાથમિક શાળામાં જોડાયાં, ત્યારે તેમણે પોતાની સાથે માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પણ પ્રયોગશીલતાનો એક આખો નવો અભિગમ લાવ્યા.

       સામાન્ય રીતે પ્રાથમિક શાળાના બાળકો માટે ગણિત એટલે ભય, કંટાળો અને માત્ર આંકડાઓની માથાકૂટ. પરંતુ ઊર્મિલાબેનના વર્ગખંડમાં દ્રશ્ય તદ્દન અલગ હોય છે. તેઓ ધોરણ ૩ થી ૫ ના કોમળ વયના બાળકોને ગણિત અને અન્ય વિષયો એવી રસપ્રદ કુનેહથી ભણાવે છે કે બાળકો ગણિતના તાસની આતુરતાથી રાહ જુએ છે. તેમની આ શિક્ષણ કળા ખરેખર કાબિલ-એ-દાદ છે. ઊર્મિલાબેનનું દ્રઢપણે માનવું છે કે જ્ઞાન ક્યારેય ચાર દીવાલોની વચ્ચે કે કાળા પાટિયા (બ્લેકબોર્ડ) પર કેદ રહી શકતું નથી. તેથી જ તેમણે ગણિત જેવા વિષયને વર્ગખંડ પૂરતો સિમિત રાખ્યો નથી. તેઓ બાળકોને ખુલ્લા આકાશ નીચે, કુદરતના સાનિધ્યમાં લઈ જાય છે. ઝાડનાં  પાંદડા, નાના પથ્થરો, લાકડીઓ અને મેદાનની માટી તેમના માટે ગણિતના સાધનો બની જાય છે. આ પ્રાયોગિક અનુભવને કારણે બાળકો ગોખણપટ્ટી વિના આજીવન ગણિતના સિદ્ધાંતો યાદ રાખી શકે છે.

(તત્કાલીન જિલ્લા કલેકટર સુ શ્રી પ્રશસ્તિ પારિકની વર્ગખંડ મુલાકાત ) 

       પુસ્તકીય જ્ઞાન બાળકને માત્ર પાસ કરી શકે, પણ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ (Co-curricular activities) તેને જીવન જીવતા શીખવે છે. આ જ કારણે તેઓ શાળાની દરેક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે છે: એ CA ના તાસનું આયોજન હોય કે આનંદદાયી શનિવારની વિવિધ પ્રવૃત્તિઓ હોય  પ્રાર્થના સભાને રસપ્રદ બનાવવા તેઓ અવિરત પ્રયત્નશીલ રહે છે. બાળક સાથે બાળક બની અભિનય ગીત કરવામાં, વાર્તા કહેવામાં તેઓ અનહદ આનંદ અનુભવે છે. 

        રાષ્ટ્રીય પર્વો હોય કે શાળાનો એન્યુઅલ ડે—ઊર્મિલાબેન બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે તૈયાર કરવામાં જરા પણ કચાસ છોડતા નથી. ડાન્સ, નાટક કે વક્તૃત્વ હોય, ગ્રામીણ વિસ્તારના બાળકો પણ સ્ટેજ પર પ્રોફેશનલ કલાકારોની જેમ આત્મવિશ્વાસથી પર્ફોર્મ કરે છે.

                 ઊર્મિલાબેને આજના ડિજિટલ યુગનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો છે. તેમણે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી વાલીઓ સાથે એક જીવંત અને પારદર્શક સંપર્ક સેતુ ઊભો કર્યો છે.  વર્ગખંડમાં બાળકો રોજ શું પ્રવૃત્તિ કરે છે તેના ફોટા અને વિડીયો વાલીઓ સુધી પહોંચે છે. દરેક વાલીને તેના ફોનમાં જ તેમના સંતાનનું ગૃહકાર્ય નિયમિત મળી જાય છે. કયું બાળક શાળામાં હાજર છે અને કયું બાળક ગેરહાજર છે તની જાણ પણ વાલીને ૧૧ વાગ્યા પહેલાં થઇ જાય છે.  બાળકનો દૈનિક પ્રોગ્રેસ રીપોર્ટ વાલીઓ સાથે શેર થાય છે. આ ડિજિટલ કનેક્ટને લીધે ગામના વાલીઓનો સરકારી શાળા પરનો ભરોસો અનેક ગણો વધી ગયો છે.

       તેમની પ્રતિભા માત્ર શાળા પૂરતી સીમિત ન રહેતા તાલુકા અને જિલ્લાના વિદ્યાર્થીઓ માટે સાહિત્ય નિર્માણના કાર્યમાં પણ તેઓ સક્રિય છે.  કોઈપણ ટેક્નિક કે પદ્ધતિ ત્યાં સુધી સફળ નથી થતી જ્યાં સુધી તેમાં પ્રેમ ન ભળે. ઊર્મિલાબેનની સૌથી મોટી તાકાત તેમની અપ્રતિમ વિદ્યાર્થી પ્રીતિ અને કર્તવ્યનિષ્ઠા છે. તેઓ ભણવામાં નબળા કે અંતર્મુખી બાળકોને ખાસ સમય આપીને, વહાલથી આગળ લાવે છે. તેમની આ મમતા સભર શૈલીને કારણે જ બાળકો તેમને માત્ર એક શિક્ષિકા તરીકે નહીં, પણ પોતાની ‘બીજી માતા’ તરીકે જુએ છે.

          વિદ્યાર્થીઓ શિક્ષકના આચરણથી જ ઘડાતાં હોય છે. વર્ગ કે ઓફીસની સ્વચ્છતાની વાત આવે ત્યારે ઉર્મિલાબેન ઝાડું કે પોતું પોતાના હાથમાં લેવામાં જરા પણ નાનમ અનુભવતાં નથી. તેમના મન શાળા એક મદિર છે અને શાળામાં કરેલું કોઇપણ કર્મ એ પૂજા છે.

       પી. એમ. શ્રી આકરુંદ પ્રાથમિક શાળાનાં ઊર્મિલાબેન પટેલ જેવાં સંનિષ્ઠ શિક્ષિકા આપણને યાદ અપાવે છે કે કુમળા બાળકોનાં દિલ જીતવા પ્રેમાળ હૃદય અને અતૂટ સમર્પણની જરૂર હોય છે.

-      ઈશ્વર પ્રજાપતિ

98251 42620


વર્ગને જેમણે સ્વર્ગ બનાવ્યો આકરૂન્દ શાળાના સનિષ્ઠ શિક્ષકોની શિક્ષણ યાત્રા 

૧. વિદ્યાર્થીઓનું હિત જ જેમના મન સર્વસ્વ છે એવાં વાત્સલ્યમૂર્તિ શિક્ષિકા બેન શ્રી ભાવનાબેન પટેલ

૨. સમર્પણ, સાધના અને શ્રેષ્ઠતાનું જીવંત પ્રતીક: આકરુંદ પ્રાથમિક શાળાના કર્મનિષ્ઠ શિક્ષક નિમેષભાઈ પટેલ

૩. ગણિત-વિજ્ઞાનના પર્યાય અને વિદ્યાર્થીઓના પ્રેરણામૂર્તિ: શ્રી ભવદીપભાઈ પટેલ

૪. શિક્ષણ જગતમાં અજવાળા પાથરવા અવિરત ઝળહળતો એક ચિરાગ : ચિરાગભાઈ પટેલ

Sunday, July 5, 2026

સન્ડે સ્પેશિયલ

શિક્ષણ જગતમાં અજવાળા પાથરવા અવિરત  ઝળહળતો એક  ચિરાગ : ચિરાગભાઈ પટેલ



        ચિરાગભાઈ પટેલ એટલે એટલે પી.એમ શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાને અવિરત ધબકતી રાખવા ૨૪*૭ પ્રયત્નશીલ રહેતા એક નિષ્ઠાવાન શિક્ષક ! પી.એમ. શ્રી આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળાના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષક ચિરાગભાઈ પટેલ શિક્ષણ જગતમાં એક આદર્શ અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે. તેમનો સમગ્ર અભિગમ માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી સીમિત ન રહેતા, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને વિષયને રસપ્રદ બનાવવાની તેમની કુનેહ દાદ માંગી લે તેવી છે.

મોડાસા તાલુકાનું બાયલ ગામ તેમનું વતન. તેમનો પરિવાર મૂળ તો ખેતી સાથે સંકળાયેલો. ખેડૂતપુત્ર હોવાના નાતે ખેતીનું સૂઝ તો ખરી જ !  પરંતુ ખેતી તરફ ન વળતાં શિક્ષણને પોતાનું હથિયાર બનાવ્યું.  એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ગણિત વિજ્ઞાનમાં અત્યંત રૂચી. એટલે વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ બાર પાસ કરી, B.Sc. B.Ed. અને PTC નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૫ મી જુલાઈ ૨૦૧૦ ના રોજ મહીસાગર જિલ્લાના એક છેવાડાના ગામમાં વિદ્યાસહાયક તરીકે નિયુક્ત થયા. નોકરીની શરૂઆતથી જ કાંઈક હટકે કરવાની તેમની ખેવનાના કારણે વિદ્યાર્થીપ્રિય શિક્ષક બની રહ્યા. મહીસાગરમાં ટૂંકી સેવાઓ આપ્યા બાદ અરવલ્લીની ગિરિકંદરાઓ ચિરાગભાઈને જાણે સાદ કરીને પોકારી રહી હતી. અરવલ્લી જિલ્લામાં અલગ-અલગ શાળાઓમાં સેવાઓ આપી. આખરે નિયતિ તેમને છેક આકરૂન્દ શાળા તરફ દોરી લાવી. ૨૪ મી નવેમ્બર ૨૦૨૦ ના રોજ તેઓ આકરૂન્દ શાળામાં જોડાયા અને શાળાનું અવિભાજ્ય અંગ બની ગયા.


     ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સરળ, સચોટ અને પ્રાયોગિક બનાવીને વિદ્યાર્થીઓમાં તેમણે એક ઊંડી સમજણ ખીલવવા મથામણ આદરી. છેલ્લી પાટલીએ બેઠેલા વિદ્યાર્થીનો પાયાનો ખ્યાલ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ઝંપીને બેસે તો ચિરાગભાઈ શાના ! આકરૂન્દ ગામના કે આજુ બાજુના ગામથી આવતા વિદ્યાર્થીઓમાં કોઈ ગેરહાજર હોય તો ચિરાગભાઈ તેના ઘરે જઈ પોતાની કારમાં વિદ્યાર્થીને તેડી લાવે. કોઇપણ વિદ્યાર્થીનો અભ્યાસ બગડે એ ચિરાગભાઈને સતત ડંખ્યા કરે.  

     ચિરાગભાઈ માટે વિજ્ઞાન એટલે માત્ર ગોખણપટ્ટી નહીં, પરંતુ જીવનના પ્રત્યેક અનુભવને સમજવાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ. તેમણે અભ્યાસક્રમમાં આવતા તમામ પ્રયોગો વિદ્યાર્થીઓ પાસે જાતે કરાવીને તેમને વિજ્ઞાનના ગૂંચવણભર્યા સિદ્ધાંતો સરળતાથી સમજાવ્યા છે. તેમના જ અથાક પ્રયાસો અને દ્રઢ સંકલ્પના પરિણામે આકરૂન્દ શાળામાં એક આધુનિક અને સુંદર “નીતિનભાઈ જે. પટેલ  ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા”નું નિર્માણ શક્ય બન્યું છે. આ પ્રયોગશાળા વિદ્યાર્થીઓને પોતાની જાતે નવું શીખવા અને સમજવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડે છે.

ઉનાળુ  કે દિવાળી વેકેશન સૌ માટે  પોતાના પરિવાર સાથે હળવાશથી સમય પસાર કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. પરંતુ વેકેશન દરમિયાન પણ શાળા અને પોતાના વિદ્યાર્થીઓના જીવન વિકાસના વિચારો હૃદયમાં રમ્યા કરે એવી વ્યક્તિ બહુ ઓછી જોવા મળે ! ગત દિવાળી વેકેશનમાં ચિરાગભાઈના મનમાં એક વિચાર સ્ફૂર્યો કે શાળાના બાળકો દ્વારા ભગવત ગીતાજીનો એક શ્લોક કંઠસ્થ કરાવી, દરરોજ એક શ્લોક  દરેક વાલી અને વિદ્યાર્થી  સુધી પહોંચાડીએ તો કેવું ! વિચાર તો મજાનો હતો પરતું વેકેશન હતું. દિવાળીનો દિવસ હતો. કરવું તો કરવું શું ? પણ હાર માની બેસી જાય તો ચિરાગભાઈ નહિ. તેમને વિદ્યાર્થીઓનો ટેલીફોનીક સંપર્ક કરી શાળામાં બોલાવ્યાં. દરેકને એક એક શ્લોક કંઠસ્થ કરવા આપી દીધો. અને તમામ શ્લોકોને મોબાઈલમાં રેકોર્ડ કરી લીધા. અને નૂતન વર્ષના દિવસથી વિદ્યાર્થીઓ દ્વારા નિયમિત પ્રસ્તુત કરવામાં આવતા ભગવત ગીતાના શ્લોકની શરૂઆત થઇ. જેમાં સંસ્કૃત વિષયનાં નિષ્ણાત શિક્ષિકા દર્શનાબેનનો સથવારો મળ્યો. પરિણામે જાહેર રજા હોય કે  ઉનાળુ વેકશન હોય   તે ક્રમ આજે પણ યથાવત જળવાઈ રહ્યો છે.

       શિક્ષણ નગરી તરીકે વિખ્યાત   મોડાસા જેવા શહેરમાં પોતે રહેવા છતાં, પોતાનાં સંતાનોને ખાનગી શાળામાં ભણાવવાને બદલે આકરૂન્દની સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનો તેમનો નિર્ણય સૌ કોઈ માટે પ્રેરણારૂપ છે. આ નિર્ણય  તેમની આદર્શવાદી વિચારધારા અને સરકારી શિક્ષણ પ્રણાલીમાં રહેલા અતુટ વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે.

      શાળાની અંદરની શૈક્ષણિક પ્રવૃત્તિઓ હોય કે શાળા બહારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ચિરાગભાઈની કાર્યપદ્ધતિમાં માઈક્રો પ્લાનિંગ (સૂક્ષ્મ આયોજન) સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગતવર્ષે તાલુકા કક્ષાની શિક્ષકોની તાલીમ આકસ્મિક આકરૂન્દ શાળા ખાતે ગોઠવાઈ. એની જાણ શાળાને આગળના દિવસે સાંજે થઇ. અંદાજે ૭૦ જેટલા શિક્ષકોની બેઠક વ્યવસ્થ, ચા-પાણી, નાસ્તાની વ્યવસ્થા જરૂરી સાહિત્ય અને સ્ટેશનરીની વ્યવસ્થા  કેવી રીતે ઉભી કરવી તે એક મોટો પ્રશ્ન હતો. એક પળનો પણ વિલંબ કાર્ય વિના ચિરાગભાઈએ તમામ જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. ગણતરીના કલાકોમાં એવું ઉત્કૃષ્ઠ વ્યવસ્થા પૂરી પાડી કે તાલીમ લેનાર તમામ શિક્ષકોએ ચિરાગભાઈની પથ થાબડી.  કોઈપણ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવાની તેમની આવડત ખરેખર ઉડીને આંખે વળગે તેવી છે.

        શાળા માટે જરૂરી વસ્તુઓની ખરીદી હોય કે બાળકોના જ્ઞાનવર્ધન માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન હોય, તેઓ દરેક વિગતો પર ઊંડાણપૂર્વક ધ્યાન આપે છે. શાળાના નિર્ધારિત સમય પછી પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે અવિરત મથ્યા કરવું, એ તેમના સ્વભાવ બની ગયો છે.

      એક ઉત્તમ શિક્ષક માત્ર ભણાવવા પૂરતો મર્યાદિત નથી રહેતો, પરંતુ તે બાળકના સ્વાસ્થ્ય અને સુખાકારીની પણ ચિંતા કરે છે. ચિરાગભાઈ બાળકોને મધ્યાહન ભોજનમાં પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત ભોજન મળે તે માટે વિશેષ કાળજી રાખે છે. ભોજનની ગુણવત્તા જળવાઈ રહે અને બાળકો તંદુરસ્ત રહે તે માટે તેમની દેખરેખ અને માર્ગદર્શન ખૂબ જ મૂલ્યવાન સાબિત થાય છે.

      ચિરાગભાઈનું જીવન અને કાર્યશૈલી એ તમામ શિક્ષકો માટે પ્રેરણારૂપ  છે. તેમનું આકરૂન્દ શાળા સાથેનું જોડાણ માત્ર એક નોકરી પૂરતું નથી, પરંતુ તે એક સમર્પિત ભાવના છે. પોતાના અંગત જીવનની સુવિધાઓને બાજુ પર મૂકીને, વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી માનવું અને સરકારી શાળાઓ પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ બદલવો એ તેમનું સૌથી મોટું યોગદાન છે. આવા કર્તવ્યનિષ્ઠ અને સમર્પિત શિક્ષકો જ આદર્શ સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં પાયાનો પથ્થર સાબિત થાય છે. ચિરાગભાઈ પટેલ જેવા શિક્ષકોના સથવારે જ આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળા જેવા વિદ્યાલયો જ્ઞાનના સાચા મંદિર બનીને ઝળહળી ઉઠે છે.

       શાળામાં ઉજવાતા વિવિધ ઉત્સવોમાં  ચિરાગભાઈ હંમેશાં અગ્રેસર રહીને શાળાના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર વિષયવસ્તુ નથી ભણાવતા, પરંતુ તેમને જીવનના મૂલ્યો અને સંસ્કારોનું પણ સિંચન કરે છે. તેમના આ જ પ્રયાસોના કારણે આકરૂન્દ પ્રાથમિક શાળા સમગ્ર અરવલ્લી પંથકમાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં એક આદર્શ શાળા તરીકે ઉભરી આવી છે.

         સરકારી શાળાઓની ગુણવત્તા વધારવા અને શિક્ષણને નવો આયામ આપવા માટે ચિરાગભાઈની આ કર્તવ્યનિષ્ઠા અને સપનાઓને આપણે સૌ સલામ કરીએ છીએ. તેમનો આ નિસ્વાર્થ સેવાભાવ આવનારી પેઢી માટે સદા પ્રેરણાદાયી બની રહેશે.

સંપર્ક : ચિરાગભાઈ પટેલ : 94279 61383

-      ઈશ્વર પ્રજાપતિ

-      98251 42620



 

Saturday, July 4, 2026

A Tribute to a Champion of the Oppressed



"Shri Prakashbhai K. Shah, a tireless champion of the suffering and marginalized, is no more."

My heart still denies the tragic loss of Prakashbhai K. Shah.

Hearing of the passing of Prakash Shah, my heart skipped a beat. Just this past May, following his return to India from the United States, we spent hours locked in deep, sprawling conversations. The warmth and affection in his voice still echo clearly in my mind. Even now, it feels impossible to accept that he is truly gone.
Prakash Shah was a rare, towering figure who bridged two worlds, linking the quiet rural corners of India's Aravalli district to the highest corridors of power in the United States. His counsel was sought and deeply valued across the political spectrum—reaching world leaders from former U.S. President Barack Obama to President Donald Trump, and earning the steadfast respect of both ruling and opposition parties in India and America alike. Yet, despite his global influence, his roots remained firmly planted in his native village of Gabat. Until his very last breath, he carried an fierce, unyielding devotion to his motherland.

To the outside world, he was a brilliant advisor, but to the hundreds of impoverished and vulnerable individuals he championed, the mere mention of his name brought immediate comfort. His sudden departure leaves a profound void; countless families feel they have lost their ultimate pillar of support, and the grief among them is palpable.

In an era of self-promotion, Prakash Shah was a modern-day sage who consciously chose impact over fame. Though he lived in the United States for forty-five years, the surrounding consumerist lifestyle never eroded his family's core principles. His heart remained entirely steeped in traditional Indian values and culture, and his mind was consumed by a singular, constant question: how to better uplift his homeland.

This spirit of monumental service was a family heirloom. Prakash was the son of the late K.K. Shah, a legendary statesman who served as an advisor to the Maharaja of Vadodara, a Union Cabinet Minister, and the Governor of Tamil Nadu. The senior Shah’s leadership helped shape a young nation, most notably when he stood resolutely alongside Sardar Vallabhbhai Patel during the complex integration of the princely states. Though decades have passed since K.K. Shah’s death, his legacy endures—perhaps most visibly in Vatrak Hospital, a vital institution that grew from a small local initiative into a massive sanctuary of healthcare, fueled entirely by his early foresight.

Following closely in his father’s footsteps, Prakash Shah kept that flame of patriotism burning bright from across the Atlantic. He deeply integrated Gandhian philosophy into his daily life, effectively living with one foot in America and the other in India.

Through frequent visits home, he made it his personal mission to understand the evolving needs of his community, dedicating his time, energy, and resources to meet them. Today, on the banks of the Vatrak River, the Shri K.K. Shah Charitable Trust continues its vital work, keeping their family ashram alive and pulsing with humanitarian efforts dedicated entirely to serving the poor and forgotten.

Prakash Shah’s father was a titan of his era—a high-ranking Union Minister, a state Governor, and a legendary attorney whose elite law practice commanded a staggering fortune. Raised in the lap of luxury, Prakash’s early life was nothing short of princely. Though it was a small family, their sprawling estate required an army of nearly two hundred servants to keep it running. Yet, despite being born with a silver spoon, Prakash was determined to forge his own path. He walked away from a life of inherited privilege and bought a one-way ticket to America. Trading absolute comfort for the unknown, he embraced a grueling climb to the top, writing a life story that reads like a Hollywood script.

The contrast could not have been more stark. In India, he lived like royalty; in America, his crucible began. Suddenly, he was a man with no safety net, struggling to find a steady place to eat or sleep. He started at the absolute bottom, taking grueling, low-wage jobs, including a stint as a restaurant waiter just to secure a hot meal and a roof over his head. Many nights, he slept right there on the restaurant floor. In those days, a modest tip from a customer was cause for celebration—it was the only way he covered his basic necessities. Those lean years left an indelible mark on him; decades later, as a wealthy man dining in the world's finest restaurants, he made it a point of honor to always tip with immense generosity.

For years, his routine was relentless: backbreaking work by day, and college classes by night. Success did not come easily. He faced a major setback when he initially failed the rigorous accountancy boards. Yet, defined by a stubborn refusal to quit, he fought through thirteen years of setbacks before finally passing the examinations in 1988 to earn his Certified Public Accountant (CPA) license. As the old adage goes, fortune favors the bold. That hard-won credential unlocked the doors of destiny. He went on to co-found the prestigious accounting firm 'Stevens, Sloan & Shah', launching a decades-long career of stellar service that ultimately brought him both the immense wealth he had once walked away from, and a global reputation he had earned entirely on his own.

Prakash Shah often maintained that adversity carries its own unique dignity. To him, a life completely untouched by hardship was a misfortune, because it is only within the crucible of struggle that true character is forged. He believed in looking solely to the Divine for guidance, advocating for a life built on relentless, honest labor. His blueprint for a meaningful life was simple yet profound: steer clear of destructive vices, honor and protect the women in your family, and commit yourself entirely to the service of the less fortunate. For Prakash, this was the ultimate definition of success.

During his frequent trips back to the Vatrak region, he never managed from a distance; he insisted on grassroots, face-to-face connection. He sought out the vulnerable, listened intently to their struggles, and quietly offered whatever baseline of support they needed to rebuild their lives. In altering the trajectories of hundreds of marginalized families, his philanthropy was both sweeping and deeply personal. From funding a daughter’s wedding or underwriting a bright student's tuition, to securing housing for the homeless or absorbing catastrophic medical debts—he acted as a silent lifeline, fiercely adhering to the old adage of never letting his left hand know what his right hand was doing. Once he extended a helping hand to someone in a storm, his commitment to them was absolute.

He was, in every sense, a modern-day sage—one who chose a sharp, tailored suit over monastic robes. Yet to the communities that found refuge in his immense generosity, he was revered as a guardian angel. By founding local women’s cooperatives, he ignited a quiet economic revolution that empowered hundreds of homemakers with financial independence. His devotion to his roots was unwavering; whether he was modernizing a neglected village schoolhouse or outfitting a rural hospital with cutting-edge medical technology, he never hesitated to pour his hard-earned wealth back into the upliftment of his beloved homeland.

Prakash Shah’s unwavering commitment to truth was a legacy inherited directly from his father, deeply rooted in Gandhian principles. For him, civic pride and cleanliness were personal responsibilities rather than abstract ideals; he routinely picked up litter in public spaces without a second thought. On his walks through Punit Van in Gandhinagar, if he encountered a neglected public restroom, he would quietly grab a broom and clean it himself—completely devoid of ego or pretense. Even after reaching the pinnacle of professional and financial success, he remained remarkably grounded. His life was a masterclass in humility, offering a quiet, inspiring blueprint for how to live with pure intentions.

He was, in every sense, a modern-day sage. His sudden passing leaves an irreplaceable void, felt with equal weight from rural Gujarat to his adopted home in the United States. He leaves behind a world made better by his presence, and we pray that his noble soul finds eternal peace.

Om Shanti... Om Shanti... Om Shanti.

An aricle by : Ishwar Prajapati
English version : Pallavi Gupta.

Mo. : 9825142620